પૂર્વછાયો:-
શ્રીહરિયે લોજપુરમાં, કર્યા દિવ્ય ચરિત્ર વિચિત્ર;
વર્ણી કહે નૃપ સાંભળો, કહું આખ્યાન એહ પવિત્ર. 1
ચોપાઈ:-
લોજગામ થકી ગાઉ બેય, શીલ નામ તે ગામનું છેય;
આવ્યા ત્યાં થકી બે હરિજન, કહ્યાં મુકતમુનિને વચન. 2
મારા વાઢ વિષે તો આ વાર, થયાં ચીભડાં અપરમપાર;
કોઇ સાધુને મોકલો લેવા, ગાડું ભરી હું આવિશ દેવા. 3
રામાનંદજી આવશે જયારે, થશે સારો સમૈયો તે વારે;
ચીભડાંનું જો થાય અથાણું, મારા અંતરમાં હર્ષ આણું. 4
મુકતાનંદે એવી વાત જાણી, સુખાનંદ પ્રત્યે કહી વાણી;
હરિભકતને ગામ સિધાવો, જૈને ત્યાં થકી ચીભડાં લાવો. 5
સુણી બોલિયા શ્રીમહારાજ, લેવા ચીભડાં હું જૈશ આજ;
સાથે આવશે સેવક દેવો, બીજો કોઇ સાથે નથી લેવો. 6
બોલ્યા મુકતમુનિ ધરી નેહ, તમે દુર્બળ કીધો છે દેહ;
માટે તમ થકી ત્યાં ન જવાય, નહિ ચીભડાં તમથી લવાય.7
એવી વાણી ઘણી જ ઉચ્ચરી, તોય દેવાને લૈ ગયા હરી;
જયારે વાઢમાં તે બેય આવ્યા, ગાડું એક હરિભકત લાવ્યા. 8
ત્યારે બોલિયા સુંદરશામ, નથી ગાડાનું કાંઇયે કામ;
લાંબો પોળો ચોફાળ મંગાવો, તેમાં ગાંસડો એક બંધાવો. 9
બોલ્યા હરિજન શ્રીહરિ પાસે, મોટો ગાંસડો કેમ બંધાશે ?
હઠ જોગીનો જોઇ તે વાર, બીજા બોલાવિયા જણ બાર. 10
મોટો ચોફાળ ત્યાં એક લાવ્યા, ચીભડાં મણ સોળ ભરાવ્યાં;
તેનો ગાંસડો એક બંધાવ્યો, જણ બારે મળી ઉપડાવ્યો. 11
હેઠે હરિયે ધર્યો હાથ જયારે, રહ્યો ગાંસડો અદ્ધર ત્યારે;
તોળ્યો હતો ગોવરધન જેમ, રહ્યો ગાંસડો અદ્ધર તેમ. 12
પામ્યા અચરજ સૌ જન જોઇ, આવું તો ન કરી શકે કોઇ;
વધ્યાં બે મણ ચીભડાં જેહ, બીજી ગાંસડીમાં બાંધ્યાં તેહ. 13
મૂકી તે તો દેવા ભકત માથે, લઇ ચાલિયા તે બેય સાથે;
દેવો ભકત તો પાછળ ચાલે, મોટો ગાંસડો અધર નિહાળે. 14
ગાઉ એક ગયા જેહ વાર, દેવા ભકતને તો લાગ્યો ભાર;
ત્યારે બોલ્યા પ્રભુ અલબેલો, ગાંસડા પર ગાંસડી મેલો. 15
પછી ઊંચી જગ્યાપર ચડી, મૂકી ગાંસડા પર ગાંસડી;
શોભે ગિરિ પર શીખર જેમ, શોભે ગાંસડી તે પણ તેમ. 16
એમ આવિયા લોજપુરીમાં, પેઠા મંદિરની ખડકીમાં;
પડ્યો ગાંસડો ખડકી બહાર, ગયા મંદિર માંહી મુરાર. 17
