પૂર્વછાયો:-

સ્વામીનું કાર્ય ગયા પછી, મુકતાનંદને કહે મહારાજ;

સંતનું મંડળ સંગ લઇ, તમે ભુજ પધારો આજ. 1

ચોપાઈ:-

ત્યાંના જાણે છે ભકત સુજાણ, રામાનંદને જીવન પ્રાણ;

સ્વામી જાતાં તે થૈને નિરાશી, હશે અંતરે અધિક ઉદાસી. 2

માટે જૈ તમે ધીરજ આપો, કષ્ટ વિરહવિજોગનું કાપો;

મુકતાનંદે તે આગન્યા ધારી, હાથ જોડીને વિનતિ ઉચ્ચારી. 3

આજ્ઞા આપની શીશ ધરીશ, ભુજ જૈ કહ્યું તેમ કરીશ;

પણ વાત કહું એક જેહ, લેજો અંતરમાં ધરી તેહ. 4

અભિમાની આ રઘુનાથદાસ, રહે એવી મને નથી આશ;

અંતે સત્સંગમાંથી તો જાશે, પૂરેપૂરો વળી દ્રોહી થાશે. 5

એને ગમતાં વચન ઉચરીને, રાખજો જેમ તેમ કરીને;

જે જે બોલે તે બોલ સાંભળજો, અમદાબાદ એને મોકલજો. 6

એવી વાત વદીને વિશેષ, મુનિ મુકત ગયા કચ્છ દેશ;

ઘણા સાધુ રહ્યા પ્રભુ પાસ, તેમાં મોટેરા તો રામદાસ. 7

જે જે કામ શ્રીહરિ આદરે, તે તો તેહને પૂછીને કરે;

ભાવે સુણો અભેસિંહ ભ્રાત, હવે શ્રીહરિની કહું વાત. 8

પૂર્વછાયો:-

વિપ્ર મહાભકત માવજી, જેનું ધોરાજીમાં ધામ;

રામાનંદના કાર્યમાં, આવ્યા હતા ફણેણી ગામ. 9

ચોપાઈ:-

તેણે પ્રેમથી શ્રીહરિ પાસ, કર્યા વિનતિનાં વચન પ્રકાશ;

દયાસિંધુ દયા દિલ ધારો, ધર્મપુત્ર ધોરાજી પધારો. 10

રામાનંદના શિષ્ય છે જેહ, ઇચ્છે દર્શન આપનું એહ;

ઘણા નાસ્તિક જન ત્યાં રહે છે, સ્વર્ગ નરકને મિથ્યા કહે છે.11

તેને જીતી કરો જેજેકાર, વેદધર્મનો થાય પ્રસાર;

ધર્મ સ્થાપવાને ધર્યો દેહ, માટે કામ કરો પ્રભુ તેહ. 12

એવી અરજી સુણી થયા રાજી, ધર્મપુત્ર પધાર્યા ધોરાજી;

વિપ્ર માવજી કેરે નિવાસ, કર્યો ઉતારો શ્રીઅવિનાશ. 13

આંગણામાં સભા ભલી ભરી, સિંહાસનમાં બિરાજયા શ્રીહરિ;

દૈવી જીવ જે ત્યાંના નિવાસી, આવ્યા દર્શન કરવા હુલ્લાશી. 14

નાથે નજર તેઓ સામી સાંધી, થઈ સૌ જનને ત્યાં સમાધિ;

જોયો કોઇયે વૈકુંઠવાસ, જોયો કોઇયે ગિરિ કૈલાશ. 15

કોઇ ગોલોક ધામમાં ગયા, કોઇ બ્રહ્મસદન સ્થિર થયા;

કોઇયે શ્વેતદ્વિપ નિહાળ્યો, કોઇયે નિજ આત્માને ભાળ્યો.16

જન જાગ્યા સમાધિથી જયારે, જે જે જોયું તે તે કહ્યું ત્યારે;

પેખી પ્રગટ પ્રભુનો પ્રતાપ, સતસંગી થયા તજી પાપ. 17

આખા પુર વિષે પ્રસરી વાત, એ તો અદ્ભુત જાણ્યું અઘાત;

કૈંક જોગી મરે જોગ સાધી, તોય થાય ન તેને સમાધી. 18

જોગ સાધ્યા વિના આ તો થાય, નિશ્ચે શ્રીપ્રભુ પ્રગટ્યા જણાય;

જન ટોળે ટોળાં મળી આવે, કરી દર્શન મન મુદ લાવે. 19

જેવો નાસ્તિક મત ચાર્વાક, એવા મતના જે લોક ઘણાક;

