પૂર્વછાયો:-
સંવત શુભ અષાઢાદિની, બેઠી ઓગણસાઠની સાલ;
મહાપ્રભુ માંગરોળમાં, વશી રહ્યા વરષા કાળ. 1
ચોપાઈ:-
શુદિ બીજ અષાઢી ગણાય, રથજાત્રાનો ઉત્સવ થાય;
પ્રભુ આજ્ઞાથી પૂરણ પ્રીતે, કર્યો ઉત્સવ તે રુડી રીતે. 2
દેવપોઢણી એ પછી આવી, ભલી એકાદશી મન ભાવી;
સૌને નિયમ વિશેષ ધરાવ્યાં, ચાંદ્રાયણ આદિ વ્રત રખાવ્યાં. 3
કરે ગર્જના મેઘ આકાશે, થાય વીજળી ત્યાં ચારે પાસે;
કયારે ઇન્દ્રધનુષ્ય દેખાય, વૃષ્ટિ વિશ્વ વિષે ઘણી થાય. 4
કરે મોર અધિક ઉચ્ચાર, ગાય મુનિજન રાગ મલાર;
વદી અષાઢની દ્વિતીયાય, બેઠા હીંડોળે શ્રીહરિરાય. 5
આવી શ્રાવણી પૂનમ સારી, કર્યો ઉત્સવ કુંજવિહારી;
જન્મઅષ્ટમીનો દિન આવ્યો, મોટો ઉત્સવ કૃષ્ણે કરાવ્યો. 6
પરગામ તણા સતસંગી, આવ્યા અંતરે અધિક ઉમંગી;
અમદાવાદના જન આવ્યા, એ તો એવા સમાચાર લાવ્યા. 7
માંડી રઘુનાથદાસે ઉપાધી, કૈંક સાધુને લીધા છે સાધી;
મહારાજની નિંદા કરે છે, સૌથી શ્રેષ્ઠ તો પોતે ઠરે છે. 8
વાત શ્રીહરિને તે સુણાવી, ત્યાંનો પત્ર આપ્યો વળી લાવી;
હરિભકતોયે તેમાં લખેલું, અમને દુઃખ છે ઉપજેલું. 9
કોઇ સદ્ગુરુ મંડળ સાથ, અમદાવાદ મોકલો નાથ;
આંહી આવી ઉપાધિ શમાવે, દાસ રઘુનાથને સમજાવે. 10
એવા સાંભળીને સમાચાર, વૃષનંદને કીધો વિચાર;
રામદાસજીને કહી વાત, ઝટ જાઓ તમે ગુજરાત. 11
જૈને સર્વે ઉપાધિ શમાવો, દાસ રઘુનાથને સમજાવો;
જો તે સતસંગમાંથી નિસરશે, કૈંક જીવનું પણ ભૂંડુ કરશે. 12
માટે રાખજો જેમ તેમ કરી, શબ્દ સ્નેહ સહિત ઉચ્ચરી;
એમ કહી મોકલ્યા રામદાસ, ગયા તે રઘુનાથની પાસ. 13
પૂર્વછાયો:-
એવે સમે માંગરોળમાં, ભકત માતાનો મગનીરામ;
આવી ચડ્યો અન્ય દેશથી, એનું આખ્યાન કહું આ ઠામ. 14
ચોપાઈ:-
સુણી બોલ્યા અભેસિંહરાય, કૃપાનાથ કહો તે કથાય;
હતો કોણ તે મગનીરામ ? કયાંથી આવી ચડ્યો એહ ઠામ ? 15
કહે વર્ણી સુણો હે રાય, કહું છું હવે તેહ કથાય;
ઘણા જુગ કરતો તપ જોગી, જોગ ભ્રષ્ટ થઇ થયો ભોગી. 16
ભલા દ્રાવીડ દેશમાં તેહ, પામ્યો પુણ્ય થકી નરદેહ;
ધર્યો દ્વિજકુળમાં અવતાર, રહ્યો ઇશ્વર મળવા વિચાર. 17
નામ પામ્યો તે મગનીરામ, બાળાપણમાં હૈયે ઘણી હામ;
આઠ વર્ષેર્ તો ઉપવીત દીધું, કાંઇ શાસ્ત્રાધ્યયન પછી કીધું. 18
રાત દિવસ રહે એવું ધ્યાન, મને કેમ મળે ભગવાન ?
