પૂર્વછાયો:-

મહાપ્રભુ માંગરોળમાં, વશી પૂરો કર્યો પોષ માસ;

વસંતપંચમીનો ભલો, ત્યાં તો દિવસ આવ્યો પાસ.1

ચોપાઈ:-

માણાવદરના મેહેરબાન, ભલા ભૂપ ગજેફરખાન;

તેણે મોકલ્યા ભટ મયારામ, ગયા તે સાથે ગોવિંદરામ. 2

ભકત પર્વત ને ભીમભાઇ, હરિભકત ચાલ્યા હરખાઇ;

સતસંગીનો થઇને સમાજ, ગયા કૃષ્ણને તેડવા કાજ. 3

જૈને શ્રીજગજીવન પાસ, કરી પ્રેમથી વિનતિ પ્રકાશ;

માણાવદરમાં મહારાજ, કરો આવી વસંતનું કાજ. 4

ત્યાંજ તેડી જવાને તમને, અવનીશ્વરે મોકલ્યા અમને;

સંત હરિજનને લઇ સાથ, નેહ લાવી પધારોને નાથ. 5

માઘી પંચમીને દિન પ્રીતે, રંગખેલ કરો રુડી રીતે;

પછી લૈ સાથે સંતસમાજ, ગયા માણાવદર મહારાજ. 6

ભટને ઘેર જૈ ભગવાને, કર્યો ઉતારો કરુણાનિધાને;

આવ્યો પંચમીનો દિન જયારે, થયો સારો સમૈયો તે ત્યારે. 7

સારી અઠાવના તણી સાલે, કર્યો ઉત્સવ ત્યાં વૃષલાલે;

દેશદેશના હરિજન આવ્યા, ભલી ભેટ સામગરી લાવ્યા. 8

પછી કેસર કેસુ પતંગ, રુડી રીતે રચાવિયા રંગ;

લાવ્યા ખૂબ અબીર ગુલાલ, પીચકારિયોનો તેવો તાલ. 9

એક પાસે તો સંતસમાજ, બીજે પાર્ષદો ને મહારાજ;

મળી ખૂબ કર્યો રંગખેલ, ચારે પાસે ચાલી રંગરેલ. 10

નાખ્યો ખૂબ ગુલાલ અબીર, પછી નાવા ગયા નરવીર;

નદી ક્ષારવતી લક્ષ્મીઆરે, કર્યું સ્નાન ત્યાં ધર્મદુલારે. 11

ભટની વાડી માંહી પધારી, કરી જગ્યા પ્રસાદીની સારી;

માણાવદરના શાહુકાર, નામ જાદવજી નિરધાર. 12

તેણે રેશમની કોરવાળો, ધોતી જોટો રુડો રુપાળો;

ધર્મપુત્રની આગળ ધર્યો, ભલા ભાવ થકી ભેટ કર્યો. 13

તેને દેખીને રઘુનાથદાસ, લેવા અંતરમાં કરી આશ;

ધોતી હરિવરે હાથમાં લીધી, ભટ બેયને બે વેંચી દીધી. 14

મયારામ ને ગોવિંદરામે, લીધી સ્નેહે દીધી ઘનશામે;

દાસ રઘુનાથે ઇરષા આણી, તે તો સર્વે જનોયે જાણી. 15

વૃષપુત્રે વિચારિયું ઊર, આને મોકલિયે કયાંઇ દૂર;

કલેશ વારેવારે ઉપજાવે, જાય તો સુખ સર્વને આવે. 16

પછી બોલાવીને નિજ પાસ, કહ્યું સાંભળો રઘુનાથદાસ;

રામાનંદનો વિરહ સમાવા, સતસંગીને શાંતિ કરાવા. 17

મુકતાનંદ ગયા કચ્છ જેમ, તમે ગુજરાતમાં જાઓ તેમ;

હરિભકતોને હરખ પમાડો, મોટું વિરહનું દુઃખ મટાડો. 18

અતિ શ્રેષ્ઠ તે કામ ગણાય, તમ વગર બીજાથી ન થાય;

માટે અંતરે ઉત્સાહ લાવો, અમદાવાદ આપ સિધાવો. 19

બોલ્યો રઘુનાથદાસ તે ઠામ, એવું હું જ કરી શકું કામ;

મુકતાનંદ બિચારો શું કરશે ? કચ્છમાં જઇને પાછો ફરશે. 20

હું તો જૈને કરું એવી વાત, કરું વશ્ય આખી ગુજરાત;

એમ કહીને તે ત્યાંથી સિધાવ્યો, અમદાવાદમાં એ તો આવ્યો. 21

કહે વર્ણી સુણો હે રાજાન, અભિમાની ધરે અભિમાન;

