પૂર્વછાયો:-

પ્રશ્ન તણા ઉત્તર કર્યા, નિજ મતિયે મુકતાનંદ;

તે સરવે સુણી પામિયા, વૃષનંદન ઉર આનંદ. 1

ચોપાઈ:-

બોલ્યા નીલકંઠ બ્રહ્મચારી, ધન્ય સાધુજી બુદ્ધિ તમારી;

ઘણા સંતોની મેં મતિ જોઇ, આવા ઉત્તર આપે ન કોઇ.2

તમે સદ્ગુરુ સેવ્યા જણાય, આવા ઉત્તર તે થકી થાય;

આંહી દિસે છે ઉત્તમ ધર્મ, અંશમાત્રે નથી જ અધર્મ. 3

ગાંજા ભાંગ પીતા નથી કોઇ, સુંઘવાની તમાકુ ન જોઇ;

તમ પાસે રહે ઘણા સંત, દિસે સર્વે તે વૈરાગ્યવંત. 4

સૌનાં નિર્મળ સ્વચ્છ છે ચિત્ત, નથી પંચ વિષય પર પ્રીત;

ઘણાં જોયાં અમે તીર્થ ધામ, નથી સંત આવા કોઇ ઠામ. 5

શાણા સદ્ગરુ જે છે તમારા, હશે પ્રૌઢ પ્રતાપી તે સારા;

નહિ તો શુદ્ધ આ સંપ્રદાય, કળિકાળમાં કયાંથી જણાય.6

સુણી બોલિયા મુકતાનંદ, આપ છોજી મુનિવર ચંદ;

આવા પ્રશ્ન ભલા પૂછનાર, તમ જેવા નથી કોઇ ઠાર. 7

ગુરુજી રામાનંદ છે જેહ, અવતાર ઇશ્વરનો છે તેહ;

તેને મળશો તમે વળી જયારે, થશે હર્ષ પરસ્પર ત્યારે. 8

સુણી બોલિયા સુંદરશામ, રામાનંદનું જાણું છું નામ;

એ છે ઉદ્ધવનો અવતાર, નથી સંશય એમાં લગાર. 9

ધર્મદેવ પિતા મુજ જેહ, રામાનંદ તણા શિષ્ય તેહ;

બાળાપણમાં મને સાક્ષાત, મુજ તાતે કહી હતી વાત. 10

મને સ્મરણ થયું હવે એનું, માટે ઇચ્છું છું દર્શન તેનું;

મુકતનાંદજી બોલ્યા હુલાસે, ગુરુ આવશે દર્શન થાશે. 11

વસો આંહી કરીને વિરામ, ઇચ્છા પૂરશે પૂરણકામ;

સુણી હરિયે વિશ્રામ ઠરાવ્યો, ત્યાં તો જન્માષ્ટમી દિન આવ્યો. 12

દેશદેશના હરિજન આવ્યા, ભલી ભેટ સામગરી લાવ્યા;

આવિ અષ્ટમી સૌ જન જાણે, કર્યો ઉત્સવ શાસ્ત્રપ્રમાણે.13

શણગારિયું મંદિર સારું, દિસે સૌને આનંદ દેનારું;

ધર્યા કળશ પતાકા તે દ્વાર, બાંધ્યા તોરણ શોભિત સાર. 14

રોપ્યા થંભ તે કદળી કેરા, થાય વાજિંત્રનાદ ઘણેરા;

વાજે વીણા ને તાલ મૃદંગ, વાજે ઢોલ ને ચંગ ઉપંગ. 15

વાજે ત્રાંસાં ત્રુઇ શરણાઇ, શોભા નિરખતાં લાગે નવાઇ;

તાળી પાડીને હરિજન ગાય, સૌના હૈયામાં હરખ ન માય.16

જેમ આવે પ્રજાપતિ પાળ, ત્યારે પ્રથમ જણાય મશાલ;

તેમ અરધી નિશાયે આકાશ, પૂર્વે ચંદ્રનો પ્રગટ્યો પ્રકાશ. 17

રાશિ વૃષભ આકાર જણાયો, જાણે બળદ તે રથનો દેખાયો;

ચંદ્ર સાથે છે રોહિણી રાણી, જાણે આવ્યાં હરિજન્મ જાણી. 18

મળી હરિજન સૌ નરનારી, કર્યો જન્મનો ઉત્સવ ભારી;

પારણામાં ઝૂલે પરમેશ, ખામી શોભા વિષે નથી લેશ. 19

એવામાં થઇ અદ્ભુત વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;

પારણામાં જુવે નરનારી, દીઠા નીલકંઠ બ્રહ્મચારી. 20

નવ દેખાય બાળમુકુંદ, થાય વિસ્મિત સૌ જનવૃંદ;

વળી જોવા સભા માંહી જાય, વર્ણી ત્યાં પણ બેઠા જણાય.21

એવો મોટો ચમત્કાર જોઇ, જાણ્યા વર્ણી છે ઇશ્વર કોઇ;

સારો એમ સમૈયો તે કરી, નિજઘેર ગયા જન ફરી. 22

જીવરાજજી શેઠનો ડેલો, હતો મંદિર પાસ ચણેલો;

