પૂર્વછાયો:-

કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ અભેસિંહ આપ;

રામાનંદને હરિ તણો, હવે વર્ણવી કહું છું મેળાપ. 1

ચોપાઈ:-

કરી લોજનગરમાં વિરામ, ઘણી લીલા કરી ઘનશ્યામ;

કર્યા દિવ્ય ચરિત્ર અનેક, નવ આવે ઉચરતાં છેક. 2

જળઝીલણી દસરા દિવાળી, એ જ રીતે પ્રબોધિની ભાળી;

વળી વસંતની જે પંચમી, ફુલદોળ ને રામનવમી. 3

ભીમ એકાદશી કહેવાય,કર્યા એટલા ઉત્સવ ત્યાંય;

રામાનંદ સ્વામી નવ આવ્યા, ભુજમાં હરિભકતે રોકાવ્યા. 4

થયા શ્રીહરિ તેથી ઉદાસ, બોલ્યા મુકતાનંદ મુનિ પાસ;

વઇશાખનો વાયદો ગયો, સ્વામી કેરો મેળાપ ન થયો. 5

રામાનંદજી આવશે કયારે ? કયારે મેળાપ થાશે અમારે ?

સુણી બોલિયા મુકતાનંદ, રહો ઉરમાં ધરી આનંદ. 6

સ્વામી આવશે આજ કે કાલ, ધરો ધીરજ દિલમાં દયાળ;

પછી સંવત શતક અઢારે, સાલ છપ્પનમી હતી ત્યારે. 7

જેઠ કૃષ્ણ દશમ દિન ટાણે, રામાનંદ આવ્યા પીપળાણે;

જયારે આકાશે ઉગ્યો દિનેશ, ત્યારે ગામમાં કીધો પ્રવેશ. 8

મેતા નરસિંહ દ્વિજ ઉનેવાળ, ઉતર્યા તેને ઘેર દયાળ;

એક વિપ્ર કુંવરજી નામ, તેને મોકલિયો લોજ ગામ. 9

કહ્યું સંતનો સર્વ સમાજ, મળી આવજો દર્શન કાજ;

જૈને વિપ્રે સમાચાર કહ્યા, સુણી સંત સરવ રાજી થયા. 10

ઉગ્યો ચંદ્રમા પાછલી રાતે, ચાલ્યા સંત સરવ ભલી ભાતે;

મળવાની આતુરતા ધરી, સૌએ ઉતાવળી ગતિ કરી. 11

વર્ણીંદ્રનો દુર્બળ દેહ, તેથી થાકી ગયા અતિ તેહ;

કહે સંત દ્યો આજ્ઞા અમને, અમે તેડીને ચાલિયે તમને. 12

સુણી બોલિયા સુંદરશામ, તેડી ચાલવાનું નથી કામ;

હરિ ચાલિયા ધરીને ધ્યાન, વેગે ચાલતા તીર સમાન. 13

વળી વાયુ તણો વેગ જેવો, કર્યો શ્રીહરિયે વેગ તેવો;

સર્વે સંત તો પાછળ રહ્યા, હરિ ઓઝતને તટ ગયા. 14

તેમાં આવિયું પાણીનું પૂર, દેખી હાથિયો પણ ડરે ઉર;

ઘણી વારીની વૃષ્ટિ થયેલી, સરિતા થઇ તે થકી ઘેલી. 15

જળ જોરે કરે ઘુઘવાટ, જવા કયાંઇ જડે નહિ વાટ;

પ્રભુયે કર્યો જળમાં પ્રવેશ, અંગે આંચ આવી નહી લેશ. 16

જળ ઉપર કમળ રહે જેમ, ચાલે શ્રીહરિ જળ પર તેમ;

સિધા તીરની પેઠે ઉતરિયા, સામે કાંઠે જઇ હરિ ઠરિયા. 17

થયો તે સમે પ્રાતસકાળ, દિન એકાદશીનો વિશાળ;

