પૂર્વછાયો:-
કૃષ્ણે મહામંત્ર આપીને, વળી ઉદ્ધવને કહ્યું એમ;
ભકિત ભલી પ્રવર્તાવજો, તે ધર્મ સહિત હોય જેમ. 1
ચોપાઈ:-
કરો સોરઠમાં જૈ નિવાસ, ઘણા ત્યાં આવશે દૈવી પાસ;
ૠષિ શાપથી મુનિયો જેહ, ધરામાં ધર્યા છે નરદેહ. 2
તેઓ પણ ત્યાંજ આવીને મળશે, તમારા સંપ્રદાયમાં ભળશે;
વળી હું નરદેહ ધરીશ, આવી સોરઠ માંહિ મળીશ. 3
ઘણાં કરજો વળી અન્નસત્ર, આવી મળશે મુમુક્ષુ તે તત્ર;
મારી ભકિત કર્યાનો હંમેશ, તેને આપજો સદ ઉપદેશ. 4
એમ કહી થયા અંતરધાન, રામાનંદ થયા સાવધાન;
પછી આનંદથી એક માસ, વંૃદાવન માંહી કીધો નિવાસ.5
આપે મુમુક્ષુને ઉપદેશ, કૃષ્ણભકિત કરાવે વિશેષ;
જયારે ધરે શ્રીકૃષ્ણનું ધ્યાન, હરિ આપે છે દર્શનદાન. 6
ફળ પુષ્પ આદિક જે ધરે, તે તો કૃષ્ણ અંગિકાર કરે;
પોતે ઉદ્ધવ છે સાક્ષાત, હરિઇચ્છાથી તે જાણી વાત. 7
ભગવાનનાં વચન સંભારી, સતશાસ્ત્રના મત અનુસારી;
ઉદ્ધવી સંપ્રદાય ચલાવ્યો, દેશદેશમાં તે પ્રસરાવ્યો. 8
પછી તીર્થ પ્રયાગમાં ગયા, એક પક્ષ તહાં સ્થિર થયા;
કરુણાનિધિ કરુણા કીધી, કૈંક દૈવીને દીક્ષા તે દીધી. 9
ધર્મ ભકિત આવી ચડ્યાં ત્યાંય, જાત્રા કરવાને તીરથ માંય;
રામાનંદતણી સુણી શિક્ષા, લીધી ભાગવતી ભલી દીક્ષા. 10
ઉદ્ધવી સંપ્રદાયનો સાર, ગુરુયે સમઝાવ્યો તે વાર;
કહ્યું દૈવીઓને દીક્ષા દેજો, કૃષ્ણભકિત કર્યાનું કહેજો. 11
ત્યાંથી ચાલિયા શ્રીરામાનંદ,જવા સોરઠ દેશ સ્વચ્છંદ;
મહીકાંઠે છે કાનમ દેશ, આવી તે વિષે કીધો પ્રવેશ. 12
ગામ સારંગની સીમમાંય, હળ હાંકતો કણબી ત્યાંય;
તેને ઉત્તમ ઉપદેશ દીધો, ધણો વૈરાગ્ય ઉત્પન્ન કીધો. 13
વળી કીધો ગુરુયે ઉચ્ચાર, ભાઇ સંસાર જાણો અસાર;
માટે મોક્ષનું સાધન કરવા, ચાલો અમારી સાથે વિચરવા. 14
પછી બળદ ને હળ તજી તેહ, રામાનંદ સાથે ચાલ્યા એહ;
રાખ્યા સાધુ કરી નિજ પાસ, રૂડું નામ ધર્યું રામદાસ. 15
ત્યાંથી આવ્યા તે તળાજે ગામ, થોડા દિવસ કર્યો ત્યાં વિરામ;
રામાનુજ તણી જગ્યા મોઝાર, ઉતર્યા સદગુણ ભંડાર. 16
ત્યાંથી ગામ સત્રાહે તે ગયા, આત્માનંદસ્વામી ભેળા થયા;
કર્યો તે સાથે વાદવિવાદ, સુણી સંતને ઉપજે સ્વાદ. 17
વિશિષ્ટાદ્વૈત મત શુભ જેહ, કર્યું શાસ્ત્રથી સ્થાપન તેહ;
મત અદ્ધૈતખંડન કર્યું, સૌના અંતર માંહિ ઉતર્યું. 18
આત્માનંદે સૌ શિષ્ય તેડાવ્યા, ગુરુઆજ્ઞાથી તત્ક્ષણ આવ્યા;
લખુચારણ લોઢવા કેરી, તેની વાત મેં કહી છે ઘણેરી. 19
