પૂર્વછાયો:-

વાળા તણા જેતપુર વિષે, રામાનંદ સ્વામીયે જેહ;

સોંપી ગાદી જે શ્રીહરિને, કથા કહું હવે તેહ. 1

ચોપાઈ:-

રામાનંદનાં દર્શન કરવા, હરિને જોઇ હૈયામાં ઠરવા;

આવ્યા હરખથી ઉન્નડરાય, નમ્યા પ્રેમથી બેયને પાય. 2

રામાનંદે તે રાયની પાસ, કર્યા ગુણ શ્રીહરિના પ્રકાશ;

વળી વિવિધ પ્રકારે વખાણ્યા, તોયે રાયે જથાર્થ ન જાણ્યા. 3

બેઠો હતો ત્યાં રધુનાથદાસ, સુણતાં થયો તે તો ઉદાસ;

રામજશ સુણી રાવણ જેમ, દાઝ્યો હતો તે દાઝ્યો તેમ. 4

કાંઇ માર્મિક શબ્દ ઉચાર્યો, ત્યારે સ્વામીયે બહુ તેને વાર્યો;

કહ્યું સૂર્ય સામી ધૂળ નાંખે, એ તો આવી પડે નિજ આંખે. 5

સાચું કદી જૂઠું થાય નહિ તે વિષે :- ઉપજાતિવૃત્ત:-

કરે હીરાની અપકીર્તિ કોય, તો મૂલ ઓછું કદીયે ન હોય;

અજ્ઞાનતા તેહ તણી જણાય, મનુષ્યમાં મૂરખ તે ગણાય.6

જો વિશ્વ માંહિ ઘનવૃષ્ટિ થાય, વનસ્પતિ સર્વ સુખી જણાય;

જોતાં જવાસા પ્રજળી જ જાય, વૃષ્ટિ તણો દોષ નહીં ગણાય.7

જે શર્કરાને કડવી કહે છે, તો જાણવું જે જન રોગી તે છે;

મનુષ્ય કોઇ કડવી ન માને, નિંદા કરે નિંદકની નિંદાને. 8

દેખી રવી થાય ઉલૂક અંધ, ભાવે નહીં ભાનુ તણો સબંધ;

નિંદે રવીને થઇ બુદ્ધિ હીનો, ઘટે ન તેથી મહિમા રવીનો. 9

જે સત્ય તે સત્ય સદા જણાશે, અસત્ય તે અંત્યે અસત્ય થાશે;

છુપાવી રાખે કદી કોય છાનું, પ્રસિદ્ધ અંત્યે પળમાં થવાનું. 10

જો રામ ને કૃષ્ણ પ્રભુ હતા તો, ઐશ્વર્યથી આપ થયા છતા તો;

વળી મુવા રાવણ કંસ જેવા, ઘટ્યા ન તેનાથી પ્રતાપ તેવા. 11

સાચો રુપૈયો જગમધ્ય ચાલે, જૂઠો કહેવા જન હામ ઘાલે;

તે મૂર્ખ મોટો જગમાં જણાય, જે સત્ય તે સત્ય સદા ગણાય.12

જો કોઇને પારસ પ્રાપ્ત થાય, તેને તજીને અવગુણ ગાય;

અકર્મિ તે હોય મનુષ્ય માંઇ, તેપાર્શ્વનું મૂલ ઘટે ન કાંઇ.13

જો દુષ્ટમાં લક્ષણ શુદ્ધ દીસે, ભણી ગણી વાદ વદે અતીશે;

તથાપિ તેથી નહિ મોક્ષ થાય, પાષાણને નાવ નહીં તરાય.14

સુલક્ષણો જે જન ધૂર્ત હોય, વેશ્યા ધરે લાજ વિશેષ કોય;

દિસે ભલાં નિર્મળ નીર ખારાં, તથાપિ જાણો ત્રણ તે નઠારાં. 15

પૂર્વછાયો:-

એ રીત્યે રધુનાથદાસને, દીધો ઠપકો રામાનંદ;

પથ્થર પર પાણી પડ્યું, પલળ્યો ન તે મતિમંદ. 16

શરદ પુનમ બીજે દિન થઇ, ત્યારે પોઢી ઉઠીને પ્રભાત;

ભાદરમાં નાવા ગયા, સંતમંડળ લઇ સંઘાત. 17

વાજિંત્ર વાજે વિધવિધે, સંતમંડળ કીર્તન ગાય;

નાવા જતાં રસ્તા વિષે, અતિ આનંદ ઉત્સવ થાય. 18

ઉત્તરમાં ઉંડો ધરો, તેમાં નિર્મળ સુંદર નીર;

સ્નાન કર્યું જનસાથ જઇ, રામાનંદ ને શામશરીર. 19

ત્યાંના ઉન્નડ રાયને, સ્નાન કરતાં જળમોઝાર;