સાધુ સર્વે તે પાછળ આવ્યા, તટે આવીને ત્રાપા મંગાવ્યા. 18

મહા કષ્ટે સામે પાર ગયા, હરિને જોઇ વિસ્મિત થયા;

કરી નિત્યક્રિયા સંતે ત્યાંય, પછી સર્વે ગયા ગામમાંય. 19

રામાનંદ પાસે ઘનશ્યામ, દંડવત થઇ કીધો પ્રણામ;

રામાનંદે તરત ઉભા થઇ, ચાંપ્યા છાતિયે ઉપાડી લઇ. 20

વાણી ગદ્ગદ કંઠે ઉચારી, વહ્યાં બેયના નેત્રથી વારી;

આવે મળવા ગમે તેવો હોય, ચાંપી છાતિયે મળતા ન તોય.21

તેણે એવું મોટું માન દીધું, મન સર્વેનું વિસ્મિત કીધું;

સર્વ સંત નમ્યા પુરી પ્રીતે, બેઠા જેમ ઘટે તેવી રીતે. 22

પાટ ઉપર તો ગુરુ બેઠા, હરિ બેઠા આસન પર હેઠા;

અન્યોઅન્ય જોડી દષ્ટિ પ્રીતે, તે તો ચંદ્ર ચકોરની રીતે. 23

રામાનંદે પછી રુડી રીતે, પૂછી સૌની કુશળતા સુપ્રીતે;

મુકતાનંદને પૂછીયું ત્યારે, બ્રહ્મચારી આ આવ્યા છે કયારે ? 24

મુકતાનંદ બોલ્યા તેહ વારે, આવ્યા શ્રાવણ વદ છઠ જયારે;

વળી સ્વામી બોલ્યા તેહ ઠામ, સદાવ્રત આપણે ઘણે ગામ. 25

કરી રાખ્યાં હતાં જેને કાજ, એ તો આવિયા આ મહારાજ;

થયા એમ કહીને પ્રસન્ન, મોદ માય નહી નિજ મન. 26

પછી પૂછ્યું પ્રભુ પ્રત્યે ધારી, કહો કયાંથી આવ્યા બ્રહ્મચારી ?

જગન્નાથ આદિ તીર્થ કરતા, અહીં આવ્યા છૈયે અમે ફરતા. 27

રામાનંદ કહે જશો કયાંય ? ત્યારે બોલિયા શ્રીહરિ ત્યાંય;

આપના સતસંગમાં રહેશું, બીજે કયાંઇ જવાનું ન કહેશું. 28

રામાનંદ કહે સુણો વાત, જે જે છે જગમાં જનજાત;

વસે છે સારું જાણી ઠેકાણું, સારું તે જેને જયાં સમજાણું. 29

કેને શહેર કે ગામડું ગમે, વનમાં મન કોઇનું ભમે;

જન જનની છે સમજણ ન્યારી, સમજીને વસે નરનારી. 30

તમે શું સમજી આંહી રહેશો ? સાધુને સંગે શું સુખ લેશો ?

તપ કરવું પડે સાધુ સંગે, સુખ અલ્પે ન ઇચ્છાય અંગે. 31

વરતાય ન સ્વેચ્છા પ્રમાણે, મિતાહાર મળે કોઇ ટાણે;

વળી કરવી પડે નીચી ટેલ, સંતમાં વસવું નથી સેલ. 32

માન અપમાન સાંખવું પડે, મન નાશી જવા ઘાટ ઘડે;

રહેવું સર્વના શિષ્ય થૈને, પ્રકૃતિ તનની તજી દૈને. 33

તમે શું સમજી મુનિરાજ ? અહીં રહેવાને ઇચ્છો છો આજ;

સુણી બોલિયા શ્રીઘનશામ, દિસે કલ્યાણ તો આજ ઠામ. 34

બહુ હું ફર્યો દેશ વિદેશ, કયાંઇ કલ્યાણ દીઠું ન લેશ;

નથી દૈહિક સુખ જોતું મારે, નથી માનને ઇચ્છતો કયારે. 35

કહેશો તમે તેમ કરીશ, રાખશો આપ તેમ રહીશ;