તેને પણ સતરાહે તેડાવી, અતિ આનંદે એ પણ આવી;
આત્માનંદે કહ્યું સૌને એમ, કરજો રામાનંદ કહે તેમ. 20
એ છે ઇશ્વર કેરો જ અંશ, પાપ પંથનો કરશે વિધ્વંશ;
તમો સર્વે તણા ગુરુ એ છે, વેદશાસ્ત્રનો સાર જાણે છે. 21
વિશિષ્ટાદ્ધૈત માનજો સત્ય, બીજા સર્વ છે વાદ અસત્ય;
વાત સૌએ ગણિ સુખદાની, લખુચારણે પણ નવ માની. 22
આત્માનંદે રામપરે ગામ, જઇ દેહ તજયો તેહ ઠામ;
રામાનંદ તો સત્રાહે હતા, કથા વારતા ત્યાં રહી કરતા. 23
બેઠા ગાદિયે શ્રીરામાનંદ, પામ્યા હરિજન સર્વ આનંદ;
વિશિષ્ટાદ્વૈતનો ઉપદેશ, દીધો સ્વામીયે સૌને વિશેષ. 24
પૂર્વછાયો:-
પછી રામાનંદ સ્વામીયે, ચલાવ્યો ઉદ્ધવી સંપ્રદાય;
કેવો પ્રતાપ પ્રગટ કર્યો, હવે કહું છું તેહ કથાય. 25
ચોપાઈ:-
આત્માનંદના જયાં શિષ્ય હતા, સ્વામી ત્યાં ફરવા સારુ જતા;
કર્યો અદ્વૈતમત ખંડન, કર્યું વિશિષ્ટાદ્વૈત મંડન. 26
વળી દેશ વિદેશ પધાર્યા, ઘણા પોતાના શિષ્ય વધાર્યા;
પણ સોરઠ ને કચ્છદેશ, વસતા જઇ ત્યાં તો વિશેષ. 27
ગામ લોજ તથા પીપળાણું, મુખ્ય સ્થાનક સ્વામીનાં જાણું;
ફરવાને જતા ગુજરાતે,ઝાલાવાડ વિષે ભલી ભાતે. 28
કાઠિયાવાડમાં એ જ કામે, સ્વામી ફરવા જતા ગામોગામે;
દૈવી જીવ હતા તેહ સ્થાન, તેને ભગવતનું દેતા જ્ઞાન. 29
કરી કૈંકની વાસના નાશ, કરી સાધુ રાખે નિજપાસ;
મહાદીક્ષા તે વૈષ્ણવી આપે, વળી સંશય સર્વ તે કાપે. 30
જે જે સ્વામીના આશ્રિત થાય, ઘણી તેને કરે કરુણાય;
તેને પ્રૌઢ પ્રતાપ દેખાડી, નાંખે કામાદિ મૂળ ઉખાડી. 31
નિષકામી કર્યા દઇ જ્ઞાન, કહું જો તેહનાં આખ્યાન;
વડો ગ્રંથનો વિસ્તાર થાય, માટે સંક્ષેપમાં કહેવાય. 32
તેમાં પ્રથમ કરું પ્રખ્યાત, ભટજી મયારામની વાત;
ગામ માણાવદર મોઝાર, રામાનંદ હતા એક વાર. 33
ત્યાં તો આવ્યું બળેવનું પર્વ, બાંધે રાખડિયો દ્વિજ સર્વ;
મયારામે ૠષીને આરાધી, રામાનંદને રાખડી બાંધી. 34
વાણી બોલ્યા રામાનંદ એવી, આપું દક્ષિણા તમને હું કેવી;
દ્રવ્ય આપું નહિ નાશવંત, આપું જે રહે કાળ અનંત. 35
દીધું એમ કહી વરદાન, કામ શત્રુ મહાબળવાન;
તેનો આજ થકી તજો ત્રાસ, તુજ કામરિપુ થશે નાશ. 36
જેવા નર ને નારાયણસ્વામી, એવા કોઇ નથી નિષકામી;
તેમ તમને નડે ન અનંગ, કદી જો કરો નારી પ્રસંગ. 37
સુણી રાજી થયા મયારામ, કર્યો સ્વામીને સ્નેહે પ્રણામ;
એ જ દિવસ થકી એના મનની, મટી વાસના સર્વે મદનની. 38
