પૂર્વછાયો:-
સ્તુતિ કરી બ્રહ્માદિકે, તમને સુણાવી તેહ;
હે નરનાથ હવે કહું, યમ આદિક કૃત સ્તુતિ જેહ.1
ઉપજાતિવૃત્ત:-
વળી વદે છે યમરાજ વાણી, અહો કૃપાળુ પ્રભુ પદ્મપાણી;
કલ્યાણકારી શુચિ જે તમારું, શ્રીસ્વામિનારાયણ નામ સારું. 2
ભાવે કુભાવે હસવા પ્રમાણે, તે નામ લેશે સુણશે અજાણે;
હશે મહાપાપી તથાપિ તેહ, નહીં જ પામે મુજ ત્રાસ એહ.3
તે તો વળી મુકિતપદે જનાર, એવો તમારો મહિમા અપાર;
ગિરા બિચારી નહિ પાર પામે, તો શું કહું હું હરિ એહ ઠામે.4
ધર્મપ્રવૃત્તિ કરશો જ જયારે, ઘણાક પાપી ઘટશે જ ત્યારે;
હે નાથ હું ને વળી દૂત મારા, નિરાંત પામી નવરા થનારા. 5
ભકિત કર્યાને અવકાશ ધારી, વિશેષ ભકિત કરશું તમારી;
જેથી જશે આ કળિકાળ કેરું, સંકષ્ટ શુદ્ધત્વ થશે ઘણેરું. 6
પ્રમિતાક્ષરાવૃત્ત :-
પછી લોકપાળ વરુણાદિક જે, અલકાનિવાસી ધનદાદિક જે;
સ્તુતિ હાથ જોડી હરિની ઉચરે, પુલકીત દેહ દગ નીર ઝરે. 7
અમને દયાળુ બળદત્ત તમે, તમથી સદૈવ ડરિયેજ અમે;
મરજી તમારી મનમાં ધરિયે, દિશ પાળવાની કરણી કરિયે. 8
સકળેશ આપ વશ સર્વ અમે, લોકપાળ જનજૂથ નમે;
સુખના નિધાન નિધિ કીર્તિ તણા, તમને પ્રણામ કરિયેજ ઘણા. 9
શિખરિણીવૃત્ત :-
વદે સર્વે દેવો નથી જ તમ જેવો અધિપતિ, તમે સર્વાતીત પ્રબળ તમ કેરી ગતિ અતિ;
તમારી મોટાઇ અમથકી કળાઇ નહિ હરી, બહુનામી સ્વામી નમું અચળધામી સ્તુતિ કરી. 10
તમારી માયાયે હરણ કરિયું જ્ઞાન સકળે, અમો દેવો એવા તવ પદ તણું જ્ઞાન ન મળે;
તથાપી હે નાથ સ્તુતિ સુણીસુણી અંતર ધરો, સ્વદાસો જાણીને તન ધરિ તમે રક્ષણ કરો. 11
શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-
તત્વો સર્વ મળી વળી સ્તુતિ કરે હે કૃષ્ણ! હે માધવા!