મોટા શહેરના ચૌટા મોઝાર, કહો તો બેસું જૈ વર્ષ બાર. 36

કહો તો વસુ જૈ ઘોર વનમાં, સુખ આજ્ઞામાં માનીશ મનમાં;

નથી અંતરમાં અન્ય આશ, ઇચ્છું કલ્યાણ આપની પાસ.37

બોલ્યા શ્રીહરિ એવાં વચનને, તે તો સમજાવાને દૈવી જનને;

પોતે છે સઉના પરમેશ, નથી સાધન સાધવું લેશ. 38

રામાનંદ કહે મુનિરાજ, નકી કલ્યાણનું હોય કાજ;

કરો તીરથ દ્વારિકા કેરું, તેથી પામશો પુણ્ય ઘણેરું. 39

સુણી બોલ્યા શ્રીજી વેણ સારાં, થયાં દર્શન આજ તમારાં;

તીર્થજાત્રાઓ સૌ થઇ પૂરી, નથી એ વિષે એકે અધૂરી. 40

તીર્થયાત્રા વિષે :- ઉપજાતિવૃત્ત:-

તીર્થે જવું તે સતસંગ કામ, જયારે મળે સદ્ગુરુ જેહ ઠામ;

ત્યારે થયાં તીરથ સર્વ પૂરાં, જ્ઞાની જનો તો ન ગણે અધૂરાં. 41

ચિંતામણીની થઇ પ્રાપ્તિ જેને, બદામની ગર્જ રહે ન તેને;

જેને મળે સદ્ગુરુજી સમર્થ, કલ્યાણનાં સાધન સર્વ વ્યર્થ. 42

ગંગા તણા જયાં જળના તરંગ, પામે જ તેનો જન જે પ્રસંગ;

કૂવો તટે ત્યાં ખણવા ચહાય, ગમાર પૂરો જન તે ગણાય.43

સત્સંગથી જો નહિ શાંતિ થાય, કલ્યાણમાં સંશય જો જણાય;

કાં તો નહીં સદ્ગુરુ તેહ સાચો, કાં શિષ્ય જ્ઞાની કહિયે જ કાચો. 44

કાઢી લીધા તાંદુળ શાળમાંથી, શરીર પામે સુખ જે જમ્યાથી;

ખાંડે પછી ફોગટ ફોતરાંને, તેને મહા મૂરખ સર્વ માને. 45

જો સદ્ગુરુ ઇશ્વર આપ હોય, જે જે કહે તે કરવું જ તોય;

અધર્મ કે ધર્મ ગણે ન છેક, આજ્ઞા ગુરુની શુભ ધર્મ એક. 46

દહીં વલોવી નવનીત લીધું, હતું કર્યાનું કૃત તેહ કીધું;

વલોવશે છાશ વિશેષ તોય, જાણું મહા મૂરખ તેહ હોય.47

સત્સંગી થૈ ભાવ ભલો જ ભાખે,જે અન્ય આસ્તા ઉર માંહી રાખે;

તો મર્મ તે તો સમજયો ન કાંઇ, ભલે પડ્યો તે સતસંગમાંઇ.48

ચોપાઈ:-

આજ્ઞા આપની શીશ ધરીશ, કહેશો આપ તેમ કરીશ;

એવાં સાંભળી વચન રસાળ, રામાનંદ રીઝ્યા તતકાળ. 49

રામાનંદ બોલ્યા વળી વાણી, મુકતાનંદ સુણો મુદ આણી;

બીજા જુગમાં પ્રભુ એમ કરતા, ભકતરક્ષણ ચક્રને ધરતા. 50

કળીજુગ માંહી ચક્ર તે આજ, નથી મુકતા કેમ મહારાજ?

