પૂર્વછાયો:-

ઉત્સવ કરી અન્નકૂટનો, ચાલ્યા લોજ થકી વૃષલાલ;

વળી આવ્યા કાલવાણિયે, સંત સહિત દીનદયાળ. 1

ચોપાઈ:-

સમૈયો ત્યાં પ્રબોધિની કેરો, કરવાનો છે હરખ ઘણેરો;

ગામોગામમાં પત્ર લખાવ્યા, સંત હરિજન સર્વ તેડાવ્યા. 2

આડો દિવસ રહ્યો જયારે એક, ત્યાં તો આવિયા સંઘ અનેક;

ભુજ થકી આવ્યા મુકતાનંદ, સાથે સંત ને સત્સંગીવૃન્દ. 3

કાઠિયાવાડ સોરઠકેરા, આવ્યા સંચરી સંઘ ઘણેરા;

ઝાલાવાડી તથા ગુજરાતી, આવ્યા તેની સંખ્યા નથી થાતી. 4

દશમી દિને સૌ નરનારી, આવી નિરખિયા દેવ મુરારી;

પછી એકાદશીને પ્રભાતે, પ્રભુ નાવા ગયા ભલી ભાતે. 5

સંત સત્સંગી સૌ લઇ સાથ, નાયા જૈ નદીમાં મુનિનાથ;

વાટે કીર્તન સંત ઉચારે, પાછા આવિયા એમ ઉતારે. 6

પછી જયાં સભા શ્રેષ્ઠ ભરાઇ, આવ્યા હરબાઇ ને વાલબાઇ;

તેની પ્રથમ કહી છે મેં વાત, કરૂં વાત વિશેષ વિખ્યાત.7

આતમાનંદની બેય ચેલી, તજી સંસાર ત્યાગી થયેલી;

વાલબાઇ તે કણબી જાતે, હરબાઇ તો કુંભાર નાતે. 8

ધારે અંચળ ભગવાં અંગે, રાખે શિષ્ય ઘણા નિજસંગે;

આત્માનંદે તજયો જયારે દેહ, રામાનંદને રહી મળી તેહ. 9

તેનું જ્ઞાન દિલે લીધું ધારી, મત અદ્ધૈત મેલ્યો વિસારી;

તોય જ્ઞાન તણું અભિમાન, રહે અંતર માંહી નિદાન. 10

સાથે મંડળી લૈને તે ફરે, નર નારીને ઉપદેશ કરે;

પુરુષોની સભા માંહી પેસે, ગાદિ તકિયા નંખાવીને બેસે. 11

હતા જયારે રામાનંદજી તે, ચાલ્યું ત્યાં સુધી તો એવી રીતે;

પછી કાળવાણીમાં તે બાઇ, આવી સંતસભા માંહી ધાઇ.12

ગયા સંત તો આસન છાંડી, હરિભકતોયે વારવા માંડી;

તોય તે સભાસ્થાનમાં પેઠી, ગાદી સદ્ગુરુની જોઇ બેઠી. 13

હતાં શિષ્ય તેનાં બાઇ ભાઇ, તે તો બેઠાં તેઓને વિંટાઇ;

બેય બાઇયોયે તેહ ઠામ, કર્યો કૃષ્ણને કાંઇ પ્રણામ. 14

ત્યારે બોલિયા શ્રીહરિ એમ, તમે વર્તો છો આ રીતે કેમ ?

વેષ ત્યાગીનો ધારીને અંગ, કેમ રાખો છો નરનો પ્રસંગ ? 15

ચાહો સત્સંગને જો ખચીત, રાખો સત્સંગની શુભ રીત;

નરને ન કરો ઉપદેશ, નવ અડકવું બોલવું લેશ. 16

સુણી બાઇયો બોલી તે વાર, અમોને નરથી શું થનાર ?

નર નારીમાં ગણિયે ન ભેદ, અમે જાણિયે માંસ ને મેદ. 17

બાળપણથી અમે ઊર્ધ્વરેતા, અમે છૈયે પુરાં બ્રહ્મવેત્તા;

જુવાનીમાં ધરમથીન ચળિયાં,ડાચાં મળિયાં ને આવ્યાં છે પળિયાં. 18

આતમાનંદે તો શુદ્ધ ધાર્યાં, રામાનંદે તો અમને ન વાર્યા;

આજ કાલના આવેલા તમે, નવી રીત ન માનિયે અમે. 19

કાઢી મૂકશો તો દૂર થઇ, નવો પંથ ચલાવશું જઇ;

સુણી બોલ્યા મહાસુખદાઇ, સુણો વાલબાઇ હરખાઇ. 20

ત્યાગીના ધર્મ વિષે:- ઉપજાતિવૃત્ત:-

ત્યાગી જનોનો શુભ ધર્મ જે છે, સચ્છાસ્ત્રમાં શુદ્ધ લખેલ તે છે;

