પૂર્વછાયો:-
કહે અચિંત્યાનંદજી, ભાવે સુણો અભેસિંહ ભ્રાત;
પાર્ષદ સંતની પંકિત થઇ, જમવા તે વર્ણવું વાત.1
ચોપાઈ:-
સંતો પંકિત સજી બેઠા જયારે, નારાયણ ધુન્ય ઉચર્યા ત્યારે;
રામાનંદ શ્રીજીમહારાજ, આવ્યા તે તો પિરસવા કાજ. 2
શાક પાક તથા પકવાન, ભાવથી પીરસે ભગવાન;
સંત એક જ પાત્રમાં લે છે, બધુ ચોળીને ભેળું કરે છે.3
ત્રણ અંજળી નાખે છે નીર, એવા નિઃસ્વાદી ગુણગંભીર;
મુખે પ્રત્યેક કોળિયો ધારે, સ્વામિનારાયણ તે ઉચ્ચારે. 4
પ્રભુ તાણ્ય કરી પીરસે છે, મુનિ તો મિતાહાર ચહે છે;
જમે જાણી પ્રભુનો પ્રસાદ, નથી ઇચ્છતા અંતરે સ્વાદ. 5
સંતના ગુણ વિષે :- ઉપજાતિવૃત્ત:-
ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું;
સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય.6
સંતો તણા ચંચળ નોય નેણ, સંતો તણા વિહ્વળ નોય વેણ;
સંતોની વૃત્તિ સ્થિર તો જણાય, કુસંગી દેખી સતસંગી થાય.7
રજો તમો ગુણ જરી ન ભાસે, ન કામ કે ક્રોધ કદી વિકાસે;
માનાપમાને સમતા સદાય, કુસંગી દેખી સતસંગી થાય.8
જો સંત ચિત્તે અભિમાન ભાસે, કે કામ ક્રોધાદિ કદી વિકાસે;
જિહ્વા તણો સ્વાદ જરી જણાય, તે સંતનો શો મહિમા મનાય.9
જેવા સુસંતો શુક નારદાદિ, એવા જ સંતો મુનિ મુકત આદિ;
પ્રત્યક્ષરૂપે પ્રભુ હોય જયાંય, ત્યાં સંત એવા નહિ અન્ય કયાંય. 10
ચોપાઈ:-
જોઇ સંતોની જમવાની રીત, જનનાં થયાં નિર્મળ ચિત્ત;
દીઠી વૈરાગ્યમાં નહિ મણા, સતસંગી થયા જન ઘણા. 11
જમી ઉઠ્યા સાધુ પાળા જયારે, વહેંચી વરિયાળી તે વારે;
સંત સૌ નિજ આસને ગયા, કથા વાર્તામાં તત્પર થયા. 12
એક વિપે્ર રસોઇ કરેલી, તાજી સુંદર થાળે ધરેલી;
જમાડીને તે બાળ મુકુંદ, જમ્યા શ્રીહરિ ને રામાનંદ. 13
દેશોદેશથી આવેલા જેહ, હરિભકત કે કુસંગી તેહ;
સૌને સ્નેહ સહિત જમાડ્યા, પરિપૂર્ણ સંતોષ પમાડ્યા. 14
નોતર્યું હતું સઘળું ગામ, હિંદુ મુસલમાન તમામ;
બાળ વૃદ્ધ સકળ નર નારી, હોય રાય કે હોય ભિખારી. 15
જમાડ્યા જન એમ અપાર, બોલે જન સઉ જયજયકાર;
અન્ન માંડ્યું પ્રભાતથી દેવા, રાત અરધી સુધી આવ્યા લેવા . 16
માગે અન્નારથી અન્ન આવી, એને આપે છે હેતે બોલાવી;
હોય હિંદુ કે મુસલમાન, તોય દે છે તેને અન્નદાન. 17
આપો આપો ને લ્યો લ્યો પોકારે, નહિ કોઇ નકાર ઉચ્ચારે;
કરે ચિત્તમાં લોક વિચાર, ન ભણ્યા કે ભુલ્યા શું નકાર? 18
અનુષ્ટુપ :-
માગે અન્નારથી આવી, લ્યો લ્યો દે અક્ષરો કથી;
કેમ નાકાર જાકાર, અક્ષરો આપતા નથી. 19
જાકાર સહજાનંદે, ના નારાયણમાં રહે;
કેમ તે અક્ષરો બન્ને, કોઇને આપવા ચહે. 20
ચોપાઈ:-
મેજામાનોની કરી બરદાસ, તેમાં કાંઇ ન રાખી કચાશ;
સૌની દેખી ભલી સર્ભરાય, રાજા રાણાયે વિસ્મિત થાય.21
જન સર્વ કહે છે તે જોઇ, આવું તો ન કરી શકે કોઇ;
ઘણા દેતાં પગારના દામ, નોકરો ન કરે આમ કામ. 22
