પૂર્વછાયો:-
ચાલ્યા માંડવા ગામથી, આતમાનંદ સહિતસમાજ;
રહ્યા જઇ રાજકોટમાં, નિજ આશ્રિતના હિતકાજ. 1
ચોપાઈ:-
પછી ત્યાં થકી ચાલિયા ફરવા, કૈંક જીવનાં કલ્યાણ કરવા;
ગયા ફરતા તે ગામ છત્રાસે, ઘણા ભકત વસે ત્યાં નિવાસે. 2
રામાનંદસ્વામી આવી મળિયા, કરી ચર્ચાને સંશય ટળિયા;
વિશિષ્ટાદ્વૈત મત કર્યું સાચું, મત અદ્વૈત તો ઠર્યું કાચું. 3
બ્રહ્મચારી કહે હે રાય, તે તો તમને કહી છે કથાય;
રહી શેષ તે વાત કહું છું, મારા મનમાં હુલાસ લહું છું. 4
આતમાનંદ ધારી આનંદ, કહે સાંભળો હે રામાનંદ !
મારો વૃદ્ધ થયો છે જ દેહ, માટે તજવાને જૈસ હું તેહ. 5
રામાનુજગુરુથી તમે દીક્ષા, લીધી છે વળી સારી શિક્ષા;
વૃંદાવનમાં શ્રીકૃષ્ણથી જેમ, મંત્રદીક્ષા લીધી છે તેમ. 6
વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન, મારા શિષ્યોને દેજો નિદાન;
મત અદ્વૈત ખંડન કરજો, મારા શિષ્યોના સંશય હરજો. 7
રામાનંદ બોલ્યા શબ્દ સારા, રામાનુજ છે પરમ ગુરુ મારા;
તેનો પ્રતાપ અંતરે આણી, વળી કૃષ્ણપ્રતાપ તે જાણી. 8
હૈયે રાખીને પૂરણ હામ, કહો છો તે કરીશ હું કામ;
જે જે છે જન શિષ્ય તમારા, તેને શિષ્ય કરીશ હું મારા. 9
બીજા પણ બહુ શિષ્ય કરીશ, વિશિષ્ટાદ્વૈત હું મનાવીશ;
કૃષ્ણઆજ્ઞાથી આવ્યો છું હુંય, માટે કામ તે કરવા ઇચ્છુંય.10
પછી હરબાઇ ને વાલબાઇ, તેને ગુરુયે કહ્યું હરખાઇ;
રામાનંદ કહે તેમ કરજો, એની આજ્ઞા અંતરમાં ધરજો. 11
જુકતાનંદ મુકતાનંદ જેહ, હવે હું સૂધાં ત્રણ જણ તેહ;
જશું નાઘેર દેશ મોઝાર, તન ત્યાગશું જૈ તેહ ઠાર. 12
રહે કે પડે જો તનુ ત્યાંય, તોય ખોળ ન કરશો કયાંય;
ખોળશે તે ગુરુદ્રોહી થાશે, અંતે ઘોર નરકમાં જાશે. 13
એમ કહી જણ ત્રણ સિધાવ્યા, લોઢવે લખુને ઘેર આવ્યા;
ત્યાંથી પચીશ ગાઉ ઊપર, ગામ નામ રુડું રામપર. 14
ઘણા શિષ્ય રહે નિજ ત્યાંય, કહ્યું એકને સ્વપનામાંય;
ગાડું લઇ તેડવા આવ્ય તુંય, તારી સાથે ત્યાં આવિશ હુંય.15
રાણો વણઝર શિષ્યનું નામ, જાતે આહિર સદ્ગુણધામ;
હતો તે તો સમાધિનિષ્ઠ, વળી શિષ્ય ગણાતો વરિષ્ઠ. 16
કહે વર્ણી સુણો હે નરેશ ! એની વરણવું વાત વિશેષ;
આત્માનંદે તજયો જયારે દેહ, રામાનંદે કર્યો શિષ્ય તેહ. 17
મેલ્યો અદ્વૈતમતને વિસારી, વિશિષ્ટાદ્વૈતની ટેક ધારી;
નામે કુંભો તેનો સુત થયો, તાતના મતમાં તેહ રહ્યો. 18
કર્યું એવું તો ભકિતનું કાજ, તેને રીઝ્યા શ્રીજી મહારાજ;
ભોજો પુત્ર ભલો થયો તેનો, અતિ ઉત્તમ સત્સંગ એનો. 19
કાંઇ કારણથી રામપર, તજી કીધું સમઢિયાળે ઘર;
ભોજાભકતનું સમઢિયાળું, પડ્યું નામ તો તેથી રુપાળું. 20
