પૂર્વછાયો:-

સ્વામી રામાનંદ વળી કહે, સુણો હરિજન સંત સુજાણ;

પ્રથમ હું કહેતો હતો, તમ આગળ એવી વાણ્ય. 1

ચોપાઈ:-

હું તો લાવ્યો ગણેશનો વેષ, ખેલ કરનાર છે જે વિશેષ;

તે તો પાછળ છે આવનાર, એ જ જાણો આ ધર્મકુમાર. 2

એ તો પુરુષ છે અકળ અનાદી, માટે એને જ સોંપવી ગાદી;

મુકતાનંદ આદિક સહુ સંત, સુણી રાજી થયા તે અત્યંત.3

વળી બોલ્યા રામાનંદસ્વામી, તમે સાંભળો સૌ નિષ્કામી;

અભિમાની આ રઘુનાથદાસ, ઘણી કરશે ઉપાધિ પ્રકાશ. 4

અમે જાશું સ્વધામમાં જયારે, ઉપદ્રવ કરશે અતિ ત્યારે;

તમે સઉ રહેજો સાવચેત, તેની સાથે ન થાશો ફજેત. 5

નથી સત્સંગમાં રહેનાર, રાખજો રહે તેટલી વાર;

પછી સાંજ સમો થયો જયારે, સભા સંત તણી થઇ ત્યારે. 6

મળ્યા મોટા મોટા મુનિજન, સભામાં બેઠા ધર્મનંદન;

રામાનંદ બોલ્યા સાક્ષાત, નારાયણમુનિ સાંભળો વાત. 7

હરિજન જે ગૃહસ્થ કે ત્યાગી, નર નારી દૈવી બડભાગી;

સૌને સદ્ધર્મ નિયમ પળાવા, તમે સમરથ છો ગુરુ થાવા. 8

માટે માનીને મારું વચન, મારે સ્થાન બેસો ભગવન;

મારી ગાદીલાયક લીધા જોઇ, બીજા તમ વિના દિઠા ન કોઇ.9

થયું દર્શન જયાંથી તમારું, ત્યારથી મન માન્યું છે મારું;

વિનંતિ મારી અંતર ધરો, પરિપૂર્ણ ઇચ્છા મારી કરો. 10

સુણી બોલ્યા નારાયણસ્વામી, નિજશિર ગુરુને પદ નામી;

ધનસ્ત્રીનો પ્રસંગ છે જેહ, અતિ બંધનકારી છે એહ. 11

એમ શાસ્ત્ર સકળ ઉચરે છે, માટે મન મારું તેથી ડરે છે;

રામાનંદ કહે બડભાગી, તમે છો અતિ તીવ્ર વૈરાગી. 12

તે તો હું મારા મનમાં જાણું છું, પણ એવો વિચાર આણું છું;

મારા ધર્મની ધુર શકે રાખી, એવો કોઇ નથી તમ પાખી. 13

હોય સુવર્ણના જો અંબાર, હોય નારી હજારો હજાર;

તોયે તમને ન બંધન થાય, તમે તો નિરલેપ સદાય. 14

જેમ છે પંચભૂતનો વાસ, તોય નિર્લેપ છે આકાશ;

જેમ જળધિમાં વડવાનળ, નિરલેપ રહે છે સબળ. 15

તમે છો પ્રભુ નિર્લેપ તેવા, તમને અમે જાણીયે એવા;

સર્વે ત્યાગિયોનું હિત ધારી, ધર્યું નૈષ્ઠિક વ્રત બ્રહ્મચારી. 16

નારાયણ તમે છો નિરધાર, તમને તો નડે ન વિકાર;

સ્વામીના શબ્દ સાંભળી એવા, કહી હા હરિયે ધુર લેવા. 17

રામાનંદ સુણી થયા રાજી, બોલાવ્યા મોટા જોશી બાવાજી;

સારું મૂહુર્ત ત્યાં જોવરાવ્યું, પ્રબોધિનીને દિવસે તે આવ્યું. 18

કંકોતરિયો લખી દેશદેશ, તેડાવ્યા હરિજનને અશેષ;

કેવી રીતે લખ્યું તે લખાણ, કહું સાંભળો સર્વ સુજાણ. 19

કંકોતરીનું ધોળ :-

કંકુ ધોળી લખાવી કંકોતરી, વસે હરિજન દેશ વિદેશ…અવસર રૂડો આવિયો.

