પૂર્વછાયો:-
કહું કથા રામાનંદની, વળી તેણે કર્યા જે કામ;
બાંધ્યાં સદાવ્રત બહુ ભલાં, ગણી કહું તે ગામનાં નામ. 1
ચોપાઈ:-
ગામ લોજ તથા માંગરોળ, આપે ત્યાં લોટ દાળ ઘી ગોળ;
માણાવદર ને અગત્રાઇ, મેઘપર ને ધોરાજી માંઇ. 2
ગામ સાંકળી ને પીપળાણું, જામવાળી ને ભાડેર જાણું;
ફણેણી જેતપર સરધાર, સદાવ્રત નવાનગર મોઝાર. 3
કોટડું ગઢડું કારિયાણી, આપે પુષ્કળ ત્યાં અન્ન પાણી;
ગામ માણકવાડા મેથાણ, ગુજરાતે જેતલપુર જાણ. 4
અમદાવાદમાં કર્યું જેમ, બીજાં પણ બહું ગામમાં તેમ;
રાખ્યા સાધુઓને અન્ન દેવા, આવે તીરથવાસીયો લેવા. 5
આપી અન્નને દે ઉપદેશ, દૈવીને દિલ થાય પ્રવેશ;
વસ્તુ નિત્ય અનિત્યનું જ્ઞાન, પામી થાય તે વૈરાગ્યવાન.6
સુણી સ્વામીનો મહિમા વિશેષ, રહે કૈંક તો ત્યાં જ હંમેશ;
દીક્ષા વૈષ્ણવી લેવા ચહે છે, સાધુ થૈ સ્વામીપાસ રહે છે.7
અયોધ્યામાં અખાડો છે જેહ, નામે રામગલોલાનો તેહ;
રહે વેરાગી તેમાં અનેક, ઉપરી તો મહાંત છે એક. 8
મુખ્ય શિષ્યતો લક્ષ્મણદાસ, તેને દ્વારિકા જાવાની આશ;
સાથે વૈરાગી પચાશ લીધા, ઊંટ ઘોડા ગુરુજીયે દીધા. 9
સૌયે હથિયાર પકડ્યાં હાથે, બીજો સામાન બહુ લીધો સાથે;
ચાલ્યા દ્વારિકા જાત્રાને કામ, સુણ્યું રસ્તે રામાનંદ નામ. 10
જયાં છે સુંદર સોરઠ દેશ, લોજમાં તે વસે છે વિશેષ;
એ છે ઇશ્વરનો અવતાર, તેના સામર્થ્યનો નથી પાર. 11
પર અંતરની વાત જાણે, મન ચંચળ તે સ્થિર આણે;
એનો આશ્રય જેને મળે છે, કામવાસના તેની ટળે છે. 12
એનું પૂરણ તેજ પ્રકાશે, ભાળતાં ભલું ઐશ્વર્ય ભાસે;
મહિમા એવો સાંભળ્યો જયારે, ઇચ્છા દર્શનની થઇ ત્યારે. 13
પછી તેહનાં દર્શન કાજ, લોજ ગામે ગયો તે સમાજ;
રામાનંદનું દેખી સ્વરૂપ, થયો આધીન વેરાગી ભૂપ. 14
પાંચ દિવસ કર્યો ત્યાં નિવાસ, કથા સાંભળી સ્વામીની પાસ;
ઉરમાં ઉપજયો વૈરાગ, થઇ મનથી તો વાસના ત્યાગ. 15
જવા સોબતી આકળા થાય, ચોટ્યું ચિત્ત તે કેમ જવાય;
કહે ચાલશું સાંઝે પ્રભાત, એમ કરતાં વિત્યા દિન સાત.16
જવા બીજાયે બહુ હઠ લીધો, તેને છેલ્લો ઉત્તર એવો દીધો;
જાઓ જો જવું હોય તમારે, અઠે દ્વારિકા છેજી અમારે. 17
જેનો જીવ જેમાં જોડાયા વિષે :- ઉપજાતિવૃત્ત:-
