પૂર્વછાયો:-

કૃષ્ણે મહામંત્ર આપીને, વળી ઉદ્ધવને કહ્યું એમ;

ભકિત ભલી પ્રવર્તાવજો, તે ધર્મ સહિત હોય જેમ. 1

ચોપાઈ:-

કરો સોરઠમાં જૈ નિવાસ, ઘણા ત્યાં આવશે દૈવી પાસ;

ૠષિ શાપથી મુનિયો જેહ, ધરામાં ધર્યા છે નરદેહ. 2

તેઓ પણ ત્યાંજ આવીને મળશે, તમારા સંપ્રદાયમાં ભળશે;

વળી હું નરદેહ ધરીશ, આવી સોરઠ માંહિ મળીશ. 3

ઘણાં કરજો વળી અન્નસત્ર, આવી મળશે મુમુક્ષુ તે તત્ર;

મારી ભકિત કર્યાનો હંમેશ, તેને આપજો સદ ઉપદેશ. 4

એમ કહી થયા અંતરધાન, રામાનંદ થયા સાવધાન;

પછી આનંદથી એક માસ, વંૃદાવન માંહી કીધો નિવાસ.5

આપે મુમુક્ષુને ઉપદેશ, કૃષ્ણભકિત કરાવે વિશેષ;

જયારે ધરે શ્રીકૃષ્ણનું ધ્યાન, હરિ આપે છે દર્શનદાન. 6

ફળ પુષ્પ આદિક જે ધરે, તે તો કૃષ્ણ અંગિકાર કરે;

પોતે ઉદ્ધવ છે સાક્ષાત, હરિઇચ્છાથી તે જાણી વાત. 7

ભગવાનનાં વચન સંભારી, સતશાસ્ત્રના મત અનુસારી;

ઉદ્ધવી સંપ્રદાય ચલાવ્યો, દેશદેશમાં તે પ્રસરાવ્યો. 8

પછી તીર્થ પ્રયાગમાં ગયા, એક પક્ષ તહાં સ્થિર થયા;

કરુણાનિધિ કરુણા કીધી, કૈંક દૈવીને દીક્ષા તે દીધી. 9

ધર્મ ભકિત આવી ચડ્યાં ત્યાંય, જાત્રા કરવાને તીરથ માંય;

રામાનંદતણી સુણી શિક્ષા, લીધી ભાગવતી ભલી દીક્ષા. 10

ઉદ્ધવી સંપ્રદાયનો સાર, ગુરુયે સમઝાવ્યો તે વાર;

કહ્યું દૈવીઓને દીક્ષા દેજો, કૃષ્ણભકિત કર્યાનું કહેજો. 11

ત્યાંથી ચાલિયા શ્રીરામાનંદ,જવા સોરઠ દેશ સ્વચ્છંદ;

મહીકાંઠે છે કાનમ દેશ, આવી તે વિષે કીધો પ્રવેશ. 12

ગામ સારંગની સીમમાંય, હળ હાંકતો કણબી ત્યાંય;

તેને ઉત્તમ ઉપદેશ દીધો, ધણો વૈરાગ્ય ઉત્પન્ન કીધો. 13

વળી કીધો ગુરુયે ઉચ્ચાર, ભાઇ સંસાર જાણો અસાર;

માટે મોક્ષનું સાધન કરવા, ચાલો અમારી સાથે વિચરવા. 14

પછી બળદ ને હળ તજી તેહ, રામાનંદ સાથે ચાલ્યા એહ;

રાખ્યા સાધુ કરી નિજ પાસ, રૂડું નામ ધર્યું રામદાસ. 15

ત્યાંથી આવ્યા તે તળાજે ગામ, થોડા દિવસ કર્યો ત્યાં વિરામ;

રામાનુજ તણી જગ્યા મોઝાર, ઉતર્યા સદગુણ ભંડાર. 16

ત્યાંથી ગામ સત્રાહે તે ગયા, આત્માનંદસ્વામી ભેળા થયા;

કર્યો તે સાથે વાદવિવાદ, સુણી સંતને ઉપજે સ્વાદ. 17

વિશિષ્ટાદ્વૈત મત શુભ જેહ, કર્યું શાસ્ત્રથી સ્થાપન તેહ;

મત અદ્ધૈતખંડન કર્યું, સૌના અંતર માંહિ ઉતર્યું. 18

આત્માનંદે સૌ શિષ્ય તેડાવ્યા, ગુરુઆજ્ઞાથી તત્ક્ષણ આવ્યા;