આજ ભકત નહીં હોય એવા, બીજા જુગમાં હતા ભલા જેવા. 51

કે શું કૃષ્ણે કૃપા ઓછી કરી, ચિંતા ભકતની નહિ આજ ધરી;

એનો ઉત્તર સમજીને આપો, કેમ કોઇનો સંશય કાપો. 52

મુકતાનંદ કહે ગુરુરાય, નહિ મુજથી તે ઉત્તર થાય;

આજ આવ્યા છે આ બ્રહ્મચારી, આપે ઉત્તર એહ વિચારી. 53

પછી પૂછીયું વર્ણીને જયારે, બોલ્યા તે બ્રહ્મચારીજી ત્યારે;

બીજા જુગમાં હતા ભકત જેહ, અંબરીષ આદિક નૃપ તેહ. 54

એથી ઉત્તમ આજના જન, રક્ષા દૈહિક ઇચ્છે ન મન;

કામ ક્રોધ લોભાદિક દુષ્ટ, તેથી રક્ષા થકી રહે તુષ્ટ. 55

હોય હથિયારબંધ હજાર, તોય રક્ષા ન તેથી થનાર;

ચક્ર જ્ઞાનરૂપી બળવાન, તેજ આદિત્ય અયુત સમાન. 56

તેને મૂકે છે શ્રીમહારાજ, નિજ ભકતના રક્ષણ કાજ;

મોટો અજ્ઞાનનો અંધકાર, જ્ઞાનચક્ર થકી જ જનાર. 57

એવું ચક્ર પ્રભુ જો ન મૂકે, કોઇ ધર્મ પાળી નવ શકે;

કામ ક્રોધ થકી ન ઉગાર્યા, હર બ્રહ્મા ને નારદ હાર્યા. 58

બીજા જુગ કરતાં પણ આજ, દયા અધિક ધરે મહારાજ;

ભકતો માગે છે રક્ષણ જેવું, કરે છે પ્રભુ તરત જ તેવું. 59

એવી વાતો વિવિધ પ્રકાર, રામાનંદે કરી એહ વાર;

જેમ ચંદ્ર ઉદય જયારે થાય, અતિ સાગર જળ ઉભરાય.60

સ્નેહસાગર ત્યાં ઉભરાયો, મર્મ કોઇ થકી ન કળાયો;

પછી વરણીને પૂછી વાત, કોણ માત તાત કોણ જાત ? 61

કયા દેશમાં ધર્યો છે દેહ ? વર્ણિરાજ કહો સર્વ તેહ;

સુણી બોલિયા સુંદર શામ, ધર્યો દેહ તો છપૈયા ગામ. 62

ધર્મ ભકિત પિતા અને માત, વિપ્ર સરવરિયા વિખ્યાત;

રામાનંદ કહે તે તમારાં, માત તાત છે શિષ્ય અમારાં. 63

મોટું તીર્થ પ્રયાગ છે જયાંય, અમે આપ્યો છે ઉપદેશ ત્યાંય;

તેના પુત્ર તમે છો પાવન, દિસો સદ્ગુણ કેરા સદન. 64

તપ તીવ્ર કરો છોજી તમે, સાધ્યો અષ્ટાંગયોગ આ સમે;

ભલે આવ્યા તમે મહારાજ,અતિ રાજી થયા અમે આજ. 65

કહે વર્ણી સુણો હે રાય, હરિ સમરથ સૌથી ગણાય;

ગણે સ્વામીને નિજથી વિશેષ, શિષ્યભાવે રહ્યા પરમેશ. 66

જે જે પ્રશ્ન તે વર્ણી પૂછે છે, રામાનંદજી ઉત્તર દે છે;

એ જ અવસરે શ્રીઅવિનાશ, પૂછ્યું પ્રશ્ન રામાનંદ પાસ.67

તમે ઇશ્વર છો સનાતન, કે શું આજ્ઞાકારી ભગવન ?