ભોજો ભકત ભારે સતસંગી, એની પ્રભુપદ પ્રીત અભંગી;
રઘુવીરજીને રુડીપેર, ઘણીવાર તેડ્યા નિજ ઘેર. 21
ભાળી ભકિત ભલી તેહ તણી, આચારજની કૃપા થઇ ઘણી;
નિત્યાનંદ ને ગોપાળાનંદ, તેને ઘેર પધાર્યા સ્વછંદ. 22
ગુણાતીત મુનિ કેહવાય, તેના તો મુખ્ય શિષ્ય ગણાય;
ઘણાં રાખતા નિજઘેર ઘોડાં, બીજાં વાહન પણ નહિ થોડા. 23
ઘણાં ઘોડાં તો દેવને દીધાં, આચારજજીને અર્પણ કીધાં;
ઘરે ભેંશો રાખે ઘણી એવી, ભલી હોય હાથણિયો જેવી. 24
જુનાગઢના મંદિરમાંય, દેવ રાધારમણ છે ત્યાંય;
ભારે ભેંશો તહાં ભેટ ધરી, સાજી તાજી તને પુષ્ટ કરી. 25
દેવને દહીં દૂધ ધરાય, તેનું પુણ્ય ગણ્યું ન ગણાય;
ધાતુપાત્ર ને પ્રૌઢ પલંગ, કરી વસ્તુઓ ભેટ અભંગ. 26
કરી ઇશ્વરે લીલા લહેર, ઘણી રિદ્ધિસિદ્ધિ દીધી ઘેર;
પામ્યા સતસંગ માંહિ પ્રખ્યાતી, ધન્ય ધન્ય કહે જનજાતી. 27
એ તો વંશ કહ્યો જ વિસ્તાર, એનો જાણી પ્રસંગ આ ઠાર;
રાણા વણઝરની કહું વાત, સુણો ભૂપ થઇ રળિયાત. 28
ગાડું લૈ રાણો લોઢવે આવ્યા, આત્માનંદને અંતરે ભાવ્યા;
જુકતાનંદ મુકતાનંદ પાસ, ગુરુયે કર્યું વચન પ્રકાશ. 29
લખુબાઇ પાસે તમે રહો, થોડા દિન પછી સદગતિ લહો;
એમ કહિને રામપરે આવ્યા, આસપાસના શિષ્યો તેડાવ્યા. 30
પછી વીતી ગઇ જયારે રાત, બીજા દિવસનું પ્રગટ્યું પ્રભાત;
નદી ધાતરવડીયે નાજાવા, સર્વ શિષ્ય સમેત સિધાવ્યા. 31
હતું તમરતરૂ પાવન, બેઠા નાહીને ત્યાં સઉ જન;
આતમાનંદ ઉચર્યા ત્યારે, મારો દેહ છુટી જાય જયારે. 32
લાવી મૂકજો આ સ્થળ એહ, નવ બાળશો દાટશો તેહ;
એમ કહી નિજચરણ ઝલાવ્યા, પછી સૌ મળી ગામમાં આવ્યા. 33
પૂર્વછાયો:-
પછી આત્માનંદસ્વામીયે, જયારે ત્યાગ કર્યો નિજદેહ;
કહ્યા પ્રમાણે મૂકિયા, જઇ તમરતરૂ તળ તેહ. 34
જુકતા ને મુકતાનંદ જે, રહ્યા હતા લોઢવે ગામ;
તેમણે પણ સૌ શિષ્યને, તહાં આપી પ્રતિજ્ઞા આમ.35
તજીયે તન અમે જે સમે, ત્યારે તમે અમારા દેહ;
વન વિષે જૈ મૂકજો, નવ બાળશો દાટશો તેહ. 36
આતમાનંદને વીતિયા, જયારે મરણ પછી દિન સાત;
તારે તે બેય સાધુઓના,પિંડ તણો થયો પાત. 37
શિષ્ય મળી તે શરીરને, મુકી આવ્યા વન મોઝાર;
વર્ણી અચિંત્યાનંદ કહે, સુણો ભાવિક ભૂભરતાર. 38
આત્માનંદ તણી કથા, તમને સુણાવી જેહ;
સદ્ગુરુ પરમાનંદમુખ, મેં સાંભળી હતી તેહ. 39
પુષ્પિતાગ્રાવૃત્ત:-
નૃપતિ સમીપ સર્વ સૌખ્યદાની, કહી શુભ વાત ગુરુપરંપરાની;
દ્દઢ મન ધરી જે સુણે સુણાવે, થઇ હરિભકત વિરાગ જ્ઞાન લાવે. 40
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે આત્માનંદસ્વામી- દેહત્યાગકરણનામા ષોડશો વિશ્રામઃ ।।16।।