દર્શન શ્રીશેષશાયીનાં, દીધાં દયા કરી તે વાર. 20

જેવી છબી જોઇ જળ વિષે, તેવું દીઠું શ્રીહરિનું રૂપ;

તેથી હરિને જાણિયા, કોટિ બ્રહ્માંડ કેરા ભૂપ. 21

તે પછી વાજતે ગાજતે, આવ્યો ગામમાં સર્વ સમાજ;

પોતાના દરબારમાં, તેડી ગયા ઉન્નડરાજ. 22

વિપ્ર પાસે રંધાવીને, સૌને કરાવિયાં ભોજન;

સાંજે શરદ પૂનમ તણો, કર્યો ઉત્સવ મળી સૌ જન. 23

ચોપાઈ:-

બીજે દિવસે રામાનંદસ્વામી, પોતાને મન આનંદ પામી;

સંત હરિજન મુખ્ય બોલાવ્યા, મુકતાનંદ આદિક સૌ આવ્યા. 24

રામદાસજીભાઇ વિરકત, કારિયાણી તણા માંચો ભકત;

ભીમભાઇ ને પરવતભાઇ, આવ્યા ભટ મયારામ ત્યાંઇ.25

મેજાતા નરસિંહ જે હરિજન, માંગરોળના ગોવરધન;

ઇત્યાદિકને કહે ગુરુ એહ, હવે વૃદ્ધ થયો મુજ દેહ. 26

માટે સતસંગની ધુર સારી, કેને સોંપું કહો તે વિચારી;

બોલ્યા સૌ તે કરીને વિચાર, ધુરયોગ્ય છે ધર્મકુમાર. 27

રામાનંદ બોલ્યા ગુરુરાય, મારો પણ એ જ છે અભિપ્રાય;

મારા હૃદય વિષે જે રહ્યું, તમો સર્વેયે પણ તે કહ્યું. 28

પંચાવન ગુણ હરિના જે છે, સહજાનંદસ્વામીમાં તે છે;

તેની વિગત સુણાવું તમને, જેમ અંતર ભાસે છે અમને. 29

સર્વ પ્રાણિતણું હિત થાય, એવું સત્ય સદા ઉચરાય;

ગુણ સત્ય છે જેહનું નામ, તે તો હરિમાં રહે કરી ધામ. 30

શૌચ ગુણ તે બીજો ગણાય, એનો અર્થ એવો સમઝાય;

રાખે અંતઃકરણને શુદ્ધ, દેહાદિકને રાખે શુદ્ધ બુદ્ધ. 31

પારકું દુઃખ સહન ન થાય, તેનું નામ દયા કહેવાય;

દુઃખ ટાળવાને દિલ ધરે, તન મન ધનથી દુઃખ હરે. 32

ક્રોધ ચડવાનું કારણ હોય, ચિત્ત ક્રોધ ચડે નહિ તોય;

ક્ષાંતિ નામતો તેનું લખાય, ભગવાનમાં તે તો જણાય. 33

વસ્તુ માયિકનો અનાદર, પૂરણકામપણું અંતર;

તેનું નામ તો કહિયે ત્યાગ, રાખે ભાવિક જન બડભાગ.34

નિજ આનંદે પૂર્ણતા રાખે, તેનું નામ તો સંતોષ દાખે;

તન મન વાણી પરને નમે, ગુણ આર્જવ સંતને ગમે. 35

મન પ્રાકૃત વિષયથી વાળે, એ તો શમ ગુણ સંત સંભાળે;

દેહે પ્રાકૃત વિષય ન ઇચ્છે, દમ ગુણ પ્રભુના જન પ્રીછે.36

કૃચ્છ્ર વ્રત આદિ સહેજે કરે, તેનું નામ તો તપ ઉચ્ચરે;

હોય વિષય જે સાર અસાર, પણ માયિકનો તિરસ્કાર. 37

ગુણ સામ્ય તેને કહે સંત, એને ઇચ્છે છે મોટા મહંત;

સુખ દુઃખ સહન જો થાય, તિતિક્ષા ગુણ તે કહેવાય. 38

પ્રયોજન વિના કાંઇ ન કરે, નામ ઉપરતિ તેનું ધરે;

સર્વ શાસ્ત્રનું જ્ઞાન યથાર્થ, શ્રુત ગુણ તણો એજ છે અર્થ. 39

જીવ ઇશ્વરનાં રૂપ જાણે, જ્ઞાન નામ તો તેનું પ્રમાણે;

વિના કૃષ્ણ ન કયાંઇ આસકિત, તેને વેદ વદે છે વિરકિત. 40

જેને વશ સઉ લોક રહે છે, ગુણ ઐશ્વર્ય એજ કહે છે;

નિજકેરા સ્વભાવને જીતે, ગુણ શૌર્ય કહો રુડી રીતે. 41

કોઇથી ન પરાભવ પામે, ગુણ તે તો કહું તેજ નામે;

