પૂર્વછાયો:-
સ્વામીનું કાર્ય ગયા પછી, મુકતાનંદને કહે મહારાજ;
સંતનું મંડળ સંગ લઇ, તમે ભુજ પધારો આજ. 1
ચોપાઈ:-
ત્યાંના જાણે છે ભકત સુજાણ, રામાનંદને જીવન પ્રાણ;
સ્વામી જાતાં તે થૈને નિરાશી, હશે અંતરે અધિક ઉદાસી. 2
માટે જૈ તમે ધીરજ આપો, કષ્ટ વિરહવિજોગનું કાપો;
મુકતાનંદે તે આગન્યા ધારી, હાથ જોડીને વિનતિ ઉચ્ચારી. 3
આજ્ઞા આપની શીશ ધરીશ, ભુજ જૈ કહ્યું તેમ કરીશ;
પણ વાત કહું એક જેહ, લેજો અંતરમાં ધરી તેહ. 4
અભિમાની આ રઘુનાથદાસ, રહે એવી મને નથી આશ;
અંતે સત્સંગમાંથી તો જાશે, પૂરેપૂરો વળી દ્રોહી થાશે. 5
એને ગમતાં વચન ઉચરીને, રાખજો જેમ તેમ કરીને;
જે જે બોલે તે બોલ સાંભળજો, અમદાબાદ એને મોકલજો. 6
એવી વાત વદીને વિશેષ, મુનિ મુકત ગયા કચ્છ દેશ;
ઘણા સાધુ રહ્યા પ્રભુ પાસ, તેમાં મોટેરા તો રામદાસ. 7
જે જે કામ શ્રીહરિ આદરે, તે તો તેહને પૂછીને કરે;
ભાવે સુણો અભેસિંહ ભ્રાત, હવે શ્રીહરિની કહું વાત. 8
પૂર્વછાયો:-
વિપ્ર મહાભકત માવજી, જેનું ધોરાજીમાં ધામ;
રામાનંદના કાર્યમાં, આવ્યા હતા ફણેણી ગામ. 9
ચોપાઈ:-
તેણે પ્રેમથી શ્રીહરિ પાસ, કર્યા વિનતિનાં વચન પ્રકાશ;
દયાસિંધુ દયા દિલ ધારો, ધર્મપુત્ર ધોરાજી પધારો. 10
રામાનંદના શિષ્ય છે જેહ, ઇચ્છે દર્શન આપનું એહ;
ઘણા નાસ્તિક જન ત્યાં રહે છે, સ્વર્ગ નરકને મિથ્યા કહે છે.11
તેને જીતી કરો જેજેકાર, વેદધર્મનો થાય પ્રસાર;
ધર્મ સ્થાપવાને ધર્યો દેહ, માટે કામ કરો પ્રભુ તેહ. 12
એવી અરજી સુણી થયા રાજી, ધર્મપુત્ર પધાર્યા ધોરાજી;
વિપ્ર માવજી કેરે નિવાસ, કર્યો ઉતારો શ્રીઅવિનાશ. 13
આંગણામાં સભા ભલી ભરી, સિંહાસનમાં બિરાજયા શ્રીહરિ;
દૈવી જીવ જે ત્યાંના નિવાસી, આવ્યા દર્શન કરવા હુલ્લાશી. 14
નાથે નજર તેઓ સામી સાંધી, થઈ સૌ જનને ત્યાં સમાધિ;
જોયો કોઇયે વૈકુંઠવાસ, જોયો કોઇયે ગિરિ કૈલાશ. 15
કોઇ ગોલોક ધામમાં ગયા, કોઇ બ્રહ્મસદન સ્થિર થયા;
કોઇયે શ્વેતદ્વિપ નિહાળ્યો, કોઇયે નિજ આત્માને ભાળ્યો.16
જન જાગ્યા સમાધિથી જયારે, જે જે જોયું તે તે કહ્યું ત્યારે;
પેખી પ્રગટ પ્રભુનો પ્રતાપ, સતસંગી થયા તજી પાપ. 17
આખા પુર વિષે પ્રસરી વાત, એ તો અદ્ભુત જાણ્યું અઘાત;
કૈંક જોગી મરે જોગ સાધી, તોય થાય ન તેને સમાધી. 18
જોગ સાધ્યા વિના આ તો થાય, નિશ્ચે શ્રીપ્રભુ પ્રગટ્યા જણાય;
જન ટોળે ટોળાં મળી આવે, કરી દર્શન મન મુદ લાવે. 19
જેવો નાસ્તિક મત ચાર્વાક, એવા મતના જે લોક ઘણાક;
વેદ બ્રાહ્મણને સાધુ સારા, સદા તેની નિંદા કરનારા. 20
