પૂર્વછાયો:-
વર્ણી કહે નૃપ સાંભળો, વળી કહું વિશાળાની વાત;
દુર્વાસાયે શાપિયા મુનિ, તેહ કહું સાક્ષાત. 1
ચોપાઈ:-
નારાયણમુનિ ઉચ્ચરે વાત, મરીચ્યાદિ સુણે સાક્ષાત;
થયા વાતમાં સઉ લેલીન, ધર્મ ભકિતયે વાત આધીન. 2
દશા ઉપશમ સહુની થઇ, તનની શુદ્ધિ વિસરી ગઇ;
ગિરિ કૈલાસથી એ જ ટાણે, દુરવાસા આવ્યા તે ઠેકાણે. 3
આપે રુદ્રનો અંશ ગણાય, જેનો ક્રોધ વરણવ્યો ન જાય;
આવી ઉભા તે સભાની પાસ, દીઠા નહિ કોઇયે દુરવાસ.4
મુનિ ઉભા રહ્યા ઘડીવાર, ન કર્યો કોઇયે સતકાર;
ત્યારે જાણિયું એમ નિદાન, આ તો કીધું મારું અપમાન. 5
તેથી કારમો ક્રોધ ચડાવ્યો, જાણે રુદ્ર પ્રલે કાજ આવ્યો;
દિસે ક્રોધે ભર્યા લાલ ડોળા, ધિખતા જેવા લોઢાના ગોળા. 6
ભ્રકુટી ભયંકર અથાક, જાણે શંભુનું હોય પિનાક;
ડસે હોઠ દિસે વિકરાળ, જાણે કોપિયો સાક્ષાત કાળ. 7
ક્રોધે થરથર ઘ્રુજે શરીર, જાણે ઉછળે સાગરનીર;
રોમ ઉભા થયા અંગે એવા, હોય લોહના ગરજા જેવા. 8
જાણે જગતનો કરશે વિનાશ, કાં તો દેશે ત્રિલોકીને ત્રાસ;
પછી બોલ્યા ઉંચો કરી સાદ, જેવો પ્રલયના મેઘનો નાદ. 9
તમે સાંભળો મુનિજન સર્વ, તપ વિદ્યાનો તમને છે ગર્વ;
ધર્મપણ થયા આજ અધર્મ, મારા મનમાં હું સમજયો છું મર્મ. 10
હું તો ઉભો રહ્યો ઘણી વાર, ન કર્યો કોઇયે સતકાર;
ઘણું તમને ચડ્યું અભિમાન, તેથી મારું કર્યું અપમાન. 11
જયા ત્યાં પામો છો સતકાર ઘણો, હવે મુજને તમે શીદ ગણો;
મેલી શાસ્ત્ર તણી મરજાદ, વધ્યો પંડમા પૂરો પ્રમાદ. 12
યથાયોગ્ય સનમાન દેવા વિષે :- ઉપજાતિવૃત્ત:-
શાસ્ત્રો વિષે સાફ લખેલ એવું, સૌને યથાયોગ્ય સુમાન દેવું;
આવેલને આદર જે ન આપે, તે તો પછી આપ પિડાય પાપે. 13
વૈકુંઠથી પાર્ષદ વિષ્ણુ કેરા, પડ્યા પિડાયા વળી તે ઘણેરા;
જો શાપ પામ્યા સનકાદિકોનો, ગર્વે થયો ગંજન ગર્વિયોનો. 14
સન્માન દુર્યોધનને ન દીધું, ભીમે હસીને અપમાન કીધું;
તેથી થયું સંકટ શ્રેષ્ઠ કેવું ? માટે સહુને સનમાન દેવું. 15
શંભુનું દક્ષે અપમાન કીધું, તો યજ્ઞ કેરું ફળ કેવું લીધું ?
માટે યથાયોગ્ય સુમાન દેવું, વિવેકીયે એમ વિચારી લેવું. 16
પશુ તથા પક્ષી સમસ્ત પ્રાણી, ક્રોધે ચડે છે અપમાન જાણી;
ક્રોધી વિરોધી બહુ જે જણાય, સન્માન કીધા થકી શાંત થાય.17
પુષ્પિતાગ્રાવૃત્ત:-
વિપરિત સમયે વિવેક જાય, સુજન તણી પણ બુદ્ધિ ભ્રષ્ટ થાય;
અઘટિત ધટિતાદિનો વિચાર, વિપરિત માંહિ રહે નહીં લગાર. 18
પ્રસરિત કળિકાળ કેરી સેના, મુનિ તમનેય ઉડ્યા શું બિંદુ એના ?
