પોતાની ધર્મપત્નીની મરણોત્તર વિધિ પૂરી કરી ઠાકરશીભાઈ દેવાણીએ દશબાર વર્ષના દીકરા દેવજીને સાથે લઈ હળવા હૈયે પોતાનું મૂળ વતન અમૃતવેલ છોડી જુનાગઢની વાટ પકડી.
ગુણિયલ ગૃહીણીનું અકાળ અવસાન થવા છતાં ઠાકરશીભાઈને અંતરમાં એનો બહુ ઊંડો આંચકો નહોતો લાગ્યો કારણ કે સમર્થ સદ્ગુરુ સ્વામી બાલમુકુંદદાસજીનો સમાગમ કરી એમણે પોતાની સમજણને દૃઢ કરી હતી કે ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું ગોવિંદ ગોપાળ’ સંસારમાં રહેવા છતાંય ઠાકરશીભાઈ આમ તો જળકમળવત્ હતા.
જૂનેગઢ આવી ઠાકોરજીના દર્શન કરી ગુરુવર્યના દર્શને ગયા. દંડવત્ પ્રણામ કરીને પગે લાગીને પાસે બેઠા, એટલે અંતર્યામીને સંભારીને સ્વામીએ કહ્યું, ‘ઠાકરશી, સાવ પરવારીને આવ્યો છોને ?’
‘હા, સ્વામી, હવે ઘરની કોઈ પળોજણ રહી નથી એટલે જ બાપ દીકરો પરવારી પાકું પરિયાણ કરીને જ આપની પાસે ભગવાન ભજવા આવ્યા છીએ.’ ઠાકરશીભાઈએ હૈયાનું હોઠે લાવીને કહ્યું.
આ સાંભળી દીર્ઘદૃષ્ટા પૂ. સ્વામીજીએ કહ્યું, ‘જો ભગવાન ભજવાનો નિર્ણય કરીને જ આવ્યા હો અને અમે કહીએ એમ કરવાની તૈયારી હોય તો આ છોકરો સ્વામી ધર્મસ્વરૂપદાસજીને સોંપો અને તમે મોટી કુંકાવાવ જઈ ત્યાં મંદિરમાં ઠાકોરજીની સેવાપૂજા કરો.’
વિશ્વાસુ ઠાકરશીભાઈએ ગુરુવર્યની આજ્ઞાને વિના વિલંબે માથે ચડાવી કહ્યું, ‘ભલે સ્વામી, આપની આજ્ઞા મને મંજુર છે.’
પોતાના પુત્રને સમજાવી ત્યાં મંદિરમાં રાખી, પોતે બીજે દિવસે કુંકાવાવની વાટ પકડી. આ સ્થિતપ્રજ્ઞને આમ કરવામાં પુત્રનુંય કોઈ વળગણ અંતરાત્મામાં વળગ્યું નહોતું. એણે સ્વામીશ્રીના આદેશ મુજબ કુંકાવાવમાં પ્રેમથી ઠાકોરજીની સેવા પૂજા ને ભજન સ્મરણમાં પોતાની પાછલી અવસ્થા પૂર્ણ કરી.
સિંહના તો સિંહ જ હોયને ! દીકરો દેવજી પણ પૂજ્ય સ્વામીશ્રીના આદેશથી પાર્ષદ બની સદ્. સ્વામી ધર્મસ્વરૂપદાસજીના મંડળમાં રહી ઉત્સાહભેર સેવામાં સામેલ થઈ ગયો. સ્વભાવે નમ્ર તેમજ સરળ ને ગરીબ પ્રકૃતિવાળા દેવજી ભગતે શ્રદ્ધા ને મહિમાથી મંદિરમાં સેવા બજાવી નાના મોટા સર્વ સંતોનો રાજીપો મેળવી લીધો.
