પૂર્વછાયો:-

વર્ણી કહે નૃપ સાંભળો, આત્માનંદનું કહું આખ્યાન;

વિશ્વંભર ભટ નામ છે, કરે પ્રભુ તણાં ગુણગાન.1

ચોપાઈ:-

વાલબાઇયે તે ઘણા વહાલે, વિશ્વંભર ભટને એક કાળે,

નોતરું દેઇ જમવા તેડાવ્યા, પછી તે જયારે જમવા આવ્યા. 2

તમે ઇશ્વર છો એમ કહી, બાઇ ગુરુપદ પકડી રહી;

બોલ્યા વિશ્વંભરભટ તૈંયે, અમે વિપ્ર તે ઇશ્વર છૈયે. 3

નથી એમાં તો કાંઇ નવાઇ, મૂકો મૂકો મારા પગ બાઇ;

તોયે પગ નવ મૂકિયા જયારે, ભટે ચરણ ઉંચો કર્યો ત્યારે. 4

ચાંપ્યો અંગુઠો એને કપાળે, થઇ તેને સમાધિ તે કાળે;

ખટ ચક્ર ભેદી જીવ ચડિયો, બ્રહ્મરંધ્ર ઉપર જઇ અડિયો. 5

ભુલી ગઇ નિજ દેહનું ભાન, સૂતિ થૈને તે શબની સમાન;

ભટે પૂછી જોયું તેની માને, આવું થાય છે કે કદી આને. 6

ત્યારે માતાયે જોઇને કહ્યું, આવું તો આને આજ જ થયું;

કહે ભટ એની ચિંતા વિસારી, એને એકાંતે મૂકો સુવારી. 7

પછી માતાયે એકાંતે ધરી, ગયા ભટજી તો ભોજન કરી;

ગયા વાસર બે એમ વહી, સમાધિ તોય ઊતરી નહી. 8

માયે ભટજીને જમવા તેડાવ્યા, જયારે તે વળી જમવાને આવ્યા;

માયે આંખમાંથી આંસુ પાડી, સ્થિતિ પુત્રીની તેને દેખાડી. 9

ચાંપી ચરણનો અંગુઠો ભાલે, તેને તરત જગાડી તે કાળે;

અતિ જોઇ ચમત્કાર એવા, જાણ્યા ભટજીને ઇશ્વર જેવા. 10

વાલબાઇ તે વૈરાગ્યવાળી, તેણે તૃષ્ણા સંસારની ટાળી;

દિનદિન નિજદેહને દમે, રસ કસવિણ ભોજન જમે. 11

બાળાપણમાં હતી પરણેલી, પાછી સાસરે તો ન ગયેલી;

તેડું આવશે સાસરા તણું, સુણી એવું દાઝે દિલ ઘણું. 12

કરી એવી પ્રતિજ્ઞા આપ, નર સર્વે મારે ભાઇબાપ;

વિશ્વંભરભટને કહી વાત, ગોર છો જી તમે મારા તાત.13

દીલમાં દયા મુજ પર લાવો, મને કાશીની જાત્રા કરાવો;

ગોરે આપ્યું એને વાકયદાન, કરાવીશ તને ગંગાસ્નાન. 14

ગોપનાથ પછી ગોર ગયા, મંત્ર લૈ મહાદીક્ષિત થયા;

દીક્ષા ગોપાળજોગિયે દીધી, આતમાનંદ સંજ્ઞા કીધી. 15

ભેખ ભગવો ધરી તેહ ઠામ, પાછા આવ્યા આંસોદર ગામ;

ચાલ્યા કાશિયે ધારી ઉમંગ, વાલબાઇ એ ચાલિયાં સંગ.16

માત તાતની આજ્ઞા લઇને, શાણી બાઇ ચાલ્યાં સજજ થઇને;

લાઠી ગામમાં આવિયાં જયારે, ભગવાં કર્યા બાઇયે ત્યારે. 17

ધીમે ધીમે તે કાશિયે ગયાં, ધર્મશાળા વિષે જઇ રહ્યાં;

મળી ત્યાં તો બીજી એક બાઇ, નામ ઠામ તેનું કહું ભાઇ.18

દેશ નાઘેરની હતી નારી, તેનો ત્યાગ વૈરાગ્ય છે ભારી;

હરબાઇ છે તેહનું નામ, જાતે કુંભાર પણ ગુણધામ. 19

મળી બે બાઇયો તેહ જયારે, નામ ઠામ પૂછી લીધાં ત્યારે;

