પૂર્વછાયો:-
પ્રશ્ન તણા ઉત્તર કર્યા, નિજ મતિયે મુકતાનંદ;
તે સરવે સુણી પામિયા, વૃષનંદન ઉર આનંદ. 1
ચોપાઈ:-
બોલ્યા નીલકંઠ બ્રહ્મચારી, ધન્ય સાધુજી બુદ્ધિ તમારી;
ઘણા સંતોની મેં મતિ જોઇ, આવા ઉત્તર આપે ન કોઇ.2
તમે સદ્ગુરુ સેવ્યા જણાય, આવા ઉત્તર તે થકી થાય;
આંહી દિસે છે ઉત્તમ ધર્મ, અંશમાત્રે નથી જ અધર્મ. 3
ગાંજા ભાંગ પીતા નથી કોઇ, સુંઘવાની તમાકુ ન જોઇ;
તમ પાસે રહે ઘણા સંત, દિસે સર્વે તે વૈરાગ્યવંત. 4
સૌનાં નિર્મળ સ્વચ્છ છે ચિત્ત, નથી પંચ વિષય પર પ્રીત;
ઘણાં જોયાં અમે તીર્થ ધામ, નથી સંત આવા કોઇ ઠામ. 5
શાણા સદ્ગરુ જે છે તમારા, હશે પ્રૌઢ પ્રતાપી તે સારા;
નહિ તો શુદ્ધ આ સંપ્રદાય, કળિકાળમાં કયાંથી જણાય.6
સુણી બોલિયા મુકતાનંદ, આપ છોજી મુનિવર ચંદ;
આવા પ્રશ્ન ભલા પૂછનાર, તમ જેવા નથી કોઇ ઠાર. 7
ગુરુજી રામાનંદ છે જેહ, અવતાર ઇશ્વરનો છે તેહ;
તેને મળશો તમે વળી જયારે, થશે હર્ષ પરસ્પર ત્યારે. 8
સુણી બોલિયા સુંદરશામ, રામાનંદનું જાણું છું નામ;
એ છે ઉદ્ધવનો અવતાર, નથી સંશય એમાં લગાર. 9
ધર્મદેવ પિતા મુજ જેહ, રામાનંદ તણા શિષ્ય તેહ;
બાળાપણમાં મને સાક્ષાત, મુજ તાતે કહી હતી વાત. 10
મને સ્મરણ થયું હવે એનું, માટે ઇચ્છું છું દર્શન તેનું;
મુકતનાંદજી બોલ્યા હુલાસે, ગુરુ આવશે દર્શન થાશે. 11
વસો આંહી કરીને વિરામ, ઇચ્છા પૂરશે પૂરણકામ;
સુણી હરિયે વિશ્રામ ઠરાવ્યો, ત્યાં તો જન્માષ્ટમી દિન આવ્યો. 12
દેશદેશના હરિજન આવ્યા, ભલી ભેટ સામગરી લાવ્યા;
આવિ અષ્ટમી સૌ જન જાણે, કર્યો ઉત્સવ શાસ્ત્રપ્રમાણે.13
શણગારિયું મંદિર સારું, દિસે સૌને આનંદ દેનારું;
ધર્યા કળશ પતાકા તે દ્વાર, બાંધ્યા તોરણ શોભિત સાર. 14
રોપ્યા થંભ તે કદળી કેરા, થાય વાજિંત્રનાદ ઘણેરા;
વાજે વીણા ને તાલ મૃદંગ, વાજે ઢોલ ને ચંગ ઉપંગ. 15
વાજે ત્રાંસાં ત્રુઇ શરણાઇ, શોભા નિરખતાં લાગે નવાઇ;
તાળી પાડીને હરિજન ગાય, સૌના હૈયામાં હરખ ન માય.16
જેમ આવે પ્રજાપતિ પાળ, ત્યારે પ્રથમ જણાય મશાલ;
તેમ અરધી નિશાયે આકાશ, પૂર્વે ચંદ્રનો પ્રગટ્યો પ્રકાશ. 17
રાશિ વૃષભ આકાર જણાયો, જાણે બળદ તે રથનો દેખાયો;
ચંદ્ર સાથે છે રોહિણી રાણી, જાણે આવ્યાં હરિજન્મ જાણી. 18
મળી હરિજન સૌ નરનારી, કર્યો જન્મનો ઉત્સવ ભારી;
પારણામાં ઝૂલે પરમેશ, ખામી શોભા વિષે નથી લેશ. 19
એવામાં થઇ અદ્ભુત વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;
પારણામાં જુવે નરનારી, દીઠા નીલકંઠ બ્રહ્મચારી. 20
નવ દેખાય બાળમુકુંદ, થાય વિસ્મિત સૌ જનવૃંદ;
વળી જોવા સભા માંહી જાય, વર્ણી ત્યાં પણ બેઠા જણાય.21
એવો મોટો ચમત્કાર જોઇ, જાણ્યા વર્ણી છે ઇશ્વર કોઇ;
સારો એમ સમૈયો તે કરી, નિજઘેર ગયા જન ફરી. 22
જીવરાજજી શેઠનો ડેલો, હતો મંદિર પાસ ચણેલો;
