પૂર્વછાયો:-

શ્રીહરિ સોરઠ દેશમાં, ગયા તે પછી જે જે ગામ;

તેહ કથા તમને કહું, સુણો નૃપ અભેસિંહનામ. 1

ચોપાઈ:-

ચાલ્યા સોરઠમાં હરિ ફરવા, કૈંક જનને કૃતારથ કરવા;

રામાનંદના વિરહી જન, શાંત કરવાને તેહનાં મન. 2

સંતમંડળ પાર્ષદ સાથ, ચાલ્યા ધોરાજીથી મુનિનાથ;

સત્રાસે થઇ ભાડેર ગયા, તહાં પાદરમાં સ્થિર થયા. 3

સતસંગી મળી સામા આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા;

ગણું મુખ્ય તો ગોકુળદાસ, ભકત વાધજીનો ત્યાં નિવાસ.4

તેના પુત્ર દેહળજી નામ, ભકત વિપ્ર રુડા દેવરામ;

તેણે પૂજા કરી ધરી ભાવ, રીઝ્યા તે થકી નટવર નાવ. 5

ત્યાંથી માણાવદર ગયા શામ, સામા આવ્યા ત્યાં ભટ મયારામ;

ભૂપ વાબી ગજેફરખાન, સામા આવી કર્યું સનમાન. 6

કર્યો ઉતારો ભટજીને ઘેર, સભા નિત્ય સજે શુભપેર;

રામાનંદની ગાદીની આશે, માંડ્યો પાખંડ રઘુનાથદાસે. 7

ગુરુડોળ બનાવીને બેશી, કાઢે શ્રીરામનંદની દેશી;

ઘનશામનું બોલે ઘસાતું, સુણી સંતે સહન નથી થાતું. 8

કહે ગાદીનો વારસ હું છું, શ્રેષ્ઠ શિષ્ય તો હું જ ઠરુ છું;

માટે મેં ગુરુનું પદ લીધું, રામાનંદે દૈવત મને દીધું. 9

એવાં સાંભળી વચન પ્રકાશ, ખીજયા સાધુ રામચર્ણદાસ;

સાધુ તે રામાનંદના શિષ્ય, વાત ભાંખતા તે તો ભવિષ્ય. 10

ચાલ્યા ત્યાં થકી તે તો રિસાઇ, કહે કેમ કરે તે ઠગાઇ ?

એનું મન છે મલીન અપાર, નથી સત્સંગમાં રહેનાર. 11

એમ કહીને ગયા સાધુ જયારે, મહારાજ ને ભટજી ત્યારે;

ગયા બેય મળીને મનાવા, કહ્યા સાધુયે ત્યાં શબ્દ આવા.12

એ છે કાનો ગરાશિયો નાતે, પણ હું તો છું વાઘેલો જાતે;

એનું બોલ્યું સહન કેમ કરું ? કેટલીક ક્ષમા ઉર ધરું. 13

એને મોકલશો કયાંઇ જયારે, તમ પાસ હું આવીશ ત્યારે;

ત્યાં સુધી બીજે ગામ ફરીશ, સતસંગમાં વાતો કરીશ. 14

તમ ઊપર છે મારે પ્રીત, રુડી તમારી જાણું છું રીત;

એમ બોલીને સંત સિધાવ્યા, ભટજી ને શ્રીજી પાછા આવ્યા. 15

પછી સંતનાં મંડળ લૈને,પીપળાણે રહ્યા પ્રભુ જૈને;

નરસિંહ મેજાતા તણે ઘેર, ઉતર્યા પ્રભુજી રુડી પેર. 16

પધરામણી ઘેરઘેર થાય, હરિભકત ઘણા હરખાય;

સભામાં ઘનશામ બિરાજે, જેમ ઉડુગણમાં શશિ છાજે. 17

હરિજનને સમાધિ કરાવી, દઉં તેનાં તે નામ ગણાવી;

મેજાતા નરસિંહ દ્વિજ ઉનેવાળ, શોભે જેનું કુટુંબ વિશાળ. 18

તેની પત્નીનું લાછુ છે નામ, પુત્ર ચાર તેના અભિરામ;

નામે કલ્યાણજી વાલજીય, રઘુનાથ તથા રવજીય. 19

લાડુબાઇ તથા માનુબાઇ, મેજાતા નરસિંની પુત્રી ગણાઇ;

નારાયણદવે હરિના ઉપાસી, આખા ગામ તણા રહેવાસી. 20

તેના પુત્ર પવિત્ર છે જેહ, કુંવરજી ગોવિંદજી તેહ;

ત્રીજા નરસિદવે કહેવાય, જીબા મીઠી બેપુત્રી ગણાય. 21

ઉકો ડાઉ આહીરની જાતી, જેને સહજે સમાધિ થાતી;

