શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્
।। શ્રીહરિલીલામૃતમ્ ।।
।।સૌરાષ્ટ્રનામ પંચમકલશપ્રારંભઃ ।।
શાર્દૂલવિક્રીડિતવૃત્ત:-
વંદૂ જે હરિયે પ્રતાપ નિજનો સૌરાષ્ટ્ર દેશે ઘણો,
દેખાડ્યો કરી મગ્નિરામ જનને આશ્રિત પોતા તણો;
ધામો શુદ્ધ સમાધિમાં સુજનને દેખાડિયાં દષ્ટિયે,
લાખો વિપ્ર જમાડિયા જન સુખી કીધા કૃપા દષ્ટિયે.1
પૂર્વછાયો:-
દેહ તજયો રામાનંદજી, થઇ ત્યાર પછી જે વાત;
તેહ કથા તમને કહું, ભાવે સુણો અભેસિંહ ભ્રાત.2
ચોપાઈ:-
દશ દિવસ સુધી દિલ લાવી, કથા ગીતાની નિત્ય કરાવી;
દેશદેશના જનને તેડાવ્યા, કાર્ય ઉપર તે સહુ આવ્યા. 3
દશાહાદિ એકાદશા જેહ, ભદ્રાતટ હરિયે કર્યા તેહ;
દ્વાદશાહ ને શ્રવણીશ્રાદ્ધ, કર્યા શાસ્ત્ર પ્રમાણે અબાધ. 4
દીધાં દ્વિજને નાનાવિધ દાન, દીધાં ભાવતાં ભોજનપાન;
ધર્મ સ્થાપવા તનુધરી હરિ, માટે વેદવિહિત ક્રિયા કરી. 5
સર્વ જનને શિખવવાને કાજે, કરી સર્વ ક્રિયા મહારાજે;
એમ તેરમો દિવસ ગયો, દિન ચૌદમો તે જયારે થયો. 6
સભા સજી બેઠા ઘનશામ, બેઠા હરિજન સંત તમામ;
સભામધ્યે સિંહાસન એક, જેનું મૂલ છે મહોર અનેક. 7
બેઠા તે પર શ્રીમહારાજ, બેઠો આગળ સંત સમાજ;
ધર્મ આદિક સદ્ગુણ ધારી, સતશાસ્ત્રના અભ્યાસકારી. 8
મુકતાનંદ આદિક મુનિ જેવા, બેઠા આગળ આગળ એવા;
ભલા બ્રાહ્મણ શાસ્ત્ર ભણેલા, સભા મોટીમાં માન પામેલાં. 9
એક પડખે સિંહાસન પાસે, બેઠા ઉત્તમ પદવીની આશે;
મોટામોટા ગૃહસ્થ ને રાજા, યથાયોગ્ય સભામાં બિરાજયા. 10
દેશદેશથી આવેલા જેહ, બેઠા સંઘના જન સઉ તેહ;
લાડકીબાઇ આદિક નારી, સજી તેણે સભા જુદી સારી. 11
નરોથી એક ધનુષ પ્રમાણ, સજી દૂર સભા તે સુજાણ;
ક્ષત્રિમાં મુખ્ય તો રાજોભાઇ, જેની સમઝણ છે અધિકાઇ. 12
તેણે હરિશિર છત્ર ધરેલું, દિસે સો સળિયોનું કરેલું;
છત્ર શ્વેત તે ચંદ્રમાં જેવું, ઇન્દ્રભુવનમાં નવ મળે એવું. 13
ધર્યું ચામર ગોવિંદરામે, ધર્યું બીજું કુંવરજી નામે;
મોટા સંત રુડા રામદાસ, ઝાલી રૂમાલ ઉભા છે પાસ. 14
ભલા ભકત વેરોભાઇ જેહ, ધરી વીંઝણો ઉભા છે તેહ;
હરિભકતો ઘણા ઘણા આવે, વસ્ત્ર ભૂષણ હરિને ચડાવે. 15
કરી પૂજા ઘણી ધરી પ્રીત, ચિત્ત રાખી ચકોરની રીત;