પછી ચાલ્યો તજી ઘરબાર, ગયો દેશ બંગાળા મોઝાર. 19
ત્યાં તો વાત તેણે સુણી એવી, પ્રભુ મેળવે શારદા દેવી;
પીપા નામે હતો એક રાય, તેને ત્રૂઠી હતી શારદાય. 20
તેણે ભેટાડ્યા શ્રીભગવાન, એવું સાંભળ્યું શુભ આખ્યાન;
તેથી તેણે ઇચ્છા કરી એવી, કરું સાધ્ય હું શારદા દેવી. 21
જેણે શારદા વશ કરી હોય, કયાંઇ શોધું એવો ગુરુ કોય;
એમ કરતાં ગયો એક ગામે, એક વિપ્ર વસે તેહ ઠામે. 22
તેણે શારદા સાધ્ય કરેલી, એવી વાત બધે પ્રસરેલી;
હતો દ્રાવિડ દેશનો તેહ, પેટ અર્થે આવી વશ્યો એહ. 23
કન્યા સોળ વરસની તેને, વર નાતનો નવ મળે એને;
ત્યાં તો શારદા સાધન કામ, મળ્યો આવીને મગનીરામ. 24
તેને પોતાની નાતનો જાણ્યો, ત્યારે કન્યાપિતા હરખાયો;
માગ્યો મંત્ર તે મગનીરામે, શારદા વશ્ય કરવાને કામે. 25
દ્વિજે સાધન શીખવ્યું જયારે, સાધ્ય કીધી સરસ્વતી ત્યારે;
પછી માગી રજા ગુરુપાસ, કહ્યું કરવો છેે મારે પ્રવાસ. 26
કહે વિપ્ર આ કન્યાને વરો, મારી આશા તે પૂરણ કરો;
ત્યારે બોલ્યો તે મગનીરામ, બ્રહ્મચારી રહીશ હું આમ. 27
દેશોદેશ ફરીને નિદાન, મારે ભેટવા છે ભગવાન;
ગુરુપુત્રી તે ભગિની પ્રમાણું, ખોટો સંકલ્પ ઉરમાં ન આણું. 28
એમ કહીને તે ત્યાંથી વિચરિયો, પુરુષોત્તમપુરી જઇ ઠરિયો;
પૂર્વભવનું કરમ નડ્યું આવી, પ્રભુ મળવાની વાત ભૂલાવી. 29
પામ્યો સાધનસિદ્ધિ તે કાળે, દેખાદેખી ચડ્યો બીજે ચાળે;
જાણે હું મોટો સિદ્ધ મનાઉં, પ્રભુની પેરે અધિક પૂજાઉ. 30
સર્વ રાજા પ્રજા વશ કરું, થૈને ફક્કડ ફાવે ત્યાં ફરું;
કરી મંત્ર તણો ઉપચાર, કર્યા વેરાગી શિષ્ય હજાર. 31
સાથે મોટી જમાત તે લૈને, કરે દંડ રાજાઓને જૈને;
વળી જયાં જયાં જુવે મઠધારી, તેને દંડે તે ચીપીયા મારી. 32
તેનો વેશ દિસે વિકરાળ, કંઠે માળા જેવી રુંડમાળ;
બહુ મોટી જટા ધરી માથે, લીધું લોઢાનું ત્રિશૂળ હાથે. 33
રાતી આંખ્યો તે અંગારા જેવી, દેખી બાળક બી મરે એવી;
કરે ચાંદલો સિંદુર કેરો, ભાસે ભારે ભયંકર ચેરો. 34
નાકને મૂળે બંદગી કરે, કાંડે કેદારી કંકણ ધરે;
મોટો ચિપિયો હાથમાં રાખે, અભિમાન ભર્યા બોલ ભાખે. 35
પોતે પાલખીમાં ચડી બેસે, ઝુંડ લૈ ફરે દેશ વિદેશે;
ચાલે સ્વાર પાળા એની આગે, ઊંટ ઉપર નોબત વાગે. 36
મોટું ફરકે છે ભગવું નિશાન, ભાસે ફોજ તે જમની સમાન;
રણશિંગું વાગે તેની પાસ, સુણતાં લોકને લાગે ત્રાસ. 37
કોઇ નાગડા ઊંટે ચડેલા, કોઇ છે મદ માંહી છકેલા;
લીધી કોઇયે તલવાર ઢાલ, જમદૂત જેવા વિકરાળ. 38
બાંધ્યા મુંઝ તણાં આડબંધ, ધરી પાવડી કોઇયે કંધ;
વાળ્યા કોઇયે વજર કછોટા, લીધા કોઇયે વાળી લંગોટા. 39
ધર્યા કોઇયે ગોરખ ધંધા, બહુ તો દિસે હથિયારબંધા;
દેશપાળ પાસે દંડ માગે, મંત્રજંત્રે ડરાવવા લાગે. 40
કહે હું દિલમાં ક્રોધ લાવું, મેલી આગિયો પુર સળગાવું;
કાં તો પથ્થરની કરું વૃષ્ટિ, પળ એકમાં સંહારું સૃષ્ટિ. 41
