પૂર્વછાયો:-

ઓગણસાઠની સાલની, આવી દિવાળી ઢુંકડી જયાંય;

લોજના હરિજન તેડવા, આવ્યા શ્રીહરિ આગળ ત્યાંય.1

ચોપાઈ:-

કાળવાણીમાં કૃષ્ણ બિરાજે, આવ્યા હરિજન તેડવા કાજે;

કર જોડીને વાણી ઉચ્ચારી, સુણો અરજ અમારી મુરારી. 2

આદિસ્થાન રામાનંદ કેરું, લોજધામ છે જૂનું ઘણેરું;

જેમાં પ્રથમ પધારીને આપ, મુનિ મુકતનો કીધો મેળાપ. 3

ગાદી પામ્યા પછી કોઇ વાર, તમે આવ્યા નથી એહ ઠાર;

અન્નકૂટ ત્યાં આવીને કરો, અરજી એટલી ઉર ધરો. 4

સુણી બોલિયા શ્રીમહારાજ, સુણો સૌ સતસંગી સમાજ;

કાળવાણીના જે હરિજન, અમે આપ્યું છે તેને વચન. 5

એક આવે પ્રબોધિની જેહ, અહીં કરશું સમૈયો તેહ;

માટે શી રીતે અહિંથી જવાય ? મારું વેણ મિથ્યા કેમ થાય ? 6

સતસંગી બોલ્યા સુણી વાણી, પ્રભુ સાંભળો સારંગપાણી;

અન્નકૂટ કરો લોજ માંહી, પછી કરજો પ્રબોધિની આંહીં. 7

વાત શ્રીહરિને લાગી સારી, મોકલ્યા સંત ને બ્રહ્મચારી;

હતા પ્રથમ રામાનંદ પાસ, સાધુ તે રામચરણદાસ. 8

સાથે બ્રહ્મચારી જયરામ, બેને મોકલિયા લોજગામ;

કહ્યું જૈને તમે ત્યાં ઠરજો, અન્નકૂટનો સામાન કરજો. 9

ધનતેરશ આવશે જયારે, અમે ત્યાં આવશું તેહ વારે;

સંત સાંભળી ચાલ્યા ઉમંગે, ત્યાંના સતસંગી પણ ગયા સંગે. 10

જૈને સામાન સર્વ કરાવ્યો, ત્યાં તો દ્વાદશીનો દિન આવ્યો;

કર્યું પારણું શ્રીઘનશામે, પછી પરવરિયા લોજ ગામે. 11

ધનતેરશ ત્યાં કરી ધીર, પૂજયા ચૌદશે હનુમંત વીર;

પૂરી દીપોત્સવે દીપમાળ, રીઝ્યા જનશિર દીનદયાળ. 12

અન્નકૂટ તણો દિન આવ્યો, ભલો તે હરિજન મન ભાવ્યો;

કર્યો ગોમય ગોવરધન, કર્યું પ્રેમથી તેનું પૂજન. 13

પૂર્યા પાક શાક પકવાન, કરે મુનિજન હરિગુણ ગાન;

વાજે ભુંગળ તાળ મૃદંગ, સૌને આનંદ ઉપજયો અંગ. 14

જમ્યા સંત ને શ્રીગિરધારી, પછી સાંજે સભા સજી સારી;

હતા પરદેશી સંઘ અપાર, બેઠા સર્વે સભાની મોઝાર. 15

પૂર્વછાયો:-

એવે સમે એક વાણિયો, જેનો દિવબંદરમાં વાસ;

આવ્યો પ્રભુની આગળે, હવે એનો કહું ઇતિહાસ.16

ચોપાઈ:-

દિવબંદરનો રહેનાર, કરે વાજાણવટીનો વેપાર;

એક અવસરે તેહનું વાજાણ, લાગ્યું ડૂબવા મધ્ય મેજારાણ. 17

ઘણો તેમાં ભર્યો હતો માલ, તેની ચિંતા થઇ તેહ કાળ;

વાજાણ બૂડશે તો માલ જાશે, મારા જીવનું જોખમ થાશે. 18

એવું જાણીને જોડિયા હાથ, દિલે સંભાર્યા દ્વારિકાનાથ;

કહ્યું હે પ્રભુ ઊગારો અમને, અર્ધ ભાગ હું અર્પિશ તમને. 19

કૃષ્ણની એવી માનતા કરી, તે તો વાજાણ આવ્યું તીરે તરી;

માલ વેચી તેનું નાણું કીધું, પોતે અર્ધ એમાં થકી લીધું. 20

અર્ધ રણછોડજી આગે ધરવા, ચાલ્યો દ્વારકા તીરથ કરવા;

આવ્યો સોરઠ દેશમાં જયારે, તેણે વાત એવી સુણી ત્યારે. 21

આજ છે ગામ લોજ મોઝાર, રામાનંદ પ્રભુ અવતાર;

