ચોપાઈ:-

સુણો ભૂપ કહે બ્રહ્મચારી, સાંભળાવું વળી કથા સારી;

ગામ પંચાળાના ઝીણાભાઇ, જેની સત્સંગમાં સરસાઇ.1

તેણે પૂજા પ્રભુજીની કરી, અતિ અંતરે આનંદ ધરી;

સારી બંધાવી સોનેરી પાગ, જેની કિંમત કહિયે અથાગ.2

શિરપેચ સોનાનો ઘડેલ, હીરા માણેક મોતી જડેલ;

પાગ ઊપર પ્રીતે બંધાવ્યો, તોરો મોતીનો ત્યાં લટકાવ્યો. 3

શેખપાટના ભકત સુતાર, નામે લાલજી સમજે સાર;

તેણે પ્રગટ પ્રભુ પાસે આવી, ભેટ ભારે મજૂસ ધરાવી. 4

આપ્યો ઉત્તમ એક ડામચિયો, દિસે બહુ ચતુરાઇથી રચિયો;

કર્યા ભકતનાં ગુરુયે વખાણ, સુણી સમજીયા શામ સુજાણ. 5

જાણ્યું જે આ તો સાધુ જ થાશે, નામ નિષ્કુલાનંદ ધરાશે;

ગામ મેથાણના રહેનારા, ભકત કાકુજી પુંજોજી સારા. 6

તેણે રૂપાનો થાળ ભરીને, કર્યા ભેટ રૂપૈયા હરિને;

તે પછી મછિયાવના રાય, બાપુભાઇ જે નામ ગણાય.7

તેણે હેમજડિત હિંડોળો,સારો ઉંચો ને લાંબો પહોળો;

જોતાં વિશ્વના લોક વખાણે, તેવો ભેટ કર્યો તેહ ટાણે. 8

ગામ બંધિયાના મુળુભાઇ, તથા સુરોજી આવિયા ધાઇ;

તેણે લાયક વસ્તુઓ લાવી, ધર્મપુત્રને ભેટ ધરાવી. 9

હીરોભાઇ તે જાળિયા કેરા, આપ્યા અન્નના ગંજ ઘણેરા;

ઘાંચી માણાવદરના જેહ, આલશી ને અલારખ તેહ. 10

એણે અત્તર અર્ક ફુલેલ, ભરી શીશીયો ભેટ ધરેલ;

પછી પઠાણ શેખજી નામે,રહે તે સદા ગોંડળ ગામે. 11

તેણે પોતા તણાં ઘરબાર, કર્યા અર્પણ સર્વ પ્રકાર;

નવ રાખ્યું કશું લવલેશ, હરિપાસે રહ્યા તે હમેશ. 12

ધન્ય ધન્ય એનો અવતાર, ધન્ય માતા ઉદર ધરનાર;

ગામ કુંડળના પટગર, કાઠી ત્રણે સગા સહોદર. 13

નામ હાથીયો મામૈયો રામ, ધરી ભેટ કરીને પ્રણામ;

રામપરના રાણો વણઝાર, તેણે ભેટ કર્યું ઘણું જર. 14

કાઠી ધારૈનો રામ માંઝરીયો, અશ્વ તેણે તો અર્પણ કરિયો;

મોદી ભકત જે દ્વારિકાદાસ, ઝિંઝુડા માંહિ તેનો નિવાસ.15

નામે લાકડીયું એક ગામ, ત્યાંના ઠક્કર પ્રેમજી નામ;

એ બેયે શેલાં પાઘ લાવી, ભગવાનને ભેટ ધરાવી. 16

અજો સોની મોડા ગામ વાળા, આપ્યા એણે તો વેઢ રુપાળા;

વ્યાસ ઇન્દ્રજી મેવાસા વાળા, તેણે પેજારાવી પુષ્પની માળા. 17

પૂર્વછાયો:-

સુંદર સોરઠ દેશમાં, ગુણવંત છે મોડાગામ;

ત્યાં રજપુત ગરાશિયા, વસે મોટાભાઇ શુભ નામ. 18

તેણે પ્રભુને તે સમે, કર્યા અર્પણ તન મન ધન;

વૈરાગ્યવંત અત્યંત તે, જેને જાણે સકળ મુનિજન. 19

થોડાંક વર્ષ વિતે થયાં, સાધુ સચ્ચિદાનંદજી નામ;

પર્ચા તેના પ્રખ્યાત છે, પૃથિવી ઊપર ઠામોઠામ. 20

વર્ણી કહે નૃપ સાંભળો, શુભ જાણી કથાનો પ્રસંગ;

પર્ચો સચ્ચિદાનંદનો, એક કહું ધરીને ઉમંગ. 21

ચોપાઈ:-

એક અવસરે સંત સમાજ, ચાલ્યો જનને પ્રબોધવા કાજ;

દુષ્ટ વેરાગી મારવા આવ્યા, પણ કોઇયે જૈ ન મુકાવ્યા. 22

એવો નિરખી મહા અન્યાય, કોપ્યો સૃષ્ટિ ઉપર સુરરાય;