સુણી સ્વામી બેઠા મુખ ફરી, બીજા ભકત સાથે વાત કરી. 68

વળી વર્ણી સામું જોયું જયારે, ફરી પૂછિયું તે પ્રશ્ન ત્યારે;

નવ ઉત્તર દીધો લગાર, ત્યારે પૂછિયું ત્યાં ત્રીજી વાર. 69

કાંઇ મીષ લઇ ઉઠી ગયા, ફરી આવી વિરાજિત થયા;

બેઠો એક જમાદાર આવી, સ્વામીયે ત્યાં સમાધિ કરાવી. 70

એને દેખાડ્યું અક્ષરધામ, અલ્લારૂપે દીઠા ઘનશામ;

ઘણા ઉભા છે અલ્લાના દાસ, રામાનંદ ઉભા એક પાસ.71

આવ્યો તે પછી દેહમાં જયારે, ઉંચે સ્વર થકી ઉચ્ચર્યો ત્યારે;

આ શી હિંદુની ઉલટ રીત ? ઘણી લાગે છે તે અઘટીત.72

મુરશદ ઉંચે આસને બેઠા, અને અલ્લા તો બેઠા છે હેઠા;

રામાનંદે ત્યાં વાણી ઉચ્ચારી, એ છે રીત અસલની અમારી. 73

ઉંચા બેસતા વિપ્ર વસિષ્ઠ, નીચે બેસતા રામ વરિષ્ઠ;

એવાં વચન સુણી વૃષલાલ, મંદ મંદ હસ્યા તતકાળ. 74

પગે લાગી ગયો જમાદાર, થયું અચરજ સૌને અપાર;

રામાનંદજી બોલ્યા વચન, સુણો સૌ સંત ને હરિજન. 75

આજ આવ્યા રુડા યોગીરાજ, યોગિની છે એકાદશી આજ;

કરી ઉત્સવ હરખિત થઇયે, નદી ઓઝતે ન્હાવાને જઇયે. 76

વાજાં વિધવિધ કેરાં મંગાવો, સંતો તાલ મૃદંગ બજાવો;

પગે ચાલતા ચાલતા જૈયે, ઘણા જજ્ઞ તણું ફળ લૈયે. 77

આજ ઉત્તમ દિવસ છે એવો, મહા તપફળ પામિયે તેવો;

આજ સૂર્ય આ કેવો પ્રકાશે, નહીં તીવ્ર ને નિર્મળ ભાસે. 78

વાયુ ત્રિવિધ પ્રકારનો વાય, મંદ શીતલ સુગંધ જણાય;

હર્ષ ઉભરાય છે આજ ટાણે, તેનું કારણ તો હરિ જાણે. 79

ન્હાવા જાવાને તત્પર થયા, વાજતે ગાજતે સહુ ગયા;

જેમ યજ્ઞ પુરો થાય જયારે, કરે સ્નાન અવભ્રથ ત્યારે. 80

મળ્યા પ્રત્યક્ષ સારંગપાણી, જોગયજ્ઞ પૂરો થયો જાણી;

નદી ઓઝતમાં રામાનંદે, સ્નાન અવભ્રથ કીધું આનંદે. 81

હરિ સામું જુએ વારે વારે, મૂરતિ મન માંહી ઉતારે;

જાણે આજ સુકૃત ફળ ફળિયું, કોટિ જજ્ઞ તણું ફળ મળિયું. 82

આવે પૂર્વથી જળનો પ્રવાહ, રામાનંદ બેઠા એહ રાહ;

બેઠા પશ્ચિમ દિશ તેની પાસ, મુકતાનંદ ને શ્રીઅવિનાશ. 83

કરે સ્નાન ને કીર્તન ગાય, જળ છાતી સમાણું જણાય;

થયું કીર્તન તે પુરું જયારે, ઘનશામે પૂછ્યું પ્રશ્ન ત્યારે. 84

કહો ઇશ્વર છો તમે કેવા ? જદુનાથ કે રામજી જેવા;

રામજીયે તો રાવણ માર્યો, ગાદીયે વિભીષણને બેસાર્યો. 85

રામે કામ કર્યાં એવાં એવાં, તમે શાં કામ કીધાં છે તેવાં ?