કહ્યું મુકત મુનિને તે વાર, ચીભડાં પડ્યાં ખડકી બહાર;
કહો સાધુને તે લેવા જાય, મુજથી ચીભડાં ન લવાય. 18
મુકતાનંદજી તો જોવા ગયા, જોઇ ગાંસડો વિસ્મિત થયા;
કોણ લાવિયું ગાંસડો એહ, એમ પૂછ્યું ધરીને સંદેહ. 19
દેવે ભકતે કહી બધી વાત, થયા વિસ્મિત સૌ જનજાત;
જાણ્યું વર્ણીનું દિવ્ય ચરિત્ર, એની લીલા છે પરમ પવિત્ર. 20
પછી સાધુઓ સોળ બોલાવ્યા, છોડી ગાંસડો ચીભડાં લાવ્યા;
જોગીરાજને જગદીશ જાણ્યા, પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ્યા. 21
પૂર્વછાયો:-
વર્ણી કહે નૃપ સાંભળો, વળી કહું અવર આખ્યાન;
દિવ્ય ચરિત્ર દયાળનાં, લાગે સુણતાં પીયૂષ સમાન.22
ચોપાઈ:-
એક અવસરે શ્રીમુનિનાથ, દેવા ભકત સુખાનંદ સાથ;
મળીને ગયા સાગર તીરે, કર્યું સ્નાન તે સુંદર નીરે. 23
સખા ભાવ કરી તેહ સ્થાને, જળકેળી કરી ભગવાને;
અન્યોઅન્યને જળમાં ડુબાવે, મારે જળમાં ધકા જેમ ફાવે. 24
માર્યો હરિયે ધકો બહુ બળમાં, નાખ્યો દેવાને ત્યાં ઉંડા જળમાં;
એ તો બૂડી ગયો એ જ ઠાર, કયાંઇ દીઠો નહી બીજી વાર. 25
ખૂબ ખોળ કરી જળમાંઇ, પણ દેવો જડ્યો નહિ કયાંઇ;
જયારે મળવાની નવ રહી આશ, સુખાનંદ થયા તે ઉદાસ. 26
પછી નીસરીયા જળ બાહાર, ચાલ્યા પુરભણી થૈને તૈયાર;
સુખાનંદે ત્યાં વાણી ઉચ્ચારી, તમે સાંભળો શ્રીબ્રહ્મચારી. 27
કેવું મુખ લઇ ગામમાં જાશું ? વાત કરતાં વિશેષ લજાશું;
હત્યા બેઠી આ આપણે શીશ, કેમ છૂટશું તે વરણીશ ? 28
લોકો સંશય બહુધા કરશે, માર્યો કેમ એવું તે ઉચ્ચરશે;
ભલો ભકત હતો તેહ દેવો, બીજો ભકત ભલો નથી એવો. 29
સગાં વાલાં એનાં શું કહેશે ? દોષ આપણે શીર તે દેશે;
એમ કહેતાં નેણે આવ્યાં નીર, હોઠ ફરકે ને ધ્રુજે શરીર. 30
ત્યારે દેવાને હરિયે બોલાવ્યો, જળમાંથી તે નીસરી આવ્યો;
સુખાનંદે પૂછ્યું તેને ત્યાંય, દેવાભકત હતા તમે કયાંય ? 31
દેવોભકત બોલ્યા તેહ ઠામ, મેં તો જૈ જોયું અક્ષરધામ;
દીઠા ત્યાં આ જ વર્ણી સ્વછંદ, ઉભા ચમર કરે રામાનંદ. 32
બ્રહ્મા ભવ ને ઇંદ્રાદિક ઘણા, ગુણ ગાય આ વર્ણીંદ્ર તણા;
હું તો આનંદમાં હતો મગ્ન, મન પ્રભુપદમાં હતું લગ્ન. 33
