પૂર્વછાયો:-
વર્ણી કહે નૃપ સાંભળો, આત્માનંદનું કહું આખ્યાન;
વિશ્વંભર ભટ નામ છે, કરે પ્રભુ તણાં ગુણગાન.1
ચોપાઈ:-
વાલબાઇયે તે ઘણા વહાલે, વિશ્વંભર ભટને એક કાળે,
નોતરું દેઇ જમવા તેડાવ્યા, પછી તે જયારે જમવા આવ્યા. 2
તમે ઇશ્વર છો એમ કહી, બાઇ ગુરુપદ પકડી રહી;
બોલ્યા વિશ્વંભરભટ તૈંયે, અમે વિપ્ર તે ઇશ્વર છૈયે. 3
નથી એમાં તો કાંઇ નવાઇ, મૂકો મૂકો મારા પગ બાઇ;
તોયે પગ નવ મૂકિયા જયારે, ભટે ચરણ ઉંચો કર્યો ત્યારે. 4
ચાંપ્યો અંગુઠો એને કપાળે, થઇ તેને સમાધિ તે કાળે;
ખટ ચક્ર ભેદી જીવ ચડિયો, બ્રહ્મરંધ્ર ઉપર જઇ અડિયો. 5
ભુલી ગઇ નિજ દેહનું ભાન, સૂતિ થૈને તે શબની સમાન;
ભટે પૂછી જોયું તેની માને, આવું થાય છે કે કદી આને. 6
ત્યારે માતાયે જોઇને કહ્યું, આવું તો આને આજ જ થયું;
કહે ભટ એની ચિંતા વિસારી, એને એકાંતે મૂકો સુવારી. 7
પછી માતાયે એકાંતે ધરી, ગયા ભટજી તો ભોજન કરી;
ગયા વાસર બે એમ વહી, સમાધિ તોય ઊતરી નહી. 8
માયે ભટજીને જમવા તેડાવ્યા, જયારે તે વળી જમવાને આવ્યા;
માયે આંખમાંથી આંસુ પાડી, સ્થિતિ પુત્રીની તેને દેખાડી. 9
ચાંપી ચરણનો અંગુઠો ભાલે, તેને તરત જગાડી તે કાળે;
અતિ જોઇ ચમત્કાર એવા, જાણ્યા ભટજીને ઇશ્વર જેવા. 10
વાલબાઇ તે વૈરાગ્યવાળી, તેણે તૃષ્ણા સંસારની ટાળી;
દિનદિન નિજદેહને દમે, રસ કસવિણ ભોજન જમે. 11
બાળાપણમાં હતી પરણેલી, પાછી સાસરે તો ન ગયેલી;
તેડું આવશે સાસરા તણું, સુણી એવું દાઝે દિલ ઘણું. 12
કરી એવી પ્રતિજ્ઞા આપ, નર સર્વે મારે ભાઇબાપ;
વિશ્વંભરભટને કહી વાત, ગોર છો જી તમે મારા તાત.13
દીલમાં દયા મુજ પર લાવો, મને કાશીની જાત્રા કરાવો;
ગોરે આપ્યું એને વાકયદાન, કરાવીશ તને ગંગાસ્નાન. 14
ગોપનાથ પછી ગોર ગયા, મંત્ર લૈ મહાદીક્ષિત થયા;
દીક્ષા ગોપાળજોગિયે દીધી, આતમાનંદ સંજ્ઞા કીધી. 15
ભેખ ભગવો ધરી તેહ ઠામ, પાછા આવ્યા આંસોદર ગામ;
ચાલ્યા કાશિયે ધારી ઉમંગ, વાલબાઇ એ ચાલિયાં સંગ.16
માત તાતની આજ્ઞા લઇને, શાણી બાઇ ચાલ્યાં સજજ થઇને;
લાઠી ગામમાં આવિયાં જયારે, ભગવાં કર્યા બાઇયે ત્યારે. 17
ધીમે ધીમે તે કાશિયે ગયાં, ધર્મશાળા વિષે જઇ રહ્યાં;
મળી ત્યાં તો બીજી એક બાઇ, નામ ઠામ તેનું કહું ભાઇ.18
દેશ નાઘેરની હતી નારી, તેનો ત્યાગ વૈરાગ્ય છે ભારી;
હરબાઇ છે તેહનું નામ, જાતે કુંભાર પણ ગુણધામ. 19