પણ શ્રીહરિ સાંખી રહે છે, સમો આવ્યે તેનું ફળ દે છે.22

હરિનું ધાર્યુ થાય તે વિષે:- ઉપજાતિવૃત્ત:-

ધાર્યુ બધું શ્રીહરિનું જ થાય,મનુષ્ય જાણે મુજથી કરાય;

ગાડાં તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે.23

છે પ્રાણ નાડી પ્રભુને જ હાથ, સૌને નચાવે વળી વિશ્વનાથ;

અજ્ઞાની લોકો અભિમાન આણે, જથાર્થ શકિત હરિની ન જાણે. 24

કરે અધર્મી અઘ જે અલેખે, શ્રીનાથ સાક્ષી થઇ સર્વ દેખે;

જયારે સમો તે ફળયોગ્ય આવે, ત્યારે જ તેનું ફળ તે અપાવે. 25

ચોપાઈ:-

હતા જે સમૈયે જન આવ્યા, આપ આપને ઘેર સિધાવ્યા;

માણાવદરથી મહારાજ, ચાલ્યા સંતનો લઇને સમાજ. 26

પીપળાણે જવાને સિધાવ્યા, નદી ઓઝતને તટ આવ્યા;

સંત આગળ તહાં શ્રીહરિ, એક વાત એવી રીતે કરી. 27

રામાનંદસ્વામી ઘણી વાર, નાહ્યા છે તે આ નદી મોઝાર;

અમે પણ ઘણી વાર ઉમંગે, કર્યું છે આમાં મજજન અંગે. 28

રામાનંદને અમે આ ઠાર, પ્રશ્ન પૂછ્યો તેનો કહું સાર;

કાં તો સદ્ગુરુ કે ભગવાન, દે છે કલ્યાણદાન નિદાન. 29

કહો તેમાં તમે છો જ કેવા ? જાણે સર્વ જથારથ જેવા;

સુણી બોલ્યા નહી કાંઇ સ્વામી, દષ્ટિ દઇ પરવતભાઇ સામી. 30

વાણી મર્મમાં એવી ઉચ્ચારી, જયારે થાય ઉદય તિમિરારી;

પડે ચંદ્રનો ઓછો પ્રકાશ, સુણી સમજયા મરમ હરિદાસ.31

ચંદ્ર જેવા રામાનંદસ્વામી, સૂર્ય જેવા આ અક્ષરધામી;

જયાં સુધી રવિ ઉદય ન થાય, ચંદ્ર સર્વોપરી જ જણાય.32

રામાનંદ હતા ભગવાન, થયા સદ્ગુરુ શ્રેષ્ઠ સમાન;

એમ સમજીયા સૌ હરિદાસ, એવી વાત કરી અવિનાશ. 33

પછી સંતસહિત સુખરાશી, નાયા ઓઝતમાં અવિનાશી;

કરી નિત્યક્રિયા સૌ સંતે, વળી પોતે કરી ભગવંતે. 34

મેજાતા નરસિંહને ઘેર જૈને, ઉતર્યા હરિ હર્ષિત થૈને;

સર્વ ભકતને સુખ દઇ ભારી, માંગરોળ પધાર્યા મુરારી. 35

પૂર્વછાયો:-

હરિયે ત્યાંજ હુતાશનીનો, ઉત્સવ કીધો અનૂપ,

તેમજ ત્યાં રહીને કરી, રુડી રામનૌમી સુખરૂપ. 36

અક્ષય તૃતીયા એ પછી, નરસિંહ ચતુર્દશી નામ;

ભીમએકાદશી પણ ભલી, જળજાત્રા ઉત્સવ અભિરામ. 37

ચોપાઈ:-

એવા ઉત્સવ ઉપર ભાવે, દેશદેશના હરિજન આવે;

ઉષ્ણ કાળ તે આકરો બાણ, પડી પાણીની ત્યાં ઘણી તાણ. 38

તપે સૂર્ય ઘણો તાપ પડે, પાણી પીવા પુરું નવ જડે;

દીઠી પાદર વાપિકા એક, બહુ જૂની પુરાયેલી છેક. 39

તેહ ખોદાવવા ઉર ધારી, રાજા આગળ વાત ઉચ્ચારી;

કહે કૃષ્ણ ઘણા સંઘ આવે, જળ વગર કેમ અહીં ફાવે ? 40

વારી વગર વિપત્તિ પડે છે, જળ તો ઘણું દૂર જડે છે;

માટે તરત રજા આપો તમે, તો આ વાવ્ય ખોદાવિયે અમે. 41

સુણી બોલિયા વજરુદીન, હું છું આપ તણો જ આધીન;

કરો આજ્ઞા તો વાવ્ય ખોદાવું, કહો તો પાણી હું પોંચાડાવું. 42

સુણી બોલિયા શ્રીભગવાન, અહીં કરવું છે તીરથ સ્થાન;

કરે શ્રમ સહુ સંતનો સાથ, ગાળ કાઢું વળી મારે હાથ. 43

હરિભકત કરે કામ જયારે, તીર્થ થાય પવિત્ર તો ત્યારે;

