પૂર્વછાયો:-
ઉત્સવ કરી અન્નકૂટનો, ચાલ્યા લોજ થકી વૃષલાલ;
વળી આવ્યા કાલવાણિયે, સંત સહિત દીનદયાળ. 1
ચોપાઈ:-
સમૈયો ત્યાં પ્રબોધિની કેરો, કરવાનો છે હરખ ઘણેરો;
ગામોગામમાં પત્ર લખાવ્યા, સંત હરિજન સર્વ તેડાવ્યા. 2
આડો દિવસ રહ્યો જયારે એક, ત્યાં તો આવિયા સંઘ અનેક;
ભુજ થકી આવ્યા મુકતાનંદ, સાથે સંત ને સત્સંગીવૃન્દ. 3
કાઠિયાવાડ સોરઠકેરા, આવ્યા સંચરી સંઘ ઘણેરા;
ઝાલાવાડી તથા ગુજરાતી, આવ્યા તેની સંખ્યા નથી થાતી. 4
દશમી દિને સૌ નરનારી, આવી નિરખિયા દેવ મુરારી;
પછી એકાદશીને પ્રભાતે, પ્રભુ નાવા ગયા ભલી ભાતે. 5
સંત સત્સંગી સૌ લઇ સાથ, નાયા જૈ નદીમાં મુનિનાથ;
વાટે કીર્તન સંત ઉચારે, પાછા આવિયા એમ ઉતારે. 6
પછી જયાં સભા શ્રેષ્ઠ ભરાઇ, આવ્યા હરબાઇ ને વાલબાઇ;
તેની પ્રથમ કહી છે મેં વાત, કરૂં વાત વિશેષ વિખ્યાત.7
આતમાનંદની બેય ચેલી, તજી સંસાર ત્યાગી થયેલી;
વાલબાઇ તે કણબી જાતે, હરબાઇ તો કુંભાર નાતે. 8
ધારે અંચળ ભગવાં અંગે, રાખે શિષ્ય ઘણા નિજસંગે;
આત્માનંદે તજયો જયારે દેહ, રામાનંદને રહી મળી તેહ. 9
તેનું જ્ઞાન દિલે લીધું ધારી, મત અદ્ધૈત મેલ્યો વિસારી;
તોય જ્ઞાન તણું અભિમાન, રહે અંતર માંહી નિદાન. 10
સાથે મંડળી લૈને તે ફરે, નર નારીને ઉપદેશ કરે;
પુરુષોની સભા માંહી પેસે, ગાદિ તકિયા નંખાવીને બેસે. 11
હતા જયારે રામાનંદજી તે, ચાલ્યું ત્યાં સુધી તો એવી રીતે;
પછી કાળવાણીમાં તે બાઇ, આવી સંતસભા માંહી ધાઇ.12
ગયા સંત તો આસન છાંડી, હરિભકતોયે વારવા માંડી;
તોય તે સભાસ્થાનમાં પેઠી, ગાદી સદ્ગુરુની જોઇ બેઠી. 13
હતાં શિષ્ય તેનાં બાઇ ભાઇ, તે તો બેઠાં તેઓને વિંટાઇ;
બેય બાઇયોયે તેહ ઠામ, કર્યો કૃષ્ણને કાંઇ પ્રણામ. 14
ત્યારે બોલિયા શ્રીહરિ એમ, તમે વર્તો છો આ રીતે કેમ ?
વેષ ત્યાગીનો ધારીને અંગ, કેમ રાખો છો નરનો પ્રસંગ ? 15
ચાહો સત્સંગને જો ખચીત, રાખો સત્સંગની શુભ રીત;
નરને ન કરો ઉપદેશ, નવ અડકવું બોલવું લેશ. 16
સુણી બાઇયો બોલી તે વાર, અમોને નરથી શું થનાર ?
