પૂર્વછાયો:-

ચાલ્યા માંડવા ગામથી, આતમાનંદ સહિતસમાજ;

રહ્યા જઇ રાજકોટમાં, નિજ આશ્રિતના હિતકાજ. 1

ચોપાઈ:-

પછી ત્યાં થકી ચાલિયા ફરવા, કૈંક જીવનાં કલ્યાણ કરવા;

ગયા ફરતા તે ગામ છત્રાસે, ઘણા ભકત વસે ત્યાં નિવાસે. 2

રામાનંદસ્વામી આવી મળિયા, કરી ચર્ચાને સંશય ટળિયા;

વિશિષ્ટાદ્વૈત મત કર્યું સાચું, મત અદ્વૈત તો ઠર્યું કાચું. 3

બ્રહ્મચારી કહે હે રાય, તે તો તમને કહી છે કથાય;

રહી શેષ તે વાત કહું છું, મારા મનમાં હુલાસ લહું છું. 4

આતમાનંદ ધારી આનંદ, કહે સાંભળો હે રામાનંદ !

મારો વૃદ્ધ થયો છે જ દેહ, માટે તજવાને જૈસ હું તેહ. 5

રામાનુજગુરુથી તમે દીક્ષા, લીધી છે વળી સારી શિક્ષા;

વૃંદાવનમાં શ્રીકૃષ્ણથી જેમ, મંત્રદીક્ષા લીધી છે તેમ. 6

વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન, મારા શિષ્યોને દેજો નિદાન;

મત અદ્વૈત ખંડન કરજો, મારા શિષ્યોના સંશય હરજો. 7

રામાનંદ બોલ્યા શબ્દ સારા, રામાનુજ છે પરમ ગુરુ મારા;

તેનો પ્રતાપ અંતરે આણી, વળી કૃષ્ણપ્રતાપ તે જાણી. 8

હૈયે રાખીને પૂરણ હામ, કહો છો તે કરીશ હું કામ;

જે જે છે જન શિષ્ય તમારા, તેને શિષ્ય કરીશ હું મારા. 9

બીજા પણ બહુ શિષ્ય કરીશ, વિશિષ્ટાદ્વૈત હું મનાવીશ;

કૃષ્ણઆજ્ઞાથી આવ્યો છું હુંય, માટે કામ તે કરવા ઇચ્છુંય.10

પછી હરબાઇ ને વાલબાઇ, તેને ગુરુયે કહ્યું હરખાઇ;

રામાનંદ કહે તેમ કરજો, એની આજ્ઞા અંતરમાં ધરજો. 11

જુકતાનંદ મુકતાનંદ જેહ, હવે હું સૂધાં ત્રણ જણ તેહ;

જશું નાઘેર દેશ મોઝાર, તન ત્યાગશું જૈ તેહ ઠાર. 12

રહે કે પડે જો તનુ ત્યાંય, તોય ખોળ ન કરશો કયાંય;

ખોળશે તે ગુરુદ્રોહી થાશે, અંતે ઘોર નરકમાં જાશે. 13

એમ કહી જણ ત્રણ સિધાવ્યા, લોઢવે લખુને ઘેર આવ્યા;

ત્યાંથી પચીશ ગાઉ ઊપર, ગામ નામ રુડું રામપર. 14

ઘણા શિષ્ય રહે નિજ ત્યાંય, કહ્યું એકને સ્વપનામાંય;

ગાડું લઇ તેડવા આવ્ય તુંય, તારી સાથે ત્યાં આવિશ હુંય.15

રાણો વણઝર શિષ્યનું નામ, જાતે આહિર સદ્ગુણધામ;

હતો તે તો સમાધિનિષ્ઠ, વળી શિષ્ય ગણાતો વરિષ્ઠ. 16

કહે વર્ણી સુણો હે નરેશ ! એની વરણવું વાત વિશેષ;

આત્માનંદે તજયો જયારે દેહ, રામાનંદે કર્યો શિષ્ય તેહ. 17

મેલ્યો અદ્વૈતમતને વિસારી, વિશિષ્ટાદ્વૈતની ટેક ધારી;

નામે કુંભો તેનો સુત થયો, તાતના મતમાં તેહ રહ્યો. 18

કર્યું એવું તો ભકિતનું કાજ, તેને રીઝ્યા શ્રીજી મહારાજ;

ભોજો પુત્ર ભલો થયો તેનો, અતિ ઉત્તમ સત્સંગ એનો. 19

કાંઇ કારણથી રામપર, તજી કીધું સમઢિયાળે ઘર;

ભોજાભકતનું સમઢિયાળું, પડ્યું નામ તો તેથી રુપાળું. 20

ભોજો ભકત ભારે સતસંગી, એની પ્રભુપદ પ્રીત અભંગી;

