પૂર્વછાયો:-

ભૂપ કહે વરણીંદ્રને, તમે કથા સુણાવી સાર;

હવે હું પૂછું તે કહો, અનુકંપા કરીને અપાર. 1

સ્વામી રામાનંદ આગળે, મહાદીક્ષા લીધી મહારાજ;

ત્યાર પછીની જે કથા, મુજને સુણાવો આજ. 2

વસંતતિલકાવૃત્ત :-

વર્ણી કહે રુચિ ધરી સુણ સુજ્ઞ રાય, શ્રીધર્મનંદન તણી કહું છું કથાય;

દીક્ષા લીધી ગુરુ થકી પુર પીપળાણે, સારે પ્રબોધિની દિને જન સર્વ જાણે. 3

આવ્યા હતા દરશને જનસંઘ જેહ, સૌ પૂર્ણમાસિ સુધી ત્યાં ઠરિયા જ તેહ;

આનંદ ઉત્સવ ધરે ગુણગાન ગાય, વર્ણીંદ્રનાં દરશને નહિ તૃપ્ત થાય. 4

મૂર્તિ વિષે નિરખી અદ્ભુતતા અપાર, દીઠાં વળી ચરણ ષોડશ ચિહ્ન સાર;

જાણે ઘણાક જન અક્ષરધામવાસી, પ્રત્યક્ષ એજ પુરુષોત્તમ સુપ્રકાશી. 5

કોઇકનાં નજરથી ચિત્ત ચોરી લીધાં, કોઇકને સહજ દર્શન દિવ્ય દીધાં;

દેખાડયુિં કંઇકને નિજકેરું ધામ, વાધ્યો પ્રતાપ જનમધ્ય વિષે જ આમ.6

વીતી ગઇ પુનિત પૂનમ એહ જયારે, પોતા તણે પુર ગયા જનસંઘ ત્યારે;

વર્ણીંદ્રનાં અધિક દર્શન આપવાને, કીધો વિચાર ગુરુયે ફરવા જવાને. 7

બેઠા રથે વૃષજ ઉદ્ધવ ધર્મવંત, ગાડી વિષે વિદિત મુકત મુનીશ સંત;

ઘોડે ચડ્યા ઘરધણી વળી સાંખ્યયોગી, પાળા વિશેષ વિચરે વિષયે વિયોગી. 8

વાજે મૃદંગ વળી તાલ ઉપંગ ચંગ, ગાવે ગુણો હરિજનો ધરીને ઉમંગ;

નારી નરો મળી ઘણાં વિચર્યા વળાવા, નિર્ખી હરિમૂરતિને મનમાં ઠરાવા. 9

તે માંહી મુખ્યજન તો નરસિંહ મેજાતા, કલ્યાણજી તનુજ તે પણ બ્રહ્મવેત્તા;

જૈ ગામ બાર ગુરુયે કરિયો ઉચાર, પાછા વળો પુરજનો કરશો ન વાર. 10

ચોપાઈ:-

પછી પાછા વળ્યા પુરવાશી, આખા ગામે ગયા સુખરાશી;

ગંગાધર વિપ્રનું ત્યાં ઘર, પશ્ચિમાભિમુખે તે સુંદર. 11

ફળિયા માંહી પીપળો સારો, રામાનંદે કર્યો ત્યાં ઉતારો;

સજી ત્યાં સભા સંતસમાજે, આવ્યા હરિજન દર્શન કાજે.12

રામાનંદે ત્યાં વાણી ઉચ્ચારી, મહાપુરુષ છે આ બ્રહ્મચારી;

એવે અવસરે જાસુલ નામ, આવ્યો મેમણ એક તે ઠામ. 13

તેણે જોયા શ્રીહરિને જયારે, થઇ તરત સમાધિ ત્યારે;

જોઇ મૂરતિને ધામમાં જેવી, જોઇ જાગીને એવી ને એવી.14

જોયું શ્રીવત્સનું ચિન્હ જેવું, દીઠું પ્રત્યક્ષ તે પણ તેવું;

કર જોડી બોલ્યો ગુણવાન, સહજાનંદ છો ભગવાન. 15

એમ કહીને તે ચાલ્યો ગયો, સૌના મનમાં અચંબો થયો;

ગંગાધર નામે વિપ્રને ઘેર, જમ્યા સર્વે તહાં સારી પેર. 16

અગત્રાઇના હરિજન જેહ, આવ્યા સ્વામીને તેડવા તેહ;

સ્વામીયે વિનતિ સુણી લીધી, મુકતાનંદજીને આજ્ઞા દીધી. 17

આજ જાઓ અગત્રાઇ તમે, કાલે આવશું ત્યાં પછી અમે;

