મનને વિષે ઘાટના ડંસ બેસે છે ને નથી બેસતા તેનું કારણ તો સત્વગુણ રજોગુણ અને તમોગુણની વૃત્તિ છે.
ગઢડા પ્રથમનું ૩૦મું
જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે.
ગઢડા પ્રથમનું ૩૦મું
જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ, પછી વળી બીજે દિવસે અથવા ત્રીજે દિવસ તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તેણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહિ પણ જો આંગળી જેવી નાની જ પાણીની સેર્ય અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઇ જાય. તેમ ખાતાં, પીતાં, હાલતાં, ચાલતાં સર્વકાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી.
ગઢડા પ્રથમનું ૨૩મું
સત્સંગમાં મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્વયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે.
ગઢડા પ્રથમનું ૩૧મું
અંત:કરણ તો જેવું નાનું છોકરૂં તથા વાનરૂં તથા કુતરું તથા બાળકનો રમાડનાર તેવું છે. તે વિના પ્રયોજન ચાળા કર્યા કરે, માટે જેને ભગવાનનું ઘ્યાન કરવું તેને અંત:કરણના ઘાટને જોઇને કચવાઇ જાવું નહિ. પોતાના આત્માને અંત:કરણથી જુદો માનીને ભગવાનનું ભજન કરવું.
ગઢડા પ્રથમનું ૩૨મું
જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી કળ ચડાવી મુકી છે જે ફરીને પરમેશ્વરને દાખડો કરવો પડે નહિ. તે માટે સહેજે જ સ્ત્રીમાં પુરૂષને હેત થાય છે અને પુરૂષમાં સ્ત્રીને હેત થાય છે, અને એ સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહેજે જ હેત થાય છે. તે એ હેત રૂપી જ ભગવાનની માયા છે, તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે.
ગઢડા પ્રથમનું ૩૪મું
જેટલું જે ભગવાનનું વચન લોપે છે. તેટલો તેને કલેશ થાય છે, માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું અને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું
ગઢડા પ્રથમનું ૩૪મું
એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઇર્ષ્યા, ચોથું કપટ એ ચાર વાનાં પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહિ તો કોઇ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહિ.
ગઢડા પ્રથમનું ૩૫મું
જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બેય બરોબર હોય અને “આ પદાર્થ સારૂં અને આ પદાર્થ ભુંડું” એવી તો સમજણ જ હોય નહિ, અને એક ભગવાનને વિષેજ પ્રીતિ હોય, તે જ સાચો ત્યાગી છે.
ગઢડા પ્રથમનું ૩૬મું
જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો જે “પ્રથમના વર્ષમાં મારૂં મન આવું હતું, ને પછી આવું હતું, અને આટલી ભગવાનની વાસના હતીને આટલી જગતની હતી,” એમ વર્ષોવર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઇ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી.
ગઢડા પ્રથમનું ૩૮મું