ત્યારે બોલ્યા રામાનંદ તેહ, કહું કામ કર્યા અમે જેહ. 86

રાજા જનક તે મનને જ જાણો, મનવૃત્તિ તે સીતા પ્રમાણો;

વાસના જે વિષયની સજોર, કહું ધનુષ તે શિવનું કઠોર. 87

અન્ય તોડી શકે નહીં એને, અમે તરત તોડી નાંખ્યું તેને;

જાણો આત્મા અમારો તે રામ, તેને સીતા વરાવી તે ઠામ. 88

કહું રાવણ તે અહંકાર, થયો સીતાને હરવા તૈયાર;

દેહરૂપી લંકાનો તે રાય, જેને કોઇ થકી ન જીતાય. 89

મહાપાપી તે પોતાના પુરમાં, ઇચ્છે સીતાને રાખવા ઉરમાં;

અમે જ્ઞાનાગ્નિ પ્રગટ કરીને, બાળી નાખી લંકા નગરીને. 90

વિભીષણ તે તો જાણો વૈરાગ, તેને વૈર રાવણશું અથાગ;

અમે રાવણ રાક્ષસ માર્યો, વિભીષણ રાજપાટે બેસાર્યો. 91

વાત એહ જે જે જન જાણે, એ તો ઇશ્વર અમને પ્રમાણે;

સ્વામીનાં એવાં સુણીને વચન, હરખ્યા સંત અને હરિજન. 92

પછી નીરથી નીસરી બહાર, કોરાં વસ્ત્ર ધર્યાં તેહ વાર;

દિધાં વિપ્ર સુપાત્રને દાન, ગણી દિન મહાપર્વ સમાન. 93

દીઠો વડ એક ઘેરગંભીર, બેઠા ત્યાં જઇને થઇ સ્થીર;

વડ સંઘાઇનો તેનું નામ, ઠંડી છાયા ભલી તેહ ઠામ. 94

સભા સંતને સત્સંગી કેરી, સજી ત્યાં તે તો શોભે ઘણેરી;

જાણે એ અવસર એહ ઠામ, આવીને વસ્યું અક્ષરધામ. 95

સ્વામી બોલ્યા વળી શુભ વાણી, સુણો સૌ ઉર ઉત્સાહ આણી;

આજ આ જોગી આવ્યા છે જેવા, નથી બ્રહ્માંડમાં અન્ય એવા. 96

માટે આજનો દિન ગણો એવો, જન્માષ્ટમીનો દિન જેવો;

જયારે વર્ષમાં આ દિન આવે, મહા પાવન પર્વ કહાવે. 97

થયો યોગીનો યોગ આ ઠામ, યોગીની આ એકાદશી નામ;

આવી સત્સંગી સૌએ આ સ્થાન, કરવું નદી ઓઝતે સ્નાન.98

દાન વિપ્ર સુપાત્રને દેવું, હોય જે જનને ધન જેવું;

વળી સંતોને પૂજવા પ્રીતે, તેથી રીઝે પ્રભુ રુડી રીતે. 99

પછી આવ્યા સહુ પુરમાંય, વાજાં વાજે ને કીર્તન ગાય;

એવી રીતે ઉતારામાં આવ્યા, કરી ઉત્સવ મુદ ઉપજાવ્યા. 100

બીજે દિન પારણું કર્યું પ્રીતે, વાસ ત્યાં જ વશા રુડી રીતે;

સતાવનમી પછી સાલ આવી, દેવપોઢણી જનમન ભાવી. 101

પૂર્વછાયો:-

આવી હરિજન્માષ્ટમી, કર્યો ઉત્સવ રૂડી રીત;

આવી ગણેશ ચતુર્થિકા, પૂજયા ગણપતિ ધરી પ્રીત.102

ચોપાઈ:-

જળઝીલણી તો આવી જયારે, થયો સારો સમૈયો તે વારે;

દેશદેશના હરિજન આવ્યા, ભલી ભેટ સામગ્રિયો લાવ્યા. 103

રામાનંદે પૂજયા ગણપતિ, થયું અચરજ એ સમે અતિ;

