પૂર્વછાયો:-
ચાલ્યા પ્રભુ અગત્રાઇ થઇ, આખે પીપળાણે જવા માટ;
ઉભા રહ્યા બેય ગામની, તે જુદી પડી જયાં વાટ. 1
ચોપાઈ:-
બંને ગામના ભકતસમાજ, સામા આવ્યા તે શ્રીજીને કાજ;
બંને મંડળિયો જુદી દિસે, સૌના હૈયામાં હરખ અતિશે. 2
ઘણા તાળ મૃદંગ વગાડે, માંહો માંહી ગુલાલ ઉડાડે;
પ્રભુ પ્રથમ અમારે ગામ, આવશે એમ જાણે તમામ. 3
નારાયણ દવે નરસિંહ મેતા, તેઓ પણ એમ જાણતા હતા;
સાધુ પાર્ષદ ને બ્રહ્મચારી, તેની સંખ્યા તો ત્રણસેં ધારી. 4
બંને ગામમાં થાય રસોઇ, દાળ ચોખા ચડાવેલા ધોઇ;
મળી મંડળિયો જેહ ઠામ, પ્રભુ પૂજીને કીધા પ્રણામ. 5
બંને ગામના એમ ઉચ્ચારે, પ્રભુ ગામ પધારો અમારે;
થવા આવી રસોઇ તૈયાર, ઝાઝી તેમાં નથી હવે વાર. 6
સુણી બોલિયા વૃષકુળરાય, બેય ઠેકાણે કેમ અવાય ?
પાક કેમ કર્યો બેય ગામ ? તમે સમઝ્યા વગર કર્યું કામ. 7
બેય ગામના બોલિયા ત્યારે, જાણ્યું આવશે ગામ અમારે;
એમ સમજી રસોઇ કરાવી, જમો સંતસહિત તમે આવી.8
પછી એકાંતે જૈ ઘનશામ, તેડ્યા મુકતમુનિ મયારામ;
કહ્યું આ વાતનું કેમ કરવું ? કિયા ગામમાં પ્રથમ વિચરવું. 9
બોલ્યા તે સમે બેય વિચારી, તમે સમરથ છો સુખકારી;
જયારે બ્રહ્માયે વાછરુ હર્યા, તમે સર્વે તણાં રૂપ ધર્યાં. 10
વળી નવલખા પર્વતમાંય, નવ લાખ હતા સિદ્ધ જયાંય;
નવ લાખ ધરીને સ્વરૂપ, મળ્યા તેને તમે મુનિભૂપ. 11
એવી રીતે કરો પ્રભુ આજ, ત્યારે થાય તે બેયનું કાજ;
પછી એવો ઠરાવ ઠરાવી, પીપળાણાના ભકત બોલાવી. 12
કહ્યું ગામ લગી જાઓ તમે, તમ પાછળ આવશું અમે;
એમ કહી કરમાં કોલ દીધો, ત્યારે તેઓએ મારગ લીધો. 13
સાધુસુધાં નવાં રૂપ ધરી, ગયા તેઓની પાછળ હરિ;
આખા ગામમાં સત્સંગી સાથ, ચાલ્યા સંતસહિત સંત નાથ. 14
સર્વે અંતરે આનંદ આણે, ઉંડો મર્મ તો કોઇ ન જાણે;
એવી અકળિત ઇશ્વરી માયા, બ્રહ્મા ઇન્દ્ર જેવા ભરમાયા. 15
ગામ આખામાં ગોવિંદ ગયા, નારાયણ દવેને ઘેર રહ્યા;
જમ્યા સંત ને શ્રીગિરધારી, પછી બેઠા સભા સજી સારી. 16
પૂજા હરિજને હેતથી કીધી, પ્રભુયે હાર પ્રસાદી દીધી;
વાજતે ગાજતે રુડી પેર, કરી પધરામણી ઘેર ઘેર. 17
ત્યાંથી હરિજન કોઇ તે ટાણે, કાંઇ કામે ગયા પીપળાણે;
મેતા નરસિંહને ઘેર ગયા, પ્રભુને જોઇ વિસ્મિત થયા. 18
વિચારે વળી નિજ અંતર, આ તે સાચું કે સ્વપનાંતર;
આખા ગામમાં છે ઘનશામ, કેમ દેખાય છે તે આ ઠામ ? 19
બેઠા પંગતે જમવાને સંત, ભાવથી પીરસે ભગવંત;
જમીને પછી શ્રીજગદીશે, સભા સારી સજી ચોક વિષે. 20
પ્રેમે પૂજા કરી સઉ મળી, પધરાવ્યા ઘરોઘર વળી;
આખેથી આવેલા હરિદાસે, પીપળાણા તણા જન પાસે. 21