આવરણ જેણે આડું ન આવે, ધારે ત્યાં તે સ્વતંત્ર સિધાવે. 22

જોશી લાધા આદિક બેઠા આવી, સૌને હરિએ સમાધિ કરાવી;

જઇ જુવે જુદાં જુદાં ધામ, કહે જાગીને વાત તમામ. 23

લોકો અચરજ પામે ઘણાય, તેથી શ્રીજીના આશ્રિત થાય;

એવી લીલા ઘણી ઘણી કરી, પછી જમવા પધારિયા હરિ. 24

મેજાતા નરસિંના ભાઇ પ્રમાણો, જેનું નારણજી નામ જાણો;

તેની પત્નિ નામે રુકમાઇ, જેની માતા છે લાડકીબાઇ. 25

તેણે સારી રસોઇ કરીને, હેત લાવિ જમાડ્યા હરીને;

સાધુ પાળાની પંગતિ થઇ, જમાડ્યા જગજીવને જઇ. 26

પછી સાંજ સમે મહારાજ, લૈને પાર્ષદ સંતસમાજ;

એક અશ્વે થઇ અસવાર, ગયા પશ્ચિમમાં પુરબાર. 27

દીઠો સંધાઇનો વડ એક, હતાં તે વિષે ભૂત અનેક;

તેને મુકિત દેવા રુચિ કરી, બેઠા ત્યાં જ સભા સજી હરી. 28

નારાયણધૂન્ય ત્યાં તો કરાવી, ભૂતો ઉભાં રહ્યાં સર્વ આવી;

બહુ રૂવે અને રાડ્યો પાડે, અતિ દુઃખનાં ચિહ્ન દેખાડે. 29

દયાસિંધુ દયા કરી તેને, બદ્રીકાશ્રમે મોકલ્યાં એને;

પછી પ્રશ્ન ઉત્તર બહુ કર્યા, નદી ઓઝતે નાવા સંચર્યા. 30

સંત હરિજન કીર્તન ગાય, તેની શોભા ન વરણવી જાય;

પાણી ભરવાનો આરો છે જયાંય, તેથી પશ્ચિમમાં હૃદ ત્યાંય.31

નાહ્યા તે હૃદમાં મુનિનાથ, નાહ્યા સંત ને હરિજન સાથ;

મેજાતા નરસિંના સુતને બોલાવી, તેને શામે સમાધિ કરાવી. 32

રઘુનાથ નામે કહેવાતો, નદીમાં તેને મેલ્યો તણાતો;

હરિભકતો કહે મહારાજ, વિપ્ર બૂડી મરી જશે આજ. 33

ત્યારે તેને શ્રીહરિયે બોલાવ્યો, ઉઠી તરત પ્રભુ પાસે આવ્યો;

બોલ્યા સહુ સુણતાં તેહ ઠામ, મેં તો જૈ જોયું અક્ષરધામ. 34

દીઠા ત્યાં સહજાનંદસ્વામી, એ જ અક્ષરધામના ધામી;

સેવામાં ઉભા મુકત અનંત, જેના ઐશ્વર્યનો નહિ અંત. 35

એવી વાત સુણી તેહવાર, પામ્યા અચરજ સૌ નરનાર;

પછી અશ્વે સજી અસવારી, આવ્યા ગામમાં શ્રીગિરધારી. 36

વાજતે ગાજતે રુડી પેર, આવ્યા નરસિંહ મેજાતાને ઘેર;

બેઠા સાંઝે સભા ભરી લાલ, લાવ્યો વશરામ નાઇ મશાલ. 37

સભામાં આરતી ધૂન્ય કરી, વાળુ કરવા પધાર્યા શ્રીહરિ;

કર્યો લાડકીબાઇયે થાળ, જમ્યા પ્રીતથી જનપ્રતિપાળ. 38

પ્રભુ પોઢ્યા પલંગમાં રાતે, પછી જાગિયા થાતે પ્રભાતે;

પછી નિત્યક્રિયા સર્વ કરી, એક અશ્વ ઉપર ચડ્યા હરી. 39

જરિયાનનાં પટ ધરી અંગે, સંત હરિજનને લઇ સંગે;

શામ આવ્યા સંધાઇને વડે, ઢોલ ત્રાંસાં નોબત ગડગડે. 40

હરિભકતે હિંડોળો બંધાવ્યો, ભાળી શ્રીહરિને મન ભાવ્યો;

ઝૂલ્યા હિંડોળે શ્રીભગવાન, કર્યું સંતોયે કીર્તનગાન. 41

લાધા જોશીને શ્રીમહારાજે, છડી આપી સમાધિને કાજે;

તેનું ઠેબું જેને અડાડાય, તેને તરત સમાધિ થાય. 42

બીજું ઠેબું અડાડે તે જયારે,જાગે તે સમાધિમાંથી ત્યારે;