મહારાજે મને તો બોલાવ્યો, ત્યારે ધામમાંથી ઝટ આવ્યો;
એવી અદ્ભુત સાંભળી વાત, સુખાનંદ થયા રળિયાત. 34
મુકતાનંદ આદિકની પાસ, કરી વાત તે જૈને પ્રકાશ;
સૌયે જાણ્યું જે આ વરણીશ, ધામ અક્ષરના છે અધીશ. 35
એવી નિત્ય નવી લીલા કરે, પ્રભુ હરિજનનાં મન હરે;
પ્રભુ પ્રૌઢ પ્રતાપ જણાવે, ગુણ શારદ નારદ ગાવે. 36
પૂર્વછાયો:-
ભૂપ અભેસિંહજી સુણો, કહે વર્ણી અચિંત્યાનંદ;
લોજ વિષે વૃષલાલજી, રહી લીલા કરે છે સ્વછંદ. 37
ચોપાઈ:-
જાય મુકતમુનિ જે જે ગામ, ત્યારે સાથે જતા ઘનશામ;
એક દિન કાળવાણીયે ગયા, સાધુની ઓરડી માંહી રયા. 38
રાજોભાઇને પરવતભાઇ, બીજા સત્સંગી બહુ ભાઇ બાઇ;
જથાજોગ સેવા સઉ કરે, ઉપદેશ અંતર માંહી ધરે. 39
પાણી પીવાની તુંબડી સારી, મુકતાનંદ મુનીએ સુધારી;
રુડા રંગથી તેને રંગેલી, તડકે તે સુકાવાને મેલી. 40
પછીથી પદમાસન કરી, બેઠા મુકતમુનિ ધ્યાન ધરી;
તેની જોડે જ એવે આકાર, બેઠા ધ્યાનમાં ધર્મકુમાર. 41
શ્વાસ પૂરક કુંભક જેહ, કરે રેચકની ક્રિયા તેહ;
નિજ દષ્ટિને નાસાગ્ર ધરી, ધરે ધ્યાન એક સ્થળ ઠરી. 42
મુકતાનંદે ઘડ્યો મન ઘાટ, થયો તુંબડી કેરો ઉચ્ચાટ;
રખે કોઇ જનાવર આવે, સારી તુંબડીને અભડાવે. 43
જાણી અંતરજામીયે વાત, ત્યારે સદ્ય બોલ્યા સાક્ષાત;
સ્વામી શ્રીહરિમાં ધ્યાન રાખો, તુંબડીની ફિકર તજી નાંખો. 44
માલ છે હરિધ્યાનમાં જેવો, નથી તુંબડીમાં માલ તેવો;
મુકતાનંદ એવું સુણી જાગ્યા, પ્રેમે શ્રીહરિને પાય લાગ્યા.45
કહ્યું છો તમે અંતરજામી, મનઘાટ જાણ્યો બહુનામી;
પછી સાધુ સર્વેને બોલાવી, શામે તુંબડી સૌની મગાવી. 46
રંગદાર રજોગુણી લાગી, તે તો બોખી કરી કાંઠા ભાંગી;
સંતો પ્રત્યે બોલ્યા સુખકારી, જેણે સંસાર મેલ્યો વિસારી. 47
તે તો વસ્તુ રજોગુણવાળી, પાસે રાખે ન જાણી રુપાળી;
એમ શ્રીહરિ શર્મ ન રાખે, ભૂલ સર્વના મન તણી ભાખે. 48
કહે જયાં મન સંતનું જાય,જતાં તે મારી નજરે જણાય;
ધ્યાન ધરતાં ઉંઘે સંત કોઇ, ત્યારે શ્રીજી કહે તેને જોઇ.49
રામાનંદરૂપે ભગવાન, તેનું પામ્યા છો દર્શનદાન;
તોય તે વિષે વૃત્તિ તમારી, કેમ શકતા નથી તમે ધારી ? 50