મોટો આ ભૂમિનો મહિમાય, વધે તે કરવો છે ઉપાય. 44

એવો કીધો છે સંકલ્પ અમે, માટે તરત રજા આપો તમે;

બોલ્યા ભૂપ સુણી તેહ ટાણે, કરો આપની ઇચ્છા પ્રમાણે.45

ધન્ય ધન્ય તમે મહારાજ, પ્રભુ પ્રગટ્યા અમારે કાજ;

મારી ભૂમિનાં ભાગ્ય અપાર, થશે વિખ્યાત વિશ્વ મોઝાર. 46

થશે આ સ્થળે તીરથ સ્થાન, ભલો જાણીશ હું ભાગ્યવાન;

સારા શબ્દ સુણી હરિ આવા, વાવ્ય માંડી તે તરત ખોદાવા. 47

સતસંગી કરે સઉ કામ, કરે કામ ત્યાં શ્રીઘનશામ;

ભકત દેશી તથા પરદેશી, બાઇ ભાઇ રહે નહીં બેસી. 48

હરિભકત હજારો હજાર, ગાળ કાઢે કહે જેજેકાર;

સંતો અષ્ટક કીર્તન ગાય, જન જોવા હજારો ભરાય. 49

સુખ પામ્યો સુણી શેષનાગ, ભલાં જાણ્યાં પોતા તણાં ભાગ્ય;

જેને સેવે છે સુરપતિ જેવા, પ્રભુ લાગ્યા તે ટોપલી લેવા. 50

એવી લીલા જોવા તેહ સ્થાન, છાયાં વ્યોમમાં દેવવિમાન;

દશ દિવસ કર્યું કામ જયારે, વારી વાવ્યમાં આવ્યું તે વારે. 51

મિષ્ટ જળ સુરસરિતા સમાન, કર્યું શ્રીહરિયે તેમાં સ્નાન;

વિપ્ર વેદિયા બોલાવી પ્રીતે, પૂર્તકર્મ કર્યું રુડી રીતે. 52

દ્વિજને ત્યાં ચતુર્ભુજરૂપે, દીધું દર્શન વૃષકુળભૂપે;

કરી વેદના મંત્ર ઉચ્ચાર, પૂજયા વિપ્રોયે વિશ્વઆધાર. 53

પછી બ્રાહ્મણોને રુડી રીત, દીધાં ભોજન ભાવ સહિત;

જમ્યા વિપ્ર હજારો હજાર, નાનાં મોટા પુરુષ અને નાર. 54

ઘણા પર્ચા દેખાડીને આપ, કર્યો પ્રગટ તે પ્રૌઢ પ્રતાપ;

એવી અદ્ભુત વાત સાંભળી, જુદા મતના જનો આવ્યા મળી. 55

કહે છો તમે સમરથ સારા, ઇષ્ટ દેખાડો અમને અમારા;

સુણી વિનતિ તે વૃષકુળભૂપે, દીધાં દર્શન ઇષ્ટસ્વરૂપે. 56

વલ્લભી માધવી નિમાનંદી, સંપ્રદાયના જન જુવે વંદી;

જાણે સાક્ષાત છે ગોપીનાથ, હેતે વાંસળી લીધી છે હાથ. 57

રામાનુજમતના હતા જેહ, દેખે લક્ષ્મીનારાયણ તેહ;

રામાનંદી હતા તેહ ઠામ, તેણે દીઠા સીતા સહ રામ. 58

હતા વેદાંતી શંકરવાળા, તેણે બ્રહ્મજયોતીરૂપે ભાળ્યા;

જેને શિવની ઉપાસના હતી, તેણે તો દીઠા પાર્વતીપતી. 59

ભાનુભકતોયે ભાળ્યા દિનેશ, ગણનાથના ભકતે ગણેશ;

દેવી દેખે દેવીભકત જેહ, જૈનિ તો તીરથંકર તેહ. 60

હતા યવન જે સદગુણી શાણા, તેણે પ્રગટ પેગંબર જાણ્યા;

જોઇ નિજનિજ ઇષ્ટસ્વરૂપ, થયા સૌ સતસંગી હે ભૂપ. 61

અવતાર તણા અવતારી, જાણ્યા તે શ્રીહરિ બ્રહ્મચારી;

પછી પોતે પોતા તણે ઘેર, ગયા સૌ જન તે શુભ પેર. 62

પુષ્પિતાગ્રાવૃત્ત:-

પુરપુર પ્રસરી સુવાસ એહ, પ્રગટ થયા પ્રભુ અક્ષરેશ જેહ;

સુણી જન શરણે અસંખ્ય આવે, દુરિત સમસ્ત દયાનિધિ શમાવે. 63

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિમાંગરોળપુરે વાપિકાખનનનામા સપ્તમો વિશ્રામઃ ।।7।।