પૂર્વછાયો:-

કહે અચિંત્યાનંદજી, ભાવે સુણો અભેસિંહ ભ્રાત;

મગનીરામે શું કર્યું, હવે તે હું કહું છું વાત. 1

ચોપાઈ:-

ચાલ્યો શ્રીહરિ પાસેથી જયારે, ગયો તરત પોતાને ઉતારે;

શુદ્ધ વસ્ત્ર ધર્યાર્ં કરી સ્નાન, બેઠો એકાંતે થૈ સાવધાન. 2

ઘીના દીવા કરી મૌન લીધું, પછી કુંભનું સ્થાપન કીધું;

આવાહન એમાં દેવીનું કરી, મંત્ર જપવાને માળીકા ધરી. 3

કરી હોમ કર્યું તરપણ, ત્યાં તો આવી દેવી તતક્ષણ;

કેમ સમરી મને કહે દેવી, માગ્ય માગ્ય ઇચ્છા હોય જેવી. 4

મુખે બોલિયો મગનીરામ, કહું છું તે કરો એક કામ;

માતા પામ્યો પ્રતાપ તમારો, તેથી જગમાં થયો જય મારો. 5

મોટામોટા મેં સિદ્ધ નમાવ્યા, ઘણા જોગી ચેલા થવા આવ્યા;

મંત્રી તંત્રી ગમે તેવો હોય, મને જીતી શકયો નહિ કોય.6

ફર્યો દક્ષિણ પૂરવ દેશ, કર્યો પશ્ચિમ દેશ પ્રવેશ;

ઘણા નરપતિના દંડ લીધા, અભિમાની ઘણા વશ કીધા. 7

મહાસાગરનો પામી પાર, હવે ડૂંબું છું ખાડા મોઝાર;

માટે માતા સહાયતા કરો, મારા શત્રુ તણો મદ હરો. 8

એક પુરુષ રહે છે આ ઠામ, તેનું સ્વામિનારાયણ નામ;

એણે કીધું મારું અપમાન, ધર્યું તે માટે મેં તારું ધ્યાન. 9

મારો કોઇ પરાભવ કરે, તેની લાજ તો તુજને ઠરે;

માટે જાઓ માતા હાલહાલ, ધરો વેષ મહા વિકરાળ. 10

એનાં સર્વ મનુષ્યો સહીત, નાંખો સાગર માંહી ખચીત;

ત્યારે જીત્યો હું જગમાં જણાઉં, નહિ તો નક્કી હાર્યો ગણાઉં.11

પછી માનશે નહિ કોઇ મને, તેનો બટો તો લાગશે તને;

એના મુખની વાણી સુણી એવી, બોલી તે સમે શારદા દેવી. 12

સુણ સેવક મગનીરામ, તારી બુદ્ધિ ફરી કેમ આમ ?

જો તું પ્રથમની વાત વિચારી, રહ્યો શા માટે તું બ્રહ્મચારી ? 13

મારી સાધના શા માટે કીધી ? કન્યા મળતી હતી તે ન લીધી;

ભગવાનને ભેટવા માટ, ઘણા ઘડતો હતો મન ઘાટ. 14

પછી પાપ પૂરવ તણું નડિયું, તેથી ચિત્ત બીજે ચાળે ચડિયું;

તોય જાણજે છે ઘણું સારું, બીજબળ પૂર્વજન્મનું તારું. 15

રાખી ભગવત ભેટવા બુદ્ધી, કર્યું છે તપ બહુ જુગ સુધી;

તે તો સંચિત છે ઘણાં સારાં, નથી તે કદી નાશ થનારાં. 16

જોગભ્રષ્ટ થયો પછી જોગી, ભળ્યો સંસારમાં થયો ભોગી;

પેટ અર્થે કર્યા કાંઇ પાપ, ફરી બુદ્ધિ તે પાપ પ્રતાપ. 17

એમ કહી જાતિસ્મરણ કરાવ્યું, તેથી સર્વે તે સાંભરી આવ્યું;

પછી લાગ્યો તે પસ્તાવો કરવા, લાગ્યાં આંખેથી આંસુડાં ઝરવા. 18

બોલ્યો દેવીને પ્રણમી પાય, મને ભગવાન ભેટાડો માય;