અને ઉંઘ આવે છે તે કેમ ? મને આશ્ચર્ય લાગે છે એમ;
રામાનંદ મેં તો નથી ભાળ્યા, તેણે મારા ત્રિગુણ નથી ટાળ્યા.51
તોય કાળનો ત્રાસ તપાસી, અતિ અંતર રહે છે ઉદાસી;
રાતે શયન કરું છું જે વાર, નથી આવતી ઉંઘ લગાર. 52
રખે આવે અચાનક કાળ, પડે છે એવી પેટમાં ફાળ;
ધ્યાન ધરતાં આવે ઉંઘ તમને, એ તો અદ્ભુત લાગે છે અમને. 53
એમ સંતોને ઉપદેશ દેતા, મોટા મુકત પ્રમાણે રહેતા;
પોતે છે પરબ્રહ્મ સ્વરૂપ, સર્વના ગુરુ સર્વના ભૂપ. 54
પણ સૌને શીખવવાને કાજ, રાખે વૈરાગ્ય ઉર મહારાજ;
મુકતાનંદ સાથે કોઇ વાર, મળીને એમ કરતા વિચાર. 55
રામાનંદ સ્વામી તણી જયારે, મને ભેટ કરાવશો ત્યારે;
આજ્ઞા આપણે સ્વામીની લૈને, ધરશું ધ્યાન વન વિષે જૈને. 56
જયારે ધ્યાનમાં બેસીએ અમે, મારો દેહ સંભાળજો તમે;
તમે ધ્યાનમાં બેસશો જયારે, તમને હું સંભાળીશ ત્યારે. 57
વળી તે મુકતાનંદજી પાસ, ઉચ્ચર્યા મુખથી અવિનાશ;
વાસ કરવા મહાવન કેરો, મારે તો છે અભ્યાસ ઘણેરો. 58
ઝાઝી જયાં હતી વૃક્ષની ઝાડી, હતા ત્યાં બહુ હાથી અનાડી;
વરુ વાઘ ને રીંછનાં વૃંદ, ફરતા પાડા અરણા સ્વછંદ. 59
જનને જવાના નહીં રસ્તા, રાતદિન અમે એવામાં વસ્તા;
વનમાં વસવું મને ભાવે, વસ્તીમાં અકળામણ આવે. 60
એવી એવી ઘણી ઘણી વાત, કરતા શ્રીહરિ સાક્ષાત;
મુકતાનંદ સુણી એ પ્રસંગ, પામ્યા ઉત્તમ વૈરાગ્ય અંગ. 61
એથી ઇચ્છા કરે એવી મનમાં, વસીયે શ્રીજી સાથે જ વનમાં;
એમ કરતાં દિવસ કાંઇ થયા, કાળવાણીથી લોજમાં ગયા. 62
રહી ત્યાં પણ જ્ઞાન અત્યંત, હરિમુખથી સુણે સહુ સંત;
એક દિન હરિ એમ ઉચરિયા, અમે દેશ અનેકમાં ફરિયા. 63
મોટાં મોટાં જોયાં જઇ રાજ, જોયા સંન્યાસી સાધુ સમાજ;
જોયા બ્રાહ્મણ ને બ્રહ્મચારી, જોયા ત્યાગી તથા તપધારી. 64
જોયા સર્વ તે માયામાં મોહ્યા, સાચા સંત તો આ સ્થળે જોયા;
મિથ્યાવાદી બીજા અભિમાની, દિસે ધૂર્ત પુરા બકધ્યાની. 65
કાં તો વ્યસની કાં તો વ્યભિચારી, જોયા ઉદરભરણ અધિકારી;
રામાનંદ તણો સંપ્રદાય, તે વિના બીજે શાંતિ ન થાય. 66
દૈવી જન જગમાં હતા જેહ, આ ઠેકાણે આવી વસ્યા એહ;
વળી જે જે દૈવી જન થાશે, મન તેનાં તો આંહિ તણાશે. 67
