પૂર્વછાયો:-

વાસ વસે અગત્રાઇમાં, હરિભકત ભલા ભીમભાઇ;

વાત કહું એક એહની, અભેસિંહ સુણો હરખાઇ. 1

ચોપાઈ:-

એક અવસરે શ્રીહરિ પાસ, બેઠા સંત તથા હરિદાસ;

તેમાં બેઠા હતા ભીમભાઇ, કથા કૃષ્ણલીલાની વંચાઇ. 2

પુરુષોત્તમનો મહિમાય, સુણી હૈયામાં હરખ ન માય;

હરિભકતનો મહિમા વિચારી, અંગોઅંગમાં લાગી ખુમારી. 3

પછી પ્રભુપદ કરીને પ્રણામ, ગયા ખેતરે કરવાને કામ;

ત્યાં તો અવની થકી એક ઠાર, લાખો કીડિયો નિકળી બહાર. 4

તેને દેખી દયા દિલે ધારી, કર્યો સંકલ્પ કૃષ્ણ સંભારી;

અહો ભકિતતનુજ ભગવાન, દીનબંધુ દયાના નિધાન. 5

આવા પ્રાણીની શી ગતિ થાશે ? વળી વૈકુંઠમાં કયારે જાશે ?

કશું સામર્થ્ય જો હોય મારું, બધિયોને વિમાને બેસારું. 6

સૌને વૈકુંઠ માંહી વસાવું, એનું સંકટ સર્વ નસાવું;

એવો ચિત્તમાં કીધો વિચાર, ત્યાં તો આવ્યાં વિમાન અપાર. 7

કીડિયોયે તજી નિજ કાયા, દિવ્યદેહ તે સૌના દેખાયા;

રુડાં દિસે ચતુર્ભુજ રૂપ, બેઠાં વિમાનમાં સુખરૂપ. 8

વશ્યા જૈને તે વૈકુંઠ વાસ, ભીમભાઇ આવ્યા પ્રભુ પાસ;

બધી વાત કરી રૂડી રીતે, પૂછ્યાં પ્રશ્ન પછી પુરી પ્રીતે. 9

કીડીયોનાં તે શાં હશે કર્મ ? મહારાજ કહો તેનો મર્મ;

દેવતા પણ દુર્લભ જાણે, ઠરી કેમ તે એવે ઠેકાણે ? 10

સુણી બોલ્યા સદા સુખદાઇ, સુણો ભકત ભલા ભીમભાઇ;

થાય અંશ કળા અવતાર, ત્યારે ભકત પામે ભવપાર. 11

પુરુષોત્તમ પોતે પધારે, તેની રીત જુદી હોય ત્યારે;

નહિ ભકત અભકત પ્રમાણ, કરે સંકલ્પથી જ કલ્યાણ. 12

તેના સેવક સંકલ્પ કરે, એથી પણ બહુ જીવ ઉદ્ધરે;

અવતાર અને અવતારી, એની એટલી રીત છે ન્યારી. 13

કીડીયો કેરા કલ્યાણ માટ, ઘડ્યો અંતરમાં તમે ઘાટ;

થયો તે થકી તેનો ઉદ્ધાર, પામી તે ભવસાગર પાર. 14

એવી વાત સુણી નરનારી, જાણ્યા અવતારના અવતારી;

એવી લીલા ત્યાં કીધી અપાર, આ તો એમાં થકી કહ્યો સાર. 15

તીર્થભૂમિ કરી અગત્રાઇ, પછી ત્યાંથી ચાલ્યા સુખદાઇ;

કાળવાણિયે કૃષ્ણ સિધાવ્યા, સતસંગી સઉ સામા આવ્યા. 16

પૂર્વછાયો:-

ગામથી પશ્ચિમ દિશ વિષે, એક બાગમાં જૈ મહારાજ;

એકાંત જોઇને ઉતર્યા, સાથે લઇને સંતસમાજ. 17

ચોપાઈ:-

હતા ત્યાં મુખ્ય આહીર ભકત, હરિપદમાં અધિક આસકત;

તેઓને કહે શ્રીઅવિનાશી, તમે છો સઘળા વ્રજવાસી. 18

એમ કહિને આનંદ પમાડ્યા, સમાધિ વિષે ધામ દેખાડ્યા;

બેઠા સભા સજી ઘનશામ, બેઠા હરિજન સંત તમામ. 19

વ્યાપકાનંદને કહે હરિ, ઇન્દ્રલોકમાં જૈ આવો ફરી;

સમાધિ વિષે તેહ સિધાવ્યા, ઇન્દ્રલોક નિહાળીને આવ્યા. 20

પછી મોકલ્યા બ્રહ્માને ઘેર, ત્યાંજ જૈને આવ્યા રુડીપેર;

પછી મોકલ્યા ગોલોકધામ, સંત જૈને આવ્યા તેહ ઠામ. 21

વળી આજ્ઞા કરી અવિનાશ, જાઓ ભૂમાપુરુષની પાસ;

