પૂર્વછાયો:-
રામાનંદ પ્રતાપથી, મુકતાનંદમુનિ ગુણવાન;
નિશ્ચળ નિષ્કામી થયા, હવે એનું કહું આખ્યાન.1
ચોપાઈ:-
અમરાપર નામે છે ગામ, દેશ સોરઠમાં સુખધામ;
વસે ત્યાં હરિજન મુળદાસ, સાધુતાગુણ શુભ જેની પાસ.2
તેની બાળકી જે રાધાબાઇ, બહુ રૂપે ગુણે વખણાઇ;
પિતાયે એમ મનમાં વિચાર્યું, મળે વર વિદ્વાન તો સારું. 3
એક વિપ્ર જે આનંદરામ, અમરેલી માંહી તેનું ધામ;
જોઇ વિદ્વાન ને ગુણવાન, મૂળદાસે દીધું કન્યાદાન. 4
પછી તેને થયો એક પુત્ર, તેથી તેનું શોભ્યું ઘરસૂત્ર;
બહુ બુદ્ધિ ને રૂપ પ્રકાશ, ધર્યું નામ તો મુકુંદદાસ. 5
મહામુકત છે તેહ નિદાન, હરિ ઇચ્છાયે ભૂલ્યા છે જ્ઞાન;
તેર વર્ષના તે થયા જયારે, પરણાવ્યા પિતાજીયે ત્યારે. 6
ભણ્યા શાસ્ત્ર ભલાં રુડી રીત, એથી વૈરાગ્ય ઉપજયો ખચીત;
ધારી ત્યાગી થવા તણી વાત, થવા દે કેમ માત ને તાત.7
તેનો કરવાને ઉપાય કાંઇ, ફર્યા ગાંડા થઇ ગામમાંઇ;
જાણી જોઇ ભૂલ્યા તનભાન, કરાવે તો કરે ખાન પાન. 8
જયાં ત્યાં રખડે દિવસ ને રાત, ઘેર ખોળી લાવે માત તાત;
રાતે શેરીયે શેરીયે જાય, જઇ કોઇના આંગણમાંય. 9
ખાટલો પાટલો પડ્યો હોય, વસ્તુ હલકી કે ભારે તોય;
તે તો ત્યાંથી ઉપાડી લઇને, મુકે અન્યને આંગણે જૈને. 10
કરે એવી ઘણી તે રંજાડ, લાવે લોક તણી બહુ રાડ;
વસ્તુ નિજ ઘરની લેઇ કાંઇ, નાંખી આવે જઇ ગામમાંઇ.11
માત તાતને કાયર કીધાં, મેણાં નારીને લોકોયે દીધાં;
ત્યારે સૌયે એવું મન ધાર્યું, જાય પરદેશ તો ઘણું સારું. 12
જાણ્યું હેત ગયું મનમાંથી, ત્યારે ચાલીને નિકળ્યા ત્યાંથી;
પણ સંકલ્પ વિકલ્પ થાય, કામવાસના તે ન જીતાય. 13
જાણ્યું જો મોટા સદ્ગુરુ મળે, કામવાસના તો સર્વ ટળે;
મળે તેને પૂછે પ્રશ્ન આવો, તમે સદ્ગુરુ કયાંઇ બતાવો. 14
દીધો કોઇયે ઉત્તર ત્યારે, જાવું ધ્રાંગધરામાં તમારે;
ત્યાં છે વેરાગી દ્વારકાદાસ, કામવાસના કરશે વિનાશ. 15
એવું સાંભળી દાસ મુકુંદ, ગયા ત્યાં ઉર ધારી આનંદ;
કીધો વેરાગી ને તે પ્રણામ, પૂછ્યું કેમ ટળે કહો કામ ? 16
બોલ્યો વેરાગી તે એવી પેર,મચ્છુકાંઠે જે છે વાંકાનેર;
ત્યાં છે વૈરાગી કલ્યાણદાસ, તમે જૈને નમો તેની પાસ.17
જો તે દિલમાં દયા કાંઇ ધરશે, કામવાસનાનો નાશ કરશે;
ગયા ત્યાંથી તે મુકુંદદાસ, વાંકાનેરના વૈરાગી પાસ. 18
પૂર્વછાયો:-
મુકુંદદાસે ત્યાં જઇ, કેવો દીઠો વૈરાગીનો વેષ;
કાંઇક તે તમને કહું, સુણો નિર્મળચિત્ત નરેશ. 19
ચોપાઈ:-
કેડે પીતળ સાંકળ પેહેરી, કીધી લંગોટી પીતળ કેરી;
ત્યાં તો વાશેલું લોઢાનું તાળું, દિસે પુષ્ટ શરીર રુપાળું. 20
આખે અંગે ભભુત લગાવી, જટા બાંધેલી માથે બનાવી;
મોટા મણિકાની માળા ધરેલી, હતી પાવડી પાસે પડેલી. 21
ગોપીચંદને તિલક કરેલું, માથે મોરનું પીછું ધરેલું;
હાથે ચીપીયો લૈને હલાવે, બેઠો બેઠો હોકા ગગડાવે. 22
ઉડે ધૂમાડાના ગોટેગોટા, દિસે બાવાના નિતંબ મોટા;
વાઘમર્ચનું આસન કર્યું, દિસે કયારેક તો ધ્યાન ધર્યું. 23
બાવો દેખાડે બહુ સિદ્ધાઇ, વધી લોકમાં તેથી વડાઇ;
ચાલી વાત એવી ઠામ ઠામ, બાવે કબજે કરેલો છે કામ. 24
દાસ મુકુંદે કીધો પ્રણામ, પૂછ્યું જે કેમ જીતાય કામ ?