માટે હું પણ આંહી રહીશ,ટેલ નીચામાં નીચી કરીશ;
એમ બોલતા શ્રીઘનશામ, કહેતા સરજુદાસ નામ. 68
સંત જાણે જે પારખું લેવું, તેથી કામ ભળાવિયું કેવું;
નિત્ય ગામને ગોંદરે જઇને, છાણા થાપો ઝાઝું છાણ લઇને. 69
એવી આજ્ઞા ચડાવીને માથે, મેળવ્યું છાણ જઇ મુનિનાથે;
ગાયો પાદર જયાં ભેગી થાય, નિત્ય ત્યાં જગજીવન જાય.70
બહુ બાઇયો પણ હોડેહોડે, દેખે છાણ ત્યાં લેવાને દોડે;
ધર્મપુત્ર જઇ ધમકાવે, લેતાં છાણ એને અટકાવે. 71
પડ્યો પોદળો લે કોઇ નાર, હેઠે બ્રહ્માંડ દેખે તે ઠાર;
શૈલ સાગર સરિતાઓ ભાળે,ચૌદ લોકની રચના નિહાળે. 72
દેખે સુર નર નાગની સૃષ્ટિ, દેખે વાદળાં વિદ્યુત વૃષ્ટિ;
મેલે પોદળો પાછો ઠેકાણે, સર્જુદાસનું જાદુ તે જાણે. 73
તેથી તરુણિયો કૃષ્ણથી ત્રાસે, હરિને દૂરથી દેખી નાસે;
છબીલો છાણ લૈ જયારે જાય, ત્યારે ત્યાં નારિયો ભેળી થાય. 74
વળી એક બીજીને ડરાવે, કહે ઓ સરજુદાસ આવે;
એવી રીતે પોતાને પ્રતાપે, પ્રભુ છાણ લેઇ છાણાં થાપે. 75
મુકતાનંદ કહે ધન્ય ધન્ય, છતાં નિઃસ્પૃહી પાળ્યું વચન;
તજાવ્યું પછી તો તેહ કામ, કરે સૌ સંત પ્રેમે પ્રણામ. 76
કયારે કયારે અલૌકિકપણું, દેખે શ્રીઘનશામમાં ઘણું;
વળી એક સમે અવિનાશ, બોલ્યા મુકતમુનિ તણી પાસ.77
રામાનંદની મૂર્તિ છે જેવી, તમે ધ્યાન વિષે ધરો તેવી;
તમ દ્વારાયે હું નિરખીશ, જેવાં ચિહ્ન હશે તે કહીશ. 78
પછી બેય બેઠા ધ્યાન કરી, મુકતાનંદે છબી મન ધરી;
પ્રભુયે કર્યો મનમાં પ્રવેશ, નખશિખ છબી નિરખી વિશેષ.79
પછી ધ્યાન થકી બેય જાગ્યા, કેવી છે છબી કહેવા લાગ્યા;
મુકતાનંદે કહ્યાં ચિહ્ન મોટાં, હરિયે કહ્યાં મોટાં ને છોટાં. 80
સુણી સૌ જન વિસ્મિત થાય, લીલા કોઇ થકી ન કળાય;
કરે એવાં ચરિત્ર ઉદાર, નવ આવે ઉચરતાં તે પાર. 81
પુષ્પિતાગ્રાવૃત્ત:-
પ્રતિદિન પ્રભુજી ચરિત્ર એવાં, નવ નવભાતિ કરે અપૂર્વ જેવાં;
કહી કહી કદી કોટિ કલ્પ જાય, તદપિ સમગ્ર નહીં કહી શકાય.82
ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે શ્રીલોજપુરે શ્રીહરિ-અદ્ભુતલીલાકથનનામા ચતુર્થો વિશ્રામઃ ।।4।।