સાથે લઇને શ્રીહરિ સુખદાઇ, મુકતાનંદ ચાલ્યા અગત્રાઇ.18

હરિભકતો વળાવવા ગયા, હરિને જોઇ વિસ્મિત થયા;

દીઠું અકળ ને અદ્ભૂત તેજ, મૂરતિ માંહિ સમાયું એજ. 19

તેથી મૂર્તિમાં ચોટિયું ચિત્ત, કોઇ પાછા વળે ન ખચીત;

મુકતાનંદ કહે હરિદાસ, તમે શા માટે થાઓ ઉદાસ ? 20

રામાનંદ છે ઇશ્વરમૂરતિ, જઇ જોડો તેને વિષે સુરતી;

ઘણા આગ્રહથી પાછા વાળ્યા, પ્રભુ સંતો તણી સાથે ચાલ્યા. 21

ભકત આવ્યા રામાનંદ પાસ, કરી પરચાની વાત પ્રકાશ;

સ્વામી બોલિયા વાત વિચારી, મહાપુરુષ છે એ અવતારી. 22

બીજે દિવસે તો તત્પર થયા, રામાનંદ અગત્રાઇ ગયા;

રહે પટેલ ત્યાં ભીમભાઇ, તેને ઘેર રહ્યા સુખદાઇ. 23

મળ્યા ત્યાં મુનિ મુકતાનંદ, મળ્યા શ્રીહરિ આનંદકંદ;

ભીમભાઇ ને પર્વતભાઇ, પાસે બોલ્યા ગુરુ સુખદાઇ. 24

આ છે વર્ણીને વેષે સુજાણ, પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ;

સુણી વાત તે પર્વતભાઇ, કર્યો નિશ્ચય મન હરખાઇ. 25

સ્વામી ધોળિયે આંબે તે જઇ, બેસતા સભામાં સજજ થઇ;

રામાનંદ ગુરુ તો ગણાતા, સૌનાં મન તો હરિમાં તણાતાં. 26

કૈંક જીવના અર્થ સુધાર્યાં, પછી ત્યાં થકી મઢડે પધાર્યાં;

ઊતર્યા જેઠામેરને ઘેર, તેને વાત કહી રુડી પેર. 27

વળી હરિયે અનુગ્રહ કર્યોં, ચમત્કાર દેખાડિયો ખરો;

તેથી નિશ્ચય તેહને થયો, સર્વ સંશય મન તણો ગયો. 28

રામાનંદ ને શામશરીર, નાવા જાય નદી તણે તીર;

યોગ અષ્ટાંગ ત્યાં તે આચરે, ધ્યાન ધારણા સમાધિ કરે. 29

ત્યાંથી પરવર્યા જનપ્રતિપાળ, કાળવાણીયે આવ્યા કૃપાળ;

ત્યાં તો ધર્મશાળા શુભ અતી, રામાનંદે કરાવેલી હતી. 30

કર્યો બે માસ તેમાં નિવાસ, નિજજનની પુરી કરી આશ;

શામને તન સ્વેદ વળાવા, પાટા આવળકેરા બંધાવ્યા. 31

પૂર્વછાયો:-

સત્તાવન તણી સાલની, શુભ વસંતપંચમી જેહ;

કર્યો ઉત્સવ કાળવાણિયે, થયો સારો સમૈયો તેહ. 32

તાલ મૃદંગ વજાવીને, રામાનંદસ્વામી પદ ગાય;

રચેલ મુકતાનંદનાં, સુણી સૌ જન રાજી થાય. 33

કેસરકેસુ પતંગનાં, રુડા રચાવી જુદા રંગ;

રામાનંદે છાંટિયાં, તે રંગ હરિજન અંગ. 34

તે ઉપર વળી તે સમે, મુઠી મુઠીયે નાખ્યો ગુલાલ;

સુંદર શોભે તે થકી, આકાશ અવની લાલ. 35

સુંદર છબી ઘનશામની, જન નિરખીને હરખાય;

જોઇ રહે દિન જામની, પણ લોચન તૃપ્ત ન થાય. 36

એ છબી અંતરમાં ધરી, જન ગયા નિજનિજ દેશ;

કૃષ્ણસહિત કાળવાણીમાં, રહ્યા રામાનંદ વિશેષ. 37

તપે કરી તન હરિ તણું, હતું કાંઇક વક્ર વળેલ;

માટે ગુરુ ચોળાવતા, તન ઉપર મીણનું તેલ. 38

કસ્તુરી પણ ખવરાવતા, વળી કરતા અનેક ઉપાય;

પૌષ્ટિક પાક કરાવતા, જેથી શરીરે પુષ્ટી થાય. 39

કરી અનાદર દેહનો, સોનામુખી પીયે હરિરાય;

