પૂર્વછાયો:-

વર્ણી કહે વસુધાપતિ, કહું રામાનંદની વાત;

તીરથ કરવા સંચર્યા, દ્વારાવતિ વિષે વિખ્યાત. 1

ચોપાઈ:-

રુડા નિરખીને રણછોડરાય, થયા ત્યાં થકી તેહ વિદાય;

ગયા જયાં ગિરિ છે ગિરનાર, કરી જાત્રા તેની સુખકાર. 2

વળી સાંભળી ત્યાં એવી વાત, એક સદ્ગુરુ છે સાક્ષાત;

આતમાનંદ તે ગુરુરાજ, ત્રંબા ગામમાં છે એ તો આજ. 3

પછી ત્યાં જઇ તેઓને મળિયા, કાંઇ મનના મનોરથ ફળિયા;

મુકતાનંદ તથા જુકતાનંદ, તેના શિષ્ય હતા જનવૃંદ. 4

હરબાઇ અને વાલબાઇ, સતસંગી હતી બહુ ડાઇ;

આતમાનંદે વાણી ઉચ્ચારી, તમે કયાંથી આવ્યા બ્રહ્મચારી ? 5

રામશર્મા કહે મહારાજ, આવ્યો દ્વારાવતિ થઇ આજ;

ઘણા તીરથ માંહિ હું ફર્યો, કયાંઇ જીવ મારો નવ્ય ઠર્યો. 6

ધારી પ્રભુ મળવાની આશ, થયો સર્વ સ્થળે હું નિરાશ;

કયાંઇ સદ્ગુરુ દીઠા ન કોઇ, ઠર્યું અંતર તમને જ જોઇ.7

રુડી દીઠી તમારી મેં રીત, જ્ઞાની ધ્યાની છો પરમ પુનીત;

આત્માનંદે મુમુક્ષુ તે જાણી, સતકાર કર્યો ભાવ આણી. 8

રામશર્માને રાખિયા ત્યાંય, મુદ પામ્યા સહુ મનમાંય;

પછી દીક્ષા દીધી સુખકંદ, ધર્યું નામ તેનું રામાનંદ. 9

રામાનંદે કહ્યું ગુરુપાસ, મને હરિદર્શનની છે આશ;

આત્માનંદ બોલ્યા ગુણવાન, મારી સાથે બેસી ધરો ધ્યાન.10

બેઠા બેય તે ધ્યાન મોઝાર, દીઠું ધ્યાનમાં તેજ અપાર;

પછી ધ્યાનથી જાગિયા જયારે, રામાનંદે કહ્યું વળી ત્યારે. 11

દીઠું ધ્યાનમાં તેજ તો ઘણું, રૂપ દીઠું નહિ હરિ તણું;

આત્માનંદ કહે સુણો સંત, તમે દીઠું જે તેજ અત્યંત. 12

નિરાકાર નિરંજન જાણો, પ્રભુ પ્રત્યક્ષ એ જ પ્રમાણો;

નથી ઇશ્વરને તો આકાર, એ તો વ્યાપક છે સર્વ ઠાર. 13

એવી વાત સુણી દુઃખદાઇ, રામાનંદ ગયા ગભરાઇ;

ગભરાટથી મુરછા થઇ, તનની શુદ્ધિ વીસરી ગઇ. 14

પાછું ભાન આવ્યું જેહ વાર, ત્યારે ચિત્તમાં કીધો વિચાર;

જેનું વેદ તો સ્તવન કરે છે, તે તો શ્રીહરિ કાન ધરે છે.15

વળી મુકત જે અક્ષર જેવા, જેના ચરણ તણી કરે સેવા;

એવા ઇશ્વરના જે આકાર, વેદમાં લખ્યા વારમવાર. 16

તેને કોણ કહે નિરાકાર, એ તો વેદવિરુદ્ધ વિચાર;

તેજ દીઠું મેં ધ્યાનમાં જેહ, પુરુષોત્તમ તો નહિ તેહ. 17

જયાં સુધી નથી મૂર્તિ જણાતી, ત્યાં સુધી નથી શાંતિ જ થાતી;

આવા ગુરુથી નહિ સરે અર્થ, મેં તો આવા ગુરુ કર્યા વ્યર્થ. 18

અજ્ઞાની ગુરુને તજવા વિષે :- ઉપજાતિવૃત્ત:-

જે જ્ઞાન શાસ્ત્રોથી વિરુદ્ધ આપે, આકાર જે ઇશ્વરના ઉથાપે;

જેથી હરિનું નહિ જ્ઞાન થાય, તેવા ગુરૂને તજીયે સદાય.19

તે બ્રહ્મવૈવર્તપુરાણમાં છે, શ્રીવિષ્ણુધર્મોત્તરમાં તથા છે;

