પૂર્વછાયો:-

કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપતિ સદગુણવાન;

શીતળદાસ તણું કહું, પામી પ્રસંગ શુભ આખ્યાન.1

ચોપાઈ:-

ઝરણાપરણાના નિવાસી, એક વિપ્ર જગતથી ઉદાસી;

ૠષિ એકલશૃંગીના વંશી, જેવા ઇશ્વરના હોય અંશી. 2

અંગે ધારી વેરાગીનો વેશ, ચાલ્યા ફરવાને દેશ વિદેશ;

જાણે જોઊં તીરથનાં સ્થાન, મળે કયાંઇ પ્રગટ ભગવાન. 3

જોયા તીર્થમાં સ્થાન અપાર, આવ્યા પશ્ચિમ દેશ મોઝાર;

વાત સાંભળી ત્યાં એવી કાન, રામાનંદ છે શ્રીભગવાન. 4

તેનાં દર્શન કરવાને કામ, ચાલી આવ્યા તે ફણેણી ગામ;

કહી ત્યાં કોઇયે વાત એહ, રામાનંદ તજી ગયા દેહ. 5

તેને તેર દિવસ જ થયા, ગાદી વર્ણીને સોંપીને ગયા;

પછી કરવાને કાંઇ તપાસ, સાધુ આવ્યા તે શ્રીહરિપાસ.6

સાધુ શીતળદાસ છે નામ, કર્યો જઇ પ્રભુપદને પ્રણામ;

શ્રીજીયે જાણ્યું સાધુ છે સારો, એને આપ્યો એકાંતે ઉતારો. 7

સાધુ એવા વિચાર તે લાવ્યા, રામાનંદ સ્વધામ સિધાવ્યા;

પણ સાધુ છે તેહના ધન્ય, કરું તેને તો પ્રથમ પ્રસન્ન. 8

પછીથી પ્રભુ ખોળવા કામ, જાઉં જૈ ફરીને ચારે ધામ;

મહારાજ મને કયાંઇ મળશે, મારા ચિત્તની ચિંતા તો ટળશે. 9

એમ કરતાં વીતી ગઇ રાત, થયું ચૌદમા દિનનું પ્રભાત;

શ્રીજી બેઠા સભા સજી જયારે, આવ્યા શીતળદાસ ત્યાં ત્યારે. 10

સભામાં બેશી સાંભળી વાત, જાણ્યા મોટા પુરુષ સાક્ષાત;

ચિત્ત ચાલવા કીધો વિચાર, બોલ્યા અંતરજામી તે વાર. 11

કરો ચાલવાનું ચિત્ત કેમ ? કરો કેમ ઉતાવળ એમ ?

સાધુ બોલિયા જોડીને હાથ, મારી વિનતિ સુણો મુનિનાથ. 12

રામાનંદનાં દર્શન કાજ, અહિં આવ્યો હતો હું તો આજ;

હતી આશા તે નિષ્ફળ થઇ, પ્રભુ ખોળું બીજે સ્થળ જઇ. 13

સુણી બોલ્યા શ્રીજીમહારાજ, રામાનંદને મેળવું આજ;

કરો આજ અહિં સ્થિર વાસ, થશે પૂર્ણ તમારી તે આશ. 14

કહે સાધુ મળે રામાનંદ, ત્યારે તો અતિ ઉપજે આનંદ;

સુણી બોલિયા સુંદરશામ, રટો સ્વામિનારાયણ નામ. 15

લાગ્યા નામ તે રટવાને જયારે, થઇ તેને સમાધિ તે વારે;

સમાધિ વિષે શીતળદાસ, ગયા અક્ષરધામ નિવાસ. 16

પૂર્વછાયો:-

કોટિકોટી શશી સૂર્ય સમ, અતિ શીતળ સુખદ અનંત;

એવા તેજોમય ધામમાં, દીઠા પુરુષોત્તમ ભગવંત. 17

જે છબી જોઇ ફણેણીમાં, દીઠી એ જ પ્રત્યક્ષ પ્રમાણ;

અનંત અક્ષરમુકત મળી, સજે સેવા પરમ સુજાણ. 18

ઉભા સ્તુતિ કરે આગળે, મત્સ્યાદિક ચોવિશ અવતાર;

ઉભા સ્વામી રામાનંદ પણ, કરે એહના ગુણ ઉચ્ચાર. 19

શીતળદાસે શ્રીજીની, કરી પૂજા ધરીને પ્રેમ;

અનંત મુકતને પૂજવા, કરી ઇચ્છા પૂજે પણ કેમ ? 20

શ્યામે શીતળદાસને, કહ્યું ધરો અનંત સ્વરૂપ;

અનંત મુકતને એક ક્ષણમાં, પૂજા કરો મુનિભૂપ. 21

ત્યારે તેણે કર જોડીને, કહ્યું મુજથી તે કેમ થાય ?

