પૂર્વછાયો:-
વાળા તણા જેતપુર વિષે, રામાનંદ સ્વામીયે જેહ;
સોંપી ગાદી જે શ્રીહરિને, કથા કહું હવે તેહ. 1
ચોપાઈ:-
રામાનંદનાં દર્શન કરવા, હરિને જોઇ હૈયામાં ઠરવા;
આવ્યા હરખથી ઉન્નડરાય, નમ્યા પ્રેમથી બેયને પાય. 2
રામાનંદે તે રાયની પાસ, કર્યા ગુણ શ્રીહરિના પ્રકાશ;
વળી વિવિધ પ્રકારે વખાણ્યા, તોયે રાયે જથાર્થ ન જાણ્યા. 3
બેઠો હતો ત્યાં રધુનાથદાસ, સુણતાં થયો તે તો ઉદાસ;
રામજશ સુણી રાવણ જેમ, દાઝ્યો હતો તે દાઝ્યો તેમ. 4
કાંઇ માર્મિક શબ્દ ઉચાર્યો, ત્યારે સ્વામીયે બહુ તેને વાર્યો;
કહ્યું સૂર્ય સામી ધૂળ નાંખે, એ તો આવી પડે નિજ આંખે. 5
સાચું કદી જૂઠું થાય નહિ તે વિષે :- ઉપજાતિવૃત્ત:-
કરે હીરાની અપકીર્તિ કોય, તો મૂલ ઓછું કદીયે ન હોય;
અજ્ઞાનતા તેહ તણી જણાય, મનુષ્યમાં મૂરખ તે ગણાય.6
જો વિશ્વ માંહિ ઘનવૃષ્ટિ થાય, વનસ્પતિ સર્વ સુખી જણાય;
જોતાં જવાસા પ્રજળી જ જાય, વૃષ્ટિ તણો દોષ નહીં ગણાય.7
જે શર્કરાને કડવી કહે છે, તો જાણવું જે જન રોગી તે છે;
મનુષ્ય કોઇ કડવી ન માને, નિંદા કરે નિંદકની નિંદાને. 8
દેખી રવી થાય ઉલૂક અંધ, ભાવે નહીં ભાનુ તણો સબંધ;
નિંદે રવીને થઇ બુદ્ધિ હીનો, ઘટે ન તેથી મહિમા રવીનો. 9
જે સત્ય તે સત્ય સદા જણાશે, અસત્ય તે અંત્યે અસત્ય થાશે;
છુપાવી રાખે કદી કોય છાનું, પ્રસિદ્ધ અંત્યે પળમાં થવાનું. 10
જો રામ ને કૃષ્ણ પ્રભુ હતા તો, ઐશ્વર્યથી આપ થયા છતા તો;
વળી મુવા રાવણ કંસ જેવા, ઘટ્યા ન તેનાથી પ્રતાપ તેવા. 11
સાચો રુપૈયો જગમધ્ય ચાલે, જૂઠો કહેવા જન હામ ઘાલે;
તે મૂર્ખ મોટો જગમાં જણાય, જે સત્ય તે સત્ય સદા ગણાય.12
જો કોઇને પારસ પ્રાપ્ત થાય, તેને તજીને અવગુણ ગાય;
અકર્મિ તે હોય મનુષ્ય માંઇ, તેપાર્શ્વનું મૂલ ઘટે ન કાંઇ.13
જો દુષ્ટમાં લક્ષણ શુદ્ધ દીસે, ભણી ગણી વાદ વદે અતીશે;
તથાપિ તેથી નહિ મોક્ષ થાય, પાષાણને નાવ નહીં તરાય.14
સુલક્ષણો જે જન ધૂર્ત હોય, વેશ્યા ધરે લાજ વિશેષ કોય;
દિસે ભલાં નિર્મળ નીર ખારાં, તથાપિ જાણો ત્રણ તે નઠારાં. 15
પૂર્વછાયો:-
એ રીત્યે રધુનાથદાસને, દીધો ઠપકો રામાનંદ;
પથ્થર પર પાણી પડ્યું, પલળ્યો ન તે મતિમંદ. 16
શરદ પુનમ બીજે દિન થઇ, ત્યારે પોઢી ઉઠીને પ્રભાત;
ભાદરમાં નાવા ગયા, સંતમંડળ લઇ સંઘાત. 17
વાજિંત્ર વાજે વિધવિધે, સંતમંડળ કીર્તન ગાય;
નાવા જતાં રસ્તા વિષે, અતિ આનંદ ઉત્સવ થાય. 18
ઉત્તરમાં ઉંડો ધરો, તેમાં નિર્મળ સુંદર નીર;
સ્નાન કર્યું જનસાથ જઇ, રામાનંદ ને શામશરીર. 19
ત્યાંના ઉન્નડ રાયને, સ્નાન કરતાં જળમોઝાર;
દર્શન શ્રીશેષશાયીનાં, દીધાં દયા કરી તે વાર. 20