સૌએ દીઠા ગણેશને ઠામ, ધર્મપુત્ર પ્રભુ ઘનશામ. 104

કોટિ સૂર્ય શશી સમ તેજ, દીઠું શીતલ સુંદર એ જ;

ઘણી વાર તે તેજ જણાયું, પછી વર્ણીના તનમાં સમાયું. 105

સૌને અચરજ લાગ્યું અતીશે, વરણીનો પ્રતાપ તે દિસે;

ગયા ઠાકોર જળ ઝીલવાને, ગણનાથને પધરાવવાને. 106

વરધોડો ચડ્યો ઘણો સારો, મળ્યા જોવાને લોક હજારો;

વાજાં વિવિધ પ્રકારનાં વાજે, તેથી અવની ને આકાશ ગાજે.107

વાજે ત્રાંસા ને તાલ મૃદંગ, શરણાઇ ઉપગ ને ચંગ;

કોઇ ગાય બજાવીને તાળી, રચના થઈ રૂડી રુપાળી. 108

બહુ ઉડે અબીર ગુલાલ,થયો આકાશ એ થકી લાલ;

વળી ત્યાં બહુ બંદૂકો છૂટે, જેમ ધાણી કડાઇમાં ફૂટે. 109

નદી ઓઝત તીર વિચરી, જળ ઝીલવાની ક્રિયા કરી;

ગણનાથને ત્યાં પધરાવ્યા, પછી સૌ મળી પુરમાં આવ્યા. 110

સમૈયો કરીને શુભ પેર, જન સર્વ ગયા નિજ ઘેર;

દસરાનો દિવસ પછી આવ્યો, ત્યારે ઉત્સવ સારો કરાવ્યો. 111

એ જ રીતે શોભાવી દિવાળી, અન્નકૂટ દિને હદ વાળી;

એમ કરતાં પ્રબોધિની આવી, હરિભકતના મનમાં તે ભાવી. 112

દેશ દેશ થકી સંઘ આવ્યા, ઘણી ભેટ ભલી વિધ લાવ્યાં;

એ જ દિવસે રામાનંદ પાસ, કર જોડી કહે અવિનાશ. 113

તમે વિજ્ઞાનવાન વિભૂ છો, મારા માતાપિતાના ગુરૂ છો;

મહાદીક્ષા મને આજ આપો,મારે માથે તમે હાથ થાપો. 114

સારી સાંભળીને તેવી વાત, રામાનંદ થયા રળીયાત;

બોલ્યા દીક્ષા તે દેવાનું ધારી, ધન્ય ધન્ય તમે બ્રહ્મચારી. 115

તીવ્ર વૈરાગ્ય ધન્ય તમારો,તમે સંસાર જાણ્યો છે ખારો;

તમે જન્મથી છો ઊર્ધ્વરેતા, તમતુલ્ય નથી બ્રહ્મવેત્તા. 116

તમે દીક્ષા લીધા વિના આપ, કોટિ જનને કરો નિષ્પાપ;

એવા સમરથ છો શ્રીહરિ, કરો ઉદ્ધાર સકંલ્પે કરી. 117

તમે સ્થાપ્યો છે વેદનો ધર્મ, તેનો મૂળ વિચારીને મર્મ;

સૌને શિખવવાને જ કાજ, દીક્ષા લેવા ઇચ્છો મહારાજ. 118

એમ કિધી પ્રશંસા તે સારી, દીક્ષા દેવા સમય નિરધારી;

હરિજન મળી ઉત્સવ કર્યો, ઉરમાં અતિ આનંદ ભર્યો. 119

પછી શાસ્ત્ર તણો કરી વિધિ, મહામંત્રની દીક્ષા તે દીધી;

ધાર્યું નામ શ્રીસહજાનંદ, નારાયણમુનિ નામ સ્વછંદ. 120

આપી વેદોકત વૈષ્ણવી દીક્ષા, આપી સદ્ગુરુ થૈ વળી શિક્ષા;

ધર્મ પાળજો રહી નિષ્કામી, વળી સૌને પળાવજો સ્વામી.121

જેમ હીરાને ઓપ ચડાવ્યો, એમ ધર્મીને ધર્મ બતાવ્યો;

