પૂર્વછાયો:-

કહું કથા રામાનંદની, વળી તેણે કર્યા જે કામ;

બાંધ્યાં સદાવ્રત બહુ ભલાં, ગણી કહું તે ગામનાં નામ. 1

ચોપાઈ:-

ગામ લોજ તથા માંગરોળ, આપે ત્યાં લોટ દાળ ઘી ગોળ;

માણાવદર ને અગત્રાઇ, મેઘપર ને ધોરાજી માંઇ. 2

ગામ સાંકળી ને પીપળાણું, જામવાળી ને ભાડેર જાણું;

ફણેણી જેતપર સરધાર, સદાવ્રત નવાનગર મોઝાર. 3

કોટડું ગઢડું કારિયાણી, આપે પુષ્કળ ત્યાં અન્ન પાણી;

ગામ માણકવાડા મેથાણ, ગુજરાતે જેતલપુર જાણ. 4

અમદાવાદમાં કર્યું જેમ, બીજાં પણ બહું ગામમાં તેમ;

રાખ્યા સાધુઓને અન્ન દેવા, આવે તીરથવાસીયો લેવા. 5

આપી અન્નને દે ઉપદેશ, દૈવીને દિલ થાય પ્રવેશ;

વસ્તુ નિત્ય અનિત્યનું જ્ઞાન, પામી થાય તે વૈરાગ્યવાન.6

સુણી સ્વામીનો મહિમા વિશેષ, રહે કૈંક તો ત્યાં જ હંમેશ;

દીક્ષા વૈષ્ણવી લેવા ચહે છે, સાધુ થૈ સ્વામીપાસ રહે છે.7

અયોધ્યામાં અખાડો છે જેહ, નામે રામગલોલાનો તેહ;

રહે વેરાગી તેમાં અનેક, ઉપરી તો મહાંત છે એક. 8

મુખ્ય શિષ્યતો લક્ષ્મણદાસ, તેને દ્વારિકા જાવાની આશ;

સાથે વૈરાગી પચાશ લીધા, ઊંટ ઘોડા ગુરુજીયે દીધા. 9

સૌયે હથિયાર પકડ્યાં હાથે, બીજો સામાન બહુ લીધો સાથે;

ચાલ્યા દ્વારિકા જાત્રાને કામ, સુણ્યું રસ્તે રામાનંદ નામ. 10

જયાં છે સુંદર સોરઠ દેશ, લોજમાં તે વસે છે વિશેષ;

એ છે ઇશ્વરનો અવતાર, તેના સામર્થ્યનો નથી પાર. 11

પર અંતરની વાત જાણે, મન ચંચળ તે સ્થિર આણે;

એનો આશ્રય જેને મળે છે, કામવાસના તેની ટળે છે. 12

એનું પૂરણ તેજ પ્રકાશે, ભાળતાં ભલું ઐશ્વર્ય ભાસે;

મહિમા એવો સાંભળ્યો જયારે, ઇચ્છા દર્શનની થઇ ત્યારે. 13

પછી તેહનાં દર્શન કાજ, લોજ ગામે ગયો તે સમાજ;

રામાનંદનું દેખી સ્વરૂપ, થયો આધીન વેરાગી ભૂપ. 14

પાંચ દિવસ કર્યો ત્યાં નિવાસ, કથા સાંભળી સ્વામીની પાસ;

ઉરમાં ઉપજયો વૈરાગ, થઇ મનથી તો વાસના ત્યાગ. 15

જવા સોબતી આકળા થાય, ચોટ્યું ચિત્ત તે કેમ જવાય;

કહે ચાલશું સાંઝે પ્રભાત, એમ કરતાં વિત્યા દિન સાત.16

જવા બીજાયે બહુ હઠ લીધો, તેને છેલ્લો ઉત્તર એવો દીધો;