ત્યારે મેઘને આગન્યા કરી, ઓણ જળ નવ વરસશો જરી. 23

ગયો અષાડ શ્રાવણ આવ્યો, તોય વરસાદ નવ વરસાવ્યો;

નડ્યું પાપીનું સર્વને પાપ, થયો પ્રાણિયોને પરિતાપ. 24

સુકા સાથે લીલું બળી જાય, પાપી સાથે અપાપી પીડાય;

એનો કરવાને કાંઇ ઉપાય, મળ્યા ભકતો દુરગપુર માંય.25

સોમલો અને ખાચર સુરો, દાદોખાચર પ્રેમમાં પૂરો;

વળી અલૈયો ખાચર આવ્યા, સાથે માતરો ધાધલ લાવ્યા. 26

લાધો ઠક્કર ઠક્કર હરજી, પુંજા ઠક્કર કરવાને અરજી;

આવ્યા અક્ષર ઓરડી માંય, મહારાજ બિરાજતા ત્યાંય. 27

પ્રેમે પ્રભુપદ કરીને પ્રણામ, પછી સૌ મળી ઉચ્ચર્યા આમ;

નથી વૃષ્ટિ થતી મહારાજ, એથી પ્રાણી પીડાય છે આજ. 28

ઘાસ વગર મરે છે ઢોર, ચોરી કરવાને મંડિયા ચોર;

કોઇ પાપીનાં પ્રગટિયાં પાપ, સારા જન પણ પામે સંતાપ. 29

ચાલે મંદિર ચણવાનું કામ, એમાંપણ ઘણી અડચણ આમ;

પાણા દૂરથી લાવવા કાજ, ગાડાં બળદ મળે કયાંથી આજ. 30

કોસ જોડવા કણબિયો લાગ્યા, કોણ આપે બળદ ભાડે માગ્યા;

વિશ્વમાં વૃષ્ટિ જો નહીં થાય, પ્રાણી પામશે સર્વ પીડાય.31

સુણી બોલિયા શ્રીમહારાજ, ઇન્દ્રને ક્રોધ ચડિયો છે આજ;

માટે વૃષ્ટિ નહીં કરે ભાઇ, ખોટી આશા ન રાખશો કાંઇ.32

સુણી બોલ્યા જનો થઇ દીન, ઇન્દ્ર છે આપનેજ આધીન;

બ્રહ્મા, વિષ્ણુ ને શેષ મહેશ, ગૌરી ગંગા ને દેવ ગણેશ. 33

આજ્ઞા આપની કોઇ ન તોડે, આપ આગળ સૌ કર જોડે;

આપ આજ્ઞાથી વાયુ વહે છે, મરજાદામાં સિંધુ રહે છે. 34

માટે દિલમાં દયા કાંઇ લાવો, થવા વૃષ્ટિ હુકમ ફરમાવો;

સુણી બોલિયા સુંદર શામ, સોંપ્યા છે મેં જુદાં જુદાં કામ. 35

સુરોની મતિ છે ઘણી સારી, કરતા હશે કામ વિચારી;

જે જે કરતા હશે તે ઠીક, નથી કહેવાનું કાંઇ અધીક. 36

ફરી બોલશો નહિ હવે બોલ, બોલશો તો ગુમાવશો તોલ;

પછી ભકતોયે નવ કરી અરજી, જાણ્યું જે પ્રભુની નથી મરજી.37

ઉઠ્યા સૌ ત્યાંથી થૈને નિરાશ, ગયા ગોપાળાનંદજી પાસ;

વરસાદ વિના દુઃખ જેહ, સંભળાવ્યાં બહુ બહુ તેહ. 38

વળી બોલ્યા નમી સહુ પાય, વરસાદ કરો મુનિરાય;

ચક્રવર્તિનો હોય પ્રધાન, તેની આજ્ઞા કરે સહુ માન્ય. 39

તમે છો પ્રભુના કારભારી, ઇન્દ્ર માનશે આજ્ઞા તમારી;

મુની બોલ્યા મુખે કરી હાસ, કરો વિનતિ મહાપ્રભુ પાસ.40

કહે ભકતો અમે કરી અરજી, પણ નવ દીઠી શ્રીજીની મરજી;

સુણી વચન બોલ્યા મુનિ આવું, આજ્ઞા વગર જો વૃષ્ટિ કરાવું. 41

મારા ઉપર મહાપ્રભુ ખીજે, માટે કામ એવું કેમ કીજે ?

ઉઠ્યા ભકત થઇને નિરાશ, ગયા સચ્ચિદાનંદની પાસ. 42

જેના દિલમાં ઘણી છે દયાય, પરદુઃખ દેખી ન ખમાય;

તેના ચરણમાં મસ્તક ધારી, નિજકષ્ટની વાત ઉચ્ચારી. 43

સચ્ચિદાનંદ બોલ્યા વચન, તમે સાંભળો સૌ હરિજન;

જૈને ઇન્દ્રને હું ધમકાવું, આખા વિશ્વમાં વૃષ્ટિ કરાવું. 44

પણ શ્રીજી જો રીસ ચડાવે, કોણ જૈ સમાધાન કરાવે ?