તેની સ્મૃતિ તો મુજને થઇ છે, તો કોણ એવા ગુરુને જ ઇચ્છે ? 20

સદ્ધર્મથી જે ગુરુ ભ્રષ્ટ થાય, કુબોધ તો તે કરતા જણાય;

જો ઇચ્છિયે આપનું શ્રેય ઊર,તેવા ગુરૂને તજીયે જરૂર. 21

જાણે નહિ કાર્ય અકાર્ય જેહ, કાં તો દિસે જો ગર્વિષ્ઠ તેહ;

કુમાર્ગમાં કાંઇ જણાય રાગ, તેવા ગુરૂનો કરિયે જ ત્યાગ.22

જે જ્ઞાન ભકિત થકી હોય હીન, તે તો ગુરૂ યોગ્ય ન કોઇ દિન;

તેને તજયામાં નહિ કાંઇ પાપ, કહે સુકાત્યાયન એમ આપ. 23

પિતા ગુરૂ પુત્ર સખા નરેશ, ભ્રાતા ભલે તે ખપના ન લેશ;

પ્રભુ વિષે પ્રેમ નહિ કરાવે, તે તો સગા સર્વ વૃથા કહાવે. 24

વિશ્વાસ શિષ્યો ગુરુનો ધરાવે, કુમાર્ગમાં તે ગુરુ તો ચડાવે;

તે કુંભિપાકે ગુરુ જૈ વસે છે, જયાં સુધી ભાનુ શશિ તે દિસે છે. 25

કામી ગુરૂ વૈષ્ણવ વેશ રાખે, શિષ્યાંગ નાનો પણ સ્વાદ ચાખે;

પાપિષ્ઠ બુદ્ધિ વિષયાનુરાગ, તેવા ગુરૂનો કરિયે જ ત્યાગ.26

છે પાપ ઝાઝું વ્યભિચાર કેરું, શિષ્યાંગનાનું અતિશે ઘણેરું;

ગુરુસ્ત્રી સંગે અતિ પાપ જેવું, શિષ્યાંગનાનું પણ પાપ તેવું. 27

સ્વધર્મ છોડી મુખજ્ઞાન ભાખે, ભકિત ભલે તે નવધાય રાખે;

સ્ત્રીવશ્ય આત્મા વળી હોય જેનો, કરે સુશિષ્યો પરિત્યાગ તેનો. 28

આસકત નારીતન માંહિ જે છે, એવા ગુરૂને ગુરૂ જે કરે છે;

તો જ્ઞાન ભકિત નહિ રે પમાય, નપુંસકે જેમ પ્રજા ન થાય.29

તપસ્વી કામી વળી ક્રોધી હોય, લોભી અધર્મી ગુરુ હોય કોય;

આકાર ખંડે હરિનો હંમેશ, તેવા ગુરૂને તજીયે વિશેષ. 30

ચોપાઈ:-

આત્માનંદમાં સૌ ગુણસાર, પણ ખંડે હરિનો આકાર;

રામાનંદે વિચારીને વાત, તેનો ત્યાગ કર્યો સાક્ષાત. 31

ચાલ્યા સદગુરુની ખોળ કરવા, દિશ દક્ષિણમાં તીર્થ ફરવા;

ગયા તોતાદ્રિ પર્વત પાસ, બેઠા ધ્યાનમાં પામી હુલાસ. 32

સર્વ વૈષ્ણવાચાર્ય ગણાય, રામાનુજ નિજનામ ભણાય;

તેણે પ્રત્યક્ષ દર્શન દીધું, રામાનંદનું કારજ સીધું. 33

કરુણાનિધિ કરુણા કીધી, વૈષ્ણવી મહાદીક્ષા તે દીધી;

રામાનંદે કહ્યું દયા લાવો, કૃષ્ણદર્શન મુજને કરાવો. 34

તમે છો શેષનો અવતાર, ગીતાભાષ્ય તમે કરનાર;

વ્યાસસૂત્રનું ભાષ્ય ઉચાર્યું, વિશિષ્ટાદ્વૈત મત વિસ્તાર્યું. 35

માર્ગ ઉપાસનાનો જેહ, જયારે નાશ થયો હતો તેહ;

ફરીથી તમે સ્થાપન કર્યો, મતવાદી તણો મદ હર્યો. 36

એવા સદગુણ છે જી તમારા, કરો પૂર્ણ મનોરથ મારા;

સુણી બોલ્યા રામાનુજ વાણી, તમે તો નથી પ્રાકૃત પ્રાણી. 37

કૃષ્ણના છો એકાંતિક ભકત, નામે ઉદ્ધવ પરમ વિરકત;

