પૂર્વછાયો:-
મહાપ્રભુ માંગરોળમાં, વશી પૂરો કર્યો પોષ માસ;
વસંતપંચમીનો ભલો, ત્યાં તો દિવસ આવ્યો પાસ.1
ચોપાઈ:-
માણાવદરના મેહેરબાન, ભલા ભૂપ ગજેફરખાન;
તેણે મોકલ્યા ભટ મયારામ, ગયા તે સાથે ગોવિંદરામ. 2
ભકત પર્વત ને ભીમભાઇ, હરિભકત ચાલ્યા હરખાઇ;
સતસંગીનો થઇને સમાજ, ગયા કૃષ્ણને તેડવા કાજ. 3
જૈને શ્રીજગજીવન પાસ, કરી પ્રેમથી વિનતિ પ્રકાશ;
માણાવદરમાં મહારાજ, કરો આવી વસંતનું કાજ. 4
ત્યાંજ તેડી જવાને તમને, અવનીશ્વરે મોકલ્યા અમને;
સંત હરિજનને લઇ સાથ, નેહ લાવી પધારોને નાથ. 5
માઘી પંચમીને દિન પ્રીતે, રંગખેલ કરો રુડી રીતે;
પછી લૈ સાથે સંતસમાજ, ગયા માણાવદર મહારાજ. 6
ભટને ઘેર જૈ ભગવાને, કર્યો ઉતારો કરુણાનિધાને;
આવ્યો પંચમીનો દિન જયારે, થયો સારો સમૈયો તે ત્યારે. 7
સારી અઠાવના તણી સાલે, કર્યો ઉત્સવ ત્યાં વૃષલાલે;
દેશદેશના હરિજન આવ્યા, ભલી ભેટ સામગરી લાવ્યા. 8
પછી કેસર કેસુ પતંગ, રુડી રીતે રચાવિયા રંગ;
લાવ્યા ખૂબ અબીર ગુલાલ, પીચકારિયોનો તેવો તાલ. 9
એક પાસે તો સંતસમાજ, બીજે પાર્ષદો ને મહારાજ;
મળી ખૂબ કર્યો રંગખેલ, ચારે પાસે ચાલી રંગરેલ. 10
નાખ્યો ખૂબ ગુલાલ અબીર, પછી નાવા ગયા નરવીર;
નદી ક્ષારવતી લક્ષ્મીઆરે, કર્યું સ્નાન ત્યાં ધર્મદુલારે. 11
ભટની વાડી માંહી પધારી, કરી જગ્યા પ્રસાદીની સારી;
માણાવદરના શાહુકાર, નામ જાદવજી નિરધાર. 12
તેણે રેશમની કોરવાળો, ધોતી જોટો રુડો રુપાળો;
ધર્મપુત્રની આગળ ધર્યો, ભલા ભાવ થકી ભેટ કર્યો. 13
તેને દેખીને રઘુનાથદાસ, લેવા અંતરમાં કરી આશ;
ધોતી હરિવરે હાથમાં લીધી, ભટ બેયને બે વેંચી દીધી. 14
મયારામ ને ગોવિંદરામે, લીધી સ્નેહે દીધી ઘનશામે;
દાસ રઘુનાથે ઇરષા આણી, તે તો સર્વે જનોયે જાણી. 15
વૃષપુત્રે વિચારિયું ઊર, આને મોકલિયે કયાંઇ દૂર;
કલેશ વારેવારે ઉપજાવે, જાય તો સુખ સર્વને આવે. 16
પછી બોલાવીને નિજ પાસ, કહ્યું સાંભળો રઘુનાથદાસ;
રામાનંદનો વિરહ સમાવા, સતસંગીને શાંતિ કરાવા. 17
મુકતાનંદ ગયા કચ્છ જેમ, તમે ગુજરાતમાં જાઓ તેમ;
હરિભકતોને હરખ પમાડો, મોટું વિરહનું દુઃખ મટાડો. 18
અતિ શ્રેષ્ઠ તે કામ ગણાય, તમ વગર બીજાથી ન થાય;
માટે અંતરે ઉત્સાહ લાવો, અમદાવાદ આપ સિધાવો. 19
બોલ્યો રઘુનાથદાસ તે ઠામ, એવું હું જ કરી શકું કામ;
મુકતાનંદ બિચારો શું કરશે ? કચ્છમાં જઇને પાછો ફરશે. 20
હું તો જૈને કરું એવી વાત, કરું વશ્ય આખી ગુજરાત;
એમ કહીને તે ત્યાંથી સિધાવ્યો, અમદાવાદમાં એ તો આવ્યો. 21
કહે વર્ણી સુણો હે રાજાન, અભિમાની ધરે અભિમાન;
પણ શ્રીહરિ સાંખી રહે છે, સમો આવ્યે તેનું ફળ દે છે.22
હરિનું ધાર્યુ થાય તે વિષે:- ઉપજાતિવૃત્ત:-
