પૂર્વછાયો:-

કહે અચિંત્યાનંદજી, ભાવે સુણો અભેસિંહ ભ્રાત;

પાર્ષદ સંતની પંકિત થઇ, જમવા તે વર્ણવું વાત.1

ચોપાઈ:-

સંતો પંકિત સજી બેઠા જયારે, નારાયણ ધુન્ય ઉચર્યા ત્યારે;

રામાનંદ શ્રીજીમહારાજ, આવ્યા તે તો પિરસવા કાજ. 2

શાક પાક તથા પકવાન, ભાવથી પીરસે ભગવાન;

સંત એક જ પાત્રમાં લે છે, બધુ ચોળીને ભેળું કરે છે.3

ત્રણ અંજળી નાખે છે નીર, એવા નિઃસ્વાદી ગુણગંભીર;

મુખે પ્રત્યેક કોળિયો ધારે, સ્વામિનારાયણ તે ઉચ્ચારે. 4

પ્રભુ તાણ્ય કરી પીરસે છે, મુનિ તો મિતાહાર ચહે છે;

જમે જાણી પ્રભુનો પ્રસાદ, નથી ઇચ્છતા અંતરે સ્વાદ. 5

સંતના ગુણ વિષે :- ઉપજાતિવૃત્ત:-

ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું;

સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય.6

સંતો તણા ચંચળ નોય નેણ, સંતો તણા વિહ્વળ નોય વેણ;

સંતોની વૃત્તિ સ્થિર તો જણાય, કુસંગી દેખી સતસંગી થાય.7

રજો તમો ગુણ જરી ન ભાસે, ન કામ કે ક્રોધ કદી વિકાસે;

માનાપમાને સમતા સદાય, કુસંગી દેખી સતસંગી થાય.8

જો સંત ચિત્તે અભિમાન ભાસે, કે કામ ક્રોધાદિ કદી વિકાસે;

જિહ્વા તણો સ્વાદ જરી જણાય, તે સંતનો શો મહિમા મનાય.9

જેવા સુસંતો શુક નારદાદિ, એવા જ સંતો મુનિ મુકત આદિ;

પ્રત્યક્ષરૂપે પ્રભુ હોય જયાંય, ત્યાં સંત એવા નહિ અન્ય કયાંય. 10

ચોપાઈ:-

જોઇ સંતોની જમવાની રીત, જનનાં થયાં નિર્મળ ચિત્ત;

દીઠી વૈરાગ્યમાં નહિ મણા, સતસંગી થયા જન ઘણા. 11

જમી ઉઠ્યા સાધુ પાળા જયારે, વહેંચી વરિયાળી તે વારે;

સંત સૌ નિજ આસને ગયા, કથા વાર્તામાં તત્પર થયા. 12

એક વિપે્ર રસોઇ કરેલી, તાજી સુંદર થાળે ધરેલી;

જમાડીને તે બાળ મુકુંદ, જમ્યા શ્રીહરિ ને રામાનંદ. 13

દેશોદેશથી આવેલા જેહ, હરિભકત કે કુસંગી તેહ;

સૌને સ્નેહ સહિત જમાડ્યા, પરિપૂર્ણ સંતોષ પમાડ્યા. 14

નોતર્યું હતું સઘળું ગામ, હિંદુ મુસલમાન તમામ;

બાળ વૃદ્ધ સકળ નર નારી, હોય રાય કે હોય ભિખારી. 15

જમાડ્યા જન એમ અપાર, બોલે જન સઉ જયજયકાર;

અન્ન માંડ્યું પ્રભાતથી દેવા, રાત અરધી સુધી આવ્યા લેવા . 16

માગે અન્નારથી અન્ન આવી, એને આપે છે હેતે બોલાવી;

હોય હિંદુ કે મુસલમાન, તોય દે છે તેને અન્નદાન. 17

આપો આપો ને લ્યો લ્યો પોકારે, નહિ કોઇ નકાર ઉચ્ચારે;

કરે ચિત્તમાં લોક વિચાર, ન ભણ્યા કે ભુલ્યા શું નકાર? 18

અનુષ્ટુપ :-

માગે અન્નારથી આવી, લ્યો લ્યો દે અક્ષરો કથી;

કેમ નાકાર જાકાર, અક્ષરો આપતા નથી. 19

જાકાર સહજાનંદે, ના નારાયણમાં રહે;

કેમ તે અક્ષરો બન્ને, કોઇને આપવા ચહે. 20

ચોપાઈ:-

મેજામાનોની કરી બરદાસ, તેમાં કાંઇ ન રાખી કચાશ;

સૌની દેખી ભલી સર્ભરાય, રાજા રાણાયે વિસ્મિત થાય.21

જન સર્વ કહે છે તે જોઇ, આવું તો ન કરી શકે કોઇ;

ઘણા દેતાં પગારના દામ, નોકરો ન કરે આમ કામ. 22

આતો લેતા નથી જ પગાર, તોય આળસ ન કરે લગાર;

