સોહામણા ચરોતર પ્રાંતમાં વિચરણ કરતી વેળાએ ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુ ગાના ગામને ગોંદરે તળાવની પાળ ટાઢે છાંયે થોડી વિશ્રાંતિ લેવા રોકાયા. સાથેના કાઠી સ્વારોઅ પોતાના ઘોડાને તળાવનાં પાણી પાયાં.
ગામને પાદર પ્રભુ પધાર્યાના સમાચાર જાણી ભાવિક ભક્તો દર્શને દોડી આવ્યા. પ્રભુને દંડવત પ્રણામ કરી ગામમાં પધારવા અને જમ્યાં પછી જ જવાનો આગ્રહ કર્યો. આ ભાવિક ભક્તોના અતંરનો શુદ્ધ પ્રેમભાવ જોઈને પ્રભુએ એમને કહ્યું, ‘અમારે આગળ જવાની ઉતાવળ છે એટલે આ વખતે ગામમાં તો નહિ આવીએ પણ તમારો બહુ આગ્રહ છે તો જે કાંઈ તૈયાર હોય એ લઈ આવો, તો આ કાઠી દરબારોને ટીમણ કરાવીએ.’
મહાપ્રભુનો આવો આદેશ મળતાં ગામના મુખી રૂગનાથભાઈ હર્ષભેર પોતાને ઘેર જઈ એક થાળીમાં થોડા તૈયાર રોટલા લઈ આવ્યા ને પ્રભુ પાસે મૂકયા. મહારાજે થાળીમાંથી એક રોટલો લઈને કહ્યું, ‘દરબારો, આ મઝાના રોટલા આવ્યા છે તો જેને ટીમણ કરવું હોય એ એકુકો રોટલો હાથમાં લઈને મંડો ટીમણ કરવા જેથી આપણે પછી આગળ જવામાં મોડું ન થાય.’
મહારાજના હાથમાં થેપલા જેવો સુંદર રોટલો ભાળી અલૈયા ખાચરે તુરત કહ્યું, ‘મહારાજ, તો પછી એકાદો આમનો આવવા દીઓ.’
રૂપાળો રોટલો હાથમાં આવતાં અલૈયા ખાચરની ક્ષુધા સતેજ થઈ ગઈ ને મોંમાં પાણીય આવી ગયું પણ બટકું ભાંગીને જ્યાં મોંમાં મૂકયું ત્યાં તો એ ચવાણું જ નહિ ! એમને મનમાં થયું આ રોટલો આટલો બધો ચવડ કાં ! એથી હાથમાં રહેલ રોટલાને આમથી તેમ ફેરવીને જોવા લાગ્યા પણ કાંઈ કારણ સમજાયું નહિ. સૂરા ખાચરનેય કાંઈક આવો જ અનુભવ થયો એટલે એમણે રોટલાને સૂંઘી જોયો અને ટીખળ કરતાં કહેવા માંડયું, ‘ભણે અલૈયા, આ રોટલો છે શેનો? ભણે આ તો ચાવ્યો ચવાય નહિ એવો જાણે ચામડાના પેટનો લાગે છે. દેખાવે તો ગધીનો રૂડો રૂપાળો છે બસ એટલું જ. બાકી બીજી આમાં કાંઈ ભલીવાર નથી.’
આથી અલૈયા ખાચરે સાન કરીને રૂગનાથભાઈને પાસે બોલાવ્યા ને હસતાં હસતાં પૂછયું, ‘ભગત, આ રોટલા તો તમે સરસ લાવ્યા છો પણ એ છે શાના એની તો કાંઈક વાત કરો ?’
‘બાપજી, એ તો ચીણાના છે. અહીં અમે એજ ખાઈએ છીએ!’
આથી મહારાજે પ્રસન્નતાથી પૂછયું, ‘મુખી, આ દરબારો તમને શું ફરિયાદ કરે છે ?’
‘મહારાજ, દરબારોની ફરિયાદ કાંઈ જ ખોટી નથી. આ ચીણાના રોટલા ગરમ ગરમ હોય તો જ ખાનારને ભાવે ને ચવાય પણ ઠરી ગયા પછી એ રોટલા ચવાય નહિ. બીજાને એ ખાવો મુશ્કેલ પડે. અમારે તો આ ધાન કોઠે પડી ગયું છે. બાજરી કે જુવાર અહીં થતી નથી. ખેડૂતો બચારા મહેનત કરી કરીને થાકી ગયા છતાં આ જમીનમાં ચીણા સિવાય બીજું કશું જ પાકતું નથી ! કોણ જાણે શું દૈવનો કોપ છે !! અમારા નસીબમાં ચીણો જ લખાયો હશેને ! નહિ તો આમ કેમ હોય !’ મુખીના બોલમાં ભારોભાર જીવનની લાચારી અને અંતરની વ્યથા વર્તાતી હતી.
મુખીના મોંએ ભલાંભોળાં ગ્રામજનોની કરુણ કથની સાંભળી અવિનાશીના અંતરમાં અનુકંપા જાગી ઊઠી. પ્રભુએ આ ભક્તોને આશિષ આપતા કહ્યું, ‘હવેથી તમે સહુ બાજરી કે જુવાર વાવજો. એ બધું થાશે. આજથી દૈવનો કોપ મટી ગયો એમ સમજો ને આ જમીનમાં જાર, બાજરી, તુવેર વગેરે ધાન્યનો પાક થશે.’
ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની આવી અનેરી અનુકંપાભરી આશિષથી આ વિસ્તારની જમીનનો ગુણધર્મ બદલાઈ ગયો ને ત્યાર પછી આ જમીનમાં સુંદર મઝાની જાર, બાજરી, તુવેર, ડાંગર થવા લાગી. આજે તો ચરોતરના ખેતરો લીલાછમ હરિયાળા પાકથી ઉભરાતાં જોવામાં આવે છે. કઠણ, લીસો ને ચપટો ચીણો તો આજે કયાંય ગોત્યોય જડતો નથી. કર્તુમકર્તુને અન્યથા કર્તુમ એવા પરબ્રહ્મ પરમાત્માની પરમ કૃપાથી તો શું ન થાય ?
નોંધ : થોડાં વર્ષ પહેલા વડતાલ મંદિરની જમીનમાં ઉતારાના મકાન બાંધવા પાયા ખોદવાનું કામ ચાલતું હતું ત્યારે એક ખંઢેરમાંથી વર્ષો પહેલાંની ચીણાની ખાણ મળી આવી. એ જોઈને સંતો ને હરિભક્તોને ભારે નવાઈ લાગી ! આ કોણે અને કયારે સંગ્રહ કર્યો હશે ! દુષ્કાળમાં કામ આવે એવા હેતુથી સંગ્રહેલ આ ચીણો દોઢસો વર્ષ પછીય પણ એવો ને એવો નીકળ્યો હતો એમાંથી કોઈ જાતની વાસ નહોતી આવતી તેમ સડયો કે બગડયો પણ નહોતો. રેતી કે ઝીણી કાંકરી જેવું સખત આ ધાન્ય હોય છે એમાં કોઈ જીવાંત પણ ઝટ પડતી નથી.