પૂર્વછાયો:-

ગમન કરી લોજગામથી, ગયા માણાવદર મહારાજ;

ભોજન ભટ મયારામને, ઘેર કરતા સહિત સમાજ. 1

સત્તાવનની સાલની, કરી હુતાશની તે ગામ;

હરિજનો ગામો ગામના, બહુ આવી મળ્યા એ ઠામ. 2

માણાવદરના મહીપતિ, જેનું નામ ગજનફરખાન;

બાંટવામાં રહેતા હતા, ગુણજાણ હતા ગુણવાન. 3

કોઇ જને જઇને કહ્યું, આવ્યા છે એક પુરુષ પ્રખ્યાત;

પોતે ખુદા કહેવાય છે, અતિ અચરજની એ વાત. 4

નવાબસાહેબ તે સુણી, જોવા મોકલિયા નિજજન;

આવીને રામાનંદને, કહ્યાં તેઓયે મુખવચન. 5

ખુદા તમે કહેવાઓ છો, એ તે ખરી કે ખોટી વાત;

સુણી રામાનંદ બોલિયા, અમે ફકીર છૈયે ભ્રાત. 6

ગાદીની ઇચ્છા સૌ કરે, રાજગાદી ખાલી ન જણાય;

ખાલી ગાદી ખુદા તણી, જોઇ અમે થયા અલ્લાય. 7

અલ્લા આવ્યા છે આ અવસરે, એની ઇચ્છા થશે જે વાર;

એની ગાદી પાછી આપશું, અમે એમ કર્યો છે વિચાર. 8

એમ કહી વળી તેહને, ચમત્કાર દેખાડ્યો કાંઇ;

અચરજ પામ્યા અતિ ઘણું, મહીનાથના જન મનમાંઇ.9

નવાબસાહેબ પાસ જઇ, કહી વાત હૈયે હરખાઇ;

આવિયા છે જે પુરુષ તે, ખરેખાત છે જ ખુદાઇ. 10

ચોપાઈ:-

કહે વર્ણી સુણો નરનાથ, ગયો મેઘપુરે સંતસાથ;

હરિભકત સોની જીવરાજ, નારાયણ તથા જસરાજ. 11

ચોથા ભકત જેનું નામ રામ, તેણે ઉતાર્યા પોતાને ધામ;

એજ જગ્યા ઉપર હે રાજ, હરિમંદિર છે શુભ આજ. 12

રંગપંચમીનો દિન આવ્યો, રંગ ઉત્સવ સારો કરાવ્યો;

હરિભકત મળેલા અપાર, રામાનંદે કર્યો ત્યાં ઉચ્ચાર. 13

જુઓ આ વરણી અતિ મોટા,એની આગળ છે સહુ છોટા;

એમ કહીને પ્રશંસા કરી, હરિભકતે સુણી મન ધરી. 14

રહે ત્યાં બેય લાડકીબાઇ, સમાધિનિષ્ઠ બેય ગણાઇ;

એક ભાટ ને બ્રાહ્મણી એક, ધરે સત્સંગની ઘણી ટેક. 15

બંને બાઇ તે સમાધિનિષ્ઠ, જ્ઞાન વૈરાગ્યવાળી વરિષ્ઠ;

રામાનંદ ને શ્રીહરિરાય, જમવા તેઓને ધેર જાય. 16

જમે ભાટને ઘેર તે જયારે, કરે હાથે રસોઇ તે ત્યારે;

કાં તો બ્રાહ્મણ પાસે કરાવે, થાળ ઠાકોરજીને ધરાવે. 17

નારાણજીની સ્ત્રી રુકમાઇ, જેની માતા છે લાડકીબાઇ;

તેણે કહી નિજમાતને વાત, જે આ વર્ણીરૂપે સાક્ષાત. 18

જયારે હું જ સમાધિમાં જતી, આને વન માંહી દેખતી હતી;

