ઉપજાતિવૃત્ત:-
હે ભૂપતિ સાંભળ ભાવ આણી, શ્રીધર્મના પુત્ર ચરિત્ર વાણી;
પૂજયા સહુ સંત મળી મુરારી, આનંદથી આરતિ તો ઉતારી. 1
સ્તુતિ કરી તે પછી પૂર્ણ પ્રીતે, તે હું સુણાવું સુણ રૂડી રીતે;
મુખેથી બોલ્યા મુનિ રામદાસ, તે હું કરું છું પ્રથમ પ્રકાશ. 2
રથોદ્ધતાવૃત્ત :-
રામદાસ મુનિ ભાઇ જેહ છે, શ્રીહરિની સ્તુતિ ગાય તેહ છે;
હે કૃપાળુ કળિજોર ટાળશો, પાપપંથ પળમાં પ્રજાળશો. 3
પાપી દંભી ગુરુઓ થઇ ફરે, જે ઠગાઇ ઠગવા ઘણી કરે;
ક્રોધી કામી અતિલોભી હોય છે, તત્ત્વજ્ઞાન અભિમાની તોય છે.4
કુટ તર્ક કરી વાદ તે વદે, મોહ માન ભરિયું ઘણું રુદે;
એક બ્રહ્મતણી વાત ઉચ્ચરે, જીવ ઇશ જડ એકતા કરે. 5
તે ગુરૂની જડવાણી સાંભળી, વેદમાર્ગ થકી જે ગયા ટળી;
તે જનોની ઉપરે કૃપા કરી, નાથ આજ અગનાનતા હરી. 6
લક્ષકોટિ જન એમ તારશો, શબ્દજાળ થકી તો ઉગારશો;
છો દયાળુ અતિ એ રીતે તમે, શીશ નામિ પદ વંદિયે અમે.7
તે પછીથી મુનિ મુકત ઉચ્ચરે, હે પ્રભુજી કરુણા કરો અરે!
ધર્મભ્રષ્ટ જન ભેખ ધારિયો, વેદમાર્ગ મળીને વિદારિયો. 8
દંભ વેષ ધરી લોકને ઠગે, દ્રવ્ય નારી હરિ લે ઘણે દગે;
એહ દુષ્ટ થકી રક્ષણ પ્રભો, સર્વકાળ કરશો અહો વિભો. 9
આપ વાણી સરિતા સુધા ભરી, જ્ઞાનનીર ભરી શુદ્ધ સંચરી;
કેવળત્વતણું જ્ઞાન ઊર્મિયો, તેનું પાન ન કરે કુકર્મિયો. 10
સંશયાદિ તરુ તોડનારી છે, મંગળાદિ ગુણ તીર ભારી છે;
પદ્મરૂપ વિરતી વસે જહાં, હંસ છે પરમ મુકત તે તહાં. 11
સેવતાં ત્રિવિધિ તાપને હરે, સર્વ કાળ સુખ શાંતિ તે કરે;
એવી વાણી વદનાર છો તમે, નાથ પાવ નમિયે સદા અમે.12
ઉપજાતિવૃત્ત:-
કહે શતાનંદ અહો મુનીશ, પ્રકાશ રાશીમય છો અધીશ;
બ્રહ્માદિ છે ઇશ્વર સર્વ જેહ, પૂજે તમોને વિધિપૂર્વ તેહ. 13
જે ધામમાં અક્ષરતુલ્ય મુકત, તેઓ પૂજે પ્રેમ પુરા પ્રયુકત;
રાધાદિ સેવે વળી આદરીને, એવા તમોને નમિયે હરિને. 14
કહે સુખાનંદ કૃપાનિધાન, દેનારી ભકિત તવ મુકિતદાન;
તેને તજી જે જન શુષ્કજ્ઞાન, નિર્ભાગી ઇચ્છે મૂરખા સમાન.15
તે દૂઝણી ગાય સદા તજે છે, વરોળનું સેવન તો સજે છે;
તેના થકી સુખ કદી ન થાય, સદૈવ તેનો શ્રમ વ્યર્થ જાય.16
તમે જ સર્વે સુખના નિધિ છો, તમે જ સદ્ધર્મ તણા વિધિ છો;
હું તો તમારા પદમાં રમું છું, મહાપ્રભુ હું તમને નમું છું. 17
મુકુંદવર્ણી વચનો કહે છે,જે પાર ત્રણ્યે ગુણથી રહે છે;