કહે હરિજન આપ સિધાવો, કહી ઇન્દ્રને વૃષ્ટિ કરાવો. 45

ક્રોધ કરશે કદી ભગવાન, અમે જૈને કરશું સમાધાન;

કરી સચ્ચિદાનંદ સમાધિ, ગયા સ્વર્ગમાં છાંડી ઉપાધિ. 46

જઇ સુરપતિને મારી લાત, પછી વરસાતની કહી વાત;

કેમ વરસાવતો નથી વારી ? હરિભકત પીડાય છે ભારી. 47

કહે ઇન્દ્ર ક્ષમા કરો દેવ, વરસાવું વારી તતખેવ;

પછી મેઘને આજ્ઞા તે દીધી, મેઘે જૈ વિશ્વમાં વૃષ્ટિ કીધી. 48

ગઢપુરની ઊપર મેઘ ચડિયો, ઘણા જોર થકી ગડગડિયો;

થાય વીજળીના ચમકારા, વરસે મેઘ મુશળધારા. 49

ત્યારે અક્ષર ઓરડી માંય, પ્રભુ પોઢી રહ્યા હતા ત્યાંય;

જાગ્યા ઝબકી તે દાસને પૂછે, જુઓ ફળિયામાં તોફાન શું છે ? 50

બ્રહ્મચારી મુકુંદ કહે છે, વરસાદ એ તો વરસે છે;

ચઢ્યો શ્રીજીને ક્રોધ અપાર, ઉઠી બોલ્યા કરીને હોંકાર. 51

વરસાદ આ વરસાવ્યો કેણે ? અતિ ઉદ્ધતતા કરી એણે;

મારી તોડી એણે મરજાદ, રજા વગર કર્યો વરસાદ. 52

હતા તે સમે ઇન્દ્ર આવાસ, સચ્ચિદાનંદ ઇન્દ્રની પાસ;

શબ્દ સાંભળ્યો શ્રીજીનો જયારે, આવી જાગ્યા સમાધિથી ત્યારે. 53

મોટીબાના વંડા માંહી જઇ, બેઠા છાનામાના ચૂપ થઇ;

પછી વરસાદ પણ બંધ થયા, શ્રીજી સંત સભા માંહી ગયા. 54

ઓરડા છે ઉગમણે બાર, સભા સજી બિરાજયા તે ઠાર;

ગોપાલાનંદ આદિક સંત, બેઠા હરિજન આવી અનંત. 55

પછી મહાપ્રભુયે તેડાવ્યા, સચ્ચિદાનંદ તે થકી આવ્યા;

તેને બહુ બહુ ખીજિયા હરિ, કેમ વૃષ્ટિ રજા વિના કરી ? 56

દાદાખાચર આદિક જેહ, હાથ જોડીને બોલિયા તેહ;

ક્ષમા કરોજી પ્રાણ આધાર, નથી સાધુનો વાંક લગાર. 57

અમે કહી નિજ કષ્ટ કહાણી, એથી ઉરમાં દયા એણે આણી;

પછી સુરપતિ પાસ સિધાવી, આખા વિશ્વમાં વૃષ્ટિ કરાવી. 58

એ છે સર્વે અમારો જ વાંક, એનો વાંક નથી એક ટાંક;

ખીજો તો પ્રભુ અમને જ ખીજો, સચ્ચિદાનંદ ઉપર રીઝો.59

અમે બાળક છૈયે તમારા, કરો અવગુણ માફ અમારા;

સુણી શાંત થયા મહારાજ, વળી બોલ્યા શિખામણ કાજ. 60

મારી આજ્ઞા વિના આવું કામ, કોઇ કરશો નહીં કોઇ ઠામ;

સુણી બોલિયો સંતસમાજ, નહિ કરિયે કદી મહારાજ. 61

બ્રહ્મચારી કહે સુણ ભૂપ, એવી અદભુત વાતો અનૂપ;

સચ્ચિદાનંદની છે અનેક, એમાંથી સંભળાવી મેં એક. 62

સુણી ભૂપ કહે શિર નામી, અહો નિર્મળમન નિષકામી;

સુધા સરખી કથા સંભળાવી, સુણતાં મુજને ભલી ભાવી. 63

પુષ્પિતાગ્રાવૃત્ત:-

હરિ હરિજન કેરી જે કથાય, કહી સુણી કોણ કદાપિ તૃપ્ત થાય;

અહિ પતિ ઉચરે અનંત કાળ, મુનિવર મુકત સુણે ધરી વહાલ. 64

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે સચ્ચિદાનંદમુનિકૃત- વૃષ્ટિકથનનામા અષ્ટાવિંશતિતમો વિશ્રામઃ ।।28।।