‘અભેસિંહજી દર્શન કરવા જૂનાગઢ જાય છે તો મારેય એમની સાથે દર્શને જવા વિચાર છે.’ ઉત્સાહી રાજકુંવરે પોતાના માતુશ્રી પાસે રજા માગતાં કહ્યું.
‘જો ભાઈ, અભેસિંહજી ભલે જાય પણ આપણે જૂનાગઢ જવું નથી. સ્વામીના સાધુ તો ભારે કામણગારા હોય ! એ વળી કયાંક તમારી ઉપર ભૂરકી નાખીને એની કંઠી તમને પહેરાવી દીએ.’ માતા માકુબાએ યુવાન કુંવરને સંભવિત ભયનું કારણ દેખાડતાં કહ્યું.
પરંતુ આ યુવાન કુંવરને તો પોતાના સગા માસિયાઈ ભાઈ લોધિકા દરબાર ધ્યાનિ અભેસિંહજી સાથે દર્શન કરવા જૂનાગઢ જવાની ભારે લગની લાગી હતી એટલે એણે માતુશ્રીને કહ્યું, ‘હું કાંઈ નાનો બાળક નથી તે સ્વામીના સંતોની વાતોમાં ભરમાઈ જાવ. આપ મારી કાંઈ ચિંતા કરશો નહિ. કેદિક સૂર્ય ફરે પણ હુંતો નહિ જ ફરું બસ.’
જગદંબાના ઉપાસક માતા માકુબા અને ઘરના અન્ય સંબંધીઓ હા ના કરતા રહ્યા ને કુંવર તો પોતાનો ઘોડો પલાણીને અભેસિંહજી સાથે જૂનાગઢ જવા ચાલી નીકળ્યા.
જૂનાગઢ આવી બંને દરબારોએ મંદિરમાં ઠાકોરજીના દર્શન કર્યા. પછી ધર્મશાળામાં આવી પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામી તથા સંતોનાં દર્શન કર્યા. પૂજ્ય સ્વામીએ આદર ભર્યો આવકાર આપી એમને ઉતારા કરાવ્યા. પૂજ્ય સ્વામીએ જાતે પ્રેમથી પીરસીને એમને ભાવથી જમાડયા.
દિવાળીના મંગળ દિવસે સંતોએ ધૂન ભજન અને કીર્તનો ગાયાં. સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી પાસે સંગીત શિખેલા ચકુભાઈ ગવૈયાએ ઠાકોરજી પાસે વાજિંત્રો વજાડીને સુંદર ગાવણું કર્યું. બાદમાં પૂજ્ય સ્વામીશ્રીએ પ્રગટ પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણના પ્રૌઢ પ્રતાપની બળભરી વાતો કરી. જે સાંભળીને કુંવર તો ભારે પ્રભાવિત થઈ ગયા.
ભજનસ્મરણ અને કથાવાર્તાથી ગુંજતા આવા બ્રહ્મભીના વાતાવરણમાં બે ત્રણ દિવસ રહેવાથી આ યુવાન મુમુક્ષુ કુંવરનું અંતર ભક્તિના રંગે રંગાઈ ગયું. પોતાના અંતરમાં અપાર ધન્યતા અનુભવતા એમણે અભેસિંહજીને કહ્યું, ‘માતુશ્રીએ તો ના પાડી છે પણ મારે આ મહાન પુરુષ પાસે કંઠી બંધાવીને સ્વામિનારાયણના આશ્રિત બનવું છે.’
‘ભલે, આપની મરજી હોય તો ચાલો પૂ. સ્વામીશ્રીને પાસે જઈએ.’ અભેસિંહજીએ સહર્ષ કહ્યું.