તેથી પામ્યા મારું દરશન, નવ પામે તે પ્રાકૃત જન. 38

કૃષ્ણમંત્ર બે તમને દીધા, મુજપાસ થકી તમે લીધા;

તેનો કરજો જથાવિધિ જાપ, દેશે દર્શન શ્રીહરિ આપ. 39

મારા આશ્રિત મુખ્ય છો તમે, માટે આપિયે આગન્યા અમે;

મુમુક્ષુને કરો ઉપદેશ, વિચરો વળી દેશ વિદેશ. 40

મારા સંપ્રદાયી જન જેહ, બહુ કરશે અદેખાઇ એહ;

જોશે પ્રૌઢ પ્રતાપ તે જયારે, તમને દુઃખ દેશે તે ત્યારે. 41

સંપ્રદાય જુદો તમે કરજો, ઊર્ધ્વપુંડ્ર ચારે અંગે ધરજયો;

વચ્ચે કુંકુમ ચંદ્રક સારો, ગળે તુળસીની માળ બે ધારો. 42

કૃષ્ણે આપ્યું છે તમને જ્ઞાન, પ્રસરાવજો સઘળે સ્થાન;

એટલી કરજો નવી રીત, મારી આજ્ઞા તે ધારીને ચિત્ત. 43

સંપ્રદાય તમારો સ્થપાય, ઉદ્ધવી સંપ્રદાય ગણાય;

એમ કહી થયા અંતરધાન, રામાનંદ થયા ગુલતાન. 44

પછી ત્યાં કરી પોતે નિવાસ, કર્યો શાસ્ત્રવિદ્યાનો અભ્યાસ;

વળી દેવા લાગ્યા ઉપદેશ, થયા તે થકી શિષ્ય વિશેષ. 45

જન વૈષ્ણવ જે જે ગણાય, તેને પૂજવા જોગ્ય જણાય;

ઘણો પ્રૌઢ પ્રતાપ નિહાળી, જૂના સાધુ શકયા નહિ ભાળી. 46

કહે છે મત જુદું તમારું, તજો કંઠી ને તિલક અમારું;

તમે સાધુની નિંદા કરો છો, ગાંજા ભાંગ્યને દેખી ડરો છો.47

એવું પાખંડ ચલવો છો તમે, માટે તમને ન માનિયે અમે;

લેશું બાળમુકુંદ ઝૂંટાવી, સિંહાસન ભાંગી નાંખશું આવી.48

એવા એવા ઉપદ્રવ કીધા, વળી મારવાના ડર દીધા;

સર્વ સહન કર્યું ક્ષમા આણી, પણ કેડે પડ્યા પાપી પ્રાણી. 49

ત્યારે ત્યાં થકી વિચર્યા વિદેશ, ધર્યો કોઈ ન જાણે તે વેશ;

વૃંદાવનમાં કર્યો જઇ વાસ, મંત્રજપ તણો કીધો અધ્યાસ.50

ધરી બેઠા સમાધિમાં ધ્યાન, દીધું કૃષ્ણે ત્યાં દર્શનદાન;

બોલ્યા શ્રીકૃષ્ણ કરીને પ્યાર, તમે ઉદ્ધવનો અવતાર. 51

દુરવાસાનો પામિયા શાપ, તેથી નરતનું ધાર્યું છે આપ;

તમે ભકત એકાંતિક મારા, વળી છો મુજને બહુ પ્યારા. 52

રામાનુજ થકી દીક્ષા લીધી, પણ પાપીએ બહુ પીડા કીધી;

માટે મારગ જુદો ચલાવો, ઉદ્ધવી સંપ્રદાય ફેલાવો. 53

દિલે ડર નવ ધરશો લેશ, નાશ પામશે દુઃખ વિશેષ;

મહામંત્ર નવા આપું બેય, રામાનુજનાથી તે જુદા છેય. 54

દૈવી જીવને તે મંત્ર દેજો, નિજશિષ્ય તેને ગણી લેજો;

એમ કહી મંત્ર બેય બતાવ્યા, રામાનુજના હતા તે તજાવ્યા. 55

પુષ્પિતાગ્રાવૃત્ત:-

હિત ધરી હરિયે સુમંત્ર દીધા, વળી સતસંગ વિષે પ્રમુખ કીધા;

કહી શુભ તુજને કથા મહીશ, વળી અવશેષ કથા હવે કહીશ. 56

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે વંૃદાવને શ્રીકૃષ્ણાત્ રામાનંદમહામંત્રપ્રાપ્તિનામા નવમો વિશ્રામઃ ।।9।।