‘સ્વામી, જય સ્વામિનારાયણ.’ એમ કહી આગંતુકે વ્રજ્યાનંદ સ્વામીને દંડવત્ કરવા માંડયા. ‘રાખો, ભગત રાખો.’ એમ કહી સ્વામી ઊભા થયા ને ભગતને મહિમાથી મળ્યા.
‘સ્વામી, તમે તો આ મંદિર પૂરું કરી દીધું.’
‘હા ભગત, મહારાજની દયાથી મંદિર તો પૂરું થઈ ગયું ને ઉપર નળિયાંય ચડી ગયાં હોત પણ ગામમાં નળિયાં ન મળ્યાં એટલે મંદિર નળિયાં વિના ઉઘાડું રહી ગયું છે.’ સંતે ચિંતિત સ્વરે કહ્યું.
‘ભગવાનનું ઘર કાંઈ ઉઘાડું રહેવા દેવાય ?’ ભગતે અંતરની તત્પરતા દાખવતાં કહ્યું. ‘ભગત, તમારા ગામમાં કે કયાંય આજુબાજુનાં ગામમાં નળિયાં મળે તો વેચાતાં લઈને ચોમાસા પહેલાં મંદિરને ઝટ વહેલી તકે ઢાંકી દેવું છે.’ સ્વામીએ પ્રતિભાવ આપતાં કહ્યું.
‘ભલે, સ્વામી, નળિયાંની વ્યવસ્થા કરી દઉં. મારી સાથે ગાડાં જોડાવીને સાધુને મોકલો.’ ભગતે સહર્ષ કહ્યું.
પછી બે–ત્રણ ગાડાં જોડાવીને સંતો ભગત સાથે એમને ગામ ગયા ને ભગતે પોતાના ફળિયામાં ગાડાં છોડાવ્યાં. નિસરણી લાવીને પોતાના ઘરની પછીતે મૂકી. પાસે ઊભેલા યુવાનોને કહ્યું, ‘તમે બે જણ ઉપર ચઢી જાવને નળિયાંના ખડકલા કરીને નીચે ઉતારવા માંડો ને બીજા એ નળિયાંને સ્વામી કહે તેમ ગાડામાં ભરવા માંડો.’
‘અરે ભગત, તમે આ શું આદરી બેઠા ! તમારા ખોરડા ઉપરથી કાંઈ નળિયાં લેવાય ! બીજે કયાંયથી મળતાં હોય તો વેચાતાં લઈ આવવાનું સ્વામીએ કહ્યું છે.’ સંતોએ નારાજગી દર્શાવતા કહ્યું.
‘અરે સ્વામી, એ શું બોલ્યા, ઠાકોરજીનું ઘર ઉઘાડું રહેવા દેવાય !’ ભગતે સ્પષ્ટતા કરતા કહ્યું.
‘તમારું ઘર ઉઘાડું થઈ જશે એનું શું ?’ સંતોએ ટકોર કરી.
‘સ્વામી, અમે તો કોળીભાઈ કહેવાય. અમારાં ખોરડાં ઉપર તો છાજ હોય. નળિયાં તો નારાયણની કૃપાથી કોઈકને જ હોય. જુઓને સામે ઘણાંય ઘર ઉપર છાજ જ છેને ?’ ભગતે હસતાં હસતાં કહ્યું. ના ભગત, એવું નથી કરવું. સ્વામી અમોને ઠપકો આપે. કોઈના ઘર ઉપરથી તો નળિયાં નજ લેવાય.’ સંતોએ ઈન્કાર કરતાં કહ્યું.
સ્વામી, આ નળિયાં બીજા કોઈનાં કયાં છે ? આ તો મારા નાથે મને આપ્યાં હતાં ને હવે એને જરૂર પડી છે એટલે વગર માગ્યે મારે આપવાં જોઈએ અને એ મને પાછાં આપી દેશે ત્યાં સુધી હું ઘર માથે છાજ નાખીને ચલાવીશ. અમારે એમાં વાંધો નહિ. ઘર માથે તો અમારા બાપદાદાના વખતથી છાજ જ હતું, હમણાં વળી નળિયાં થયાં છે.’ ભગતે નિખાલસતાથી કહ્યું.
આ રકઝક સાંભળી યુવાનો અટકયા એટલે ભગત ખુદ ઉપર ચડી ગયા અને નળિયાં ઉચકાવી ઉચકાવીને મંડયા ખડકલા કરવા. એટલે બીજા ભક્તજનો પણ એના સહકારમાં ભેળા ભળ્યા. બંને પડાર ઉપરથી નળિયાં ઉતરી ગયાં માત્ર ચૂલા ઉપરના બે કાવા (લાઈન) રહેવા દઈને ઉતારનારા જુવાનો બંધ થઈ ગયા. એટલે ભગત કહે, ‘એ પણ ઉતારી લ્યો.’ ‘ભગત, એટલાં ભલે રહ્યાં ચોમાસામાં ચૂલા ઉપર ચૂવે નહિ’ સંતોએ સંમતિ આપતાં કહ્યું.
‘અરે માબાપ, આટલા સારુ વળી બાકી શું રાખવું ? ચૂલા ઉપરના ભાગે તો બથરું છાજ નાખી દેશું એટલે કામ ચાલશે ને કોઈ મુશ્કેલી નહિ પડે.’ ભગતે ઉકેલ બતાવતા કહ્યું.
આમ કહી ભગત પોતે જ પાછા ખોરડા ઉપર ચડી ગયા ને બધાંય નળિયાં ઉતારી દીધાં. આ ભોળા ભલા ભગતની ભલમનસાઈ, ઉદારતા અને દિલની નિખાલસતા સહુના અંતરને સ્પર્શી ગઈ. એમના અંતરમાં મંદિરનું આવું મમત્વ જોઈ સહુનાં મનમાં ભગત પ્રત્યે અનેરો આદરભાવ ઉત્પન્ન થયો.
પોતાના રેણાંક ઘર ઉરથી નળિયાં ઉતારી આપનાર આ ભક્તરાજ હતા ટીંબી ગામના વીરાભાઈ સાંખડ. જ્ઞાતિએ તો કોળી હતા. એમનાં લૂગડાં ભલે જાડાં હતાં પણ એમની સત્સંગની સમજણ ખૂબ ઝીણી હતી. એમણે ભગવાનના મંદિરમાં મમત્વ માન્યું હતું એમણે ઘર સંસારની મમતા મનમાંથી મૂકી દીધી હતી.
બ્રાહ્મણના સમઢિયાળા ગામે સ્વામિનારાયણ મંદિરના નિર્માણ વખતે બનેલો આ પ્રસંગ છે.