નર નારીમાં ગણિયે ન ભેદ, અમે જાણિયે માંસ ને મેદ. 17
બાળપણથી અમે ઊર્ધ્વરેતા, અમે છૈયે પુરાં બ્રહ્મવેત્તા;
જુવાનીમાં ધરમથીન ચળિયાં,ડાચાં મળિયાં ને આવ્યાં છે પળિયાં. 18
આતમાનંદે તો શુદ્ધ ધાર્યાં, રામાનંદે તો અમને ન વાર્યા;
આજ કાલના આવેલા તમે, નવી રીત ન માનિયે અમે. 19
કાઢી મૂકશો તો દૂર થઇ, નવો પંથ ચલાવશું જઇ;
સુણી બોલ્યા મહાસુખદાઇ, સુણો વાલબાઇ હરખાઇ. 20
ત્યાગીના ધર્મ વિષે:- ઉપજાતિવૃત્ત:-
ત્યાગી જનોનો શુભ ધર્મ જે છે, સચ્છાસ્ત્રમાં શુદ્ધ લખેલ તે છે;
જો વૃદ્ધ કે વ્યાધિત યોગધારી, ન જાય ત્યાં ચિત્રિત હોય નારી. 21
બ્રહ્મા ભૂલ્યા નારદજી ભુલ્યા છે, સ્ત્રી દેખી સાક્ષાત શિવે ડુલ્યા છે;
મળી રહે જે નરનારી સંગ, કોઇ સમે તો વ્રત થાય ભંગ.22
ચોપાઈ:-
જેવો પુરુષને નારીનો સંગ, એવો પ્રમદાને પુરુષપ્રસંગ;
એ તો છે ઘૃત અગ્નિ સમાન, એમાં કરવું નહીં અભિમાન. 23
લીધી હોય જો ઇન્દ્રિયો જીતી, તોય સૌને શિખવવા સુરીતી;
મોટા મુકત રહે સ્ત્રીથી દૂર, એવી રીત ચલાવવા જરૂર.24
મુકતાનંદ તથા રામદાસ, જેણે કીધા છે કામાદિ નાશ;
તોય માનીને આજ્ઞા અમારી, તજી છે અષ્ટ પ્રકારે નારી. 25
મારી આજ્ઞા ધરો તમે ચિત્તે, તજો પુરુષપ્રસંગ એ રીતે;
એવી વાત કરી સુખદાની, પણ તે બાઇયોયે ન માની. 26
મુકતાનંદ ને ધર્મકુમાર, કીધો એકાંતે જૈને વિચાર;
મુનિમુકત બોલ્યા પ્રભુપાસ, એ બે બાઇ ને રધુનાથદાસ.27
નથી સત્સંગમાં રહેનાર, જાણું અંતે જરૂર જનાર;
આ બે બાઇયોને મહારાજ, સંપ્રદાયથી વિમુખ કરો આજ. 28
એ તો છે અતિશે અભિમાની, રામાનંદ હતા તે સમાની;
વાતો કરશે જો આવીને આવી, કૈંક ભકતને દેશે ભમાવી. 29
પછી શ્રીહરિ આવ્યા સભામાં, સમજાવી બહુ તે સમામાં;
વાત જરિયે ન માની જયારે, કરી બેને બર્હિમુખ ત્યારે. 30
ઉઠી નીસરી બેય રિસાઇ, તેનાં શિષ્ય હતાં બાઇ ભાઇ;
તેઓ પણ ઉઠી ત્યાં થકી ગયાં, ત્રંબા ગામ વિષે જઇ રહ્યા.31
નવો પંથ ચલાવ્યો ત્યાં જૈને, બેસે ગાદી ઊપર ગુરુ થૈને;
ત્યાંનો ભકતસમાજ ભ્રમાવ્યો, નિજનો મહિમા સમજાવ્યો. 32
કરવા જનને ઉપદેશ, ફરતી હતી સોરઠ દેશ;
તજયો દેહ તે ત્રંબામાં જયાંય, મોટો ઓટો ચણેલો છે ત્યાંય.33
કોઇક ગામ વિષે હે રાય, એના શિષ્ય અદ્યાપિ જણાય;
સુણી એવું કહે નરપાળ, અહો વર્ણીજી દીનદયાળ. 34
ઉપજયો એમ સંશય મને, માટે પુછું છું પ્રશ્ન તમને;
તજી સંસારને ત્યાગી થઇ, કેમ સત્સંગમાંથી તે ગઇ ? 35
કેમ કલ્યાણનો ખપ મટ્યો ? કેમ વૈરાગ્ય તેહનો ઘટ્યો ?
