પૂર્વછાયો:-
ગમન કરી લોજગામથી, ગયા માણાવદર મહારાજ;
ભોજન ભટ મયારામને, ઘેર કરતા સહિત સમાજ. 1
સત્તાવનની સાલની, કરી હુતાશની તે ગામ;
હરિજનો ગામો ગામના, બહુ આવી મળ્યા એ ઠામ. 2
માણાવદરના મહીપતિ, જેનું નામ ગજનફરખાન;
બાંટવામાં રહેતા હતા, ગુણજાણ હતા ગુણવાન. 3
કોઇ જને જઇને કહ્યું, આવ્યા છે એક પુરુષ પ્રખ્યાત;
પોતે ખુદા કહેવાય છે, અતિ અચરજની એ વાત. 4
નવાબસાહેબ તે સુણી, જોવા મોકલિયા નિજજન;
આવીને રામાનંદને, કહ્યાં તેઓયે મુખવચન. 5
ખુદા તમે કહેવાઓ છો, એ તે ખરી કે ખોટી વાત;
સુણી રામાનંદ બોલિયા, અમે ફકીર છૈયે ભ્રાત. 6
ગાદીની ઇચ્છા સૌ કરે, રાજગાદી ખાલી ન જણાય;
ખાલી ગાદી ખુદા તણી, જોઇ અમે થયા અલ્લાય. 7
અલ્લા આવ્યા છે આ અવસરે, એની ઇચ્છા થશે જે વાર;
એની ગાદી પાછી આપશું, અમે એમ કર્યો છે વિચાર. 8
એમ કહી વળી તેહને, ચમત્કાર દેખાડ્યો કાંઇ;
અચરજ પામ્યા અતિ ઘણું, મહીનાથના જન મનમાંઇ.9
નવાબસાહેબ પાસ જઇ, કહી વાત હૈયે હરખાઇ;
આવિયા છે જે પુરુષ તે, ખરેખાત છે જ ખુદાઇ. 10
ચોપાઈ:-
કહે વર્ણી સુણો નરનાથ, ગયો મેઘપુરે સંતસાથ;
હરિભકત સોની જીવરાજ, નારાયણ તથા જસરાજ. 11
ચોથા ભકત જેનું નામ રામ, તેણે ઉતાર્યા પોતાને ધામ;
એજ જગ્યા ઉપર હે રાજ, હરિમંદિર છે શુભ આજ. 12
રંગપંચમીનો દિન આવ્યો, રંગ ઉત્સવ સારો કરાવ્યો;
હરિભકત મળેલા અપાર, રામાનંદે કર્યો ત્યાં ઉચ્ચાર. 13
જુઓ આ વરણી અતિ મોટા,એની આગળ છે સહુ છોટા;
એમ કહીને પ્રશંસા કરી, હરિભકતે સુણી મન ધરી. 14
રહે ત્યાં બેય લાડકીબાઇ, સમાધિનિષ્ઠ બેય ગણાઇ;
એક ભાટ ને બ્રાહ્મણી એક, ધરે સત્સંગની ઘણી ટેક. 15
બંને બાઇ તે સમાધિનિષ્ઠ, જ્ઞાન વૈરાગ્યવાળી વરિષ્ઠ;
રામાનંદ ને શ્રીહરિરાય, જમવા તેઓને ધેર જાય. 16
જમે ભાટને ઘેર તે જયારે, કરે હાથે રસોઇ તે ત્યારે;
કાં તો બ્રાહ્મણ પાસે કરાવે, થાળ ઠાકોરજીને ધરાવે. 17
નારાણજીની સ્ત્રી રુકમાઇ, જેની માતા છે લાડકીબાઇ;
તેણે કહી નિજમાતને વાત, જે આ વર્ણીરૂપે સાક્ષાત. 18
જયારે હું જ સમાધિમાં જતી, આને વન માંહી દેખતી હતી;
એમ કહેતાં સમાધિ થઇ, રુકમાઇ ગોલોકમાં ગઇ. 19
