પૂર્વછાયો:-

લોજ વિષે હરિએ કર્યો, કેટલાક માસ નિવાસ;

એક સમયમાં ઉચ્ચર્યા, પોતે મુકતાનંદમુનિ પાસ. 1

ચોપાઈ:-

નવ આવ્યા રામાનંદસ્વામી, રહ્યાં તે ગુરુ ત્યાં જ વિરામી;

ગયું ચોમાસું ને શીતકાળ, ગયો ફાગણ નાવ્યા દયાળ. 2

મન મળવાને આતુર થાય, હવે વિરહથી નવ રહેવાય;

અમે કચ્છ જવાને વિચરશું, ગુરુનાં જઇ દર્શન કરશું. 3

ત્યારે બોલિયા મુકતાનંદ, રહો આંહી ધરીને આનંદ;

કચ્છમાં તો તમે ન જવાય, વાટમાં ઘણાં વિધ્ન જણાય.4

આડી આવે સમુદ્રની ખાડી, નડે રસ્તામાં અસુર અ નાડી;

માટે આંહી રહો કરી વાસ, પત્ર મોકલિયે ગુરુ પાસ. 5

કરશે ગુરુ આજ્ઞા તે જેમ, પછી આપણે કરશું એમ;

એમ કહી મુનિ મુકતાનંદે, લખ્યો પત્ર અધિક આનંદે. 6

બીજો પત્ર લખ્યો મહારાજે, તે તો કચ્છ મોકલવાને કાજે;

તેમાં સરવે લખ્યું વૃત્તાંત, જેથી લેશ રહે નહિ ભ્રાંત. 7

પત્ર લઇને મયારામ ભટ, કચ્છ દેશ વિષે ગયા ઝટ;

ભુજ માંહી મલ્લ ગંગારામ, રામાનંદજી છે તેને ધામ. 8

ભટે સ્વામીને નિરખ્યા કેવા, સુણો ભૂપ કહું છું હું તેવા;

સભા માંહી શોભે સુખકંદ, જેમ તારામંડળ વચે ચંદ. 9

શોભે ગૌર ને પુષ્ટ શરીર, ગુણે સુરગુરુસમ ગંભીર;

પડે ત્રિવળી ઉદર પર એવી, જાણે હોય ત્રિવેણી તે જેવી. 10

શોભે સુંદર ભાલ વિશાળ, તેમાં તિલક ને કંઠે છે માળ;

સ્વર ગંભીર મેઘ સમાન, દિસે જ્ઞાન વિજ્ઞાન નિધાન. 11

દયાસાગર શાંત સ્વભાવ, પદ ભવજળતારણ નાવ;

મયારામ ભટે તેહ ઠામ, આપ્યા પત્ર કરીને પ્રણામ. 12

મુખે સર્વે કહ્યા સમાચાર, કહ્યું વર્ણીનું વૃત્તાંત સાર;

રામાનંદને તે પત્ર ભાવ્યા, ચાંપી છાતિયે શીશ ચડાવ્યા. 13

મુકતાનંદે લખ્યો પત્ર જેહ, વાંચ્યો પ્રથમ ઉખાળીને તેહ;

પત્ર વાંચીને બોલિયા વળી, હવે ચિંતા અમારે તો ટળી. 14

બાંધ્યા સદાવ્રતો જેને માટ, જેની જોતા હતા અમે વાટ;

આવ્યા તે સતસંગના ધણી, આજ ધન્ય ઘડી અમે ગણી. 15

એ તો પ્રત્યક્ષ પુરુષ છે મોટા, એની આગળ અન્ય છે છોટા;

સુણી હરિજને પૂછી વાત, એ છે કેવા મોટા સાક્ષાત ? 16

છે શું પર્વતભાઇ સમાન ? ના ના એથી અધિક જ્ઞાનવાન;

સુખાનંદ જેવા હશે સારા ? જ્ઞાન એથી અધિક ધરનારા. 17

મુકતાનંદ જેવા હશે મોટા ? એની આગળ તે પણ છોટા;

હશે શું સમરથ તમ જેવા ? અમે પણ સમરથ નથી એવા.18

પ્રભુતાઇ જણાવશે જયારે, તમે જાણશો સર્વ તે ત્યારે;

