પૂર્વછાયો:-

કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;

સોરઠમાં મોડા ગામના, ભકત પુંજાજીની કહું વાત.1

ચોપાઈ:-

રહે રુડા મોડા ગામમાંઇ, દાજીભાઇ અને પુંજાભાઇ;

રજપૂત ગરાશિયા નાતે, ભજે ભગવાનને ભલી ભાતે. 2

તેણે ખેતરને ધરબાર, ભેટ કીધાં હરિને તે વાર;

કેટલાંક વત્સર વીતી ગયાં, એક તો અક્ષરાનંદ થયા. 3

કર્યા વરતાલના તે મહાંત, સારી બુદ્ધિ સ્વભાવમાં શાંત;

ધન્ય ધન્ય તેનાં માત તાત, રહી વિશ્વમાં વિખ્યાત વાત.4

પુંજોજી પણ ગઢપુર જઇ, રહ્યા સેવામાં પાર્ષદ થઇ;

મોટીબા તણો વંડો છે જેહ, કહેવાતો પુંજાજીનો તેહ. 5

પુંજાજીયે રુડી જગ્યા જોઇ, આપી ત્યાં સંત હરિને રસોઇ;

જલેબી સાટા લાડુ કરાવ્યા, થાળ મેશુબ કેરા ભરાવ્યા. 6

શાક પાક ભલાં દાળ ભાત, રાઇતાંની જુદી જુદી જાત;

તિથિ નરસિંહ ચૌદશ હતી, સૌને અંતરે આનંદ અતી. 7

ઉપજાતિવૃત્ત:-

પછી થયો કાળ પ્રદોષ જયારે, નૃસિંહજન્મોત્સવ થાય ત્યારે;

પુંજાજિયે કેસર ચંદનેથી, પૂજયા પ્રભુ પ્રેમ અતી ઘણેથી. 8

નૃસિંહનું અંગ જણાય જેવું, ચર્ચ્યું ભલું ચંદન અંગ એવું;

ચોફાળ અર્પ્યો વળી બોરીકેરો, નૃસિંહ આકાર બન્યો ઘણેરો. 9

શ્રીજી તણું ત્યાં નરસિંહરૂપ, સભા બધીયે નિરખ્યું અનૂપ;

તે રૂપ તો બે ઘડી ત્યાં જણાયું, પછી પ્રભુના તનમાં સમાયું. 10

પછીથી ગોપાળમુનિ કહે છે, પ્રહ્લાદજી તો જીવતા રહે છે;

નૃસિંહના ભકત પ્રમુખ્ય એ છે, પુરાણમાં એવી કથા લખે છે. 11

આખ્યાન રાજા બળિનું જહાં છે, એવી વળી વાત લખી તહાં છે;

છોડાવવાને નૃપતિ બળીય, આવ્યા હતા ત્યાં પ્રહ્લાદજીય.12

તો તેહનું દર્શન આજ કોઇ, પામે જનો કે ન શકે જ જોઇ;

અહો કૃપાળુ કરીને કૃપાય, કહો તમે સંશય જેમ જાય. 13

શ્રીજી કહે જે તમતુલ્ય સંત, અષ્ટાંગયોગે પરિપૂર્ણવંત;

સ્વેચ્છાથી જૈ તેહ સમાધિમાંય, પ્રહ્લાદજીને નિરખે સદાય.14

ગોપાળસ્વામી વળતી વદે છે, સમાધિમાં તો સઘળું દિસે છે;

પ્રત્યક્ષમૂર્તિ નજરે જણાય, તો સર્વનાં પૂર્ણ મનોર્થ થાય.15

એવી જ ઇચ્છા સરવેની જાણી, કૃપા પ્રભુયે અતિ ઊર આણી;

હસ્તાંગુળીયે ચપટી બજાવી, પ્રત્યક્ષ ચારે તહિં મૂર્તિ આવી. 16

નૃસિંહ પ્રહ્લાદ બળી નૃપાળ, ચોથા વળી વામનજી દયાળ;

પ્રેમે કરી શ્રીહરિને પ્રણામ, ઉભા કરે છે સ્તુતિ એહ ઠામ. 17

નૃસિંહ ને વામન એમ ગાય, સર્વે તણા સ્વામી તમે સદાય;

