પૂર્વછાયો:-
ઓગણસાઠની સાલની, આવી દિવાળી ઢુંકડી જયાંય;
લોજના હરિજન તેડવા, આવ્યા શ્રીહરિ આગળ ત્યાંય.1
ચોપાઈ:-
કાળવાણીમાં કૃષ્ણ બિરાજે, આવ્યા હરિજન તેડવા કાજે;
કર જોડીને વાણી ઉચ્ચારી, સુણો અરજ અમારી મુરારી. 2
આદિસ્થાન રામાનંદ કેરું, લોજધામ છે જૂનું ઘણેરું;
જેમાં પ્રથમ પધારીને આપ, મુનિ મુકતનો કીધો મેળાપ. 3
ગાદી પામ્યા પછી કોઇ વાર, તમે આવ્યા નથી એહ ઠાર;
અન્નકૂટ ત્યાં આવીને કરો, અરજી એટલી ઉર ધરો. 4
સુણી બોલિયા શ્રીમહારાજ, સુણો સૌ સતસંગી સમાજ;
કાળવાણીના જે હરિજન, અમે આપ્યું છે તેને વચન. 5
એક આવે પ્રબોધિની જેહ, અહીં કરશું સમૈયો તેહ;
માટે શી રીતે અહિંથી જવાય ? મારું વેણ મિથ્યા કેમ થાય ? 6
સતસંગી બોલ્યા સુણી વાણી, પ્રભુ સાંભળો સારંગપાણી;
અન્નકૂટ કરો લોજ માંહી, પછી કરજો પ્રબોધિની આંહીં. 7
વાત શ્રીહરિને લાગી સારી, મોકલ્યા સંત ને બ્રહ્મચારી;
હતા પ્રથમ રામાનંદ પાસ, સાધુ તે રામચરણદાસ. 8
સાથે બ્રહ્મચારી જયરામ, બેને મોકલિયા લોજગામ;
કહ્યું જૈને તમે ત્યાં ઠરજો, અન્નકૂટનો સામાન કરજો. 9
ધનતેરશ આવશે જયારે, અમે ત્યાં આવશું તેહ વારે;
સંત સાંભળી ચાલ્યા ઉમંગે, ત્યાંના સતસંગી પણ ગયા સંગે. 10
જૈને સામાન સર્વ કરાવ્યો, ત્યાં તો દ્વાદશીનો દિન આવ્યો;
કર્યું પારણું શ્રીઘનશામે, પછી પરવરિયા લોજ ગામે. 11
ધનતેરશ ત્યાં કરી ધીર, પૂજયા ચૌદશે હનુમંત વીર;
પૂરી દીપોત્સવે દીપમાળ, રીઝ્યા જનશિર દીનદયાળ. 12
અન્નકૂટ તણો દિન આવ્યો, ભલો તે હરિજન મન ભાવ્યો;
કર્યો ગોમય ગોવરધન, કર્યું પ્રેમથી તેનું પૂજન. 13
પૂર્યા પાક શાક પકવાન, કરે મુનિજન હરિગુણ ગાન;
વાજે ભુંગળ તાળ મૃદંગ, સૌને આનંદ ઉપજયો અંગ. 14
જમ્યા સંત ને શ્રીગિરધારી, પછી સાંજે સભા સજી સારી;
હતા પરદેશી સંઘ અપાર, બેઠા સર્વે સભાની મોઝાર. 15
પૂર્વછાયો:-
એવે સમે એક વાણિયો, જેનો દિવબંદરમાં વાસ;
આવ્યો પ્રભુની આગળે, હવે એનો કહું ઇતિહાસ.16
ચોપાઈ:-
દિવબંદરનો રહેનાર, કરે વાજાણવટીનો વેપાર;
એક અવસરે તેહનું વાજાણ, લાગ્યું ડૂબવા મધ્ય મેજારાણ. 17
ઘણો તેમાં ભર્યો હતો માલ, તેની ચિંતા થઇ તેહ કાળ;
વાજાણ બૂડશે તો માલ જાશે, મારા જીવનું જોખમ થાશે. 18
એવું જાણીને જોડિયા હાથ, દિલે સંભાર્યા દ્વારિકાનાથ;
કહ્યું હે પ્રભુ ઊગારો અમને, અર્ધ ભાગ હું અર્પિશ તમને. 19
કૃષ્ણની એવી માનતા કરી, તે તો વાજાણ આવ્યું તીરે તરી;
માલ વેચી તેનું નાણું કીધું, પોતે અર્ધ એમાં થકી લીધું. 20
અર્ધ રણછોડજી આગે ધરવા, ચાલ્યો દ્વારકા તીરથ કરવા;
આવ્યો સોરઠ દેશમાં જયારે, તેણે વાત એવી સુણી ત્યારે. 21
આજ છે ગામ લોજ મોઝાર, રામાનંદ પ્રભુ અવતાર;