શુભમતિ તજીને કર્યું અકાજ, મુજ અપમાન કર્યું વિશેષ આજ. 19
મુનિજન વળી ધર્મભકિત આપ, સહુ સુણજો તમને દઉં છું શાપ;
અવનિ ઉપર સર્વ દેહ ધારો, અસુર મળી અપમાન દે હજારો. 20
સુણી ૠષિમુખચાપ વાકયબાણ, વૃષ મુનિ સર્વ ઉભા થયા સુજાણ;
કરી અતિ વિનંતિ વળી ઉચાર્યું, નથી અપમાન અમે કર્યું તમારું. 21
પ્રભુમુખ તણી વાતમધ્ય ધ્યાન, ૠષિ અમને વિસર્યું શરીરભાન;
ખબર ન પડી જે તમે પધારો, નહિ સતકાર અમે થયો તમારો. 22
અનુગ્રહ કરિયે ૠષીજી આપ, વીણ અપરાધ દીધો તમે જ શાપ;
સુણી ૠષિ ઉચર્યા સુસત્ય માનો, નહિં મુજ શાપ કદી વૃથા થવાનો. 23
નહિ નહિ ૠષિ અંગિરા હું થાઉં, નહિ નહિ ગૌતમ તુલ્ય હું ગણાઉં;
પ્રલયકરણ રુદ્રઅંશ હું છું, સુર નર ગર્વ સદૈવ હું હરું છું. 24
ફરી નવ કરશો અયોગ્ય આમ, તજી મરજાદ કદાપિ આવું કામ;
અનુગ્રહ બદરીશથી કરાશે, મુનિ વૃષ તો મુજશાપથી મુકાશે. 25
પછી ૠષિ વિચર્યા મહેશવાસ, વૃષ મરીચ્યાદિ થયા ઘણા ઉદાસ;
પછી પ્રભુ બદરીશ જ્ઞાનવાન, ધર્યું નિજ મૂળસ્વરૂપ કેરું ધ્યાન.26
વચન સુપુરુષોત્તમે ઉચાર્યું, જનમ ધર્યાનું અમે જ આજ ધાર્યું;
મિષ ૠષિવર શાપનો પ્રમાણો, મુજરુચિ હેતુ જરૂર સર્વ જાણો. 27
બહુ મુજ કળઅંશ જન્મ લીધા, નહિ બહુ જીવ અનન્ય મુકત કીધા;
અતિ કળિબળ આજ ટાળી દૈશ, સકળ કળા ધરી હું જ જન્મ લૈશ. 28
વૃષ મુનિ સહુને સુધૈર્ય આપો, કહી મુજવાત ઉદાસી સર્વ કાપો;
વળી વૃષપ્રતિ બોલજો વિશેષે, તવ ગૃહ કૃષ્ણ અનાદિ જન્મ લેશે. 29
બદરિશ પછી ધ્યાનમાંથી જાગ્યા, મુનિમન કષ્ટ મટાડવા જ લાગ્યા;
ઉદિત વચન અક્ષરેશ જેહ, સકળ કથા સહુને સુણાવી તેહ. 30
તદપિ ન મુનિ પામિયા જ શાંતિ, રહી મન માંહી અનેક વાત ભ્રાંતિ;
ક્ષીરનિધિ થકી મુકત યુકત એવા, બદરિશ પાસ મળ્યા સુવાસુદેવા. 31
અજ સુર રવિ ચંદ્ર ઈંદ્ર આવ્યા, નિજનિજ પત્નિ સમેત તે સુહાવ્યા;
સહુ નિજનિજ વાહને ચડીને, વિચરી નમ્યા પ્રભુપાવમાં પડીને. 32
શિવ પણ વૃષપીઠ સ્વાર થૈને, ગિરિતનયા ગણનાથ સાથ લૈને;
અતિ ઉર હરખી તહાં જ આવ્યાં, સહચર ભૂત પિશાચ વૃંદ લાવ્યા. 33
ગગન અવનિ વીરહાક ગાજે, ડમરુ વિશેષ વિષાણ ડાક વાજે;
ત્રિનયન ગળધારી રુંડમાળા, તનપર તેમ ધર્યાભુજંગ કાળા. 34
બદરીશપદને નમ્યા પુરારી, સકળ સભાસદને નમો ઉચારી;
બહુ મુદ ધરિને તહાં બિરાજયા, જયજયકાર કહે સહુ સમાજા.35
પછી બદરિશ બોલિયા વિચારી, બની હતી વાત બધીય તે ઉચારી;
નરતનું ધરશે જ અક્ષરેશ, સુણી સહુ દેવ ખૂશી થયા વિશેષ.36
વળી ગિર કહે શ્વેતદ્વીપવાસી, મુનિજન સર્વ સહસ્ર છો અઠ્યાશી;
વૃષ વૃષપતની સુણો સુએહ, જઇ મુદ ધારી ધરો મનુષ્યદેહ. 37
પરમપુરુષ અક્ષરેશ આપ, તનુ ધરી પૂર્ણ જણાવશે પ્રતાપ;
વૃષઘર હરિ એ જ જન્મ લેશે, તમ સહુને સુખ તે અનંત દેશે. 38
તમકર કરી કૈંક કામ સારાં, પ્રભુ કરશે બહુ લાડ ત્યાં તમારા;
હૃદય અધિક એથી રાજી થાવું, નહિ મનમાં લવમાત્રયે મુંઝાવું. 39