સમાધિ કરી ત્યાંય સિધાવ્યા, થોડી વાર પછી પાછા આવ્યા. 22

કહ્યું દૈત્ય છે રસ્તા મોઝાર, મોટી કાયા ને માથાં હજાર;

જવા દેતો નથી મને ત્યાંય, માટે શી રીતે મુજથી જવાય ? 23

કહે કૃષ્ણ નહિ મન હારો, કાયા તેના થકી મોટી ધારો;

જુદ્ધે જીતીને રસ્તે સિધાવો, ભૂમાપુરુષકને જઇ આવો. 24

સાધુ એવું સુણીને સિધાવ્યા, મોટા અસુરની આગળ આવ્યા;

દુષ્ટ તે બહુ લાગ્યો ડરાવા, કહે નહિ દઊં આગળ જાવા. 25

સાધુયે ઘનશામ સંભારી, કાયા દૈત્યથી બમણી વધારી;

પછી યુદ્ધ કર્યું દૈત્યસંગ, માર મારી ભાંગ્યાં એનાં અંગ.26

પડ્યો પાપી તે પૃથ્વીમાં જયારે, સાધુ ચાલિયા આગળ ત્યારે;

બીજો દૈત્ય દીઠો તેહવાર, દીઠાં મસ્તક દશ હજાર. 27

કરી ક્રોધ બોલ્યો બોલ આવા, વળ્ય પાછો નહીં દઊં જાવા;

સાધુ પાછા વળ્યા સાક્ષાત, આવી શ્રીહરિને કહી વાત. 28

બોલ્યા શ્રીહરિ આણીને સ્નેહ, ધરો દૈત્ય થકી ડોઢો દેહ;

એને જીતીને આગળ જાઓ, છતાં શકિત ન બીકણ થાઓ.29

સુણી સાધુ સમાધિમાં ગયા, દેહે દૈત્ય થકી ડોઢા થયા;

જીતી દૈત્યને ત્યાંથી સિધાવ્યા, ભૂમાપુરુષની આગળ આવ્યા. 30

જૈને નેહે કર્યો નમસ્કાર, કહ્યા શ્રીહરિના સામાચાર;

ભૂમાપુરુષે પુરો પ્રેમ આણી, પૂજયા સાધુને મુકત પ્રમાણી.31

સારે સિંહાસને પધરાવ્યા, ચર્ચિ ચંદન હાર ચડાવ્યા;

વળી આપ્યો ભલો ફલાહાર,જમ્યા સંત ગણી સુખકાર. 32

ત્યાંના વાસી હતા જન જેહ, જેના દિસે ચતુર્ભુજ દેહ;

આવી સાધુને તે પગે લાગ્યા, વાત સાંભળવા અનુરાગ્યા.33

પુરુષોત્તમનો મહિમાય, સંભળાવિયો તે સમે ત્યાંય;

વળી આશ્રય હરિનો કરાવ્યો, દઢ નિશ્ચય દિલમાં ઠરાવ્યો. 34

લેતાં સ્વામિનારાયણ નામ, પહોંચાડિયા અક્ષરધામ;

કર્યું સાધુયે એટલું કામ, પછી આવ્યા જયાં છે ઘનશામ. 35

સભા માંહી કહી બધી વાત, થયા સર્વ સુણી રળિયાત;

સુણી શ્રીહરિનો મહિમાય, જનને મન અચરજ થાય. 36

પૂર્વછાયો:-

એવે સમે હરિ આગળે, ભીમભાઇ ભલા ભકતરાજ;

હાથ જોડી કહે હે હરિ, મારી અરજ સુણો એક આજ. 37

ચોપાઈ:-

રાજનીતિની છે એક રીત, કહું સાંભળો પરમ પુનીત;

જન્મ મરણ ને પટ્ટાભિષેક, જયારે પામે છે રાય હરેક. 38

બંધિવાનની બંધી છોડાવે, એવી રીત સદા ચાલી આવે;

થયો આપને પટ્ટાભિષેક, સુણી હરખ્યા છે લોક અનેક. 39

પણ નરકના કુંડમાં જે છે, તે તો પ્રાણી પીડાજ ખમે છે;

કોઇ સંતને મોકલો આપ, જૈને જીવ છોડાવે અમાપ. 40

સુણી એટલી વાત તે ઠામ, સ્વરૂપાનંદને કહે શામ;

તમે યમપુર પ્રત્યે સિધાવો, કુંડ નરકના પ્રાણી છોડાવો. 41

ભૂમાપુરુષ તણું જયાં છે ધામ, સૌને મોકલજો તેહ ઠામ;

સ્વરૂપાનંદે કીધી સમાધિ, ગયા યમપુર કૃષ્ણ આરાધિ. 42

જોયા નરકમાં પીડાતા પ્રાણી, અતિ અંતરમાં દયા આણી;