એમ કહેતાં સમાધિ થઇ, રુકમાઇ ગોલોકમાં ગઇ. 19

રાધાકૃષ્ણનાં દર્શન કરી, આવી દેહમાં તે પાછી ફરી;

નિજ માતને તે કહી વાત, જાણ્યા વર્ણી પ્રભુ સાક્ષાત. 20

સ્વામી ત્યાંથી ચાલ્યા શુભપેર, ભલી રીતે ગયા તે ભાડેર;

જમનાવડ ત્યાંથી સિધાવ્યા, ત્યાંથી ધોરાજીયે હરિ આવ્યા. 21

રાજા ગોંડળના ભાયાત, હઠીભાઇ ભલા પ્રખ્યાત;

તેણે હરિને જથારથ જાણ્યા, પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ્યા. 22

સનમાન કર્યું ઘણું સારું, જાણ્યું કલ્યાણ થાશે અમારું;

મતવાદી ઘણા મળી આવ્યા, તેને વાદમાં હરિયે હરાવ્યા. 23

રામાનંદની આજ્ઞા ધરી, નાવા નદિયે પધારિયા હરી;

આવ્યા સાધુ કબિરિયા બેય, છરા હાથમાં લીધેલા છેય.24

મારવાને હરિને તે ધાયા, ત્યારે શ્રીહરિયે રચી માયા;

રૂપ દેખાડિયું વિકરાળ, કોપવાન જેવો હોય કાળ. 25

દેખી થરથર ધ્રુજિયાં અંગ, ભયથી થઇ ધીરજ ભંગ;

છરા હાથમાંથી છૂટી પડિયા, ગયા નાશીને કયાંઇ રખડિયા. 26

હરિ આવ્યા રામાનંદ પાસ, કરી વાત તે સર્વ પ્રકાશ;

સ્વામી સાંભળી દિલગીર થયા, ચાલી કબિરને મંદિર ગયા. 27

કહ્યું આ તો ખોટું કર્યું કામ, મહાપુરુષને દુઃખવ્યા આમ;

એ તો વર્ણી સમર્થ છે કેવા, તમે આગળ જાણશો એવા.28

ખરી લેશે ખબર તમ કેરી, લેશે ઘોડાંની ઘુમરે ઘેરી;

એમ કહી નિજ આશ્રમે આવ્યા, સમાચાર તે સૌને સુણાવ્યા. 29

સુણો ભૂપ અભેસિંહ ભ્રાત, સત્ય કરવાને સ્વામીની વાત;

બેઠા ગાદિયે શ્રીહરિ જયારે, શત અસ્વાર લૈ સંગ ત્યારે. 30

ગઢડાથી કરીને વિહાર, ધોરાજી ગયા ધર્મકુમાર;

સુરાખાચર આદિક જેહ, ગયા ધામ કબીરને તેહ. 31

કહ્યું ચર્ચા ચલાવા તો આવો, જોર હોય તો આજ બતાવો;

રામાનંદે કહ્યું હતું જેહ, સાચું કરવા આવ્યા અમે એહ. 32

નવ ઉત્તર આપ્યો લગાર, ત્યારે ચાલ્યા ગયા અસવાર;

કહે વર્ણી અભેસિંહ રાય, રામાનંદની કહું છું કથાય. 33

ધોરાજી થકી સ્વામી સિધાવ્યા, ફણેણી દુધિવદર આવ્યા;

ગયા ત્યાંથી કંડોરડે ગામ, ત્યાંથી ગોંડળ સુંદરશામ. 34

બંધિયે થઇ ખોખરી આવ્યા, સાંકળિ જેતપર સિધાવ્યા;

ભીમ એકાદશી કરી ત્યાંય, રીઝ્યા હરિજન સૌ મનમાંય.35

જેઠી પૂનમ જે કહેવાય, જળયાત્રાનો ઉત્સવ થાય;