તમારી આજ્ઞાવશવર્તિ છૈયે, જે કામ સોંપો કરી તેહ દૈયે. 18

પ્રસિદ્ધ છે જે પુરુષપ્રધાન, સેવે સદા સેવકની સમાન;

બીજાની તો શી ગણતી ગણાય, તમે જ સર્વેશ્વર છો સદાય. 19

જે જે બીજા સૌ અવતાર થાય, તમો વિષે લીન થતા જણાય;

તમે બીજામાં નહિ લીન થાઓ, સર્વાવતારી જ તમે ગણાઓ. 20

સુણી સ્તુતિ શામ થયા પ્રસન્ન, રીઝ્યા મહારાજ વિશેષ મન;

ત્યાં સચ્ચિદાનંદ મુનીંદ્ર આવ્યા, રંભાદળે દાડમ બીજ લાવ્યા. 21

જમી હરિયે પછી મુષ્ટિ ચાર, તે ચારને આપિ થઇ ઉદાર;

મહા પ્રભુજીની પ્રસાદી જાણી, ચારે જમ્યાં તે ઉર પ્રેમ આણી.22

વૈતાલીયવૃત્ત :-

પ્રભુને પદ વંદના કરી, છબી ચિત્તે છબીલા તણી ધરી;

પ્રભુમાં પ્રભુ લીન બે થયા, બળિ પ્રહ્લાદ નિજસ્થળે ગયા. 23

જન વિસ્મિત જોઇ સૌ થયાં, ગૃહિ સંતો લલિતા તથા જયા;

સરવોપરી શામ જાણિયા, મહિમા શ્રીહરિના વખાણિયા. 24

જનમોત્સવ દેવનો કરી, જમીયા હેત ઘણું ધરી હરી;

પછી સંતની પંકિત તો થઇ, પિરસે શ્રીપ્રભુ પંકિતમાં જઇ. 25

જમીને જન તૃપ્ત સૌ થયા, હરિ સંતો નિજ આસને ગયા;

સઘળે સ્થળ વાત સંચરી, દઢ પ્રીતી પ્રભુમાં જને કરી. 26

પૂર્વછાયો:-

આ આખ્યાન પુંજાજીનું, એ તો પાવન પરમ ગણાય;

સ્નેહે સુણાવે સાંભળે, એનું અંતર પાવન થાય. 27

ચોપાઈ:-

કહે વર્ણી સુણો સ્નેહ લાવી, એમ ભકતોયે ભેટ ધરાવી;

રામાનંદ રુદે મુદ આણી, તાળી પાડીને બોલિયા વાણી. 28

સુણો સર્વ ગૃહસ્થને સંત, આ છે વર્ણી સમર્થ અત્યંત;

કહેતો હતો તમને હું જેહ, આવનાર છે ઇશ્વર તેહ. 29

એજ આ સહજાનંદ આવ્યા, સંપ્રદાયના સ્વામી ઠરાવ્યા;

એની આજ્ઞા સહુ અનુસરજો, સેવા સર્વ પ્રકારની કરજો. 30

આપ એ છે અધમઉદ્ધાર, એ છે કલ્યાણના જ દાતાર;

મારે સ્થાને બેસાર્યા છે તેને, ગુણે મુજથી અધિક ગણો એને. 31

મુકતાનંદ આદિક મુનિરાય, કરી તેને એવી આજ્ઞાય;

તમે કીર્તન ગ્રંથ જે કરજો, તેમાં એમનો મહિમા ઉચરજો. 32

સુણો સ્નેહે મુકુંદ બ્રહ્મચારી, તમે માનો આ આજ્ઞા અમારી;

નીલકંઠ છે વૈરાગ્યવાન, દેહાદિકનું નથી એને ભાન. 33

જેમ સેવો છો અમને સદાય, તેમ સેવજો વૃષકુળરાય;

સદાકાળ સમીપમાં વસજો, કોઇ દિન પણ દૂર ન ખસજો. 34

અક્ષરચિંતામણી વૈતાલીયવૃત્ત :-

ભગવાન હંમેશ ભાવથી, ભજતાં રોજ નવીન લાવથી;