મુકતાનંદ મુનિ તહાં જઇ, કથા કરતા હતા રાજી થઇ. 23
સુણતાં મળીને બાઇ ભાઇ, સભા ત્યાગી ગૃહસ્થ ભરાઇ;
દીઠી તે રીત શ્રીજીયે જયારે, બોલ્યા ઊંચે સ્વરે કરી ત્યારે. 24
સંતો ચાલો મંદિર માંહી ફરી, સંભળાવીશ હું કથા કરી;
બાઇ ભાઇ મળે એક ઠાર, નહિ ત્યાગીનો ધર્મ લગાર. 25
એમ કહી ગયા મંદિરમાંય, સર્વે સાધુ ઉઠી ગયા ત્યાંય;
મુકતાનંદ બોલ્યા તેહ ઠામ, બાઇયો છેલા હવે રામ રામ. 26
એ જ વરણી કહેશે જેમ, કરવું પડશે હવે તેમ;
ગયા મંદિરમાં એમ કહી, વર્ણિરાજ બોલ્યા વેણ તહીં. 27
ત્યાગીએ સ્ત્રીનો પ્રસંગ તજવા વિષે :- ઉપજાતિવૃત્ત:-
સંતો કરો ચિત્ત વિષે વિચાર, આ રીત સારી નથી રે લગાર;
સ્ત્રીયો તણો કાંઇ પ્રસંગ જે છે, ત્યાગીજનોને ભયકારી તે છે. 28
જે સ્કંધ એકાદશમાં કહ્યું છે, તેમાં ખરું તત્ત્વ ઘણું રહ્યું છે;
ત્યાગી કરે નારી તણો પ્રસંગ, જરૂર તેનું વ્રત થાય ભંગ.29
પ્રત્યક્ષ છે કામિની દેવમાયા, જોનાર તો વશ્ય થયા જણાયા;
દીવે પડે અંધ પતંગ જેમ, સ્ત્રીમાં નરોની મનવૃત્તિ તેમ. 30
સુરા પિવાથી મદ થાય ચિત્તે, સ્ત્રીને નિહાળ્યા થકી એ જ રીતે;
તે માટે નારી થકી દૂર થાવું, સ્ત્રી પાસ ત્યાગીજનને ન જાવું. 31
જુવે નહી ચિત્રની કામિનીને, અડે નહી પૂતલી કાષ્ઠનીને;
ત્યાગી તણો છે શુભ એ જ ધર્મ, સંતો વિચારો સુણી શાસ્ત્રમર્મ. 32
છે અષ્ટધા ઉત્તમ બ્રહ્મચર્ય, જાણો તમે તે સહુ સાધુવર્ય;
નારીની સાથે સુણતાં કથાય, તે બ્રહ્મચર્યવ્રત ભંગ થાય.33
સ્ત્રીદેહ છે પાવક હોય જેવો, ઘીનો ઘડો છે નરદેહ એવો;
પાસે રહ્યાથી પિગળી જ જાય, ત્યાગી તણો ધર્મ વિનાશ થાય.34
રહે મળીને દવ-દારુ કેમ ? રહે ન નારી નર ધર્મ તેમ;
લોઢું ચળે ચુંબક લોહ સંગે, ત્યાગી ચળે નારી તણે પ્રસંગે. 35
મયૂર જાગે સુણી મેધનાદ, મનોજ જાગે સુણી નારી સાદ;
ભીત્યંતરે નારી તણો નિવાસ, ત્યાગી વસે તો વ્રતનો વિનાશ. 36
નારી તણો દેહ અરણ્ય જાણો, મનોજ ત્યાં સિંહસમ પ્રમાણે;
તે તો નરોને મૃગ તુલ્ય જાણે, જરૂર મારે નિજનેત્ર બાણે. 37
વિશ્વાસ નારીતનનો ન થાય, ખત્તા ઘણા તે કરનાર ખાય;
જેણે વગોવ્યા અજ ચંદ્ર ઇંદ્ર, નચાવિયા નારદજી મુનીંદ્ર. 38
જીત્યા નહીં જો ત્રિપુરારિ જેવા, જીતું કહે તે જન મૂર્ખ કેવા;
દારા થકી દૂર રહે ડરીને, તે ઊગરે જૈ શરણે હરીને. 39
તપસ્વિને તે તપમાંથી પાડે, સમાધિમાંથી સિદ્ધને જગાડે;
છે કામિની તો અતિ કષ્ટકારી, શરીરનું શોણિત શોષનારી. 40
છે નારી તો નિર્લજ એમ જાણો, તે પાપમૂર્તિ પ્રગટ પ્રમાણો;
છેદાવિયું નાક સુવર્ણકાજ, તેને પછી શી રહી લોકલાજ. 41
છે ચોટલો કે શિર સાપ કાળો, છે રાક્ષસીના સમ નેત્રચાળો;
જો જીવવાની ઉર આશ હોય, તો કામિની પાસ જશો ન કોય. 42
જેને પગે નેવળ નાખિયાં છે, બે હાથમાં બંધન રાખિયાં છે;