ધાર્યુ બધું શ્રીહરિનું જ થાય,મનુષ્ય જાણે મુજથી કરાય;
ગાડાં તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે.23
છે પ્રાણ નાડી પ્રભુને જ હાથ, સૌને નચાવે વળી વિશ્વનાથ;
અજ્ઞાની લોકો અભિમાન આણે, જથાર્થ શકિત હરિની ન જાણે. 24
કરે અધર્મી અઘ જે અલેખે, શ્રીનાથ સાક્ષી થઇ સર્વ દેખે;
જયારે સમો તે ફળયોગ્ય આવે, ત્યારે જ તેનું ફળ તે અપાવે. 25
ચોપાઈ:-
હતા જે સમૈયે જન આવ્યા, આપ આપને ઘેર સિધાવ્યા;
માણાવદરથી મહારાજ, ચાલ્યા સંતનો લઇને સમાજ. 26
પીપળાણે જવાને સિધાવ્યા, નદી ઓઝતને તટ આવ્યા;
સંત આગળ તહાં શ્રીહરિ, એક વાત એવી રીતે કરી. 27
રામાનંદસ્વામી ઘણી વાર, નાહ્યા છે તે આ નદી મોઝાર;
અમે પણ ઘણી વાર ઉમંગે, કર્યું છે આમાં મજજન અંગે. 28
રામાનંદને અમે આ ઠાર, પ્રશ્ન પૂછ્યો તેનો કહું સાર;
કાં તો સદ્ગુરુ કે ભગવાન, દે છે કલ્યાણદાન નિદાન. 29
કહો તેમાં તમે છો જ કેવા ? જાણે સર્વ જથારથ જેવા;
સુણી બોલ્યા નહી કાંઇ સ્વામી, દષ્ટિ દઇ પરવતભાઇ સામી. 30
વાણી મર્મમાં એવી ઉચ્ચારી, જયારે થાય ઉદય તિમિરારી;
પડે ચંદ્રનો ઓછો પ્રકાશ, સુણી સમજયા મરમ હરિદાસ.31
ચંદ્ર જેવા રામાનંદસ્વામી, સૂર્ય જેવા આ અક્ષરધામી;
જયાં સુધી રવિ ઉદય ન થાય, ચંદ્ર સર્વોપરી જ જણાય.32
રામાનંદ હતા ભગવાન, થયા સદ્ગુરુ શ્રેષ્ઠ સમાન;
એમ સમજીયા સૌ હરિદાસ, એવી વાત કરી અવિનાશ. 33
પછી સંતસહિત સુખરાશી, નાયા ઓઝતમાં અવિનાશી;
કરી નિત્યક્રિયા સૌ સંતે, વળી પોતે કરી ભગવંતે. 34
મેજાતા નરસિંહને ઘેર જૈને, ઉતર્યા હરિ હર્ષિત થૈને;
સર્વ ભકતને સુખ દઇ ભારી, માંગરોળ પધાર્યા મુરારી. 35
પૂર્વછાયો:-
હરિયે ત્યાંજ હુતાશનીનો, ઉત્સવ કીધો અનૂપ,
તેમજ ત્યાં રહીને કરી, રુડી રામનૌમી સુખરૂપ. 36
અક્ષય તૃતીયા એ પછી, નરસિંહ ચતુર્દશી નામ;
ભીમએકાદશી પણ ભલી, જળજાત્રા ઉત્સવ અભિરામ. 37
ચોપાઈ:-
એવા ઉત્સવ ઉપર ભાવે, દેશદેશના હરિજન આવે;
ઉષ્ણ કાળ તે આકરો બાણ, પડી પાણીની ત્યાં ઘણી તાણ. 38
તપે સૂર્ય ઘણો તાપ પડે, પાણી પીવા પુરું નવ જડે;
દીઠી પાદર વાપિકા એક, બહુ જૂની પુરાયેલી છેક. 39
તેહ ખોદાવવા ઉર ધારી, રાજા આગળ વાત ઉચ્ચારી;
કહે કૃષ્ણ ઘણા સંઘ આવે, જળ વગર કેમ અહીં ફાવે ? 40
વારી વગર વિપત્તિ પડે છે, જળ તો ઘણું દૂર જડે છે;
માટે તરત રજા આપો તમે, તો આ વાવ્ય ખોદાવિયે અમે. 41
સુણી બોલિયા વજરુદીન, હું છું આપ તણો જ આધીન;
કરો આજ્ઞા તો વાવ્ય ખોદાવું, કહો તો પાણી હું પોંચાડાવું. 42
સુણી બોલિયા શ્રીભગવાન, અહીં કરવું છે તીરથ સ્થાન;
કરે શ્રમ સહુ સંતનો સાથ, ગાળ કાઢું વળી મારે હાથ. 43