વેદ બ્રાહ્મણને સાધુ સારા, સદા તેની નિંદા કરનારા. 20

વેદ શાસ્ત્રને કલ્પિત જાણે, સ્વર્ગ નરક અસત્ય પ્રમાણે;

કદી ન કરે તીરથ વ્રત દાન, નહીં ગોવિંદના ગુણગાન.21

શિષ્નોદરના જ સ્વાદને ઇચ્છે, પાપપુણ્ય કશામાં ન પ્રીછે;

વાદ વદવા કરી નીરધાર, આવ્યા શ્રીપ્રભુ પાસ અપાર. 22

તેની આગળ હરિ સાક્ષાત, કહી વેદના ધર્મની વાત;

વરણાશ્રમના ધર્મ પાળે, યજ્ઞ યાગ કરે અઘ ટાળે. 23

તે તો સ્વર્ગ તણાં સુખ લે છે, વેદ તો એવાં વાકય વદે છે;

થાય ઇશ્વરનો અવતાર, થાપે ધર્મ શ્રુતિ અનુસાર. 24

કરે આજ્ઞા તે જે સમે જેવી, પાળે જે જન તે સમે તેવી;

તે તો મોક્ષ ગતીયે જ જાય, ફરી જન્મમરણ નવ થાય. 25

જન જે પાપ પંથે ચડે છે, તે તો નરકના કુંડે પડે છે;

જમના દુત મારે છે માર, પીડા પામે છે અપરમપાર. 26

માટે પાપ કદાપિ ન કરવું, સદાચરણ સદૈવ આચરવું;

વદ્યા એવાં વચન ભગવાન, બોલ્યા નાસ્તિક ધરી અભિમાન. 27

કેવી સારી શોધી કાઢી જુકિત, મળે ધર્મે મુવા પછી મુકિત;

પેલા ભવનો તે વાયદો સારો, કોણ જાણે તે કોણ જોનારો. 28

કરે સંસારનાં સુખ ત્યાગ, અમે જાણિયે એનાં અભાગ્ય;

ખાવું પીવું ખુશી થવું જેહ, જન્મનું ફળ જાણિયે તેહ. 29

કોણે દીઠાં છે પુણ્ય ને પાપ, સમજાવોજી અમને આપ;

સુણી બોલિયા શ્રીગિરધારી, જુઓ ચિત્તમાં ઉંડું વિચારી. 30

ઉપજાતિવૃત્ત:-

જો પુણ્ય ને પાપ ખરું ન હોય, તો દુઃખી સુખી ન જણાય કોય;

રાજા તથા રંક જનો જણાય, તે પુણ્ય ને પાપ થકી જ થાય.31

જો એક આરોગ્ય દિસે અતિશે, જો એક જન્માંધ દરિદ્ર દિસે;

જો પુણ્ય ને પાપ ન હોય ભાઇ, જણાય એવી નહીં રે જુદાઇ.32

જો એક મિષ્ટાન્ન સદા જમે છે, જો એક ભીક્ષા કરવા ભમે છે;

તથાપિ તે પેટ નહીં ભરાય, તો પુણ્ય ને પાપ ખરું જણાય.33

જો એકને વાહન અશ્વ હાથી, જો એક જીવે જન કાસદાથી;

જો એકને છત્ર શિરે ધરાય, જો એક તાપે રણમધ્ય જાય.34

જો કૈંક છે પાલખી બેસનારા, બીજા ઉપાડી વિચરે બિચારા;

એવું ઘણુંયે નજરે નિહાળે, તથાપિ પાપી નહિં ધર્મ પાળે. 35

જે પૂર્વર્ જન્મે સુકૃતો કરેલાં, તે આ ભવે ભોગવવા ઠરેલાં;

આ જન્મમાં જે કરશો કમાઇ, બીજે ભવે ભોગવશો જ ભાઇ.36

ઉન્મત્તતામાં નહિ પાપ ભાસે, ઉન્મત્તતા દુઃખ પડે વિનાસે;

તેવે સમે તો પ્રભુ સત્ય જાણી, પસ્તાય છે પાપ તપાસી પ્રાણી. 37

યથાતથા વાદ વૃથા વિસારી, કથા તથા કીર્તનને ઉચ્ચારી;

ભજો રથારૂઢ રથાંગધારી, અથાહ સંસારવ્યથા નિવારી. 38

અરે ઉરે સાર વિચાર આણી, શ્રુત્યાદિ સચ્છાસ્ત્ર સુસત્ય જાણી;

ચિત્તે કરો ચિંતન નિત્ય ચેતિ, ગોવિંદ દામોદર માધવેતિ.39

પૂર્વછાયો:-

તે સુણીને નાસ્તિક કહે, કયાં છે કૃષ્ણ જગતકરતાર ?