વેદ શાસ્ત્રને કલ્પિત જાણે, સ્વર્ગ નરક અસત્ય પ્રમાણે;
કદી ન કરે તીરથ વ્રત દાન, નહીં ગોવિંદના ગુણગાન.21
શિષ્નોદરના જ સ્વાદને ઇચ્છે, પાપપુણ્ય કશામાં ન પ્રીછે;
વાદ વદવા કરી નીરધાર, આવ્યા શ્રીપ્રભુ પાસ અપાર. 22
તેની આગળ હરિ સાક્ષાત, કહી વેદના ધર્મની વાત;
વરણાશ્રમના ધર્મ પાળે, યજ્ઞ યાગ કરે અઘ ટાળે. 23
તે તો સ્વર્ગ તણાં સુખ લે છે, વેદ તો એવાં વાકય વદે છે;
થાય ઇશ્વરનો અવતાર, થાપે ધર્મ શ્રુતિ અનુસાર. 24
કરે આજ્ઞા તે જે સમે જેવી, પાળે જે જન તે સમે તેવી;
તે તો મોક્ષ ગતીયે જ જાય, ફરી જન્મમરણ નવ થાય. 25
જન જે પાપ પંથે ચડે છે, તે તો નરકના કુંડે પડે છે;
જમના દુત મારે છે માર, પીડા પામે છે અપરમપાર. 26
માટે પાપ કદાપિ ન કરવું, સદાચરણ સદૈવ આચરવું;
વદ્યા એવાં વચન ભગવાન, બોલ્યા નાસ્તિક ધરી અભિમાન. 27
કેવી સારી શોધી કાઢી જુકિત, મળે ધર્મે મુવા પછી મુકિત;
પેલા ભવનો તે વાયદો સારો, કોણ જાણે તે કોણ જોનારો. 28
કરે સંસારનાં સુખ ત્યાગ, અમે જાણિયે એનાં અભાગ્ય;
ખાવું પીવું ખુશી થવું જેહ, જન્મનું ફળ જાણિયે તેહ. 29
કોણે દીઠાં છે પુણ્ય ને પાપ, સમજાવોજી અમને આપ;
સુણી બોલિયા શ્રીગિરધારી, જુઓ ચિત્તમાં ઉંડું વિચારી. 30
ઉપજાતિવૃત્ત:-
જો પુણ્ય ને પાપ ખરું ન હોય, તો દુઃખી સુખી ન જણાય કોય;
રાજા તથા રંક જનો જણાય, તે પુણ્ય ને પાપ થકી જ થાય.31
જો એક આરોગ્ય દિસે અતિશે, જો એક જન્માંધ દરિદ્ર દિસે;
જો પુણ્ય ને પાપ ન હોય ભાઇ, જણાય એવી નહીં રે જુદાઇ.32
જો એક મિષ્ટાન્ન સદા જમે છે, જો એક ભીક્ષા કરવા ભમે છે;
તથાપિ તે પેટ નહીં ભરાય, તો પુણ્ય ને પાપ ખરું જણાય.33
જો એકને વાહન અશ્વ હાથી, જો એક જીવે જન કાસદાથી;
જો એકને છત્ર શિરે ધરાય, જો એક તાપે રણમધ્ય જાય.34
જો કૈંક છે પાલખી બેસનારા, બીજા ઉપાડી વિચરે બિચારા;
એવું ઘણુંયે નજરે નિહાળે, તથાપિ પાપી નહિં ધર્મ પાળે. 35
જે પૂર્વર્ જન્મે સુકૃતો કરેલાં, તે આ ભવે ભોગવવા ઠરેલાં;
આ જન્મમાં જે કરશો કમાઇ, બીજે ભવે ભોગવશો જ ભાઇ.36
ઉન્મત્તતામાં નહિ પાપ ભાસે, ઉન્મત્તતા દુઃખ પડે વિનાસે;
તેવે સમે તો પ્રભુ સત્ય જાણી, પસ્તાય છે પાપ તપાસી પ્રાણી. 37
યથાતથા વાદ વૃથા વિસારી, કથા તથા કીર્તનને ઉચ્ચારી;
ભજો રથારૂઢ રથાંગધારી, અથાહ સંસારવ્યથા નિવારી. 38
અરે ઉરે સાર વિચાર આણી, શ્રુત્યાદિ સચ્છાસ્ત્ર સુસત્ય જાણી;
ચિત્તે કરો ચિંતન નિત્ય ચેતિ, ગોવિંદ દામોદર માધવેતિ.39
પૂર્વછાયો:-
તે સુણીને નાસ્તિક કહે, કયાં છે કૃષ્ણ જગતકરતાર ?
