પૂર્વછાયો:-

વર્ણી કહે નૃપ સાંભળો, વળી કહું વિશાળાની વાત;

દુર્વાસાયે શાપિયા મુનિ, તેહ કહું સાક્ષાત. 1

ચોપાઈ:-

નારાયણમુનિ ઉચ્ચરે વાત, મરીચ્યાદિ સુણે સાક્ષાત;

થયા વાતમાં સઉ લેલીન, ધર્મ ભકિતયે વાત આધીન. 2

દશા ઉપશમ સહુની થઇ, તનની શુદ્ધિ વિસરી ગઇ;

ગિરિ કૈલાસથી એ જ ટાણે, દુરવાસા આવ્યા તે ઠેકાણે. 3

આપે રુદ્રનો અંશ ગણાય, જેનો ક્રોધ વરણવ્યો ન જાય;

આવી ઉભા તે સભાની પાસ, દીઠા નહિ કોઇયે દુરવાસ.4

મુનિ ઉભા રહ્યા ઘડીવાર, ન કર્યો કોઇયે સતકાર;

ત્યારે જાણિયું એમ નિદાન, આ તો કીધું મારું અપમાન. 5

તેથી કારમો ક્રોધ ચડાવ્યો, જાણે રુદ્ર પ્રલે કાજ આવ્યો;

દિસે ક્રોધે ભર્યા લાલ ડોળા, ધિખતા જેવા લોઢાના ગોળા. 6

ભ્રકુટી ભયંકર અથાક, જાણે શંભુનું હોય પિનાક;

ડસે હોઠ દિસે વિકરાળ, જાણે કોપિયો સાક્ષાત કાળ. 7

ક્રોધે થરથર ઘ્રુજે શરીર, જાણે ઉછળે સાગરનીર;

રોમ ઉભા થયા અંગે એવા, હોય લોહના ગરજા જેવા. 8

જાણે જગતનો કરશે વિનાશ, કાં તો દેશે ત્રિલોકીને ત્રાસ;

પછી બોલ્યા ઉંચો કરી સાદ, જેવો પ્રલયના મેઘનો નાદ. 9

તમે સાંભળો મુનિજન સર્વ, તપ વિદ્યાનો તમને છે ગર્વ;

ધર્મપણ થયા આજ અધર્મ, મારા મનમાં હું સમજયો છું મર્મ. 10

હું તો ઉભો રહ્યો ઘણી વાર, ન કર્યો કોઇયે સતકાર;

ઘણું તમને ચડ્યું અભિમાન, તેથી મારું કર્યું અપમાન. 11

જયા ત્યાં પામો છો સતકાર ઘણો, હવે મુજને તમે શીદ ગણો;

મેલી શાસ્ત્ર તણી મરજાદ, વધ્યો પંડમા પૂરો પ્રમાદ. 12

યથાયોગ્ય સનમાન દેવા વિષે :- ઉપજાતિવૃત્ત:-

શાસ્ત્રો વિષે સાફ લખેલ એવું, સૌને યથાયોગ્ય સુમાન દેવું;

આવેલને આદર જે ન આપે, તે તો પછી આપ પિડાય પાપે. 13

વૈકુંઠથી પાર્ષદ વિષ્ણુ કેરા, પડ્યા પિડાયા વળી તે ઘણેરા;

જો શાપ પામ્યા સનકાદિકોનો, ગર્વે થયો ગંજન ગર્વિયોનો. 14

સન્માન દુર્યોધનને ન દીધું, ભીમે હસીને અપમાન કીધું;

તેથી થયું સંકટ શ્રેષ્ઠ કેવું ? માટે સહુને સનમાન દેવું. 15

શંભુનું દક્ષે અપમાન કીધું, તો યજ્ઞ કેરું ફળ કેવું લીધું ?

માટે યથાયોગ્ય સુમાન દેવું, વિવેકીયે એમ વિચારી લેવું. 16

પશુ તથા પક્ષી સમસ્ત પ્રાણી, ક્રોધે ચડે છે અપમાન જાણી;

ક્રોધી વિરોધી બહુ જે જણાય, સન્માન કીધા થકી શાંત થાય.17

પુષ્પિતાગ્રાવૃત્ત:-

વિપરિત સમયે વિવેક જાય, સુજન તણી પણ બુદ્ધિ ભ્રષ્ટ થાય;

અઘટિત ધટિતાદિનો વિચાર, વિપરિત માંહિ રહે નહીં લગાર. 18

પ્રસરિત કળિકાળ કેરી સેના, મુનિ તમનેય ઉડ્યા શું બિંદુ એના ?