એમ વાત કરી જનજોગ, સ્વામી હરખ્યા જે ટળશે વિયોગ.19

શાલિનીવૃત્ત:-

રામાનંદે જેમ સ્વામીવિયોગ,રામાનંદે તેમ સ્વામીવિયોગ;

રામાનંદે જેમ રીઝે જ કામી,રામાનંદે તેમ રીઝ્યા અકામી.20

ચોપાઈ:-

પછી ઉખેળ્યો વર્ણીનો પત્ર, થયું અચરજ અદ્ભુત તત્ર;

પત્રમાંથી પ્રગટ્યો પ્રકાશ, વ્યાપ્યો તે તો પાતાળ આકાશ. 21

જન સર્વને થૈ ત્યાં સમાધિ, વીસરી ગઇ તનની ઉપાધિ;

અવલોકિયું અક્ષરધામ, દીઠી ત્યાં મૂરતિ ઘનશામ. 22

કોટિ મુકત મળી સ્તુતિ કરે, કોટિ શકિતયો આગન્યા ધરે;

પછી જાગ્યા સમાધિથી જયારે, અતિ અચરજ પામિયા ત્યારે. 23

રામાનંદને પૂછી તે વાત, ત્યારે બોલ્યા ગુરુ સાક્ષાત;

દીઠી ધામમાં મૂરતિ જેહ, એ તો આવ્યા છે વર્ણીંદ્ર તેહ. 24

હું છું ઉદ્વવનો અવતાર, એ છે અખિલબ્રહ્માંડ આધાર;

એના પદનું હું ધ્યાન ધરું છું, એનું ભજન હું નિત્ય કરું છું. 25

એવી સાંભળીને શુભ વાત, જનહૃદય થયાં રળિયાત;

પછી પત્રના ઉત્તર જેહ, લખ્યા સ્વામીએ સુંદર તેહ. 26

મુકતાનંદને લખિયું એમ, રાખો વર્ણી રાજી રહે જેમ;

વળી વર્ણી પ્રત્યે લખ્યો પત્ર, ભલે આપ પધારિયા તત્ર. 27

હવે તપ નવ કરશો ભારે, ઘણાં કરવાં છે કામ તમારે;

ઘણાં ઉદ્ધારવાં નરનાર, દેહરક્ષણ કરજો ઉદાર. 28

રૂડી અષ્ટાંગ જોગની રીત, સૌને શીખવજો ધરી પ્રીત;

મુકતાનંદ કહે તેમ કરજો, એની આજ્ઞા વિષે અનુસરજો. 29

તમે આવશો નહિ અમ પાસે, અમે આવશું વૈશાખ માસે;

આપ્યા કાગળ ભટને તે વાર, વળી મુખથી કહ્યા સમાચાર. 30

ભટ જાઓ તમે જે જે ગામ, સર્વ હરિજનને કહો આમ;

લોજ નગરમાં સર્વે વિચરજો, જૈને વર્ણીનાં દર્શન કરજો. 31

એમ કહિ કર્યા ભટને વિદાય, જે જે ગામ ગયા દ્વિજરાય;

કહ્યું હરિજન સર્વ સમાજ, જજો વર્ણીનાં દર્શન કાજ. 32

રામાનંદની આજ્ઞા છે એવી, સર્વે હરિજને શિર ધરી લેવી;

એમ કહીને ગયા લોજ ગામ, આપ્યા પત્ર કરીને પ્રણામ. 33

પત્ર વાંચીને થયો આનંદ, જાણ્યું આવશે શ્રીરામાનંદ;

ગામોગામથી જનના સમાજ, આવે વર્ણીનાં દર્શન કાજ. 34

દેશોદેશમાં ફેલાઇ વાત, વર્ણી ઈશ્વર છે સાક્ષાત;

શેખપાટ નામે એક ગામ, ત્યાંના લાલજી સૂતાર નામ. 35

પછી છોડ્યો હતો જેણે ફંદ, નામ ધાર્યુંજાતું નિષ્કુળાનંદ;

રામાનંદ ઉપર ઘણી પ્રીત, તેણે એમ વિચારિયું ચિત્ત. 36

રામાનંદના કરતાં વિશેષ, વધ્યો વર્ણીનો મહિમા આ દેશ;

