સલુણી સંધ્યાનો ઉજાસ ઓસરતાં જ આભમાંથી ઊતરી રહેલા અંધારાના ઓઘ ઘૂંટાઈને ઘાટા થવા લાગ્યા. ઠાકર મંદિરની ઝાલરું ઝણઝણી ઊઠી દેવદર્શન કરી રજપૂત ગલૂજી ઘેર આવી વાળુ કરવા બેઠા ને માતુશ્રીએ થાળી પીરસીને આગળ મૂકી. પ્રભુની સ્મૃતિ સાથે જમવાનું જ્યાં શરૂ કર્યું, ત્યાં ફળીમાં ઘોડાની હણહણાટી સંભળાણી. વડથલના ધર્મસિંહજી પ્રભુનો પત્ર લઈને આવ્યા હતા. જય સ્વામિનારાયણ કહી પત્ર આપી એતો ચાલી નીકળ્યા. આગ્રહ કર્યો છતાં વાળુ કરવા કે પાણી પીવાય એ ઉભા ન રહ્યા.
ગલુજીએ જમવાનું રહેવા દઈને દીવાને અજવાળે પત્ર વાંચ્યો. એમાં પ્રભુએ સંદેશો મોકલેલો કે ‘આ પત્ર વાંચી વિના વિલંબે જે કાંઈ કિંમતી ઘરવખરી હોય તે ગાડાઓમાં ભરી, માતુશ્રીને ઘેર રાખી તમો બને એટલા વહેલા વડથલ આવી પહોંચો.’
તુરત પીરસેલું ઠામ આઘું ઠેલી ગલુજી ઊભા થઈ ગયા એટલે માતુશ્રી બોલ્યા, ‘બેટા, પૂરું જમી તો લે પછી બીજું કરજે.’
‘હવે જમવાનું કાંઈ નહિ. પ્રભુનો પત્ર છે એટલે હું માલ મિલકત ગાડામાં ભરી ઝટ વડથલ જાવછું ને તમે ઘર સાચવજો.’ આમ કહી એતો ગાડાંઓ તૈયાર કરી લેવા જેવી સંપત્તિ ભરીને તુરત વડથલની વાટે વહેતા થયા.
માતાજી તો વિચાર કરતાં રહ્યાં, ‘મહારાજે ગલુજીને આમ અચાનક કેમ બોલાવ્યો હશે ? આ મૂલ્યવાન માલસામાન વેચાવીને એને સાધુ તો નહિ કરવો હોયને !’
માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચયવાળા ગલુજીને તો પ્રભુના આદેશમાં કોઈ વિચાર કરવાનો હતો જ નહિ. પ્રભુ કરે તે ભલા માટે હોય એમ માની એતો વડથલ પહોંચી ગયા.
આ બાજુ ગલુજીના દુશ્મનો ગલુજીને મારી નાખવા અને માલ મિલકત લૂંટી લેવાના બદ ઈરાદાથી એક સંપ કરીને મધરાત ભાંગ્યે ઘર પર ત્રાટકયા. ઘરમાં દીવો બળતો હતો. એના અજવાળામાં જોયું તો ઘર ખાલીખમ ને માત્ર એક ડોશી સૂતેલાં એટલે એને જગાડીને પૂછયું, ‘ગલુજી કયાં છે ? આ ઘર સાવ ખાલી કાં ?’
‘સ્વામિનારાયણની ચિઠ્ઠી આવેલી એટલે એ બધો માલ સામાન ગાડામાં ભરીને એમની પાસે વડથલ ગયો છે પણ ભાઈઓ, અત્યારે અહૂરા તમારે એનું એવું બધું શું કામ હતું ?’
‘કામ તો માજી છેને એ ભગતડાને આજે પતાવી દઈને ઘર બધું લૂંટી જવું હતું પણ સ્વામિનારાયણ ભગવાનને એને બચાવ્યો, નહિ તો આજ એ ઉગરેત નહિ.’ ટોળીના આગેવાને કહ્યું.