એ જ અર્થે મેં સાધના કીધી, પણ તે વાત વિસારી દીધી. 19

પીપા ભૂપાળને તમે જેમ, ભગવાન ભેટાડિયા તેમ;

મને પણ ભલી ભાતે ભેટાડો, મારા ચિત્તની ચિંતા મટાડો. 20

સુણી બોલિયાં શારદા દેવી, ઇચ્છા અંતરે જો હોય એવી;

વદું તે સત્ય માનજે વાત, ભ્રમે ભૂલીશમાં હવે ભ્રાત. 21

જે છે અક્ષરધામના ધામી, પુરુષોત્તમ સર્વના સ્વામી;

બ્રહ્મા વિષ્ણુ ને રુદ્ર અનેક, એવા સર્વના ઇશ્વર એક. 22

સર્વ અવતારના અવતારી, સૌના કારણ અતિ સુખકારી;

તેણે કળિજુગનો મળ હરવા, વેદધર્મનું સ્થાપન કરવા. 23

દેહ ધાર્યો છે ધર્મને ધામ, શુભ નામ છે શ્રીઘનશામ;

એ જ સ્વામિનારાયણ આપ, જેનો પ્રગટ છે પ્રૌઢ પ્રતાપ. 24

અતિ મોટો એનો મહિમાય, તે ન કોઇથી જીતી શકાય;

મારા જેવી તો દેવિયો ઘણી, સજે સેવા તેના પદ તણી. 25

દીનતા ધરી થા તેનો દાસ, ત્યાગી થૈ રહેજે તેની પાસ;

ભકિતપુત્ર જાણી ભગવાન, મુકી દેજે બધું અભિમાન. 26

સેવા નીચામાં નીચીયે કરજે, મોટાં ભાગ્ય એવું મન ધરજે;

ઉર હોય કલ્યાણની આશ, થજે સ્વામીનો દાસાનુદાસ. 27

સાધુ પાસે નિર્માની રહેવા વિષે:- ઉપજાતિવૃત્ત:-

અનન્ય જે ભકત મહાપ્રભુના, નવા જનો કે જન હોય જૂનાં;

ન રાખિયે મોટપ તેની પાસ, કલ્યાણની જો ઉર હોય આશ. 28

જયાં ખાસડાં સંત તણાં પડે છે, ત્યાં બેસવા મારગ જો જડે છે;

માને મહાભાગ્ય તણો પ્રકાશ, કલ્યાણની જો ઉર હોય આશ. 29

જો શૂળિયે સંત કદી સુવારે, તથાપિ સદ્ભાગ્ય સુજાણ ધારે;

લે સંત પાસે મુખ માંહી ઘાસ, કલ્યાણની જો ઉર હોય આશ. 30

કરે તિરસ્કાર કદાપિ સંત, ન સંતનો દ્રોહ કરે ધીમંત;

કરે સદા સંતસમીપ વાસ, કલ્યાણની જો ઉર હોય આશ. 31

કરે રસાસ્વાદ તણો નિષેધ, જો થાય તે વાકયથી ચિત્તવેધ;

ન થાય તેથી દિલમાં ઉદાસ, કલ્યાણની જો ઉર હોય આશ. 32

રજોતમોના ગુણ જો જણાય, તે ટાળવા સંત કરે ઉપાય;

તો તર્ત છોડે ન પડે પ્રયાસ, કલ્યાણની જો ઉર હોય આશ. 33

વાંચે ભણે તે સતશાસ્ત્ર નિત્ય, સંસારમાં સ્વલ્પ ધરે ન ચિત્ત;

કરે નહિ ગ્રામ્યકથા વિલાસ, કલ્યાણની જો ઉર હોય આશ. 34

તપે કરી દુર્બળ દેહ રાખે, સ્વાદિષ્ટ જાણી નહિ સ્વાદ ચાખે;

કરે વિશેષે વ્રત ઊપવાસ, કલ્યાણની જો ઉર હોય આશ. 35

ચોપાઈ:-

એવી દીધી શિખામણ સારી, પછી દેવી તો ત્યાંથી પધારી;