રઘુવીરજીને રુડીપેર, ઘણીવાર તેડ્યા નિજ ઘેર. 21

ભાળી ભકિત ભલી તેહ તણી, આચારજની કૃપા થઇ ઘણી;

નિત્યાનંદ ને ગોપાળાનંદ, તેને ઘેર પધાર્યા સ્વછંદ. 22

ગુણાતીત મુનિ કેહવાય, તેના તો મુખ્ય શિષ્ય ગણાય;

ઘણાં રાખતા નિજઘેર ઘોડાં, બીજાં વાહન પણ નહિ થોડા. 23

ઘણાં ઘોડાં તો દેવને દીધાં, આચારજજીને અર્પણ કીધાં;

ઘરે ભેંશો રાખે ઘણી એવી, ભલી હોય હાથણિયો જેવી. 24

જુનાગઢના મંદિરમાંય, દેવ રાધારમણ છે ત્યાંય;

ભારે ભેંશો તહાં ભેટ ધરી, સાજી તાજી તને પુષ્ટ કરી. 25

દેવને દહીં દૂધ ધરાય, તેનું પુણ્ય ગણ્યું ન ગણાય;

ધાતુપાત્ર ને પ્રૌઢ પલંગ, કરી વસ્તુઓ ભેટ અભંગ. 26

કરી ઇશ્વરે લીલા લહેર, ઘણી રિદ્ધિસિદ્ધિ દીધી ઘેર;

પામ્યા સતસંગ માંહિ પ્રખ્યાતી, ધન્ય ધન્ય કહે જનજાતી. 27

એ તો વંશ કહ્યો જ વિસ્તાર, એનો જાણી પ્રસંગ આ ઠાર;

રાણા વણઝરની કહું વાત, સુણો ભૂપ થઇ રળિયાત. 28

ગાડું લૈ રાણો લોઢવે આવ્યા, આત્માનંદને અંતરે ભાવ્યા;

જુકતાનંદ મુકતાનંદ પાસ, ગુરુયે કર્યું વચન પ્રકાશ. 29

લખુબાઇ પાસે તમે રહો, થોડા દિન પછી સદગતિ લહો;

એમ કહિને રામપરે આવ્યા, આસપાસના શિષ્યો તેડાવ્યા. 30

પછી વીતી ગઇ જયારે રાત, બીજા દિવસનું પ્રગટ્યું પ્રભાત;

નદી ધાતરવડીયે નાજાવા, સર્વ શિષ્ય સમેત સિધાવ્યા. 31

હતું તમરતરૂ પાવન, બેઠા નાહીને ત્યાં સઉ જન;

આતમાનંદ ઉચર્યા ત્યારે, મારો દેહ છુટી જાય જયારે. 32

લાવી મૂકજો આ સ્થળ એહ, નવ બાળશો દાટશો તેહ;

એમ કહી નિજચરણ ઝલાવ્યા, પછી સૌ મળી ગામમાં આવ્યા. 33

પૂર્વછાયો:-

પછી આત્માનંદસ્વામીયે, જયારે ત્યાગ કર્યો નિજદેહ;

કહ્યા પ્રમાણે મૂકિયા, જઇ તમરતરૂ તળ તેહ. 34

જુકતા ને મુકતાનંદ જે, રહ્યા હતા લોઢવે ગામ;

તેમણે પણ સૌ શિષ્યને, તહાં આપી પ્રતિજ્ઞા આમ.35

તજીયે તન અમે જે સમે, ત્યારે તમે અમારા દેહ;

વન વિષે જૈ મૂકજો, નવ બાળશો દાટશો તેહ. 36

આતમાનંદને વીતિયા, જયારે મરણ પછી દિન સાત;

તારે તે બેય સાધુઓના,પિંડ તણો થયો પાત. 37

શિષ્ય મળી તે શરીરને, મુકી આવ્યા વન મોઝાર;

વર્ણી અચિંત્યાનંદ કહે, સુણો ભાવિક ભૂભરતાર. 38

આત્માનંદ તણી કથા, તમને સુણાવી જેહ;

સદ્ગુરુ પરમાનંદમુખ, મેં સાંભળી હતી તેહ. 39

પુષ્પિતાગ્રાવૃત્ત:-

નૃપતિ સમીપ સર્વ સૌખ્યદાની, કહી શુભ વાત ગુરુપરંપરાની;

દ્દઢ મન ધરી જે સુણે સુણાવે, થઇ હરિભકત વિરાગ જ્ઞાન લાવે. 40

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે આત્માનંદસ્વામી- દેહત્યાગકરણનામા ષોડશો વિશ્રામઃ ।।16।।