ચોપાઈ:-
સુણો ભૂપ કહે બ્રહ્મચારી, સાંભળાવું વળી કથા સારી;
ગામ પંચાળાના ઝીણાભાઇ, જેની સત્સંગમાં સરસાઇ.1
તેણે પૂજા પ્રભુજીની કરી, અતિ અંતરે આનંદ ધરી;
સારી બંધાવી સોનેરી પાગ, જેની કિંમત કહિયે અથાગ.2
શિરપેચ સોનાનો ઘડેલ, હીરા માણેક મોતી જડેલ;
પાગ ઊપર પ્રીતે બંધાવ્યો, તોરો મોતીનો ત્યાં લટકાવ્યો. 3
શેખપાટના ભકત સુતાર, નામે લાલજી સમજે સાર;
તેણે પ્રગટ પ્રભુ પાસે આવી, ભેટ ભારે મજૂસ ધરાવી. 4
આપ્યો ઉત્તમ એક ડામચિયો, દિસે બહુ ચતુરાઇથી રચિયો;
કર્યા ભકતનાં ગુરુયે વખાણ, સુણી સમજીયા શામ સુજાણ. 5
જાણ્યું જે આ તો સાધુ જ થાશે, નામ નિષ્કુલાનંદ ધરાશે;
ગામ મેથાણના રહેનારા, ભકત કાકુજી પુંજોજી સારા. 6
તેણે રૂપાનો થાળ ભરીને, કર્યા ભેટ રૂપૈયા હરિને;
તે પછી મછિયાવના રાય, બાપુભાઇ જે નામ ગણાય.7
તેણે હેમજડિત હિંડોળો,સારો ઉંચો ને લાંબો પહોળો;
જોતાં વિશ્વના લોક વખાણે, તેવો ભેટ કર્યો તેહ ટાણે. 8
ગામ બંધિયાના મુળુભાઇ, તથા સુરોજી આવિયા ધાઇ;
તેણે લાયક વસ્તુઓ લાવી, ધર્મપુત્રને ભેટ ધરાવી. 9
હીરોભાઇ તે જાળિયા કેરા, આપ્યા અન્નના ગંજ ઘણેરા;
ઘાંચી માણાવદરના જેહ, આલશી ને અલારખ તેહ. 10
એણે અત્તર અર્ક ફુલેલ, ભરી શીશીયો ભેટ ધરેલ;
પછી પઠાણ શેખજી નામે,રહે તે સદા ગોંડળ ગામે. 11
તેણે પોતા તણાં ઘરબાર, કર્યા અર્પણ સર્વ પ્રકાર;
નવ રાખ્યું કશું લવલેશ, હરિપાસે રહ્યા તે હમેશ. 12
ધન્ય ધન્ય એનો અવતાર, ધન્ય માતા ઉદર ધરનાર;
ગામ કુંડળના પટગર, કાઠી ત્રણે સગા સહોદર. 13
નામ હાથીયો મામૈયો રામ, ધરી ભેટ કરીને પ્રણામ;
રામપરના રાણો વણઝાર, તેણે ભેટ કર્યું ઘણું જર. 14
કાઠી ધારૈનો રામ માંઝરીયો, અશ્વ તેણે તો અર્પણ કરિયો;
મોદી ભકત જે દ્વારિકાદાસ, ઝિંઝુડા માંહિ તેનો નિવાસ.15
નામે લાકડીયું એક ગામ, ત્યાંના ઠક્કર પ્રેમજી નામ;
એ બેયે શેલાં પાઘ લાવી, ભગવાનને ભેટ ધરાવી. 16
અજો સોની મોડા ગામ વાળા, આપ્યા એણે તો વેઢ રુપાળા;
વ્યાસ ઇન્દ્રજી મેવાસા વાળા, તેણે પેજારાવી પુષ્પની માળા. 17
પૂર્વછાયો:-
સુંદર સોરઠ દેશમાં, ગુણવંત છે મોડાગામ;
ત્યાં રજપુત ગરાશિયા, વસે મોટાભાઇ શુભ નામ. 18
તેણે પ્રભુને તે સમે, કર્યા અર્પણ તન મન ધન;
વૈરાગ્યવંત અત્યંત તે, જેને જાણે સકળ મુનિજન. 19
થોડાંક વર્ષ વિતે થયાં, સાધુ સચ્ચિદાનંદજી નામ;
પર્ચા તેના પ્રખ્યાત છે, પૃથિવી ઊપર ઠામોઠામ. 20
વર્ણી કહે નૃપ સાંભળો, શુભ જાણી કથાનો પ્રસંગ;
પર્ચો સચ્ચિદાનંદનો, એક કહું ધરીને ઉમંગ. 21
ચોપાઈ:-
એક અવસરે સંત સમાજ, ચાલ્યો જનને પ્રબોધવા કાજ;
દુષ્ટ વેરાગી મારવા આવ્યા, પણ કોઇયે જૈ ન મુકાવ્યા. 22
એવો નિરખી મહા અન્યાય, કોપ્યો સૃષ્ટિ ઉપર સુરરાય;
