પૂર્વછાયો:-
શ્રીહરિ સોરઠ દેશમાં, ગયા તે પછી જે જે ગામ;
તેહ કથા તમને કહું, સુણો નૃપ અભેસિંહનામ. 1
ચોપાઈ:-
ચાલ્યા સોરઠમાં હરિ ફરવા, કૈંક જનને કૃતારથ કરવા;
રામાનંદના વિરહી જન, શાંત કરવાને તેહનાં મન. 2
સંતમંડળ પાર્ષદ સાથ, ચાલ્યા ધોરાજીથી મુનિનાથ;
સત્રાસે થઇ ભાડેર ગયા, તહાં પાદરમાં સ્થિર થયા. 3
સતસંગી મળી સામા આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા;
ગણું મુખ્ય તો ગોકુળદાસ, ભકત વાધજીનો ત્યાં નિવાસ.4
તેના પુત્ર દેહળજી નામ, ભકત વિપ્ર રુડા દેવરામ;
તેણે પૂજા કરી ધરી ભાવ, રીઝ્યા તે થકી નટવર નાવ. 5
ત્યાંથી માણાવદર ગયા શામ, સામા આવ્યા ત્યાં ભટ મયારામ;
ભૂપ વાબી ગજેફરખાન, સામા આવી કર્યું સનમાન. 6
કર્યો ઉતારો ભટજીને ઘેર, સભા નિત્ય સજે શુભપેર;
રામાનંદની ગાદીની આશે, માંડ્યો પાખંડ રઘુનાથદાસે. 7
ગુરુડોળ બનાવીને બેશી, કાઢે શ્રીરામનંદની દેશી;
ઘનશામનું બોલે ઘસાતું, સુણી સંતે સહન નથી થાતું. 8
કહે ગાદીનો વારસ હું છું, શ્રેષ્ઠ શિષ્ય તો હું જ ઠરુ છું;
માટે મેં ગુરુનું પદ લીધું, રામાનંદે દૈવત મને દીધું. 9
એવાં સાંભળી વચન પ્રકાશ, ખીજયા સાધુ રામચર્ણદાસ;
સાધુ તે રામાનંદના શિષ્ય, વાત ભાંખતા તે તો ભવિષ્ય. 10
ચાલ્યા ત્યાં થકી તે તો રિસાઇ, કહે કેમ કરે તે ઠગાઇ ?
એનું મન છે મલીન અપાર, નથી સત્સંગમાં રહેનાર. 11
એમ કહીને ગયા સાધુ જયારે, મહારાજ ને ભટજી ત્યારે;
ગયા બેય મળીને મનાવા, કહ્યા સાધુયે ત્યાં શબ્દ આવા.12
એ છે કાનો ગરાશિયો નાતે, પણ હું તો છું વાઘેલો જાતે;
એનું બોલ્યું સહન કેમ કરું ? કેટલીક ક્ષમા ઉર ધરું. 13
એને મોકલશો કયાંઇ જયારે, તમ પાસ હું આવીશ ત્યારે;
ત્યાં સુધી બીજે ગામ ફરીશ, સતસંગમાં વાતો કરીશ. 14
તમ ઊપર છે મારે પ્રીત, રુડી તમારી જાણું છું રીત;
એમ બોલીને સંત સિધાવ્યા, ભટજી ને શ્રીજી પાછા આવ્યા. 15
પછી સંતનાં મંડળ લૈને,પીપળાણે રહ્યા પ્રભુ જૈને;
નરસિંહ મેજાતા તણે ઘેર, ઉતર્યા પ્રભુજી રુડી પેર. 16
પધરામણી ઘેરઘેર થાય, હરિભકત ઘણા હરખાય;
સભામાં ઘનશામ બિરાજે, જેમ ઉડુગણમાં શશિ છાજે. 17
હરિજનને સમાધિ કરાવી, દઉં તેનાં તે નામ ગણાવી;
મેજાતા નરસિંહ દ્વિજ ઉનેવાળ, શોભે જેનું કુટુંબ વિશાળ. 18
તેની પત્નીનું લાછુ છે નામ, પુત્ર ચાર તેના અભિરામ;
નામે કલ્યાણજી વાલજીય, રઘુનાથ તથા રવજીય. 19
લાડુબાઇ તથા માનુબાઇ, મેજાતા નરસિંની પુત્રી ગણાઇ;
નારાયણદવે હરિના ઉપાસી, આખા ગામ તણા રહેવાસી. 20
તેના પુત્ર પવિત્ર છે જેહ, કુંવરજી ગોવિંદજી તેહ;
ત્રીજા નરસિદવે કહેવાય, જીબા મીઠી બેપુત્રી ગણાય. 21
ઉકો ડાઉ આહીરની જાતી, જેને સહજે સમાધિ થાતી;