સૃષ્ટી પૂર્વ સમે અમે ન શકિયાં વૈરાટને સર્જવા;
ત્યારે અંતરયામીતાથી અમમાં પ્રેરી સ્વશકિત તમે,
એવા અક્ષરધામના અધિપતિને વંદિયે સૌ અમે. 12
વસંતતિલકાવૃત્ત :-
વૈરાજપુરુષ કહે પ્રભુ વિશ્વપાળ, સંકષ્ટ સર્વ હરનાર હરે દયાળ;
સામર્થ્યદત્ત તવ વિશ્વ બધું ધરું છું, હે શકિતમાન પદવંદન હું કરુ છું. 13
બોલ્યા પ્રધાનપુરુષ પ્રભુ પાય લાગી, આજ્ઞા તમારી વશ હું ચરણાનુરાગી;
આપેલી શકિત પ્રભુ આપ તણી ધરું છું, બ્રહ્માંડ એક ઉતપન્ન સુખે કરું છું. 14
સર્વાવતારી સકળેશ સ્વતંત્ર સ્વામી, આનંદકંદ વૃષનંદ અનંતનામી;
વંદે સદા સુર નરો મુનિયો સમસ્તે, છો સંતસાથ મુનિનાથ નમો નમસ્તે. 15
મંદાક્રાંતાવૃત્ત :-
પ્રેમે બોલ્યા પ્રભુપદ નમી મૂળપુરુષ વાણી, હે સર્વેશા સુખનિધિ મને આપનો દાસ જાણી;
પોતે શકિત લવમિત મને જે દયા લાવી દીધી, તેથી તો મેં અમિત ભુવનો કેરી ઉત્પત્તિ કીધી. 16
આજ્ઞા માની પ્રભુ તમ તણી કાર્ય મોટાં કરૂં છું, જાણી મોટો અમિત મહિમા ધ્યાન નિત્યે ધરૂં છું;
હું તો સ્વામી ચરણરજની તુલ્ય છું સ્વલ્પમાત્ર, પ્રેમે વંદુ પ્રણમી પ્રણમી હે કૃપાના સુપાત્ર. 17
વસંતતિલકાવૃત્ત :-
મુકતો વિશેષ મળી અક્ષરધામ કેરા, પે્રમે કરે પ્રભુ તણી સ્તુતિયો ઘણેરા;
હે નાથ સદ્ગુણ દયાદિકના સમુદ્ર, છો કાળના પ્રલયકારકરૂપ રુદ્ર. 18
પામ્યા અમે કરી ઉપાસન આપ કેરું, થૈને નિરાકરણ જાણપણું ઘણેરું;
સેવા સજે ધરમ આદિ ગુણો અમારી, જાણી શકાય નહિ તોય ગતિ તમારી. 19
જાણે ન જેમ જળજંતુ સમુદ્રપાર, લૈયે ન તેમ તવ અંત અમે લગાર;
સર્વાવતાર અવતારી તમે પ્રભુ છો, અત્યંત શ્રેય કરવા જનમ્યા વિભૂ છો. 20
જે જીવ આપ પદ આશ્રય થૈ રહે છે, તે તો અમારી તુલની પદવી લહે છે;
દેખાય એવી દીનબંધુ દયા તમારી, ઉચ્ચારવા સકળ શકિત નથી અમારી. 21
વાકયો કૃતાદિષુ પ્રજા ઇતિ આદિ એહ,છે જે મુનીશ કરભાજનનાં જ જેહ;
તે વેણ સત્ય કરવા કળિમધ્ય ચાહી, ધાર્યો સુદેહ પ્રભુ ભારત ભૂમિ માંહી. 22
જે ધર્મ ઉત્તમ ઘણા દિનથી વિનાશ, પામ્યો પ્રભુજી ફરીથી કરશો પ્રકાશ;
હે સર્વસદ્ગુણનિધિ અવતારી આપ, સર્વે થકી અધિક આપ તણો પ્રતાપ. 23
સંતો મળી સતત પ્રાર્થિત હે મુરારી, આણી કૃપા અધિક છો નરનાટ્ય ધારી;
સર્વાવતાર તમ સાથ ગતિ કરે છે, શ્રીચક્રવર્તિ સહ જેમ નૃપો ફરે છે. 24
તે ધન્ય ધન્ય ધરણી પદચિહ્નવાળી, સ્વર્ગાદિ લોકથકી તે ભલી ભાગ્યશાળી;
જે સ્થાનમાં વળી થશે જ લીલા તમારી, લેશે તહાંની રજ સૌ સુર શીશ ધારી. 25