પછી બાવે બોલાવી એકાંત, ભાંગી તેહના મનની ભ્રાંત.25
કળિજુગ માંહિ કામ જીતાય, એવી વાત કદી ન મનાય;
કાશિજાત્રાનો કરવા પ્રવાસ, ગયો હું જયારે ઉજજૈન પાસ.26
એક બાઇને રસ્તો પૂછાવ્યો, કર લટકું કરીને બતાવ્યો;
પેઠું લટકું તે અંતરમાંઇ, હજી વીસરતું નથી ભાઇ. 27
વર્ષ પાંત્રિશ પાંચ વિશેષ, વીત્યાં તોય ન વીસરે લેશ;
વર્ષ એંશીની ઉંમર થાય, કામવાસના તોય ન જાય. 28
મળે ભગવાનનો અવતાર, કાં તો તેની પાસે રહેનાર;
એવા સદ્ગુરુ સાંપડે જયારે, કામવાસના તો ટળે ત્યારે. 29
ગામ સરધારમાં તમે જાઓ, એક સાધુ છે તે ભેળા થાઓ;
તેનું નામ છે તુળસીદાસ, કામવાસના કીધી છે નાશ. 30
એવા સાંભળી તેના ઉચ્ચાર, ગયા ત્યાંથી પછી સરધાર;
ગયા તુળસીદાસની પાસ, સારા જાણીને ત્યાં કર્યો વાસ.31
ગુણ રૂપ અલૌકિક દેખી, બાવો વશ્ય થયો મુકત લેખી;
નિજ જગ્યાના કીધા મહાંત, સોંપ્યું સર્વ રહી નહીં ભ્રાંત.32
હતા ત્યાંજ સ્વામી રામાનંદ, તથા તેમના સાધુનું વૃંદ;
જગ્યા બાંધી રુડી ત્યાં રહેતા, અન્નકેરું સદાવ્રત દેતા. 33
કથા વારતા ત્યાં નિત્ય થાય, જન સર્વના સંશય જાય;
વાત સાંભળી મુકુંદદાસે, બેસે નિત્ય જઇ સ્વામી પાસે. 34
ચિત્તે વિચારે દાસ મુકુંદ, સાચા સદ્ગરુ છે રામાનંદ;
જેવા સદ્ગુરુ શોધવા માટે, ફર્યો હું બહુ વાટે ને ઘાટે. 35
એવા તો મોટા સદ્ગુરુ એ છે, જ્ઞાનદાન તે ઉત્તમ દે છે;
માટે રાખે જો મુજને પાસ, રહું થૈ એનો દાસાનુદાસ. 36
સ્વામી આગળ વિનંતિ ઉચારી, મને સેવામાં રાખો તમારી;
કહે સ્વામી સુણો સંત તમે, પાસે રાખિયે તમને જો અમે. 37
તુલસીદાસને દુઃખ લાગે, તેથી દ્વેષ કદી નહિ ત્યાગે;
કથા સાંભળવા તણી આશે, કદી આવશો નહિ અમ પાસે. 38
એમ કહી કર્યા ત્યાંથી વિદાય, તોય ગુપ્ત રીતે નિત્ય જાય;
બેસે વાડા વિષે તે સંતાઇ, કથા વાત સુણે હરખાઇ. 39
મધ્યરાત સુધી કથા થાય, રહી ત્યાં સુધી જગ્યાયે જાય;
દીઠા એક સમે ચોકીવાળે, ચોર જાણીને પકડ્યા તે કાળે. 40
તેનો શોર સુણી ગયા સ્વામી, જાણ્યું કારણ અંતરજામી;
પછી સ્વામીયે કીધો વિચાર, બાવો ઇરષા કરશે અપાર. 41
માટે તરત તજીને આ ઠામ, જાવું આપણે બંધિયે ગામ;
એવો નિશ્ચય અંતર ધારી, જવા કીધી પ્રભાતે તૈયારી. 42
વાત જાણી તે મુકુંદદાસે, પોતે આવિયા સ્વામીની પાસે;
હેતે વિનતિ કરી જોડી હાથ, હું તો આવીશ આપની સાથ. 43