ફરી પરણવાની રુચિ હતી, તે તો તે દિનથી રહી જતી;
નાની વયમાં નારી થઇ નાશ, તોય પરણવાની તજી આશ. 39
બોલે ચાલે તે નારીયો સંગે, કદી વ્યાપે નહિ કામ અંગે;
એમ અંતરમાં જાણે આપ, રામાનંદનો એ છે પ્રતાપ. 40
રામાનંદનો સુણી મહિમાય, ઘણા લોકોને અચરજ થાય;
સુણો સ્નેહે અભેસિંહ ભ્રાત, વળી એવી કહું એક વાત.41
હતો વેરાગી મોહનરામ, તે તો જીતવા ઇચ્છતો કામ;
તેણે વાંચિયું ગીતા મોઝાર, કામ ક્રોધ નરકનાં છે દ્વાર. 42
કામવાસના છેક ન ત્રૂટે, જન્મ મૃત્યુ ન ત્યાંસુધિ છૂટે;
ઉપવાસ કરે લુખું ખાય, જાણે તે થકી કામ જીતાય. 43
તપથી કર્યું દુર્બલ તન, તોય મનથી મટ્યો ન મદન;
ઘણાં સેવિયાં તીરથ સ્થાન, ઘણું કીધું ગંગાજળ પાન. 44
ઘણાં વર્ષ કર્યો વનવાસ, તોય નવ થયો કામ વિનાશ;
ત્યારે અંતરે ધારિયું એવું, મોટા સદ્ગુરુ શોધીને સેવુ. 45
મળે આ અવનિની મોઝાર, કયાંઇ ઇશ્વરનો અવતાર;
રાજી થૈને તે વરદાન આપે, કામ જીતાય તેને પ્રતાપે. 46
પછી સદ્ગુરુ શોધવા કામ, બહુ સ્થળ ફર્યો મોહનરામ;
મોટા મોટા તે સિદ્ધને મળ્યો, પણ મનમાંથી કામ ન ટળ્યો.47
પૂછે પ્રશ્ન કરીને પ્રણામ, મનમાંથી મટે કેમ કામ ?
એનો ઉત્તર આપે ન કોઇ, ઘણા દેશ ફરી વળ્યો જોઇ. 48
આવ્યો સોરઠમાં લોજ ગામે, રામાનંદ હતા તેહ ઠામે;
પ્રેમે પ્રણમીને પૂછીયું આમ, કહો સ્વામી ટળે કેમ કામ ? 49
કામ ટાળવા હું બહુ ફર્યો, ઘણા સદ્ગુરુનો સંગ કર્યો;
પ્રશ્ન પૂછી વળ્યો બહુ ઠાર, એનો ઉત્તર ન મળ્યો લગાર. 50
કૃપાનાથ કરો કરુણાય, કહો કામ મટ્યાનો ઉપાય ?
સુણી સ્વામી બોલ્યા તેહ સમે, જીવ દૈવી જણાઓ છો તમે. 51
છોજી કલ્યાણના પખવાળા, દિસે બુદ્ધિ તમારી વિશાળા;
માટે દઉં તમને વરદાન, નાશ પામશે કામ નિદાન. 52
વરદાન સફળ તે થયું, તેની કામનાનું મૂળ ગયું;
થયા બંધ સંકલ્પ વિકલ્પ, પડ્યો તેમાં પ્રયાસ ન અલ્પ. 53
જાણ્યા સ્વામીને શ્રીભગવાન, તેની પાસે લીધું દીક્ષા દાન;
રહ્યા સેવામાં સ્વામીની પાસે, આપ કેરા કલ્યાણની આશે. 54
એવા સ્વામીના પરચા અનેક, કહ્યે પાર ન પામિયે છેક;
કહે સાંભળે જે કોઇ જન, થાય પાવન તેહનું મન. 55
પુષ્પિતાગ્રાવૃત્ત:-
પ્રભુ ભજીભજી સિદ્ધિ એવી પામ્યા, વચન વડે જ વિકાર સર્વ વામ્યા;
અતિ સમરથ કૃષ્ણભકત એવા, પ્રભુ હરિકૃષ્ણ કહું સમર્થ કેવા. 56
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે રામાનંદસ્વામી- પ્રતાપવર્ણનનામા દશમો વિશ્રામઃ ।।10।।