કર્યો ઉત્સવ તે તહાં ઠરી, સત્તાવન તણી સાલ ઉતરી. 36

અઠ્ઠાવનની લીલા ઉચ્ચારૂં, ધર્મપુત્રને ધ્યાનમાં ધારું;

હરિ સહિત રામાનંદસ્વામી, ગામોગામ ફરે બહુનામી. 37

દેવ પોઢણી જે એકાદશી, કરી તે તો ભાડેરમાં વસી;

પાછાં ત્યાંથી ધોરાજીયે આવ્યા, થોડા દિવસ રહીને સિધાવ્યા. 38

ગયા ગિરધર ગામ ફણેણી, તહાં વસીયા દિવસ અને રેણી;

જેતપુર થઇ સાંકળી ગામ, ગયા ભાડેર શ્રીઘનશ્યામ. 39

પીપળાણે થઇ આખે આવ્યા, અગત્રાઇયે શામ સિધાવ્યા;

કાળવાણી થઇ માંગરોળ, એવા આનંદ ધારી અતોળ. 40

જન્માષ્ટમી ઉત્સવ જેહ, અઠ્ઠાવનની સાલનો એહ;

માંગરોળમાં એ તો આદર્યો, ત્યાંજ ગણપતિ ઉત્સવ કર્યો. 41

પછી ત્યાંથકી લોજમાં ગયા, શ્રાદ્ધપક્ષ સુધી તહાં રહ્યાં;

રામાનંદજી બોલતા આપ, ભકતો છે આ તો છેલ્લો મેળાપ. 42

તેનો મર્મ ન ઉર કોઇ આણે, એક પર્વતભાઇ જ જાણે;

તેઓ જો કોઇ આગળ કહે, કોઇ માને ન સંશય રહે. 43

સ્વામી ત્યાં થકી આવ્યા પંચાળે, છબી શ્યામની લોકો નિહાળે;

ગામથી પૂર્વ માંહિ છે વાવ્ય, બેઠા ત્યાંજ કરીને ટકાવ. 44

પૂર્વછાયો:-

રાજા મનુભા ત્યાં રહે, ભલા કુંવર ઝીણાભાઇ;

બીજા કુંવર ગગાભાઇ તે, પણ સામા આવ્યા હરખાઇ.45

સારી રીતે સનમાનથી, તેડી ગયા ગામ મોઝાર;

આપ્યો ઉતારો અતિ ભલો, હૈયે ધારીને હેત અપાર. 46

પૂજા કરી રામાનંદની, તથા શ્રીહરિની શુભ રીત;

ભોજન દઇ ભાતભાતનાં, પરિપૂર્ણ જણાવી પ્રીત. 47

રામાનંદે નૃપને કહ્યું, બેય કુંવર તમારા જેહ;

અતિ ચમતકારી થશે, કામ ઉત્તમ કરશે તેહ. 48

એમ કહિને મુકિયા, બેય કુંવરને શિર હાથ;

શ્રીહરિ કહે સાચું કહો છો, સંતમંડળના નાથ. 49

શ્રીહરિયે ઝીણાભાઇનાં, વળી કીધાં વખાણ અત્યંત;

થાશે એમના હાથથી, સતસંગમાં કામ અનંત. 50

રામાનંદ નૃપને કહે, મેં તમને કહ્યું હતું જેહ;

સર્વોપરી પ્રભુ આવશે, આજ આવ્યા છે વરણી એહ. 51

તે સુણીને શ્રીહરિ તણી, ધરી મૂરતિ જનમન માંય;

રટણ રાત દિવસ કરે, પળ એક વ્યરથ નવ જાય. 52

બે દિન રહીને ત્યાં થકી, રામાનંદ સમાજ સહીત;

માણાવદર માંહી ગયા, રહ્યા ભટને ઘેર રુડી રીત. 53

ત્યાંથી ચાલ્યા ત્યારે હરિજને, કહ્યું વેલા આવજો સંતસાથ;