એવી ધાક સુણી જન ધ્રુજે, મુખે માંગે તે આપીને પૂજે;
જૈને કાશીની જાત્રા તે કીધી, પછી દ્વારિકાની વાટ લીધી. 42
ઘણા દેશ થકી દંડ લાવ્યો, પછી પોરબંદરમાં આવ્યો;
હતો ગોસાંઇ ત્યાં મઠધારી, ભાળ્યો તેહનો વૈભવ ભારી. 43
તેને ચીપીયાનો માર્યો માર, મંત્રજોર જણાવ્યું અપાર;
કર બાંધી વળી કેદ કીધો, ઘણો દંડ તે પાસેથી લીધો. 44
મઠધારી બોલ્યો છેલીવારે, આવું જોર જણાવો છો જયારે;
જૈને જીવનમુકતને જીતો, નથી માથાનો કોઇ અહીં તો. 45
જેનું સ્વામિનારાયણ નામ, માંગરોળમાં આજ મુકામ;
નવો પંથ ચલાવે છે એહ, તમે જીતી શકો નહિ તેહ. 46
તમ જેવાને ચેલા કરે છે, માનીનું અભિમાન હરે છે;
જીતો તેને જો જીતી શકાય, આંહી દેડકાં ડાંભે શું થાય ? 47
એવી વાત તે એણે ઉચ્ચારી, સુણી દાઝ્યો દિલે અહંકારી;
માંગરોળનો મારગ લીધો, આવી પાદરમાં ડંકો દીધો. 48
ઘેરો ઘાલ્યો તે ગામને આવી, વળી વાત રાજાને કહાવી;
આપો રુપૈયાં પાંચ હજાર, નહિ તો કરું સૌનો સંહાર. 49
વ્યોમથી પથરા વરસાવું, આખા શેહેરમાં આગ્ય ચલાવું;
જો આ પત્તર ઊંધું વળાય, તો આ પટ્ટણ ડટ્ટણ થાય. 50
સુણી ભૂપ કહે સાક્ષાત, કાંઇ હોય એવી કરામાત;
જાઓ સ્વામિનારાયણ પાસ, કરો સિદ્ધાઇ સર્વ પ્રકાશ. 51
એને જીતી આવો જેહ વાર, દેશું રૂપૈયા દશ હજાર;
એવું સાંભળીને અહંકારી, ચાલ્યો જીતવા શ્રીગિરિધારી. 52
લીધા વેરાગી દશવીશ સાથે, ઝાલ્યા ચીપીયા ત્રિશૂળ હાથે;
એમ શ્રીજીની આગળ આવી, બોલ્યો બોલ મહા ગર્વ લાવી. 53
તમે કેમ પાખંડ ચલાવો ? હોય સિદ્ધાઇ કાંઇ બતાવો;
શ્રીજી બોલ્યા ગંભીરાઇ ધરતા, અમે સિદ્ધાઇ તો નથી કરતા. 54
અમે ઉપદેશ દૈયે સદાય, જેથી જીવનું કલ્યાણ થાય;
અમે આપીયે જ્ઞાન અખંડ, નથી કાંઇ ચલાવ્યો પાખંડ. 55
એવું સાંભળી કીધો ઉચ્ચાર, આપો રૂપૈયા દસ હજાર;
નહિ તો બધું નગર ઉપાડું, મહાસાગર માંહી બુડાડું. 56
તમે સાંભળ્યું છે મારું નામ ? દેવીવાળો હું મગનીરામ;
મારી પાસે મોટા સિદ્ધ નમે, મોટા રાજાને દંડિયે અમે. 57
જાણું મારણ મોહન મંત્ર, વશીકરણ ઉચ્ચાટન તંત્ર;
જાણું સ્તંભન આકરષણ, જપ હોમ કર્યા તરપણ. 58
મેં તો સાધી છે શારદા દેવી, કરે સૌનો પરાભવ એવી;
મારી ફુંકથી પરવત ફાટે, મારા ત્રાસથી ઇન્દ્ર ઉચાટે. 59
વસ્ત્ર પાણી ઊપર પાથરું, એના ઊપર આસન કરું;
પેસું પાવક ઝાળ મોઝાર, પૂરો ઘરમાં ને નીસરું બાજાર. 60
સુણી બોલિયા શ્રીઅવિનાશ, રુપૈયા તો નથી અમ પાસ;
કહો તો અન્ન આપિયે તમને, કાંઇ તમથી ન થૈ શકે અમને. 61
અતિ સમરથ ઇષ્ટ અમારા, તેથી નિર્બળ મંત્ર તમારા;
થાય તમથી તે તો કરી લેજો, જાઓ દેવીને મોકલી દેજો. 62
પુષ્પિતાગ્રાવૃત્ત:-
સુણી અતિ ઉર માંહી ક્રોધ આણી, વૃષકુળભૂપ મનુષ્યરૂપ જાણી;
અધર ડશન આપનો કરીને, ગતિ કરી ત્યાંથી ગયો વળી ફરીને. 63
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે દેવીભકત-મગનીરામઆખ્યાને અષ્ટમો વિશ્રામઃ ।।8।।