જનતન ધરશે અનેક મુકત,જય કરશોજી તમો સમસ્ત યુકત;
મુગત કંઇક તો ગૃહસ્થ થાશે, કંઇ થઇ ત્યાગી રહી પ્રભુની પાસે. 40
મુનિજન સરવે તમેય તેમ, પ્રભુપદ સેવન પામશો જ એમ;
પ્રથમ મનુજ ઉદ્ધવે થઇને, નિજમત શુદ્ધ પ્રસારવો જઇને. 41
સુણી પ્રભુમુખ કેરી વાત આમ, સુર મુનિ સર્વ સિધાવિયા સ્વધામ;
ધરી નરતનું ઉદ્ધવે મહીશ, પુનિત કથા તુજને હું તે કહીશ. 42
વૃષ વૃષપતની તથા હરિ છે, જનમ લીધાની કથા તને કહી છે;
નરતનું ધરી જેમ ઉદ્ધવે તો, સુણ નૃપ એહ કથા કહું હવે તો. 43
અવધનગર ગોત્ર કાશ્યપેય, સરવરિયા ૠગવેદિ વિપ્ર તેય;
અજય સુમતિ તાત માત નામ, પરમ પવિત્ર ઉદાર ધર્મધામ. 44
સતરશતક નેઉ પાંચ જયારે, વરષ હતું નૃપ વિક્રમાર્ક ત્યારે;
તિથિ પણ શુભ કૃષ્ણજન્મની છે, રવિ ઉદયે તનુ ઉદ્ધવે ધરી છે.45
કૃત નિજજનકે સુજાતકર્મ, ધૃત શુભ નામ વિચારી રામશર્મ;
વય વસુ વરષે જનોઇ દીધી, વરણી થઇ પછી તીર્થવાટ લીધી. 46
મુનિજન વૃષઆદિ જન્મ લેશે, કળિ તણું જોર બધું મટાડી દેશે;
કળિજુગ પણ એવી વાત જાણી, નિજ ઉર બીક અપાર એથી આણી. 47
પછી નિજપરિવારને કહે છે, મુજ મન બીક બહુ બહુ રહે છે;
હરિ મુનિ હરશે તમારું રાજ, પ્રથમ વિચારી કરો ઉપાય આજ. 48
સુણી પછી ઉચર્યો અનંગ આપે, કરીશ પ્રવેશ હું આપને પ્રતાપે;
સુર નર મુનિ કોઇયે લગાર, નથી મુજને જગ માંહિ જીતનાર. 49
પછી વળી ઉચર્યો વિચારી ક્રોધ, કદી હઠશે રણમાંથી કામ જોધ;
પણ કરી બળબુદ્ધિ હું હરીશ, મુનિજનનાં વ્રત ભંગ હું કરીશ. 50
સુણી મુખ ઉચર્યો પછીથી લોભ, હઠી ધરશે કદી કામ ક્રોધ ક્ષોભ;
પણ મહિતળ માંહિ કોઇ વાર, નથી નથી કોઇ મને જ જીતનાર. 51
શુધ બુધ સઘળી વિનાશકારી, નથી મુજતુલ્ય બીજો સુણ્યો સુરારી;
સ્વજન સ્વજનમાં કરું કુસંપ, જરઅરર્થે ન થવા દઊંજ જંપ. 52
કુરુકુળ પણ મેં વિનાશ કીધું, પણ ધન કાંઇ જ હાથમાં ન દીધું;
મૃગજળવત દૂરથી બતાવું, કરી મતિહીણ સગાં સગાં લડાવું. 53
સુણી વળી ઉચર્યો મુખેથી માન, નથી મુજતુલ્ય શૂરો સુણ્યો જ કાન;
જદુકુળ પણ મેં વિનાશ કીધું, સકળ સુજાણપણું ભૂલાડી દીધું. 54
તન ધન ઘરબાર લાજ જાય, અતિ અપકીર્તિ જનો વિષે જણાય;
તન તજી યમલોકમાં જવાય, તદપિ કદી મુજને નહી મુકાય.55
તજુ તન અભિમાન એમ બોલે, પણ તજતાં ગિરિ મેરુશૃંગ ડોલે;
અવર સરવને સુબોધ આપે, પણ અભિમાન નિજાંતરે જ વ્યાપે. 56
રજ તમ ગુણને રસાસવાદ, પરઇરષા મદ મોહ ને પ્રમાદ;
નિજનિજ બળનાં વખાણ કીધાં, કળિજુગ તેહ સુણી સમસ્ત લીધાં. 57
જદુપતિ હરિયે હણેલ જેહ, અસુર અનેક સવાસનીક તેહ;
સકળ અસુર તેહ વેર લેવા, જનમ ધર્યા દુઃખ સંતને જ દેવા. 58
મુનિજન વૃષ ભકિત ધારી કાય, પ્રથમ કથા તમને સુણાવીરાય;
મહિતળ મત ઉદ્ધવે ચલાવ્યો, પુનિત પ્રસંગ કહીશ ચિત્ત ભાવ્યો. 59
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે ઉદ્ધવજન્મકથનબદ્રિકાશ્રમે દુર્વાસઃશાપકથનનામા અષ્ટમો વિશ્રામઃ ।।8।।