દિઠા વિના કેમ માનિયે ? માનવાનો તે શો આધાર ? 40
જગત્કર્તા પરમેશ્વર છે તે વિષે:- ચોપાઈ:-
સુણી બોલિયા સુંદરશામ, પરમેશ્વરનાં જુઓ કામ;
જેણે પૃથવી બનાવી આ છે, જેણે સાગર શૈલ કર્યા છે. 41
પશુ પક્ષી વનસ્પતિ પ્રાણી, રચ્યાં જેણે ઘણી જુકિત આણી;
કાયા માણસની રુડી કીધી, તેમાં જુકિત કેવી કરી દીધી. 42
અંગોઅંગ તપાસીને ભાઇ, જુવો ઇશ્વરની ચતુરાઇ;
આંખ્યમાં જળ ઉતરે ન જેમ, કરી ભમર્યો છજા જેવી તેમ. 43
તાજું દૂધ બાળકને કાજે, માના સ્તનમાં કર્યું મહારાજે;
કેમ રુધિરનું દૂધ તે થયું ? કેમ કામ મટ્યે મટી ગયું ? 44
એવી જુકિત જણાય અપાર, કેમ થાય વિના કરનાર ?
કર્યા સૂર્ય શશિ ગ્રહ તારા, યથાયોગ્ય પ્રકાશ દેનારા. 45
તેનો નિયંતા જો નવ ઠરે, કેમ નિયમ પ્રમાણે તે ફરે?
વાયુ નિયમ પ્રમાણે જ વાય, વૃષ્ટિ નિયમ પ્રમાણે જ થાય.46
જુવો સાગરને નથી પાળ્ય, તોય હદ ન તજે કોઇ કાળ;
એવી રચના નિહાળી અપાર, નિશ્ચે જાણો છે જગ કરનાર. 47
શ્વેત રંગે રંગ્યા જુવો હંસ, કર્યો કાળો કોકિલનો વંશ;
જુવો પોપટ લીલો જણાય, કરતાર વિના કેમ થાય ? 48
જુવો પવન તો નજરે ન પડે, પણ તરુવર ડોલે તેવડે;
દેખી દૂરથી નિશ્ચય થાય, કહે પવન ઘણો ત્યાં વાય. 49
વીશ કોશ ઉપર થાય વૃષ્ટિ, દેખે દૂરથી નહીં જનદષ્ટિ;
પણ આવે નદી માંહી પૂર, જાણે વૃષ્ટિ થઇ તે જરૂર. 50
તેમ રચના આ સૃષ્ટિની જોઇ,જાણો નિશ્ચે છે કરનાર કોઇ;
એવા સાંભળી હરિનાં વચન, માન્યું નાસ્તિકનું નહિ મન. 51
કહે નાસ્તિક કોણ બનાવે, સૃષ્ટિ થાય ને જાય સ્વભાવે;
કર્યા વગર જો કંઇ ન થાય, કહો ઇશ્વરનો કર્તાય. 52
અતિ ચતુર તે ઇશ્વર ઠર્યો, એવો એને કહો કેણે કર્યો?
સુણી બોલિયા સુંદરશામ, તમે સાંભળો વાદી તમામ. 53
નભમાં બહુ ઉપજે સમાય, પણ આકાશ સિદ્ધ સદાય;
એમ ઇશ્વર શાશ્વત એ છે, એની ઇચ્છાયે જગ ઉપજે છે.54
કહો તો વેદવાકય બતાવું, કહો તો શાસ્ત્રથી સમઝાવું;
સુણી બોલિયા નાસ્તિક વાણી, વેદવાણી તો કલ્પિત જાણી. 55
શાસ્ત્રની અમને ન પ્રતીત, અમે માનીયે જુકિતની રીત;
કહે કૃષ્ણ જો શાસ્ત્ર તજાશે, ત્યારે વિશ્વની શી ગતિ થાશે? 56
શાસ્ત્રના વિશ્વાસ વિષે:- ઉપજાતિવૃત્ત:-
સદ્ધર્મ તો શાસ્ત્ર થકી જણાય, સદ્ધર્મથી સર્વ સુખી સદાય;
જો ધર્મ કેરો ન રહે પ્રવેશ, તો પાપથી સર્વ પિડાય દેશ. 57
જેવી સ્થિતિ જાણ જનાવરોની, જેવી સ્થિતિ નારી તથા નરોની;
ડરે ન ચોરી વ્યભિચાર દોષે, લૈ પારકાં પ્રાણ સ્વપંડ પોષે. 58