શુભમતિ તજીને કર્યું અકાજ, મુજ અપમાન કર્યું વિશેષ આજ. 19

મુનિજન વળી ધર્મભકિત આપ, સહુ સુણજો તમને દઉં છું શાપ;

અવનિ ઉપર સર્વ દેહ ધારો, અસુર મળી અપમાન દે હજારો. 20

સુણી ૠષિમુખચાપ વાકયબાણ, વૃષ મુનિ સર્વ ઉભા થયા સુજાણ;

કરી અતિ વિનંતિ વળી ઉચાર્યું, નથી અપમાન અમે કર્યું તમારું. 21

પ્રભુમુખ તણી વાતમધ્ય ધ્યાન, ૠષિ અમને વિસર્યું શરીરભાન;

ખબર ન પડી જે તમે પધારો, નહિ સતકાર અમે થયો તમારો. 22

અનુગ્રહ કરિયે ૠષીજી આપ, વીણ અપરાધ દીધો તમે જ શાપ;

સુણી ૠષિ ઉચર્યા સુસત્ય માનો, નહિં મુજ શાપ કદી વૃથા થવાનો. 23

નહિ નહિ ૠષિ અંગિરા હું થાઉં, નહિ નહિ ગૌતમ તુલ્ય હું ગણાઉં;

પ્રલયકરણ રુદ્રઅંશ હું છું, સુર નર ગર્વ સદૈવ હું હરું છું. 24

ફરી નવ કરશો અયોગ્ય આમ, તજી મરજાદ કદાપિ આવું કામ;

અનુગ્રહ બદરીશથી કરાશે, મુનિ વૃષ તો મુજશાપથી મુકાશે. 25

પછી ૠષિ વિચર્યા મહેશવાસ, વૃષ મરીચ્યાદિ થયા ઘણા ઉદાસ;

પછી પ્રભુ બદરીશ જ્ઞાનવાન, ધર્યું નિજ મૂળસ્વરૂપ કેરું ધ્યાન.26

વચન સુપુરુષોત્તમે ઉચાર્યું, જનમ ધર્યાનું અમે જ આજ ધાર્યું;

મિષ ૠષિવર શાપનો પ્રમાણો, મુજરુચિ હેતુ જરૂર સર્વ જાણો. 27

બહુ મુજ કળઅંશ જન્મ લીધા, નહિ બહુ જીવ અનન્ય મુકત કીધા;

અતિ કળિબળ આજ ટાળી દૈશ, સકળ કળા ધરી હું જ જન્મ લૈશ. 28

વૃષ મુનિ સહુને સુધૈર્ય આપો, કહી મુજવાત ઉદાસી સર્વ કાપો;

વળી વૃષપ્રતિ બોલજો વિશેષે, તવ ગૃહ કૃષ્ણ અનાદિ જન્મ લેશે. 29

બદરિશ પછી ધ્યાનમાંથી જાગ્યા, મુનિમન કષ્ટ મટાડવા જ લાગ્યા;

ઉદિત વચન અક્ષરેશ જેહ, સકળ કથા સહુને સુણાવી તેહ. 30

તદપિ ન મુનિ પામિયા જ શાંતિ, રહી મન માંહી અનેક વાત ભ્રાંતિ;

ક્ષીરનિધિ થકી મુકત યુકત એવા, બદરિશ પાસ મળ્યા સુવાસુદેવા. 31

અજ સુર રવિ ચંદ્ર ઈંદ્ર આવ્યા, નિજનિજ પત્નિ સમેત તે સુહાવ્યા;

સહુ નિજનિજ વાહને ચડીને, વિચરી નમ્યા પ્રભુપાવમાં પડીને. 32

શિવ પણ વૃષપીઠ સ્વાર થૈને, ગિરિતનયા ગણનાથ સાથ લૈને;

અતિ ઉર હરખી તહાં જ આવ્યાં, સહચર ભૂત પિશાચ વૃંદ લાવ્યા. 33

ગગન અવનિ વીરહાક ગાજે, ડમરુ વિશેષ વિષાણ ડાક વાજે;

ત્રિનયન ગળધારી રુંડમાળા, તનપર તેમ ધર્યાભુજંગ કાળા. 34

બદરીશપદને નમ્યા પુરારી, સકળ સભાસદને નમો ઉચારી;

બહુ મુદ ધરિને તહાં બિરાજયા, જયજયકાર કહે સહુ સમાજા.35

પછી બદરિશ બોલિયા વિચારી, બની હતી વાત બધીય તે ઉચારી;

નરતનું ધરશે જ અક્ષરેશ, સુણી સહુ દેવ ખૂશી થયા વિશેષ.36

વળી ગિર કહે શ્વેતદ્વીપવાસી, મુનિજન સર્વ સહસ્ર છો અઠ્યાશી;

વૃષ વૃષપતની સુણો સુએહ, જઇ મુદ ધારી ધરો મનુષ્યદેહ. 37

પરમપુરુષ અક્ષરેશ આપ, તનુ ધરી પૂર્ણ જણાવશે પ્રતાપ;

વૃષઘર હરિ એ જ જન્મ લેશે, તમ સહુને સુખ તે અનંત દેશે. 38

તમકર કરી કૈંક કામ સારાં, પ્રભુ કરશે બહુ લાડ ત્યાં તમારા;

હૃદય અધિક એથી રાજી થાવું, નહિ મનમાં લવમાત્રયે મુંઝાવું. 39

જનતન ધરશે અનેક મુકત,જય કરશોજી તમો સમસ્ત યુકત;

