શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્

 ।। શ્રીહરિલીલામૃતમ્ ।।

।।સૌરાષ્ટ્રનામ પંચમકલશપ્રારંભઃ ।।

શાર્દૂલવિક્રીડિતવૃત્ત:-

વંદૂ જે હરિયે પ્રતાપ નિજનો સૌરાષ્ટ્ર દેશે ઘણો,

દેખાડ્યો કરી મગ્નિરામ જનને આશ્રિત પોતા તણો;

ધામો શુદ્ધ સમાધિમાં સુજનને દેખાડિયાં દષ્ટિયે,

લાખો વિપ્ર જમાડિયા જન સુખી કીધા કૃપા દષ્ટિયે.1

પૂર્વછાયો:-

દેહ તજયો રામાનંદજી, થઇ ત્યાર પછી જે વાત;

તેહ કથા તમને કહું, ભાવે સુણો અભેસિંહ ભ્રાત.2

ચોપાઈ:-

દશ દિવસ સુધી દિલ લાવી, કથા ગીતાની નિત્ય કરાવી;

દેશદેશના જનને તેડાવ્યા, કાર્ય ઉપર તે સહુ આવ્યા. 3

દશાહાદિ એકાદશા જેહ, ભદ્રાતટ હરિયે કર્યા તેહ;

દ્વાદશાહ ને શ્રવણીશ્રાદ્ધ, કર્યા શાસ્ત્ર પ્રમાણે અબાધ. 4

દીધાં દ્વિજને નાનાવિધ દાન, દીધાં ભાવતાં ભોજનપાન;

ધર્મ સ્થાપવા તનુધરી હરિ, માટે વેદવિહિત ક્રિયા કરી. 5

સર્વ જનને શિખવવાને કાજે, કરી સર્વ ક્રિયા મહારાજે;

એમ તેરમો દિવસ ગયો, દિન ચૌદમો તે જયારે થયો. 6

સભા સજી બેઠા ઘનશામ, બેઠા હરિજન સંત તમામ;

સભામધ્યે સિંહાસન એક, જેનું મૂલ છે મહોર અનેક. 7

બેઠા તે પર શ્રીમહારાજ, બેઠો આગળ સંત સમાજ;

ધર્મ આદિક સદ્ગુણ ધારી, સતશાસ્ત્રના અભ્યાસકારી. 8

મુકતાનંદ આદિક મુનિ જેવા, બેઠા આગળ આગળ એવા;

ભલા બ્રાહ્મણ શાસ્ત્ર ભણેલા, સભા મોટીમાં માન પામેલાં. 9

એક પડખે સિંહાસન પાસે, બેઠા ઉત્તમ પદવીની આશે;

મોટામોટા ગૃહસ્થ ને રાજા, યથાયોગ્ય સભામાં બિરાજયા. 10

દેશદેશથી આવેલા જેહ, બેઠા સંઘના જન સઉ તેહ;

લાડકીબાઇ આદિક નારી, સજી તેણે સભા જુદી સારી. 11

નરોથી એક ધનુષ પ્રમાણ, સજી દૂર સભા તે સુજાણ;

ક્ષત્રિમાં મુખ્ય તો રાજોભાઇ, જેની સમઝણ છે અધિકાઇ. 12

તેણે હરિશિર છત્ર ધરેલું, દિસે સો સળિયોનું કરેલું;

છત્ર શ્વેત તે ચંદ્રમાં જેવું, ઇન્દ્રભુવનમાં નવ મળે એવું. 13

ધર્યું ચામર ગોવિંદરામે, ધર્યું બીજું કુંવરજી નામે;

મોટા સંત રુડા રામદાસ, ઝાલી રૂમાલ ઉભા છે પાસ. 14

ભલા ભકત વેરોભાઇ જેહ, ધરી વીંઝણો ઉભા છે તેહ;

હરિભકતો ઘણા ઘણા આવે, વસ્ત્ર ભૂષણ હરિને ચડાવે. 15

કરી પૂજા ઘણી ધરી પ્રીત, ચિત્ત રાખી ચકોરની રીત;