બહુ મરચાં ને રોટલો, લઇ ખુશી થઇ હરિ ખાય. 40

વિચરીને કાળવાણીથી, ગયું મંડળ તે માંગરોળ;

આણંદજી સંઘાડિયાને, ઘેર કર્યો કલ્લોલ. 41

ત્યાં ગોવરધન ભકતજન, સહુ જાણે સમાધિવાન;

ધ્યાન ધરે ધર્મપુત્રનું, નિશ્ચે જાણી તેને ભગવાન. 42

આણંદજી સંઘાડિયે, કહ્યું રામાનંદની પાસ;

તમને તજી ધર્મપુત્રનું, ધરે ધ્યાન ગોરધનદાસ. 43

સુણી રામાનંદ બોલિયા, ધ્યાન યોગ્ય છે ધર્મકુમાર;

તે તમે જન સૌ જાણશો, જયારે જોશો પ્રતાપ અપાર. 44

એવી રીતે માંગરોળમાં, વસ્યા પંદર દિવસ નિવાસ;

સ્નાન કર્યું સાગર વિષે, સાથે લઇ સકળ નિજદાસ.45

શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-

પેઠા શ્રીવૃષપુત્ર પ્રેમ ધરિને નાજાવા ‍નિધિને જળે,

આવે નીરતરંગ અંગ ઉપરે છોળ્યો ઘણી ઉછળે;

એ આકાર દિસેફણી તણી ફણા વારિધિ વારી વિષે,

સૂતા ક્ષીરસમુદ્રમાં સુખ ધરી શું શેષશાયી દિસે. 46

ચોપાઈ:-

પછી ત્યાં થકી સર્વ સિધાવ્યા, અતિ આનંદે લોજમાં આવ્યા;

આસપાસના ગામમાં વાસ, એ તો દર્શને આવિયા દાસ.47

રામાનંદ હરખ મન ધરે, કથા વારતા તે નિત્ય કરે;

બહુ આવળપાન મંગાવે, વરણીને શરીરે બંધાવે. 48

જીવ આસુરી રધુનાથદાસ, બોલ્યો તે સહુ હરિજનપાસ;

સ્વામી કર્મ ખોટું આચરે છે, લીલાં ઝાડનો નાશ કરે છે.49

માંદો વર્ણી છે તે મરી જાશે, સાજો થાશે તો કયાંઇ પળાશે;

ત્યારે પાપ આ શા માટે કરવું ? ઝાડ કાપતાં દોષથી ડરવું. 50

સ્વામી વર્ણીને વશ્ય થયા છે, દયાધર્મ તો ભૂલી ગયા છે;

રામાનંદે તે સાંભળી વાત, દુઃખ પામ્યા પોતે સાક્ષાત. 51

પછી હરિજન સૌને બોલાવી, સ્વામીયે મુખવાત સુણાવી;

એ તો વર્ણી છે અક્ષરાતીત, એનો મહિમા છે અકળ અમીત.52

કોટિ બ્રહ્માંડના પ્રાણ હરિયે, એને અર્થે જો લોપરી કરીયે;

તોય પાપ ન લાગે લગાર, ઉલટું થાય પુણ્ય અપાર. 53

દૈત્ય અંશ છે રધુનાથદાસ, એના અવગુણ થાશે પ્રકાશ;

વરણીમાં છે ઐશ્વર્ય કેવું, તમે જાણશો આગળ એવું. 54

સુણી સૌ જને તે સાચું માન્યું, સાચ જૂઠ રહે નહિ છાનું;

એક અવસરે ધર્મકુમાર, સાથે સાધુ લઇ ત્રણ ચાર. 55

નદી છે ગામથી પૂર્વદીશ, ગયા નાજાવાને ત્યાં જગદીશ;

યોગસાધન ત્યાં બહુ કરી, પાછા મંદિરમાં આવ્યા હરિ. 56

જમવા સંત પંગતી થઇ, રામાનંદ બેઠા તેમાં જઇ;

ચણા પીરસવા રહ્યા હરી, રામાનંદે ત્યાં વારતા કરી. 57

આજ પીરસે છે ભગવાન, જમો સંતો થઇ સાવધાન;

એમ કરતા વિનોદ વિલાસ, કર્યો પંદર દિન ત્યાં નિવાસ.58

પુષ્પિતાગ્રાવૃત્ત:-

મનુષ્યસ્વરૂપ શ્રીહરિ જણાય, તરત ન વાત મનુષ્યથી મનાય;

ગુરુ નિજમન એ રીતે વિચારી, મરમ વિષે સમજાવવાની ધારી. 59

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિરામાનંદસ્વામી- લોજપુરવિચરણનામા સપ્તદશો વિશ્રામઃ ।।17।।