રાધાકૃષ્ણનાં દર્શન કરી, આવી દેહમાં તે પાછી ફરી;
નિજ માતને તે કહી વાત, જાણ્યા વર્ણી પ્રભુ સાક્ષાત. 20
સ્વામી ત્યાંથી ચાલ્યા શુભપેર, ભલી રીતે ગયા તે ભાડેર;
જમનાવડ ત્યાંથી સિધાવ્યા, ત્યાંથી ધોરાજીયે હરિ આવ્યા. 21
રાજા ગોંડળના ભાયાત, હઠીભાઇ ભલા પ્રખ્યાત;
તેણે હરિને જથારથ જાણ્યા, પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ્યા. 22
સનમાન કર્યું ઘણું સારું, જાણ્યું કલ્યાણ થાશે અમારું;
મતવાદી ઘણા મળી આવ્યા, તેને વાદમાં હરિયે હરાવ્યા. 23
રામાનંદની આજ્ઞા ધરી, નાવા નદિયે પધારિયા હરી;
આવ્યા સાધુ કબિરિયા બેય, છરા હાથમાં લીધેલા છેય.24
મારવાને હરિને તે ધાયા, ત્યારે શ્રીહરિયે રચી માયા;
રૂપ દેખાડિયું વિકરાળ, કોપવાન જેવો હોય કાળ. 25
દેખી થરથર ધ્રુજિયાં અંગ, ભયથી થઇ ધીરજ ભંગ;
છરા હાથમાંથી છૂટી પડિયા, ગયા નાશીને કયાંઇ રખડિયા. 26
હરિ આવ્યા રામાનંદ પાસ, કરી વાત તે સર્વ પ્રકાશ;
સ્વામી સાંભળી દિલગીર થયા, ચાલી કબિરને મંદિર ગયા. 27
કહ્યું આ તો ખોટું કર્યું કામ, મહાપુરુષને દુઃખવ્યા આમ;
એ તો વર્ણી સમર્થ છે કેવા, તમે આગળ જાણશો એવા.28
ખરી લેશે ખબર તમ કેરી, લેશે ઘોડાંની ઘુમરે ઘેરી;
એમ કહી નિજ આશ્રમે આવ્યા, સમાચાર તે સૌને સુણાવ્યા. 29
સુણો ભૂપ અભેસિંહ ભ્રાત, સત્ય કરવાને સ્વામીની વાત;
બેઠા ગાદિયે શ્રીહરિ જયારે, શત અસ્વાર લૈ સંગ ત્યારે. 30
ગઢડાથી કરીને વિહાર, ધોરાજી ગયા ધર્મકુમાર;
સુરાખાચર આદિક જેહ, ગયા ધામ કબીરને તેહ. 31
કહ્યું ચર્ચા ચલાવા તો આવો, જોર હોય તો આજ બતાવો;
રામાનંદે કહ્યું હતું જેહ, સાચું કરવા આવ્યા અમે એહ. 32
નવ ઉત્તર આપ્યો લગાર, ત્યારે ચાલ્યા ગયા અસવાર;
કહે વર્ણી અભેસિંહ રાય, રામાનંદની કહું છું કથાય. 33
ધોરાજી થકી સ્વામી સિધાવ્યા, ફણેણી દુધિવદર આવ્યા;
ગયા ત્યાંથી કંડોરડે ગામ, ત્યાંથી ગોંડળ સુંદરશામ. 34
બંધિયે થઇ ખોખરી આવ્યા, સાંકળિ જેતપર સિધાવ્યા;
ભીમ એકાદશી કરી ત્યાંય, રીઝ્યા હરિજન સૌ મનમાંય.35
જેઠી પૂનમ જે કહેવાય, જળયાત્રાનો ઉત્સવ થાય;
કર્યો ઉત્સવ તે તહાં ઠરી, સત્તાવન તણી સાલ ઉતરી. 36