ત્યારે મેઘને આગન્યા કરી, ઓણ જળ નવ વરસશો જરી. 23
ગયો અષાડ શ્રાવણ આવ્યો, તોય વરસાદ નવ વરસાવ્યો;
નડ્યું પાપીનું સર્વને પાપ, થયો પ્રાણિયોને પરિતાપ. 24
સુકા સાથે લીલું બળી જાય, પાપી સાથે અપાપી પીડાય;
એનો કરવાને કાંઇ ઉપાય, મળ્યા ભકતો દુરગપુર માંય.25
સોમલો અને ખાચર સુરો, દાદોખાચર પ્રેમમાં પૂરો;
વળી અલૈયો ખાચર આવ્યા, સાથે માતરો ધાધલ લાવ્યા. 26
લાધો ઠક્કર ઠક્કર હરજી, પુંજા ઠક્કર કરવાને અરજી;
આવ્યા અક્ષર ઓરડી માંય, મહારાજ બિરાજતા ત્યાંય. 27
પ્રેમે પ્રભુપદ કરીને પ્રણામ, પછી સૌ મળી ઉચ્ચર્યા આમ;
નથી વૃષ્ટિ થતી મહારાજ, એથી પ્રાણી પીડાય છે આજ. 28
ઘાસ વગર મરે છે ઢોર, ચોરી કરવાને મંડિયા ચોર;
કોઇ પાપીનાં પ્રગટિયાં પાપ, સારા જન પણ પામે સંતાપ. 29
ચાલે મંદિર ચણવાનું કામ, એમાંપણ ઘણી અડચણ આમ;
પાણા દૂરથી લાવવા કાજ, ગાડાં બળદ મળે કયાંથી આજ. 30
કોસ જોડવા કણબિયો લાગ્યા, કોણ આપે બળદ ભાડે માગ્યા;
વિશ્વમાં વૃષ્ટિ જો નહીં થાય, પ્રાણી પામશે સર્વ પીડાય.31
સુણી બોલિયા શ્રીમહારાજ, ઇન્દ્રને ક્રોધ ચડિયો છે આજ;
માટે વૃષ્ટિ નહીં કરે ભાઇ, ખોટી આશા ન રાખશો કાંઇ.32
સુણી બોલ્યા જનો થઇ દીન, ઇન્દ્ર છે આપનેજ આધીન;
બ્રહ્મા, વિષ્ણુ ને શેષ મહેશ, ગૌરી ગંગા ને દેવ ગણેશ. 33
આજ્ઞા આપની કોઇ ન તોડે, આપ આગળ સૌ કર જોડે;
આપ આજ્ઞાથી વાયુ વહે છે, મરજાદામાં સિંધુ રહે છે. 34
માટે દિલમાં દયા કાંઇ લાવો, થવા વૃષ્ટિ હુકમ ફરમાવો;
સુણી બોલિયા સુંદર શામ, સોંપ્યા છે મેં જુદાં જુદાં કામ. 35
સુરોની મતિ છે ઘણી સારી, કરતા હશે કામ વિચારી;
જે જે કરતા હશે તે ઠીક, નથી કહેવાનું કાંઇ અધીક. 36
ફરી બોલશો નહિ હવે બોલ, બોલશો તો ગુમાવશો તોલ;
પછી ભકતોયે નવ કરી અરજી, જાણ્યું જે પ્રભુની નથી મરજી.37
ઉઠ્યા સૌ ત્યાંથી થૈને નિરાશ, ગયા ગોપાળાનંદજી પાસ;
વરસાદ વિના દુઃખ જેહ, સંભળાવ્યાં બહુ બહુ તેહ. 38
વળી બોલ્યા નમી સહુ પાય, વરસાદ કરો મુનિરાય;
ચક્રવર્તિનો હોય પ્રધાન, તેની આજ્ઞા કરે સહુ માન્ય. 39
તમે છો પ્રભુના કારભારી, ઇન્દ્ર માનશે આજ્ઞા તમારી;
મુની બોલ્યા મુખે કરી હાસ, કરો વિનતિ મહાપ્રભુ પાસ.40
કહે ભકતો અમે કરી અરજી, પણ નવ દીઠી શ્રીજીની મરજી;
સુણી વચન બોલ્યા મુનિ આવું, આજ્ઞા વગર જો વૃષ્ટિ કરાવું. 41
મારા ઉપર મહાપ્રભુ ખીજે, માટે કામ એવું કેમ કીજે ?
ઉઠ્યા ભકત થઇને નિરાશ, ગયા સચ્ચિદાનંદની પાસ. 42
જેના દિલમાં ઘણી છે દયાય, પરદુઃખ દેખી ન ખમાય;
તેના ચરણમાં મસ્તક ધારી, નિજકષ્ટની વાત ઉચ્ચારી. 43
સચ્ચિદાનંદ બોલ્યા વચન, તમે સાંભળો સૌ હરિજન;
જૈને ઇન્દ્રને હું ધમકાવું, આખા વિશ્વમાં વૃષ્ટિ કરાવું. 44
પણ શ્રીજી જો રીસ ચડાવે, કોણ જૈ સમાધાન કરાવે ?