સ્વામી કહે ફરી આવવું, હવે તે તો છે હરિને હાથ. 54

દેહનો નિરાધાર નહીં તે વિષે :- ઉપજાતિવૃત્ત:-

લાંબા વિચારો મનુષ્યો કરે છે, તૃષ્ણા ઘણી અંતર તે ધરે છે;

તે જોઇને કાળ હસ્યો રહે છે, આવી અજાણ્યો જીવને ગ્રહે છે. 55

જાણે બીજું કામ કરીશ કાલ, જોતો નથી જે શિર કાળઝાળ;

મનોરથો સૌ મનમાં રહે છે, આ દેહ છોડી રસતો લહે છે.56

પંખી તણો જેમ ભરાય મેળો, સૂર્યાસ્તકાળે સઉ થાય ભેળો;

જુદાં જુદાં તે પછી ઉડી જાય, એવો જ મેળો જનનો જણાય.57

કાલે કર્યાનું શુભ જેહ કાજ,તે તો ત્વરાથી કરવું જ આજ;

આ દેહ કેરો નહિ નીરધાર, ન થાય પૂરા મનના વિચાર. 58

ગયા બધા પાંડવ કૌરવોયે, જો જાદવો શ્રેષ્ઠ રહ્યા ન કોયે;

આ પિંડ બ્રહ્માંડ વિનાશ થાય, કોઇ ચિરંજીવી નહિ જણાય.59

શ્રીરામકૃષ્ણાદિક દેહ ધારે,સ્વધામમાં તે પણ સૌ પધારે;

કર્યો પ્રભુયે જ ઠરાવ એવો, દેખાય તે દશ્ય નહીં રહેવો. 60

નહીં રહે સાગર શૈલ કોય, ધરા ચળા છે અચળા ન હોય;

નહીં રહે સૂર્ય શશાંક તારા, અંતે સહુ નાશ નકી થનારા. 61

સદા ન જીવે સુર કે સુરેશ, હૈયાત બ્રહ્મા ન રહે હંમેશ;

ઘણું જીવ્યાનાં વરદાન હોય, તે જાય અંતે તન ત્યાગી તોય.62

પૂર્વછાયો:-

દર્શન કરીલ્યો દષ્ટિયે, લેવો હોય તે લઇ લો લાવ;

ગયો દિવસ આવે નહિ, કોણ જાણે ભવિષ્ય બનાવ. 63

માણાવદરથી ચાલિયા, ગયા પીપળાણે તે ગામ;

નાવડે થઇ મેઘપુર જઇ, પછી ભાડેર કીધો વિરામ. 64

દસરાનો ઉચ્છવ કરી, ગયા ધોરાજીયે ગુરુ ધીર;

ત્યાંથી ગયા કંડોરડે, પછી બંધિયે ગુણગંભીર. 65

રાજા ઉન્નડ જેતપુર તણા, તેણે પત્ર લખી રુડી પેર;

રામાનંદને તેડાવિયા, અતિ આગ્રહથી નિજઘેર. 66

મોવઈયે થઇ જેતપુર, ગયા રામાનંદ ગુરુરાય;

આશ્વિન શુકલ ચતુર્દશી, અઠાવનની તે કહેવાય. 67

ભાણા કાપડિયા કણબીને, ઘેર રહ્યા તે રુડીપેર;

ઉગમણે બાર ઓરડામાં, ઉતર્યા કરીને મહેર. 68

આથમણી બારી પડે છે, ઓરડામાં જે ઠામ;

ત્યાં બેસીને ભોજન કર્યું, રામાનંદ ને શ્રીઘનશામ. 69

પુષ્પિતાગ્રાવૃત્ત:-

નિશ દિન હરિને ન દૂર રાખે, સદગુરુ એમ ઘણો સનેહ દાખે;

હરિજન સમિપે સદા વખાણે, નિજજન જેમ જથાર્થ વાત જાણે. 70

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિરામાનંદસ્વામી- સહવિચરણનામા અષ્ટાદશો વિશ્રામઃ ।।18।।