મુકતાનંદ મુનિ તહાં જઇ, કથા કરતા હતા રાજી થઇ. 23

સુણતાં મળીને બાઇ ભાઇ, સભા ત્યાગી ગૃહસ્થ ભરાઇ;

દીઠી તે રીત શ્રીજીયે જયારે, બોલ્યા ઊંચે સ્વરે કરી ત્યારે. 24

સંતો ચાલો મંદિર માંહી ફરી, સંભળાવીશ હું કથા કરી;

બાઇ ભાઇ મળે એક ઠાર, નહિ ત્યાગીનો ધર્મ લગાર. 25

એમ કહી ગયા મંદિરમાંય, સર્વે સાધુ ઉઠી ગયા ત્યાંય;

મુકતાનંદ બોલ્યા તેહ ઠામ, બાઇયો છેલા હવે રામ રામ. 26

એ જ વરણી કહેશે જેમ, કરવું પડશે હવે તેમ;

ગયા મંદિરમાં એમ કહી, વર્ણિરાજ બોલ્યા વેણ તહીં. 27

ત્યાગીએ સ્ત્રીનો પ્રસંગ તજવા વિષે :- ઉપજાતિવૃત્ત:-

સંતો કરો ચિત્ત વિષે વિચાર, આ રીત સારી નથી રે લગાર;

સ્ત્રીયો તણો કાંઇ પ્રસંગ જે છે, ત્યાગીજનોને ભયકારી તે છે. 28

જે સ્કંધ એકાદશમાં કહ્યું છે, તેમાં ખરું તત્ત્વ ઘણું રહ્યું છે;

ત્યાગી કરે નારી તણો પ્રસંગ, જરૂર તેનું વ્રત થાય ભંગ.29

પ્રત્યક્ષ છે કામિની દેવમાયા, જોનાર તો વશ્ય થયા જણાયા;

દીવે પડે અંધ પતંગ જેમ, સ્ત્રીમાં નરોની મનવૃત્તિ તેમ. 30

સુરા પિવાથી મદ થાય ચિત્તે, સ્ત્રીને નિહાળ્યા થકી એ જ રીતે;

તે માટે નારી થકી દૂર થાવું, સ્ત્રી પાસ ત્યાગીજનને ન જાવું. 31

જુવે નહી ચિત્રની કામિનીને, અડે નહી પૂતલી કાષ્ઠનીને;

ત્યાગી તણો છે શુભ એ જ ધર્મ, સંતો વિચારો સુણી શાસ્ત્રમર્મ. 32

છે અષ્ટધા ઉત્તમ બ્રહ્મચર્ય, જાણો તમે તે સહુ સાધુવર્ય;

નારીની સાથે સુણતાં કથાય, તે બ્રહ્મચર્યવ્રત ભંગ થાય.33

સ્ત્રીદેહ છે પાવક હોય જેવો, ઘીનો ઘડો છે નરદેહ એવો;

પાસે રહ્યાથી પિગળી જ જાય, ત્યાગી તણો ધર્મ વિનાશ થાય.34

રહે મળીને દવ-દારુ કેમ ? રહે ન નારી નર ધર્મ તેમ;

લોઢું ચળે ચુંબક લોહ સંગે, ત્યાગી ચળે નારી તણે પ્રસંગે. 35

મયૂર જાગે સુણી મેધનાદ, મનોજ જાગે સુણી નારી સાદ;

ભીત્યંતરે નારી તણો નિવાસ, ત્યાગી વસે તો વ્રતનો વિનાશ. 36

નારી તણો દેહ અરણ્ય જાણો, મનોજ ત્યાં સિંહસમ પ્રમાણે;

તે તો નરોને મૃગ તુલ્ય જાણે, જરૂર મારે નિજનેત્ર બાણે. 37

વિશ્વાસ નારીતનનો ન થાય, ખત્તા ઘણા તે કરનાર ખાય;

જેણે વગોવ્યા અજ ચંદ્ર ઇંદ્ર, નચાવિયા નારદજી મુનીંદ્ર. 38

જીત્યા નહીં જો ત્રિપુરારિ જેવા, જીતું કહે તે જન મૂર્ખ કેવા;

દારા થકી દૂર રહે ડરીને, તે ઊગરે જૈ શરણે હરીને. 39

તપસ્વિને તે તપમાંથી પાડે, સમાધિમાંથી સિદ્ધને જગાડે;

છે કામિની તો અતિ કષ્ટકારી, શરીરનું શોણિત શોષનારી. 40

છે નારી તો નિર્લજ એમ જાણો, તે પાપમૂર્તિ પ્રગટ પ્રમાણો;

છેદાવિયું નાક સુવર્ણકાજ, તેને પછી શી રહી લોકલાજ. 41

છે ચોટલો કે શિર સાપ કાળો, છે રાક્ષસીના સમ નેત્રચાળો;

જો જીવવાની ઉર આશ હોય, તો કામિની પાસ જશો ન કોય. 42

જેને પગે નેવળ નાખિયાં છે, બે હાથમાં બંધન રાખિયાં છે;