એવા મહામુકત સજે જ સેવા, તમે જ સર્વેશ્વર છોજી એવા. 18
ઉત્પત્તિ બ્રહ્માંડ અનેક કેરી, સ્થિતિ પ્રલેના નિયમે ઘણેરી;
તે તો લીલામાત્ર તમે કરો છો, સર્વે તણા વંદ્ય તમે ઠરો છો. 19
કથે સુકીર્તિ ઉપનિષદાદી, તમે જ સર્વેશ્વર સર્વઆદિ;
તમે પુરૂષોત્તમ સર્વવ્યાપ, સર્વે તણા છો અવતારી આપ. 20
વેદો તમારો નહિ પાર પામે, થાકી રહી નેતિ કહી વિરામે;
તમે જુદા અક્ષરથી સદાય, એવા પ્રભુને પ્રણમુંજ પાય. 21
શિખરિણીવૃત્ત :-
સ્વરૂપાનંદાખ્ય પ્રભુપદ નમીને સ્તુતિ કરે, ઠગારા જ્ઞાનીનો ધરી અધિક આડંબર અરે;
શ્રુતિકેરા અર્થો વિપરિત કરી ખ્યાપન કર્યા, અમે એવા ઝેરી મતથી તમ યોગે જ ઉગર્યા. 22
તમારી જે વાણી અમૃતસમ જાણી મન ધરી, અમે તેથી જીવ્યા નહિતર ન આશા હતી જરી;
અનંગ ક્રોધાદિ દહનથી દિલે દાહન થતા, તમે શાંતિ કીધી તવ પદ નમીયે જગપિતા. 23
સ્રગ્ધરાવૃત્ત:-
માયાથી પાર છે જે રુચિર રુચિર શ્રીઅક્ષરાદિક ધામ,
ત્યાં જે જે મૂર્તિયો છે વિવિધ તમ તણી પાર્ષદો તેહ ઠામ;
તે ઐશ્વર્યાદિ સુદ્ધાં અહિં નિજજનને આપ દેખાડનારા,
એવા સામર્થ્યવાળા સકળ સુખદ છો પાવ વંદૂ તમારા. 24
આનંદાનંદસ્વામી વિનતિ વળી કરે શામ સર્વજ્ઞ આપ,
છે આધારે તમારે જડચિદ સરવે સર્વના આપ બાપ;
જીવોના શ્રેય માટે નરતન ધરિયું મુકત લૈ સર્વ સાથ,
એવા ઐશ્વર્યવાળા પ્રભુ તવ પદને વંદિયે જોડી હાથ. 25
ઉપજાતિવૃત્ત:-
સંતો તણાં મંડળ સૌ મળીને, મહાપ્રભુના પદમાં ઢળીને;
ઉચ્ચારી હેતે સ્તુતિ હાથ જોડી, સંસારથી સ્નેહ સમસ્ત છોડી. 26
પુષ્પો તણા હાર લઇ ધરાવે, ગુંજાની માળા હરિ કોઇ લાવે;
કોઇક વૃન્દાદળ કેરી માળા, કોઇ મુની ગુચ્છ ધરે રુપાળા. 27
કોઇ ધરાવે ફળની બનાવી, કોઇ કરે માળ કપુર લાવી;
કોઇ રચે હાર રતાંજળીના, કોઇ કરે છે ફુલની કળીના. 28
કોઇ પછેડી ફુલની બનાવે, તોરા બનાવી વળી કોઇ લાવે;
કોઇ ધરાવે ગજરા બનાવી, પુષ્પો તણાં કુંડળ કોઇ લાવી. 29
પ્રમાણિકાવૃત્ત :-
હવે હરી જનો મળી, સ્તુતિ ઘણી કરે વળી;
સુણો નૃપાળ તે કહું, સનેહથી વદે સહું. 30
નમો નમો દયાનિધી, તમે કૃપા ઘણી કિધી;
અનંત જીવ તારવા, અધર્મને વિદારવા. 31
નૃદેહ ધારિયો તમે, પદાબ્જ વંદિયે અમે;
બ્રહ્માંડ કોટિના ધણી, અનંત શકિત જે તણી.32
તમામ વશ્ય તે રહે, સદૈવ દાસ છું કહે;