લખુચારણ લોઢવા કેરી, તેની વાત મેં કહી છે ઘણેરી. 19

તેને પણ સતરાહે તેડાવી, અતિ આનંદે એ પણ આવી;

આત્માનંદે કહ્યું સૌને એમ, કરજો રામાનંદ કહે તેમ. 20

એ છે ઇશ્વર કેરો જ અંશ, પાપ પંથનો કરશે વિધ્વંશ;

તમો સર્વે તણા ગુરુ એ છે, વેદશાસ્ત્રનો સાર જાણે છે. 21

વિશિષ્ટાદ્ધૈત માનજો સત્ય, બીજા સર્વ છે વાદ અસત્ય;

વાત સૌએ ગણિ સુખદાની, લખુચારણે પણ નવ માની. 22

આત્માનંદે રામપરે ગામ, જઇ દેહ તજયો તેહ ઠામ;

રામાનંદ તો સત્રાહે હતા, કથા વારતા ત્યાં રહી કરતા. 23

બેઠા ગાદિયે શ્રીરામાનંદ, પામ્યા હરિજન સર્વ આનંદ;

વિશિષ્ટાદ્વૈતનો ઉપદેશ, દીધો સ્વામીયે સૌને વિશેષ. 24

પૂર્વછાયો:-

પછી રામાનંદ સ્વામીયે, ચલાવ્યો ઉદ્ધવી સંપ્રદાય;

કેવો પ્રતાપ પ્રગટ કર્યો, હવે કહું છું તેહ કથાય. 25

ચોપાઈ:-

આત્માનંદના જયાં શિષ્ય હતા, સ્વામી ત્યાં ફરવા સારુ જતા;

કર્યો અદ્વૈતમત ખંડન, કર્યું વિશિષ્ટાદ્વૈત મંડન. 26

વળી દેશ વિદેશ પધાર્યા, ઘણા પોતાના શિષ્ય વધાર્યા;

પણ સોરઠ ને કચ્છદેશ, વસતા જઇ ત્યાં તો વિશેષ. 27

ગામ લોજ તથા પીપળાણું, મુખ્ય સ્થાનક સ્વામીનાં જાણું;

ફરવાને જતા ગુજરાતે,ઝાલાવાડ વિષે ભલી ભાતે. 28

કાઠિયાવાડમાં એ જ કામે, સ્વામી ફરવા જતા ગામોગામે;

દૈવી જીવ હતા તેહ સ્થાન, તેને ભગવતનું દેતા જ્ઞાન. 29

કરી કૈંકની વાસના નાશ, કરી સાધુ રાખે નિજપાસ;

મહાદીક્ષા તે વૈષ્ણવી આપે, વળી સંશય સર્વ તે કાપે. 30

જે જે સ્વામીના આશ્રિત થાય, ઘણી તેને કરે કરુણાય;

તેને પ્રૌઢ પ્રતાપ દેખાડી, નાંખે કામાદિ મૂળ ઉખાડી. 31

નિષકામી કર્યા દઇ જ્ઞાન, કહું જો તેહનાં આખ્યાન;

વડો ગ્રંથનો વિસ્તાર થાય, માટે સંક્ષેપમાં કહેવાય. 32

તેમાં પ્રથમ કરું પ્રખ્યાત, ભટજી મયારામની વાત;

ગામ માણાવદર મોઝાર, રામાનંદ હતા એક વાર. 33

ત્યાં તો આવ્યું બળેવનું પર્વ, બાંધે રાખડિયો દ્વિજ સર્વ;

મયારામે ૠષીને આરાધી, રામાનંદને રાખડી બાંધી. 34

વાણી બોલ્યા રામાનંદ એવી, આપું દક્ષિણા તમને હું કેવી;

દ્રવ્ય આપું નહિ નાશવંત, આપું જે રહે કાળ અનંત. 35

દીધું એમ કહી વરદાન, કામ શત્રુ મહાબળવાન;

તેનો આજ થકી તજો ત્રાસ, તુજ કામરિપુ થશે નાશ. 36

જેવા નર ને નારાયણસ્વામી, એવા કોઇ નથી નિષકામી;

તેમ તમને નડે ન અનંગ, કદી જો કરો નારી પ્રસંગ. 37

સુણી રાજી થયા મયારામ, કર્યો સ્વામીને સ્નેહે પ્રણામ;