છે નાકમાં તો દઢ નાથ ઘાલી, તથાપિ તે જાય સ્વતંત્ર ચાલી. 43
જયાં સુંદરીના શબને બળાવ્યું, તે સ્થાનમાં ત્યાગિજને ન જાવું;
જો રાખ ઊડી નિજ અંગ લાગે, તેથી કદી મન્મથ ઝાળ જાગે. 44
હાથી જતાં ઘંટધ્વની સુણાય,નારી જતાં નેપુર નાદ થાય;
ચેતાવવાની જુગતી પ્રકાશી, અરે જજો સૌ જન દૂર નાશી. 45
સમુદ્રમાં ચુંબક શૈલ જયાં છે, સિકંદરે પૂતળી રાખી ત્યાં છે;
તેના થકી દૂર જવું ડરીને, શ્યામા થકી તેમજ સંચરીને. 46
બલિષ્ઠ છે ને અબળા ગણાય, જેના કટાક્ષે નર વશ્ય થાય;
છે લાજહીણી પણ લાજ તાણે, જો થાય ભૂંડી હરી જાય પ્રાણે. 47
જે ઊંદરોથી ડરી દૂર ચાલે, તે કેસરીના પણ કાન ઝાલે;
જે દોરડો દેખી દિલે ડરે છે,ભોરીંગ માથે પગ તે ધરે છે.48
કોદાળિ ઝાલી કદી ના જણાય, તે છાટ તોડી ધન ચોરી જાય;
દીઠું નહીં ભોંયરું કોઇ દાજાડે, પાતાળમાં એ જ સળંગ પાડે. 49
જીવે કદી જે સરપે ડશેલા, જીવે કદી જે દવમાં ધસેલા;
જેને સ્ત્રીયે અંતર ડંશ દીધા, તેને કરીચર્વણ ચૂર્ણ કીધા. 50
જે બ્રહ્મચર્ય વ્રત શુદ્ધ પાળે,તે શાસ્ત્રનો માર્ગ સદૈવ ઝાલે;
હરિકથા કીર્તન થાતું હોય, સ્ત્રીની સભામાં નવ જાય તોય.51
હરિકથા કીર્તન ગાય બાવા, જો ચાહીને સુંદરીને સુણાવા;
તો ત્યાગીનો તત્ક્ષણ ધર્મ જાય, તેને પ્રભુ કેમ પ્રસન્ન થાય.52
ચોપાઈ:-
એવી વાત બહુવિધિ કરી, સંતે સર્વે લીધી મન ધરી;
કહ્યું બેઠી હશે સ્ત્રીયો જયાંય, નહિ સુણીયે કથા જઇ ત્યાંય.53
એવા માંહી બની બીજી વાત, કહું તે તમે સાંભળો ભ્રાત;
દીઠો ગોખલો ત્યાં એક ઠામ, રહે પાછળ ગૃહસ્થ હજામ. 54
દીવો દેવતા લેવા ને દેવા, રાખ્યો ગોખલો કારણે એવા;
જોઇ શ્રીહરિયે કહ્યો મર્મ, આથી ત્યાગીનો નવ રહે ધર્મ.55
વળી એમ બોલ્યા વરણીંદ્ર, આ તો ધર્મમાં જાણવું છિદ્ર;
સુણ્યો મિયાંનો ગોખલો જેવો, જાણો આ પણ ગોખલો એવો. 56
એમ ભેદ શ્રીહરિયે ભાખ્યો, ગોખલાને પુરાવી જ નાંખ્યો;
જુવો કૃષ્ણ તણી રીત કેવી, સાધુજન સહુયે જાણી લેવી. 57
હોય ધર્મમાં છિદ્ર જણાતું, તે તો દેખી સહન નથી થાતું;
વળી દીઠો તે જગ્યાની માંય, એક રસ્તો જયાં જુવતીયો જાય.58
પછી તે પણ બંધ કરાવ્યો, સ્ત્રીનો મારગ જુદો ઠરાવ્યો;
કહે સાધુઓ પ્રત્યે શ્રીહરિ, કહું વાત તે લ્યો મન ધરી. 59
સંતે એકલા કયાંઇ ન જાવું, ફાટી આંખ્યવાળા નવ થાવું;
સભા ભિક્ષા વિના કોઇ પેર, નવ જાવું ગૃહસ્થને ઘેર. 60
દ્રવ્ય-નારીથી દૂર રહેશો, તો જ સાધનની સિદ્ધિ લેશો;
એવો દીધો ઘણો ઉપદેશ, કહ્યો તેમાં થકી કાંઇ લેશ. 61
પુષ્પિતાગ્રાવૃત્ત:-
હરિવર ઉપદેશ એમ દે છે, સુણી સહુ સંત દિલે ઉતારી લે છે;
પ્રતિદિન ઉપજે વિશેષ પ્રેમ, પ્રગટ કર્યો પ્રભુયે પ્રતાપ તેમ. 62
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે શ્રીહરિશ્રીમુખેસ્ત્રીનિંદાકથનનામા દ્વિતીયો વિશ્રામઃ ।।2।।