સુબ્રહ્મધામમાં વળી, અનંત મુકત મંડળી. 33
અનાદિ દિવ્ય દેહ છે, સહુથી શ્રેષ્ઠ તેહ છે;
મનોહર સ્વરૂપ છે, અનેક ભૂપ ભૂપ છે. 34
તમારી ભકિત તે કરે, દિલે તમો થકી ડરે;
ન પાર આપનો લહે, અપાર છો સદા કહે. 35
નમો પતિતતારણં, સમસ્ત જન્મકારણં;
વિપત્તિના વિદારણં, અનંત શકિતધારણં. 36
સદૈવ દિવ્ય દેહ છો, અજન્મવાન એહ છો;
દયાદિ સદ્ગુણબ્ધિ છો, સદા મહાસુખાબ્ધિ છો. 37
મનુષ્યના સમાજમાં, ચરિત્ર દિવ્ય આજમાં,
તમે કર્યા જ જે રીતે, બીજે ભવે ન તે રીતે. 38
અધિક સર્વથી તમે, ઉચારિયે સહુ અમે;
તમો થકી વિશેષતા, બીજે નથી જ લેશતા. 39
અનંત વિશ્વવાસ છો, તમે જ સ્વપ્રકાશ છો;
શરણ્ય સર્વના તમે, ગણી ઉપાસિયે અમે. 40
કલ્યાણ ઠામ એક છો, ધરી કળા અનેક છો;
વિનાશકારી પાપનું, અતુલ્ય નામ આપનું. 41
અનંત છે પરાક્રમો, ગણી ન જાણિયે અમો;
અનંતવીર્ય શકિત છે, કરે ભવાદિ ભકિત છે.42
સ્વભકતના મનોરથો, પુરા કરો કૃતારથો;
સમર્થ એમ છો તમે, વિભૂજી વંદિયે અમે. 43
શ્રુતિ તણા અભ્યાસકો, અદ્વૈતના ઉપાસકો;
અદ્વૈત આપને ભણે, ન તુલ્ય અન્યને ગણે. 44
તમારી જે અજા થકી, વિમોહ પામિયા નકી;
અતકર્ય એ થકી તમે, પ્રભુજી વંદિયે અમે. 45
સમસ્ત જીવ અંતરે, રહ્યા તમે સ્વતંતરે;
નિયંતૃ નિર્વિકારી છો, અખંડ જ્ઞાનધારી છો.46
શરણ્ય સર્વના હરિ, અધર્મ સર્ગના અરિ;
કરે સૂરાદિ વંદનમ્, નમામિ ભકિતનંદનમ્. 47
કદાપિ કાળ કે અજા, કરી શકે નહી કજા;
સ્વરૂપ એવું આપનું, તજાવનાર તાપનું. 48
અનંત જીવ તારવા, સુધર્મને વધારવા;
નૃદેહ ધારિયો તમે, પ્રણામ કીજીયે અમે. 49
વસંતતિલકાવૃત્ત :-
હે નાથ જાણી ન શકું તવ રૂપ કેવું, છે કેટલા ગુણ નકી ન કળાય એવું;
ઐશ્વર્ય નામ તવભૂતિ ચરિત્ર જેહ, મોટા મુનીશ્વર સુસિદ્ધ અજાણ એહ. 50
તે જાણવા પ્રભુ અમે જ સમર્થ કયાંથી, આશ્ચર્ય પામી રહિયે નિજ ચિત્તમાંથી;
એવા સમર્થ હરિ અદ્ભુતતાનિધાન, બે હાથ જોડી નમિયે બહુ શકિતમાન.51
બ્રહ્મા વિષે જ તવ શકિત કરી પ્રવેશ, બ્રહ્માંડકેરી ઉતપત્તિ કરે હંમેશ;
વિષ્ણુ વિષે વસિજ તેની સ્થિતિ કરે છે,શંભુ વિષે વસિ વળી જગ સંહરે છે. 52
સ્નેહે કરી અમિત પાર્ષદ પાવ સેવે, છો સર્વ વ્યાપક રહી નિજધામ એવે;
આવ્યા તમે જ નરદેહ ભલો ધરીને, પ્રેમે પ્રણામ કરિયે સ્તુતિ ઉચ્ચરીને. 53
ઐશ્વર્ય શૌર્ય વિદવાનપણું સુશીલ, સૌભાગ્ય ચાતુરપણું સુગુણો અખીલ;