સર્વ પ્રાણીને નિયમમાં રાખે, ડાહ્યા પુરુષો તેને બળ દાખે. 42

યોગ્ય કામનું અનુસંધાન, સ્મૃતિ નામ કહે વિદવાન;

જેને કોઇની ગરજ ન હોય, ગુણ કહિયે સ્વતંત્રતા સોય.43

કોઇ સર્વક્રિયા કરી જાણે, નામ કૌશલ્ય તેનું પ્રમાણે;

સૌના મન હરે એવું સ્વરૂપ, તેને કાંતિ કહે કવિભૂપ. 44

વેળા વિષમમાં પણ દઢ રહે, ધૈર્ય નામ તેનું કવિ કહે;

જેનું કોમળ ચિત્ત જણાય, ગુણ માર્દવ તે મુનિ ગાય. 45

દિસે સારી વચન ચતુરાઇ, ગુણ પ્રાગલ્ભ્ય તે કહે ભાઇ;

મોટા આગળ વિનયતા રાખે, ગુણ પ્રશ્રય પંડિત ભાખે. 46

સદા દિસે સ્વભાવ જે સારો, શીલ ગુણ એનું નામ ઉચારો;

જુવો મન તણું ડહાપણ જેહ, સહગુણ કહે છે સઉ તેહ. 47

જ્ઞાન ઈંદ્રિયોનું ડહાપણ, એને ઓજ કહો તે આપણ;

કર્મ ઇંદ્રિયોની ચતુરાઇ, બલ ગુણ કહિયે તેને ભાઇ. 48

જ્ઞાનાદિકથી અધિકપણું જેહ, ભગ ગુણ કહે છે મુનિ તેહ;

જેનો મરમ ન જાણે કોય, ગુણ ગાંભીર્યતા તે તો હોય. 49

જેમાં ચંચળતા ન જણાય, ગુણ સ્થૈર્ય એ તો વખણાય;

સતશાસ્ત્ર તણો વિશ્વાસ, એ તો આસ્તિક ગુણનો પ્રકાશ. 50

જેનો જશ જગમાં વિખ્યાત, ગુણ કીર્તિ એ તો સાક્ષાત;

હરિ વિના વદે નહિ વાણી, ગુણ મૌન લેજો એ તો જાણી. 51

ગુણનું અભિમાન ન આણે, ગુણ એ તો અગર્વતા જાણે;

દુરહંકાર નહિ એકે આની, એ તો ગુણ કહિયે નિરમાની. 52

કોઇને કદી નહિ ઠગનાર, નિરદંભી તે તો નરનાર;

મિતાહાર તે અલ્પ આહાર, દક્ષ હિતઉપદેશ દેનાર. 53

સૌને વિશ્વાસલાયક થાય, એ તો મૈત્રી સુગુણ કહેવાય;

જેહ સર્વનો ઉપકાર કરે, તે તો સર્વોપકારીજ ઠરે. 54

અનાયાસે વિષય પ્રાપ્ત થાય, તોય તેમાં તે નહિ બંધાય;

અક્ષોભિતતા કહે છે તેને, ધન્ય ધન્ય એવા ગુણ જેને. 55

તન મનથી કે વાણીએ કરી, કોઇને પીડા નવ કરે જરી;

એનું નામ તો અદ્રોહ જાણો, ગુણ ઉત્તમ તે ઉર આણો. 56

યથાયોગ્ય જે સન્માન દેય, માનદત્વ એ તો ગુણ છેય;

ષટઊર્મિ વિજય ગુણ સારો, તેની વિગત કહું તે વિચારો. 57

ખાન પાન શોક મોહ થાય, જરા મૃત્યુ છ ઊર્મી ગણાય;

દેવની પેઠે વિપ્રને જાણે, ગુણ બ્રહ્મણ્ય એ તો પ્રમાણે. 58

આવે શરણ તેને સુખ દે છે, શરણત્વ તો તેને કહે છે;

કશા ફળની ન ઇચ્છા જેને, ગુણ કહિયે અનીહતો તેને. 59

ધનાદિકનો ન સંગ્રહ કરે, અપરિગ્રહ એને ઉચ્ચરે;

નવધા હરિભકત છે જેહ, ભકિત નામે ભલો ગુણ તેહ. 60

છેલ્લો ગુણ છે ગુરૂની સેવા, ગુણ જાણો પંચાવન એવા;

બીજા છે ગુણ અપરમપાર, સહજાનંદસ્વામી મોઝાર. 61

પુષ્પિતાગ્રાવૃત્ત:-

સકળ સુગુણવંત સંત એવા, નથી જગમાં નિલકંઠવર્ણી જેવા;

પરમ ધરમ ધુર્ધરે સદાય, ગુણ ગુણતાં અતિ યોગ્ય એ જણાય.62

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરેઃપંચપંચાશદ્ગુણ- વર્ણનનામા એકોનવિંશો વિશ્રામઃ ।।19।।