પૂર્વછાયો:-
સભાજનોને શ્રીહરિ, કહે સાંભળો સ્નેહ સહિત;
ધર્મ વિશેષ હવે કહું, ચારે આશ્રમના રુડી રીત. 1
ચોપાઈ:-
બ્રહ્મચારી તણા ધર્મ ભાઇ, કહું પ્રથમ સુણો સુખદાઇ;
કરે સંધ્યાવંદન ત્રણ કાળ, પૂજે નિત્ય તે કૃષ્ણ કૃપાળ. 2
ગુરુને સેવે અલ્પ આહારી, નખ રોમ તો રાખે વધારી;
કેશ કાંસકીયે ન સમારે, મૌંજી દંડ કમંડલું ધારે. 3
મૃગચર્મ રાખે નિજ પાસ, જોડ કોપિન બે બહિર્વાસ;
કોટમાં રાખે કંઠી જનોઇ, સર્વ ભોગની ઇચ્છા તે ખોઇ.4
સ્ત્રીની વાત તો કાને ન ધરે, પોતે મુખથી કદાપી ન કરે;
સ્ત્રીનો સ્પર્શ કરે નહિ અંગે, કદી બોલે નહી નારી સંગે. 5
સ્ત્રીનું રૂપ જુવે ન કદાપિ, તજે સંકલ્પ તેનો તથાપિ;
હોય જયાં સ્ત્રિયોનું ક્રીડાસ્થાન, ત્યાં ન જાય કદી વ્રતવાન.6
કાષ્ઠાદિકની કે ચિત્રની નારી, અડે નિરખે નહીં બ્રહ્મચારી;
પણ દેવીની મૂર્તિ જો હોય, નહીં બાધ જુવે અડે તોય. 7
કરે નારી સ્નાનાદિક જયાંય, બ્રહ્મચારી તજે ક્રિયા ત્યાંય;
મદ્ય માંસ આદિક સંસર્ગ, ન કરે કદી વર્ણીનો વર્ગ. 8
રોગ વિણ દિને સુવું ન ભાવે, ધન રાખે નહીં ન રખાવે;
તજે લોભ ને ક્રોધ ન કરે, તજે સ્વાદ ને માન ન ધરે. 9
કામ ક્રોધ લોભ રસ માન, તજે તે પાંચ છે વ્રતમાન;
કહ્યું એવું અચળ વ્રત ધારી, ભાવે વેદ ભણે બ્રહ્મચારી. 10
ભણી વેદ તે શકિત પ્રમાણે, પછી મનને સકામી જો જાણે;
તો તે થાય ગૃહસ્થ તે કાળે, નહિ તો વ્રત નૈષ્ઠિક પાળે. 11
આખી ઉમર રહે ઊર્ધ્વરેતા, કહે નૈષ્ઠિક તે બ્રહ્મવેત્તા;
પાળે વ્રત કાંઇ અવધિ પ્રમાણ, બ્રહ્મચારી તે ઉપકુર્વાણ. 12
થવા ઇચ્છે ગૃહસ્થ તે જયારે, ગુરુને આપે દક્ષિણા ત્યારે;
સમાવર્તન તે પછી કરે, પછી કન્યા સ્વજાતિની વરે. 13
અગ્નિ બ્રાહ્મણકેરી સમીપ, વેદવિધિયે વરે કુળદીપ;
બ્રહ્મચારીના તે કહ્યા ધર્મ, હવે કહું છું ગૃહસ્થનું કર્મ. 14
પૂર્વછાયો:-
કહું ગૃહસ્થના ધર્મ તે, સહું સુણો થઇ સાવધાન;
સ્નાન સંધ્યા જપ હોમ કરી, કરે સ્વાધ્યાય સદગુણવાન.15
પૂજન કરે નિત્ય વિષ્ણુનું, તથા તર્પણ ને વૈશ્વદેવ;
અતિથિ આવે આંગણે, કરે શકિત પ્રમાણે સેવ. 16
ધર્મ સહિત શુભ ન્યાયથી, કરી ઉદ્યમ દ્રવ્ય કમાય;
પોષણ કરવા યોગ્યનું,કરે પોષણ તેણે સદાય. 17
શરીરમાં સંબંધિમાં, અતિ આસકત તે નવ થાય;
કરે ન કષ્ટ કુટુંબીને, નિત્ય સંત સમાગમ ચ્હાય. 18
સંગ કરે ન કુસંગીનો, કામ ભાવે ન જુવે પરનાર;
શ્રાદ્ધ કે પર્વણી વ્રતદિને, નિજનારીથી તજે સંસાર. 19
સ્પર્શ ન કરે વિધવા તણો, અને આપતકાળ વિનાય;
માત સુતા ભગિનીની સાથે, એકાંતે ન વસાય. 20
વ્રત ઉદ્યાપન આદરે, તજે ચોરીને ન રમે જુગાર;
આહાર મદ્ય ને માંસનો, તજે તે પણ સર્વ પ્રકાર. 21
આપતકાળ પડ્યા વિના, કદી કરજ કરે નહિ લેશ;