ગુરુ દેવપતિ વિભૂ મુદા, સહજાનંદ ગુરુ ભજો સદા.35

ચોપાઈ:-

બોલ્યા હરિજન સંતસમાજ, આપે આજ્ઞા કરી જેમ આજ;

ભકિતપુત્રને ભગવાન જાણી, અમે ભજશું ભલો ભાવ આણી. 36

રામાનંદ થયા સુણી રાજી, જે જેકાર રહ્યો શબ્દ ગાજી;

આપી આજ્ઞા ધરી ઉર દયા, સર્વે નિજ નિજ આસને ગયા. 37

કથા કીર્તન કરી ઉપવાસ, કર્યું જાગ્રણ શ્રીહરિપાસ;

તાળ મૃદંગ આદિ બજાવી, કર્યો ઉત્સવ આનંદ લાવી. 38

થયું દ્વાદશી દિનનું પ્રભાત, કરી નિત્યક્રિયા ભલી ભાત;

રામાનંદ તથા હરિરાય, પછી યજ્ઞમંડપમાં જાય. 39

કૃષ્ણની પૂજા ઉત્તર કીધી, દ્વિજવૃંદને દક્ષિણા દીધી;

આપ્યાં કૈંકને અક્ષયદાન, કોણ આપી શકે એ સમાન. 40

આપ્યાં વસ્ત્ર ને ભૂષણ ભલાં, આપ્યાં પાત્ર અધિક ઊજળાં;

પાકશાળાના ઊપરી જેહ, મેતા નરસિંહ આદિક તેહ. 41

કહ્યું સ્વામીયે સાદ પડાવો, હવે પારણાં સૌને કરાવો;

સાદ સાંભળી બ્રાહ્મણો આવ્યા, મોટા પડિયા ને પત્રાળાં લાવ્યા. 42

ગોળે લડવાને સજજ થઇને, જાણે આવ્યા છે ઢાલો થઇને;

જઇ ભાદરમાં સ્નાન કર્યાં, દ્વિજે અંગે અબોટિયાં ધર્યા. 43

ધોયા પછી ન બોટેલું હોય, કહેવાતું અબોટિયું સોય;

પણ એ તો અસલ વાત ગઇ, આજ તો રીત ઉલટી થઇ.44

હોયે ગ્રહણને દિન ધોયેલું, ઘણું ગંધાતું મેલું થયેલું;

નહિ બોટવા જોગ્ય જણાય, એવું અબોટિયું તે ગણાય. 45

જેમ અખાદ્ય એમ અપેય, એવાં અબોટિયાં એ તો છેય;

વિપ્ર એવા અબોટિયાંવાળા, ચોળી ભસ્મ કરે બહુ ચાળા. 46

એ તો આળસુ અભણ અધૂરા, બીજા વિપ્ર પવિત્ર છે પૂરાં;

સારો પાળે આચાર વિચાર, એવા પણ દિસે અપરંપાર. 47

કૈંક લાલચુ ભોજન કેરા, એવા પણ દ્વિજ દિસે ઘણેરા;

તે તો પડતા આખડતા ધાય, રખે લાડવા લૂંટાઇ જાય. 48

બોલે કૈંક ઊંચે બહુ ઘાટે, કૈંક તો લડે આસન માટે;

દ્વિજની થઇ પંકિતયો ઘણી, ગણનાર શકે નહિ ગણી. 49

વાકય સ્વામીયે ઉચ્ચાર્યું એવું, હરિભકતે પીરસવા રહેવું;

બીજા સર્વને જમવા બેસારો, જેથી માલ ન બગડે અમારો. 50

ભર્યાં ગાડામાં અન્ન વિચિત્ર, તાણે ગાડાં તે વિપ્ર પવિત્ર;

પકવાન ઘણાં પીરસાય, દોડાદોડ કરે દ્વિજરાય. 51

વાળી કાછડા કેડ કશેલી, કરમાં કથરોટ લીધેલી;

બહુ ઝડપથી પીરસે છે સોય, શાક પાક ભુલે નહિ કોય.52

પિરસાઇ રહ્યું બધે જયારે, આપી જમવાની આગન્યા ત્યારે;

રામાનંદની જય ઉચ્ચરી, સહજાનંદની કરે ફરી. 53

ફરે સાટા જલેબી ને લાડુ, જમે વિપ્ર જુવે નહિ આડું;