જાઓ જો જવું હોય તમારે, અઠે દ્વારિકા છેજી અમારે. 17

જેનો જીવ જેમાં જોડાયા વિષે :- ઉપજાતિવૃત્ત:-

જોડાય જેનું મન જેની જોડે, છોડાવતાં તે કદીયે ન છોડે;

લે કાષ્ઠ જે હાલર હાથમાંય, છોડાવતાં પ્રાણ છુટે જ ત્યાંય.18

પ્રીતિ કરે દીપકમાં પતંગ, બળે તથાપિ અરપે જ અંગ;

જો ચંદ્રમાં પ્રીતિ કરે ચકોર, પ્રીતિ કરે છે ઘન માંહિ મોર. 19

વૈરાગ્ય સાચો ઉપજે જ જેને, સંસારનો સંગ ગમે ન તેને;

જો તુંબડીને જળમાં દબાવે, તથાપિ તે ઊપર પાછી આવે.20

જો વ્યાઘ્ર બચ્ચું ઉછરે અજામાં, તે વૃંદમધ્યે વિચરે મજામાં;

સ્વજાતિની સંગત થાય જયારે, જતું રહે જાતિ વિષે જ ત્યારે. 21

જો આસુરીમાં જન દૈવી કોય, મળી રહેલો બહુ કાળ હોય;

જો તેહને સદ્ગુરુ સંગ થાય, ન આસુરી સાથે રહી શકાય.22

જો યેળ પામે ભ્રમરી પ્રસંગ, તો ઉડવા પાંખ પમાય અંગ;

સ્વયં સ્વરૂપે ભ્રમરી જ થાય, તે યેળ મધ્યે વસવા ન જાય.23

તેવી રીતે જો સતસંગ થાય, કુસંગમાં કેમ રહી શકાય;

સત્સંગીને સત્ય સગા પ્રમાણે, કુસંગીને નિત્ય વિજાતી જાણે. 24

સ્વજાતિ મધ્યે વસવું ગમે છે, વિજાતિમાંથી ખસવું ગમે છે;

જો શ્વાનને તો ભસવું ગમે છે, મનુષ્યને તો હસવું ગમે છે. 25

ચોપાઈ:-

જુદી જાતિના જુદા સ્વભાવ, રહી ભેળા ન થાય નિભાવ;

જેને સદ્ગુરુનો રંગ લાગે, તે તો સંસારીનો સંગ ત્યાગે. 26

એવું જાણીને લક્ષ્મણદાસે, કહ્યું પોતાના સોબતી પાસે;

હું તો આંહિ રહીશ હંમેશ, તમે જાત્રા કરી જાઓ દેશ. 27

હું તો દ્વારિકા ને હરદ્વાર, ગયો પુષ્કર કાશી કેદાર;

વડાં અડસઠ તીર્થ વખાણું, રામાનંદના ચરણમાં જાણું. 28

બીજા તીર્થે તો તન ધોવાય, મનનો મળ આ સ્થળે જાય;

એમ કહી શણગાર ઉતાર્યો, ખરા વૈરાગ્યનો વેષ ધાર્યો. 29

હતી કંઠમાં કનકની માળા, કડાં વીંટી ને વેઢ રુપાળા;

લ્યો આ જૈને ગુરુજીને દેજો, મારા છેલ્લા પ્રણામ કહેજો. 30

એવાં વાકય વિશેષ સુણાવ્યાં, સુણી સર્વને આંસુડાં આવ્યાં;

હતા દૈવી તે તો ત્યાં જ રહ્યા, બીજા દ્વારિકા તીરથે ગયા. 31

રામાનંદ ગુરુજીની પાસે, લીધી દીક્ષા તે લક્ષ્મણદાસે;

નામ ધાર્યુ તે આનંદાનંદ, મહામુકત થયા જગવંદ. 32

બીજા પણ જન ઉત્તમ એવા, સ્વામી પાસે રહ્યા આવી કેવા;

તેની વાત કહું છું વિશેષ, સુણો સ્નેહ સહિત નરેશ. 33

ગુજરાતમાં મછિયાવ ગામ, વસે અૌદીચ વિપ્ર તે ઠામ;