જોડાય જેનું મન જેની જોડે, છોડાવતાં તે કદીયે ન છોડે;
લે કાષ્ઠ જે હાલર હાથમાંય, છોડાવતાં પ્રાણ છુટે જ ત્યાંય.18
પ્રીતિ કરે દીપકમાં પતંગ, બળે તથાપિ અરપે જ અંગ;
જો ચંદ્રમાં પ્રીતિ કરે ચકોર, પ્રીતિ કરે છે ઘન માંહિ મોર. 19
વૈરાગ્ય સાચો ઉપજે જ જેને, સંસારનો સંગ ગમે ન તેને;
જો તુંબડીને જળમાં દબાવે, તથાપિ તે ઊપર પાછી આવે.20
જો વ્યાઘ્ર બચ્ચું ઉછરે અજામાં, તે વૃંદમધ્યે વિચરે મજામાં;
સ્વજાતિની સંગત થાય જયારે, જતું રહે જાતિ વિષે જ ત્યારે. 21
જો આસુરીમાં જન દૈવી કોય, મળી રહેલો બહુ કાળ હોય;
જો તેહને સદ્ગુરુ સંગ થાય, ન આસુરી સાથે રહી શકાય.22
જો યેળ પામે ભ્રમરી પ્રસંગ, તો ઉડવા પાંખ પમાય અંગ;
સ્વયં સ્વરૂપે ભ્રમરી જ થાય, તે યેળ મધ્યે વસવા ન જાય.23
તેવી રીતે જો સતસંગ થાય, કુસંગમાં કેમ રહી શકાય;
સત્સંગીને સત્ય સગા પ્રમાણે, કુસંગીને નિત્ય વિજાતી જાણે. 24
સ્વજાતિ મધ્યે વસવું ગમે છે, વિજાતિમાંથી ખસવું ગમે છે;
જો શ્વાનને તો ભસવું ગમે છે, મનુષ્યને તો હસવું ગમે છે. 25
ચોપાઈ:-
જુદી જાતિના જુદા સ્વભાવ, રહી ભેળા ન થાય નિભાવ;
જેને સદ્ગુરુનો રંગ લાગે, તે તો સંસારીનો સંગ ત્યાગે. 26
એવું જાણીને લક્ષ્મણદાસે, કહ્યું પોતાના સોબતી પાસે;
હું તો આંહિ રહીશ હંમેશ, તમે જાત્રા કરી જાઓ દેશ. 27
હું તો દ્વારિકા ને હરદ્વાર, ગયો પુષ્કર કાશી કેદાર;
વડાં અડસઠ તીર્થ વખાણું, રામાનંદના ચરણમાં જાણું. 28
બીજા તીર્થે તો તન ધોવાય, મનનો મળ આ સ્થળે જાય;
એમ કહી શણગાર ઉતાર્યો, ખરા વૈરાગ્યનો વેષ ધાર્યો. 29
હતી કંઠમાં કનકની માળા, કડાં વીંટી ને વેઢ રુપાળા;
લ્યો આ જૈને ગુરુજીને દેજો, મારા છેલ્લા પ્રણામ કહેજો. 30
એવાં વાકય વિશેષ સુણાવ્યાં, સુણી સર્વને આંસુડાં આવ્યાં;
હતા દૈવી તે તો ત્યાં જ રહ્યા, બીજા દ્વારિકા તીરથે ગયા. 31
રામાનંદ ગુરુજીની પાસે, લીધી દીક્ષા તે લક્ષ્મણદાસે;
નામ ધાર્યુ તે આનંદાનંદ, મહામુકત થયા જગવંદ. 32
બીજા પણ જન ઉત્તમ એવા, સ્વામી પાસે રહ્યા આવી કેવા;
તેની વાત કહું છું વિશેષ, સુણો સ્નેહ સહિત નરેશ. 33
ગુજરાતમાં મછિયાવ ગામ, વસે અૌદીચ વિપ્ર તે ઠામ;