જો વૃદ્ધ કે વ્યાધિત યોગધારી, ન જાય ત્યાં ચિત્રિત હોય નારી. 21

બ્રહ્મા ભૂલ્યા નારદજી ભુલ્યા છે, સ્ત્રી દેખી સાક્ષાત શિવે ડુલ્યા છે;

મળી રહે જે નરનારી સંગ, કોઇ સમે તો વ્રત થાય ભંગ.22

ચોપાઈ:-

જેવો પુરુષને નારીનો સંગ, એવો પ્રમદાને પુરુષપ્રસંગ;

એ તો છે ઘૃત અગ્નિ સમાન, એમાં કરવું નહીં અભિમાન. 23

લીધી હોય જો ઇન્દ્રિયો જીતી, તોય સૌને શિખવવા સુરીતી;

મોટા મુકત રહે સ્ત્રીથી દૂર, એવી રીત ચલાવવા જરૂર.24

મુકતાનંદ તથા રામદાસ, જેણે કીધા છે કામાદિ નાશ;

તોય માનીને આજ્ઞા અમારી, તજી છે અષ્ટ પ્રકારે નારી. 25

મારી આજ્ઞા ધરો તમે ચિત્તે, તજો પુરુષપ્રસંગ એ રીતે;

એવી વાત કરી સુખદાની, પણ તે બાઇયોયે ન માની. 26

મુકતાનંદ ને ધર્મકુમાર, કીધો એકાંતે જૈને વિચાર;

મુનિમુકત બોલ્યા પ્રભુપાસ, એ બે બાઇ ને રધુનાથદાસ.27

નથી સત્સંગમાં રહેનાર, જાણું અંતે જરૂર જનાર;

આ બે બાઇયોને મહારાજ, સંપ્રદાયથી વિમુખ કરો આજ. 28

એ તો છે અતિશે અભિમાની, રામાનંદ હતા તે સમાની;

વાતો કરશે જો આવીને આવી, કૈંક ભકતને દેશે ભમાવી. 29

પછી શ્રીહરિ આવ્યા સભામાં, સમજાવી બહુ તે સમામાં;

વાત જરિયે ન માની જયારે, કરી બેને બર્હિમુખ ત્યારે. 30

ઉઠી નીસરી બેય રિસાઇ, તેનાં શિષ્ય હતાં બાઇ ભાઇ;

તેઓ પણ ઉઠી ત્યાં થકી ગયાં, ત્રંબા ગામ વિષે જઇ રહ્યા.31

નવો પંથ ચલાવ્યો ત્યાં જૈને, બેસે ગાદી ઊપર ગુરુ થૈને;

ત્યાંનો ભકતસમાજ ભ્રમાવ્યો, નિજનો મહિમા સમજાવ્યો. 32

કરવા જનને ઉપદેશ, ફરતી હતી સોરઠ દેશ;

તજયો દેહ તે ત્રંબામાં જયાંય, મોટો ઓટો ચણેલો છે ત્યાંય.33

કોઇક ગામ વિષે હે રાય, એના શિષ્ય અદ્યાપિ જણાય;

સુણી એવું કહે નરપાળ, અહો વર્ણીજી દીનદયાળ. 34

ઉપજયો એમ સંશય મને, માટે પુછું છું પ્રશ્ન તમને;

તજી સંસારને ત્યાગી થઇ, કેમ સત્સંગમાંથી તે ગઇ ? 35

કેમ કલ્યાણનો ખપ મટ્યો ? કેમ વૈરાગ્ય તેહનો ઘટ્યો ?

તેનું માથું ફરે કદી એમ, તેની વાત બીજા માને કેમ ? 36

મુકતાનંદ જેવા મોટા સંત, એક પક્ષમાં હોય અનંત;

તેની વાત તે કેમ તજાય ? નીકળેલાની કેમ મનાય ? 37

એવા કોણ ભોળા જન થાય ? તજી ગંગાને ખાડામાં નાય;

કેમ દેખે નહીં ગુણ દોષ ? વણ સમજયા કરે કેમ રોષ ? 38

એ જ સંશય મેં કર્યો મારો, વરણીદ્ર તમે તે નિવારો;

સુણો ભૂપ કહે બ્રહ્મચારી, કહું કારણ તેનું વિચારી. 39

માની શિષ્ય વિષે:- ઉપજાતિવૃત્ત:-

જે શિષ્ય ઝાઝું અભિમાન ધારે, તે માનનું ખંડન થાય જયારે;

કરે ઘણો તે મન માંહી ક્રોધ, વળી કરે તે ગુરુથી વિરોધ. 40

આવે ગુરુનો અવગુણ લેશ, વધી વધી થાય ઘણો વિશેષ;

છોટું પડ્યું ભૂતળ બીજ જેમ, તે થાય ઊગી વડવૃક્ષ તેમ. 41

ભ્રમેલ ચેલો ગુરુભકિત ચૂકે, અનેક મિથ્યા અપવાદ મૂકે;