સર્વે બેઠા સભા માંહિ જઇ, હરિ મૂર્તિમાં એકાગ્ર થઇ. 16

એવા હરિજન પ્રત્યે શ્રીહરિ, બોલ્યા કરુણા નિધિ કૃપા કરી;

રામાનંદના શિષ્ય છો સારા, તમે ધર્મ ભલો પાળનારા. 17

પણ સ્વામીયે પોતાને ઠામ, મને બેસાર્યો કરવાને કામ;

ગુરુ તેથી તમારો હું છું, માટે હિતનાં સુવાકય કહું છું. 18

ગુરુ શિષ્ય તણા જેહ ધર્મ, તેનો જાણે ગુણી જન મર્મ;

ગુરુયે હિતવચન કહેવાં, શિષ્યે તે મનમાં ધરી લેવાં. 19

ઉપજાતિવૃત્ત:-

પાળો સુશ્રદ્ધા ધરી ધર્મ સારો, તેથી બધો અર્થ સરે તમારો;

તે ધર્મ સામાન્ય તથા વિશેષ, પ્રકાર તેનો કહું કાંઇ લેશ. 20

પુરુષ કે જે પ્રમદા ગણાય, જે ધર્મ સૌના સરખા જણાય;

સામાન્ય ધર્મો શ્રુતિમાં કહ્યાં છે, વિશેષ વર્ણાશ્રમ આદિના છે. 21

સામાન્ય ધર્મો તમને સુણાવું, કહી ગયા નારદ તે બતાવું;

મુમુક્ષુ પ્રાણી જગ માંહી જે છે, સદ્ધર્મ તેના હિતકારી તે છે.22

સત્ય દયા ને તપ શૌચ જાણો, ઇક્ષા તિતીક્ષા શમતા પ્રમાણો;

તથા અિંહંસા દમ બ્રહ્મચર્ય, સ્વાધ્યાય ને આર્જવ ત્યાગવર્ય. 23

સંતોષ ને સત્પુરુષોની સેવા, ઈંદ્રિયના વિષય જીતી લેવા;

માનેલ દુઃખે સુખ તે વિચારે, આત્માતણુ ચિંતન મૌન ધારે. 24

ચોપાઈ:-

આપે અન્નાદિ દાન સુરીતે, કથા કૃષ્ણની સાંભળે નિત્યે;

વળી કૃષ્ણનાં કીર્તન કરે, ધ્યાન શ્રીહરિનું ઉર ધરે. 25

પદસેવા સજે શુભ રીતે, કરે પૂજન વંદન પ્રીતે;

કરે દાસ્ય સખાપણું જેમ, તથા આત્માસમર્પણ તેમ. 26

મદ્ય માંસનો ન કરે આહાર, આત્માઘાત નહી કરનાર;

પારકી ચીજ ચોરી ન લાવે, કોઇને ન કલંક ચડાવે. 27

કોઇ દેવની નિંદા ન થાય, અણખપતું ન પિયે ન ખાય;

હરિવિમુખ મુખની કથાય, કદી સાંભળવા ન ચહાય. 28

જાતિ સર્વ મનુષ્ય છે જેહ, સાધારણ ધર્મ સર્વનો તેહ;

વિપ્ર ક્ષત્રિને વૈશ્ય ગણાય, શુદ્રસહિત વરણ ચાર થાય. 29

બ્રહ્મચારી તથા જે ગૃહસ્થ, ત્રીજું આશ્રમ તો વાનપ્રસ્થ;

ચોથા સંન્યાસી સંસાર પાર, કહ્યાં આશ્રમ એ રીતે ચાર. 30

ત્રણ વર્ણને છે સંસ્કાર, બીજો જન્મ એ તો નિરધાર;

તેથી ત્રણે દ્વિજાતિ ગણાય, શુદ્ર તો એકજાતિ જણાય. 31

ચાર વર્ણ વિના બીજા જેહ, વર્ણસંકર જાતિના તેહ;

ઘટે વિપ્રને આશ્રમ ચાર, વૈશ્ય ક્ષત્રિને ત્રણ નિરધાર. 32

તેણે ધરવો ન સંન્યાસધર્મ, એવો કોઇ મુનિ કહે મર્મ;