ગિરનારની છાયામાં ગામ, જાણ્યાં બેય તણાં તેહ ઠામ. 20

થયો સ્નેહ તે સ્વદેશી જાણી, વાલબાઇ બોલ્યાં મુખ વાણી;

કેમ આવ્યાં તમે તજી દેશ ? તેનું કારણ તો કહો લેશ. 21

ત્યારે બોલિયાં તે હરબાઇ, હરિ મળવાની ઇચ્છાયે ધાઇ;

જાણ્યું ભેખમાં છે ભગવાન, કાં તો છે જહાં તીરથ સ્થાન.22

પણ જોયા કાશીના નિવાસી, દીઠા ભ્રષ્ટ ઘણાક સંન્યાસી;

કામી ક્રોધી લોભી થયા સંત, દેખી ઉપજે છે દુઃખ અત્યંત.23

ઘણાં તીર્થ વિષે જ હું ફરી, મનવૃત્તિ તો કયાંઇ ન ઠરી;

મને ઇશ્વર પ્રાપ્ત ન થયા, દીનબંધુયે નવ કરી દયા. 24

વાલબાઇ બોલ્યાં ધરી નેહ, આતમાનંદસ્વામી છે જેહ;

એ છે ઈશ્વરનો અવતાર, નથી સંશય એમાં લગાર. 25

જયારે તેનો સમાગમ કરશો, ત્યારે શાંતિ અંતરમાં ધરશો;

પછી તેણે સમાગમ કર્યો, થઇ ધારણા ને જીવ ઠર્યો. 26

વળી પેખિને પ્રૌઢ પ્રતાપ, એને જાણિયા ઇશ્વર આપ;

તેની પાસે લીધો ઉપદેશ, ધર્યો તન પર ભગવો વેશ. 27

પૂર્વછાયો:-

ત્રણ્યે મળી ત્યાંથી ચાલિયાં, આવ્યાં વ્રજમાં ગોકુળગામ;

અભ્યાગતની જાયગા, હતી તેમાં કર્યો વિશ્રામ. 28

વેરાગી બહુ ત્યાં વસે, સૌનો ઉપરી એક મહંત;

જાત્રાળુ જન આવે ઘણા, આપે રસોઇ જમે સૌ સંત. 29

વારો રસોઇ દીધા તણો, મળે નહિ દિવસ બહુ જાય;

ત્યારે સામાન રસોઇનો, દઇ પોતાને પંથ પળાય. 30

સીધાં લઇ સાકર તણાં, ભરે કોઠારી કોઠાર માંય;

ભેખને પિરસે ભાખરા, પુણ્ય પાપ ગણે નહિ કાંય. 31

સારું સારું પોતે જમે, નિજ સેવકને પણ દેય;

હોય ગવાન્નીક ગાયનું, જેમ પાડા ભક્ષ કરેય. 32

તે થકી તે કોઠારીની, બહુ નિંદા જગતમાં થાય;

મુખોમુખ નહિ કહી શકે, પણ પાછળ અપજશ ગાય.33

ઘરડા માંદા સંતને, જેની પાસે ન દેખે દામ;

કાઢી મૂકે જગ્યા થકી, કહે રહો બીજે જૈ ઠામ. 34

કરવા પરીક્ષા તેહની, આત્માનંદે કીધો વિચાર;

બેય પગે પાટા બાંધિયા, મધ ચોપડી તેહ ઠાર. 35

માખિયો બહુ બહુ બણબણે, કોઇ ઉભું રહે નહિ પાસ;

સૂગ ચડે જન સર્વને, વસવા ન દે કોઇ વાસ. 36

કાચું સિધું કોઠારિયે, આપી કહ્યું તજો આ સ્થાન;

વળી બીજા વેરાગીયે, આવી કર્યું ઘણું અપમાન. 37

ધમકી દઇ ધકા મારિયા, કાઢી મુકવા કીધો ઉપાય;

આત્માનંદ કહે આજ તો, મુજ માંદા થકી ન જવાય.38

મહાંતનાં મનમાં દયા, કાંઇ ઉપજી એણી વાર;

આજની રાત રહો ભલે, એવો એણે કર્યો ઉચ્ચાર. 39

મંદિરના જનકારણે, કર્યા માલપુવા દૂધપાક;