દિઠા વિના કેમ માનિયે ? માનવાનો તે શો આધાર ? 40

જગત્કર્તા પરમેશ્વર છે તે વિષે:- ચોપાઈ:-

સુણી બોલિયા સુંદરશામ, પરમેશ્વરનાં જુઓ કામ;

જેણે પૃથવી બનાવી આ છે, જેણે સાગર શૈલ કર્યા છે. 41

પશુ પક્ષી વનસ્પતિ પ્રાણી, રચ્યાં જેણે ઘણી જુકિત આણી;

કાયા માણસની રુડી કીધી, તેમાં જુકિત કેવી કરી દીધી. 42

અંગોઅંગ તપાસીને ભાઇ, જુવો ઇશ્વરની ચતુરાઇ;

આંખ્યમાં જળ ઉતરે ન જેમ, કરી ભમર્યો છજા જેવી તેમ. 43

તાજું દૂધ બાળકને કાજે, માના સ્તનમાં કર્યું મહારાજે;

કેમ રુધિરનું દૂધ તે થયું ? કેમ કામ મટ્યે મટી ગયું ? 44

એવી જુકિત જણાય અપાર, કેમ થાય વિના કરનાર ?

કર્યા સૂર્ય શશિ ગ્રહ તારા, યથાયોગ્ય પ્રકાશ દેનારા. 45

તેનો નિયંતા જો નવ ઠરે, કેમ નિયમ પ્રમાણે તે ફરે?

વાયુ નિયમ પ્રમાણે જ વાય, વૃષ્ટિ નિયમ પ્રમાણે જ થાય.46

જુવો સાગરને નથી પાળ્ય, તોય હદ ન તજે કોઇ કાળ;

એવી રચના નિહાળી અપાર, નિશ્ચે જાણો છે જગ કરનાર. 47

શ્વેત રંગે રંગ્યા જુવો હંસ, કર્યો કાળો કોકિલનો વંશ;

જુવો પોપટ લીલો જણાય, કરતાર વિના કેમ થાય ? 48

જુવો પવન તો નજરે ન પડે, પણ તરુવર ડોલે તેવડે;

દેખી દૂરથી નિશ્ચય થાય, કહે પવન ઘણો ત્યાં વાય. 49

વીશ કોશ ઉપર થાય વૃષ્ટિ, દેખે દૂરથી નહીં જનદષ્ટિ;

પણ આવે નદી માંહી પૂર, જાણે વૃષ્ટિ થઇ તે જરૂર. 50

તેમ રચના આ સૃષ્ટિની જોઇ,જાણો નિશ્ચે છે કરનાર કોઇ;

એવા સાંભળી હરિનાં વચન, માન્યું નાસ્તિકનું નહિ મન. 51

કહે નાસ્તિક કોણ બનાવે, સૃષ્ટિ થાય ને જાય સ્વભાવે;

કર્યા વગર જો કંઇ ન થાય, કહો ઇશ્વરનો કર્તાય. 52

અતિ ચતુર તે ઇશ્વર ઠર્યો, એવો એને કહો કેણે કર્યો?

સુણી બોલિયા સુંદરશામ, તમે સાંભળો વાદી તમામ. 53

નભમાં બહુ ઉપજે સમાય, પણ આકાશ સિદ્ધ સદાય;

એમ ઇશ્વર શાશ્વત એ છે, એની ઇચ્છાયે જગ ઉપજે છે.54

કહો તો વેદવાકય બતાવું, કહો તો શાસ્ત્રથી સમઝાવું;

સુણી બોલિયા નાસ્તિક વાણી, વેદવાણી તો કલ્પિત જાણી. 55

શાસ્ત્રની અમને ન પ્રતીત, અમે માનીયે જુકિતની રીત;

કહે કૃષ્ણ જો શાસ્ત્ર તજાશે, ત્યારે વિશ્વની શી ગતિ થાશે? 56

શાસ્ત્રના વિશ્વાસ વિષે:- ઉપજાતિવૃત્ત:-

સદ્ધર્મ તો શાસ્ત્ર થકી જણાય, સદ્ધર્મથી સર્વ સુખી સદાય;

જો ધર્મ કેરો ન રહે પ્રવેશ, તો પાપથી સર્વ પિડાય દેશ. 57

જેવી સ્થિતિ જાણ જનાવરોની, જેવી સ્થિતિ નારી તથા નરોની;