અઠ્ઠાવનની લીલા ઉચ્ચારૂં, ધર્મપુત્રને ધ્યાનમાં ધારું;
હરિ સહિત રામાનંદસ્વામી, ગામોગામ ફરે બહુનામી. 37
દેવ પોઢણી જે એકાદશી, કરી તે તો ભાડેરમાં વસી;
પાછાં ત્યાંથી ધોરાજીયે આવ્યા, થોડા દિવસ રહીને સિધાવ્યા. 38
ગયા ગિરધર ગામ ફણેણી, તહાં વસીયા દિવસ અને રેણી;
જેતપુર થઇ સાંકળી ગામ, ગયા ભાડેર શ્રીઘનશ્યામ. 39
પીપળાણે થઇ આખે આવ્યા, અગત્રાઇયે શામ સિધાવ્યા;
કાળવાણી થઇ માંગરોળ, એવા આનંદ ધારી અતોળ. 40
જન્માષ્ટમી ઉત્સવ જેહ, અઠ્ઠાવનની સાલનો એહ;
માંગરોળમાં એ તો આદર્યો, ત્યાંજ ગણપતિ ઉત્સવ કર્યો. 41
પછી ત્યાંથકી લોજમાં ગયા, શ્રાદ્ધપક્ષ સુધી તહાં રહ્યાં;
રામાનંદજી બોલતા આપ, ભકતો છે આ તો છેલ્લો મેળાપ. 42
તેનો મર્મ ન ઉર કોઇ આણે, એક પર્વતભાઇ જ જાણે;
તેઓ જો કોઇ આગળ કહે, કોઇ માને ન સંશય રહે. 43
સ્વામી ત્યાં થકી આવ્યા પંચાળે, છબી શ્યામની લોકો નિહાળે;
ગામથી પૂર્વ માંહિ છે વાવ્ય, બેઠા ત્યાંજ કરીને ટકાવ. 44
પૂર્વછાયો:-
રાજા મનુભા ત્યાં રહે, ભલા કુંવર ઝીણાભાઇ;
બીજા કુંવર ગગાભાઇ તે, પણ સામા આવ્યા હરખાઇ.45
સારી રીતે સનમાનથી, તેડી ગયા ગામ મોઝાર;
આપ્યો ઉતારો અતિ ભલો, હૈયે ધારીને હેત અપાર. 46
પૂજા કરી રામાનંદની, તથા શ્રીહરિની શુભ રીત;
ભોજન દઇ ભાતભાતનાં, પરિપૂર્ણ જણાવી પ્રીત. 47
રામાનંદે નૃપને કહ્યું, બેય કુંવર તમારા જેહ;
અતિ ચમતકારી થશે, કામ ઉત્તમ કરશે તેહ. 48
એમ કહિને મુકિયા, બેય કુંવરને શિર હાથ;
શ્રીહરિ કહે સાચું કહો છો, સંતમંડળના નાથ. 49
શ્રીહરિયે ઝીણાભાઇનાં, વળી કીધાં વખાણ અત્યંત;
થાશે એમના હાથથી, સતસંગમાં કામ અનંત. 50
રામાનંદ નૃપને કહે, મેં તમને કહ્યું હતું જેહ;
સર્વોપરી પ્રભુ આવશે, આજ આવ્યા છે વરણી એહ. 51
તે સુણીને શ્રીહરિ તણી, ધરી મૂરતિ જનમન માંય;
રટણ રાત દિવસ કરે, પળ એક વ્યરથ નવ જાય. 52
બે દિન રહીને ત્યાં થકી, રામાનંદ સમાજ સહીત;
માણાવદર માંહી ગયા, રહ્યા ભટને ઘેર રુડી રીત. 53
ત્યાંથી ચાલ્યા ત્યારે હરિજને, કહ્યું વેલા આવજો સંતસાથ;
સ્વામી કહે ફરી આવવું, હવે તે તો છે હરિને હાથ. 54
દેહનો નિરાધાર નહીં તે વિષે :- ઉપજાતિવૃત્ત:-
