પૂર્વછાયો:-

રામાનંદ પ્રતાપથી, મુકતાનંદમુનિ ગુણવાન;

નિશ્ચળ નિષ્કામી થયા, હવે એનું કહું આખ્યાન.1

ચોપાઈ:-

અમરાપર નામે છે ગામ, દેશ સોરઠમાં સુખધામ;

વસે ત્યાં હરિજન મુળદાસ, સાધુતાગુણ શુભ જેની પાસ.2

તેની બાળકી જે રાધાબાઇ, બહુ રૂપે ગુણે વખણાઇ;

પિતાયે એમ મનમાં વિચાર્યું, મળે વર વિદ્વાન તો સારું. 3

એક વિપ્ર જે આનંદરામ, અમરેલી માંહી તેનું ધામ;

જોઇ વિદ્વાન ને ગુણવાન, મૂળદાસે દીધું કન્યાદાન. 4

પછી તેને થયો એક પુત્ર, તેથી તેનું શોભ્યું ઘરસૂત્ર;

બહુ બુદ્ધિ ને રૂપ પ્રકાશ, ધર્યું નામ તો મુકુંદદાસ. 5

મહામુકત છે તેહ નિદાન, હરિ ઇચ્છાયે ભૂલ્યા છે જ્ઞાન;

તેર વર્ષના તે થયા જયારે, પરણાવ્યા પિતાજીયે ત્યારે. 6

ભણ્યા શાસ્ત્ર ભલાં રુડી રીત, એથી વૈરાગ્ય ઉપજયો ખચીત;

ધારી ત્યાગી થવા તણી વાત, થવા દે કેમ માત ને તાત.7

તેનો કરવાને ઉપાય કાંઇ, ફર્યા ગાંડા થઇ ગામમાંઇ;

જાણી જોઇ ભૂલ્યા તનભાન, કરાવે તો કરે ખાન પાન. 8

જયાં ત્યાં રખડે દિવસ ને રાત, ઘેર ખોળી લાવે માત તાત;

રાતે શેરીયે શેરીયે જાય, જઇ કોઇના આંગણમાંય. 9

ખાટલો પાટલો પડ્યો હોય, વસ્તુ હલકી કે ભારે તોય;

તે તો ત્યાંથી ઉપાડી લઇને, મુકે અન્યને આંગણે જૈને. 10

કરે એવી ઘણી તે રંજાડ, લાવે લોક તણી બહુ રાડ;

વસ્તુ નિજ ઘરની લેઇ કાંઇ, નાંખી આવે જઇ ગામમાંઇ.11

માત તાતને કાયર કીધાં, મેણાં નારીને લોકોયે દીધાં;

ત્યારે સૌયે એવું મન ધાર્યું, જાય પરદેશ તો ઘણું સારું. 12

જાણ્યું હેત ગયું મનમાંથી, ત્યારે ચાલીને નિકળ્યા ત્યાંથી;

પણ સંકલ્પ વિકલ્પ થાય, કામવાસના તે ન જીતાય. 13

જાણ્યું જો મોટા સદ્ગુરુ મળે, કામવાસના તો સર્વ ટળે;

મળે તેને પૂછે પ્રશ્ન આવો, તમે સદ્ગુરુ કયાંઇ બતાવો. 14

દીધો કોઇયે ઉત્તર ત્યારે, જાવું ધ્રાંગધરામાં તમારે;

ત્યાં છે વેરાગી દ્વારકાદાસ, કામવાસના કરશે વિનાશ. 15

એવું સાંભળી દાસ મુકુંદ, ગયા ત્યાં ઉર ધારી આનંદ;

કીધો વેરાગી ને તે પ્રણામ, પૂછ્યું કેમ ટળે કહો કામ ? 16

બોલ્યો વેરાગી તે એવી પેર,મચ્છુકાંઠે જે છે વાંકાનેર;

ત્યાં છે વૈરાગી કલ્યાણદાસ, તમે જૈને નમો તેની પાસ.17

જો તે દિલમાં દયા કાંઇ ધરશે, કામવાસનાનો નાશ કરશે;

ગયા ત્યાંથી તે મુકુંદદાસ, વાંકાનેરના વૈરાગી પાસ. 18

પૂર્વછાયો:-

મુકુંદદાસે ત્યાં જઇ, કેવો દીઠો વૈરાગીનો વેષ;

કાંઇક તે તમને કહું, સુણો નિર્મળચિત્ત નરેશ. 19

ચોપાઈ:-

કેડે પીતળ સાંકળ પેહેરી, કીધી લંગોટી પીતળ કેરી;