નામે તે મધ્ય મૂળજી એક, જેમાં સદ્ગુણ શોભે અનેક. 34
બાળપણથી પ્રભુભકિત ગમે, નહિ રમત રમે કોઇ સમે;
જન જોઇને કરતાં વિચાર, આ છે મુકત તણો અવતાર. 35
આઠ વરષે તો ઉપવીત દીધું, તાતે પરણાવવાનું મન કીધું;
તાત આગળ બોલ્યા તે આમ, મેં તો સંસાર કીધો હરામ. 36
હું તો નૈષ્ઠિકવ્રત દ્દઢ ધારી, રહું અંત સુધી બ્રહ્મચારી;
મને કયાંઇ મળે જગદીશ, ખાંતે ખૂબ તે ખોળ કરીશ. 37
એવું સાંભળીને કહે તાત, સુત સાંભળો સ્નેહની વાત;
જયારે જગતમાં કળિજુગ હોય, નહિ રહી શકે નૈષ્ઠિક કોય.38
જુવાની વયમાં જયારે થાશો, પછી પુત્ર પુરા પસતાશો;
માટે આગળથી જ વિચારો, શુભ ધર્મ ગૃહસ્થનો ધારો. 39
કહે મૂળજી સાંભળો તાત, તમે જે કહી તે સત્ય વાત;
પણ વૈરાગ્ય જો હોય સાચો, તે તો કદીયે પડે નહિ કાચો.40
દઢ વૈરાગ્ય એમ દેખાડી, પોતે પરણવાની ના પાડી;
ખરા સદ્ગુરુની ખોળ કરવા, ચાલ્યા દ્વારિકા તીર્થ વિચરવા. 41
સુણ્યું રસ્તે રામાનંદ નામ, ગયા તેથી પોતે લોજ ગામ;
નમ્યા સ્વામીને જૈ સાક્ષાત, વળી સાંભળી જ્ઞાનની વાત.42
ગળે દૂધમાં સાકર જેમ, ગળ્યું જ્ઞાન વિષે મન તેમ;
કરુણા ઘણી સ્વામીયે કીધી, મહાદીક્ષા તે વૈષ્ણવી દીધી. 43
રાખ્યા વર્ણીરૂપે જગવંદ, નામ ધાર્યુ શ્રીમુકુંદાનંદ;
અંત સુધી રહ્યા ઊર્ધ્વરેતા, વખણાયા વળી બ્રહ્મવેત્તા. 44
એવા કેટલાકની કહું વાત, કેજાતા પાર ન પામિયે ભ્રાત;
અતિ એવા સમર્થ તે સ્વામી, જેની કીર્તિ દશે દિશ જામી. 45
દેખી દાઝે અદેખા વેરાગી, એના અંતરમાં લાય લાગી;
પછી લાગ્યા તે હરકત કરવા, રામાનંદ તણું માન હરવા. 46
જાણ્યું આ જે સદાવ્રત દે છે, તેનું માન તો તેથી વધે છે;
માટે આપણે સૌ કરો એમ, તેનાં તુટે સદાવ્રત તેમ. 47
એવો નિશ્ચય કરી નિરધાર, પીડા કરવાને માંડી અપાર;
ઝુંડ વેરાગીનાં બહુ આવે, આપનારને તે અકળાવે. 48
રહે સાધુ સદાવ્રત દેવા, તેને લાગે તે તો જમ જેવા;
કોઇ ગાળો ઉચ્ચારે ગમાર, મારે ચીપિયાનો કોઇ માર. 49
કોઇ માંગે તમાકું અફીણ, માંગે ગાંજો કોઇ મતિહીણ;
કોઇ તો માંગે સાકર ખાંડ, ન મળે તો બોલે જેમ ભાંડ. 50
કહે કોઇ વળી અહંકારી, એક ગામમાં છે મઠધારી;
તેનો દંડ અમે લીધો જેમ, લેશું દંડ તમારોય તેમ. 51