પાર્ષદ દેવજી ભગતમાં મુમુક્ષુતાના ઉચ્ચ ગુણો જોઈ સ્વામી બાલમુકુંદદાસજીની આજ્ઞાથી સદ્. સ્વામી ધર્મસ્વરૂપદાસજીના શિષ્ય પુરાણી સ્વામી ગોપીનાથદાસજીએ સં. ૧૯પ૯માં વડતાલમાં આચાર્ય શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજને હસ્તે દેવજી ભગતને ભાગવતી દીક્ષા અપાવી સાધુ દેવપ્રસાદદાસ નામ ધારણ કરાવ્યું.
દયાળુ પ્રકૃતિના આ સંત દેવપ્રસાદદાસજીમાં સેવાધર્મ સ્વાભાવિક હતો. સાજામાંદા સંતો તેમજ પાર્ષદોની સેવા કરવા એ મહિમાથી પહોંચી જાય. અરે મંદિરમાં આવેલ સાજામાંદા ગૃહસ્થ ભક્તની પણ સેવા ચાકરી કરવામાં એમને કદી નાનપ લાગતી નહિ. માંદાનું માથું તેમજ પગ દાબવા, મીઠાંનાં પોતાં મૂકવાં, માંદાને રુચે એવું જમવાનું બનાવી દેવું વગેરે શ્રદ્ધાથી કરવાનું એમનું અંગ હતું. એટલું જ નહિ આવી સેવા પ્રવૃત્તિ મહિમાથી કરતા અને સહુના આદરના અધિકારી બની રહેતા.
કંઠની મધુરતા સાથે પ્રભુએ એમને કંઠે કરીને બોલવાની શ્રદ્ધા ને ધગશ આપી હતી. જેથી ઘણાં કીર્તનો ને ભક્તચિંતામણિ અને પુરુષોત્તમપ્રકાશના ઘણાય પ્રકરણો એમને કંઠસ્થ હતાં. પ્રાતઃકાળે મધુરતાથી બોલીને વાતાવરણને બ્રહ્મભીનું ને ભર્યું ભર્યું કરી દેતા. એટલું જ નહિ ઘણાય નવા પાર્ષદો તેમજ ગામડાના હરિભક્તનેય મહિમાથી ઘણું શીખવીને કંઠસ્થ કરાવતા.
સ્વભાવે માયાળુ, નિખાલસ અને ભારે દયાળુ હોવાથી આ ભજનાનંદી સંત પાસે બેસનારને અંતરમાં શાંતિની તુરત અનુભૂતિ થાતી ને પ્રભુમાં પ્રેમભાવ જાગૃત થતો. અનેરી સહાનુભૂતિ ને માતાના જેવી મમતાથી નાના સંતો તેમજ નવા પાર્ષદોને સત્સંગની રીતભાત શીખવતા. સાધુતાના સદ્ગુણના ભંડાર સમા આ સંત પોતે જીવનમાં આચરીને બીજાને પ્રેરણારૂપ બનતા રહ્યા.
પૂ. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું પ્રારંભનું જીવન ઘડતર આ સંતના સહવાસમાં થયું. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી ઘણીવાર આ દયાળુ દેવપ્રસાદ સ્વામીના પુનિત પ્રસંગોનું સ્મરણ કરી જૂની વાતો કરતા ત્યારે પોતે એ સંતવર્યની સુખદ સ્મૃતિમાં ભાવવિભોર બની જતા.
પૂ. સ. શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજીએ સં. ૧૯૯રમા ઊના મંદિરના કળશ ચડાવી ભવ્ય મહોત્સવ કર્યો ત્યારે આધેડ વયના આ સેવાભાવી સંતવર્યે રસોડા વિભાગની જટિલ જવાબદારી ભરી સેવા સંભાળી હતી અને ઉત્સવની સફળતા માટે પોતે ખડેપગે રહી સતત સેવા બજાવી હતી.
ધામધૂમથી ઉત્સવ ઉજવાયા પછી પોતાનું સેવાકાર્ય કેમ જાણે પૂરું થયું હોય એમ એમણે પાંચેક દિવસની ટૂંકી બીમારી બાદ શ્રીજી તેડવા આવ્યા ને અક્ષરની વાટે વિદાય લીધી હતી.