‘અરે ! ભલા માણસ, આવું ઘોરકર્મ કરવા આવ્યા છો ? મારા દીકરાનો કાંઈ વાંક ગુનો ખરો કે હાંઉં ?’ હાંફળા ફાંફળા બની માતાએ ઉચ્ચાટ વ્યક્ત કર્યો.
‘વાંક તો માજી બીજો કાંઈ નથી પણ સ્વામીનો ધર્મ સ્વીકારી એ તો ભગત ભલે બની ગયો પણ અમારી ટોળીના એક સાથીદારનેય એણે ભગત કરી મેલ્યો છે જે હવે લૂંટફાટમાં અમારા ભેળો આવતો નથી. એથી અમારે એની સામે અદાવત બંધાણી છે.’
‘પણ આજે એની આવી સાવધાની ભરી રક્ષાથી અમો મનમાં વિચાર કરતા થઈ ગયા છીએ. અમે તો કાંઈ ધારીને આવ્યા હતા અને વચ્ચેથી ભગવાને બાજી પલટાવી ગલુજીને હેમખેમ ઉગારી લીધો. માટે એ ભગવાન કેવા પ્રતાપી ને આ ભક્ત પણ કેવો વિશ્વાસુ ! હવે અમારે ગલુજીની માફી માગવાની છે, આ તો ઠીક થયું એ ઉગરી ગયો ને નહિ તો આજે જ એક ભક્તનો અમારા કાળા હાથે વધ થઈ જાત તો અમારા પર ફિટકાર વરસત અને મહા પાપના ભોગ બનત. અમો આપની માફી માગીએ છીએ કે હવે અમારે ગલુજી સાથે કોઈ અણબનાવ કે કજિયો નથી. અમોને સ્વામિનારાયણને શરણે લીએ એજ મનમાં ઈચ્છા છે.’ ટોળીના આગેવાને ખેદ વ્યક્ત કરતાં કહ્યું.
આ સાંભળી માતા તો વિચારમાં પડી ગયા. સવારે પ્રભુની આજ્ઞા થતા ગલુજી બધું લઈને વડથલથી ડડુસર આવ્યા. માતાએ રાતે બનેલ બીના કહી સંભળાવી ત્યારે અંતર્યામીએ પોતાની ભારે રક્ષા કરી એ જાણીને ગલુજીની આંખમાં હર્ષનાં આંસુ ઉભરાયાં અને અંતરમાં પ્રભુનો અદકેરો મહિમા પણ સમજાયો.
એકાદ બે વર્ષ પછી મહારાજ ડડુસર પધારી રહ્યા છે. આખું ગામ પ્રભુનું સ્વાગત કરવા ગામને ગોંદરે આવીને ઉભું છે. મહારાજને પધારવાની ઘડિયું ગણાય છે. એવામાં અગ્રણી ભક્તે આવીને ગલુજીના કાનમાં હળવેકથી કહ્યું, ‘માતાજીએ દેહ મૂકી દીધો છે !’ ગલુજીએ તુર્તજ કહ્યું, ‘હવે કોઈને વાત કરશોમા’ આમ કહી પોતે ઘેર આવ્યા પછેડીમાં ડોશીના શબની ગાંસડી બાંધી એને ઊંચે ટાંગી દીધી.
શ્રીજી પધારતા ધામધૂમથી એમનું સામૈયું કરી ગામમાં પધરામણી કરી. ગામના શેઠને ત્યાં સંતો ને મહારાજનો ઉતારો રખાવી ગામ આખાને પ્રભુના દર્શન, કથાવાર્તા ને સત્સંગનો લાભ આપવા રોકયા. વિદાય વેળાએ સિમાડા સુધી સાથે ગયા ત્યારે પ્રભુએ કહ્યું, ‘હવે પાછા વળો ને માજીનો અગ્નિસંસ્કાર કરો. અમે ધામમાં તેડી ગયા એને ત્રણ દિ થઈ ગયા છે.’
લોકલાજની પરવા કર્યા વગર મૂઈ માને ટાંગી દઈ પ્રભુની પધરામણીને પ્રાધાન્યતા આપવાનું કપરું કામ તો ગલુજી જેવા નક્કર નિષ્ઠાવાન ભક્તથી જ થઈ શકે.