ગુરૂ વિષે દોષ સદૈવ દેખે, છતે ગુણે સદ્ગુણ તે ન લેખે. 42

જૈ અન્ય પાસે અવગુણ ગાય, ભોળા જનો તે સુણીને ભ્રમાય;

જો માનવાને જનજૂથ આવે, ચેલો પછી પંથ જુદો ચલાવે. 43

ગોસાંઇજીના મતમાંથી જેમ, જુદો પડ્યો પંથ પ્રણામી તેમ;

થયા ઘણા ને વળી થાય ભાઇ, તે વાતમાં કાંઇ નથી નવાઇ.44

જો વેદનો માર્ગ પડ્યો મુકાવે, વૃંદા તજીને ખિજડો પૂજાવે;

લોબાનનો ધૂપ કરો કહે છે, ભોળા જનો તે પણ માની લે છે. 45

મનુષ્ય ભોળા મૃતિકા સમાન, પલાળતાં તે પલળે નિદાન;

ગંગાજળે તે ગળી જાય જેમ, સુરા પડે તો પલળે જ તેમ. 46

મમત્વથી જે ગુરુ અન્ય માને, તેના કદી દોષ ધરે ન કાને;

જો ચોર કે ભ્રષ્ટ લબાડ હોય, પૂજે મમત્વે કરી પ્રેમે તોય.47

કરે મમત્વ નિજ ધર્મનાશ, કરે મમત્વે કુટિલ પ્રયાસ;

મમત્વથી વૈર કરી ઘણેરું, પોતે બગાડે પરલોક કેરું. 48

માથું ફરે જે જનકેરું જયારે, સુઝે ન રસ્તો સવળો જ ત્યારે;

થાકે કહીને જન જ્ઞાનવાને, માથાફરેલો કદિયે ન માને. 49

જયારે થયો જે નરકે જનાર, ત્યારે જ તેવી ભ્રમણા થનાર;

આવી નડે પાતક પૂર્વ કેરું, માને નહીં સંત કહે ઘણેરું. 50

છૂટો પડ્યો સંત સમાજમાંથી, એને કશો અંકુશ હોય કયાંથી;

તે તો ચડે છે પછી પંથ આડે, પોતા તણું ને પરનું બગાડે. 51

જે બ્રહ્મહત્યાદિક પંચ પાપી, કલ્યાણ પામે કુમતિ કદાપિ;

કરે ગુરુદ્રોહ કૃતઘ્નિ જેહ, કલ્યાણ પામે કદિયે ન તેહ. 52

ચેતાય તો સૌ ચિત્ત ચેતિ લેજો, તે દુષ્ટની સંગત છોડી દેજો;

જે શ્વાન જયારે હડકાયું થાય, તે તુલ્ય તે લાળ થકી થવાય.53

જે સર્પ પાળ્યો બહુ દૂધ પાઇ, દબાય તો તેહ ડસે જ ભાઇ;

એવા ગુરુદ્રોહિ કૃતઘ્નિ હોય, વિશ્વાસ તેનો કરશો ન કોય.54

જેને પ્રતાપે બહુ માન પામ્યો, જેને પ્રતાપે જશ ખૂબ જામ્યો;

વિરુદ્ધ એવા ગુરુથી થનાર, ધિક્કાર ધિક્કાર હજાર વાર. 55

ચોપાઈ:-

બ્રહ્મચારી કહે સુણો રાય, કહું છું હવે કૃષ્ણકથાય;

કાળવાણીમાં કૃષ્ણ બિરાજે, તિથિ તે તો પ્રબોધિની છાજે. 56

આવ્યું પૂરણમાસીનું પર્વ, રહ્યા ત્યાં સુધી સંઘ તે સર્વ;

પછી તે સતસંગી તમામ, ગયા પોતપોતા તણે ગામ. 57

આખા ગામમાં જેનો નિવાસ, નારાયણદવે કૃષ્ણના દાસ;

તેના પુત્ર તે નરસિંહ નામ, પ્રેમે પ્રભુપદ કીધો પ્રણામ. 58

પીપળાણાના નરસિંહ મહેતા, ત્રિજા તે પણ સંઘાતે હતા;

ત્રણે વિનતિ કરી એહ ટાણે, પ્રભુ આવો આખે પીપળાણે. 59

પુષ્પિતાગ્રાવૃત્ત:-

વિનતિ અધિક એ સમે ઉચારી, સુણી મન માંહી કૃપા કરી મુરારી;

મુનિજનજુત ત્યાંથી તેજ ટાણે, પ્રભુ વિચર્યા વળી ગામ પીપળાણે. 60

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરેિકાળવાણીગ્રામે વાલબાઈહરબાઈવિમુખકરણનામા દ્વાદશો વિશ્રામઃ ।।12।।