લાંબા વિચારો મનુષ્યો કરે છે, તૃષ્ણા ઘણી અંતર તે ધરે છે;
તે જોઇને કાળ હસ્યો રહે છે, આવી અજાણ્યો જીવને ગ્રહે છે. 55
જાણે બીજું કામ કરીશ કાલ, જોતો નથી જે શિર કાળઝાળ;
મનોરથો સૌ મનમાં રહે છે, આ દેહ છોડી રસતો લહે છે.56
પંખી તણો જેમ ભરાય મેળો, સૂર્યાસ્તકાળે સઉ થાય ભેળો;
જુદાં જુદાં તે પછી ઉડી જાય, એવો જ મેળો જનનો જણાય.57
કાલે કર્યાનું શુભ જેહ કાજ,તે તો ત્વરાથી કરવું જ આજ;
આ દેહ કેરો નહિ નીરધાર, ન થાય પૂરા મનના વિચાર. 58
ગયા બધા પાંડવ કૌરવોયે, જો જાદવો શ્રેષ્ઠ રહ્યા ન કોયે;
આ પિંડ બ્રહ્માંડ વિનાશ થાય, કોઇ ચિરંજીવી નહિ જણાય.59
શ્રીરામકૃષ્ણાદિક દેહ ધારે,સ્વધામમાં તે પણ સૌ પધારે;
કર્યો પ્રભુયે જ ઠરાવ એવો, દેખાય તે દશ્ય નહીં રહેવો. 60
નહીં રહે સાગર શૈલ કોય, ધરા ચળા છે અચળા ન હોય;
નહીં રહે સૂર્ય શશાંક તારા, અંતે સહુ નાશ નકી થનારા. 61
સદા ન જીવે સુર કે સુરેશ, હૈયાત બ્રહ્મા ન રહે હંમેશ;
ઘણું જીવ્યાનાં વરદાન હોય, તે જાય અંતે તન ત્યાગી તોય.62
પૂર્વછાયો:-
દર્શન કરીલ્યો દષ્ટિયે, લેવો હોય તે લઇ લો લાવ;
ગયો દિવસ આવે નહિ, કોણ જાણે ભવિષ્ય બનાવ. 63
માણાવદરથી ચાલિયા, ગયા પીપળાણે તે ગામ;
નાવડે થઇ મેઘપુર જઇ, પછી ભાડેર કીધો વિરામ. 64
દસરાનો ઉચ્છવ કરી, ગયા ધોરાજીયે ગુરુ ધીર;
ત્યાંથી ગયા કંડોરડે, પછી બંધિયે ગુણગંભીર. 65
રાજા ઉન્નડ જેતપુર તણા, તેણે પત્ર લખી રુડી પેર;
રામાનંદને તેડાવિયા, અતિ આગ્રહથી નિજઘેર. 66
મોવઈયે થઇ જેતપુર, ગયા રામાનંદ ગુરુરાય;
આશ્વિન શુકલ ચતુર્દશી, અઠાવનની તે કહેવાય. 67
ભાણા કાપડિયા કણબીને, ઘેર રહ્યા તે રુડીપેર;
ઉગમણે બાર ઓરડામાં, ઉતર્યા કરીને મહેર. 68
આથમણી બારી પડે છે, ઓરડામાં જે ઠામ;
ત્યાં બેસીને ભોજન કર્યું, રામાનંદ ને શ્રીઘનશામ. 69
પુષ્પિતાગ્રાવૃત્ત:-
નિશ દિન હરિને ન દૂર રાખે, સદગુરુ એમ ઘણો સનેહ દાખે;
હરિજન સમિપે સદા વખાણે, નિજજન જેમ જથાર્થ વાત જાણે. 70
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિરામાનંદસ્વામી- સહવિચરણનામા અષ્ટાદશો વિશ્રામઃ ।।18।।