પૂર્વછાયો:-
લોજ વિષે હરિએ કર્યો, કેટલાક માસ નિવાસ;
એક સમયમાં ઉચ્ચર્યા, પોતે મુકતાનંદમુનિ પાસ. 1
ચોપાઈ:-
નવ આવ્યા રામાનંદસ્વામી, રહ્યાં તે ગુરુ ત્યાં જ વિરામી;
ગયું ચોમાસું ને શીતકાળ, ગયો ફાગણ નાવ્યા દયાળ. 2
મન મળવાને આતુર થાય, હવે વિરહથી નવ રહેવાય;
અમે કચ્છ જવાને વિચરશું, ગુરુનાં જઇ દર્શન કરશું. 3
ત્યારે બોલિયા મુકતાનંદ, રહો આંહી ધરીને આનંદ;
કચ્છમાં તો તમે ન જવાય, વાટમાં ઘણાં વિધ્ન જણાય.4
આડી આવે સમુદ્રની ખાડી, નડે રસ્તામાં અસુર અ નાડી;
માટે આંહી રહો કરી વાસ, પત્ર મોકલિયે ગુરુ પાસ. 5
કરશે ગુરુ આજ્ઞા તે જેમ, પછી આપણે કરશું એમ;
એમ કહી મુનિ મુકતાનંદે, લખ્યો પત્ર અધિક આનંદે. 6
બીજો પત્ર લખ્યો મહારાજે, તે તો કચ્છ મોકલવાને કાજે;
તેમાં સરવે લખ્યું વૃત્તાંત, જેથી લેશ રહે નહિ ભ્રાંત. 7
પત્ર લઇને મયારામ ભટ, કચ્છ દેશ વિષે ગયા ઝટ;
ભુજ માંહી મલ્લ ગંગારામ, રામાનંદજી છે તેને ધામ. 8
ભટે સ્વામીને નિરખ્યા કેવા, સુણો ભૂપ કહું છું હું તેવા;
સભા માંહી શોભે સુખકંદ, જેમ તારામંડળ વચે ચંદ. 9
શોભે ગૌર ને પુષ્ટ શરીર, ગુણે સુરગુરુસમ ગંભીર;
પડે ત્રિવળી ઉદર પર એવી, જાણે હોય ત્રિવેણી તે જેવી. 10
શોભે સુંદર ભાલ વિશાળ, તેમાં તિલક ને કંઠે છે માળ;
સ્વર ગંભીર મેઘ સમાન, દિસે જ્ઞાન વિજ્ઞાન નિધાન. 11
દયાસાગર શાંત સ્વભાવ, પદ ભવજળતારણ નાવ;
મયારામ ભટે તેહ ઠામ, આપ્યા પત્ર કરીને પ્રણામ. 12
મુખે સર્વે કહ્યા સમાચાર, કહ્યું વર્ણીનું વૃત્તાંત સાર;
રામાનંદને તે પત્ર ભાવ્યા, ચાંપી છાતિયે શીશ ચડાવ્યા. 13
મુકતાનંદે લખ્યો પત્ર જેહ, વાંચ્યો પ્રથમ ઉખાળીને તેહ;
પત્ર વાંચીને બોલિયા વળી, હવે ચિંતા અમારે તો ટળી. 14
બાંધ્યા સદાવ્રતો જેને માટ, જેની જોતા હતા અમે વાટ;
આવ્યા તે સતસંગના ધણી, આજ ધન્ય ઘડી અમે ગણી. 15
એ તો પ્રત્યક્ષ પુરુષ છે મોટા, એની આગળ અન્ય છે છોટા;
સુણી હરિજને પૂછી વાત, એ છે કેવા મોટા સાક્ષાત ? 16
છે શું પર્વતભાઇ સમાન ? ના ના એથી અધિક જ્ઞાનવાન;
સુખાનંદ જેવા હશે સારા ? જ્ઞાન એથી અધિક ધરનારા. 17
મુકતાનંદ જેવા હશે મોટા ? એની આગળ તે પણ છોટા;
હશે શું સમરથ તમ જેવા ? અમે પણ સમરથ નથી એવા.18
પ્રભુતાઇ જણાવશે જયારે, તમે જાણશો સર્વ તે ત્યારે;
એમ વાત કરી જનજોગ, સ્વામી હરખ્યા જે ટળશે વિયોગ.19
શાલિનીવૃત્ત:-
રામાનંદે જેમ સ્વામીવિયોગ,રામાનંદે તેમ સ્વામીવિયોગ;
રામાનંદે જેમ રીઝે જ કામી,રામાનંદે તેમ રીઝ્યા અકામી.20
