પૂર્વછાયો:-

શ્રીહરિયે લોજપુરમાં, કર્યા દિવ્ય ચરિત્ર વિચિત્ર;

વર્ણી કહે નૃપ સાંભળો, કહું આખ્યાન એહ પવિત્ર. 1

ચોપાઈ:-

લોજગામ થકી ગાઉ બેય, શીલ નામ તે ગામનું છેય;

આવ્યા ત્યાં થકી બે હરિજન, કહ્યાં મુકતમુનિને વચન. 2

મારા વાઢ વિષે તો આ વાર, થયાં ચીભડાં અપરમપાર;

કોઇ સાધુને મોકલો લેવા, ગાડું ભરી હું આવિશ દેવા. 3

રામાનંદજી આવશે જયારે, થશે સારો સમૈયો તે વારે;

ચીભડાંનું જો થાય અથાણું, મારા અંતરમાં હર્ષ આણું. 4

મુકતાનંદે એવી વાત જાણી, સુખાનંદ પ્રત્યે કહી વાણી;

હરિભકતને ગામ સિધાવો, જૈને ત્યાં થકી ચીભડાં લાવો. 5

સુણી બોલિયા શ્રીમહારાજ, લેવા ચીભડાં હું જૈશ આજ;

સાથે આવશે સેવક દેવો, બીજો કોઇ સાથે નથી લેવો. 6

બોલ્યા મુકતમુનિ ધરી નેહ, તમે દુર્બળ કીધો છે દેહ;

માટે તમ થકી ત્યાં ન જવાય, નહિ ચીભડાં તમથી લવાય.7

એવી વાણી ઘણી જ ઉચ્ચરી, તોય દેવાને લૈ ગયા હરી;

જયારે વાઢમાં તે બેય આવ્યા, ગાડું એક હરિભકત લાવ્યા. 8

ત્યારે બોલિયા સુંદરશામ, નથી ગાડાનું કાંઇયે કામ;

લાંબો પોળો ચોફાળ મંગાવો, તેમાં ગાંસડો એક બંધાવો. 9

બોલ્યા હરિજન શ્રીહરિ પાસે, મોટો ગાંસડો કેમ બંધાશે ?

હઠ જોગીનો જોઇ તે વાર, બીજા બોલાવિયા જણ બાર. 10

મોટો ચોફાળ ત્યાં એક લાવ્યા, ચીભડાં મણ સોળ ભરાવ્યાં;

તેનો ગાંસડો એક બંધાવ્યો, જણ બારે મળી ઉપડાવ્યો. 11

હેઠે હરિયે ધર્યો હાથ જયારે, રહ્યો ગાંસડો અદ્ધર ત્યારે;

તોળ્યો હતો ગોવરધન જેમ, રહ્યો ગાંસડો અદ્ધર તેમ. 12

પામ્યા અચરજ સૌ જન જોઇ, આવું તો ન કરી શકે કોઇ;

વધ્યાં બે મણ ચીભડાં જેહ, બીજી ગાંસડીમાં બાંધ્યાં તેહ. 13

મૂકી તે તો દેવા ભકત માથે, લઇ ચાલિયા તે બેય સાથે;

દેવો ભકત તો પાછળ ચાલે, મોટો ગાંસડો અધર નિહાળે. 14

ગાઉ એક ગયા જેહ વાર, દેવા ભકતને તો લાગ્યો ભાર;

ત્યારે બોલ્યા પ્રભુ અલબેલો, ગાંસડા પર ગાંસડી મેલો. 15

પછી ઊંચી જગ્યાપર ચડી, મૂકી ગાંસડા પર ગાંસડી;

શોભે ગિરિ પર શીખર જેમ, શોભે ગાંસડી તે પણ તેમ. 16

એમ આવિયા લોજપુરીમાં, પેઠા મંદિરની ખડકીમાં;