ઇચ્છા અંતરમાં એવી થઇ, મળું તેને હું લોજમાં જઇ. 22
પછી આવ્યો રામાનંદ ધામ, પદપદ્મને કીધો પ્રણામ;
શેઠ બેઠા સભામધ્ય જયારે, તર્ત બોલ્યા રામાનંદ ત્યારે. 23
તમે વાજાણનો કીધો વેપાર, ડુબતા હતા દરિયા મોઝાર;
પછી કૃષ્ણની માનતા કરી, એથી આવ્યા છો આપ ઊગરી. 24
એમ કહીને વળી સાક્ષાત, એના અંતરની કહી વાત;
સુણી નિશ્ચે થયો નિરધાર, આ તો ઇશ્વરનો અવતાર. 25
જાણ્યું દ્વારિકાં છેજ આ ઠામ, દીધાં વાવરી સર્વે દામ;
જમાડ્યા દ્વિજ સંતસમાજ, કાંઇ આપ્યું સદાવ્રત કાજ. 26
જાત્રા ત્યાં જ કરી રુડી પેર, ગયો પાછો તે પોતાને ધેર;
રામાનંદ જાણી ભગવાન, ભજે તેને ધરે તેનું ધ્યાન. 27
એમ કરતાં વરષ કાંઇ વીત્યાં, તજયો દેહ રામાનંદજી ત્યાં;
તેને પાટે બેઠા પ્રભુ જયારે, સુણી વારતા તે સાહુકારે. 28
સુણ્યો શ્રીજીનો પરમ પ્રતાપ, રામાનંદથી અધિક અમાપ;
ધરી અંતરે દર્શન આશ, આવ્યો લોજમાં શ્રીપ્રભુ પાસ. 29
જાણ્યું અંતરની કહે વાત, તો હું માનું પ્રભુ સાક્ષાત;
પગે લાગી બેઠો સભામાંય, હતો બાળક બેઠેલો ત્યાંય. 30
વર્ષ પાંચની ઉમ્મર હતી, તેની પ્રત્યે બોલ્યા મુનિપતી;
કહો શેઠના મન તણી વાત, કેવા ઘાટ ઘડે છે તે ભ્રાત. 31
પછી શેઠના મનમાં જે હતું, તે તો બાળકે ત્યાં કર્યું છતું;
વાત સરવ કહી વિસ્તારી, ભાસ્યું શેઠને અચરજ ભારી. 32
હરિને કહ્યું જોડીને હાથ, સરવેશ તમે સત્ય નાથ;
રામાનંદ તો અન્તરજામી, હતા પોતે તેમાં નહિ ખામી. 33
આપના શિષ્ય બાળક જેવા, દિસે અંતરજામી તો એવા;
તમે સરવોપરી પરમેશ, તેમાં સંશય નહીં લવલેશ. 34
દીઠા બાળકમાં ગુણ એવા, હશે મોટા સમર્થ તો કેવા;
મોટા હરિજન ને મોટા સંત, હશે તેમાં તો શકિત અનંત.35
સુણી બોલ્યા શ્રીહરિ આપ, કહું મોટાનો કેવો પ્રતાપ;
જાણે ભૂત ભવિષ્યની વાત, કહે પર મનની સાક્ષાત. 36
વળી પરને સમાધિ કરાવે, સમાધિમાંથી દેહમાં લાવે;
ભલાં દેખાડે ભગવતધામ, એવાં એવાં કરી શકે કામ. 37
સુણી શેઠ તે આશ્રિત થયો, પછી ગામ પોતાતણે ગયો;
જપે સ્વામિનારાયણ નામ, ધરે ધ્યાન ઠરી એક ઠામ. 38
એમ વર્ષ વિત્યાં ત્રણ્ય ચાર, પછી તેણે તજયો સંસાર;
દીધી દીક્ષા તેને સુખકંદ, પાડ્યું નામ ભલું પ્રભાનંદ. 39
કરે શ્રીહરિ એવાં ચરિત્ર, સુણી પાપીયે થાય પવિત્ર;
માટે ગાતાં ને સુણતાં સદાય, મોટા મુકત તો તૃપ્ત ન થાય.40
પૂર્વછાયો:-
એક સમે લોજ ગામમાં, એક વેરાગી શીતળદાસ;
આવ્યો તે શ્રીહરિ આગળે, હવે એનો કહું ઇતિહાસ.41
ચોપાઈ:-
રામાનંદસ્વામી હતા જયારે, તીર્થવાસી બે વેરાગી ત્યારે;
આવ્યા રામાનંદસ્વામી પાસ, રહ્યા મંદિરમાં એક માસ. 42
ગુરુ જાનકીદાસ છે બેમાં, શિષ્ય શીતળદાસ છે તેમાં;