ચોપાઈ:-
પછી ઉખેળ્યો વર્ણીનો પત્ર, થયું અચરજ અદ્ભુત તત્ર;
પત્રમાંથી પ્રગટ્યો પ્રકાશ, વ્યાપ્યો તે તો પાતાળ આકાશ. 21
જન સર્વને થૈ ત્યાં સમાધિ, વીસરી ગઇ તનની ઉપાધિ;
અવલોકિયું અક્ષરધામ, દીઠી ત્યાં મૂરતિ ઘનશામ. 22
કોટિ મુકત મળી સ્તુતિ કરે, કોટિ શકિતયો આગન્યા ધરે;
પછી જાગ્યા સમાધિથી જયારે, અતિ અચરજ પામિયા ત્યારે. 23
રામાનંદને પૂછી તે વાત, ત્યારે બોલ્યા ગુરુ સાક્ષાત;
દીઠી ધામમાં મૂરતિ જેહ, એ તો આવ્યા છે વર્ણીંદ્ર તેહ. 24
હું છું ઉદ્વવનો અવતાર, એ છે અખિલબ્રહ્માંડ આધાર;
એના પદનું હું ધ્યાન ધરું છું, એનું ભજન હું નિત્ય કરું છું. 25
એવી સાંભળીને શુભ વાત, જનહૃદય થયાં રળિયાત;
પછી પત્રના ઉત્તર જેહ, લખ્યા સ્વામીએ સુંદર તેહ. 26
મુકતાનંદને લખિયું એમ, રાખો વર્ણી રાજી રહે જેમ;
વળી વર્ણી પ્રત્યે લખ્યો પત્ર, ભલે આપ પધારિયા તત્ર. 27
હવે તપ નવ કરશો ભારે, ઘણાં કરવાં છે કામ તમારે;
ઘણાં ઉદ્ધારવાં નરનાર, દેહરક્ષણ કરજો ઉદાર. 28
રૂડી અષ્ટાંગ જોગની રીત, સૌને શીખવજો ધરી પ્રીત;
મુકતાનંદ કહે તેમ કરજો, એની આજ્ઞા વિષે અનુસરજો. 29
તમે આવશો નહિ અમ પાસે, અમે આવશું વૈશાખ માસે;
આપ્યા કાગળ ભટને તે વાર, વળી મુખથી કહ્યા સમાચાર. 30
ભટ જાઓ તમે જે જે ગામ, સર્વ હરિજનને કહો આમ;
લોજ નગરમાં સર્વે વિચરજો, જૈને વર્ણીનાં દર્શન કરજો. 31
એમ કહિ કર્યા ભટને વિદાય, જે જે ગામ ગયા દ્વિજરાય;
કહ્યું હરિજન સર્વ સમાજ, જજો વર્ણીનાં દર્શન કાજ. 32
રામાનંદની આજ્ઞા છે એવી, સર્વે હરિજને શિર ધરી લેવી;
એમ કહીને ગયા લોજ ગામ, આપ્યા પત્ર કરીને પ્રણામ. 33
પત્ર વાંચીને થયો આનંદ, જાણ્યું આવશે શ્રીરામાનંદ;
ગામોગામથી જનના સમાજ, આવે વર્ણીનાં દર્શન કાજ. 34
દેશોદેશમાં ફેલાઇ વાત, વર્ણી ઈશ્વર છે સાક્ષાત;
શેખપાટ નામે એક ગામ, ત્યાંના લાલજી સૂતાર નામ. 35
પછી છોડ્યો હતો જેણે ફંદ, નામ ધાર્યુંજાતું નિષ્કુળાનંદ;
રામાનંદ ઉપર ઘણી પ્રીત, તેણે એમ વિચારિયું ચિત્ત. 36
રામાનંદના કરતાં વિશેષ, વધ્યો વર્ણીનો મહિમા આ દેશ;
વાત સ્વામીની પાસ ઉચ્ચારું, કરે કાંઇ ઉપાય તો સારું. 37
એવું જાણી લાલજી સુતાર, ગયા તે ભુજનગર મોઝાર;
રામાનંદને કીધો પ્રણામ, ત્યારે સ્વામી બોલ્યા સુખધામ. 38
કહો ભકત આવ્યા કેમ આજ ? આવ્યો આપનાં દર્શન કાજ;
સુણી સ્વામી બોલ્યા ધરી દયા, તમે લોજમાં કેમ ન ગયા ? 39
મયારામ ભટે શું ન કહ્યું ? કે શું વચન તે વીસરી ગયું ?