સેવા સજે માત તાતની, એની આજ્ઞામાં વરતે હમેશ. 22
હોય ગૃહસ્થ શ્રીમંત તે, કરે વિત્તથી વૈષ્ણવ યાગ;
ઉત્સવ મોટા આદરે, હરિમંદિરમાં બડભાગ. 23
પર્વણીમાં તથા તીર્થમાં, સાધુ વિપ્ર જમાડે સપ્રીત;
નાનાપ્રકારનાં દાન દે, દ્વિજને તે રૂડી રીત. 24
ન્યાય થકી ધન મેળવે, અંશ દશ કે વિશમો જેહ;
ધર્મનિમિત્ત તે વાવરે, થાય દ્રવ્યની શુદ્ધિ તેહ. 25
દેવ ગુરુ ને સાધુની, સજે સેવા શકિતપ્રમાણ;
કપટ કદીયે નવ કરે, તેઓ આગળ ગૃહસ્થ સુજાણ. 26
દેવ ગુરુ કે સંતનો, થાય જે થકી દ્રોહ લગાર;
એવું વચન ઉચરે નહિ, જાણે કલ્યાણના દાતાર. 27
સંક્ષેપે ધર્મ ગૃહસ્થના, તમને સુણાવ્યા આજ;
હૃદયમાં ધરી રાખજો, તમે સૌ સત્સંગી સમાજ. 28
હોય જે શુદ્ર ગૃહસ્થ તે, ધરે એ જ રીતે શુભ ધર્મ;
વષટ્કાર સ્વાહા સ્વધાદિક, મંત્ર વિના કરે કર્મ. 29
યજ્ઞાદિક ક્રિયા શુદ્રને, સારા વિપ્ર કરાવે જેહ;
મંત્ર ભણીને પુરાણના, વિધિવત કરાવે તેહ. 30
ભારત ને વળી ભાગવત, તેની કથા સુણે ધરી સ્નેહ;
ભકત બ્રાહ્મણ ભગવાનનો, હોય તેના મુખથી તેહ. 31
ચોપાઈ:-
હવે નારિયોના કહું ધર્મ, તમે સાંભળો સૌ તેનો મર્મ;
હોય સત્સંગી સધવા નારી, સ્વામીને તે ઇશ્વરસમ ધારી. 32
તન મન વચને સજે સેવા, લોક ઉભયતણું સુખ લેવા;
વૃદ્ધ રોગી કે નિર્ધન હોય, અપમાન કરે નહિ તોય. 33
ઘર વાસણ આદિ સુધારી, રાખે નિર્મળ તે સતિ નારી;
પાપીનો સંગ નવ કરે કયારે, હિત સત્ય વચન ઉચ્ચારે. 34
કરે તીરથ કે વ્રતદાન, તે તો સ્વામીની આજ્ઞા સમાન;
નવ રાખે ઉદ્ધતપણું અંગ, સદા પરનરનો તજે સંગ. 35
વળી હોય જે વિધવા નારી, સેવે કૃષ્ણને નિજપતિ ધારી;
કામભાવની તો કદી વાત, ન કહે ન સુણે સાક્ષાત. 36
નર સાથે ન ભાષણ કરે, સ્પર્શ પણ તેહનો પરહરે;
પડે આપતકાળ જો માથે, અડે બોલે સગા નર સાથે. 37
પિતા પુત્રની આગન્યા ધરવી, કદીયે ન સ્વતંત્રતા કરવી;
ઉપવાસ ને વ્રત આચરવું, દેહદમન નિરંતર કરવું. 38
જમે એક જ વાર તે નારી, કરે રોગ વિના તો પથારી;
તજે અત્તર તેલ સુગંધી, તેને તાંબુળ ખાવાની બંધી. 39
વળી કુમકુમ કાજળ તજે, શરીરે શણગાર ન સજે;
વસ્ત્ર ઝીણાં તથા તારવાળાં, ન ધરે અંગે રુડાં રુપાળા. 40
દિવસે નવ નિદ્રા તે કરે, સંગ વેશ્યાદિનો પરહરે;
કૃષ્ણભકિતમા નિશદિન રહે, વિધવાના ધરમ એવા કહે. 41
કોળી વાઘરી ઢેઢ ચમાર, એવી સંકરજાતિ અપાર;
તે જો કલ્યાણનો ખપ કરે, પાપકર્મ સફળ પરહરે. 42
નિજ કુળને ઘટિત કરે કામ, હિંસા તો ન કરે કોઇ ઠામ;
મદ્ય માંસ ચોરી વ્યભિચાર, તજે સત્સંગી સર્વ પ્રકાર. 43
કળિજુગમાં હરિકીર્તન, શ્રેષ્ઠ ધર્મ પતિતપાવન;
તે માટે હરિકીર્તન કરે, સદા સર્વદા અંતરે ધરે. 44
એ છે સંકરજાતિનો ધર્મ, વાનપ્રસ્થનાં કહું હવે કર્મ;
