પૂર્વછાયો:-

લીલા શ્રીહરિની નિરખવા, સતસંગીનો આવે સમાજ; 1

જીવોખાચર ગઢપુર થકી, ત્યારે આવિયા દર્શન કાજ.

ચોપાઈ:-

સાથે પુત્રી છે અમૂલાંબાઇ, બીજી અમરબાઇ ગણાઇ; 2

મુળુખાચર આવિયા સાથ, નેહે નિરખિયા નટવર નાથ.

ખાસી રીતે તળાવ ખોદાય, સહુ ત્યાં મળી દર્શને જાય; 3

ભૂખ્યા થાય જનો તેને કાજ, કરે એવું શ્રીજીમહારાજ.

આગલે દિવસ સંધ્યાકાળે, બાજરો ડોઢ કળશી પલાળે; 4

બીજે દિવસ બપોરને ટાણે, કામ ચાલતું હોય ત્યાં આણે.

પ્રભુ પોષ ભરી ભરી દેય, સહુને તે પહોંચી રહેય; 5

જયારે આવ્યું સજીવન નીર, નાહ્યા તે વિષે શામશરીર.

પ્રેમથી પ્રભુયે જળ પીધું, ચરણામૃત સૌ જને લીધું; 6

ત્રણ માસ લગી તેહ ઠામ, રાખ્યું ખોદ્યાનું ચાલતું કામ.

વળી તેહ તળાવ મોઝાર, દિશા પશ્ચિમમાં તેહ ઠાર; 7

પૂર્વ પશ્ચિમ કુંડ કરાવ્યા, રામ ને ભીમ કુંડ ઠરાવ્યા.

તેમાં નાહ્યા મોટા મોટા સંત, ઘણી વાર નાહ્યા ભગવંત;8

તેથી તીર્થ મોટું એહ આજ, કોણમાત્ર તે પુષ્કરરાજ.

સર્વ તીરથ વસે ત્યાં કણે, ગંગા ગોમતીને કોણ ગણે; 9

પાણી પુષ્કળ ત્યાં થયું જયારે, વિષ્ણુયાગ આરંભિયો ત્યારે.

શ્રૌત સ્માર્ત ક્રિયા જાણકાર, ત્યાં તો તેડાવ્યા વિપ્ર અપાર; 10

પૂર્ત્તકર્મ તળાવનું કર્યું, પછી યજ્ઞનું કામ આદર્યું.

ઘણા વિપ્ર વરૂણીમાં વર્યા, પાઠ વિષ્ણુસહસ્રના કર્યા; 11

નિત્ય બ્રાહ્મણ ભોજન થાય, તે તો ગણતાં નહીં જ ગણાય.

દિશા પશ્ચિમે સરોવર પાળે, ચોકા ચાળીશ કીધા તે કાળે; 12

સવા માસ સુધી તેહ ઠાર, જમ્યા વિપ્ર હજારો હજાર.

મોટો મંડપ કુંડ કરાવ્યો, પૂરણાહુતિનો દિન આવ્યો; 13

કર્યો હોમ ભલો એહ કાળે, ઘૃત હોમ્યું ઘણું પરનાળે.

વિષ્ણુયાગ પૂરો એમ કર્યો, અતિરુદ્ર પછીથી આદર્યો; 14

એક અવસરે જમવાને ટાણે, ઘૃત ખૂટી પડ્યું તે ઠેકાણે.

પ્રભુ અશ્વે થઇ અસવાર, વિચર્યા ઘૃત લેવા તે વાર; 15

તલબાવળાં છે ત્યાંથી પાસ, ગયા ત્યાં સુધી શ્રીઅવિનાશ.

ઘીનાં કુલ્લાનું ચોકિયું ગાડું, આડે રસ્તે જતું હતું આડું; 16

હરિ તે તો હંકાવીને લાવ્યા, ઘીનાં કુલ્લાં તે ખાલી કરાવ્યા.

પછી ગાડું તે કઇ દશે ગયું, તે તો કોઇની નજરે ન થયું; 17

સૌને અચરજ ઉપજયું અમાપ, જાણ્યો પ્રૌઢ પ્રભુનો પ્રતાપ.

એવાં ઐશ્વર્ય અપરમપાર, પ્રભુ દેખાડે વારમવાર; 18

અતિરુદ્ર કર્યો એવી રીતે, અક્ષરાધીશ અક્ષરાતીતે.

દીધાં દ્વિજને નાનાવિધિ દાન, જેજેકાર કર્યો ભગવાન; 19

વળી આશ્ચર્યની એક વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત.

જેકુંવર એક ઉંઝાની બાઇ, તે તો એક જ શિંઘોડું ખાઇ;20

નિત્યનિત્ય કરે ઉપવાસ, એમ વીતિ ગયા ઘણા માસ.