સર્વે બેઠા સભા માંહિ જઇ, હરિ મૂર્તિમાં એકાગ્ર થઇ. 16
એવા હરિજન પ્રત્યે શ્રીહરિ, બોલ્યા કરુણા નિધિ કૃપા કરી;
રામાનંદના શિષ્ય છો સારા, તમે ધર્મ ભલો પાળનારા. 17
પણ સ્વામીયે પોતાને ઠામ, મને બેસાર્યો કરવાને કામ;
ગુરુ તેથી તમારો હું છું, માટે હિતનાં સુવાકય કહું છું. 18
ગુરુ શિષ્ય તણા જેહ ધર્મ, તેનો જાણે ગુણી જન મર્મ;
ગુરુયે હિતવચન કહેવાં, શિષ્યે તે મનમાં ધરી લેવાં. 19
ઉપજાતિવૃત્ત:-
પાળો સુશ્રદ્ધા ધરી ધર્મ સારો, તેથી બધો અર્થ સરે તમારો;
તે ધર્મ સામાન્ય તથા વિશેષ, પ્રકાર તેનો કહું કાંઇ લેશ. 20
પુરુષ કે જે પ્રમદા ગણાય, જે ધર્મ સૌના સરખા જણાય;
સામાન્ય ધર્મો શ્રુતિમાં કહ્યાં છે, વિશેષ વર્ણાશ્રમ આદિના છે. 21
સામાન્ય ધર્મો તમને સુણાવું, કહી ગયા નારદ તે બતાવું;
મુમુક્ષુ પ્રાણી જગ માંહી જે છે, સદ્ધર્મ તેના હિતકારી તે છે.22
સત્ય દયા ને તપ શૌચ જાણો, ઇક્ષા તિતીક્ષા શમતા પ્રમાણો;
તથા અિંહંસા દમ બ્રહ્મચર્ય, સ્વાધ્યાય ને આર્જવ ત્યાગવર્ય. 23
સંતોષ ને સત્પુરુષોની સેવા, ઈંદ્રિયના વિષય જીતી લેવા;
માનેલ દુઃખે સુખ તે વિચારે, આત્માતણુ ચિંતન મૌન ધારે. 24
ચોપાઈ:-
આપે અન્નાદિ દાન સુરીતે, કથા કૃષ્ણની સાંભળે નિત્યે;
વળી કૃષ્ણનાં કીર્તન કરે, ધ્યાન શ્રીહરિનું ઉર ધરે. 25
પદસેવા સજે શુભ રીતે, કરે પૂજન વંદન પ્રીતે;
કરે દાસ્ય સખાપણું જેમ, તથા આત્માસમર્પણ તેમ. 26
મદ્ય માંસનો ન કરે આહાર, આત્માઘાત નહી કરનાર;
પારકી ચીજ ચોરી ન લાવે, કોઇને ન કલંક ચડાવે. 27
કોઇ દેવની નિંદા ન થાય, અણખપતું ન પિયે ન ખાય;
હરિવિમુખ મુખની કથાય, કદી સાંભળવા ન ચહાય. 28
જાતિ સર્વ મનુષ્ય છે જેહ, સાધારણ ધર્મ સર્વનો તેહ;
વિપ્ર ક્ષત્રિને વૈશ્ય ગણાય, શુદ્રસહિત વરણ ચાર થાય. 29
બ્રહ્મચારી તથા જે ગૃહસ્થ, ત્રીજું આશ્રમ તો વાનપ્રસ્થ;
ચોથા સંન્યાસી સંસાર પાર, કહ્યાં આશ્રમ એ રીતે ચાર. 30
ત્રણ વર્ણને છે સંસ્કાર, બીજો જન્મ એ તો નિરધાર;
તેથી ત્રણે દ્વિજાતિ ગણાય, શુદ્ર તો એકજાતિ જણાય. 31
ચાર વર્ણ વિના બીજા જેહ, વર્ણસંકર જાતિના તેહ;
ઘટે વિપ્રને આશ્રમ ચાર, વૈશ્ય ક્ષત્રિને ત્રણ નિરધાર. 32