નથી ભૂખ તરશ તણું ભાન, સદા સેવા વિષે સાવધાન.23

ભાસે પરચો ભલો એ તો ભાઇ, રામાનંદની ઇશ્વરતાઇ;

એમ જાણીને આશ્રિત થયા, ભગવાને કરી તેને દયા. 24

એમ નિર્વિઘ્ન ઉત્સવ થયો, સંઘ સર્વે પુનમ સુધી રહ્યો;

જેતપુરના હરિજને આવી, રામાનંદને વિનતિ સુણાવી. 25

ગામમાં અતિવૃદ્ધ રહે છે, તેઓ દર્શન કરવા ચહે છે;

આંહી આવી શકે નહિ એને, દયાથી આપો દર્શન તેને. 26

સ્વામીયે ઊર અરજી ધારી, પૂર્ણિમાને પ્રભાતે વિચારી;

સજી શોભે એવી અસવારી, ભદ્રા નાવા જવા નિરધારી. 27

હાથી ઊપર બન્ને બિરાજયા, છડીદાર બોલે અધિરાજા;

બન્નેને શિર ચમ્મર ઢળે, રવિશશિસમ મુખ ઝળમળે. 28

મોટા સંત મેનામાં વિરાજે, વાજાં વિવિધ પ્રકારનાં વાજે;

રથ અશ્વ તણો નહીં પાર, પાળા ચાલે હજારો હજાર. 29

આખા ગામમાં ફરી અસવારી, કરે દરશન સૌ નરનારી;

નદી ભદ્રામાં જૈ કર્યું સ્નાન, આવ્યાં તીર્થ સરવે તે સ્થાન.30

સ્તુતિ શ્રીહરિની ત્યાં ઉચ્ચારી, કહ્યો ભદ્રાનો મહિમા ભારી;

કરી સ્નાન મંદિરમાં આવ્યા, નિજનિજને ઉતારે સિધાવ્યા. 31

રામાનંદ બેઠા એક ઠામ, હતા પાસે તો ભટ્ટ મયારામ;

નિજ ધોતિયું જીરણ જાણી, બીજું ધારવાની રુચિ આણી.32

કહ્યું કોઠારીને તમે આવો, બીજું ધોતિયું બદલવા લાવો;

લાવ્યા કોઠારી ધોતિયું એવું, ખૂબ જાડું તે ખાદીના જેવું. 33

બોલ્યા ભટજી માનો કહ્યું મારું, એને બદલે બીજું લાવો સારું;

વળી બોલ્યા ભટ મયારામ, આવા કોઠારી છે સઉ ઠામ. 34

કરે કસર અનેક પ્રકાર, નવ સમઝે વિવેક લગાર;

કહું દષ્ટાંત તેનું વિચારી, કેવો છે શિવજીનો કોઠારી. 35

સ્રગ્ધરાવૃત્ત:-

આ લોકે સ્વર્ગલોકે સકળ થળ જુઓ સર્વ કોઠારી એવા,

કીધો કોઠારી ઇશે અલકપુરપતિ સોંપી ભંડાર કેવા; 36

તે ભંડારે ભરેલા સકળનિધિ છતાં લોભ કેવો કરે છે,

શંભુને વસ્ત્ર વાસ્તે વપુપર ગજનું વાઘનું ચર્મ દે છે. 37

ચોપાઈ:-

વળી વર્ણી કહે સુણ રાય, કહું ચાલતી જેહ કથાય;

સાંજ સમયે રુડી સભા ભરી, રામાનંદ તથા બેઠા હરિ. 38

તેથી મંડપ બહુ ભલો શોભે, ઇન્દ્ર આદિકનું મન લોભે;

કોઇ હાર ચડાવાને આવે, કોઇ પૂજાનો સામાન લાવે. 39

કોઇ વસ્ત્ર ને ભૂષણ ધરે, હરિની કોઇ આરતી કરે;

સભામાં બેઠા છે બહુ સંત, તથા બેઠા ગૃહસ્થ અનંત.40

સ્ત્રિયોની થઇ દૂર સભાય, જેમ સ્વામીની વાત સુણાય;

તાળી પાડી બોલ્યા રામાનંદ, તમે સાંભળો સૌ જનવૃંદ. 41

કહી એમ જેતપુર કેરો, કહ્યો સ્વામીયે મહિમા ઘણેરો;

હવે તે તમને હું કહીશ, મન રાખીને સુણજો મહીશ. 42

પુષ્પિતાગ્રાવૃત્ત:-

ગુરુપદ હરિને દીધું ગુરુયે, શુભપદ ધારી લીધું મહાપ્રભુયે;

સકળ મનુષ ત્યાં જમ્યાં જ આવી, નરપતિ તેહ કથા તને સુણાવી . 43

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે શ્રીહરિપટ્ટાભિષેકે સકળજનકૃતભોજનવર્ણનનામા ત્રિંશત્તમો વિશ્રામઃ ।।31।।