શાસ્ત્ર પ્રમાણે જ વિવાહ થાય, શાસ્ત્રો સુણી માત પિતા પૂજાય;
વિશ્વાસ જો શાસ્ત્ર તણો ન હોય, તો રીતિ સારી ન ધરે જ કોય.59
ગરીબને તો બળવાન મારે, દયા ન ધારે દિલમાં લગારે;
ન સ્વર્ગ આશા જમનો ન ત્રાસ, કુકર્મમાં કેમ કરે કચાશ ? 60
માતા સુતા કે ભગિની સગાઇ, છે સર્વ સચ્છાસ્ત્ર થકી જ ભાઇ;
પક્ષી પશુ શાસ્ત્ર ન જાણનારાં, સગાઇમાં શું સમજે બિચારાં. 61
મનુષ્યકેરી મન જુકિત કેવી, જે દીશ ચાલે વહિ જાય તેવી;
આકાશમાં જાય હવાઇ જેમ, જોરે ભરેલી અટકે ન એમ. 62
જો કલ્પના શુદ્ધપથે સિધાવે, સંસારસિંધુ તરી પાર લાવે;
જો કલ્પના કુત્સિત માર્ગ જાય, તો વિપ્રનો પુત્ર કસાઇ થાય.63
જે શાસ્ત્ર વાંચી દ્વિજ તો રળે છે, જે શાસ્ત્રથી મોદક તો મળે છે;
તે શાસ્ત્રને કલ્પિત જે ગણો છો, બેઠા તણી ડાળ તમે હણો છો.64
જે શાસ્ત્ર સત્તા દ્વિજની વધારે, પૂજાય વિપ્રો પણ શાસ્ત્રદ્વારે;
તે શાસ્ત્ર મિથ્યા કરવા જ લાગ્યા, જૂવો દ્વિજો આજ સપૂત જાગ્યા. 65
વશ્યા ૠષી જેહ અરણ્ય વાસે, ન જાણતા નાસ્તિક પુત્ર થાશે;
વ્યાપ્યો કળીકાળ અશેષ અંશે, પુત્રો થયા નાસ્તિક વિપ્રવંશે. 66
ધિક્કાર માતા ધિક તાત તેનો, જોતાં દિસે નાસ્તિક પુત્ર જેનો;
તે તાતનો વંશ ડુબાવનારો, છે દૈત્ય કે રાક્ષસ છે નઠારો. 67
ચોપાઈ:-
એવા શબ્દ સુણી સુણી સાચા, થઇ નાસ્તિકની બંધ વાચા;
ડરે થરથર ધ્રુજયાં શરીર, વહ્યાં નેણ થકી ઘણાં નીર. 68
શિશ નામી બોલ્યા તતખેવ, પ્રભુ છો તમે દેવના દેવ;
સ્વર્ગ નરક તો અમને દેખાડો, મન સંશય સર્વ મટાડો. 69
દયાસિંધુયે દિલ દયા લાવી, નાસ્તિકોને સમાધિ કરાવી;
સૌને દેખાડ્યા નરકના કુંડ, જોયાં ત્યાં જમદૂતના ઝૂંડ. 70
પાપી જાણી પકડવાને આવ્યા, ડશી હોઠને ખૂબ ડરાવ્યા;
લીધું સ્વામિનારાયણ નામ, ત્યારે તે રહ્યા દૂર તમામ. 71
દેવ એવે સમે એક આવ્યો, લેઇ નાસ્તિક સ્વર્ગે સિધાવ્યો;
દેવ દેવીનાં દેખાડ્યાં સ્થાન, ઘણા વૈભવ વિવિધ વિમાન. 72
જેણે જેવો સાધ્યો તપ જોગ, તેવા ભોગવે વૈભવ ભોગ;
એવું જોઇ સમાધિથી જાગ્યા, પ્રભુને પગે પ્રેમથી લાગ્યા.73
ભકિતપુત્ર જાણ્યા ભગવાન, થયા શિષ્ય તજી અભિમાન;
એમ નાસ્તિક મત જીતી લીધો, ધોરાજીમાં જેજેકાર કીધો. 74
પુષ્પિતાગ્રાવૃત્ત:-
સુણ નરપતિ એમ નાસ્તિકોને, જગપતિ જીતી ખુશી કર્યા જનોને;
શ્રુતિ મત શુદ્ધ તેહ થાપ્યો, અધરમરૂપ અશાસ્ત્ર વાદ કાપ્યો. 75
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિનાસ્તિક- મતપરાજયકરનામા ચતુર્થો વિશ્રામઃ ।।4।।