કરી વાત એ અવસર આમ, આખા ગામમાં છે ઘનશામ;
લઇ સંતના મંડળ સાથ, ઘેરઘેર પધારે છે નાથ. 22
અમે ત્યાં દરશન કરી આવ્યા, સાચેસાચા સમાચાર લાવ્યા;
સુણી અચરજ ઉપજે અમાપ, જાણે પ્રગટ પ્રભુનો પ્રતાપ. 23
તેને નિશ્ચય કરવા કામે, ગયા બે જણ તો આખા ગામે;
જોયા શ્રીહરિ સંતો સહિત, ખરી જાણી તે વાત ખચીત.24
વળી વાત કરી એહ ઠામ, પ્રભુ છે પીપળાણે ગામ;
પધરાવિયા અમારે ઘેર, અમે પૂજા કરી રુડી પેર. 25
ત્યાં તો ભકત બે આંહીથી આવ્યા, સમાચાર અહીંના સુણાવ્યા;
તેનો નિશ્ચય કરવાને કાજ, અહીં આવ્યા છૈયે અમે આજ. 26
સુણી આખા તણા રહેનાર, સહુ અચરજ પામ્યા અપાર;
દીધાં બે સ્થળે દર્શનદાન, જાણ્યા ભકતવત્સલ ભગવાન. 27
પ્રભુ સૌના મનોરથ પૂર્યા, રહ્યા એકે તણા ન અધૂરા;
એવા સમરથ ધર્મકુમાર, કોટિ બ્રહ્માંડના કરતાર. 28
એ છે સર્વના અંતરજામી, સચરાચર સર્વના સ્વામી;
જેના સંકલ્પમાત્રે સદાય, ઉતપત્તિ સ્થિતિ લય થાય. 29
જે જે ધારે કરે ક્ષણમાંઇ, નથી એને તો દુષ્કર કાંઇ;
આવાં આવાં તો અદ્ભુત કામ, ઘણીવાર કર્યા ઘણે ઠામ. 30
પૂર્વછાયો:-
બેય રૂપે બેય ગામમાં, થોડા દિન દીધાં દરશન;
દર્શન કરવા આવિયા, પર ગામના બહુ જન. 31
ચોપાઈ:-
બેય ગામમાં કૃષ્ણને દેખે, અતિ અચરજ અંતરે લેખે;
ત્યાંના હરિજન નર અને નારી, સમાધિમાં ગતી કરે સારી. 32
જોગસાધના કાંઇ ન કીધી, ઘનશામે સ્વતંત્રતા દીધી;
એક એક થકી એ તો વાત, થઇ દેશ વિદેશ વિખ્યાત. 33
બેય ગામના હરિજન પાસ, પછી એમ બોલ્યા અવિનાશ;
અહીં જગ્યાની છે સંકડાશ, નદીને તટ કરશું નિવાસ. 34
વળી કરવો છે વિષ્ણુયાગ, મળે માણસજૂથ અથાગ;
વિપ્ર આવે હજારો હજાર, કેમ માઇ શકે તે આ ઠાર ? 35
નદી ઓઝતનો તટ સારો, જોઇ જગ્યા તે જૈને સુધારો;
તંબુ દેરા ચંદનિયો મંગાવો, નદીને તટ ઉભાં કરાવો. 36
આજ્ઞા હરિજને અંતરે ધારી, નદીતટ જઇ જગ્યા સુધારી;
વડ આદિક વૃક્ષ છે જયાંય, સૌયે સારી જગ્યા ધારી ત્યાંય.37
તંબુ દેરા મોટા મોટા લાવ્યા, અતિ આનંદે ઉભા કરાવ્યા;
ચારુ ચંદનીયો મોટી લાવી, બહુ યુકિતથી ઉંચી બંધાવી. 38
નવી જાજમો સારી કરાવી, તે તો પૃથ્વી ઉપર પથરાવી;
બેય ગામથી શામ સિધાવ્યા, હરિભકત વળાવાને આવ્યા. 39
વાજે ત્રાંસાં નગારાં ને ઢોલ, વાજે તાલ મૃદંગ અતોલ;
કરે કીર્તન સંત ઉચ્ચાર, બોલે ઉંચે સ્વરે છડીદાર. 40
તંબુ પાસે આવ્યા એમ જયારે, રૂપેરૂપ મળી ગયાં ત્યારે;
બેઠા સંત સભામધ્ય શામ, સર્વે સત્સંગી બેઠા તે ઠામ. 41
બેય ગામના જન એમ ધારે, આવ્યા એ જ આ સાથે અમારે;
એમ દિવસ ગયા કાંઇ વહી, પછી હરિજનને વાત કહી. 42