દેવો નરો તવ કૃપા વિણ તો કદાપી, પામે ન દર્શન કરી તપ જાપ જાપી;
તેવા તમો નિરખશે નરનારી જેહ, છે ધન્યધન્ય અતિધન્ય સમસ્ત તેહ. 26
વૈરાગ્યવાન મુનિયો તવ ભકિતમાન, તે મુકિત ચાર ગણશે તરણા સમાન;
માયીક વસ્તુ સુખને કદી કેમ ઇચ્છે, તે તો સમસ્ત સુખ આપ સમીપ પ્રીછે.27
પૃથ્વી વિષે સકળ જીવ તણા હિતાર્થે, ધાર્યો સુદેહ પરમાત્મ પ્રભુ પરાર્થે;
છોજી પરાત્પર તમે નિજદાસ પાળ, પામો સદૈવ જયકાર અહો કૃપાળ. 28
સાધુ સમસ્ત મૂરતિ મનમાં ધરે છે, કલ્યાણકારી ગુણકીર્તન તે કરે છે;
હે ભૂમિના પરમ મંગળકારી શામ, પામો સદૈવ જયકાર સમસ્ત ઠામ. 29
નિર્વાસનીક મુનિયો પદ નિત્ય સેવે, સેવેલ તેમ શિવતુલ્ય તપસ્વી જેવે;
દેવો ગણે અધિક દુર્લભ દર્શ જેનું, તેવા તમે બહુ થજોજી જયત્વ તેનું. 30
જે જીવ આવી પ્રણમે પ્રભુ એકવાર, તો પાપ સર્વ ભવ મૃત્યુ મટી જનાર;
છોજી તમે અતિદયાળુ સમર્થ એવા, વંદુ સદૈવ તમને દીનબંધુ દેવા. 31
જે આ સમગ્ર ઉપનીષદના સમૂહ, બ્રહ્મા શિવાદિ કરી તત્વ તણા જ ઊહ;
એવા તથા અવર અક્ષરમુકત જેહ, બોલે સદૈવ તવ સદ્ગુણકીર્તિ તેહ. 32
પામે ન નાશ કદી એવી મહા અવિદ્યા, છે પ્રાણિના મન વિષે જડતા અછિદ્યા;
તે તો છૂટે પ્રભુ તમારી ઉપાસનાથી, તેવા તમે જય કરો નિજની પ્રભાથી. 33
મૂર્તિ તમારી તણું ધ્યાન કરે જ જેહ, તો પ્રાણીવૃંદ સુખી થાય સદૈવ તેહ;
લૌકીક સુખ વળી જે પરલોક કેરાં, દેનાર દેવ જયકાર્ય કરો ઘણેરાં. 34
સંતાપ નાશકર દર્શન છે તમારું, જેથી વિશેષ મન શાંત થયું અમારું;
છે દિવ્ય આપ તણું ચારુ ચરિત્ર જેહ, કલ્યાણકારી કરજો જયકાર તેહ. 35
ઉપજાતિવૃત્ત:-
વર્ણી કહે સાંભળ હે નરેશ ! એવી રીત્યે સૌ મળિને વિશેષ;
દેવો મુનીયો વળી મુકતરાય, સ્તુતિ કરી શ્રીહરિની તહાંય.36
સિંહાસને શામ વિરાજમાન, તારા વિષે પૂર્ણ શશી સમાન;
જો શારદા શેષ સદૈવ ગાય, તથાપિ તે વર્ણન તો ન થાય.37
શ્રીધર્મભકિત ધરી દિવ્યદેહ, સદા વસે કૃષ્ણસમીપ તેહ;
સ્તુતિ સુણીને નિજસર્ગ સોતાં, રાજી થયાં ઉત્સવ એહ જોતાં. 38
અમૂલ્ય વસ્તુ લઇ સારી સારી, સૌયે પ્રભુ આગળ ભેટ ધારી;
નિહાળીને ભકિત તણા કુમાર, રાજી થયા સૌ હૃદયે અપાર. 39
મુકતાદિકે અંચળ દિવ્ય દીધાં, કૃપાનિધાને કરુણાથી લીધાં;
અપૂર્વ એ ઉત્સવ જોઇ ભારી, રાજી થયા સૌ નરદેવ નારી. 40
નક્ષત્રમાળા અતિ સારી લાવી, મુકતો મળી શ્રીહરિને ધરાવી;
મોતી તણી એક અમૂલ્ય માળ, ધરાવી તે મૂળ નરે વિશાળ. 41
પ્રધાનના નાથ પુરુષ જેહ, માળા દીધી લાલ મણીની તેહ;
તત્વાભિમાની સુર વૈજયંતી, માળા ધરાવી લઇ ગુણવંતી. 42