વળી કોઇ લખી ગયા આવું, વૈશ્ય ક્ષત્રિયે સંન્યાસી થાવું. 33

એવો બેય પક્ષનો છે ધર્મ, શુદ્રને તો ગૃહસ્થ આશ્રમ;

બીજા સંકરજાતિ છે જેહ, ગૃહસ્થાશ્રમમાં રહે તેહ. 34

સધવા વિધવા સ્ત્રી જાત, ભજે ભગવાનને દિન રાત;

નર જે અતિ હોય વૈરાગી, પ્રભુને ભજે સંસાર ત્યાગી. 35

તે તો સાધુજનો કહેવાય, નિજ પરનું સદા હિત ચહાય;

જે જે વર્ણ ને આશ્રમ કહ્યા, તેના પૃથક પૃથક ધર્મ રહ્યા.36

તેનું ધર્મ વિશેષ છે નામ, તેની વિગતી સુણાવું આ ઠામ;

વેદ શાસ્ત્ર તણું મત લૈને, કહું છું તે સુણો ચિત્ત દૈને. 37

શમ દમ તપ શૌચ સંતોષ, શાંતિ આર્જવ યજ્ઞ અદોષ;

હિંસારહિત જે યજ્ઞ કરાય, યજ્ઞ તે નિરદોષ ગણાય. 38

કોઇ સાથે ન મત્સર રાખે, મનમાં મિત્રતા અભિલાખે;

પાળે ધર્મ તજે અદેખાઇ, દાન અન્નાદિ દે સુખદાઇ. 39

કરે કૃષ્ણની પૂજા હમેશ, મન કોમળ રાખે વિશેષ;

લજજા જ્ઞાન વિજ્ઞાન ગણાય, રાખે આસ્તિકતા સ્વાધ્યાય.40

સમદષ્ટિપણું સર્વમાંય, ધર્મ વિપ્રના તે કહેવાય;

હવે ક્ષત્રિના ધર્મ વિશેષ, કહું સાંભળો તે ઉપદેશ. 41

વીર્ય તેજ તથા શૌર્ય ધૈર્ય, ધરે ઉદ્યમ અૌદાર્ય સ્થૈર્ય;

આત્માજય અને ઉત્સાહ આણે, વિપ્રને પાળવા જોગ્ય જાણે. 42

ધરી ઐશ્વર્ય રક્ષણ કરે, જીતે શત્રુને દિલ નવ ડરે;

રાખે ડહાપણ ને મોજ દેય, યુદ્ધમાં નહિ પાછો હઠેય. 43

શસ્ત્ર વાહનપર ઘણો સ્નેહ, દાન દેવામાં વખણાય જેહ;

જેમાં દ્રવ્ય ઘણું ખરચાય, એવા યજ્ઞ કર્યાની ઇચ્છાય. 44

પૂજે વિપ્રને પૂજે પ્રભુને, સુત સમ પાળે વસ્તી સહુને;

શરણાગત રક્ષણ કરે, ક્ષત્રિધર્મ તે મુનિ ઉચ્ચરે. 45

હવે વૈશ્ય તણા જેહ ધર્મ, કહું સાંભળો તેહનો મર્મ;

રાખે આસ્તિકતા અતિ ઊર, કરે ઊદ્યમ નિત્ય જરૂર. 46

દિલે દંભ કદાપિ ન દિસે, સેવે વિપ્રને સ્નેહે અતીશે;

ત્રણ વર્ણનું પોષણ કરે, ગુરુદેવની ભકિત આદરે. 47

ખેડ કરવા ઉરે અભિલાખે, ગાયો પાળવાની રુચિ રાખે;

દાનનિષ્ઠા ને ડહાપણ જાણું, એ તો વૈશ્યનો ધર્મ વખાણું. 48

હવે શુદ્રના ધર્મ છે જેહ, તમને સંભળાવું છું તેહ;

દેવતાની દ્વિજાતિની સેવા, સેવે સાધુને પણ સુખ લેવા. 49

સેવા ગાયોની સજવાનું ધારે, સદા સર્વથા કપટ વિસારે;