તેના સમુદ્ર વળી આભરણો અનંત, લીલા વિચિત્ર કરનાર માહાત્મ્યવંત. 54
હે દેવદેવ હરિકૃષ્ણ મહાકૃપાળ, માયાધિનાથ વૃષનંદન કાળકાળ;
રાજાધિરાજ મુનિરાજ વિરાજમાન, સ્નેહે સદા પ્રણમિયે સુખના નિધાન. 55
હે પ્રાણના પતિ પુરાણપુરુષ એક, સેવા સજે સતત મુકત મળી અનેક;
સર્વજ્ઞ સર્વભવ કારણરૂપ આપ, દિવ્યાકૃતિ પ્રભુ તમે જ ધરો અમાપ. 56
પીડા સમગ્ર શરણાગતની હરો છો, સાક્ષી સ્વરૂપ થઇ અંતરમાં ઠરો છો;
મુકતો વિષે મળી સદૈવ કરો વિહાર, છોજી ઉદાર નમિયે પદ વારવાર. 57
કીધા તમે સ્વજન સ્વાંતર શત્રુ નાશ, સંસારરૂપ કૃત નાશ દુરંત પાશ;
નીરે સહીત ઘનશામ સદા સ્વરૂપ, પામો સદા વિજય હે હરિ ભૂપભૂપ. 58
ગર્વિષ્ઠ કાળ મદ સર્વ તમે હરો છો, પૂર્ણ પ્રકાશ વળી મોક્ષ પથે રહો છો;
પાષંડમાર્ગ હણનાર પુરો પ્રતાપ, જોગી જનેશ જપિયે તવ નામ જાપ. 59
બે હાથમાં પ્રભુ વરાભય ધારનારા, ભકતોની છાતિ પર અર્પિત પાવ સારા;
સ્નેહે સહિત મુખથી કરી મંદહાસ, પીડા કરી સ્વજનના મનની વિનાશ. 60
હે ભકિતપુત્ર ભગવાન ભવાબ્ધિનાવ, છો ભકતવત્સલ દયાળુ પવિત્ર પાવ;
શાથી વખાણ કરિયે નથી શબ્દ ઝાઝા,ધારી ગુણો પ્રણમિયે વૃષવંશરાજા. 61
પૂર્વછાયો:-
એવી રીતે સ્તુતિ ઉચ્ચર્યા, હરિભકત ભલો ધરી પ્યાર;
ભેટ ધરી ભગવાનને, પછી જેનો જેવો વ્યવહાર. 62
ચોપાઈ:-
જેતપરના જે ઉન્નડરાય, મૂળુવાળા તથા કહેવાય;
ઇત્યાદિક મળીને મોટા જન, આપ્યાં ઉત્તમ જાતિ વસન.63
મહામૂલ્યની મોતિની માળ, ધરી શ્રીહરિને તતકાળ;
પછી બેઠા તે સજજન સભામાં, મન ધારી પ્રભુની પ્રભામાં. 64
પછી ગોંડળના નરપાળ, નામ દેવોજી બુદ્ધિ વિશાળ;
તેની તરફથી આવેલા ત્યાંઇ, જેનું નામ ભલું હઠીભાઇ.65
એણે અશ્વ સમર્પિયો એક, સજી ભૂષણ અંગે અનેક;
માણાવદરના નૃપ ગુણવાન,જેનું નામ ગજનફરખાન. 66
તેણે અંતરમાં હેત લાવી, પૂજા મંત્રીની પાસે કરાવી;
દીધું ઉત્તમ પૃથ્વીનું દાન, બીજું દાન ન એહ સમાન. 67
માંગરોળ છે જેને આધીન, એવા નરપતિ વજરૂદીન;
તેણે રથ એક આપ્યો રુપાળો, જરિયાનના પડદાવાળો. 68
રુડા સોનાના કળશ બિરાજે, શણગારેલા બળદો છાજે;
માણાવદરમાં જેનું ઠામ, ભલા બ્રાહ્મણ ભટ મયારામ. 69
તેના ગોવિંદરામજી ભાઇ, બેની ભકતપણામાં ભલાઇ;
કરે નિત્ય તે વૈદિક કર્મ, ધરે સરસ એકાંતિક ધર્મ. 70
વેદમંત્ર ઉચ્ચાર કરીને, તેણે પૂજીયા પ્રેમે હરિને;