જેવી છબી જોઇ જળ વિષે, તેવું દીઠું શ્રીહરિનું રૂપ;
તેથી હરિને જાણિયા, કોટિ બ્રહ્માંડ કેરા ભૂપ. 21
તે પછી વાજતે ગાજતે, આવ્યો ગામમાં સર્વ સમાજ;
પોતાના દરબારમાં, તેડી ગયા ઉન્નડરાજ. 22
વિપ્ર પાસે રંધાવીને, સૌને કરાવિયાં ભોજન;
સાંજે શરદ પૂનમ તણો, કર્યો ઉત્સવ મળી સૌ જન. 23
ચોપાઈ:-
બીજે દિવસે રામાનંદસ્વામી, પોતાને મન આનંદ પામી;
સંત હરિજન મુખ્ય બોલાવ્યા, મુકતાનંદ આદિક સૌ આવ્યા. 24
રામદાસજીભાઇ વિરકત, કારિયાણી તણા માંચો ભકત;
ભીમભાઇ ને પરવતભાઇ, આવ્યા ભટ મયારામ ત્યાંઇ.25
મેજાતા નરસિંહ જે હરિજન, માંગરોળના ગોવરધન;
ઇત્યાદિકને કહે ગુરુ એહ, હવે વૃદ્ધ થયો મુજ દેહ. 26
માટે સતસંગની ધુર સારી, કેને સોંપું કહો તે વિચારી;
બોલ્યા સૌ તે કરીને વિચાર, ધુરયોગ્ય છે ધર્મકુમાર. 27
રામાનંદ બોલ્યા ગુરુરાય, મારો પણ એ જ છે અભિપ્રાય;
મારા હૃદય વિષે જે રહ્યું, તમો સર્વેયે પણ તે કહ્યું. 28
પંચાવન ગુણ હરિના જે છે, સહજાનંદસ્વામીમાં તે છે;
તેની વિગત સુણાવું તમને, જેમ અંતર ભાસે છે અમને. 29
સર્વ પ્રાણિતણું હિત થાય, એવું સત્ય સદા ઉચરાય;
ગુણ સત્ય છે જેહનું નામ, તે તો હરિમાં રહે કરી ધામ. 30
શૌચ ગુણ તે બીજો ગણાય, એનો અર્થ એવો સમઝાય;
રાખે અંતઃકરણને શુદ્ધ, દેહાદિકને રાખે શુદ્ધ બુદ્ધ. 31
પારકું દુઃખ સહન ન થાય, તેનું નામ દયા કહેવાય;
દુઃખ ટાળવાને દિલ ધરે, તન મન ધનથી દુઃખ હરે. 32
ક્રોધ ચડવાનું કારણ હોય, ચિત્ત ક્રોધ ચડે નહિ તોય;
ક્ષાંતિ નામતો તેનું લખાય, ભગવાનમાં તે તો જણાય. 33
વસ્તુ માયિકનો અનાદર, પૂરણકામપણું અંતર;
તેનું નામ તો કહિયે ત્યાગ, રાખે ભાવિક જન બડભાગ.34
નિજ આનંદે પૂર્ણતા રાખે, તેનું નામ તો સંતોષ દાખે;
તન મન વાણી પરને નમે, ગુણ આર્જવ સંતને ગમે. 35
મન પ્રાકૃત વિષયથી વાળે, એ તો શમ ગુણ સંત સંભાળે;
દેહે પ્રાકૃત વિષય ન ઇચ્છે, દમ ગુણ પ્રભુના જન પ્રીછે.36
કૃચ્છ્ર વ્રત આદિ સહેજે કરે, તેનું નામ તો તપ ઉચ્ચરે;
હોય વિષય જે સાર અસાર, પણ માયિકનો તિરસ્કાર. 37
ગુણ સામ્ય તેને કહે સંત, એને ઇચ્છે છે મોટા મહંત;
સુખ દુઃખ સહન જો થાય, તિતિક્ષા ગુણ તે કહેવાય. 38
પ્રયોજન વિના કાંઇ ન કરે, નામ ઉપરતિ તેનું ધરે;
સર્વ શાસ્ત્રનું જ્ઞાન યથાર્થ, શ્રુત ગુણ તણો એજ છે અર્થ. 39
જીવ ઇશ્વરનાં રૂપ જાણે, જ્ઞાન નામ તો તેનું પ્રમાણે;
વિના કૃષ્ણ ન કયાંઇ આસકિત, તેને વેદ વદે છે વિરકિત. 40
જેને વશ સઉ લોક રહે છે, ગુણ ઐશ્વર્ય એજ કહે છે;
નિજકેરા સ્વભાવને જીતે, ગુણ શૌર્ય કહો રુડી રીતે. 41
કોઇથી ન પરાભવ પામે, ગુણ તે તો કહું તેજ નામે;