ત્યાં તો વાશેલું લોઢાનું તાળું, દિસે પુષ્ટ શરીર રુપાળું. 20

આખે અંગે ભભુત લગાવી, જટા બાંધેલી માથે બનાવી;

મોટા મણિકાની માળા ધરેલી, હતી પાવડી પાસે પડેલી. 21

ગોપીચંદને તિલક કરેલું, માથે મોરનું પીછું ધરેલું;

હાથે ચીપીયો લૈને હલાવે, બેઠો બેઠો હોકા ગગડાવે. 22

ઉડે ધૂમાડાના ગોટેગોટા, દિસે બાવાના નિતંબ મોટા;

વાઘમર્ચનું આસન કર્યું, દિસે કયારેક તો ધ્યાન ધર્યું. 23

બાવો દેખાડે બહુ સિદ્ધાઇ, વધી લોકમાં તેથી વડાઇ;

ચાલી વાત એવી ઠામ ઠામ, બાવે કબજે કરેલો છે કામ. 24

દાસ મુકુંદે કીધો પ્રણામ, પૂછ્યું જે કેમ જીતાય કામ ?

પછી બાવે બોલાવી એકાંત, ભાંગી તેહના મનની ભ્રાંત.25

કળિજુગ માંહિ કામ જીતાય, એવી વાત કદી ન મનાય;

કાશિજાત્રાનો કરવા પ્રવાસ, ગયો હું જયારે ઉજજૈન પાસ.26

એક બાઇને રસ્તો પૂછાવ્યો, કર લટકું કરીને બતાવ્યો;

પેઠું લટકું તે અંતરમાંઇ, હજી વીસરતું નથી ભાઇ. 27

વર્ષ પાંત્રિશ પાંચ વિશેષ, વીત્યાં તોય ન વીસરે લેશ;

વર્ષ એંશીની ઉંમર થાય, કામવાસના તોય ન જાય. 28

મળે ભગવાનનો અવતાર, કાં તો તેની પાસે રહેનાર;

એવા સદ્ગુરુ સાંપડે જયારે, કામવાસના તો ટળે ત્યારે. 29

ગામ સરધારમાં તમે જાઓ, એક સાધુ છે તે ભેળા થાઓ;

તેનું નામ છે તુળસીદાસ, કામવાસના કીધી છે નાશ. 30

એવા સાંભળી તેના ઉચ્ચાર, ગયા ત્યાંથી પછી સરધાર;

ગયા તુળસીદાસની પાસ, સારા જાણીને ત્યાં કર્યો વાસ.31

ગુણ રૂપ અલૌકિક દેખી, બાવો વશ્ય થયો મુકત લેખી;

નિજ જગ્યાના કીધા મહાંત, સોંપ્યું સર્વ રહી નહીં ભ્રાંત.32

હતા ત્યાંજ સ્વામી રામાનંદ, તથા તેમના સાધુનું વૃંદ;

જગ્યા બાંધી રુડી ત્યાં રહેતા, અન્નકેરું સદાવ્રત દેતા. 33

કથા વારતા ત્યાં નિત્ય થાય, જન સર્વના સંશય જાય;

વાત સાંભળી મુકુંદદાસે, બેસે નિત્ય જઇ સ્વામી પાસે. 34

ચિત્તે વિચારે દાસ મુકુંદ, સાચા સદ્ગરુ છે રામાનંદ;

જેવા સદ્ગુરુ શોધવા માટે, ફર્યો હું બહુ વાટે ને ઘાટે. 35

એવા તો મોટા સદ્ગુરુ એ છે, જ્ઞાનદાન તે ઉત્તમ દે છે;

માટે રાખે જો મુજને પાસ, રહું થૈ એનો દાસાનુદાસ. 36

સ્વામી આગળ વિનંતિ ઉચારી, મને સેવામાં રાખો તમારી;

કહે સ્વામી સુણો સંત તમે, પાસે રાખિયે તમને જો અમે. 37

તુલસીદાસને દુઃખ લાગે, તેથી દ્વેષ કદી નહિ ત્યાગે;

કથા સાંભળવા તણી આશે, કદી આવશો નહિ અમ પાસે. 38

એમ કહી કર્યા ત્યાંથી વિદાય, તોય ગુપ્ત રીતે નિત્ય જાય;

બેસે વાડા વિષે તે સંતાઇ, કથા વાત સુણે હરખાઇ. 39

મધ્યરાત સુધી કથા થાય, રહી ત્યાં સુધી જગ્યાયે જાય;

દીઠા એક સમે ચોકીવાળે, ચોર જાણીને પકડ્યા તે કાળે. 40

તેનો શોર સુણી ગયા સ્વામી, જાણ્યું કારણ અંતરજામી;

