પૂર્વછાયો:-
ભૂપ કહે વરણીંદ્રને, તમે કથા સુણાવી સાર;
હવે હું પૂછું તે કહો, અનુકંપા કરીને અપાર. 1
સ્વામી રામાનંદ આગળે, મહાદીક્ષા લીધી મહારાજ;
ત્યાર પછીની જે કથા, મુજને સુણાવો આજ. 2
વસંતતિલકાવૃત્ત :-
વર્ણી કહે રુચિ ધરી સુણ સુજ્ઞ રાય, શ્રીધર્મનંદન તણી કહું છું કથાય;
દીક્ષા લીધી ગુરુ થકી પુર પીપળાણે, સારે પ્રબોધિની દિને જન સર્વ જાણે. 3
આવ્યા હતા દરશને જનસંઘ જેહ, સૌ પૂર્ણમાસિ સુધી ત્યાં ઠરિયા જ તેહ;
આનંદ ઉત્સવ ધરે ગુણગાન ગાય, વર્ણીંદ્રનાં દરશને નહિ તૃપ્ત થાય. 4
મૂર્તિ વિષે નિરખી અદ્ભુતતા અપાર, દીઠાં વળી ચરણ ષોડશ ચિહ્ન સાર;
જાણે ઘણાક જન અક્ષરધામવાસી, પ્રત્યક્ષ એજ પુરુષોત્તમ સુપ્રકાશી. 5
કોઇકનાં નજરથી ચિત્ત ચોરી લીધાં, કોઇકને સહજ દર્શન દિવ્ય દીધાં;
દેખાડયુિં કંઇકને નિજકેરું ધામ, વાધ્યો પ્રતાપ જનમધ્ય વિષે જ આમ.6
વીતી ગઇ પુનિત પૂનમ એહ જયારે, પોતા તણે પુર ગયા જનસંઘ ત્યારે;
વર્ણીંદ્રનાં અધિક દર્શન આપવાને, કીધો વિચાર ગુરુયે ફરવા જવાને. 7
બેઠા રથે વૃષજ ઉદ્ધવ ધર્મવંત, ગાડી વિષે વિદિત મુકત મુનીશ સંત;
ઘોડે ચડ્યા ઘરધણી વળી સાંખ્યયોગી, પાળા વિશેષ વિચરે વિષયે વિયોગી. 8
વાજે મૃદંગ વળી તાલ ઉપંગ ચંગ, ગાવે ગુણો હરિજનો ધરીને ઉમંગ;
નારી નરો મળી ઘણાં વિચર્યા વળાવા, નિર્ખી હરિમૂરતિને મનમાં ઠરાવા. 9
તે માંહી મુખ્યજન તો નરસિંહ મેજાતા, કલ્યાણજી તનુજ તે પણ બ્રહ્મવેત્તા;
જૈ ગામ બાર ગુરુયે કરિયો ઉચાર, પાછા વળો પુરજનો કરશો ન વાર. 10
ચોપાઈ:-
પછી પાછા વળ્યા પુરવાશી, આખા ગામે ગયા સુખરાશી;
ગંગાધર વિપ્રનું ત્યાં ઘર, પશ્ચિમાભિમુખે તે સુંદર. 11
ફળિયા માંહી પીપળો સારો, રામાનંદે કર્યો ત્યાં ઉતારો;
સજી ત્યાં સભા સંતસમાજે, આવ્યા હરિજન દર્શન કાજે.12
રામાનંદે ત્યાં વાણી ઉચ્ચારી, મહાપુરુષ છે આ બ્રહ્મચારી;
એવે અવસરે જાસુલ નામ, આવ્યો મેમણ એક તે ઠામ. 13
તેણે જોયા શ્રીહરિને જયારે, થઇ તરત સમાધિ ત્યારે;
જોઇ મૂરતિને ધામમાં જેવી, જોઇ જાગીને એવી ને એવી.14
જોયું શ્રીવત્સનું ચિન્હ જેવું, દીઠું પ્રત્યક્ષ તે પણ તેવું;
કર જોડી બોલ્યો ગુણવાન, સહજાનંદ છો ભગવાન. 15
એમ કહીને તે ચાલ્યો ગયો, સૌના મનમાં અચંબો થયો;
ગંગાધર નામે વિપ્રને ઘેર, જમ્યા સર્વે તહાં સારી પેર. 16
અગત્રાઇના હરિજન જેહ, આવ્યા સ્વામીને તેડવા તેહ;
સ્વામીયે વિનતિ સુણી લીધી, મુકતાનંદજીને આજ્ઞા દીધી. 17
આજ જાઓ અગત્રાઇ તમે, કાલે આવશું ત્યાં પછી અમે;
સાથે લઇને શ્રીહરિ સુખદાઇ, મુકતાનંદ ચાલ્યા અગત્રાઇ.18
હરિભકતો વળાવવા ગયા, હરિને જોઇ વિસ્મિત થયા;