ઇચ્છા અંતરમાં એવી થઇ, મળું તેને હું લોજમાં જઇ. 22

પછી આવ્યો રામાનંદ ધામ, પદપદ્મને કીધો પ્રણામ;

શેઠ બેઠા સભામધ્ય જયારે, તર્ત બોલ્યા રામાનંદ ત્યારે. 23

તમે વાજાણનો કીધો વેપાર, ડુબતા હતા દરિયા મોઝાર;

પછી કૃષ્ણની માનતા કરી, એથી આવ્યા છો આપ ઊગરી. 24

એમ કહીને વળી સાક્ષાત, એના અંતરની કહી વાત;

સુણી નિશ્ચે થયો નિરધાર, આ તો ઇશ્વરનો અવતાર. 25

જાણ્યું દ્વારિકાં છેજ આ ઠામ, દીધાં વાવરી સર્વે દામ;

જમાડ્યા દ્વિજ સંતસમાજ, કાંઇ આપ્યું સદાવ્રત કાજ. 26

જાત્રા ત્યાં જ કરી રુડી પેર, ગયો પાછો તે પોતાને ધેર;

રામાનંદ જાણી ભગવાન, ભજે તેને ધરે તેનું ધ્યાન. 27

એમ કરતાં વરષ કાંઇ વીત્યાં, તજયો દેહ રામાનંદજી ત્યાં;

તેને પાટે બેઠા પ્રભુ જયારે, સુણી વારતા તે સાહુકારે. 28

સુણ્યો શ્રીજીનો પરમ પ્રતાપ, રામાનંદથી અધિક અમાપ;

ધરી અંતરે દર્શન આશ, આવ્યો લોજમાં શ્રીપ્રભુ પાસ. 29

જાણ્યું અંતરની કહે વાત, તો હું માનું પ્રભુ સાક્ષાત;

પગે લાગી બેઠો સભામાંય, હતો બાળક બેઠેલો ત્યાંય. 30

વર્ષ પાંચની ઉમ્મર હતી, તેની પ્રત્યે બોલ્યા મુનિપતી;

કહો શેઠના મન તણી વાત, કેવા ઘાટ ઘડે છે તે ભ્રાત. 31

પછી શેઠના મનમાં જે હતું, તે તો બાળકે ત્યાં કર્યું છતું;

વાત સરવ કહી વિસ્તારી, ભાસ્યું શેઠને અચરજ ભારી. 32

હરિને કહ્યું જોડીને હાથ, સરવેશ તમે સત્ય નાથ;

રામાનંદ તો અન્તરજામી, હતા પોતે તેમાં નહિ ખામી. 33

આપના શિષ્ય બાળક જેવા, દિસે અંતરજામી તો એવા;

તમે સરવોપરી પરમેશ, તેમાં સંશય નહીં લવલેશ. 34

દીઠા બાળકમાં ગુણ એવા, હશે મોટા સમર્થ તો કેવા;

મોટા હરિજન ને મોટા સંત, હશે તેમાં તો શકિત અનંત.35

સુણી બોલ્યા શ્રીહરિ આપ, કહું મોટાનો કેવો પ્રતાપ;

જાણે ભૂત ભવિષ્યની વાત, કહે પર મનની સાક્ષાત. 36

વળી પરને સમાધિ કરાવે, સમાધિમાંથી દેહમાં લાવે;

ભલાં દેખાડે ભગવતધામ, એવાં એવાં કરી શકે કામ. 37

સુણી શેઠ તે આશ્રિત થયો, પછી ગામ પોતાતણે ગયો;

જપે સ્વામિનારાયણ નામ, ધરે ધ્યાન ઠરી એક ઠામ. 38

એમ વર્ષ વિત્યાં ત્રણ્ય ચાર, પછી તેણે તજયો સંસાર;

દીધી દીક્ષા તેને સુખકંદ, પાડ્યું નામ ભલું પ્રભાનંદ. 39

કરે શ્રીહરિ એવાં ચરિત્ર, સુણી પાપીયે થાય પવિત્ર;

માટે ગાતાં ને સુણતાં સદાય, મોટા મુકત તો તૃપ્ત ન થાય.40

પૂર્વછાયો:-

એક સમે લોજ ગામમાં, એક વેરાગી શીતળદાસ;

આવ્યો તે શ્રીહરિ આગળે, હવે એનો કહું ઇતિહાસ.41

ચોપાઈ:-

રામાનંદસ્વામી હતા જયારે, તીર્થવાસી બે વેરાગી ત્યારે;

આવ્યા રામાનંદસ્વામી પાસ, રહ્યા મંદિરમાં એક માસ. 42

ગુરુ જાનકીદાસ છે બેમાં, શિષ્ય શીતળદાસ છે તેમાં;