પછી સ્વામીયે કીધો વિચાર, બાવો ઇરષા કરશે અપાર. 41

માટે તરત તજીને આ ઠામ, જાવું આપણે બંધિયે ગામ;

એવો નિશ્ચય અંતર ધારી, જવા કીધી પ્રભાતે તૈયારી. 42

વાત જાણી તે મુકુંદદાસે, પોતે આવિયા સ્વામીની પાસે;

હેતે વિનતિ કરી જોડી હાથ, હું તો આવીશ આપની સાથ. 43

કહે સ્વામી સિધાવશું અમે, ગામ બંધિયે આવજો તમે;

રજા આપે જો ગુરૂ તમારો, કોઇ વાંક ન કાઢે અમારો. 44

તેનો પત્ર લખાવી લવાય, તો ત્યાં રાખિયે તમને સદાય;

એમ કહીને ગયા રામાનંદ, ગયા સ્વસ્થાન દાસ મુકુંદ. 45

દાસ તુળસીને કાયર કરવા, માંડ્યું દ્રવ્ય વિશેષ વાવરવા;

ઝુંડ વેરાગીનું કોઇ આવે, તેને શીધાં તો પાકાં અપાવે. 46

કોઇ આવે ભિક્ષા માંગનાર, તેને દેતાં ન રાખે વિચાર;

કહ્યું ત્યારે તો તુળસીદાસે, આવી રીતે પુરું કેમ થાશે ? 47

કહે દાસ મુકુંદ થશે શું ? દાન દેવાશે ત્યાં સુધી દેશું;

જયારે ભંડાર થૈ જાશે નરવા, ત્યારે તો જશું તીરથ કરવા. 48

બોલ્યા ત્યાં તુળસીદાસ બાવો, એવું ધારો તો આજ સિધાવો;

ત્યારે બોલ્યા મુકુંદ તે તત્ર, લખી આપો મને એક પત્ર. 49

મળે કોઇ મને રાખનાર, તે ઉપર નહિ દાવો લગાર;

પછી પત્ર એવો લખી દીધો, લૈને બંધિયાનો પંથ લીધો. 50

રામાનંદજી આગળ જૈને, કર્યું વંદન કાગળ દૈને;

પત્ર વાંચીને આનંદ પામી, બોલ્યા એમ રામાનંદસ્વામી.51

મારી આજ્ઞા જો અંતરે ધારો, ખરો જાણું વૈરાગ્ય તમારો;

વેષ કણબીનો કાયાયે લઇ, હાંકો હળ મુળુભાઇનું જઇ.52

સુણી બોલ્યા પદે શિર નામી, કહો તેમ કરીશ હું સ્વામી;

પછી ખેડુનાં વસ્ત્ર મંગાવ્યાં, દાસ મુકુંદને પહેરાવ્યાં. 53

હળ આપ્યું તે લૈ જયારે ચાલ્યા, પાછા સ્વામીયે તરત જ વાળ્યા;

જાણ્યું આતો અનન્ય છે દાસ, પછી રાખ્યા પોતા તણી પાસ.54

દીક્ષા વૈષ્ણવી દીધી તે ઠામ, મુકતાનંદજી ધારિયું નામ;

નિત્યે સ્વામીની વાત સાંભળી, કામવાસના તે ગઇ ટળી. 55

જાણ્યા સ્વામીને શ્રીભગવાન, તેને પૂજે તેનું ધરે ધ્યાન;

એમ કૈંકને નિષ્કામી કર્યા, એવા સ્વામી તે સમરથ ખરા. 56

વધ્યો દિનદિન પ્રબળ પ્રતાપ, તોય ઇશ્વરને ભજે આપ;

જે છે અક્ષરધામના ધામી, તેનું ધ્યાન ધરે મુદ પામી. 57

ઘડે અંતરમાં શુભ ઘાટ, પ્રભુ આવવાની જુવે વાટ;

આવશે તીર્થવાસીને રૂપે, એવું જાણિયું તે મુનિભૂપે. 58

તે માટે કેવાં સાધન સાધ્યાં, ઠામઠામ સદાવ્રત બાંધ્યાં;

કર્યું કામ એવું જે જે ગામ, તેનાં તમને કહીશ હું નામ. 59

પુષ્પિતાગ્રાવૃત્ત:-

કહી શુભ મુનિ મુકતકેરી વાત, સુણી મન શુદ્ધ થશે મનુષ્ય જાત;

અતી મતિ ધરી ચિત્તમાં વિચારે, વિવિધ પ્રકાર કુવાસના વિદારે. 60

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે મુકતાનંદાખ્યાન- કથનનામા એકાદશો વિશ્રામઃ ।।11।।