પતિ પત્નિ તજી ઘરબાર, વસે તીર્થે કે વન મોઝાર. 45
તજે વિષય રહે નિષ્કામ, વાનપ્રસ્થ તો તેહનું નામ;
રહે આયુષ્યનો ત્રીજો ભાગ, પતિ પત્નિ તે પામે વિરાગ.46
વાનપ્રસ્થ તણો ધર્મ ધરે, વનમાં જઇને તપ કરે;
એવી સ્ત્રી નવ હોય વૈરાગી, જાય એકલો નર બડભાગી. 47
શીત તાપ ને વૃષ્ટિની ધાર, કરે સહન શરીર અપાર;
પર્ણકૂટીમાં કુંડ તે કરે, અગ્નિહોત્રનો અગની ધરે. 48
પર્ણકૂટી થકી તો બહાર, રહે નિર્ભય થઇ નરનાર;
કરે તીર્થમાં ત્રિકાળ સ્નાન, કરે હોમ થઇ સાવધાન. 49
નખ કેશ શરીરે વધારે, ફળાહાર કરી રહે કયારે;
અન્ન ખેડ્યા વગરનું ખાય, સામો મણછો ને થેક ગણાય.50
તીવ્ર વૈરાગી જો તે જણાય, તજી સર્વ તે સંન્યાસી થાય;
હવે સંન્યાસીના ધર્મ કહું, સ્નેહ રાખીને સાંભળો સહુ. 51
પૂર્વછાયો:-
બહિર્વાસ એક જ ધરે, રાખે કોપિન બે સંન્યાસ;
જળગરણું કંથા તથા, રાખે દંડ કમંડળુ પાસ. 52
ઇન્દ્રિયો સર્વ જીતે સદા, નારાયણપરાયણ થાય;
અષ્ટાક્ષરનો મંત્ર તે, જપે ૐનમો નારાયણાય. 53
જ્ઞાન વિજ્ઞાન વડે સદા, જેનો આત્મા તૃપ્ત જણાય;
ભાવસહિત ભજે વિષ્ણુને, જમે પવિત્ર દ્વિજ ભિક્ષાય.54
અંતર શુદ્ધ સદા રહી, બ્રહ્મચર્ય પાળે ધરી પ્રીત;
એવી ઘણી સ્મૃતિયો વિષે છે, સંન્યાસ ધર્મની રીત. 55
વાનપ્રસ્થ ને સંન્યાસિના, અતિ દુષ્કર કર્મ ગણાય;
માટે લખ્યું છે શાસ્ત્રમાં, નવ થાવું કળિયુગમાંય. 56
સાધુના ધર્મ હવે કહું, જેને પરમહંસ ગણાય;
અચ્યુત ગોત્ર છે એહનું, એને વૈષ્ણવ પણ કહેવાય.57
એક પરમહંસ ભાગવત, બીજા કેવળ પરમસુહંસ;
ભાગવતાદિક શાસ્ત્રમાં, ભેદ છે તેહના નિઃસંશ. 58
કેવળ તે પરિવ્રાટ છે, યતિ ભિક્ષુક પણ કહેવાય;
જે છે પરમહંસ ભાગવત, મુનિ ભિક્ષુક ત્યાગી ગણાય.59
અચ્યુતગોત્રી એ જ છે, ભાગવત પરમહંસ દાસ;
મહામુનિ વૈષ્ણવ તથા, એવાં શાસ્ત્રમાં નામ પ્રકાશ. 60
ભકિત હરિની નવધા કરે, ક્ષણ વ્યર્થ ન કાઢે કાળ;
અષ્ટ પ્રકારે સ્ત્રી તજે, જીવ્યા સુધી બુદ્ધિ વિશાળ. 61
સ્ત્રૈણ પુરુષનો સંગ નહિ, વળી નરે ધર્યો સ્ત્રીવેશ;
ચિત્રાદિકની નારીને, પણ જુવેઅડે નહિ લેશ. 62
રાખેરખાવે ધન નહીં, તજે રસાસ્વાદ ને માન;
જીતે અંતર શત્રુને, સદા ધરે શ્રીકૃષ્ણનું ધ્યાન. 63
સત્ય દયા શમ દમ ક્ષમા, તપ શૌચ વિજ્ઞાન ને જ્ઞાન;
વૈરાગ્ય ધીરજ આદિ ગુણ, સજી કરે હરિગુણ ગાન.64
મુદ્રા તિલક ને મંત્ર વળી, નિજ દેહે વેષ ધરાય;
ભોજનનો વ્યવહાર તે, સંપ્રદાય પ્રમાણે થાય. 65
પુષ્પિતાગ્રાવૃત્ત:-
ધરમ કરમ સર્વ આશ્રમોનાં, લવ લવમાત્ર કહ્યાં સહું જનોનાં;
સુણી નિજ નિજ ધર્મ પાળશે તે, મુજ મનમાં પ્રિય સર્વથા થશે તે. 66
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે આશ્રમધર્મ- કથનનામા દ્વિતીયો વિશ્રામઃ ।।2।।