મુગત કંઇક તો ગૃહસ્થ થાશે, કંઇ થઇ ત્યાગી રહી પ્રભુની પાસે. 40

મુનિજન સરવે તમેય તેમ, પ્રભુપદ સેવન પામશો જ એમ;

પ્રથમ મનુજ ઉદ્ધવે થઇને, નિજમત શુદ્ધ પ્રસારવો જઇને. 41

સુણી પ્રભુમુખ કેરી વાત આમ, સુર મુનિ સર્વ સિધાવિયા સ્વધામ;

ધરી નરતનું ઉદ્ધવે મહીશ, પુનિત કથા તુજને હું તે કહીશ. 42

વૃષ વૃષપતની તથા હરિ છે, જનમ લીધાની કથા તને કહી છે;

નરતનું ધરી જેમ ઉદ્ધવે તો, સુણ નૃપ એહ કથા કહું હવે તો. 43

અવધનગર ગોત્ર કાશ્યપેય, સરવરિયા ૠગવેદિ વિપ્ર તેય;

અજય સુમતિ તાત માત નામ, પરમ પવિત્ર ઉદાર ધર્મધામ. 44

સતરશતક નેઉ પાંચ જયારે, વરષ હતું નૃપ વિક્રમાર્ક ત્યારે;

તિથિ પણ શુભ કૃષ્ણજન્મની છે, રવિ ઉદયે તનુ ઉદ્ધવે ધરી છે.45

કૃત નિજજનકે સુજાતકર્મ, ધૃત શુભ નામ વિચારી રામશર્મ;

વય વસુ વરષે જનોઇ દીધી, વરણી થઇ પછી તીર્થવાટ લીધી. 46

મુનિજન વૃષઆદિ જન્મ લેશે, કળિ તણું જોર બધું મટાડી દેશે;

કળિજુગ પણ એવી વાત જાણી, નિજ ઉર બીક અપાર એથી આણી. 47

પછી નિજપરિવારને કહે છે, મુજ મન બીક બહુ બહુ રહે છે;

હરિ મુનિ હરશે તમારું રાજ, પ્રથમ વિચારી કરો ઉપાય આજ. 48

સુણી પછી ઉચર્યો અનંગ આપે, કરીશ પ્રવેશ હું આપને પ્રતાપે;

સુર નર મુનિ કોઇયે લગાર, નથી મુજને જગ માંહિ જીતનાર. 49

પછી વળી ઉચર્યો વિચારી ક્રોધ, કદી હઠશે રણમાંથી કામ જોધ;

પણ કરી બળબુદ્ધિ હું હરીશ, મુનિજનનાં વ્રત ભંગ હું કરીશ. 50

સુણી મુખ ઉચર્યો પછીથી લોભ, હઠી ધરશે કદી કામ ક્રોધ ક્ષોભ;

પણ મહિતળ માંહિ કોઇ વાર, નથી નથી કોઇ મને જ જીતનાર. 51

શુધ બુધ સઘળી વિનાશકારી, નથી મુજતુલ્ય બીજો સુણ્યો સુરારી;

સ્વજન સ્વજનમાં કરું કુસંપ, જરઅરર્થે ન થવા દઊંજ જંપ. 52

કુરુકુળ પણ મેં વિનાશ કીધું, પણ ધન કાંઇ જ હાથમાં ન દીધું;

મૃગજળવત દૂરથી બતાવું, કરી મતિહીણ સગાં સગાં લડાવું. 53

સુણી વળી ઉચર્યો મુખેથી માન, નથી મુજતુલ્ય શૂરો સુણ્યો જ કાન;

જદુકુળ પણ મેં વિનાશ કીધું, સકળ સુજાણપણું ભૂલાડી દીધું. 54

તન ધન ઘરબાર લાજ જાય, અતિ અપકીર્તિ જનો વિષે જણાય;

તન તજી યમલોકમાં જવાય, તદપિ કદી મુજને નહી મુકાય.55

તજુ તન અભિમાન એમ બોલે, પણ તજતાં ગિરિ મેરુશૃંગ ડોલે;

અવર સરવને સુબોધ આપે, પણ અભિમાન નિજાંતરે જ વ્યાપે. 56

રજ તમ ગુણને રસાસવાદ, પરઇરષા મદ મોહ ને પ્રમાદ;

નિજનિજ બળનાં વખાણ કીધાં, કળિજુગ તેહ સુણી સમસ્ત લીધાં. 57

જદુપતિ હરિયે હણેલ જેહ, અસુર અનેક સવાસનીક તેહ;

સકળ અસુર તેહ વેર લેવા, જનમ ધર્યા દુઃખ સંતને જ દેવા. 58

મુનિજન વૃષ ભકિત ધારી કાય, પ્રથમ કથા તમને સુણાવીરાય;

મહિતળ મત ઉદ્ધવે ચલાવ્યો, પુનિત પ્રસંગ કહીશ ચિત્ત ભાવ્યો. 59

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે ઉદ્ધવજન્મકથનબદ્રિકાશ્રમે દુર્વાસઃશાપકથનનામા અષ્ટમો વિશ્રામઃ ।।8।।