મળી બે બાઇયો તેહ જયારે, નામ ઠામ પૂછી લીધાં ત્યારે;
ગિરનારની છાયામાં ગામ, જાણ્યાં બેય તણાં તેહ ઠામ. 20
થયો સ્નેહ તે સ્વદેશી જાણી, વાલબાઇ બોલ્યાં મુખ વાણી;
કેમ આવ્યાં તમે તજી દેશ ? તેનું કારણ તો કહો લેશ. 21
ત્યારે બોલિયાં તે હરબાઇ, હરિ મળવાની ઇચ્છાયે ધાઇ;
જાણ્યું ભેખમાં છે ભગવાન, કાં તો છે જહાં તીરથ સ્થાન.22
પણ જોયા કાશીના નિવાસી, દીઠા ભ્રષ્ટ ઘણાક સંન્યાસી;
કામી ક્રોધી લોભી થયા સંત, દેખી ઉપજે છે દુઃખ અત્યંત.23
ઘણાં તીર્થ વિષે જ હું ફરી, મનવૃત્તિ તો કયાંઇ ન ઠરી;
મને ઇશ્વર પ્રાપ્ત ન થયા, દીનબંધુયે નવ કરી દયા. 24
વાલબાઇ બોલ્યાં ધરી નેહ, આતમાનંદસ્વામી છે જેહ;
એ છે ઈશ્વરનો અવતાર, નથી સંશય એમાં લગાર. 25
જયારે તેનો સમાગમ કરશો, ત્યારે શાંતિ અંતરમાં ધરશો;
પછી તેણે સમાગમ કર્યો, થઇ ધારણા ને જીવ ઠર્યો. 26
વળી પેખિને પ્રૌઢ પ્રતાપ, એને જાણિયા ઇશ્વર આપ;
તેની પાસે લીધો ઉપદેશ, ધર્યો તન પર ભગવો વેશ. 27
પૂર્વછાયો:-
ત્રણ્યે મળી ત્યાંથી ચાલિયાં, આવ્યાં વ્રજમાં ગોકુળગામ;
અભ્યાગતની જાયગા, હતી તેમાં કર્યો વિશ્રામ. 28
વેરાગી બહુ ત્યાં વસે, સૌનો ઉપરી એક મહંત;
જાત્રાળુ જન આવે ઘણા, આપે રસોઇ જમે સૌ સંત. 29
વારો રસોઇ દીધા તણો, મળે નહિ દિવસ બહુ જાય;
ત્યારે સામાન રસોઇનો, દઇ પોતાને પંથ પળાય. 30
સીધાં લઇ સાકર તણાં, ભરે કોઠારી કોઠાર માંય;
ભેખને પિરસે ભાખરા, પુણ્ય પાપ ગણે નહિ કાંય. 31
સારું સારું પોતે જમે, નિજ સેવકને પણ દેય;
હોય ગવાન્નીક ગાયનું, જેમ પાડા ભક્ષ કરેય. 32
તે થકી તે કોઠારીની, બહુ નિંદા જગતમાં થાય;
મુખોમુખ નહિ કહી શકે, પણ પાછળ અપજશ ગાય.33
ઘરડા માંદા સંતને, જેની પાસે ન દેખે દામ;
કાઢી મૂકે જગ્યા થકી, કહે રહો બીજે જૈ ઠામ. 34
કરવા પરીક્ષા તેહની, આત્માનંદે કીધો વિચાર;
બેય પગે પાટા બાંધિયા, મધ ચોપડી તેહ ઠાર. 35
માખિયો બહુ બહુ બણબણે, કોઇ ઉભું રહે નહિ પાસ;
સૂગ ચડે જન સર્વને, વસવા ન દે કોઇ વાસ. 36
કાચું સિધું કોઠારિયે, આપી કહ્યું તજો આ સ્થાન;
વળી બીજા વેરાગીયે, આવી કર્યું ઘણું અપમાન. 37
ધમકી દઇ ધકા મારિયા, કાઢી મુકવા કીધો ઉપાય;
આત્માનંદ કહે આજ તો, મુજ માંદા થકી ન જવાય.38
મહાંતનાં મનમાં દયા, કાંઇ ઉપજી એણી વાર;
આજની રાત રહો ભલે, એવો એણે કર્યો ઉચ્ચાર. 39
મંદિરના જનકારણે, કર્યા માલપુવા દૂધપાક;