પડ્યો ગાંસડો ખડકી બહાર, ગયા મંદિર માંહી મુરાર. 17

કહ્યું મુકત મુનિને તે વાર, ચીભડાં પડ્યાં ખડકી બહાર;

કહો સાધુને તે લેવા જાય, મુજથી ચીભડાં ન લવાય. 18

મુકતાનંદજી તો જોવા ગયા, જોઇ ગાંસડો વિસ્મિત થયા;

કોણ લાવિયું ગાંસડો એહ, એમ પૂછ્યું ધરીને સંદેહ. 19

દેવે ભકતે કહી બધી વાત, થયા વિસ્મિત સૌ જનજાત;

જાણ્યું વર્ણીનું દિવ્ય ચરિત્ર, એની લીલા છે પરમ પવિત્ર. 20

પછી સાધુઓ સોળ બોલાવ્યા, છોડી ગાંસડો ચીભડાં લાવ્યા;

જોગીરાજને જગદીશ જાણ્યા, પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ્યા. 21

પૂર્વછાયો:-

વર્ણી કહે નૃપ સાંભળો, વળી કહું અવર આખ્યાન;

દિવ્ય ચરિત્ર દયાળનાં, લાગે સુણતાં પીયૂષ સમાન.22

ચોપાઈ:-

એક અવસરે શ્રીમુનિનાથ, દેવા ભકત સુખાનંદ સાથ;

મળીને ગયા સાગર તીરે, કર્યું સ્નાન તે સુંદર નીરે. 23

સખા ભાવ કરી તેહ સ્થાને, જળકેળી કરી ભગવાને;

અન્યોઅન્યને જળમાં ડુબાવે, મારે જળમાં ધકા જેમ ફાવે. 24

માર્યો હરિયે ધકો બહુ બળમાં, નાખ્યો દેવાને ત્યાં ઉંડા જળમાં;

એ તો બૂડી ગયો એ જ ઠાર, કયાંઇ દીઠો નહી બીજી વાર. 25

ખૂબ ખોળ કરી જળમાંઇ, પણ દેવો જડ્યો નહિ કયાંઇ;

જયારે મળવાની નવ રહી આશ, સુખાનંદ થયા તે ઉદાસ. 26

પછી નીસરીયા જળ બાહાર, ચાલ્યા પુરભણી થૈને તૈયાર;

સુખાનંદે ત્યાં વાણી ઉચ્ચારી, તમે સાંભળો શ્રીબ્રહ્મચારી. 27

કેવું મુખ લઇ ગામમાં જાશું ? વાત કરતાં વિશેષ લજાશું;

હત્યા બેઠી આ આપણે શીશ, કેમ છૂટશું તે વરણીશ ? 28

લોકો સંશય બહુધા કરશે, માર્યો કેમ એવું તે ઉચ્ચરશે;

ભલો ભકત હતો તેહ દેવો, બીજો ભકત ભલો નથી એવો. 29

સગાં વાલાં એનાં શું કહેશે ? દોષ આપણે શીર તે દેશે;

એમ કહેતાં નેણે આવ્યાં નીર, હોઠ ફરકે ને ધ્રુજે શરીર. 30

ત્યારે દેવાને હરિયે બોલાવ્યો, જળમાંથી તે નીસરી આવ્યો;

સુખાનંદે પૂછ્યું તેને ત્યાંય, દેવાભકત હતા તમે કયાંય ? 31

દેવોભકત બોલ્યા તેહ ઠામ, મેં તો જૈ જોયું અક્ષરધામ;

દીઠા ત્યાં આ જ વર્ણી સ્વછંદ, ઉભા ચમર કરે રામાનંદ. 32

બ્રહ્મા ભવ ને ઇંદ્રાદિક ઘણા, ગુણ ગાય આ વર્ણીંદ્ર તણા;

