પૂર્વછાયો:-
વાસ વસે અગત્રાઇમાં, હરિભકત ભલા ભીમભાઇ;
વાત કહું એક એહની, અભેસિંહ સુણો હરખાઇ. 1
ચોપાઈ:-
એક અવસરે શ્રીહરિ પાસ, બેઠા સંત તથા હરિદાસ;
તેમાં બેઠા હતા ભીમભાઇ, કથા કૃષ્ણલીલાની વંચાઇ. 2
પુરુષોત્તમનો મહિમાય, સુણી હૈયામાં હરખ ન માય;
હરિભકતનો મહિમા વિચારી, અંગોઅંગમાં લાગી ખુમારી. 3
પછી પ્રભુપદ કરીને પ્રણામ, ગયા ખેતરે કરવાને કામ;
ત્યાં તો અવની થકી એક ઠાર, લાખો કીડિયો નિકળી બહાર. 4
તેને દેખી દયા દિલે ધારી, કર્યો સંકલ્પ કૃષ્ણ સંભારી;
અહો ભકિતતનુજ ભગવાન, દીનબંધુ દયાના નિધાન. 5
આવા પ્રાણીની શી ગતિ થાશે ? વળી વૈકુંઠમાં કયારે જાશે ?
કશું સામર્થ્ય જો હોય મારું, બધિયોને વિમાને બેસારું. 6
સૌને વૈકુંઠ માંહી વસાવું, એનું સંકટ સર્વ નસાવું;
એવો ચિત્તમાં કીધો વિચાર, ત્યાં તો આવ્યાં વિમાન અપાર. 7
કીડિયોયે તજી નિજ કાયા, દિવ્યદેહ તે સૌના દેખાયા;
રુડાં દિસે ચતુર્ભુજ રૂપ, બેઠાં વિમાનમાં સુખરૂપ. 8
વશ્યા જૈને તે વૈકુંઠ વાસ, ભીમભાઇ આવ્યા પ્રભુ પાસ;
બધી વાત કરી રૂડી રીતે, પૂછ્યાં પ્રશ્ન પછી પુરી પ્રીતે. 9
કીડીયોનાં તે શાં હશે કર્મ ? મહારાજ કહો તેનો મર્મ;
દેવતા પણ દુર્લભ જાણે, ઠરી કેમ તે એવે ઠેકાણે ? 10
સુણી બોલ્યા સદા સુખદાઇ, સુણો ભકત ભલા ભીમભાઇ;
થાય અંશ કળા અવતાર, ત્યારે ભકત પામે ભવપાર. 11
પુરુષોત્તમ પોતે પધારે, તેની રીત જુદી હોય ત્યારે;
નહિ ભકત અભકત પ્રમાણ, કરે સંકલ્પથી જ કલ્યાણ. 12
તેના સેવક સંકલ્પ કરે, એથી પણ બહુ જીવ ઉદ્ધરે;
અવતાર અને અવતારી, એની એટલી રીત છે ન્યારી. 13
કીડીયો કેરા કલ્યાણ માટ, ઘડ્યો અંતરમાં તમે ઘાટ;
થયો તે થકી તેનો ઉદ્ધાર, પામી તે ભવસાગર પાર. 14
એવી વાત સુણી નરનારી, જાણ્યા અવતારના અવતારી;
એવી લીલા ત્યાં કીધી અપાર, આ તો એમાં થકી કહ્યો સાર. 15
તીર્થભૂમિ કરી અગત્રાઇ, પછી ત્યાંથી ચાલ્યા સુખદાઇ;
કાળવાણિયે કૃષ્ણ સિધાવ્યા, સતસંગી સઉ સામા આવ્યા. 16
પૂર્વછાયો:-
ગામથી પશ્ચિમ દિશ વિષે, એક બાગમાં જૈ મહારાજ;
એકાંત જોઇને ઉતર્યા, સાથે લઇને સંતસમાજ. 17
ચોપાઈ:-
હતા ત્યાં મુખ્ય આહીર ભકત, હરિપદમાં અધિક આસકત;
તેઓને કહે શ્રીઅવિનાશી, તમે છો સઘળા વ્રજવાસી. 18
એમ કહિને આનંદ પમાડ્યા, સમાધિ વિષે ધામ દેખાડ્યા;
બેઠા સભા સજી ઘનશામ, બેઠા હરિજન સંત તમામ. 19
વ્યાપકાનંદને કહે હરિ, ઇન્દ્રલોકમાં જૈ આવો ફરી;
સમાધિ વિષે તેહ સિધાવ્યા, ઇન્દ્રલોક નિહાળીને આવ્યા. 20
પછી મોકલ્યા બ્રહ્માને ઘેર, ત્યાંજ જૈને આવ્યા રુડીપેર;
પછી મોકલ્યા ગોલોકધામ, સંત જૈને આવ્યા તેહ ઠામ. 21
વળી આજ્ઞા કરી અવિનાશ, જાઓ ભૂમાપુરુષની પાસ;
સમાધિ કરી ત્યાંય સિધાવ્યા, થોડી વાર પછી પાછા આવ્યા. 22