આવરણ જેણે આડું ન આવે, ધારે ત્યાં તે સ્વતંત્ર સિધાવે. 22
જોશી લાધા આદિક બેઠા આવી, સૌને હરિએ સમાધિ કરાવી;
જઇ જુવે જુદાં જુદાં ધામ, કહે જાગીને વાત તમામ. 23
લોકો અચરજ પામે ઘણાય, તેથી શ્રીજીના આશ્રિત થાય;
એવી લીલા ઘણી ઘણી કરી, પછી જમવા પધારિયા હરિ. 24
મેજાતા નરસિંના ભાઇ પ્રમાણો, જેનું નારણજી નામ જાણો;
તેની પત્નિ નામે રુકમાઇ, જેની માતા છે લાડકીબાઇ. 25
તેણે સારી રસોઇ કરીને, હેત લાવિ જમાડ્યા હરીને;
સાધુ પાળાની પંગતિ થઇ, જમાડ્યા જગજીવને જઇ. 26
પછી સાંજ સમે મહારાજ, લૈને પાર્ષદ સંતસમાજ;
એક અશ્વે થઇ અસવાર, ગયા પશ્ચિમમાં પુરબાર. 27
દીઠો સંધાઇનો વડ એક, હતાં તે વિષે ભૂત અનેક;
તેને મુકિત દેવા રુચિ કરી, બેઠા ત્યાં જ સભા સજી હરી. 28
નારાયણધૂન્ય ત્યાં તો કરાવી, ભૂતો ઉભાં રહ્યાં સર્વ આવી;
બહુ રૂવે અને રાડ્યો પાડે, અતિ દુઃખનાં ચિહ્ન દેખાડે. 29
દયાસિંધુ દયા કરી તેને, બદ્રીકાશ્રમે મોકલ્યાં એને;
પછી પ્રશ્ન ઉત્તર બહુ કર્યા, નદી ઓઝતે નાવા સંચર્યા. 30
સંત હરિજન કીર્તન ગાય, તેની શોભા ન વરણવી જાય;
પાણી ભરવાનો આરો છે જયાંય, તેથી પશ્ચિમમાં હૃદ ત્યાંય.31
નાહ્યા તે હૃદમાં મુનિનાથ, નાહ્યા સંત ને હરિજન સાથ;
મેજાતા નરસિંના સુતને બોલાવી, તેને શામે સમાધિ કરાવી. 32
રઘુનાથ નામે કહેવાતો, નદીમાં તેને મેલ્યો તણાતો;
હરિભકતો કહે મહારાજ, વિપ્ર બૂડી મરી જશે આજ. 33
ત્યારે તેને શ્રીહરિયે બોલાવ્યો, ઉઠી તરત પ્રભુ પાસે આવ્યો;
બોલ્યા સહુ સુણતાં તેહ ઠામ, મેં તો જૈ જોયું અક્ષરધામ. 34
દીઠા ત્યાં સહજાનંદસ્વામી, એ જ અક્ષરધામના ધામી;
સેવામાં ઉભા મુકત અનંત, જેના ઐશ્વર્યનો નહિ અંત. 35
એવી વાત સુણી તેહવાર, પામ્યા અચરજ સૌ નરનાર;
પછી અશ્વે સજી અસવારી, આવ્યા ગામમાં શ્રીગિરધારી. 36
વાજતે ગાજતે રુડી પેર, આવ્યા નરસિંહ મેજાતાને ઘેર;
બેઠા સાંઝે સભા ભરી લાલ, લાવ્યો વશરામ નાઇ મશાલ. 37
સભામાં આરતી ધૂન્ય કરી, વાળુ કરવા પધાર્યા શ્રીહરિ;
કર્યો લાડકીબાઇયે થાળ, જમ્યા પ્રીતથી જનપ્રતિપાળ. 38
પ્રભુ પોઢ્યા પલંગમાં રાતે, પછી જાગિયા થાતે પ્રભાતે;
પછી નિત્યક્રિયા સર્વ કરી, એક અશ્વ ઉપર ચડ્યા હરી. 39
જરિયાનનાં પટ ધરી અંગે, સંત હરિજનને લઇ સંગે;
શામ આવ્યા સંધાઇને વડે, ઢોલ ત્રાંસાં નોબત ગડગડે. 40
હરિભકતે હિંડોળો બંધાવ્યો, ભાળી શ્રીહરિને મન ભાવ્યો;
ઝૂલ્યા હિંડોળે શ્રીભગવાન, કર્યું સંતોયે કીર્તનગાન. 41
લાધા જોશીને શ્રીમહારાજે, છડી આપી સમાધિને કાજે;
તેનું ઠેબું જેને અડાડાય, તેને તરત સમાધિ થાય. 42
બીજું ઠેબું અડાડે તે જયારે,જાગે તે સમાધિમાંથી ત્યારે;
એમ બહુને સમાધિ કરાવી, થાય જન બહુ આશ્રિત આવી.43