ઘણા વેદિયા વિપ્ર તેડાવો, વિષ્ણુયાગનો સામાન લાવો;
ખટ માસ સુધી આ ઠાર, બ્રહ્મભોજન કરશું અપાર. 43
હરિભકત કહે મહારાજ, ધન્ય ભાગ્ય અમારાં છે આજ;
એવો યજ્ઞ જો આ સ્થળ થાય, તીર્થક્ષેત્ર આ શ્રેષ્ઠ ગણાય.44
પછી તેઓએ વિપ્ર તેડાવ્યા, ચારે વેદના ભણનાર આવ્યા;
આવ્યા કૈંક તો જયોતિષજાણ, કૈંક જાણે છે શાસ્ત્ર પુરાણ. 45
વિપ્ર આવ્યા હજારોહજાર, બીજા હરિજનનો નહિ પાર;
ખટ માસનું નોતરું દીધું, બ્રહ્મભોજન ચાલતું કીધું. 46
કૈંક બેઠા કરે અનુષ્ઠાન, કૃષ્ણમંત્ર જપે ધરી ધ્યાન;
કરે કૈંક મુહૂરત આઠ, વિષ્ણુનામસહસ્રના પાઠ. 47
ભાગવત તણો દશમસ્કંધ, તેના પાઠ કરે વિપ્રવૃંદ;
ચારે વેદની સંહિતા જેહ, બેઠા પાઠ કરે કૈંક તેહ. 48
કોઇ ગીતાનો પાઠ કરે છે, વ્યાસસૂત્ર કોઇ ઉચ્ચરે છે;
વાસુદેવમાહાત્મ્યને જોઇ, તેનો પાઠ કરે દ્વિજ કોઇ. 49
યાજ્ઞવલ્કય તણી સ્મૃતિ જે છે, કૈંક તેહના પાઠ કરે છે;
જમે ભોજન નિત્ય નવીન, વિપ્ર સંખ્યા વધે દિનદિન. 50
ખાંડ સાકરના કર્યા ગંજ, થાય લાડુ જલેબી બિરંજ;
પીપળાણાના નરસિંહ મેતા, ખૂબ ખર્ચવાને દ્રવ્ય દેતા. 51
સતસંગીયો સામાન લાવે, ભકત વિપ્રો રસોઇ બનાવે;
પ્રભુ દર્શન કરવાને ભાવે, દેશદેશના હરિજન આવે. 52
માસ બે એવી રીત ચલાવી, પંચમી ત્યાં વસંતની આવી;
તેનો ઉત્સવ અદભુત કીધો, સૌયે લાવ અલૌકિક લીધો. 53
ફુલડોળ તણો દિન આવ્યો, તેનો ઉત્સવ ત્યાંજ કરાવ્યો;
રામનૌમી નૃસિંહજયંતી, કરી તે પણ ત્યાંજ શોભંતી. 54
જેષ્ઠ શુકલ દશમી દિન જયારે, ગંગાજન્મનો ઉત્સવ ત્યારે;
ભીમ એકાદશી બીજે દાડે, વ્રત તેનું તો પાપ નસાડે. 55
એટલા કર્યા ઉત્સવ ત્યાંય, સૌને હરખ વધ્યો મનમાંય;
પરિપૂર્ણ થયાં અનુષ્ઠાન, હોમ કરવાનું કીધું વિધાન. 56
પદ્મકુંડ તે રુડો રચાવ્યો, હુતદ્રવ્યનો હોમ કરાવ્યો;
ત્યાં તો પૂર્ણાહૂતિ પછી કરી, રીતિ શાસ્ત્ર તણી અનુસરી. 57
દીધાં વિપ્રોને દક્ષિણાદાન, રંકને કર્યા રાય સમાન;
જન સર્વ કહે એમ જોઇ, આવું તો ન કરી શકે કોઇ. 58
વાત વિસ્તરી વિશ્વમોઝાર, થયો જગતમાં જયજયકાર;
વિષ્ણુયાગ ઉપર આવેલા, જન જે હતા ત્યાં જ રહેલા. 59
કૃષ્ણે સર્વને કીધા વિદાય, ચાલ્યા સૌ પ્રભુને નમી પાય;
જે જે લીલા જોઇ નરનારે, અતિ સ્નેહથી નિત્ય સંભારે. 60
પુષ્પિતાગ્રાવૃત્ત:-
પુનિત લલિત કૃષ્ણકેરી લીલા, હૃદય ધરે હરિભકત જે રસીલા;
સુમતિ સુજન સર્વ સત્ય જાણે, કુમતિ જનો સુણીને કુતર્ક આણે.61
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિઓઝતસરિતાતટે ષણ્માસપર્યંતવિષ્ણુયાગકરણનામા ત્રયોદશો વિશ્રામઃ ।।13।।