વાત સ્વામીની પાસ ઉચ્ચારું, કરે કાંઇ ઉપાય તો સારું. 37

એવું જાણી લાલજી સુતાર, ગયા તે ભુજનગર મોઝાર;

રામાનંદને કીધો પ્રણામ, ત્યારે સ્વામી બોલ્યા સુખધામ. 38

કહો ભકત આવ્યા કેમ આજ ? આવ્યો આપનાં દર્શન કાજ;

સુણી સ્વામી બોલ્યા ધરી દયા, તમે લોજમાં કેમ ન ગયા ? 39

મયારામ ભટે શું ન કહ્યું ? કે શું વચન તે વીસરી ગયું ?

આવ્યા છે ત્યાં મોટા મુનિરાજ, ઇચ્છે દર્શન દેવસમાજ. 40

કહે લાલજી મોટા તે કેવા ? દત્તાત્રી કે ૠષભદેવ જેવા;

કે શું છે રામચંદ્ર સમાન ? રામાનંદ કહે સુણો કાન. 41

જેમ કૃષ્ણ મોટા સરવેથી, તેમ આ છે મોટા વળી એથી;

આ છે અવતારના અવતારી, ઘણું શું કહિયે વિસ્તારી. 42

જેનું ધ્યાન મહામુનિ ધરે, જેનો જશ શેષનાગ ઉચ્ચરે;

એવા મોટાનાં દર્શન મૂકી, કેમ આવ્યા છો કચ્છમાં ચૂકી ? 43

જાઓ લોજનગરમાં વિચરો, એવા વર્ણીનાં દર્શન કરો;

સુણી લાલજી ત્યાંથી સિધાવ્યા, લોજમાં હરિદર્શને આવ્યા. 44

સાંભળ્યા હતા વર્ણીને જેવા, દીઠા દષ્ટિયે સાક્ષાત તેવા;

દંડવત કર્યા છે પ્રણામ, આવ્યાં પ્રેમનાં આંસુ તે ઠામ. 45

આપ્યો હરિયે આશીર્વાદ એવો, પામો વૈરાગ્ય શુકજી જેવો;

લાલજીને આશીર્વાદ ભાવ્યો, ઘણાં સ્નેહથી શીશ ચડાવ્યો. 46

પછી ભુજમાં બનેલી વાત, તે તો લાલજીયે ભલી ભાત;

મુકતાનંદની પાસે ઉચ્ચારી, સુણી ઉપજયું અચરજ ભારી. 47

ભાવે નિત્યપ્રતિ ભગવાન, મીંઢીઆવળનું કરે પાન;

જમે રોટલો બાજરા કેરો, સાથે મરચાંનો ભુકો ઘણેરો. 48

અભિપ્રાય અંતરમાં એહ, કરવો નિજ દુર્બળ દેહ;

દિશા પશ્ચિમમાં ગામ બહાર, બીજી વાવ છે ત્યાં એક ઠાર. 49

ઘણી વાર ત્યાં આસન કરે, પછી મંદિરમાં પરવરે;

એમ રેચકની ક્રિયા કરી, કર્યો દેહને દુર્બળ હરી. 50

લોજથી પશ્ચિમે શીલ ગામ, તહાં કાવડ ફેરવે શામ;

વચમાં નદી છે તેને તીર, સાધે જોગકળા નરવીર. 51

એક દેવો અને જુઠો નામ, વાણિયા બેય સદ્ગુણધામ;

મુકતાનંદે મુકયા હરિ પાસ, સેવા કરવા સારા હરિદાસ.52

કરે વર્ણી મનુષ્યચરિત્ર, કયારે દિવ્ય ચરિત્ર વિચિત્ર;

તેને કેમ કળી શકે કોઇ, બહુ મોહ પામે જન જોઇ. 53

પુષ્પિતાગ્રાવૃત્ત:-

અકળિત હરિની કળા અનેક, કળી ન શકાય કદાપિ કાંઇ એક;

સુર અજ ભવ ઈંદ્ર ભૂલી જાય, કશી ગણતી જનજાતિ ત્યાં ગણાય. 54

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે રામાનંદસ્વામીપ્રતિ પત્રલેખનનામા તૃતીયો વિશ્રામઃ ।।3।।