દીઠું અકળ ને અદ્ભૂત તેજ, મૂરતિ માંહિ સમાયું એજ. 19
તેથી મૂર્તિમાં ચોટિયું ચિત્ત, કોઇ પાછા વળે ન ખચીત;
મુકતાનંદ કહે હરિદાસ, તમે શા માટે થાઓ ઉદાસ ? 20
રામાનંદ છે ઇશ્વરમૂરતિ, જઇ જોડો તેને વિષે સુરતી;
ઘણા આગ્રહથી પાછા વાળ્યા, પ્રભુ સંતો તણી સાથે ચાલ્યા. 21
ભકત આવ્યા રામાનંદ પાસ, કરી પરચાની વાત પ્રકાશ;
સ્વામી બોલિયા વાત વિચારી, મહાપુરુષ છે એ અવતારી. 22
બીજે દિવસે તો તત્પર થયા, રામાનંદ અગત્રાઇ ગયા;
રહે પટેલ ત્યાં ભીમભાઇ, તેને ઘેર રહ્યા સુખદાઇ. 23
મળ્યા ત્યાં મુનિ મુકતાનંદ, મળ્યા શ્રીહરિ આનંદકંદ;
ભીમભાઇ ને પર્વતભાઇ, પાસે બોલ્યા ગુરુ સુખદાઇ. 24
આ છે વર્ણીને વેષે સુજાણ, પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ;
સુણી વાત તે પર્વતભાઇ, કર્યો નિશ્ચય મન હરખાઇ. 25
સ્વામી ધોળિયે આંબે તે જઇ, બેસતા સભામાં સજજ થઇ;
રામાનંદ ગુરુ તો ગણાતા, સૌનાં મન તો હરિમાં તણાતાં. 26
કૈંક જીવના અર્થ સુધાર્યાં, પછી ત્યાં થકી મઢડે પધાર્યાં;
ઊતર્યા જેઠામેરને ઘેર, તેને વાત કહી રુડી પેર. 27
વળી હરિયે અનુગ્રહ કર્યોં, ચમત્કાર દેખાડિયો ખરો;
તેથી નિશ્ચય તેહને થયો, સર્વ સંશય મન તણો ગયો. 28
રામાનંદ ને શામશરીર, નાવા જાય નદી તણે તીર;
યોગ અષ્ટાંગ ત્યાં તે આચરે, ધ્યાન ધારણા સમાધિ કરે. 29
ત્યાંથી પરવર્યા જનપ્રતિપાળ, કાળવાણીયે આવ્યા કૃપાળ;
ત્યાં તો ધર્મશાળા શુભ અતી, રામાનંદે કરાવેલી હતી. 30
કર્યો બે માસ તેમાં નિવાસ, નિજજનની પુરી કરી આશ;
શામને તન સ્વેદ વળાવા, પાટા આવળકેરા બંધાવ્યા. 31
પૂર્વછાયો:-
સત્તાવન તણી સાલની, શુભ વસંતપંચમી જેહ;
કર્યો ઉત્સવ કાળવાણિયે, થયો સારો સમૈયો તેહ. 32
તાલ મૃદંગ વજાવીને, રામાનંદસ્વામી પદ ગાય;
રચેલ મુકતાનંદનાં, સુણી સૌ જન રાજી થાય. 33
કેસરકેસુ પતંગનાં, રુડા રચાવી જુદા રંગ;
રામાનંદે છાંટિયાં, તે રંગ હરિજન અંગ. 34
તે ઉપર વળી તે સમે, મુઠી મુઠીયે નાખ્યો ગુલાલ;
સુંદર શોભે તે થકી, આકાશ અવની લાલ. 35
સુંદર છબી ઘનશામની, જન નિરખીને હરખાય;
જોઇ રહે દિન જામની, પણ લોચન તૃપ્ત ન થાય. 36
એ છબી અંતરમાં ધરી, જન ગયા નિજનિજ દેશ;
કૃષ્ણસહિત કાળવાણીમાં, રહ્યા રામાનંદ વિશેષ. 37
તપે કરી તન હરિ તણું, હતું કાંઇક વક્ર વળેલ;
માટે ગુરુ ચોળાવતા, તન ઉપર મીણનું તેલ. 38
કસ્તુરી પણ ખવરાવતા, વળી કરતા અનેક ઉપાય;
પૌષ્ટિક પાક કરાવતા, જેથી શરીરે પુષ્ટી થાય. 39
કરી અનાદર દેહનો, સોનામુખી પીયે હરિરાય;
બહુ મરચાં ને રોટલો, લઇ ખુશી થઇ હરિ ખાય. 40
વિચરીને કાળવાણીથી, ગયું મંડળ તે માંગરોળ;