વૈરાજપુરુષ કિરીટ એક, જેમાં હિરા મોતી જડ્યા અનેક;
મહાપ્રભુને શિર તે ચડાવ્યો, ભકતો તણા તે મન માંહી ભાવ્યો. 43
સોનાતણું સુંદર ઊપવીત, બ્રહ્માજીયે તો કરી પૂર્ણ પ્રીત;
તે ધર્મના નંદનને ધરાવ્યું, જાણે સ્વહસ્તે વિધિયે બનાવ્યું. 44
દિધો રુડો કૌસ્તુભ તેરમેશે, માળા દીધી સ્ફાટિકની ઉમેશે;
સુવર્ણ સિંહાસન તો કુબેરે, કર્યું ભલું અર્પણ રૂડી પેરે. 45
ગંગા તથા શેષસમાન સીત, સુવર્ણના દંડ રુડા સહીત;
સુછત્ર એવું વરુણે ધરાવ્યું, શું હોય ગોલોક વિષે ઘડાવ્યું. 46
વાયુ સુરે ચામર સદ્વિશાળ, ધર્મે ધરાવી શુભ મોતિમાળ;
ઈંદ્રે ધરાવ્યાં અતિશે રુપાળાં, સુવર્ણનાં કુંડળ નંગવાળાં. 47
ઐશ્વર્ય જે નાસ કદી ન થાયે, આપ્યું ઘણું શ્રીહરિને રમાયે;
આપ્યો શિવા એક સુવર્ણ હાર, અમૂલ્ય તેજસ્વી દિસે અપાર. 48
મણી તણી માળ અમૂલ્ય આગે, ધરી હરિ આગળ શેષનાગે;
ધર્યા ધરાયે રસ મિષ્ટમિષ્ટ, પ્રત્યક્ષ જાણી પ્રભુ આપ ઇષ્ટ. 49
દીધી મળીને સઊ દેવ દેવી, સુપદ્મમાળા ન સુકાય એવી;
સુવર્ણનો કુંભ સુધા ભરેલો, દિસે હરિને શશિયે ધરેલો. 50
શિક્ષા કર્યાનો શુભ લોહદંડ, યમે સમર્પ્યો પ્રભુને અખંડ;
નંગે જડેલા રથ જે બનાવ્યા, તે વિશ્વકર્મા પ્રભુપાસ લાવ્યા. 51
શ્રીસૂર્યદેવે જરિયાન વાળાં, વસ્ત્રો દીધાં મૂલ્ય ઘણે રુપાળાં;
તહાં ૠતુરાજ વસંત આવ્યો, નાનાવિધિના ફૂલહાર લાવ્યો. 52
મુની મળી આશિરવાદ દે છે, થજો પ્રતાપી પ્રભુને કહે છે;
ૠષીશ દિવ્યાભરણો ધરાવે, છબી નિહાળી મનમોદ લાવે.53
સમસ્ત મુકતાદિક જે મળેલા, આનંદમાં મગ્ન અતી થયેલા;
તે સર્વ સામી ધરિ સૌમ્ય દષ્ટિ, કરી પ્રભુયે કરુણાની વૃષ્ટી.54
મુકતાદિ ઊભા નિજહાથ જોડી, મૂર્તિ વિષે નિશ્ચળ ચિત્ત ચોડી;
કૃતાર્થ તે તો સરવે થયેલા, સુખાર્ણવે મગ્ન થઇ રહેલા. 55
આનંદ એ સર્વ કહ્યો ન જાય, જો શારદા શેષ મહેશ ગાય;
બ્રહ્માંડ આખે અતિ હર્ષ વ્યાપ્યો, અપૂર્વ આનંદ દયાળુ આપ્યો. 56
જન્મોત્સવે હર્ષ જણાય જેવો, પટ્ટાભિષેકે પણ હોય એવો;
પુરાતની એવી જણાય રીતી, નરેશની છે પણ એજ નીતી. 57
આનંદ આનંદ દિસે અતીશે, ન કોઇને લેસ કલેશ દીસે;
દશે દિશા નિર્મળ ઉજળી છે, છયે ૠતુ ફૂલી તથા ફળી છે.58
પુષ્પિતાગ્રાવૃત્ત:-
કૃત હરિવરને પટ્ટાભિષેક, સુરવર ભેટ ધરી ભલી અનેક;
નરપતિ તમને કહી કથાય, સુણી જન પાપી મટી પવિત્ર થાય.59
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિપટ્ટાભિષેકે બ્રહ્માદિદેવઉપાયનાર્પણનામા ષડ્વિંશતિતમો વિશ્રામઃ ।।26।।