ચોરાશી લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિષે પોતાપણું માને અને દેહનાં માબાપને પોતાનાં માબાપ માને તે મૂર્ખ કહેવાય. અને તેને પશુ જેવો જાણવો.

  • ગઢડા પ્રથમનું ૪૪મું
  • ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને ને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું, જે હે મહારાજ! હે સ્વામિન્! હે કૃપાસિન્ધો! હે શરણાગત પ્રતિપાલક! કુસંગી થકી અમારી રક્ષા કરજો.

  • ગઢડા પ્રથમનું ૪૮મું
  • હે મહારાજ ! કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઇર્ષ્યા અને દેહાભિમાન એ આદિક જે અંત:શત્રુ તે થકી રક્ષા કરજો. અને નિત્યે તમારા ભક્તનો સમાગમ દેજો. એવી રીતે નિત્યે ભગવાનની પ્રાર્થના કરવી અને એ કુસંગી થકી ને અંત:શત્રુ થકી નિરંતર ડરતા રહેવું.

  • ગઢડા પ્રથમનું ૪૮મું
  • જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઇક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો, પણ કોઇ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય, તેને જોઇને તે સાધુનો અવગુણ લેવો નહિ.

  • ગઢડા પ્રથમનું ૫૩મું
  • જીવને જેવો પોતાના સંબંધિને વિષે દૃઢ પ્રસંગ છે, તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો, જીવને મોક્ષનું દ્વાર ઉધાડું થાય છે.

  • ગઢડા પ્રથમનું ૫૪મું
  • જેને વચનમાં દૃઢતા છે, તેનો જ ધર્મ દૃઢ રહે અને તેનો જ સત્સંગ પણ દૃઢ રહે.

  • ગઢડા પ્રથમનું ૫૪મું
  • જેને કોઇ જાતની વાસના ન હોય અને જો તેને તીવ્ર વૈરાગ્ય હોય, અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય, અથવા ભગવાનને વિષે દૃઢ ભકિતનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહિ, તો એ પણ એને વિષે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે.

  • ગઢડા પ્રથમનું ૫૬મું
  • ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું માહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે.

  • ગઢડા પ્રથમનું ૫૭મું
  • જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે ત્યાં સુધી એને કયાં સત્સંગનો પૂરો ખપ છે?

  • ગઢડા પ્રથમનું ૫૭મું
  • અતિશે મોટા પુરુષનો જે ઉપર રાજીપો થાય, તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તે પણ નાશ પામે અને રાંક હોય તે રાજા થાય અને ગમે તેવાં ભૂંડાં પ્રારબ્ધ હોય તો રૂડાં થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારૂં હોય તે નાશ થઇ જાય.

  • ગઢડા પ્રથમનું ૫૮મું