જે જે ધર્મ ને નિયમ બતાવ્યા, મહારાજે તે મનમાં ઠરાવ્યા. 122

દોહરો:-

હતું સરોવર તે થયું, સાગરનું સરદાર;

મેરુને મસ્તક જુઓ, મુકયો હાથ ગિરનાર. 123

પીપળાણાના મહિમાની ગરબી :-

નારાયણ નામ લે ને તું પ્રાણી રે” એ રાગ, પદ :-

પરમ શુભ ધામ છે પીપળાણું રે, મોટો મહિમા મુખે શું વખાણું.

પરમ શુભ ધામ છે પીપળાણું રે;

રામાનંદ ને શ્રીહરિ આપરે, તેનો પ્રથમ થયો ત્યાં મેળાપ રે;

પૂરો દેખાડ્યો પ્રગટ પ્રતાપ, પરમo 124

જેમાં ભકિતતનુજ ભગવાને રે, દેહે ધારી મહાદીક્ષાને રે;

તેથી તીર્થ થયું તેહ સ્થાને, પરમo 125

આપ અક્ષરધામના ધામી રે, પીપળાણામાં દીક્ષા પામી રે;

થયા શ્રીસહજાનંદ સ્વામી, પરમo 126

ધર્યો જન્મ છપૈયામાં જેમ રે, પીપળાણે દીક્ષા ધરી તેમ રે;

બેમાં ઓછું અધિક કહું કેમ, પરમo 127

દિસે સોરઠ દેશમાં સારું રે, પુરું પ્રગટ પ્રભુને છે પ્યારું રે;

બડાં તીર્થ તેના પર વારું, પરમo 128

મેજાતા નરસિંહને ધન્ય ધન્ય રે, એ તો ભકત પ્રભુના અનન્ય રે;

એના જેવા જોયા નહિ અન્ય, પરમo 129

જેને ઘેર રહ્યા ઘનશામ રે, કર્યા કોટિક જીવનાં કામ રે;

ધારો તે જેવું ધર્મનું ધામ, પરમo 130

દયાસાગરે દિલ દયા લાવી રે, કૈંક જનને સમાધિ કરાવી રે;

દીધા બહુ નિજધામ બતાવી, પરમo 131

નદી ઓઝત છે એહ ઠામ રે, ઘણી વાર નાહ્યા ઘનશામ રે;

તેથી ત્યાં વસે તીર્થ તમામ, પરમo 132

દ્વારિકા મથુરા હરદ્વાર રે, એવાં તીર્થ તો ત્યાં છે અપાર રે;

કોણ માત્ર કાશી ને કેદાર, પરમo 133

જન જનમીને જગત મોઝાર રે, ત્યાં ન તીર્થે ગયો એક વાર રે;

એનો એળે ગયો અવતાર, પરમo 134

તીર્થશ્રાદ્ધ ત્યાં જૈ જન કરશે રે, એના પૂર્વજ નિશ્ચે ઉદ્ધરશે રે;

સ્થિર અક્ષરમાં જઇ ઠરશે, પરમo 135

કરે ત્યાં જપ તપ વ્રત દાનરે, સંતાનાર્થી પામે સંતાન રે;

ધનઅર્થી પામે ધન ધાન, પરમo 136

પામે જેવું જે ચિત્તે ચહે છે રે, મોક્ષઅર્થી તો મોક્ષ લહે છે રે;

રધુવીરસુત સુત કહે છે, પરમo 137

પુષ્પિતાગ્રાવૃત્ત:-

અતિ મતિ ગતવંત નાથ જે છે, સકળ ગુરૂ સકળેશ આપ એ છે;

નરતનું ધરિને ચરિત્ર કેવાં, અકળ કરે વળી તીર્થ થાન તેવાં. 138

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે પિપ્પલગ્રામે શ્રીહરિ-વૈષ્ણવીમહાદીક્ષાગ્રહણનામા ષષ્ઠો વિશ્રામઃ ।।6।।