તેનું માથું ફરે કદી એમ, તેની વાત બીજા માને કેમ ? 36
મુકતાનંદ જેવા મોટા સંત, એક પક્ષમાં હોય અનંત;
તેની વાત તે કેમ તજાય ? નીકળેલાની કેમ મનાય ? 37
એવા કોણ ભોળા જન થાય ? તજી ગંગાને ખાડામાં નાય;
કેમ દેખે નહીં ગુણ દોષ ? વણ સમજયા કરે કેમ રોષ ? 38
એ જ સંશય મેં કર્યો મારો, વરણીદ્ર તમે તે નિવારો;
સુણો ભૂપ કહે બ્રહ્મચારી, કહું કારણ તેનું વિચારી. 39
માની શિષ્ય વિષે:- ઉપજાતિવૃત્ત:-
જે શિષ્ય ઝાઝું અભિમાન ધારે, તે માનનું ખંડન થાય જયારે;
કરે ઘણો તે મન માંહી ક્રોધ, વળી કરે તે ગુરુથી વિરોધ. 40
આવે ગુરુનો અવગુણ લેશ, વધી વધી થાય ઘણો વિશેષ;
છોટું પડ્યું ભૂતળ બીજ જેમ, તે થાય ઊગી વડવૃક્ષ તેમ. 41
ભ્રમેલ ચેલો ગુરુભકિત ચૂકે, અનેક મિથ્યા અપવાદ મૂકે;
ગુરૂ વિષે દોષ સદૈવ દેખે, છતે ગુણે સદ્ગુણ તે ન લેખે. 42
જૈ અન્ય પાસે અવગુણ ગાય, ભોળા જનો તે સુણીને ભ્રમાય;
જો માનવાને જનજૂથ આવે, ચેલો પછી પંથ જુદો ચલાવે. 43
ગોસાંઇજીના મતમાંથી જેમ, જુદો પડ્યો પંથ પ્રણામી તેમ;
થયા ઘણા ને વળી થાય ભાઇ, તે વાતમાં કાંઇ નથી નવાઇ.44
જો વેદનો માર્ગ પડ્યો મુકાવે, વૃંદા તજીને ખિજડો પૂજાવે;
લોબાનનો ધૂપ કરો કહે છે, ભોળા જનો તે પણ માની લે છે. 45
મનુષ્ય ભોળા મૃતિકા સમાન, પલાળતાં તે પલળે નિદાન;
ગંગાજળે તે ગળી જાય જેમ, સુરા પડે તો પલળે જ તેમ. 46
મમત્વથી જે ગુરુ અન્ય માને, તેના કદી દોષ ધરે ન કાને;
જો ચોર કે ભ્રષ્ટ લબાડ હોય, પૂજે મમત્વે કરી પ્રેમે તોય.47
કરે મમત્વ નિજ ધર્મનાશ, કરે મમત્વે કુટિલ પ્રયાસ;
મમત્વથી વૈર કરી ઘણેરું, પોતે બગાડે પરલોક કેરું. 48
માથું ફરે જે જનકેરું જયારે, સુઝે ન રસ્તો સવળો જ ત્યારે;
થાકે કહીને જન જ્ઞાનવાને, માથાફરેલો કદિયે ન માને. 49
જયારે થયો જે નરકે જનાર, ત્યારે જ તેવી ભ્રમણા થનાર;
આવી નડે પાતક પૂર્વ કેરું, માને નહીં સંત કહે ઘણેરું. 50
છૂટો પડ્યો સંત સમાજમાંથી, એને કશો અંકુશ હોય કયાંથી;
તે તો ચડે છે પછી પંથ આડે, પોતા તણું ને પરનું બગાડે. 51
જે બ્રહ્મહત્યાદિક પંચ પાપી, કલ્યાણ પામે કુમતિ કદાપિ;
કરે ગુરુદ્રોહ કૃતઘ્નિ જેહ, કલ્યાણ પામે કદિયે ન તેહ. 52
ચેતાય તો સૌ ચિત્ત ચેતિ લેજો, તે દુષ્ટની સંગત છોડી દેજો;
જે શ્વાન જયારે હડકાયું થાય, તે તુલ્ય તે લાળ થકી થવાય.53
જે સર્પ પાળ્યો બહુ દૂધ પાઇ, દબાય તો તેહ ડસે જ ભાઇ;
એવા ગુરુદ્રોહિ કૃતઘ્નિ હોય, વિશ્વાસ તેનો કરશો ન કોય.54
જેને પ્રતાપે બહુ માન પામ્યો, જેને પ્રતાપે જશ ખૂબ જામ્યો;
વિરુદ્ધ એવા ગુરુથી થનાર, ધિક્કાર ધિક્કાર હજાર વાર. 55
ચોપાઈ:-
બ્રહ્મચારી કહે સુણો રાય, કહું છું હવે કૃષ્ણકથાય;
કાળવાણીમાં કૃષ્ણ બિરાજે, તિથિ તે તો પ્રબોધિની છાજે. 56
આવ્યું પૂરણમાસીનું પર્વ, રહ્યા ત્યાં સુધી સંઘ તે સર્વ;
પછી તે સતસંગી તમામ, ગયા પોતપોતા તણે ગામ. 57
આખા ગામમાં જેનો નિવાસ, નારાયણદવે કૃષ્ણના દાસ;
તેના પુત્ર તે નરસિંહ નામ, પ્રેમે પ્રભુપદ કીધો પ્રણામ. 58
પીપળાણાના નરસિંહ મહેતા, ત્રિજા તે પણ સંઘાતે હતા;
ત્રણે વિનતિ કરી એહ ટાણે, પ્રભુ આવો આખે પીપળાણે. 59
પુષ્પિતાગ્રાવૃત્ત:-
વિનતિ અધિક એ સમે ઉચારી, સુણી મન માંહી કૃપા કરી મુરારી;
મુનિજનજુત ત્યાંથી તેજ ટાણે, પ્રભુ વિચર્યા વળી ગામ પીપળાણે. 60
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરેિકાળવાણીગ્રામે વાલબાઈહરબાઈવિમુખકરણનામા દ્વાદશો વિશ્રામઃ ।।12।।