જૂનાગઢ શ્રીસ્વામિનારાયણ મંદિરમાં શ્રીરાધારમણ દેવનો શતવાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. સંતો, પાર્ષદો અને હરિભક્તોનાં અંતરમાં અદકેરો આનંદ ઉભરાઈ રહ્યો છે.
આ મહોત્સવના ઉપક્રમે યોજાએલ મહા વિષ્ણુયાગનો મંગલ પ્રારંભ થતાં જ મહોત્સવના પ્રણેતા સંતવર્ય યજ્ઞશાળામાં પધાર્યા. સાથે બેચાર સંતો ને મહિમાવાળા હરિભક્તો પણ આવ્યા. ભૂદેવો ઉત્સાહથી યજ્ઞનારાયણને આહુતિઓ આપી રહ્યા છે.
પૂ. સ્વામીશ્રીએ યજ્ઞનારાયણના દર્શન કર્યા. વેદિકાઓ પર સ્થાપન કરેલ દેવોના દર્શન કરતા એમની નજર ઈષ્ટદેવ શ્રીહરિની પ્રતિમા પાસે મૂકવામાં આવેલ એક નાનકડા ફોટા પર પડી. આથી એમની મુખમુદ્રા કાંઈક ગંભીર બની. એમણે તુર્ત જ સાથેના નાના સાધુને કહ્યું, ‘સાધુરામ, મહારાજની મૂર્તિ પાસે એલો બીજો ફોટો વળી કોનો છે અને અહીં લાવો તો ?’
નાના સંતે એ ફોટો હાથમાં ઊંચકીને સ્વામીશ્રીના હસ્તમાં આપતાં કહ્યું, ‘સ્વામી, આતો આપનો જ ફોટો છે.’ ફોટાને હાથમાં લઈ લીધો ને એના પર ઉપલક નજર ફેરવીને ત્યાં ઊભેલા ઉપર જરા નારાજગી ભરી નજર નાખી ગંભીર બનીને પૂછયું, ‘આ ફોટો અહીં કોણે મૂકયો હતો ?’
આ સાંભળી ત્યાં ઊભેલા સહુ એકબીજાના મોં સામું તાકી રહ્યા પણ કોઈ એનો ખુલાસો કરી શકયા નહિ. એટલે વાતને વાળી લઈ આ સંત યજ્ઞશાળા બહાર આવ્યા ને પોતાના હાથમાં રહેલ ફોટાનો સામેથી ભીંત તરફ ઘા કર્યો જેથી ફોટો ભીંતમાં ભટકાઈને ફૂટી ગયો. આ જોઈને સાથેના સંત હરિભક્તો તો દંગ થઈ ગયા પણ કોઈ કશું બોલી ન શકયા ને ફ્રેમ ને ફોટાના ફૂટેલ કાચને જોતા રહ્યા એટલે સ્વામીશ્રીએ પોતાની લાકડી વતી કાચના ટૂકડાને એક બાજુ કરતા કહ્યું, ‘સાધુરામ, તમેય બાઘાની જેમ જોઈ શું રહ્યા છો ? ઉપાડો આ ફ્રેમ ને ફોટો નાખો ઉકરડે એને. કાચના ટૂકડાય કોઈને વાગે નહિ એમ એકબાજુ નાખજો.’
આ વાત આટલેથી જ અટકી નહિ, આ સંતવર્યે પોતાના આસને આવી આ ફોટો કયાંથી આવ્યો ? કોણે લાવીને યજ્ઞશાળામાં મુકાવ્યો. એની પૂરી તપાસ કરાવી અને ફોટો મૂકનારને પોતાની પાસે રૂબરૂ બોલાવી જરા કડક ઠપકો આપતા કહ્યું, ‘ભલા માણસ, મહારાજ સાથે નંદસંતોને બદલે મારો ફોટો મૂકવાની કમત તમને સૂઝી કયાંથી ? મારો ફોટો મૂકો એટલે હું રાજી થાઉં એમને ? ફોટો પૂજ્યે રાજી થાય એવો ગાફલ આ ગુરુ નથી, સમજ્યાને ? તમે મહારાજની આજ્ઞા પાળો, મર્યાદા જાળવો એમાં હું જરૂર રાજી થાઉં પણ પ્રભુની પ્રણાલિકાનો ભંગ થાય એમાં હું કેવી રીતે રાજી થાઉં ? મૂર્તિ મહારાજની પૂજાય. ઉપાસના તો એક ઈષ્ટદેવની જ હોય.’
સહજાનંદ શ્રીહરિના આવા શુદ્ધ ઉપાસક ને પ્રભુનિષ્ઠ પરમહંસ હતા સમર્થ સદ્ગુરુ સ્વામી નારાયણદાસજી જે કદિ કોઈને પોતાનો ફોટો પાડવા દેતા નહિ. કોઈ ફોટો પાડવાનો આગ્રહ કરે ત્યારે કહેતા, ‘ફોટા પ્રભુના પાડો એમાં વળગો. સાધુના ફોટા પાડીને પૂજવા માંડશો તો વ્યક્તિ પૂજાને વેગ મળશે ને પરમેશ્વરની પૂજામાં ઓટ કાં ખોટ આવશે.’
ખરેખર આ પ્રભુનિષ્ઠ પરમહંસના આ વચનો સિદ્ધાંત રૂપ છે. ફેશનેબલ સંતો–મહંતો તેમજ પોતાના ફોટા પડાવવાની અને પૂજાવાની પ્રવૃત્તિમાં રાચતા રસિયાઓએ ફોટાના ફોગટ ફંદમાં બહુ ફસાવા જેવું નથી. અહીં ભલે પૂજાવાય પણ પછી શું !!