જે જે વચન કહ્યાં એહ ઠામે, સત્ય માન્યાં તે મગનીરામે.36

ઉંઘ આવી નહી આખી રાત, જાણે જો ઝટ થાય પ્રભાત;

તો હું પ્રગટ પ્રભુ પાસે જાઉં, સર્વ આ તજીને સાધુ થાઉં.37

રાત ચાર ઘડી રહી જયારે, સ્નાનઆદિ ક્રિયા કરી ત્યારે;

આવ્યો શ્રીહરિ આશ્રમ પાસ, જોયો સંતનો જૈને નિવાસ.38

બેઠા કોઇક ધરીને ધ્યાન, કરે કોઇ હરિગુણ ગાન;

કરે કોઇ પ્રભુનું પૂજન, કોઇ કરવા ગયા મજજન. 39

સંતને કરી દંડ પ્રણામ, નમ્યો પ્રેમથી મગનીરામ;

પછી ચોકમાં જોયું નિહાળી, એઠાં વાસણ ત્યાં પડ્યાં ભાળી. 40

તેને માંજવા મંડ્યો જઇને, અતિશે નિરમાની થઇને;

માંજી વાસણ વાશીદું વાળ્યું, પછી નાથને મળવા નિહાળ્યું. 41

પૂછ્યું સાધુને કયાં છે શ્રીહરિ ? કહ્યું બેઠા છે તે સભા ભરી;

સભામાં ગયો મગનીરામ, પ્રભુને કર્યા દંડ પ્રણામ. 42

હેતે વિનતિ કરી જોડી હાથ, કરો કોટિ કૃપા કૃપાનાથ;

તમ અર્થે મેં તપશ્રમ કર્યો, તમ અર્થે આ ઢોંગ આદર્યો. 43

શારદા તણું સાધન સાધ્યું, તેથી પ્રૌઢ પરાક્રમ વાધ્યું;

જાણ્યું જીતશે મુજને જેહ, જગદીશ તો જાણીશ તેહ. 44

તમ આગળ હું રહ્યો હારી, તમે નિશ્ચે છો દેવ મુરારી;

દેવી શારદાયે મને કહ્યું, તેથી મુજ મનમાં દઢ થયું. 45

તમ શરણે હું આવ્યો છું આજ, મને સાધુ કરો મહારાજ;

સુણી બોલિયા જનસુખદાની,તમે છો અતિશે અભિમાની. 46

મારા નિર્માની સંત જણાય, તેમાં કેમ તમે રહેવાય ?

એવું સાંભળી વાણી ઉચ્ચારી, મેં તો મેલ્યું છે માન વિસારી. 47

પ્રભુ જેમ કહો તેમ કરું, અભિમાન ન અંતરે ધરું;

સુણી શ્રીહરિયે ધાર્યું આવું, એના શિરની જટા ઉતરાવું. 48

મૂછ વહાલી ભૂપાળને જેવી, જટા સિદ્ધને તો પ્રિય એવી;

એમ જાણી મુખે બોલ્યા માવો, તમે શિરની જટા ઉતરાવો. 49

સંતો જાયને આવે છે જયાંય, નાંખો રસ્તામાં તે જટા ત્યાંય;

પગે ખુંદીને સંત પધારે, નિરમાની તમે ખરા ત્યારે. 50

સુણી તે કહે હે મહારાજ ! મારાં ભાગ્ય એવાં કયાંથી આજ ?

રજ સંતના ચરણની જેહ, મારી જટા ઉપર પડે તેહ. 51

એમ કહીને જટા ઉતરાવી, સંત ચાલે તે રસ્તે નખાવી;

કરી સ્નાન આવ્યો પ્રભુ પાસ, કહ્યું સાધુ થવાની છે આશ. 52

હરિભકત કહે કોઇ એમ, અભિમાન તે મુકશે કેમ ?