એક પુસ્તક પોતાનું જેહ, સોપ્યું ત્યાંના કોઠારીને તેહ. 43
કહ્યું તીરથ કરવાને જૈશું, પોથી વળતાં અમે પાછી લૈશું;
પછી દ્વારિકાની વાટે ચડિયા, ગુરુ મારગમાં માંદા પડિયા. 44
એક નગરમાં કીધો નિવાસ, ગુરુ માંદા રહ્યા ઘણા માસ;
કાળ તેનો તે નગરમાં થયો, પછી શિષ્ય તે દ્વારકા ગયો. 45
આવ્યો વળતાં ફરી લોજ ગામ, જહાં રાજે છે શ્રીઘનશામ;
નમી બેઠો સભામધ્ય આવી, ગુરુ મરણની વાત સુણાવી. 46
માગ્યું પોતાનું પુસ્તક જયારે, આપ્યું કોઠારીએ લાવી ત્યારે;
છોડી પુસ્તક જોયું તપાશી, દીઠી ડાબલી મૂકેલી વાશી. 47
સભા માંહી તે ઉઘાડી જયારે, દીઠું અદ્ભુત અચરજ ત્યારે;
માંહી અરધો રુપૈયો દેખાણો, કણો સાપનો તેને વીંટાણો. 48
ગુરુની રહી વાસના એમાં, તેથી સર્પ થઇ બેઠો તેમાં;
જળ છાંટ્યું તેને મુનિ ભૂપે, તજી દેહ થયો દિવ્યરૂપે. 49
પ્રભુને પદ કીધો પ્રણામ, ઘણી વિનતિ કરી એહ ઠામ;
વળી ઉચાર્યું નિજ વૃત્તાંત, ભાંગી સર્વના મનની ભ્રાંત. 50
એને આજ્ઞા કરી ઘનશામે, ગયો તેથી તે ગોલોક ધામે;
દીનબંધુ દયાસિંધુ એવા, કહો કોણ ધરમસુત જેવા ! 51
એનું અધમઉદ્ધારણ નામ, નકી જાણ્યું જનોએ તે ઠામ;
પછી શ્રીહરિએ સઉ પાસ, કહ્યું વાસના કરજો વિનાશ. 52
વાસના તજવા વિષે:- ઉપજાતિવૃત્ત:-
જયાં વાસના જેની જરી રહે છે, તે જન્મ તો ત્યાં જઇને લહે છે;
માટે થજો સૌ નિરવાસનીક, જો જન્મમૃત્યુ તણી હોય બીક.53
અર્ધો રુપૈયો અતિ તુચ્છ આતો, વૈરાગીની જો રહિ વાસના તો;
જે કોઇ પાસે ધન છે હજારો, એનો થશે કેમ કરી ઉગારો ? 54
જે ભકતને કારણ અંતકાળે, આવે પ્રભુ તે જન કૈંક ભાળે;
જો વાસના કોઇ વિષે વસાય, પ્રભુની સાથે પણ તે ન જાય.55
ગૃહસ્થ ને ત્યાગી સમસ્ત ભકત, થશો નહિ માયિકામાં પ્રસકત;
જો રાજય છે બંધનકારી જેવું, છે તુંબડું બંધનકારી તેવું. 56
રહે રસાસ્વાદની વાસનાય, તે તો કીડા તે રસના જ થાય;
નિઃસ્વાદી થાજો નર સર્વ નારી, ભવિષ્યનું દુઃખ દિલે વિચારી. 57
અનંત કોટી જુગ સ્વાદ ચાખ્યો, નથી અબોટ્યો રસ કોઇ રાખ્યો;
તથાપિ જો તૃપ્તિ થઇ ન ભાસે, તો આ ભવે શું મન તૃપ્ત થાશે ? 58
જો કામકેરી રહી વાસનાય, તો મૂત્રવિષ્ઠા કૃમિ દેહ થાય;
દુર્વાસના તો દિલમાંથી ત્યાગો, જો મુકત થઇ અક્ષરધામ માગો. 59
મનુષ્યનું આયુષ્ય અલ્પ કાળ, કાપે સદા તે પણ કાળવ્યાળ;
ચેતી શકો તો ચિત માંહી ચેતો, થશે પછીથી નહિ તો ફજેતો. 60
પુષ્પિતાગ્રાવૃત્ત:-
હરિ અતિ શુભ વાત એવી કીધી, સુણી સતસંગી સમસ્ત ધારી લીધી;
તૃણવત સુખ સ્વર્ગનાય જાણે, નરસુખ કેમ કદાપિ ઊર આણે.61
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિલોજગ્રામે અન્નકૂટોત્સવકરણનામા એકાદશો વિશ્રામઃ ।।11।।