એ જ દિવસ થકી એના મનની, મટી વાસના સર્વે મદનની. 38

ફરી પરણવાની રુચિ હતી, તે તો તે દિનથી રહી જતી;

નાની વયમાં નારી થઇ નાશ, તોય પરણવાની તજી આશ. 39

બોલે ચાલે તે નારીયો સંગે, કદી વ્યાપે નહિ કામ અંગે;

એમ અંતરમાં જાણે આપ, રામાનંદનો એ છે પ્રતાપ. 40

રામાનંદનો સુણી મહિમાય, ઘણા લોકોને અચરજ થાય;

સુણો સ્નેહે અભેસિંહ ભ્રાત, વળી એવી કહું એક વાત.41

હતો વેરાગી મોહનરામ, તે તો જીતવા ઇચ્છતો કામ;

તેણે વાંચિયું ગીતા મોઝાર, કામ ક્રોધ નરકનાં છે દ્વાર. 42

કામવાસના છેક ન ત્રૂટે, જન્મ મૃત્યુ ન ત્યાંસુધિ છૂટે;

ઉપવાસ કરે લુખું ખાય, જાણે તે થકી કામ જીતાય. 43

તપથી કર્યું દુર્બલ તન, તોય મનથી મટ્યો ન મદન;

ઘણાં સેવિયાં તીરથ સ્થાન, ઘણું કીધું ગંગાજળ પાન. 44

ઘણાં વર્ષ કર્યો વનવાસ, તોય નવ થયો કામ વિનાશ;

ત્યારે અંતરે ધારિયું એવું, મોટા સદ્ગુરુ શોધીને સેવુ. 45

મળે આ અવનિની મોઝાર, કયાંઇ ઇશ્વરનો અવતાર;

રાજી થૈને તે વરદાન આપે, કામ જીતાય તેને પ્રતાપે. 46

પછી સદ્ગુરુ શોધવા કામ, બહુ સ્થળ ફર્યો મોહનરામ;

મોટા મોટા તે સિદ્ધને મળ્યો, પણ મનમાંથી કામ ન ટળ્યો.47

પૂછે પ્રશ્ન કરીને પ્રણામ, મનમાંથી મટે કેમ કામ ?

એનો ઉત્તર આપે ન કોઇ, ઘણા દેશ ફરી વળ્યો જોઇ. 48

આવ્યો સોરઠમાં લોજ ગામે, રામાનંદ હતા તેહ ઠામે;

પ્રેમે પ્રણમીને પૂછીયું આમ, કહો સ્વામી ટળે કેમ કામ ? 49

કામ ટાળવા હું બહુ ફર્યો, ઘણા સદ્ગુરુનો સંગ કર્યો;

પ્રશ્ન પૂછી વળ્યો બહુ ઠાર, એનો ઉત્તર ન મળ્યો લગાર. 50

કૃપાનાથ કરો કરુણાય, કહો કામ મટ્યાનો ઉપાય ?

સુણી સ્વામી બોલ્યા તેહ સમે, જીવ દૈવી જણાઓ છો તમે. 51

છોજી કલ્યાણના પખવાળા, દિસે બુદ્ધિ તમારી વિશાળા;

માટે દઉં તમને વરદાન, નાશ પામશે કામ નિદાન. 52

વરદાન સફળ તે થયું, તેની કામનાનું મૂળ ગયું;

થયા બંધ સંકલ્પ વિકલ્પ, પડ્યો તેમાં પ્રયાસ ન અલ્પ. 53

જાણ્યા સ્વામીને શ્રીભગવાન, તેની પાસે લીધું દીક્ષા દાન;

રહ્યા સેવામાં સ્વામીની પાસે, આપ કેરા કલ્યાણની આશે. 54

એવા સ્વામીના પરચા અનેક, કહ્યે પાર ન પામિયે છેક;

કહે સાંભળે જે કોઇ જન, થાય પાવન તેહનું મન. 55

પુષ્પિતાગ્રાવૃત્ત:-

પ્રભુ ભજીભજી સિદ્ધિ એવી પામ્યા, વચન વડે જ વિકાર સર્વ વામ્યા;

અતિ સમરથ કૃષ્ણભકત એવા, પ્રભુ હરિકૃષ્ણ કહું સમર્થ કેવા. 56

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે રામાનંદસ્વામી- પ્રતાપવર્ણનનામા દશમો વિશ્રામઃ ।।10।।