છે નાકમાં તો દઢ નાથ ઘાલી, તથાપિ તે જાય સ્વતંત્ર ચાલી. 43

જયાં સુંદરીના શબને બળાવ્યું, તે સ્થાનમાં ત્યાગિજને ન જાવું;

જો રાખ ઊડી નિજ અંગ લાગે, તેથી કદી મન્મથ ઝાળ જાગે. 44

હાથી જતાં ઘંટધ્વની સુણાય,નારી જતાં નેપુર નાદ થાય;

ચેતાવવાની જુગતી પ્રકાશી, અરે જજો સૌ જન દૂર નાશી. 45

સમુદ્રમાં ચુંબક શૈલ જયાં છે, સિકંદરે પૂતળી રાખી ત્યાં છે;

તેના થકી દૂર જવું ડરીને, શ્યામા થકી તેમજ સંચરીને. 46

બલિષ્ઠ છે ને અબળા ગણાય, જેના કટાક્ષે નર વશ્ય થાય;

છે લાજહીણી પણ લાજ તાણે, જો થાય ભૂંડી હરી જાય પ્રાણે. 47

જે ઊંદરોથી ડરી દૂર ચાલે, તે કેસરીના પણ કાન ઝાલે;

જે દોરડો દેખી દિલે ડરે છે,ભોરીંગ માથે પગ તે ધરે છે.48

કોદાળિ ઝાલી કદી ના જણાય, તે છાટ તોડી ધન ચોરી જાય;

દીઠું નહીં ભોંયરું કોઇ દાજાડે, પાતાળમાં એ જ સળંગ પાડે. 49

જીવે કદી જે સરપે ડશેલા, જીવે કદી જે દવમાં ધસેલા;

જેને સ્ત્રીયે અંતર ડંશ દીધા, તેને કરીચર્વણ ચૂર્ણ કીધા. 50

જે બ્રહ્મચર્ય વ્રત શુદ્ધ પાળે,તે શાસ્ત્રનો માર્ગ સદૈવ ઝાલે;

હરિકથા કીર્તન થાતું હોય, સ્ત્રીની સભામાં નવ જાય તોય.51

હરિકથા કીર્તન ગાય બાવા, જો ચાહીને સુંદરીને સુણાવા;

તો ત્યાગીનો તત્ક્ષણ ધર્મ જાય, તેને પ્રભુ કેમ પ્રસન્ન થાય.52

ચોપાઈ:-

એવી વાત બહુવિધિ કરી, સંતે સર્વે લીધી મન ધરી;

કહ્યું બેઠી હશે સ્ત્રીયો જયાંય, નહિ સુણીયે કથા જઇ ત્યાંય.53

એવા માંહી બની બીજી વાત, કહું તે તમે સાંભળો ભ્રાત;

દીઠો ગોખલો ત્યાં એક ઠામ, રહે પાછળ ગૃહસ્થ હજામ. 54

દીવો દેવતા લેવા ને દેવા, રાખ્યો ગોખલો કારણે એવા;

જોઇ શ્રીહરિયે કહ્યો મર્મ, આથી ત્યાગીનો નવ રહે ધર્મ.55

વળી એમ બોલ્યા વરણીંદ્ર, આ તો ધર્મમાં જાણવું છિદ્ર;

સુણ્યો મિયાંનો ગોખલો જેવો, જાણો આ પણ ગોખલો એવો. 56

એમ ભેદ શ્રીહરિયે ભાખ્યો, ગોખલાને પુરાવી જ નાંખ્યો;

જુવો કૃષ્ણ તણી રીત કેવી, સાધુજન સહુયે જાણી લેવી. 57

હોય ધર્મમાં છિદ્ર જણાતું, તે તો દેખી સહન નથી થાતું;

વળી દીઠો તે જગ્યાની માંય, એક રસ્તો જયાં જુવતીયો જાય.58

પછી તે પણ બંધ કરાવ્યો, સ્ત્રીનો મારગ જુદો ઠરાવ્યો;

કહે સાધુઓ પ્રત્યે શ્રીહરિ, કહું વાત તે લ્યો મન ધરી. 59

સંતે એકલા કયાંઇ ન જાવું, ફાટી આંખ્યવાળા નવ થાવું;

સભા ભિક્ષા વિના કોઇ પેર, નવ જાવું ગૃહસ્થને ઘેર. 60

દ્રવ્ય-નારીથી દૂર રહેશો, તો જ સાધનની સિદ્ધિ લેશો;

એવો દીધો ઘણો ઉપદેશ, કહ્યો તેમાં થકી કાંઇ લેશ. 61

પુષ્પિતાગ્રાવૃત્ત:-

હરિવર ઉપદેશ એમ દે છે, સુણી સહુ સંત દિલે ઉતારી લે છે;

પ્રતિદિન ઉપજે વિશેષ પ્રેમ, પ્રગટ કર્યો પ્રભુયે પ્રતાપ તેમ. 62

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે શ્રીહરિશ્રીમુખેસ્ત્રીનિંદાકથનનામા દ્વિતીયો વિશ્રામઃ ।।2।।