ડરે ન ચોરી વ્યભિચાર દોષે, લૈ પારકાં પ્રાણ સ્વપંડ પોષે. 58

શાસ્ત્ર પ્રમાણે જ વિવાહ થાય, શાસ્ત્રો સુણી માત પિતા પૂજાય;

વિશ્વાસ જો શાસ્ત્ર તણો ન હોય, તો રીતિ સારી ન ધરે જ કોય.59

ગરીબને તો બળવાન મારે, દયા ન ધારે દિલમાં લગારે;

ન સ્વર્ગ આશા જમનો ન ત્રાસ, કુકર્મમાં કેમ કરે કચાશ ? 60

માતા સુતા કે ભગિની સગાઇ, છે સર્વ સચ્છાસ્ત્ર થકી જ ભાઇ;

પક્ષી પશુ શાસ્ત્ર ન જાણનારાં, સગાઇમાં શું સમજે બિચારાં. 61

મનુષ્યકેરી મન જુકિત કેવી, જે દીશ ચાલે વહિ જાય તેવી;

આકાશમાં જાય હવાઇ જેમ, જોરે ભરેલી અટકે ન એમ. 62

જો કલ્પના શુદ્ધપથે સિધાવે, સંસારસિંધુ તરી પાર લાવે;

જો કલ્પના કુત્સિત માર્ગ જાય, તો વિપ્રનો પુત્ર કસાઇ થાય.63

જે શાસ્ત્ર વાંચી દ્વિજ તો રળે છે, જે શાસ્ત્રથી મોદક તો મળે છે;

તે શાસ્ત્રને કલ્પિત જે ગણો છો, બેઠા તણી ડાળ તમે હણો છો.64

જે શાસ્ત્ર સત્તા દ્વિજની વધારે, પૂજાય વિપ્રો પણ શાસ્ત્રદ્વારે;

તે શાસ્ત્ર મિથ્યા કરવા જ લાગ્યા, જૂવો દ્વિજો આજ સપૂત જાગ્યા. 65

વશ્યા ૠષી જેહ અરણ્ય વાસે, ન જાણતા નાસ્તિક પુત્ર થાશે;

વ્યાપ્યો કળીકાળ અશેષ અંશે, પુત્રો થયા નાસ્તિક વિપ્રવંશે. 66

ધિક્કાર માતા ધિક તાત તેનો, જોતાં દિસે નાસ્તિક પુત્ર જેનો;

તે તાતનો વંશ ડુબાવનારો, છે દૈત્ય કે રાક્ષસ છે નઠારો. 67

ચોપાઈ:-

એવા શબ્દ સુણી સુણી સાચા, થઇ નાસ્તિકની બંધ વાચા;

ડરે થરથર ધ્રુજયાં શરીર, વહ્યાં નેણ થકી ઘણાં નીર. 68

શિશ નામી બોલ્યા તતખેવ, પ્રભુ છો તમે દેવના દેવ;

સ્વર્ગ નરક તો અમને દેખાડો, મન સંશય સર્વ મટાડો. 69

દયાસિંધુયે દિલ દયા લાવી, નાસ્તિકોને સમાધિ કરાવી;

સૌને દેખાડ્યા નરકના કુંડ, જોયાં ત્યાં જમદૂતના ઝૂંડ. 70

પાપી જાણી પકડવાને આવ્યા, ડશી હોઠને ખૂબ ડરાવ્યા;

લીધું સ્વામિનારાયણ નામ, ત્યારે તે રહ્યા દૂર તમામ. 71

દેવ એવે સમે એક આવ્યો, લેઇ નાસ્તિક સ્વર્ગે સિધાવ્યો;

દેવ દેવીનાં દેખાડ્યાં સ્થાન, ઘણા વૈભવ વિવિધ વિમાન. 72

જેણે જેવો સાધ્યો તપ જોગ, તેવા ભોગવે વૈભવ ભોગ;

એવું જોઇ સમાધિથી જાગ્યા, પ્રભુને પગે પ્રેમથી લાગ્યા.73

ભકિતપુત્ર જાણ્યા ભગવાન, થયા શિષ્ય તજી અભિમાન;

એમ નાસ્તિક મત જીતી લીધો, ધોરાજીમાં જેજેકાર કીધો. 74

પુષ્પિતાગ્રાવૃત્ત:-

સુણ નરપતિ એમ નાસ્તિકોને, જગપતિ જીતી ખુશી કર્યા જનોને;

શ્રુતિ મત શુદ્ધ તેહ થાપ્યો, અધરમરૂપ અશાસ્ત્ર વાદ કાપ્યો. 75

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિનાસ્તિક- મતપરાજયકરનામા ચતુર્થો વિશ્રામઃ ।।4।।