શ્રીજી કહે નિજ અંતરે, તમે એવી કરો ઇચ્છાય. 22

આ રામાનંદસ્વામી તે, હોય પુરુષોત્તમ ભગવંત;

તો તેહના જ પ્રતાપથી, મારાં દેખાય રૂપ અનંત. 23

શીતળદાસે ધારિયું, પણ સિદ્ધ થયું ન લગાર;

ત્યારે વળી શ્રીજી કહે, જુઓ ચોવીશ આ અવતાર. 24

તે પ્રત્યેક વિષે તમે, ચિત્તે કરો એમ વિચાર;

તે પુરુષોત્તમ હોય તો, મારાં થાય સ્વરૂપ અપાર. 25

કર્યો એવો સંકલ્પ તે, જયારે સુફળ ન થયો લેશ;

ચિંતવન એવું મુજ વિષે, હવે કરો કહે પરમેશ. 26

શીતળદાસે ધારિયું, સ્વામી આ છે સહજાનંદ;

તે પુરુષોત્તમ હોય તો, મારાં થાય સ્વરૂપનાં વૃંદ. 27

તે સમે શીતળદાસનાં, ત્યાં તો રૂપ થયાં અગણિત;

અનંત મુકતની એક ક્ષણમાં, પૂજા કરી ધરી પ્રીત. 28

ચોપાઈ:-

રામાનંદજીની પૂજા કરી, કરી વિનતિ ભલો ભાવ ધરી;

તમે ભગવાન છો મહારાજ, હું તો આવ્યોજાતો તમારે કાજ. 29

સુણી બોલ્યા રામાનંદસ્વામી, ભગવાન તો અક્ષરધામી;

તમે જોયા ફણેણીમાં જેહ, જુઓ આ દિસે પ્રત્યક્ષ એહ. 30

સર્વ અવતારના અવતારી, સરવોપરી વિશ્વવિહારી;

હું તો છું એના દાસનો દાસ, સજું સેવા રહી પ્રભુ પાસ.31

જાણો ઉદ્ધવ છે મારું નામ, કહે શ્રીહરિ તે કરું કામ;

સર્વ અવતાર એમાં સમાય, પોતે કોઇમાં લીન ન થાય.32

એવી વાત કહી જેહ વાર, થયા લીન બધા અવતાર;

સરિતાઓ મળે તે સાગરમાં, મળ્યા અવતાર સૌ હરિવરમાં. 33

દીઠા અક્ષરપુરુષ અનેક, સૌના નિયંતા શ્રીહરિ એક;

એવા સમરથ શ્રીભગવાન, કોણ માત્ર તે પુરુષપ્રધાન. 34

એવું આશ્ચર્ય નજરે નિહાળી, જાણ્યા પ્રત્યક્ષ શ્રીવનમાળી;

ભકિતપુત્ર જાણ્યા ભગવાન, બીજો નહિં કોઇ તેહ સમાન.35

પછી સંતે શરીરમાં આવી, સભામાં બધી વાત સુણાવી;

રામાનંદ તણા શિષ્ય તોય, વાત માની શકયા નહીં કોય.36

રામાનંદ જ છે ભગવાન, એવા નિશ્ચળ નિશ્ચયવાન;

કેમ માને તે તો બીજી વાત, બોલ્યા હાથ જોડી સાક્ષાત.37

અમને પણ ધામ દેખાડો, મન સંશય સર્વ મટાડો;

સુણી બોલિયા સુંદરશામ, રટો સ્વામિનારાયણ નામ. 38

સભા સર્વ લાગી ધુન્ય કરવા, મન સંશય સૌ પરહરવા;

સમાધિ સર્વ ભકતને થઇ, જોયું અક્ષરધામ તે જઇ. 39

ત્યાં તો અક્ષરધામના ધામી, દીઠા શ્રી સહજાનંદ સ્વામી;

ઉભા સેવામાં શ્રીરામાનંદ, તથા અક્ષરમુકતનાં વૃંદ. 40

સર્વ શ્રીહરિને જ આધીન, થયા સૌ હરિરૂપમાં લીન;