આણંદજી સંઘાડિયાને, ઘેર કર્યો કલ્લોલ. 41
ત્યાં ગોવરધન ભકતજન, સહુ જાણે સમાધિવાન;
ધ્યાન ધરે ધર્મપુત્રનું, નિશ્ચે જાણી તેને ભગવાન. 42
આણંદજી સંઘાડિયે, કહ્યું રામાનંદની પાસ;
તમને તજી ધર્મપુત્રનું, ધરે ધ્યાન ગોરધનદાસ. 43
સુણી રામાનંદ બોલિયા, ધ્યાન યોગ્ય છે ધર્મકુમાર;
તે તમે જન સૌ જાણશો, જયારે જોશો પ્રતાપ અપાર. 44
એવી રીતે માંગરોળમાં, વસ્યા પંદર દિવસ નિવાસ;
સ્નાન કર્યું સાગર વિષે, સાથે લઇ સકળ નિજદાસ.45
શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-
પેઠા શ્રીવૃષપુત્ર પ્રેમ ધરિને નાજાવા નિધિને જળે,
આવે નીરતરંગ અંગ ઉપરે છોળ્યો ઘણી ઉછળે;
એ આકાર દિસેફણી તણી ફણા વારિધિ વારી વિષે,
સૂતા ક્ષીરસમુદ્રમાં સુખ ધરી શું શેષશાયી દિસે. 46
ચોપાઈ:-
પછી ત્યાં થકી સર્વ સિધાવ્યા, અતિ આનંદે લોજમાં આવ્યા;
આસપાસના ગામમાં વાસ, એ તો દર્શને આવિયા દાસ.47
રામાનંદ હરખ મન ધરે, કથા વારતા તે નિત્ય કરે;
બહુ આવળપાન મંગાવે, વરણીને શરીરે બંધાવે. 48
જીવ આસુરી રધુનાથદાસ, બોલ્યો તે સહુ હરિજનપાસ;
સ્વામી કર્મ ખોટું આચરે છે, લીલાં ઝાડનો નાશ કરે છે.49
માંદો વર્ણી છે તે મરી જાશે, સાજો થાશે તો કયાંઇ પળાશે;
ત્યારે પાપ આ શા માટે કરવું ? ઝાડ કાપતાં દોષથી ડરવું. 50
સ્વામી વર્ણીને વશ્ય થયા છે, દયાધર્મ તો ભૂલી ગયા છે;
રામાનંદે તે સાંભળી વાત, દુઃખ પામ્યા પોતે સાક્ષાત. 51
પછી હરિજન સૌને બોલાવી, સ્વામીયે મુખવાત સુણાવી;
એ તો વર્ણી છે અક્ષરાતીત, એનો મહિમા છે અકળ અમીત.52
કોટિ બ્રહ્માંડના પ્રાણ હરિયે, એને અર્થે જો લોપરી કરીયે;
તોય પાપ ન લાગે લગાર, ઉલટું થાય પુણ્ય અપાર. 53
દૈત્ય અંશ છે રધુનાથદાસ, એના અવગુણ થાશે પ્રકાશ;
વરણીમાં છે ઐશ્વર્ય કેવું, તમે જાણશો આગળ એવું. 54
સુણી સૌ જને તે સાચું માન્યું, સાચ જૂઠ રહે નહિ છાનું;
એક અવસરે ધર્મકુમાર, સાથે સાધુ લઇ ત્રણ ચાર. 55
નદી છે ગામથી પૂર્વદીશ, ગયા નાજાવાને ત્યાં જગદીશ;
યોગસાધન ત્યાં બહુ કરી, પાછા મંદિરમાં આવ્યા હરિ. 56
જમવા સંત પંગતી થઇ, રામાનંદ બેઠા તેમાં જઇ;
ચણા પીરસવા રહ્યા હરી, રામાનંદે ત્યાં વારતા કરી. 57
આજ પીરસે છે ભગવાન, જમો સંતો થઇ સાવધાન;
એમ કરતા વિનોદ વિલાસ, કર્યો પંદર દિન ત્યાં નિવાસ.58
પુષ્પિતાગ્રાવૃત્ત:-
મનુષ્યસ્વરૂપ શ્રીહરિ જણાય, તરત ન વાત મનુષ્યથી મનાય;
ગુરુ નિજમન એ રીતે વિચારી, મરમ વિષે સમજાવવાની ધારી. 59
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિરામાનંદસ્વામી- લોજપુરવિચરણનામા સપ્તદશો વિશ્રામઃ ।।17।।