ભજીયાં પણ ભાતભાતનાં, ઘણાં સુંદર સ્વાદુ શાક. 40
પંગતે પીરશું જે સમે, ત્યારે પાત્ર પુરાવી મહંત;
અરપ્યું આત્માનંદને, કહ્યું જમો તમે શુચિ સંત. 41
દષ્ટિ કરી દૂધપાકમાં, બોલ્યાં આત્માનંદજી એમ;
આમાં તો જીવ અસંખ્ય છે, કહો કરાય ભોજન કેમ ? 42
પછી દીઠા સૌ સાધુયે, બધા ભોજનમાં બહુ જંત;
ખાડો ખોદાવીને દાટિયું, રહ્યા ભૂખ્યા નિશા પર્યંત. 43
ચોપાઈ:-
આતમાનંદ ત્યાં રહિ રાત, ચાલ્યા મારગે ઉઠી પ્રભાત;
સર્વે સાધુયે કીધો વિચાર, એ તો ઇશ્વરનો અવતાર. 44
સાધુઓને શિખામણ દેવા, એ તો આવ્યા હતા થઇ એવા;
હોય ભોજનમાં કયાંથી જંત, એનું ઐશ્વર્ય એ તો અનંત.45
પછી ખોળવા તેને નિકળીયા, પણ કોઇને તે નવ મળિયા;
આત્માનંદ આવ્યા ગુજરાત, અમદાવાદ છે જયાં વિખ્યાત.46
શિષ્ય નાગર દશ બાર થયા, પછી વિસનગરમાં ગયા;
વડનગર ગયા એહ વાર, ઘણા શિષ્ય કર્યા બેય ઠાર. 47
વળતાં આવિયા મછિયાવ, રાણી ફઇબાનો ભાળ્યો ભાવ;
બાપુસિંહજી ઠાકોર તણી, એહ માતા વિવેકી ઘણી. 48
તેને પોતાની આશ્રિત કરી, કૈંક ભરવાડે શિષ્યતા ધરી;
રાજકોટ ગયા મહારાજ, કૈંક જીવનાં ત્યાં કર્યા કાજ. 49
દૈવી જીવ જે ડોસો કુંભાર, વૈશ્ય માવજી સમઝે સાર;
તેઓને ભલા ઉપદેશ દીધા, સારા શિષ્ય તે પોતાના કીધા. 50
આસપાસના ગામોમાં ફર્યા, ઘણા દૈવીને આશ્રિત કર્યા;
આત્માનંદે કર્યું એવું કામ, કીધું શિષ્ય કોઠારિયું ગામ. 51
ત્રંબાગામ બધું શિષ્ય થયું, તેમા કોઇ અશિષ્ય ન રહ્યું;
જુગતાનંદ મુકતાનંદ, બેય સાધુ કર્યા જગવંદ. 52
જુગતાનંદ સમાધિ કરે, અનુવૃત્તિ મુકતાનંદ ધરે;
નિજમત પ્રસરાવવા કાજ, ચાલ્યો પાંચે જણાનો સમાજ. 53
સરધારમાં જૈ શિષ્યો કર્યા, કોટડામાં પછી પરવર્યા;
નામે ઉકરડો રાજગર, થયો શિષ્ય તે એ અવસર. 54
ગામ છત્રાસાના સર્વ જન, શિષ્ય થૈ કરે નિત્યે ભજન;
પછી ત્યાંથી આવ્યા પીપળાણે, મેજાતા નરસી રહે તે ઠેકાણે. 55
તેને શિષ્ય કર્યા તેહ ઠામ, કર્યું શિષ્ય આખા આખું ગામ;
લોઢવામાં થઇ શિષ્ય બાઇ, લખુચારણ નામે ગણાઇ. 56
મેખાટીંબી નામે એક ગામ, રહે આહિર બહુ તેહ ઠામ;
આત્માનંદ તહાં પરવર્યા, ઘણા આહિરને શિષ્ય કર્યા. 57
પુષ્પિતાગ્રાવૃત્ત:-
નરતનું ધરી ઇશ્વરાંશ આપ, સદ ઉપદેશ દઇ હર્યા ત્રિતાપ;
પરમત કરી વાદ જીતિ લીધા, બહુ જનને સમઝાવી શિષ્ય કીધા. 58
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે આત્માનંદસ્વામી- પ્રવાસવિચરણનામા ચતુર્દશો વિશ્રામઃ ।।14।।