નામે તે મધ્ય મૂળજી એક, જેમાં સદ્ગુણ શોભે અનેક. 34

બાળપણથી પ્રભુભકિત ગમે, નહિ રમત રમે કોઇ સમે;

જન જોઇને કરતાં વિચાર, આ છે મુકત તણો અવતાર. 35

આઠ વરષે તો ઉપવીત દીધું, તાતે પરણાવવાનું મન કીધું;

તાત આગળ બોલ્યા તે આમ, મેં તો સંસાર કીધો હરામ. 36

હું તો નૈષ્ઠિકવ્રત દ્દઢ ધારી, રહું અંત સુધી બ્રહ્મચારી;

મને કયાંઇ મળે જગદીશ, ખાંતે ખૂબ તે ખોળ કરીશ. 37

એવું સાંભળીને કહે તાત, સુત સાંભળો સ્નેહની વાત;

જયારે જગતમાં કળિજુગ હોય, નહિ રહી શકે નૈષ્ઠિક કોય.38

જુવાની વયમાં જયારે થાશો, પછી પુત્ર પુરા પસતાશો;

માટે આગળથી જ વિચારો, શુભ ધર્મ ગૃહસ્થનો ધારો. 39

કહે મૂળજી સાંભળો તાત, તમે જે કહી તે સત્ય વાત;

પણ વૈરાગ્ય જો હોય સાચો, તે તો કદીયે પડે નહિ કાચો.40

દઢ વૈરાગ્ય એમ દેખાડી, પોતે પરણવાની ના પાડી;

ખરા સદ્ગુરુની ખોળ કરવા, ચાલ્યા દ્વારિકા તીર્થ વિચરવા. 41

સુણ્યું રસ્તે રામાનંદ નામ, ગયા તેથી પોતે લોજ ગામ;

નમ્યા સ્વામીને જૈ સાક્ષાત, વળી સાંભળી જ્ઞાનની વાત.42

ગળે દૂધમાં સાકર જેમ, ગળ્યું જ્ઞાન વિષે મન તેમ;

કરુણા ઘણી સ્વામીયે કીધી, મહાદીક્ષા તે વૈષ્ણવી દીધી. 43

રાખ્યા વર્ણીરૂપે જગવંદ, નામ ધાર્યુ શ્રીમુકુંદાનંદ;

અંત સુધી રહ્યા ઊર્ધ્વરેતા, વખણાયા વળી બ્રહ્મવેત્તા. 44

એવા કેટલાકની કહું વાત, કેજાતા પાર ન પામિયે ભ્રાત;

અતિ એવા સમર્થ તે સ્વામી, જેની કીર્તિ દશે દિશ જામી. 45

દેખી દાઝે અદેખા વેરાગી, એના અંતરમાં લાય લાગી;

પછી લાગ્યા તે હરકત કરવા, રામાનંદ તણું માન હરવા. 46

જાણ્યું આ જે સદાવ્રત દે છે, તેનું માન તો તેથી વધે છે;

માટે આપણે સૌ કરો એમ, તેનાં તુટે સદાવ્રત તેમ. 47

એવો નિશ્ચય કરી નિરધાર, પીડા કરવાને માંડી અપાર;

ઝુંડ વેરાગીનાં બહુ આવે, આપનારને તે અકળાવે. 48

રહે સાધુ સદાવ્રત દેવા, તેને લાગે તે તો જમ જેવા;

કોઇ ગાળો ઉચ્ચારે ગમાર, મારે ચીપિયાનો કોઇ માર. 49

કોઇ માંગે તમાકું અફીણ, માંગે ગાંજો કોઇ મતિહીણ;

કોઇ તો માંગે સાકર ખાંડ, ન મળે તો બોલે જેમ ભાંડ. 50

કહે કોઇ વળી અહંકારી, એક ગામમાં છે મઠધારી;