હિંદુસ્થાની ત્યાં વેરાગી કોઇ, બોલ્યો તેહ સમાધિને જોઇ;
સુણો સ્વામિનારાયણ વાત, ન જુવો તમે જાત કુજાત. 44
જેને તેને સમાધિ કરાવો, તેનું કારણ મુજને બતાવો;
સુણી બોલિયા શ્રીઅવિનાશી, એ છે અક્ષરધામના વાસી. 45
તેણે ભૂતળમાં તનું ધારી, એનું કારણ ઇચ્છા અમારી;
તેનો મર્મ તમે નવ જાણો, એથી અંતરે સંશય આણો. 46
સુણી પામ્યો અચરજ એહ, થયો આશ્રિત તત્ક્ષણ તેહ;
એમ પીપળાણા પુર વિષે, જે જે કાર કર્યો જગદીશે. 47
એમ જયાં વિચર્યા ભગવાન, કર્યા તે સ્થળ તીરથ સ્થાન;
તેનો મહિમા કહ્યો નવ જાય, મોટા જોગી કરે જાત્રાય. 48
પિપળાણેથી શામ સિધાવ્યા, અગત્રાઇને પાદર આવ્યા;
દીઠો ગામથી દક્ષિણ ભાગ, જળાશય તટ સુંદર બાગ. 49
સતસંગી ત્યાં સામૈયું લાવ્યા, બાગમાં હરિને ઉતરાવ્યા;
ભીમભાઇ ને પર્વતભાઇ, સારી સેવા સજે સુખદાઇ. 50
પૂર્વછાયો:-
અધવારું એ બે ભકતનું, હતું તેવે સમે ત્રણ ગામ;
સ્નેહ સહિત નૃપ સાંભળો, કહું તે ત્રણ ગામનાં નામ. 51
ચોપાઈ:-
માણાવદર ને અગત્રાઇ, કાળવાણી ભલું ત્રીજું ભાઇ;
માટે જે ગામ શ્રીહરિ જાય, ત્યાં તે સેવામાં હાજર થાય.52
સભામાં બેઠા શ્રીઘનશામ, આવ્યો બ્રાહ્મણ એક તે ઠામ;
નામ તેનું ઉમિયાશંકર, એક શ્વ્લોક બોલ્યો દ્વિજવર. 53
હરિમૂર્તિનું વર્ણન તેમાં, મહિમા પણ અદભુત એમાં;
તે તો શ્લોક સ્નેહે સુણી લઇ, એક જનને સમાધિ થઇ.54
દ્વિજને કહે ધર્મદુલારો, તમે શ્વ્લોક બોલ્યા બહુ સારો;
હરિનો મહિમા સુણી લઇ, હરિજનને સમાધિ થઇ. 55
સુણી વિપ્ર બોલ્યો શિર નામી, મુજ શકિત નથી એવી સ્વામી;
કથા કરતાં ઉંમર ગઇ બાધી, પણ કોઇને થઇ ન સમાધિ. 56
એવા માંહી બની બીજી વાત, કહું તે સાંભળો તમે ભ્રાત;
જુનાગઢનો કોઇ જમાદાર, બેઠો હતો તે સભા મોઝાર. 57
તેને પણ સમાધિ થઇ ત્યાંય, જોયું ધામ ખુદા રહે જયાંય;
ખુદારૂપે દીઠા શ્રીહરિને, ઉભા પાસે સલામ કરીને. 58
એક લાખ ને એંશી હજાર, ઓલિયા કરે અરજ ઉચ્ચાર;
જોયા ત્યાં ઘણા પીરાન પીર, કરે સ્તુતિ નમાવીને શીર. 59
એવું જોઇને જાગિયો જયારે, ઉમિયાશંકરે કહ્યું ત્યારે;
થયા આગળ હરિ અવતાર, આવું તો ન કર્યું કોઇ વાર. 60
આ તો જાદુ જેવું મને લાગે, ભાઇ કેમ આ ભ્રાંતિ તે ભાંગે ?
સુણી બોલિયો તે જમાદાર, આ તો નિશ્ચે ખુદા અવતાર. 61
એને બેહેસ્તમાં મેં દીઠા એવા, સજે સર્વ પેગાંબર સેવા;
મેં તો જાણી હરિની ખુદાઇ, કહો તો કહું સોગન ખાઇ.62
પુષ્પિતાગ્રાવૃત્ત:-
સુણીથઈ અતિચિત્તમાંહીશાંતિ,ઉભય તણીમનમાંથીભાંગીભ્રાંતિ;
તજી નિજ મત ગર્વ સર્વ છોડી,સરસ થયા સતસંગી સ્નેહ જોડી. 63
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ
સૌરાષ્ટ્રદેશવિચરણનામા પંચમો વિશ્રામઃ ।।5।।