કહ્યું દૈત્ય છે રસ્તા મોઝાર, મોટી કાયા ને માથાં હજાર;
જવા દેતો નથી મને ત્યાંય, માટે શી રીતે મુજથી જવાય ? 23
કહે કૃષ્ણ નહિ મન હારો, કાયા તેના થકી મોટી ધારો;
જુદ્ધે જીતીને રસ્તે સિધાવો, ભૂમાપુરુષકને જઇ આવો. 24
સાધુ એવું સુણીને સિધાવ્યા, મોટા અસુરની આગળ આવ્યા;
દુષ્ટ તે બહુ લાગ્યો ડરાવા, કહે નહિ દઊં આગળ જાવા. 25
સાધુયે ઘનશામ સંભારી, કાયા દૈત્યથી બમણી વધારી;
પછી યુદ્ધ કર્યું દૈત્યસંગ, માર મારી ભાંગ્યાં એનાં અંગ.26
પડ્યો પાપી તે પૃથ્વીમાં જયારે, સાધુ ચાલિયા આગળ ત્યારે;
બીજો દૈત્ય દીઠો તેહવાર, દીઠાં મસ્તક દશ હજાર. 27
કરી ક્રોધ બોલ્યો બોલ આવા, વળ્ય પાછો નહીં દઊં જાવા;
સાધુ પાછા વળ્યા સાક્ષાત, આવી શ્રીહરિને કહી વાત. 28
બોલ્યા શ્રીહરિ આણીને સ્નેહ, ધરો દૈત્ય થકી ડોઢો દેહ;
એને જીતીને આગળ જાઓ, છતાં શકિત ન બીકણ થાઓ.29
સુણી સાધુ સમાધિમાં ગયા, દેહે દૈત્ય થકી ડોઢા થયા;
જીતી દૈત્યને ત્યાંથી સિધાવ્યા, ભૂમાપુરુષની આગળ આવ્યા. 30
જૈને નેહે કર્યો નમસ્કાર, કહ્યા શ્રીહરિના સામાચાર;
ભૂમાપુરુષે પુરો પ્રેમ આણી, પૂજયા સાધુને મુકત પ્રમાણી.31
સારે સિંહાસને પધરાવ્યા, ચર્ચિ ચંદન હાર ચડાવ્યા;
વળી આપ્યો ભલો ફલાહાર,જમ્યા સંત ગણી સુખકાર. 32
ત્યાંના વાસી હતા જન જેહ, જેના દિસે ચતુર્ભુજ દેહ;
આવી સાધુને તે પગે લાગ્યા, વાત સાંભળવા અનુરાગ્યા.33
પુરુષોત્તમનો મહિમાય, સંભળાવિયો તે સમે ત્યાંય;
વળી આશ્રય હરિનો કરાવ્યો, દઢ નિશ્ચય દિલમાં ઠરાવ્યો. 34
લેતાં સ્વામિનારાયણ નામ, પહોંચાડિયા અક્ષરધામ;
કર્યું સાધુયે એટલું કામ, પછી આવ્યા જયાં છે ઘનશામ. 35
સભા માંહી કહી બધી વાત, થયા સર્વ સુણી રળિયાત;
સુણી શ્રીહરિનો મહિમાય, જનને મન અચરજ થાય. 36
પૂર્વછાયો:-
એવે સમે હરિ આગળે, ભીમભાઇ ભલા ભકતરાજ;
હાથ જોડી કહે હે હરિ, મારી અરજ સુણો એક આજ. 37
ચોપાઈ:-
રાજનીતિની છે એક રીત, કહું સાંભળો પરમ પુનીત;
જન્મ મરણ ને પટ્ટાભિષેક, જયારે પામે છે રાય હરેક. 38
બંધિવાનની બંધી છોડાવે, એવી રીત સદા ચાલી આવે;
થયો આપને પટ્ટાભિષેક, સુણી હરખ્યા છે લોક અનેક. 39
પણ નરકના કુંડમાં જે છે, તે તો પ્રાણી પીડાજ ખમે છે;
કોઇ સંતને મોકલો આપ, જૈને જીવ છોડાવે અમાપ. 40
સુણી એટલી વાત તે ઠામ, સ્વરૂપાનંદને કહે શામ;
તમે યમપુર પ્રત્યે સિધાવો, કુંડ નરકના પ્રાણી છોડાવો. 41
ભૂમાપુરુષ તણું જયાં છે ધામ, સૌને મોકલજો તેહ ઠામ;
સ્વરૂપાનંદે કીધી સમાધિ, ગયા યમપુર કૃષ્ણ આરાધિ. 42
જોયા નરકમાં પીડાતા પ્રાણી, અતિ અંતરમાં દયા આણી;
લીધું સ્વામિનારાયણ નામ, નાઠા સાંભળી દૂત તમામ. 43
પ્રાણી નીકળ્યા કુંડ બહાર, વંદ્યા સાધુને વારમવાર;