કહે સ્વામી સિધાવશું અમે, ગામ બંધિયે આવજો તમે;
રજા આપે જો ગુરૂ તમારો, કોઇ વાંક ન કાઢે અમારો. 44
તેનો પત્ર લખાવી લવાય, તો ત્યાં રાખિયે તમને સદાય;
એમ કહીને ગયા રામાનંદ, ગયા સ્વસ્થાન દાસ મુકુંદ. 45
દાસ તુળસીને કાયર કરવા, માંડ્યું દ્રવ્ય વિશેષ વાવરવા;
ઝુંડ વેરાગીનું કોઇ આવે, તેને શીધાં તો પાકાં અપાવે. 46
કોઇ આવે ભિક્ષા માંગનાર, તેને દેતાં ન રાખે વિચાર;
કહ્યું ત્યારે તો તુળસીદાસે, આવી રીતે પુરું કેમ થાશે ? 47
કહે દાસ મુકુંદ થશે શું ? દાન દેવાશે ત્યાં સુધી દેશું;
જયારે ભંડાર થૈ જાશે નરવા, ત્યારે તો જશું તીરથ કરવા. 48
બોલ્યા ત્યાં તુળસીદાસ બાવો, એવું ધારો તો આજ સિધાવો;
ત્યારે બોલ્યા મુકુંદ તે તત્ર, લખી આપો મને એક પત્ર. 49
મળે કોઇ મને રાખનાર, તે ઉપર નહિ દાવો લગાર;
પછી પત્ર એવો લખી દીધો, લૈને બંધિયાનો પંથ લીધો. 50
રામાનંદજી આગળ જૈને, કર્યું વંદન કાગળ દૈને;
પત્ર વાંચીને આનંદ પામી, બોલ્યા એમ રામાનંદસ્વામી.51
મારી આજ્ઞા જો અંતરે ધારો, ખરો જાણું વૈરાગ્ય તમારો;
વેષ કણબીનો કાયાયે લઇ, હાંકો હળ મુળુભાઇનું જઇ.52
સુણી બોલ્યા પદે શિર નામી, કહો તેમ કરીશ હું સ્વામી;
પછી ખેડુનાં વસ્ત્ર મંગાવ્યાં, દાસ મુકુંદને પહેરાવ્યાં. 53
હળ આપ્યું તે લૈ જયારે ચાલ્યા, પાછા સ્વામીયે તરત જ વાળ્યા;
જાણ્યું આતો અનન્ય છે દાસ, પછી રાખ્યા પોતા તણી પાસ.54
દીક્ષા વૈષ્ણવી દીધી તે ઠામ, મુકતાનંદજી ધારિયું નામ;
નિત્યે સ્વામીની વાત સાંભળી, કામવાસના તે ગઇ ટળી. 55
જાણ્યા સ્વામીને શ્રીભગવાન, તેને પૂજે તેનું ધરે ધ્યાન;
એમ કૈંકને નિષ્કામી કર્યા, એવા સ્વામી તે સમરથ ખરા. 56
વધ્યો દિનદિન પ્રબળ પ્રતાપ, તોય ઇશ્વરને ભજે આપ;
જે છે અક્ષરધામના ધામી, તેનું ધ્યાન ધરે મુદ પામી. 57
ઘડે અંતરમાં શુભ ઘાટ, પ્રભુ આવવાની જુવે વાટ;
આવશે તીર્થવાસીને રૂપે, એવું જાણિયું તે મુનિભૂપે. 58
તે માટે કેવાં સાધન સાધ્યાં, ઠામઠામ સદાવ્રત બાંધ્યાં;
કર્યું કામ એવું જે જે ગામ, તેનાં તમને કહીશ હું નામ. 59
પુષ્પિતાગ્રાવૃત્ત:-
કહી શુભ મુનિ મુકતકેરી વાત, સુણી મન શુદ્ધ થશે મનુષ્ય જાત;
અતી મતિ ધરી ચિત્તમાં વિચારે, વિવિધ પ્રકાર કુવાસના વિદારે. 60
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે મુકતાનંદાખ્યાન- કથનનામા એકાદશો વિશ્રામઃ ।।11।।