હું તો આનંદમાં હતો મગ્ન, મન પ્રભુપદમાં હતું લગ્ન. 33

મહારાજે મને તો બોલાવ્યો, ત્યારે ધામમાંથી ઝટ આવ્યો;

એવી અદ્ભુત સાંભળી વાત, સુખાનંદ થયા રળિયાત. 34

મુકતાનંદ આદિકની પાસ, કરી વાત તે જૈને પ્રકાશ;

સૌયે જાણ્યું જે આ વરણીશ, ધામ અક્ષરના છે અધીશ. 35

એવી નિત્ય નવી લીલા કરે, પ્રભુ હરિજનનાં મન હરે;

પ્રભુ પ્રૌઢ પ્રતાપ જણાવે, ગુણ શારદ નારદ ગાવે. 36

પૂર્વછાયો:-

ભૂપ અભેસિંહજી સુણો, કહે વર્ણી અચિંત્યાનંદ;

લોજ વિષે વૃષલાલજી, રહી લીલા કરે છે સ્વછંદ. 37

ચોપાઈ:-

જાય મુકતમુનિ જે જે ગામ, ત્યારે સાથે જતા ઘનશામ;

એક દિન કાળવાણીયે ગયા, સાધુની ઓરડી માંહી રયા. 38

રાજોભાઇને પરવતભાઇ, બીજા સત્સંગી બહુ ભાઇ બાઇ;

જથાજોગ સેવા સઉ કરે, ઉપદેશ અંતર માંહી ધરે. 39

પાણી પીવાની તુંબડી સારી, મુકતાનંદ મુનીએ સુધારી;

રુડા રંગથી તેને રંગેલી, તડકે તે સુકાવાને મેલી. 40

પછીથી પદમાસન કરી, બેઠા મુકતમુનિ ધ્યાન ધરી;

તેની જોડે જ એવે આકાર, બેઠા ધ્યાનમાં ધર્મકુમાર. 41

શ્વાસ પૂરક કુંભક જેહ, કરે રેચકની ક્રિયા તેહ;

નિજ દષ્ટિને નાસાગ્ર ધરી, ધરે ધ્યાન એક સ્થળ ઠરી. 42

મુકતાનંદે ઘડ્યો મન ઘાટ, થયો તુંબડી કેરો ઉચ્ચાટ;

રખે કોઇ જનાવર આવે, સારી તુંબડીને અભડાવે. 43

જાણી અંતરજામીયે વાત, ત્યારે સદ્ય બોલ્યા સાક્ષાત;

સ્વામી શ્રીહરિમાં ધ્યાન રાખો, તુંબડીની ફિકર તજી નાંખો. 44

માલ છે હરિધ્યાનમાં જેવો, નથી તુંબડીમાં માલ તેવો;

મુકતાનંદ એવું સુણી જાગ્યા, પ્રેમે શ્રીહરિને પાય લાગ્યા.45

કહ્યું છો તમે અંતરજામી, મનઘાટ જાણ્યો બહુનામી;

પછી સાધુ સર્વેને બોલાવી, શામે તુંબડી સૌની મગાવી. 46

રંગદાર રજોગુણી લાગી, તે તો બોખી કરી કાંઠા ભાંગી;

સંતો પ્રત્યે બોલ્યા સુખકારી, જેણે સંસાર મેલ્યો વિસારી. 47

તે તો વસ્તુ રજોગુણવાળી, પાસે રાખે ન જાણી રુપાળી;

એમ શ્રીહરિ શર્મ ન રાખે, ભૂલ સર્વના મન તણી ભાખે. 48

કહે જયાં મન સંતનું જાય,જતાં તે મારી નજરે જણાય;

ધ્યાન ધરતાં ઉંઘે સંત કોઇ, ત્યારે શ્રીજી કહે તેને જોઇ.49

રામાનંદરૂપે ભગવાન, તેનું પામ્યા છો દર્શનદાન;