એક પુસ્તક પોતાનું જેહ, સોપ્યું ત્યાંના કોઠારીને તેહ. 43

કહ્યું તીરથ કરવાને જૈશું, પોથી વળતાં અમે પાછી લૈશું;

પછી દ્વારિકાની વાટે ચડિયા, ગુરુ મારગમાં માંદા પડિયા. 44

એક નગરમાં કીધો નિવાસ, ગુરુ માંદા રહ્યા ઘણા માસ;

કાળ તેનો તે નગરમાં થયો, પછી શિષ્ય તે દ્વારકા ગયો. 45

આવ્યો વળતાં ફરી લોજ ગામ, જહાં રાજે છે શ્રીઘનશામ;

નમી બેઠો સભામધ્ય આવી, ગુરુ મરણની વાત સુણાવી. 46

માગ્યું પોતાનું પુસ્તક જયારે, આપ્યું કોઠારીએ લાવી ત્યારે;

છોડી પુસ્તક જોયું તપાશી, દીઠી ડાબલી મૂકેલી વાશી. 47

સભા માંહી તે ઉઘાડી જયારે, દીઠું અદ્ભુત અચરજ ત્યારે;

માંહી અરધો રુપૈયો દેખાણો, કણો સાપનો તેને વીંટાણો. 48

ગુરુની રહી વાસના એમાં, તેથી સર્પ થઇ બેઠો તેમાં;

જળ છાંટ્યું તેને મુનિ ભૂપે, તજી દેહ થયો દિવ્યરૂપે. 49

પ્રભુને પદ કીધો પ્રણામ, ઘણી વિનતિ કરી એહ ઠામ;

વળી ઉચાર્યું નિજ વૃત્તાંત, ભાંગી સર્વના મનની ભ્રાંત. 50

એને આજ્ઞા કરી ઘનશામે, ગયો તેથી તે ગોલોક ધામે;

દીનબંધુ દયાસિંધુ એવા, કહો કોણ ધરમસુત જેવા ! 51

એનું અધમઉદ્ધારણ નામ, નકી જાણ્યું જનોએ તે ઠામ;

પછી શ્રીહરિએ સઉ પાસ, કહ્યું વાસના કરજો વિનાશ. 52

વાસના તજવા વિષે:- ઉપજાતિવૃત્ત:-

જયાં વાસના જેની જરી રહે છે, તે જન્મ તો ત્યાં જઇને લહે છે;

માટે થજો સૌ નિરવાસનીક, જો જન્મમૃત્યુ તણી હોય બીક.53

અર્ધો રુપૈયો અતિ તુચ્છ આતો, વૈરાગીની જો રહિ વાસના તો;

જે કોઇ પાસે ધન છે હજારો, એનો થશે કેમ કરી ઉગારો ? 54

જે ભકતને કારણ અંતકાળે, આવે પ્રભુ તે જન કૈંક ભાળે;

જો વાસના કોઇ વિષે વસાય, પ્રભુની સાથે પણ તે ન જાય.55

ગૃહસ્થ ને ત્યાગી સમસ્ત ભકત, થશો નહિ માયિકામાં પ્રસકત;

જો રાજય છે બંધનકારી જેવું, છે તુંબડું બંધનકારી તેવું. 56

રહે રસાસ્વાદની વાસનાય, તે તો કીડા તે રસના જ થાય;

નિઃસ્વાદી થાજો નર સર્વ નારી, ભવિષ્યનું દુઃખ દિલે વિચારી. 57

અનંત કોટી જુગ સ્વાદ ચાખ્યો, નથી અબોટ્યો રસ કોઇ રાખ્યો;

તથાપિ જો તૃપ્તિ થઇ ન ભાસે, તો આ ભવે શું મન તૃપ્ત થાશે ? 58

જો કામકેરી રહી વાસનાય, તો મૂત્રવિષ્ઠા કૃમિ દેહ થાય;

દુર્વાસના તો દિલમાંથી ત્યાગો, જો મુકત થઇ અક્ષરધામ માગો. 59

મનુષ્યનું આયુષ્ય અલ્પ કાળ, કાપે સદા તે પણ કાળવ્યાળ;

ચેતી શકો તો ચિત માંહી ચેતો, થશે પછીથી નહિ તો ફજેતો. 60

પુષ્પિતાગ્રાવૃત્ત:-

હરિ અતિ શુભ વાત એવી કીધી, સુણી સતસંગી સમસ્ત ધારી લીધી;

તૃણવત સુખ સ્વર્ગનાય જાણે, નરસુખ કેમ કદાપિ ઊર આણે.61

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિલોજગ્રામે અન્નકૂટોત્સવકરણનામા એકાદશો વિશ્રામઃ ।।11।।