લીધું સ્વામિનારાયણ નામ, નાઠા સાંભળી દૂત તમામ. 43

પ્રાણી નીકળ્યા કુંડ બહાર, વંદ્યા સાધુને વારમવાર;

નારાયણ સ્વામિ ભજન કરાવ્યું, પાપ સંચિત સર્વે બળાવ્યું. 44

થયા સર્વ ચતુર્ભુજરૂપ, દેહ દિવ્ય દેખાય અનૂપ;

ધામ ભૂમાપુરુષનું છે જયાંય, સંતે સર્વને મોકલ્યા ત્યાંય.45

સંતે શ્રીજીની આગળ આવી, વાત વિગત સહિત સુણાવી;

સુણી રાજી થયા શ્રીગોવિંદ, દીધાં છાતિમાં ચરણારવિંદ. 46

વળી બોલિયા જગદાધાર, અમારે ધરી આ અવતાર;

જીવ ઉદ્ધારવા છે અનંત, હોય પાપી તથા પુણ્યવંત. 47

મારે સંકલ્પે ઉદ્ધરે સહુ, કાયા ધરવાનું કારણ કહું;

ભકતજનને ભલાં સુખ દેવા, ઇચ્છા કીધી મેં અવતાર લેવા. 48

એવી વાત ઘણી ઘણી કરી, પછી તો ગયા પંચાળે હરિ;

પોશી પૂનમે સંતની સાથ, માંગરોળ ગયા મુનિનાથ. 49

પૂર્વછાયો:-

સામા આવ્યા સતસંગી સૌ, તેમાં મુખ્યનાં કહું છું નામ;

શેઠ ગોરધન સાથ છે, રામચંદ્ર સદ્ગુણધામ. 50

સુંદરજી અને રતનજી, મુળચંદાદિ વણિકની જાત;

ભકત બીજા મંછારામ છે, અને આણંદજી વિખ્યાત. 51

ચોપાઈ:-

ભકત ધનજી ને ત્રીકમભાઇ, રાજુભાઇ આદિક બહુ બાઇ;

સામા આવી કર્યું સનમાન, ભાળી ભાવ રીઝ્યા ભગવાન. 52

માંગરોળથી પશ્ચિમમાંય, રુડી વાડી છે ઉતર્યા ત્યાંય;

દેશપાળક વજરૂદીન, નેહ તેણે દેખાડ્યો નવીન. 53

સજી સેવા તેણે પણ સારી, પગે લાગ્યા પેગંબર ધારી;

સભા શ્રીજી સમીપ ભરાય, બહુ જનને સમાધિ થાય. 54

જયારે શ્રીહરિ પુરમાં પધારે, જેના સામું જુવે હરિ જયારે;

તેને સદ્ય સમાધિ તો થાય, ગોલોકાદિક ધામમાં જાય. 55

કોઇ વેપાર કરતા વેપારી, કોઇ તોળતા ત્રાજવાં ધારી;

કોઇ નામું ઠામું લખનાર, થઇ જાય જોતાં શબાકાર. 56

બીજા પરચા અનેક જણાય, જોઇ જન હરિ આશ્રિત થાય;

કરે દેવતા પુષ્પની વૃષ્ટિ, કોઇ કાળે દેખે જન દષ્ટિ. 57

આવે દર્શને દેવ અલેખે, કોઇ જન નિજદષ્ટિયે દેખે;

આખા દેશમાં વિસ્તરી વાત, પ્રભુ પ્રગટ થયા સાક્ષાત. 58

પરગામ થકી જન આવે, કરી દર્શન મનમુદ લાવે;

ભકિત જ્ઞાન વૈરાગ્યની વાત, ધર્મ સહિતની કરે ધર્મજાત.59

મતવાદી વદે વાદ આવી, તેને શિષ્ય કરે સમજાવી;

હરિ સંશય સર્વના તોડે, અભિમાની જનો માન છોડે. 60

કોઇ આવે છે શાસ્ત્ર ભણેલા, કોઇ સાધક સિદ્ધ બનેલા;

કોઇ જૈની ને કોઇ વેદાંતી, પ્રભુ ભાંગે છે સર્વેની ભ્રાંતિ.61

કહે કોઇ ભણ્યો છું પુરાણ, કહે કોઇ પઢ્યો છું કુરાન;

કૌળશાસ્ત્ર ભણ્યો કહે કોઇ, હારે સૌ હરિનું મુખ જોઇ. 62

પુષ્પિતાગ્રાવૃત્ત:-

મુનિપતિ રહી માંગરોળ માંય, પરમ પ્રતાપ જણાવિયો તહાંય;

અહિપતિ ઉચરે મુખે હજાર, તદપિ પમાય નહી કદાપિ પાર. 63

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશેઅચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે સૌરાષ્ટ્રદેશે અગત્રાઈગ્રામે શ્રીહરિપ્રતાપેન ભીમભાઈ પિપીલિકા મોક્ષકરણનામા ષષ્ઠો વિશ્રામઃ ।।6।।