પ્રતિદિવસ દાણા મણ દળે, લોટ સંઘના લોકને મળે; 21

એવો ભકિતમાં તેહનો ભાવ, કામ કરવાનો અંગે ઉત્સાવ.

ઉત્સાહ વિષે:- ઉપજાતિવૃત્ત:-

ઉત્સાહથી કામ ઘણું કરાય, આલસ્ય એમાં જરિયે ન થાય;22

ઉત્સાહવાળો જન હોય જેહ, ક્ષુધા તૃષાને ન ગણે જ તેહ.

જો માનવી નિર્બળ હોય અંગે, બળિષ્ઠ થૈ કામ કરે ઉમંગે; 23

જોરાવરે જે ન કરી શકાય, તે કામ ઉત્સાહ થકી કરાય.

ઉત્સાહથી જે રણમાં ચડે છે, માથું પડે તો ધડ ત્યાં લડે છે; 24

સતી કરે પાવકમાં પ્રવેશ, ઉત્સાહથી કષ્ટ ગણે ન લેશ.

કષ્ટે કરી જે જન મૂડી જોડે, ન પ્રાણ જાતાં પણ પાઇ તોડે; 25

ઉત્સાહ એનાં ઉર માંહિ આવે, તો દ્રવ્ય તે એક દિને ઉડાવે.

ઉત્સાહથી જાય ઉપાડી ભાર, ઉત્સાહથી જાય સમુદ્ર પાર; 26

ઉત્સાહ જો અંતરમાં ન હોય, કરી શકે કામ કશું ન કોય.

ઉત્સાહવાળું મન હોય જેવું, તેના થકી કામ કરાય તેવું; 27

જે કામ ઉત્સાહ વિના કરાય, તે વેઠિયું કામ નજીવું થાય.

એકાદશીનો ઉપવાસ હોય, સંતો કરે કામ તળાવ તોય;28

ઉત્સાહ જેના મનમાં અમાપ, ગણે ન વૃષ્ટિ તન ટાઢ તાપ.

મહાપ્રભુનો મહિમા વિચારે, તે પ્રાપ્તિ જો જીવ અમૂલ્ય ધારે; 29

ઉત્સાહ તેના ઉરમાં ન માય, તેના થકી શું ન કરી શકાય.

ચોપાઈ:-

કરે ઉત્સાહથી સહુ કામ, રાજી થાય જોઇ ઘનશામ; 30

પંચમી ત્યાં વસંતની આવી, ભકિતનંદનને મન ભાવી.

મણ ઝાઝા ગુલાલ મંગાવ્યો, રંગ વિવિધ પ્રકાર રચાવ્યો; 31

પ્રભુ સંતને હરિજન સંગે, રમ્યા રંગે ઉમંગથી અંગે.

એમ ઉત્સવ અદભુત કર્યો, તે તો ધ્યાનમાં મુનિજને ધર્યો; 32

સમૈયા પછી શ્રીહરિરાય, સંઘ સર્વને કીધા વિદાય.

પણ વાત તો એવી વિસ્તરી, દુર્ગપુરમાં પધારશે હરિ; 33

ફુલડોળ ઉત્સવ તહાં કરશે, અતિ અદભુત લીલા આદરશે.

માટે દૂરદેશી જન જેહ, રહ્યા શ્રીહરિની સાથે તેહ; 34

ગામ બોટાદના દઢ ધીર, સાખે ખાચરનામ હમીર.

ભગોદોશી ને સોમલો ભકત, જેનાં મન હરિચરણ આસકત; 35

સૌયે વિનતિ કરી શિર નામી, આવો બોટાદમાં બહુનામી.

દીનબંધુ દયા દિલ ધરો, અમારાં ઘર પાવન કરો; 36

એવી વિનતિ સુણીને તે ઠામ, ગિરિધર ગયા બોટાદ ગામ.

ભકત હમીરને દરબાર, ઉતર્યા જૈ જગત આધાર; 37

વશ્યા બે દિન ત્યાં પ્રભુ વાસ, દિલે રાજી થયા સહુ દાસ.

કારિયાણીયે પાછા પધાર્યા, ત્યાંના ભકતોના હરખ વધાર્યા; 38

માઘકૃષ્ણ એકાદશી આવી, ભૂપ અભયે ત્યાં વિનતિ સુણાવી.

પંચમી તો વસંતની ગઇ, પ્રભુ આજ એકાદશી થઇ; 39

ચાલો ગઢપુર શ્રીગિરિધારી, કરો પૂરણ આશા અમારી.

સુણી બોલ્યા શ્રીજીમહારાજ, ચાલો આવશું આજ ને આજ; 40

માંચાખાચરની રજા લૈને, ત્યાંથી ચાલિયા તૈયાર થૈને.

માંચોખાચર આવ્યા વળાવા, મનવૃતિ પ્રભુમાં ઠરાવા; 41

સોમલો તથા ખાચર સુરો, જેનો પ્રેમ પ્રભુ વિષે પૂરો.