એવામાં ધૃત માગે છે કોઇ, પીરસે લાવીને વટલોઇ. 54

શાક ભજિયાં ને રાઇતાં રુડાં, પીરસે ભરી લાવીને કુંડાં;

લાડુ પીરસે કહે શબ્દ એવો, કાંજી લાડુ તમારે ભૂદેવો. 55

વિપ્ર જમતાં રસોઇ વખાણે, જમવાની ઉલટ ઉર આણે;

પૂછે અન્યોઅન્યે હરખાઇ, પહોંચ્યા કેટલા ગાઉ ભાઇ. 56

ગાઉ પહોંચ્યા કહે દસબાર, કોઇ તો કહે સત્તર અઢાર;

શાક દાળમાં દેવો ન હાથ, લડવું તો એક જ ધણી સાથ. 57

જળપાન કરે બહુ કોઇ, બીજો વારે છે તેહને જોઇ;

જળપાન કરીને ધરાશો, પછી લાડુ તે શી પેરે ખાશો? 58

જમતાં જમતાં જીવ જાય, ખરો વીર તે વિપ્ર ગણાય;

દેહ ખોટો જાણીને ખચિત, જમો લાડું કરી બહુ પ્રીત. 59

કોઇ તો સ્મૃતિવચન ઉચ્ચારે, ઘણું જમવું નહીં એમ વારે;

ધર્મશાસ્ત્રે કહ્યું છે તે કરવું, અર્ધ ઉદર તો અન્નથી ભરવું;

એક ભાગમાં નીર સમાય, ચોથા ભાગમાં શ્વાસ લેવાય.60

શ્લોક :- તુંદસ્ય પુરયેદ્ ભાગૌ દ્વાવન્નેનૈકમંબુના ।

શેષયેદેકમેવં હિ મિતભુગ્ બ્રાહ્મણો ભવેત્ ।।

ચોપાઈ:-

એવું સાંભળી બીજો કહે છે, શ્લોક સાંભળો હું કહું જે છે;

હાંહા હું હું કહે તો પીરસવું, આંગળી હલાવે નવ ખસવું. 61

માથું ધુણાવે વારંવાર, તોય પીરસવું તેહ ઠાર;

ગર્જના કરે સિંહ સમાન, નવ પીરસવું પકવાન. 62

આધુનિક શ્લોક :-

હાં હાં દદ્યાત્ હું હું દદ્યાત્, દદ્યાત્તર્જનિતર્જને ।

શિરઃકંપે પુનર્દદ્યાન્, ન દદ્યાત્ સિંહગર્જને ।।

ચોપાઈ:-

સારી પેઠે જમી રહ્યા જયારે, થયા વિપ્ર પ્રસન્ન તે વારે;

કરવા લાગ્યા શ્લોક ઉચ્ચાર, કહે શ્રીજીનો જયજયકાર. 63

જમ્યા ભૂદેવ ભાત ને દાળ, કર્યું તે પછી મુખ પ્રક્ષાળ;

કૈંક તો અતિશે જમવાથી, ઉભા થૈ શકતા નથી ત્યાંથી. 64

બીજા જણને ખભે ધરી હાથ, ઉભા થૈને ચાલે તેની સાથ;

કર ઉદર ઉપર ફેરવે છે, ઓડકાર વારે વારે લે છે. 65

અન્યો અન્ય પૂછે હરખાઇ, લાડુ કેટલા જમિયા ભાઇ;

મેં તો રાતે કર્યો ફળાહાર, તેથી આજ જમાયું લગાર. 66

એમ જમવાની વાત ઉચ્ચારે, પહોંચ્યા માંડમાંડ ઉતારે;

વારેવારે કરે જળપાન, વખાણે જમેલાં પકવાન. 67

પુષ્પિતાગ્રાવૃત્ત:-

દ્વિજવર જમીને થયા પ્રસન્ન, વિવિધ પ્રકાર વખાણતા સુઅન્ન;

સુરવર ખુશી આહુતીથી જેમ, દ્વિજવર તૃપ્ત થયાથી રાજી તેમ. 68

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિપટ્ટાભિષેકે બ્રાહ્મણભોજનવર્ણનનામા એકોનત્રિંશત્તમો વિશ્રામઃ ।।29।।