આવ્યા છે ત્યાં મોટા મુનિરાજ, ઇચ્છે દર્શન દેવસમાજ. 40
કહે લાલજી મોટા તે કેવા ? દત્તાત્રી કે ૠષભદેવ જેવા;
કે શું છે રામચંદ્ર સમાન ? રામાનંદ કહે સુણો કાન. 41
જેમ કૃષ્ણ મોટા સરવેથી, તેમ આ છે મોટા વળી એથી;
આ છે અવતારના અવતારી, ઘણું શું કહિયે વિસ્તારી. 42
જેનું ધ્યાન મહામુનિ ધરે, જેનો જશ શેષનાગ ઉચ્ચરે;
એવા મોટાનાં દર્શન મૂકી, કેમ આવ્યા છો કચ્છમાં ચૂકી ? 43
જાઓ લોજનગરમાં વિચરો, એવા વર્ણીનાં દર્શન કરો;
સુણી લાલજી ત્યાંથી સિધાવ્યા, લોજમાં હરિદર્શને આવ્યા. 44
સાંભળ્યા હતા વર્ણીને જેવા, દીઠા દષ્ટિયે સાક્ષાત તેવા;
દંડવત કર્યા છે પ્રણામ, આવ્યાં પ્રેમનાં આંસુ તે ઠામ. 45
આપ્યો હરિયે આશીર્વાદ એવો, પામો વૈરાગ્ય શુકજી જેવો;
લાલજીને આશીર્વાદ ભાવ્યો, ઘણાં સ્નેહથી શીશ ચડાવ્યો. 46
પછી ભુજમાં બનેલી વાત, તે તો લાલજીયે ભલી ભાત;
મુકતાનંદની પાસે ઉચ્ચારી, સુણી ઉપજયું અચરજ ભારી. 47
ભાવે નિત્યપ્રતિ ભગવાન, મીંઢીઆવળનું કરે પાન;
જમે રોટલો બાજરા કેરો, સાથે મરચાંનો ભુકો ઘણેરો. 48
અભિપ્રાય અંતરમાં એહ, કરવો નિજ દુર્બળ દેહ;
દિશા પશ્ચિમમાં ગામ બહાર, બીજી વાવ છે ત્યાં એક ઠાર. 49
ઘણી વાર ત્યાં આસન કરે, પછી મંદિરમાં પરવરે;
એમ રેચકની ક્રિયા કરી, કર્યો દેહને દુર્બળ હરી. 50
લોજથી પશ્ચિમે શીલ ગામ, તહાં કાવડ ફેરવે શામ;
વચમાં નદી છે તેને તીર, સાધે જોગકળા નરવીર. 51
એક દેવો અને જુઠો નામ, વાણિયા બેય સદ્ગુણધામ;
મુકતાનંદે મુકયા હરિ પાસ, સેવા કરવા સારા હરિદાસ.52
કરે વર્ણી મનુષ્યચરિત્ર, કયારે દિવ્ય ચરિત્ર વિચિત્ર;
તેને કેમ કળી શકે કોઇ, બહુ મોહ પામે જન જોઇ. 53
પુષ્પિતાગ્રાવૃત્ત:-
અકળિત હરિની કળા અનેક, કળી ન શકાય કદાપિ કાંઇ એક;
સુર અજ ભવ ઈંદ્ર ભૂલી જાય, કશી ગણતી જનજાતિ ત્યાં ગણાય. 54
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે રામાનંદસ્વામીપ્રતિ પત્રલેખનનામા તૃતીયો વિશ્રામઃ ।।3।।