ચારે વેદનાં લલિત લખેલાં, લાવી પુસ્તક આગળ મેલ્યાં. 71
વેદધર્મનો કરવા ઉદ્ધાર, જાણે સૂચના તે કીધી સાર;
રુદે રાજી થયા મહારાજ, કરવું છે પોતાને તે કાજ. 72
પીપળાણાના નરસિંહ મહેતા, નારાયણજી આખાગામ રહેતા;
તેણે આપ્યાં પીતાંબર સારાં, પાત્ર પૂજાનાં મન હરનારાં. 73
પંચપાત્ર આચમની ત્રભાણું, દીવી આરતિ ધૂપિયું જાણું;
અગત્રાઇના પરવતભાઇ, ભીમભાઇ હૈયે હરખાઇ. 74
પ્રેમે પૂજા પ્રભુજીની કીધી, વસ્ત્ર બળદ તથા ગાયો દીધી;
ભુજના હીરજી સૂત્રધાર, બીજા સુંદરજી રથકાર. 75
નારાયણજી તથા દેવરામ, અજરામર પાંચમું નામ;
તેઓયે ઉર ધારી ઉમંગ, આપી ખુરશિયો ને પલંગ. 76
આપી પેટીયો આપ્યા પટારા, જેના ઘાટ ઘણા દિસે સારા;
ગંગારામ પ્રમુખ મળી મલ્લ, કરી મલ્લક્રિયા ત્યાં પ્રબળ. 77
એને આપ્યા પ્રસાદિના હાર, આપી પાઘ અને શેલાં સાર;
કારિયાણીના ખાચર માંચો, જેને અંતરે સંતસંગ સાચો.78
કિનખાબની આપી તળાઇ, આપ્યાં ઓશીકાં રૂડી રજાઇ;
તોંગોજી સરધારના રાય, વેરોજી ત્યાંના વાસી ગણાય.79
તેણે આપ્યું સારું એક ઘર, કરવાને હરિનું મંદિર;
અમદાવાદના નથુભટ, દામોદર સાથે આવિયા ઝટ. 80
હીરાભાઇ ગોરા લાલદાસ, ચોકશી આવ્યા શ્રીપ્રભુ પાસ;
ઘણી કિંમતનો કીનખાબ, તેના વસ્ત્ર તણી ભરી છાબ.81
સુરવાળ ને ડગલી સારી, ધર્મનંદનને ભેટ ધારી;
રાયધણજી ધમણકાના ધણી, આપી ભેટ એણે અશ્વ તણી.82
મૂળજી દ્વિજ જે ભાદરાના, તેના સુંદરજી ભાઇ નાના;
બન્ને લાગ્યા પ્રભુજીને પાય, ભલી ભેટ કરી એક ગાય.83
રામાનંદ લાગ્યા ત્યાં કહેવા, છે આ વિપ્ર મોટા મુકત જેવા;
સુણી હશિયા હરિ સાક્ષાત, ઉર આણી ભવિષ્યની વાત.84
એક થાશે ગુણાતીતાનંદ, શિવાનંદ બીજા જગવંદ;
કથા સાંભળીને એવી સારી, અભેસિંહે ત્યાં વાણી ઉચ્ચારી. 85
ગુણાતીતાનંદ ગુરુ મારા, ઉપદેશ મને આપનારા;
એની સાંભળીને આવી વાત, મને ઉપજયો આનંદ અઘાત.86
અચિંત્યાનંદજી બ્રહ્મચારી, અતિ મિષ્ટ છે વાણી તમારી;
આવા બોલો છો બોલ અમુલ્ય, મને લાગે છે અમૃતતુલ્ય.87
પુષ્પિતાગ્રાવૃત્ત:-
મયુર અધિક વાણી આપ કેરી, મુજ મન ચાહ ધરી સુણું ઘણેરી;
સુણી સુણી લવ તૃપ્તિ તો ન થાય, સુર નહિ જેમ સુધા પીતાં ધરાય. 88
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે શ્રીહરિપટ્ટાભિષેકે હરિજનકૃતઉપાયનાર્પણનામા સપ્તવિંશતિતમો વિશ્રામઃ ।।27।।