આ પછી બંને પૂ. સ્વામીજી પાસે આવ્યા. વંદન કરી પાસે બેઠા. અભેસિંહજીએ પોતાના માસિયાઈ ભાઈની પૂજ્ય સ્વામીજીને ઓળખાણ કરાવી. પૂજ્ય સ્વામીજીએ ભગવાનને સંભારી આ મુમુક્ષુ કુંવરને ભગવાનના આશરાના બળની ને મહિમાની વાતો કરીને વર્તમાન ધરાવી કંઠી બાંધી. પૂજા માટે શ્રીહરિની મૂર્તિઓય આપી.
બે ત્રણ દિવસ સંત સમાગમ કરી બંને દરબારો પોતાને ઘેર આવવા નીકળ્યા. ઘેર આવી પોતાના માતુશ્રીને પ્રણામ કરી કુંવર કહ્યું, ‘માતુશ્રી, માફ કરજો. હું તો સ્વામિનારાયણ ભગવાનની કંઠી બંધાવીને ઘેર પાછો આવ્યો છું !’
‘મેં તમને નોતું કહ્યું ? કે આપણે જૂનાગઢ જાવું નથી. સ્વામીના સાધુ ભારે કામણગારા હોય છે ! લ્યો, ત્યાં જવાથી શું ફાયદો થયો ?’ માકુબાએ પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું.
‘આપે તો મને ઘણુંય કહ્યું હતું પણ ત્યાં ગયા પછી મને દેવદર્શન અને મહંત સ્વામીના સદુપદેશથી સ્વામિનારાયણ ધર્મની ઉજળાશ, નીતિમત્તા અને પવિત્રતાની સાચી વાત સમજાણી. એમના મંદિર, ઠાકોરજી, સંતોનાં જીવન આવું તો બીજે કયાંય આપણને જોવા ન મળે, આ તો સાચો સનાતન ધર્મ છે.’
‘પણ બેટા, તું કહેતો હતોને કે સૂરજ ફરે પણ હું નહિ ફરું એનું શું ?’ માતાએ ટકોર કરતાં કહ્યું.
‘જુઓ માતાજી, હું નથી ફર્યો પણ આપણા કુટુંબપરિવારના દિવસને ફેરવ્યો છે. આજ સુધી આપણો સૂરજ દક્ષિણાયનમાં જઈ રહ્યો હતો. હવે એ સૂર્ય ઉત્તરાયણના સન્માર્ગ તરફ ગતિ કરશે અને આપણો અભ્યુદય થશે.’ કુંવરે નમ્રતાથી કહ્યું.
માતાનેય મનમાં ગુણ આવ્યો કે દીકરો ભલે નખશિખ પૂરેપૂરો રંગાઈને આવ્યો પણ વધારે વિવેકી ને વિનયી તો જરૂર થયો છે. આ પછી ઘરમાં કુંવરની સૂચના મુજબ બધું સાફસૂફ કરાવ્યું. જાણ થતાં રાતે ભૂવાઓય આવ્યા. એમણે ધૂણીને કહ્યું કે માતાજી કહે છે કે કુંવરે મારી ઈચ્છાથી કંઠી બંધાવી છે. માટે અહીં દર્શને આવે. આ સાંભળી કુંવરે કહ્યું, ‘મારે તો હવે સ્વામિનારાયણ સિવાય કોઈના દર્શને જવું નથી ને માતાજી પાસેય હવે હિંસા થશે નહિ.’ આ સાંભળી ભૂવાય નવાઈ પામી ગયા.
આ મુમુક્ષુ કુંવર હતા વાગુદડના દરબાર ભાણભા બાપુ. જેમણે શિરને સાટે સત્સંગ રાખ્યો હતો. વાગુદડમાં મંદિર કરાવ્યું ને મોટા સંતોને તેડાવી સંતસમાગમ કરી જીવન સાર્થક કર્યું હતું. સદ્. નારાયણદાસજી સ્વામી અને પુરાણી સ્વામી ગોપીનાથદાસજીની પ્રેરણાથી જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની પરિક્રમામાં આરસ પાથરવામાં એમણે સારી આર્થિક સેવાય કરી હતી.