એ છે ઢોંગી તે ઢોંગ કરે છે, કાંઇ ધૂતવા ધર્મ ધરે છે. 53

સુણી બોલિયા શ્રીઘનશામ, તમે સાંભળો મગનીરામ;

અભિમાન તજયું તમે આજ, કરે નિશ્ચય સર્વ સમાજ. 54

જોડા સંતના એકઠા કરો, તેની ગાંસડી નિજ શિર ધરો;

સર્વ બેઠી છે સંત સભાય, તેને પાંચ પ્રદક્ષિણા થાય. 55

ત્યારે પાપ તમારું તો જાય, ઘણા દંડ્યા છે રંક ને રાય;

એવું સાંભળી એ જ ઠેકાણે, કર્યું મગનીયે એ જ પ્રમાણે.56

કહે લોક કુસંગી તે ઠામ, આ શું કીધું તેં મગનીરામ;

ત્યારે કહી હરિશ્ચંદ્ર કથાય, ઘેર શ્વપચને વેચાણો રાય. 57

એથી ઉત્તમ છે આતો કામ, હરિઆજ્ઞાયે કીધું મેં આમ;

પછી હરિને કહે જોડી હાથ, મને સાધુ કરો મુનિનાથ. 58

સમજીને સાધુ થવા વિષે:- ઉપજાતિવૃત્ત:-

કહે હરિ જો દઢ હોય ચિત્ત, વૈરાગ્ય જો હોય ખરો ખચીત;

જાણી વિચારી પછી સાધુ થાવું, જાણ્યા વિના સાધુ થવા ન જાવું. 59

સ્મશાન-વૈરાગ્ય ઘડી જણાય, એવે સમે જે જન સાધુ થાય;

વૈરાગ્ય તેનો પછી ઊડી જાશે, ધોબી તણા શ્વાન સમાન થાશે. 60

ત્યાગી થવું તે તપને જ કાજે, ખાવા પિવા કે નહિ લોકલાજે;

જો તે પછી દૈહિક સુખ ઇચ્છે, પાખંડી છે એમ પ્રભુજી પ્રીછે.61

જે ભૂખના દુઃખથી સાધુ થાય, ખાવા મળે ત્યાં લગિ ખૂબ ખાય;

પછી ગુરૂ પાસ તજી નિવાસ, વસે જઇને વળી અન્યપાસ.62

નહીં મળે વસ્ત્ર વિશેષ અંગે, નહીં મળે પાથરવા પલંગે;

નહીં મળે સ્વાદ સહિત ખાવું, એવું વિચારી ઉર સાધુ થાવું. 63

જો ઇચ્છવું માયિક સુખ કાંઇ, મંુડાવું બીજા મતપંથ માંઇ;

તપે કરી હું હરિને રીઝાવું, એવું ચહો તો અહિં સાધુ થાવું. 64

જો હોય તૃણા જરિયે અધૂરી, કરો જઇને જગમાં મજૂરી;

જો ઘાણીમાં પંડ ધરી પિલાવો, તો સાધુ થાવા અમ પાસ આવો. 65

માયિક જે જે સુખ નાશવંત, વિના તપે કોઇ નહીં લહંત;

તો લાડવા ખાઇ ફુલાવી દેહ, શું પામશે અક્ષરધામ એહ ? 66

ચોપાઈ:-

સુણી બોલિયો મગનીરામ, કર્યું સંસારસુખ મેં હરામ;

મારે કલ્યાણનું છે કાજ, મને સાધુ કરો મહારાજ. 67

પછી સાધુ કર્યો ઘનશામે, અદ્વૈતાનંદજી એવે નામે;

દેવીવાળા તે મગનીરામ, રહ્યું નામ એવું સહુ ઠામ. 68

ચેલા દૈવી હતા તે ઉમંગે, આવી સાધુ થયા તેને સંગે;

હતા આસુરી તે ગયા નાશી, થયા દિલમાં વિશેષ ઉદાસી. 69

પુષ્પિતાગ્રાવૃત્ત:-

કંઇ જન હરિને પ્રભુ પ્રમાણ્યા, કંઇ જન તો હરિ જાદુજાણ જાણ્યાં;

અસુરમતિ જનો પ્રતાપ દેખે, તદપિ કુતર્ક કરી મનુષ્ય લેખે. 70

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે દેવીભકતમગનીરામ-આખ્યાનકથનનામા નવમો વિશ્રામઃ ।।9।।