એમ બહુને સમાધિ કરાવી, થાય જન બહુ આશ્રિત આવી.43

હિંદુસ્થાની ત્યાં વેરાગી કોઇ, બોલ્યો તેહ સમાધિને જોઇ;

સુણો સ્વામિનારાયણ વાત, ન જુવો તમે જાત કુજાત. 44

જેને તેને સમાધિ કરાવો, તેનું કારણ મુજને બતાવો;

સુણી બોલિયા શ્રીઅવિનાશી, એ છે અક્ષરધામના વાસી. 45

તેણે ભૂતળમાં તનું ધારી, એનું કારણ ઇચ્છા અમારી;

તેનો મર્મ તમે નવ જાણો, એથી અંતરે સંશય આણો. 46

સુણી પામ્યો અચરજ એહ, થયો આશ્રિત તત્ક્ષણ તેહ;

એમ પીપળાણા પુર વિષે, જે જે કાર કર્યો જગદીશે. 47

એમ જયાં વિચર્યા ભગવાન, કર્યા તે સ્થળ તીરથ સ્થાન;

તેનો મહિમા કહ્યો નવ જાય, મોટા જોગી કરે જાત્રાય. 48

પિપળાણેથી શામ સિધાવ્યા, અગત્રાઇને પાદર આવ્યા;

દીઠો ગામથી દક્ષિણ ભાગ, જળાશય તટ સુંદર બાગ. 49

સતસંગી ત્યાં સામૈયું લાવ્યા, બાગમાં હરિને ઉતરાવ્યા;

ભીમભાઇ ને પર્વતભાઇ, સારી સેવા સજે સુખદાઇ. 50

પૂર્વછાયો:-

અધવારું એ બે ભકતનું, હતું તેવે સમે ત્રણ ગામ;

સ્નેહ સહિત નૃપ સાંભળો, કહું તે ત્રણ ગામનાં નામ. 51

ચોપાઈ:-

માણાવદર ને અગત્રાઇ, કાળવાણી ભલું ત્રીજું ભાઇ;

માટે જે ગામ શ્રીહરિ જાય, ત્યાં તે સેવામાં હાજર થાય.52

સભામાં બેઠા શ્રીઘનશામ, આવ્યો બ્રાહ્મણ એક તે ઠામ;

નામ તેનું ઉમિયાશંકર, એક શ્વ્લોક બોલ્યો દ્વિજવર. 53

હરિમૂર્તિનું વર્ણન તેમાં, મહિમા પણ અદભુત એમાં;

તે તો શ્લોક સ્નેહે સુણી લઇ, એક જનને સમાધિ થઇ.54

દ્વિજને કહે ધર્મદુલારો, તમે શ્વ્લોક બોલ્યા બહુ સારો;

હરિનો મહિમા સુણી લઇ, હરિજનને સમાધિ થઇ. 55

સુણી વિપ્ર બોલ્યો શિર નામી, મુજ શકિત નથી એવી સ્વામી;

કથા કરતાં ઉંમર ગઇ બાધી, પણ કોઇને થઇ ન સમાધિ. 56

એવા માંહી બની બીજી વાત, કહું તે સાંભળો તમે ભ્રાત;

જુનાગઢનો કોઇ જમાદાર, બેઠો હતો તે સભા મોઝાર. 57

તેને પણ સમાધિ થઇ ત્યાંય, જોયું ધામ ખુદા રહે જયાંય;

ખુદારૂપે દીઠા શ્રીહરિને, ઉભા પાસે સલામ કરીને. 58

એક લાખ ને એંશી હજાર, ઓલિયા કરે અરજ ઉચ્ચાર;

જોયા ત્યાં ઘણા પીરાન પીર, કરે સ્તુતિ નમાવીને શીર. 59

એવું જોઇને જાગિયો જયારે, ઉમિયાશંકરે કહ્યું ત્યારે;

થયા આગળ હરિ અવતાર, આવું તો ન કર્યું કોઇ વાર. 60

આ તો જાદુ જેવું મને લાગે, ભાઇ કેમ આ ભ્રાંતિ તે ભાંગે ?

સુણી બોલિયો તે જમાદાર, આ તો નિશ્ચે ખુદા અવતાર. 61

એને બેહેસ્તમાં મેં દીઠા એવા, સજે સર્વ પેગાંબર સેવા;

મેં તો જાણી હરિની ખુદાઇ, કહો તો કહું સોગન ખાઇ.62

પુષ્પિતાગ્રાવૃત્ત:-

સુણીથઈ અતિચિત્તમાંહીશાંતિ,ઉભય તણીમનમાંથીભાંગીભ્રાંતિ;

તજી નિજ મત ગર્વ સર્વ છોડી,સરસ થયા સતસંગી સ્નેહ જોડી. 63

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ

સૌરાષ્ટ્રદેશવિચરણનામા પંચમો વિશ્રામઃ ।।5।।