તોય તે વિષે વૃત્તિ તમારી, કેમ શકતા નથી તમે ધારી ? 50

અને ઉંઘ આવે છે તે કેમ ? મને આશ્ચર્ય લાગે છે એમ;

રામાનંદ મેં તો નથી ભાળ્યા, તેણે મારા ત્રિગુણ નથી ટાળ્યા.51

તોય કાળનો ત્રાસ તપાસી, અતિ અંતર રહે છે ઉદાસી;

રાતે શયન કરું છું જે વાર, નથી આવતી ઉંઘ લગાર. 52

રખે આવે અચાનક કાળ, પડે છે એવી પેટમાં ફાળ;

ધ્યાન ધરતાં આવે ઉંઘ તમને, એ તો અદ્ભુત લાગે છે અમને. 53

એમ સંતોને ઉપદેશ દેતા, મોટા મુકત પ્રમાણે રહેતા;

પોતે છે પરબ્રહ્મ સ્વરૂપ, સર્વના ગુરુ સર્વના ભૂપ. 54

પણ સૌને શીખવવાને કાજ, રાખે વૈરાગ્ય ઉર મહારાજ;

મુકતાનંદ સાથે કોઇ વાર, મળીને એમ કરતા વિચાર. 55

રામાનંદ સ્વામી તણી જયારે, મને ભેટ કરાવશો ત્યારે;

આજ્ઞા આપણે સ્વામીની લૈને, ધરશું ધ્યાન વન વિષે જૈને. 56

જયારે ધ્યાનમાં બેસીએ અમે, મારો દેહ સંભાળજો તમે;

તમે ધ્યાનમાં બેસશો જયારે, તમને હું સંભાળીશ ત્યારે. 57

વળી તે મુકતાનંદજી પાસ, ઉચ્ચર્યા મુખથી અવિનાશ;

વાસ કરવા મહાવન કેરો, મારે તો છે અભ્યાસ ઘણેરો. 58

ઝાઝી જયાં હતી વૃક્ષની ઝાડી, હતા ત્યાં બહુ હાથી અનાડી;

વરુ વાઘ ને રીંછનાં વૃંદ, ફરતા પાડા અરણા સ્વછંદ. 59

જનને જવાના નહીં રસ્તા, રાતદિન અમે એવામાં વસ્તા;

વનમાં વસવું મને ભાવે, વસ્તીમાં અકળામણ આવે. 60

એવી એવી ઘણી ઘણી વાત, કરતા શ્રીહરિ સાક્ષાત;

મુકતાનંદ સુણી એ પ્રસંગ, પામ્યા ઉત્તમ વૈરાગ્ય અંગ. 61

એથી ઇચ્છા કરે એવી મનમાં, વસીયે શ્રીજી સાથે જ વનમાં;

એમ કરતાં દિવસ કાંઇ થયા, કાળવાણીથી લોજમાં ગયા. 62

રહી ત્યાં પણ જ્ઞાન અત્યંત, હરિમુખથી સુણે સહુ સંત;

એક દિન હરિ એમ ઉચરિયા, અમે દેશ અનેકમાં ફરિયા. 63

મોટાં મોટાં જોયાં જઇ રાજ, જોયા સંન્યાસી સાધુ સમાજ;

જોયા બ્રાહ્મણ ને બ્રહ્મચારી, જોયા ત્યાગી તથા તપધારી. 64

જોયા સર્વ તે માયામાં મોહ્યા, સાચા સંત તો આ સ્થળે જોયા;

મિથ્યાવાદી બીજા અભિમાની, દિસે ધૂર્ત પુરા બકધ્યાની. 65

કાં તો વ્યસની કાં તો વ્યભિચારી, જોયા ઉદરભરણ અધિકારી;

રામાનંદ તણો સંપ્રદાય, તે વિના બીજે શાંતિ ન થાય. 66

દૈવી જન જગમાં હતા જેહ, આ ઠેકાણે આવી વસ્યા એહ;