ભજીયાં પણ ભાતભાતનાં, ઘણાં સુંદર સ્વાદુ શાક. 40

પંગતે પીરશું જે સમે, ત્યારે પાત્ર પુરાવી મહંત;

અરપ્યું આત્માનંદને, કહ્યું જમો તમે શુચિ સંત. 41

દષ્ટિ કરી દૂધપાકમાં, બોલ્યાં આત્માનંદજી એમ;

આમાં તો જીવ અસંખ્ય છે, કહો કરાય ભોજન કેમ ? 42

પછી દીઠા સૌ સાધુયે, બધા ભોજનમાં બહુ જંત;

ખાડો ખોદાવીને દાટિયું, રહ્યા ભૂખ્યા નિશા પર્યંત. 43

ચોપાઈ:-

આતમાનંદ ત્યાં રહિ રાત, ચાલ્યા મારગે ઉઠી પ્રભાત;

સર્વે સાધુયે કીધો વિચાર, એ તો ઇશ્વરનો અવતાર. 44

સાધુઓને શિખામણ દેવા, એ તો આવ્યા હતા થઇ એવા;

હોય ભોજનમાં કયાંથી જંત, એનું ઐશ્વર્ય એ તો અનંત.45

પછી ખોળવા તેને નિકળીયા, પણ કોઇને તે નવ મળિયા;

આત્માનંદ આવ્યા ગુજરાત, અમદાવાદ છે જયાં વિખ્યાત.46

શિષ્ય નાગર દશ બાર થયા, પછી વિસનગરમાં ગયા;

વડનગર ગયા એહ વાર, ઘણા શિષ્ય કર્યા બેય ઠાર. 47

વળતાં આવિયા મછિયાવ, રાણી ફઇબાનો ભાળ્યો ભાવ;

બાપુસિંહજી ઠાકોર તણી, એહ માતા વિવેકી ઘણી. 48

તેને પોતાની આશ્રિત કરી, કૈંક ભરવાડે શિષ્યતા ધરી;

રાજકોટ ગયા મહારાજ, કૈંક જીવનાં ત્યાં કર્યા કાજ. 49

દૈવી જીવ જે ડોસો કુંભાર, વૈશ્ય માવજી સમઝે સાર;

તેઓને ભલા ઉપદેશ દીધા, સારા શિષ્ય તે પોતાના કીધા. 50

આસપાસના ગામોમાં ફર્યા, ઘણા દૈવીને આશ્રિત કર્યા;

આત્માનંદે કર્યું એવું કામ, કીધું શિષ્ય કોઠારિયું ગામ. 51

ત્રંબાગામ બધું શિષ્ય થયું, તેમા કોઇ અશિષ્ય ન રહ્યું;

જુગતાનંદ મુકતાનંદ, બેય સાધુ કર્યા જગવંદ. 52

જુગતાનંદ સમાધિ કરે, અનુવૃત્તિ મુકતાનંદ ધરે;

નિજમત પ્રસરાવવા કાજ, ચાલ્યો પાંચે જણાનો સમાજ. 53

સરધારમાં જૈ શિષ્યો કર્યા, કોટડામાં પછી પરવર્યા;

નામે ઉકરડો રાજગર, થયો શિષ્ય તે એ અવસર. 54

ગામ છત્રાસાના સર્વ જન, શિષ્ય થૈ કરે નિત્યે ભજન;

પછી ત્યાંથી આવ્યા પીપળાણે, મેજાતા નરસી રહે તે ઠેકાણે. 55

તેને શિષ્ય કર્યા તેહ ઠામ, કર્યું શિષ્ય આખા આખું ગામ;

લોઢવામાં થઇ શિષ્ય બાઇ, લખુચારણ નામે ગણાઇ. 56

મેખાટીંબી નામે એક ગામ, રહે આહિર બહુ તેહ ઠામ;

આત્માનંદ તહાં પરવર્યા, ઘણા આહિરને શિષ્ય કર્યા. 57

પુષ્પિતાગ્રાવૃત્ત:-

નરતનું ધરી ઇશ્વરાંશ આપ, સદ ઉપદેશ દઇ હર્યા ત્રિતાપ;

પરમત કરી વાદ જીતિ લીધા, બહુ જનને સમઝાવી શિષ્ય કીધા. 58

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે આત્માનંદસ્વામી- પ્રવાસવિચરણનામા ચતુર્દશો વિશ્રામઃ ।।14।।