તેણે ધરવો ન સંન્યાસધર્મ, એવો કોઇ મુનિ કહે મર્મ;
વળી કોઇ લખી ગયા આવું, વૈશ્ય ક્ષત્રિયે સંન્યાસી થાવું. 33
એવો બેય પક્ષનો છે ધર્મ, શુદ્રને તો ગૃહસ્થ આશ્રમ;
બીજા સંકરજાતિ છે જેહ, ગૃહસ્થાશ્રમમાં રહે તેહ. 34
સધવા વિધવા સ્ત્રી જાત, ભજે ભગવાનને દિન રાત;
નર જે અતિ હોય વૈરાગી, પ્રભુને ભજે સંસાર ત્યાગી. 35
તે તો સાધુજનો કહેવાય, નિજ પરનું સદા હિત ચહાય;
જે જે વર્ણ ને આશ્રમ કહ્યા, તેના પૃથક પૃથક ધર્મ રહ્યા.36
તેનું ધર્મ વિશેષ છે નામ, તેની વિગતી સુણાવું આ ઠામ;
વેદ શાસ્ત્ર તણું મત લૈને, કહું છું તે સુણો ચિત્ત દૈને. 37
શમ દમ તપ શૌચ સંતોષ, શાંતિ આર્જવ યજ્ઞ અદોષ;
હિંસારહિત જે યજ્ઞ કરાય, યજ્ઞ તે નિરદોષ ગણાય. 38
કોઇ સાથે ન મત્સર રાખે, મનમાં મિત્રતા અભિલાખે;
પાળે ધર્મ તજે અદેખાઇ, દાન અન્નાદિ દે સુખદાઇ. 39
કરે કૃષ્ણની પૂજા હમેશ, મન કોમળ રાખે વિશેષ;
લજજા જ્ઞાન વિજ્ઞાન ગણાય, રાખે આસ્તિકતા સ્વાધ્યાય.40
સમદષ્ટિપણું સર્વમાંય, ધર્મ વિપ્રના તે કહેવાય;
હવે ક્ષત્રિના ધર્મ વિશેષ, કહું સાંભળો તે ઉપદેશ. 41
વીર્ય તેજ તથા શૌર્ય ધૈર્ય, ધરે ઉદ્યમ અૌદાર્ય સ્થૈર્ય;
આત્માજય અને ઉત્સાહ આણે, વિપ્રને પાળવા જોગ્ય જાણે. 42
ધરી ઐશ્વર્ય રક્ષણ કરે, જીતે શત્રુને દિલ નવ ડરે;
રાખે ડહાપણ ને મોજ દેય, યુદ્ધમાં નહિ પાછો હઠેય. 43
શસ્ત્ર વાહનપર ઘણો સ્નેહ, દાન દેવામાં વખણાય જેહ;
જેમાં દ્રવ્ય ઘણું ખરચાય, એવા યજ્ઞ કર્યાની ઇચ્છાય. 44
પૂજે વિપ્રને પૂજે પ્રભુને, સુત સમ પાળે વસ્તી સહુને;
શરણાગત રક્ષણ કરે, ક્ષત્રિધર્મ તે મુનિ ઉચ્ચરે. 45
હવે વૈશ્ય તણા જેહ ધર્મ, કહું સાંભળો તેહનો મર્મ;
રાખે આસ્તિકતા અતિ ઊર, કરે ઊદ્યમ નિત્ય જરૂર. 46
દિલે દંભ કદાપિ ન દિસે, સેવે વિપ્રને સ્નેહે અતીશે;
ત્રણ વર્ણનું પોષણ કરે, ગુરુદેવની ભકિત આદરે. 47
ખેડ કરવા ઉરે અભિલાખે, ગાયો પાળવાની રુચિ રાખે;
દાનનિષ્ઠા ને ડહાપણ જાણું, એ તો વૈશ્યનો ધર્મ વખાણું. 48
હવે શુદ્રના ધર્મ છે જેહ, તમને સંભળાવું છું તેહ;
દેવતાની દ્વિજાતિની સેવા, સેવે સાધુને પણ સુખ લેવા. 49
સેવા ગાયોની સજવાનું ધારે, સદા સર્વથા કપટ વિસારે;