નહી આપો તો મારશું માર, લૂંટી લેશું ભરેલો ભંડાર;
સંતોયે એવા સંકટ સહી, સ્વામી આગળ જૈ વાત કહી. 52
બાંધ્યો સ્વામીયે એવો પ્રબંધ, કર્યા સર્વે સદાવ્રત બંધ;
પછી પ્રકરણ તપનું ચલાવ્યું, તેનું કારણ તમને સુણાવું. 53
પૂર્વછાયો:-
એક સમે યુથ સંતનું, આવ્યું ફરીને સોરઠ દેશ;
સ્વામીયે તેમા એકનું, દીઠું શરીર પુષ્ટ વિશેષ.54
ચોપાઈ:-
સ્વામી તેહ પ્રત્યે કહે ત્યાંય, તમે જૈ આવ્યા સોરઠમાંય;
ત્યાંના ભકત છે ભાવિક સહુ, લાડુ તમને જમાડિયા બહુ. 55
જમી પુષ્ટ શરીર જણાય, આમ ઇંદ્રિયો કેમ જીતાય;
કામ આદિકનાં બીજ જેહ, સદા દેહ વિષે રહે તેહ. 56
જેમ અવનિ ઉપર ઉષ્ણકાળે, બીજ ઘાસનાં કોઇ ન ભાળે;
પણ વૃષ્ટિ ભલી થાય એક, ઉગી નીકળે ઘાસ અનેક. 57
તેમ રસ કસ ભોજન થાય, ત્યારે ઇંદ્રિયો પુષ્ટ જણાય;
તેથી ત્યાગીનો નવ રહે ધર્મ, એ તો સમઝો ખરેખરો મર્મ. 58
માટે આજથી સંતો અમારા, થાઓ પાશેર અન્ન લેનારા;
એથી કદીયે ન જમવું વિશેષ, રસકસ નવ ચાખવો લેશ. 59
એવું વ્રત જયારે સંતોયે ધાર્યું, હરિભકતોયે એમ વિચાર્યું;
જયારે સંતે લીધું વ્રત એવું, ત્યારે આપણે તે વ્રત લેવું. 60
હરિભકતે લીધું વ્રત જયારે, આવી સ્વામીને ઉર દયા ત્યારે;
વ્રત સંતોને તે તો તજાવ્યું, ત્યારે ભકતોને પણ અન્ન ભાવ્યું. 61
ધન્ય સંત ને હરિજન ધન્ય, એવા હોય નહીં સ્થળ અન્ય;
સુણો ભૂપ ક્ષત્રીકુળચંદ, સ્વામી પૂજતા બાળમુકુંદ. 62
મોડા ગામ પાસે એક ગામ, ગંગાજળિયું છે તેહનું નામ;
નાતે રાવળ ત્યાં બાઈ પાલી, તેને મૂર્તિ તે સ્વામીયે આલી. 63
જલો ભકત તે પાલીનો પુત્ર, તેના ઘરમાં તે મૂર્તિ છે તત્ર;
પાલી બાઇને તે પછી જયારે, મળ્યા શ્રીસહજાનંદ ત્યારે. 64
જલાભકતને કરવાને ત્યાગી, સોંપ્યા શ્રીહરિને પગે લાગી;
ધન્ય ધન્ય તે ભકતની માતા, થઇ પુત્રને કલ્યાણદાતા. 65
પુષ્પિતાગ્રાવૃત્ત:-
પ્રથમ પ્રગટ સંપ્રદાય કીધો, સદ્ગુરુ થૈ ઉપદેશ શુદ્ધ દીધો;
નહી કદી વિસરે જ નામ જેનું, નૃપ તુજ પાસ કહ્યું ચરિત્ર તેનું. 66
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે સદ્ગુરુશ્રીરામાનન્દ-સ્વામીઆખ્યાનકથનનામા દ્વાદશો વિશ્રામઃ ।।12।।