આવું અચરજ દેખી અપાર, જાણ્યા સર્વેશ ધર્મકુમાર. 41

પછી સર્વ સમાધિથી જાગ્યા, પ્રભુ પ્રત્યક્ષને પગે લાગ્યા;

વિનતિ કરી મસ્તક નામી, સરવોપરી છો આપ સ્વામી. 42

પછી સાધુ તે શીતળદાસે, લીધી દીક્ષા મહાપ્રભુ પાસે;

નામ વ્યાપકાનંદ વરિષ્ઠ, થયા પરમ સમાધિનિષ્ઠ. 43

એના પરચાની વાતો અનેક, તે તો જાણે છે સંત પ્રત્યેક;

પછી સ્વામિનારાયણ નામ, તેનો મહિમા કહ્યો ઘનશામ. 44

ઉપજાતિવૃત્ત:-

જે સ્વામિનારાયણ નામ લેશે, તેનાં બધાં પાતક બાળી દેશે;

છે નામ મારાં શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક.45

જો સ્વામિનારાયણ એકવાર, રટે બીજાં નામ રટ્યા હજાર;

જપ્યા થકી જે ફળ થાય એનું, કરી શકે વર્ણન કોણ તેનું ? 46

ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ;

સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. 47

ગાયત્રીથી લક્ષ ગુણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ;

જયાં જયાં મહામુકત જનો વસાય, આ કાળમાં તો જપ એજ થાય. 48

જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ થાય;

તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. 49

તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમ નાશી જાય;

શ્રીસ્વામિનારાયણ જે કહેશે, ભાવે કુભાવે પણ મુકિત લેશે. 50

ષડક્ષરો છે ષટ શાસ્ત્ર સાર, તે તો ઉતારે ભવસિંધુ પાર;

છયે ૠતુમાં દિવસે નિશાયે, સર્વે ક્રિયામાં સમરો સદાયે. 51

પવિત્ર દેહે અપવિત્ર દેહે, તે નામ નિત્યે સ્મરવું સનેહે;

જળે કરીને તન મેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય.52

જેણે મહાપાપ કર્યા અનંત, જેણે પીડ્યાં બ્રાહ્મણ ધેનું સંત;

તે સ્વામિનારાયણ નામ લેતાં, લાજી મરે છે મુખથી કહેતાં. 53

શ્રી સ્વામિનારાયણ નામ સાર, છે પાપને તે પ્રજળાવનાર;

પાપી ઘણું અંતર હોય જેનું, બળ્યા વિના કેમ રહેજ તેનું ? 54

ચોપાઈ:-

એમ નામનો મહિમા ઉચાર્યો, સંત હરિજને હૈયામાં ધાર્યો;

કહે વર્ણી સુણો હે રાય, એવું ભજન તે દિવસથી થાય.55

તેના પહેલું ભજન એમ થાતું, રામ કૃષ્ણ ગોવિંદ ભજાતું;

હરે નારાયણની ઉચ્ચારી, સઉ કરતા ભજન નરનારી. 56

ચૌદમાંથી નવી રીત કરી, સૌના અંતર માંહી ઊતરી;

પરગામથી આવેલા જન, પ્રભુ તે પ્રત્યે બોલ્યા વચન. 57

જાઓ પોત પોતાને પ્રદેશ, ભગવાનને ભજો હંમેશ;

રામાનંદસ્વામી નથી ગયા, સદા છે સતસંતમાં રહ્યા. 58

કદીયે નહિ દિલગિરી કરવી, ધર્મમાં રહી ધીરજ ધરવી;

એમ કહી કર્યા સૌને વિદાય, ચાલ્યા સૌ પ્રભુને નમી પાય.59

વ્યાપકાનંદનું આખ્યાન, કોઇ કહેશે કે સુણશે કાન;

તેના સિદ્ધ મનોરથ થાશે, અંતે અક્ષરધામમાં જાશે. 60

પુષ્પિતાગ્રાવૃત્ત:-

હરિ હરિજનની કથા પવિત્ર, શ્રવણ કર્યાથી મટે ભ્રમો વિચિત્ર;

તન મન પણ શુદ્ધ સદ્ય થાય, શુક સનકાદિ સદૈવ તેથી ગાય.61

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે વ્યાપકાનંદાખ્યાને સ્વામિનારાયણનામમહિમાકથનનામા તૃતીયો વિશ્રામઃ ।।3।।