એવું કામ કરી ધન લાવે, તે વડે નિરવાહ ચલાવે. 50
રાખે તેથી સંતોષ હંમેશ, એ તો શુદ્રનો ધર્મ વિશેષ;
એ રીતે ચારે વર્ણના ધર્મ, કહ્યા સર્વ સહિત સુકર્મ. 51
પૂર્વછાયો:-
સુણો સહુ જન સ્નેહથી, ગર્ભાધાન આદિક સંસ્કાર;
સોળ પ્રકારે શાસ્ત્રમાં, કહ્યા છે તે કરું ઉચ્ચાર. 52
પ્રથમ ગરભાધાન છે, પછી પુંસવન સંસ્કાર;
પુત્ર થવાની આશીષ છે, પછી ઇશ્વર પર આધાર. 53
ત્રીજો સીમંત સંસ્કાર છે, જેમાં સેંથો સાફ કરાય;
ગર્ભવતીને આનંદ ઊપજે,ગર્ભ પ્રફુલ્લિત થાય. 54
જાતકરમ સંસ્કાર છે, બાળજન્મ સમે કરે જેહ;
બાળકની શુદ્ધિ તથા, દાન દેવા આદિક છે તેહ. 55
નામકરણ સંસ્કાર તે, પાડે બાળક કેરું નામ;
નિષ્ક્રમણ તે ચંદ્રદર્શન, એ છે ક્રિયા અભિરામ. 56
અન્ન જમાડવું પ્રથમ તે, અન્નપ્રાશન છે સંસ્કાર;
પ્રથમ વાળ ઉતારવા, ચૌળકર્મ તણો તે વિચાર. 57
કાન વિંધે બાળક તણા, કર્ણવેધ તે તો કહેવાય;
જનોઇ દઇ વ્રત ગુરુ કહે, તે વ્રતાદેશ ગણાય. 58
વેદ ભણે બ્રહ્મચારી થઇ, વેદારંભ કહે ગુણવાન;
નાય જટા ઉતારીને, તેને કહે કેશાંતસ્નાન. 59
ભણી ગણી વળે ઘરભણી, સમાવર્તન તેહનું નામ;
તે સંસ્કાર છે તેરમો, શ્રુતિ સ્મૃતિ કહે છે આમ. 60
ચૌદમો જે સંસ્કાર છે, વદે તેનું નામ વિવાહ;
વરે કન્યા નિજ જાતિની, જેમ વેદ બતાવે રાહ. 61
આખી ઉંમર સુધી પૂજવા, અગ્નિ ચોરીમાંથી લે જેહ;
વિવાહાગ્નીસંગ્રહ નામે, છે શુભ સંસ્કાર તેહ. 62
ગારહપત્ય આહવનીય, દક્ષિણાગ્નિ ત્રીજો કહેવાય;
અગ્નિ રાખે ત્રણ વેદના, તે ત્રેતાગ્નિગ્રહણ ગણાય. 63
સોળ કહ્યા સંસ્કાર તે, ત્રણે વર્ણ કરે ધરી પ્રીત;
વેદે કહ્યા છે તે ભણી ભણીને, વેદના મંત્ર સહિત. 64
કન્યાને સંસ્કાર નવ, કર્ણવેધ સુધી જ કરાય;
વિવાહ પણ ત્રણ વર્ણને, વેદમંત્ર ભણીને થાય. 65
શુદ્રને પણ સંસ્કાર નવ, પછી છે દસમો ઉદ્વાહ;
વેદના મંત્ર વિના કરે, એવો છે શ્રુતિ સ્મૃતિનો રાહ. 66
પુષ્પિતાગ્રાવૃત્ત:-
વરણધરમ મેં કહ્યા વિચારી, શ્રુતિ વળી શાસ્ત્ર તણા મતાનુસારી;
ધરમ પૃથક આશ્રમો તણા છે, અલપ કહીશ વિશેષ તો ઘણા છે.67
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ-
ચતુર્વણધર્મકથનનામા પ્રથમો વિશ્રામઃ ।।1।।