તેનો દંડ અમે લીધો જેમ, લેશું દંડ તમારોય તેમ. 51

નહી આપો તો મારશું માર, લૂંટી લેશું ભરેલો ભંડાર;

સંતોયે એવા સંકટ સહી, સ્વામી આગળ જૈ વાત કહી. 52

બાંધ્યો સ્વામીયે એવો પ્રબંધ, કર્યા સર્વે સદાવ્રત બંધ;

પછી પ્રકરણ તપનું ચલાવ્યું, તેનું કારણ તમને સુણાવું. 53

પૂર્વછાયો:-

એક સમે યુથ સંતનું, આવ્યું ફરીને સોરઠ દેશ;

સ્વામીયે તેમા એકનું, દીઠું શરીર પુષ્ટ વિશેષ.54

ચોપાઈ:-

સ્વામી તેહ પ્રત્યે કહે ત્યાંય, તમે જૈ આવ્યા સોરઠમાંય;

ત્યાંના ભકત છે ભાવિક સહુ, લાડુ તમને જમાડિયા બહુ. 55

જમી પુષ્ટ શરીર જણાય, આમ ઇંદ્રિયો કેમ જીતાય;

કામ આદિકનાં બીજ જેહ, સદા દેહ વિષે રહે તેહ. 56

જેમ અવનિ ઉપર ઉષ્ણકાળે, બીજ ઘાસનાં કોઇ ન ભાળે;

પણ વૃષ્ટિ ભલી થાય એક, ઉગી નીકળે ઘાસ અનેક. 57

તેમ રસ કસ ભોજન થાય, ત્યારે ઇંદ્રિયો પુષ્ટ જણાય;

તેથી ત્યાગીનો નવ રહે ધર્મ, એ તો સમઝો ખરેખરો મર્મ. 58

માટે આજથી સંતો અમારા, થાઓ પાશેર અન્ન લેનારા;

એથી કદીયે ન જમવું વિશેષ, રસકસ નવ ચાખવો લેશ. 59

એવું વ્રત જયારે સંતોયે ધાર્યું, હરિભકતોયે એમ વિચાર્યું;

જયારે સંતે લીધું વ્રત એવું, ત્યારે આપણે તે વ્રત લેવું. 60

હરિભકતે લીધું વ્રત જયારે, આવી સ્વામીને ઉર દયા ત્યારે;

વ્રત સંતોને તે તો તજાવ્યું, ત્યારે ભકતોને પણ અન્ન ભાવ્યું. 61

ધન્ય સંત ને હરિજન ધન્ય, એવા હોય નહીં સ્થળ અન્ય;

સુણો ભૂપ ક્ષત્રીકુળચંદ, સ્વામી પૂજતા બાળમુકુંદ. 62

મોડા ગામ પાસે એક ગામ, ગંગાજળિયું છે તેહનું નામ;

નાતે રાવળ ત્યાં બાઈ પાલી, તેને મૂર્તિ તે સ્વામીયે આલી. 63

જલો ભકત તે પાલીનો પુત્ર, તેના ઘરમાં તે મૂર્તિ છે તત્ર;

પાલી બાઇને તે પછી જયારે, મળ્યા શ્રીસહજાનંદ ત્યારે. 64

જલાભકતને કરવાને ત્યાગી, સોંપ્યા શ્રીહરિને પગે લાગી;

ધન્ય ધન્ય તે ભકતની માતા, થઇ પુત્રને કલ્યાણદાતા. 65

પુષ્પિતાગ્રાવૃત્ત:-

પ્રથમ પ્રગટ સંપ્રદાય કીધો, સદ્ગુરુ થૈ ઉપદેશ શુદ્ધ દીધો;

નહી કદી વિસરે જ નામ જેનું, નૃપ તુજ પાસ કહ્યું ચરિત્ર તેનું. 66

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે સદ્ગુરુશ્રીરામાનન્દ-સ્વામીઆખ્યાનકથનનામા દ્વાદશો વિશ્રામઃ ।।12।।