નામ ઠામ ને ગામ લખાવીયાં, વળી ઉપમા લખાવી વિશેષ…અવસર 20

હરિભકત ભલાં ભાઇ બાઇયો, બાળ તરૂણ વળી વૃદ્ધ જેહ…અવસર

જેની લગની લાગી છે શ્રી કૃષ્ણમાં, તમે સહુ જન જાણજો તેહ…અવસર 21

જેતપરથી લખે રામાનંદજી, વાંચો અચળ અમારી આશીષ…અવસર

એક સારા સમાચાર જાણજો, આજ ત્રૂઠિયા અક્ષર ઇશ…અવસર 22

નારાયણમુનિ જેહનું નામ છે, જેમાં ઉત્તમ ગુણ છે અપાર…અવસર

તેને સત્સંગની શુભ ગાદીનો, અમે આપશું સૌ અધિકાર…અવસર 23

ગયાં વિક્રમ વરસ અઢારસેં, અઠ્ઠાવનની છે સાલ વિખ્યાત…અવસર

તિથિ કાર્તિક શુકલ એકાદશી, આવ્યું મુહુરત અતિ અવદાત…અવસર 24

સહ કુટુંબ તમે સર્વ આવજો, સગા સ્નેહિને લાવજો સંગ…અવસર

એ છે ઉત્સવ ઉત્તમ સર્વથી, એ છે ઉત્તમ સૌથી ઉમંગ…અવસર 25

સ્વર્ગલોકથી સુર સર્વ આવશે, વળી ઇંદ્ર ઇંદ્રાણી સહિત…અવસર

બ્રહ્મા સાવિત્રી પણ સત્યલોકથી, આવશે ધરી પૂરણ પ્રીત…અવસર 26

શૈલ કૈલાસથી શંભુ આવશે, સાથે લાવશે ગૌરી ગણેશ…અવસર

નિજપત્નિયો સહિત પધારશે, શશી શેષ ધનેશ દિનેશ…અવસર 27

સનકાદિક મુનિવર સૌ મળી, આવશે ધરી હૈયામાં હેત…અવસર

મહામુકત જે અક્ષરધામના, આવશે સર્વ શકિત સમેત…અવસર 28

નિધિ નવ અને અષ્ટ મહાસિદ્ધિ, તે તો આવશે પ્રગટ પ્રમાણ…અવસર

મૂર્તિમાન ચારે વેદ આવીને, અતિ કરશે ઉત્સવનાં વખાણ…અવસર 29

પત્ર વાંચી તમે તરત આવજો, ઘડી એકની કરશો ન વાર…અવસર

તમો આવ્યે મંડપ સારો શોભશે, તમો આવ્યે આનંદ અપાર…અવસર 30

લખ્યું થોડું ઘણું કરી માનજો, તમે છો સર્વ બુદ્ધિ વિશાળ…અવસર

તમો ઊપર હૃદયમાં રીઝશે, વાજાલો વિશ્વવિહારીલાલ…અવસર 31

ચોપાઈ:-

લખી કંકોતરી એવી રીતે, શિરનામ લખ્યાં પુરી પ્રીતે;

જીવા જોશી રહે જેતપર, બીજા તો ભટ અજરામર;

ત્રીજા વામન ગોર બોલાવી, કંકોતરીયો તો તેને અપાવી. 32

શ્લોક :-

રામાનંદ કહે વિપ્રો, જરા હામ ધરી જજો;