નારાયણ સ્વામિ ભજન કરાવ્યું, પાપ સંચિત સર્વે બળાવ્યું. 44
થયા સર્વ ચતુર્ભુજરૂપ, દેહ દિવ્ય દેખાય અનૂપ;
ધામ ભૂમાપુરુષનું છે જયાંય, સંતે સર્વને મોકલ્યા ત્યાંય.45
સંતે શ્રીજીની આગળ આવી, વાત વિગત સહિત સુણાવી;
સુણી રાજી થયા શ્રીગોવિંદ, દીધાં છાતિમાં ચરણારવિંદ. 46
વળી બોલિયા જગદાધાર, અમારે ધરી આ અવતાર;
જીવ ઉદ્ધારવા છે અનંત, હોય પાપી તથા પુણ્યવંત. 47
મારે સંકલ્પે ઉદ્ધરે સહુ, કાયા ધરવાનું કારણ કહું;
ભકતજનને ભલાં સુખ દેવા, ઇચ્છા કીધી મેં અવતાર લેવા. 48
એવી વાત ઘણી ઘણી કરી, પછી તો ગયા પંચાળે હરિ;
પોશી પૂનમે સંતની સાથ, માંગરોળ ગયા મુનિનાથ. 49
પૂર્વછાયો:-
સામા આવ્યા સતસંગી સૌ, તેમાં મુખ્યનાં કહું છું નામ;
શેઠ ગોરધન સાથ છે, રામચંદ્ર સદ્ગુણધામ. 50
સુંદરજી અને રતનજી, મુળચંદાદિ વણિકની જાત;
ભકત બીજા મંછારામ છે, અને આણંદજી વિખ્યાત. 51
ચોપાઈ:-
ભકત ધનજી ને ત્રીકમભાઇ, રાજુભાઇ આદિક બહુ બાઇ;
સામા આવી કર્યું સનમાન, ભાળી ભાવ રીઝ્યા ભગવાન. 52
માંગરોળથી પશ્ચિમમાંય, રુડી વાડી છે ઉતર્યા ત્યાંય;
દેશપાળક વજરૂદીન, નેહ તેણે દેખાડ્યો નવીન. 53
સજી સેવા તેણે પણ સારી, પગે લાગ્યા પેગંબર ધારી;
સભા શ્રીજી સમીપ ભરાય, બહુ જનને સમાધિ થાય. 54
જયારે શ્રીહરિ પુરમાં પધારે, જેના સામું જુવે હરિ જયારે;
તેને સદ્ય સમાધિ તો થાય, ગોલોકાદિક ધામમાં જાય. 55
કોઇ વેપાર કરતા વેપારી, કોઇ તોળતા ત્રાજવાં ધારી;
કોઇ નામું ઠામું લખનાર, થઇ જાય જોતાં શબાકાર. 56
બીજા પરચા અનેક જણાય, જોઇ જન હરિ આશ્રિત થાય;
કરે દેવતા પુષ્પની વૃષ્ટિ, કોઇ કાળે દેખે જન દષ્ટિ. 57
આવે દર્શને દેવ અલેખે, કોઇ જન નિજદષ્ટિયે દેખે;
આખા દેશમાં વિસ્તરી વાત, પ્રભુ પ્રગટ થયા સાક્ષાત. 58
પરગામ થકી જન આવે, કરી દર્શન મનમુદ લાવે;
ભકિત જ્ઞાન વૈરાગ્યની વાત, ધર્મ સહિતની કરે ધર્મજાત.59
મતવાદી વદે વાદ આવી, તેને શિષ્ય કરે સમજાવી;
હરિ સંશય સર્વના તોડે, અભિમાની જનો માન છોડે. 60
કોઇ આવે છે શાસ્ત્ર ભણેલા, કોઇ સાધક સિદ્ધ બનેલા;
કોઇ જૈની ને કોઇ વેદાંતી, પ્રભુ ભાંગે છે સર્વેની ભ્રાંતિ.61
કહે કોઇ ભણ્યો છું પુરાણ, કહે કોઇ પઢ્યો છું કુરાન;
કૌળશાસ્ત્ર ભણ્યો કહે કોઇ, હારે સૌ હરિનું મુખ જોઇ. 62
પુષ્પિતાગ્રાવૃત્ત:-
મુનિપતિ રહી માંગરોળ માંય, પરમ પ્રતાપ જણાવિયો તહાંય;
અહિપતિ ઉચરે મુખે હજાર, તદપિ પમાય નહી કદાપિ પાર. 63
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશેઅચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે સૌરાષ્ટ્રદેશે અગત્રાઈગ્રામે શ્રીહરિપ્રતાપેન ભીમભાઈ પિપીલિકા મોક્ષકરણનામા ષષ્ઠો વિશ્રામઃ ।।6।।