સત્સંગ વિચરણ કરતી વેળાએ શ્રીજી મહારાજ ગામ લીંબલી પધાર્યા. અત્રેના ભાવિક ભક્ત મુળજી શેઠ આદિક ભક્તજનોએ પ્રભુનું ભાવભીનું સ્વાગત કર્યું. સ્વામિનારાયણનું આવું સ્વાગત થતું જોઈને ગામના કેટલાક દ્વેષી લોકોના પેટમાં તેલ રેડાયું. સત્સંગના દ્વેષીલા કારભારી મોદીએ ગામના નિર્દોષ નાના છોકરાઓને પોતાનાં કાળાં કામના હાથા બનાવ્યા.
કારભારીએ સિસકારેલા નાદાન અને અબૂજ બાળકોએ સભા સ્થાને આવી દેકારો મચાવી દૂર ઊભા રહી કાંકરા ને ઢેખારા ફેંકવાની પ્રેરવી કરવા માંડી. કોઈએ ધૂળ પણ ઉડાડવા માંડી. આવા અણધાર્યા વિક્ષેપથી ચોંકી જઈ મૂળજી શેઠ તેમજ ગામના અન્ય સજ્જનોએ ઊભા થઈ બાળકોને આમ કરતા રોકી લીધા એટલું જ નહિ આમ કરવા પાછળનું કારણ પણ ભલા ભોળા બાળકો પાસેથી જાણી લીધું.
આવી ધાંધલ ને ધમાલ જોઈ મહાપ્રભુએ હળવા હાસ્ય સાથ શેઠને પૂછયું, ‘ગામમાં આજે ધૂળેટી જેવું કોઈ પર્વ છે કે પછી અમે આવ્યા એના વિશેષ સન્માનમાં કોઈએ આ કારસ્થાન ગોઠવ્યું છે ?’
‘ના મહારાજ, ધૂળેટી જેવું તો કાંઈ નથી પણ આ નાના બાળકોને હોળીના નાળિયેર બનાવવામાં આવ્યા છે. એની પાછળ ગામના કારભારી મોદીનો દોરી સંચાર હોય એમ લાગે છે. એ પહેલેથી જ આપણા સત્સંગનો ભારે દ્વેષ કરતો આવે છે.’ શેઠે સ્પષ્ટતા કરતાં કહ્યું.
‘જુઓ શેઠ, અહીં આવીને અમે એ કારભારીનું કે ગામના બીજા કોઈનું કાંઈ પણ બગાડયું નથી તો પછી એને આવું નિર્લજ કામ કરવાનું કેમ મન થયું હશે ?’ અંતર્યામીએ અજાણ્યા બની શેઠને પૂછયું.
‘પ્રભુ, આપ તો કોઈનું કશુંય બગાડતા નથી. આપ તો સહુનું સુધારવા આવ્યા છો. પરંતુ આ ગામમાં સત્સંગના કેટલાક દ્વેષીઓ પણ છે. એ અદેખાઓનો આ કારભારી કાંધિયો બની બેઠો છે. અમારો સહુ સત્સંગીનોય એ અકારણ દ્વેષ કર્યા કરે છે. સંતો આવે તોય એ પોતાનું આવું વરવું પોત પ્રકાશ્યા વિના રહેતો નથી. આજે એણે પોતાનાં કાળાં કામના હાથા આ નાદાન બાળકોને બનાવ્યા છે.’ શેઠે આગળ પાછળનાં અનુસંધાનો જોડીને કહ્યું.
વિના કારણે અન્યનો વિરોધ કરી એને દુઃખ દેનારા કે અકારણ અપમાન કરી અપરાધ કરનાર આમ તો પોતાના જ ભાણામાં પાણો નાખતા હોય છે. સૂરજ સામે ધૂળ ઉડાડનારના માથે જ આમ તો એ ધૂળ પડતી હોય છે. જે માણસ અન્યને પાડવા માટે એના માર્ગમાં ખાડો ખોદે એજ એમાં ઘણીવાર ગબડી પડયાના દાખલા બનતા રહે છે. એ બાબત આપણે સહુ જાણીએ છીએ.
આ કારભારી મોદીની બાબતમાં પણ કાંઈક એવું જ બન્યું. પ્રભુનો અપરાધ કરવાથી આ કારભારીની બુદ્ધિ બગડી ગઈ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ મોદી રાજ્ય કારભારના કોઈક કૌભાંડમાં આબાદ સપડાઈ ગયો. એણે બધેય બાવળો જ વાવેલા એટલે કોઈએ એનો પક્ષ લીધો નહિ. એનો અધિકારય છૂટી ગયો. રાજદંડ ભરવો પડયો ને સહુ તરફથી એને ધિક્કાર ને ફટયનો ફીટકારય મળવા લાગ્યો એ વધારામાં.
આ અપરાધને કારણે સંબંધીઓમાંય કયાંય એનો સાંધો રહ્યો નહિ. પરિવારનું પોષણ કરવા માટે આ મુફલિસ મોદી વણકરનાં વણેલાં વેજાં માથે ઉપાડીને ગામ પરગામ વેંચવા લાગ્યો. એકવાર ગામ વેજળકાની બજારે મોદી પોતે માથે વેજાં ઉપાડીને જતો હતો ત્યારે હરિભક્ત ભીમ પંડયાએ માર્મિક ટકોર કરતાં કહ્યું, ‘કેમ મોદી સાહેબ, તમે તો રાજના કારભારી ને ઘોડાગાડીમાં બેસનારા મોટા હાકેમ અને તમારી માથે આ વેજાંની ભારે ગાંસડી !!’
આ સાંભળી મોદીએ ફિક્કું હાસ્ય કરીને કહ્યું, ‘પંડયા સાબ, આટો જીવનના ડસકા છે. એમાંટો ચડટી પડટી આવ્યા કરે. એટો ભોગવ્યા વિના છૂટકો નહિ.’
ભીમ પંડયાએ વળતો ટોંણો મારતાં કહ્યું, ‘વાણાભાઈ, આને તું દસકો બસકો જાણતો નહિ પણ સ્વામિનારાયણ ભગવાન ઉપર તેં અકારણ ધૂળ નખાવી હતી એનું આ ફળ ભોગવે છે. દગો કોઈનોય સગો થતો નથી. તેં ઘણાયના અપરાધ કર્યા છે. અનેક ગરીબોની આંતરડી કકળાવી હતી, સાધુ સંતોનેય રંજાડયા હતા. આ તો ખૂદ ભગવાનનો અપરાધ ! તેનું ફળ તો તુરત મળે, હવે કર્યા કર્મ ભોગવ્યા કર્ય.’
ટાઢા કાન કરીને મોદીએ આ બધું સાંભળી લીધું એને હવે આમાં બોલવા જેવું કાંઈ હતું જ નહિ. મનમાં તો એ બધું જ સમજતો હતો. આમ છતાં ઉપરથી એ પોતાનું મોં ઠાવકું રાખવા મિથ્યા પ્રયત્ન કરતો હતો. આવા અપરાધીઓના અંજામ અંગે તુલસીદાસજીએ લખ્યું છેને ?
સંત સંતાપે જાત હે, રાજ ધન અરુ વંશ;
તુલસી તીનો ના રહે, રાવણ કૌરવ કંસ.
અકારણ અપરાધનું આ પાપ એવું નડયું કે મોદીની દશા માઠી બની એટલું જ નહિ કુટુંબ પરિવારમાંય એ હડધૂત થયો અને એ અપરાધી કૂતરાને મોતે મર્યો.