કારિયાણીને સીમાડે આવ્યા, માંચા ભકતને પાછા વળાવ્યા; 42

સોમ સુરને કહે ઘનશામ, તમે જાઓજી તમારે ગામ.

ત્યારે તે બોલ્યા જોડીને હાથ, અમને તો રાખો આપ સાથ; 43

જુદા તમ થકી નહી રહેવાય, પળ એક તે જુગ જેવી જાય.

વાત શી કહીયે મુખે ઘણી, તમે જાણો છો અંતર તણી; 44

એવું સાંભળીને મુનિનાથે, રાખ્યા તેઓને પોતાની સાથે.

અભેખાચર સહ પરિવાર, જીવોખાચર પણ ધરી પ્યાર; 45

ચાલ્યા શ્રીઘનશામને સંગ, તેના મનમાં છે મોટો ઉમંગ.

બીજા પણ મહારાજના મિત્ર, ઘણા ક્ષત્રિ છે પરમ પવિત્ર; 46

વર્ણી મુખ્ય છે મુકુંદાનંદ, મુકતાનંદ પ્રમુખ મુનિવૃંદ.

મયારામ ભટાદિ ગૃહસ્થ, શ્રીજી સંગ ચાલે થઇ સ્વસ્થ; 47

પ્રભુ આવ્યા દુરગપુર પાસ, થઇ પુરમાં તે વાત પ્રકાશ.

ભોકોખાચર જીવાખાચરના, રામોખાચર મુળૂખાચરના; 48

પ્રભુ ભકિતમાં તે અનુરાગ્યા, નગરી શણગારવા લાગ્યા.

ઘેલો ધાધલ ને નાંગમાલે, શણગાર્યુ શહેર તે કાળે; 49

છંટકાવિયા રસ્તા વળાવી, બાંધ્યા તોરણો દરવાજે આવી.

વાવટા પચરંગી ચડાવ્યા, ચારુ ચૌટા ને ચોક શોભાવ્યા; 50

પ્રભુ આવવાની જાણી પેર, ઘણો હરખ વધ્યો ઘેર ઘેર.

શ્રીજી સાથે હતો સંઘ જેહ, કેવું દેખે દુરગપુર તેહ; 51

ગામથી દિશા દક્ષિણમાંય, વહે ઉન્મત્તગંગા તે ત્યાંય.

તેનાં નીર પ્રવાહનો ઘોષ, સુણતાં થઇયે નિરદોષ; 52

તેનું નીર કદાપિ ન ખૂટે, બારે માસ પ્રવાહ ન તૂટે.

દિશા ઉત્તરમાં બહુ બાગ, એની શોભા તો દિસે અથાગ;53

આંબા આંબલિયો ને અનાર, પુષ્પજાતિ તણો નહીં પાર.

ખૂબ છે નાળિયેરી ખજૂરી, કદળી પણ પેખિયે પૂરી; 54

આસોપાલવ વૃક્ષ અનેક, દિસે સરસ તે એકથી એક.

કોકિલા બોલે મધુરા બોલ, કરે પક્ષીનાં વૃંદ કલ્લોલ; 55

કળા પૂરી કળાધર નાચે, જાણે શ્રીહરિને જોઇ રાચે.

કુવા વાવ્ય શોભે તેહ સ્થાન, પાણી મીઠાં પીયૂષ સમાન;56

તેહ નીરનું જે કરે પાન, બહુ થાય તે તો બળવાન.

સુણો રુડા અભેસિંહ રાજ, રાધાવાવ્ય છે જે સ્થળ આજ; 57

સારો બાગ હતો તેહ ઠામ, આવી ઊતર્યા ત્યાં ઘનશામ.

નેણે નિરખવા ધર્મકુમાર, પુરના જન ઉલટ્યા અપાર; 58

તેણે નીરખીને હરખે છે સર્વ, જાણે આવ્યું અનુપમ પર્વ.

કરી નિત્યક્રિયા પરમેશે, પેંડા બરફી મંગાવ્યાં નરેશે; 59

ભાવ જોઇ જમ્યા ભગવાન, પછી આરોગિયા બીડિપાન.

પુષ્પિતાગ્રાવૃત્ત:-

પરમપુરુષ અક્ષરાધિનાથ, નરતનુ ધારી અનેક મુકતસાથ; 60

પ્રભુ ગઢપુર તે સ્વયં પધાર્યા, જનમન મોદ અનેકધા વધાર્યા.

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીકારિયાણીપુરાત્ દુર્ગપુરઆગમનનામા અષ્ટાવિંશતિતમો વિશ્રામઃ ।।28।।

ઈતિ શ્રીહરિલીલામૃત સૌરાષ્ટ્રનામ પંચમકલશઃ સંપૂર્ણઃ