એવું કામ કરી ધન લાવે, તે વડે નિરવાહ ચલાવે. 50

રાખે તેથી સંતોષ હંમેશ, એ તો શુદ્રનો ધર્મ વિશેષ;

એ રીતે ચારે વર્ણના ધર્મ, કહ્યા સર્વ સહિત સુકર્મ. 51

પૂર્વછાયો:-

સુણો સહુ જન સ્નેહથી, ગર્ભાધાન આદિક સંસ્કાર;

સોળ પ્રકારે શાસ્ત્રમાં, કહ્યા છે તે કરું ઉચ્ચાર. 52

પ્રથમ ગરભાધાન છે, પછી પુંસવન સંસ્કાર;

પુત્ર થવાની આશીષ છે, પછી ઇશ્વર પર આધાર. 53

ત્રીજો સીમંત સંસ્કાર છે, જેમાં સેંથો સાફ કરાય;

ગર્ભવતીને આનંદ ઊપજે,ગર્ભ પ્રફુલ્લિત થાય. 54

જાતકરમ સંસ્કાર છે, બાળજન્મ સમે કરે જેહ;

બાળકની શુદ્ધિ તથા, દાન દેવા આદિક છે તેહ. 55

નામકરણ સંસ્કાર તે, પાડે બાળક કેરું નામ;

નિષ્ક્રમણ તે ચંદ્રદર્શન, એ છે ક્રિયા અભિરામ. 56

અન્ન જમાડવું પ્રથમ તે, અન્નપ્રાશન છે સંસ્કાર;

પ્રથમ વાળ ઉતારવા, ચૌળકર્મ તણો તે વિચાર. 57

કાન વિંધે બાળક તણા, કર્ણવેધ તે તો કહેવાય;

જનોઇ દઇ વ્રત ગુરુ કહે, તે વ્રતાદેશ ગણાય. 58

વેદ ભણે બ્રહ્મચારી થઇ, વેદારંભ કહે ગુણવાન;

નાય જટા ઉતારીને, તેને કહે કેશાંતસ્નાન. 59

ભણી ગણી વળે ઘરભણી, સમાવર્તન તેહનું નામ;

તે સંસ્કાર છે તેરમો, શ્રુતિ સ્મૃતિ કહે છે આમ. 60

ચૌદમો જે સંસ્કાર છે, વદે તેનું નામ વિવાહ;

વરે કન્યા નિજ જાતિની, જેમ વેદ બતાવે રાહ. 61

આખી ઉંમર સુધી પૂજવા, અગ્નિ ચોરીમાંથી લે જેહ;

વિવાહાગ્નીસંગ્રહ નામે, છે શુભ સંસ્કાર તેહ. 62

ગારહપત્ય આહવનીય, દક્ષિણાગ્નિ ત્રીજો કહેવાય;

અગ્નિ રાખે ત્રણ વેદના, તે ત્રેતાગ્નિગ્રહણ ગણાય. 63

સોળ કહ્યા સંસ્કાર તે, ત્રણે વર્ણ કરે ધરી પ્રીત;

વેદે કહ્યા છે તે ભણી ભણીને, વેદના મંત્ર સહિત. 64

કન્યાને સંસ્કાર નવ, કર્ણવેધ સુધી જ કરાય;

વિવાહ પણ ત્રણ વર્ણને, વેદમંત્ર ભણીને થાય. 65

શુદ્રને પણ સંસ્કાર નવ, પછી છે દસમો ઉદ્વાહ;

વેદના મંત્ર વિના કરે, એવો છે શ્રુતિ સ્મૃતિનો રાહ. 66

પુષ્પિતાગ્રાવૃત્ત:-

વરણધરમ મેં કહ્યા વિચારી, શ્રુતિ વળી શાસ્ત્ર તણા મતાનુસારી;

ધરમ પૃથક આશ્રમો તણા છે, અલપ કહીશ વિશેષ તો ઘણા છે.67

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ-

ચતુર્વણધર્મકથનનામા પ્રથમો વિશ્રામઃ ।।1।।