વળી જે જે દૈવી જન થાશે, મન તેનાં તો આંહિ તણાશે. 67

માટે હું પણ આંહી રહીશ,ટેલ નીચામાં નીચી કરીશ;

એમ બોલતા શ્રીઘનશામ, કહેતા સરજુદાસ નામ. 68

સંત જાણે જે પારખું લેવું, તેથી કામ ભળાવિયું કેવું;

નિત્ય ગામને ગોંદરે જઇને, છાણા થાપો ઝાઝું છાણ લઇને. 69

એવી આજ્ઞા ચડાવીને માથે, મેળવ્યું છાણ જઇ મુનિનાથે;

ગાયો પાદર જયાં ભેગી થાય, નિત્ય ત્યાં જગજીવન જાય.70

બહુ બાઇયો પણ હોડેહોડે, દેખે છાણ ત્યાં લેવાને દોડે;

ધર્મપુત્ર જઇ ધમકાવે, લેતાં છાણ એને અટકાવે. 71

પડ્યો પોદળો લે કોઇ નાર, હેઠે બ્રહ્માંડ દેખે તે ઠાર;

શૈલ સાગર સરિતાઓ ભાળે,ચૌદ લોકની રચના નિહાળે. 72

દેખે સુર નર નાગની સૃષ્ટિ, દેખે વાદળાં વિદ્યુત વૃષ્ટિ;

મેલે પોદળો પાછો ઠેકાણે, સર્જુદાસનું જાદુ તે જાણે. 73

તેથી તરુણિયો કૃષ્ણથી ત્રાસે, હરિને દૂરથી દેખી નાસે;

છબીલો છાણ લૈ જયારે જાય, ત્યારે ત્યાં નારિયો ભેળી થાય. 74

વળી એક બીજીને ડરાવે, કહે ઓ સરજુદાસ આવે;

એવી રીતે પોતાને પ્રતાપે, પ્રભુ છાણ લેઇ છાણાં થાપે. 75

મુકતાનંદ કહે ધન્ય ધન્ય, છતાં નિઃસ્પૃહી પાળ્યું વચન;

તજાવ્યું પછી તો તેહ કામ, કરે સૌ સંત પ્રેમે પ્રણામ. 76

કયારે કયારે અલૌકિકપણું, દેખે શ્રીઘનશામમાં ઘણું;

વળી એક સમે અવિનાશ, બોલ્યા મુકતમુનિ તણી પાસ.77

રામાનંદની મૂર્તિ છે જેવી, તમે ધ્યાન વિષે ધરો તેવી;

તમ દ્વારાયે હું નિરખીશ, જેવાં ચિહ્ન હશે તે કહીશ. 78

પછી બેય બેઠા ધ્યાન કરી, મુકતાનંદે છબી મન ધરી;

પ્રભુયે કર્યો મનમાં પ્રવેશ, નખશિખ છબી નિરખી વિશેષ.79

પછી ધ્યાન થકી બેય જાગ્યા, કેવી છે છબી કહેવા લાગ્યા;

મુકતાનંદે કહ્યાં ચિહ્ન મોટાં, હરિયે કહ્યાં મોટાં ને છોટાં. 80

સુણી સૌ જન વિસ્મિત થાય, લીલા કોઇ થકી ન કળાય;

કરે એવાં ચરિત્ર ઉદાર, નવ આવે ઉચરતાં તે પાર. 81

પુષ્પિતાગ્રાવૃત્ત:-

પ્રતિદિન પ્રભુજી ચરિત્ર એવાં, નવ નવભાતિ કરે અપૂર્વ જેવાં;

કહી કહી કદી કોટિ કલ્પ જાય, તદપિ સમગ્ર નહીં કહી શકાય.82

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે શ્રીલોજપુરે શ્રીહરિ-અદ્ભુતલીલાકથનનામા ચતુર્થો વિશ્રામઃ ।।4।।