હરિભકત કરે કામ જયારે, તીર્થ થાય પવિત્ર તો ત્યારે;
મોટો આ ભૂમિનો મહિમાય, વધે તે કરવો છે ઉપાય. 44
એવો કીધો છે સંકલ્પ અમે, માટે તરત રજા આપો તમે;
બોલ્યા ભૂપ સુણી તેહ ટાણે, કરો આપની ઇચ્છા પ્રમાણે.45
ધન્ય ધન્ય તમે મહારાજ, પ્રભુ પ્રગટ્યા અમારે કાજ;
મારી ભૂમિનાં ભાગ્ય અપાર, થશે વિખ્યાત વિશ્વ મોઝાર. 46
થશે આ સ્થળે તીરથ સ્થાન, ભલો જાણીશ હું ભાગ્યવાન;
સારા શબ્દ સુણી હરિ આવા, વાવ્ય માંડી તે તરત ખોદાવા. 47
સતસંગી કરે સઉ કામ, કરે કામ ત્યાં શ્રીઘનશામ;
ભકત દેશી તથા પરદેશી, બાઇ ભાઇ રહે નહીં બેસી. 48
હરિભકત હજારો હજાર, ગાળ કાઢે કહે જેજેકાર;
સંતો અષ્ટક કીર્તન ગાય, જન જોવા હજારો ભરાય. 49
સુખ પામ્યો સુણી શેષનાગ, ભલાં જાણ્યાં પોતા તણાં ભાગ્ય;
જેને સેવે છે સુરપતિ જેવા, પ્રભુ લાગ્યા તે ટોપલી લેવા. 50
એવી લીલા જોવા તેહ સ્થાન, છાયાં વ્યોમમાં દેવવિમાન;
દશ દિવસ કર્યું કામ જયારે, વારી વાવ્યમાં આવ્યું તે વારે. 51
મિષ્ટ જળ સુરસરિતા સમાન, કર્યું શ્રીહરિયે તેમાં સ્નાન;
વિપ્ર વેદિયા બોલાવી પ્રીતે, પૂર્તકર્મ કર્યું રુડી રીતે. 52
દ્વિજને ત્યાં ચતુર્ભુજરૂપે, દીધું દર્શન વૃષકુળભૂપે;
કરી વેદના મંત્ર ઉચ્ચાર, પૂજયા વિપ્રોયે વિશ્વઆધાર. 53
પછી બ્રાહ્મણોને રુડી રીત, દીધાં ભોજન ભાવ સહિત;
જમ્યા વિપ્ર હજારો હજાર, નાનાં મોટા પુરુષ અને નાર. 54
ઘણા પર્ચા દેખાડીને આપ, કર્યો પ્રગટ તે પ્રૌઢ પ્રતાપ;
એવી અદ્ભુત વાત સાંભળી, જુદા મતના જનો આવ્યા મળી. 55
કહે છો તમે સમરથ સારા, ઇષ્ટ દેખાડો અમને અમારા;
સુણી વિનતિ તે વૃષકુળભૂપે, દીધાં દર્શન ઇષ્ટસ્વરૂપે. 56
વલ્લભી માધવી નિમાનંદી, સંપ્રદાયના જન જુવે વંદી;
જાણે સાક્ષાત છે ગોપીનાથ, હેતે વાંસળી લીધી છે હાથ. 57
રામાનુજમતના હતા જેહ, દેખે લક્ષ્મીનારાયણ તેહ;
રામાનંદી હતા તેહ ઠામ, તેણે દીઠા સીતા સહ રામ. 58
હતા વેદાંતી શંકરવાળા, તેણે બ્રહ્મજયોતીરૂપે ભાળ્યા;
જેને શિવની ઉપાસના હતી, તેણે તો દીઠા પાર્વતીપતી. 59
ભાનુભકતોયે ભાળ્યા દિનેશ, ગણનાથના ભકતે ગણેશ;
દેવી દેખે દેવીભકત જેહ, જૈનિ તો તીરથંકર તેહ. 60
હતા યવન જે સદગુણી શાણા, તેણે પ્રગટ પેગંબર જાણ્યા;
જોઇ નિજનિજ ઇષ્ટસ્વરૂપ, થયા સૌ સતસંગી હે ભૂપ. 61
અવતાર તણા અવતારી, જાણ્યા તે શ્રીહરિ બ્રહ્મચારી;
પછી પોતે પોતા તણે ઘેર, ગયા સૌ જન તે શુભ પેર. 62
પુષ્પિતાગ્રાવૃત્ત:-
પુરપુર પ્રસરી સુવાસ એહ, પ્રગટ થયા પ્રભુ અક્ષરેશ જેહ;
સુણી જન શરણે અસંખ્ય આવે, દુરિત સમસ્ત દયાનિધિ શમાવે. 63
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિમાંગરોળપુરે વાપિકાખનનનામા સપ્તમો વિશ્રામઃ ।।7।।