સર્વ પ્રાણીને નિયમમાં રાખે, ડાહ્યા પુરુષો તેને બળ દાખે. 42
યોગ્ય કામનું અનુસંધાન, સ્મૃતિ નામ કહે વિદવાન;
જેને કોઇની ગરજ ન હોય, ગુણ કહિયે સ્વતંત્રતા સોય.43
કોઇ સર્વક્રિયા કરી જાણે, નામ કૌશલ્ય તેનું પ્રમાણે;
સૌના મન હરે એવું સ્વરૂપ, તેને કાંતિ કહે કવિભૂપ. 44
વેળા વિષમમાં પણ દઢ રહે, ધૈર્ય નામ તેનું કવિ કહે;
જેનું કોમળ ચિત્ત જણાય, ગુણ માર્દવ તે મુનિ ગાય. 45
દિસે સારી વચન ચતુરાઇ, ગુણ પ્રાગલ્ભ્ય તે કહે ભાઇ;
મોટા આગળ વિનયતા રાખે, ગુણ પ્રશ્રય પંડિત ભાખે. 46
સદા દિસે સ્વભાવ જે સારો, શીલ ગુણ એનું નામ ઉચારો;
જુવો મન તણું ડહાપણ જેહ, સહગુણ કહે છે સઉ તેહ. 47
જ્ઞાન ઈંદ્રિયોનું ડહાપણ, એને ઓજ કહો તે આપણ;
કર્મ ઇંદ્રિયોની ચતુરાઇ, બલ ગુણ કહિયે તેને ભાઇ. 48
જ્ઞાનાદિકથી અધિકપણું જેહ, ભગ ગુણ કહે છે મુનિ તેહ;
જેનો મરમ ન જાણે કોય, ગુણ ગાંભીર્યતા તે તો હોય. 49
જેમાં ચંચળતા ન જણાય, ગુણ સ્થૈર્ય એ તો વખણાય;
સતશાસ્ત્ર તણો વિશ્વાસ, એ તો આસ્તિક ગુણનો પ્રકાશ. 50
જેનો જશ જગમાં વિખ્યાત, ગુણ કીર્તિ એ તો સાક્ષાત;
હરિ વિના વદે નહિ વાણી, ગુણ મૌન લેજો એ તો જાણી. 51
ગુણનું અભિમાન ન આણે, ગુણ એ તો અગર્વતા જાણે;
દુરહંકાર નહિ એકે આની, એ તો ગુણ કહિયે નિરમાની. 52
કોઇને કદી નહિ ઠગનાર, નિરદંભી તે તો નરનાર;
મિતાહાર તે અલ્પ આહાર, દક્ષ હિતઉપદેશ દેનાર. 53
સૌને વિશ્વાસલાયક થાય, એ તો મૈત્રી સુગુણ કહેવાય;
જેહ સર્વનો ઉપકાર કરે, તે તો સર્વોપકારીજ ઠરે. 54
અનાયાસે વિષય પ્રાપ્ત થાય, તોય તેમાં તે નહિ બંધાય;
અક્ષોભિતતા કહે છે તેને, ધન્ય ધન્ય એવા ગુણ જેને. 55
તન મનથી કે વાણીએ કરી, કોઇને પીડા નવ કરે જરી;
એનું નામ તો અદ્રોહ જાણો, ગુણ ઉત્તમ તે ઉર આણો. 56
યથાયોગ્ય જે સન્માન દેય, માનદત્વ એ તો ગુણ છેય;
ષટઊર્મિ વિજય ગુણ સારો, તેની વિગત કહું તે વિચારો. 57
ખાન પાન શોક મોહ થાય, જરા મૃત્યુ છ ઊર્મી ગણાય;
દેવની પેઠે વિપ્રને જાણે, ગુણ બ્રહ્મણ્ય એ તો પ્રમાણે. 58
આવે શરણ તેને સુખ દે છે, શરણત્વ તો તેને કહે છે;
કશા ફળની ન ઇચ્છા જેને, ગુણ કહિયે અનીહતો તેને. 59
ધનાદિકનો ન સંગ્રહ કરે, અપરિગ્રહ એને ઉચ્ચરે;
નવધા હરિભકત છે જેહ, ભકિત નામે ભલો ગુણ તેહ. 60
છેલ્લો ગુણ છે ગુરૂની સેવા, ગુણ જાણો પંચાવન એવા;
બીજા છે ગુણ અપરમપાર, સહજાનંદસ્વામી મોઝાર. 61
પુષ્પિતાગ્રાવૃત્ત:-
સકળ સુગુણવંત સંત એવા, નથી જગમાં નિલકંઠવર્ણી જેવા;
પરમ ધરમ ધુર્ધરે સદાય, ગુણ ગુણતાં અતિ યોગ્ય એ જણાય.62
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરેઃપંચપંચાશદ્ગુણ- વર્ણનનામા એકોનવિંશો વિશ્રામઃ ।।19।।