બધે જૈ ઝટ આવ્યાની, હા કહીને પથે થજો. 33

એક વિપ્ર બોલ્યો સર્વતોભદ્ર :-

ઉત્તર ।। જ રા હા મ મ હા રા જ ।।

।। રા ખ શું જ જ શું ખ રા ।।

।। હા શું મ હા હા મ શું હા ।।

।। મ જ હા મ મ હા જ મ ।।34

ચોપાઈ:-

ગયા વિપ્ર કહી મુખે એમ, ચાલ્યા વેગે પવન ચાલે જેમ;

ઘણો પંથ કરી દાડી દાડી, કંકોતરિયો બધે પહોંચાડી. 35

રામાનંદે રુદેમાં વિચાર્યું, મોટામોટાને પૂછવા ધાર્યું;

પૂછી મોટાને કામ કરાય, તે તો સર્વોપરી શુભ થાય.36

પંચને પૂછીને કામ કરવા વિષે :- ઉપજાતિવૃત્ત:-

જો ધારિયે કારજ કોઇ ઊર, ડાહ્યા જનોને પૂછિયે જરૂર;

મળે ઘણાની મતિ જેહ ઠામ, તો થાય છે ઉત્તમ તેહ કામ. 37

વહે જહાં એક જ કોસ પાણી, બે કોસનું તેથી વિશેષ જાણી;

વિશેષ કોસે વધતું જણાય, વારી વધ્યે કામ વિશેષ થાય.38

વિચાર ઝાઝા જનના જણાય, તે સૌ મળે તો શુભ કામ થાય;

તે રાજનીતિતણું છે પ્રમાણ, જડો ન જાણે સમઝે સુજાણ. 39

વિભીષણાદિક રુડા પ્રધાન, વજ્રાંગ ને અંગદ બુદ્ધિમાન;

ઇત્યાદિની રામ સલાહ લેતા, પોતે હતા તો બહુ નીતિવેત્તા. 40

જે વૃદ્ધ જાતે વળી ધર્મવાળા, જેની વળી બુદ્ધિ બહુ વિશાળા;

સ્વભાવ ગંભીર જણાય જેનો, લૈયે સદા પૂછી વિચાર તેનો. 41

પૂછી કરેલું કદી ખોટું થાય, તો દોષ સૌને શિર તે ગણાય;

તે એકની ભૂલ જનો ન ભાખે, ઇચ્છા હરિની ગણિ શાંતિ રાખે. 42

પોતાની બુદ્ધિનું ધરી ગુમાન, પૂછ્યા વિના કામ કરે નિદાન;

પસ્તાય પૂરો પછી કોઇ કાળે, સમૃદ્ધિ સર્વે નિજકેરી ટાળે. 43

ડાહ્યા ઘણાના મત પૂછી લીજે, થોડા કહે તે મત છોડી દીજે;

ઘણા કહે તે કરિયે જ કામ, છે રાજનીતિનું પ્રમાણ આમ.44

જે કામમાં જેહ નહી સુજાણ, તેને પૂછ્યું તે ન પૂછ્યા પ્રમાણ;

ત્યાગી ન જાણે વ્યવહારનીતિ, ગૃહસ્થ જાણે નહિ ત્યાગીરીતિ. 45

જે રાખવા આપણને જ રાજી, કહે સુણીને મુખ હાજીહાજી;

સુજે જ તેવું ઉચરે ન સામું, તેને પૂછ્યું તે સરવે નકામું. 46

નીતિ વિષે નાગર તો પ્રવીણ, સર્વે કળામાં નહિ એક હીણ;

મળે ભલો નાગર જો પ્રધાન, તો કામ તેનું સુધરે નિદાન.47

ચોપાઈ:-

એવા નાગર ભટ મયારામ, કરી જાણે મોટાં મોટાં કામ;

કદી હોય ત્રીલોકનું રાજ, કરી જાણે તેનું રાજકાજ. 48

માટે તેને બોલાવું હું પાસ, કરું કારજ સર્વ પ્રકાશ;