આતો લેતા નથી જ પગાર, તોય આળસ ન કરે લગાર;
નથી ભૂખ તરશ તણું ભાન, સદા સેવા વિષે સાવધાન.23
ભાસે પરચો ભલો એ તો ભાઇ, રામાનંદની ઇશ્વરતાઇ;
એમ જાણીને આશ્રિત થયા, ભગવાને કરી તેને દયા. 24
એમ નિર્વિઘ્ન ઉત્સવ થયો, સંઘ સર્વે પુનમ સુધી રહ્યો;
જેતપુરના હરિજને આવી, રામાનંદને વિનતિ સુણાવી. 25
ગામમાં અતિવૃદ્ધ રહે છે, તેઓ દર્શન કરવા ચહે છે;
આંહી આવી શકે નહિ એને, દયાથી આપો દર્શન તેને. 26
સ્વામીયે ઊર અરજી ધારી, પૂર્ણિમાને પ્રભાતે વિચારી;
સજી શોભે એવી અસવારી, ભદ્રા નાવા જવા નિરધારી. 27
હાથી ઊપર બન્ને બિરાજયા, છડીદાર બોલે અધિરાજા;
બન્નેને શિર ચમ્મર ઢળે, રવિશશિસમ મુખ ઝળમળે. 28
મોટા સંત મેનામાં વિરાજે, વાજાં વિવિધ પ્રકારનાં વાજે;
રથ અશ્વ તણો નહીં પાર, પાળા ચાલે હજારો હજાર. 29
આખા ગામમાં ફરી અસવારી, કરે દરશન સૌ નરનારી;
નદી ભદ્રામાં જૈ કર્યું સ્નાન, આવ્યાં તીર્થ સરવે તે સ્થાન.30
સ્તુતિ શ્રીહરિની ત્યાં ઉચ્ચારી, કહ્યો ભદ્રાનો મહિમા ભારી;
કરી સ્નાન મંદિરમાં આવ્યા, નિજનિજને ઉતારે સિધાવ્યા. 31
રામાનંદ બેઠા એક ઠામ, હતા પાસે તો ભટ્ટ મયારામ;
નિજ ધોતિયું જીરણ જાણી, બીજું ધારવાની રુચિ આણી.32
કહ્યું કોઠારીને તમે આવો, બીજું ધોતિયું બદલવા લાવો;
લાવ્યા કોઠારી ધોતિયું એવું, ખૂબ જાડું તે ખાદીના જેવું. 33
બોલ્યા ભટજી માનો કહ્યું મારું, એને બદલે બીજું લાવો સારું;
વળી બોલ્યા ભટ મયારામ, આવા કોઠારી છે સઉ ઠામ. 34
કરે કસર અનેક પ્રકાર, નવ સમઝે વિવેક લગાર;
કહું દષ્ટાંત તેનું વિચારી, કેવો છે શિવજીનો કોઠારી. 35
સ્રગ્ધરાવૃત્ત:-
આ લોકે સ્વર્ગલોકે સકળ થળ જુઓ સર્વ કોઠારી એવા,
કીધો કોઠારી ઇશે અલકપુરપતિ સોંપી ભંડાર કેવા; 36
તે ભંડારે ભરેલા સકળનિધિ છતાં લોભ કેવો કરે છે,
શંભુને વસ્ત્ર વાસ્તે વપુપર ગજનું વાઘનું ચર્મ દે છે. 37
ચોપાઈ:-
વળી વર્ણી કહે સુણ રાય, કહું ચાલતી જેહ કથાય;
સાંજ સમયે રુડી સભા ભરી, રામાનંદ તથા બેઠા હરિ. 38
તેથી મંડપ બહુ ભલો શોભે, ઇન્દ્ર આદિકનું મન લોભે;
કોઇ હાર ચડાવાને આવે, કોઇ પૂજાનો સામાન લાવે. 39
કોઇ વસ્ત્ર ને ભૂષણ ધરે, હરિની કોઇ આરતી કરે;
સભામાં બેઠા છે બહુ સંત, તથા બેઠા ગૃહસ્થ અનંત.40
સ્ત્રિયોની થઇ દૂર સભાય, જેમ સ્વામીની વાત સુણાય;
તાળી પાડી બોલ્યા રામાનંદ, તમે સાંભળો સૌ જનવૃંદ. 41
કહી એમ જેતપુર કેરો, કહ્યો સ્વામીયે મહિમા ઘણેરો;
હવે તે તમને હું કહીશ, મન રાખીને સુણજો મહીશ. 42
પુષ્પિતાગ્રાવૃત્ત:-
ગુરુપદ હરિને દીધું ગુરુયે, શુભપદ ધારી લીધું મહાપ્રભુયે;
સકળ મનુષ ત્યાં જમ્યાં જ આવી, નરપતિ તેહ કથા તને સુણાવી . 43
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે શ્રીહરિપટ્ટાભિષેકે સકળજનકૃતભોજનવર્ણનનામા ત્રિંશત્તમો વિશ્રામઃ ।।31।।