કહે હરિજન આપ સિધાવો, કહી ઇન્દ્રને વૃષ્ટિ કરાવો. 45
ક્રોધ કરશે કદી ભગવાન, અમે જૈને કરશું સમાધાન;
કરી સચ્ચિદાનંદ સમાધિ, ગયા સ્વર્ગમાં છાંડી ઉપાધિ. 46
જઇ સુરપતિને મારી લાત, પછી વરસાતની કહી વાત;
કેમ વરસાવતો નથી વારી ? હરિભકત પીડાય છે ભારી. 47
કહે ઇન્દ્ર ક્ષમા કરો દેવ, વરસાવું વારી તતખેવ;
પછી મેઘને આજ્ઞા તે દીધી, મેઘે જૈ વિશ્વમાં વૃષ્ટિ કીધી. 48
ગઢપુરની ઊપર મેઘ ચડિયો, ઘણા જોર થકી ગડગડિયો;
થાય વીજળીના ચમકારા, વરસે મેઘ મુશળધારા. 49
ત્યારે અક્ષર ઓરડી માંય, પ્રભુ પોઢી રહ્યા હતા ત્યાંય;
જાગ્યા ઝબકી તે દાસને પૂછે, જુઓ ફળિયામાં તોફાન શું છે ? 50
બ્રહ્મચારી મુકુંદ કહે છે, વરસાદ એ તો વરસે છે;
ચઢ્યો શ્રીજીને ક્રોધ અપાર, ઉઠી બોલ્યા કરીને હોંકાર. 51
વરસાદ આ વરસાવ્યો કેણે ? અતિ ઉદ્ધતતા કરી એણે;
મારી તોડી એણે મરજાદ, રજા વગર કર્યો વરસાદ. 52
હતા તે સમે ઇન્દ્ર આવાસ, સચ્ચિદાનંદ ઇન્દ્રની પાસ;
શબ્દ સાંભળ્યો શ્રીજીનો જયારે, આવી જાગ્યા સમાધિથી ત્યારે. 53
મોટીબાના વંડા માંહી જઇ, બેઠા છાનામાના ચૂપ થઇ;
પછી વરસાદ પણ બંધ થયા, શ્રીજી સંત સભા માંહી ગયા. 54
ઓરડા છે ઉગમણે બાર, સભા સજી બિરાજયા તે ઠાર;
ગોપાલાનંદ આદિક સંત, બેઠા હરિજન આવી અનંત. 55
પછી મહાપ્રભુયે તેડાવ્યા, સચ્ચિદાનંદ તે થકી આવ્યા;
તેને બહુ બહુ ખીજિયા હરિ, કેમ વૃષ્ટિ રજા વિના કરી ? 56
દાદાખાચર આદિક જેહ, હાથ જોડીને બોલિયા તેહ;
ક્ષમા કરોજી પ્રાણ આધાર, નથી સાધુનો વાંક લગાર. 57
અમે કહી નિજ કષ્ટ કહાણી, એથી ઉરમાં દયા એણે આણી;
પછી સુરપતિ પાસ સિધાવી, આખા વિશ્વમાં વૃષ્ટિ કરાવી. 58
એ છે સર્વે અમારો જ વાંક, એનો વાંક નથી એક ટાંક;
ખીજો તો પ્રભુ અમને જ ખીજો, સચ્ચિદાનંદ ઉપર રીઝો.59
અમે બાળક છૈયે તમારા, કરો અવગુણ માફ અમારા;
સુણી શાંત થયા મહારાજ, વળી બોલ્યા શિખામણ કાજ. 60
મારી આજ્ઞા વિના આવું કામ, કોઇ કરશો નહીં કોઇ ઠામ;
સુણી બોલિયો સંતસમાજ, નહિ કરિયે કદી મહારાજ. 61
બ્રહ્મચારી કહે સુણ ભૂપ, એવી અદભુત વાતો અનૂપ;
સચ્ચિદાનંદની છે અનેક, એમાંથી સંભળાવી મેં એક. 62
સુણી ભૂપ કહે શિર નામી, અહો નિર્મળમન નિષકામી;
સુધા સરખી કથા સંભળાવી, સુણતાં મુજને ભલી ભાવી. 63
પુષ્પિતાગ્રાવૃત્ત:-
હરિ હરિજન કેરી જે કથાય, કહી સુણી કોણ કદાપિ તૃપ્ત થાય;
અહિ પતિ ઉચરે અનંત કાળ, મુનિવર મુકત સુણે ધરી વહાલ. 64
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે સચ્ચિદાનંદમુનિકૃત- વૃષ્ટિકથનનામા અષ્ટાવિંશતિતમો વિશ્રામઃ ।।28।।