ભકત પર્વતભાઇ છે એવા, જાતે કણબી છે પૂછવા જેવા. 49

કણબી વડે રાજાનું રાજ, કરી જાણે મોટાં મોટાં કાજ;

કૈંક તો એમાં હોય છે એવા, મોટા ભૂપ ઇચ્છે મત લેવા. 50

આપે મોટામોટા અધિકાર, કોઇ દેસાઇ કે પાટીદાર;

કોઇ તો એમાં હોય અમીન, રહે અધિપતિ એને આધીન.51

મોટામોટા થયા પાદશાહ,તે તો લેતા એવાની સલાહ;

તેડું પર્વતભાઇને આજ, પૂછી જોઉં આ કરવાનું કાજ. 52

ભલા ભકત એવા ભીમભાઇ, તેની સમઝણની સરસાઇ;

શેઠ ગોવરધન જે વણીક, માંગરોળના વાસી છે ઠીક. 53

વાત પૂછવા યોગ્ય છે તેહ, તેમાં લેશ નથી જ સંદેહ;

વાણિયામાં વિશેષ વિવેક, કળા વાણિયા માંહી અનેક. 54

વાણિયા વિદ્યા જે નવ ભણ્યો, તે તો ભણ્યો તથાપિ ન ગણ્યો;

હોય વણિકમાં આગમ બુદ્ધિ, તંત તાણે નહિ અંત સુધી. 55

દેશકાળને ઓળખી જાણે, ચાલે સમજીને સમય પ્રમાણે;

એક સમય નીચી મૂછ કરે, દાવ આવ્યે શિરે પગ ધરે. 56

વાણિયે ન કર્યું રાજકાજ, ગયું રાવણનું તેથી રાજ;

હીરજીભાઇ ભુજના સુતાર, એ છે રાજકાજ કરનાર. 57

કળાકુશળ છે સદ્ગુણવાન, મોટા ભૂપ કરે સનમાન;

એ છે ડાજાપણનો દરિયાવ, એને પૂછે સલાહ શ્રીરાવ. 58

જે જે હરિજનનાં લીધાં નામ, અહીં આવ્યા છે દર્શન કામ;

સાધુમાં રામદાસજીભાઇ, મુકતાનંદ મુનિ સુખદાઇ. 59

સાતે બુદ્ધિના સાગર કેવા, સાત સાગર જગતમાં જેવા;

સ્વામીયે નિજપાસે તેડાવ્યા, સુણી આજ્ઞા તે તરત જ આવ્યા. 60

સ્વામી બોલ્યા ધરીને વિવેક, હરિને થશે પટ્ટાભિષેક;

પાંડવે રાજસૂ યજ્ઞ જેવો, કર્યો આ જજ્ઞ પણ થશે એવો. 61

કરવો શતયજ્ઞ સમાન, છૂટે ઇંદ્રનું પણ અભિમાન;

આવશે જનસંઘ અથાહ, માટે તમને પૂછું છું સલાહ. 62

શો શો જોશે તે માંહી સામાન ? કેમ થાશે બધું સમાધાન ?

હવે મુરત ઢુંકડું આવ્યું, નથી સીધું તૈયાર કરાવ્યું. 63

લાખે લેખાં તો લોક ભરાશે, સૌની ચાકરી શી રીતે થાશે ?

નિરવિધ્ન પુરૂં કામ થાય, એવા એવા બતાવો ઉપાય. 64

પુષ્પિતાગ્રાવૃત્ત:-

સુણી ગુરુમુખકેરી સારી વાત, ભલી વિધિ તેહ વિચારી ભકત સાત;

નિજમુખ ઉચર્યા અહો મહીશ, વિગત સહીત હવે તને કહીશ. 65

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિપટ્ટાભિષેક-પ્રારંભનામા વિંશતિતમો વિશ્રામઃ ।।20।।