પૂર્વછાયો:-
મંડપ મધ્યે મહાપ્રભુ, કેવા શોભે છે તે શુભ રીત;
વિગતથી તે વરણવી, ગાય રામા મધુરાં ગીત.1
“મોહનજીયે મોકલ્યું રે મોસાળું” એ રાગ છે :-
શ્રીજીસ્વામી માંડવામાં બિરાજે, છબીલાની છબી ભલી છાજે;
શ્રીજી સ્વામી માંડવામાં બિરાજે.
સખી જોને આ શ્રીઘનશ્યામ, પુરુષોત્તમ પૂરણકામ….શ્રીજી સ્વામી.
એના ચરણકમળ મને ગમે, મારું મન ત્યાં ભ્રમર થઇ ભમે…શ્રીજી સ્વામી.2
જંઘા જુગલ રંભાથંભ જેવી, એ તો ગરુડ ઉપર શોભે એવી…શ્રીજી સ્વામી.
પેર્યું પીળું પીતાંબર અંગે, હું તો નિરખું અધિક ઉમંગે…શ્રીજી સ્વામી. 3
ઓપે અતિ ભલું અંગે અંગરખું, હું તો જોઇ જોઇને હૈયે હરખું…શ્રીજી સ્વામી.
ધર્યા વેઢ ને વીંટી આંગળિયે, જોતા જરુર આ જગનાં તો ટળિયે…શ્રીજી સ્વામી.4
પેર્યા હેમ કડાં બેઉ હાથે, પેરી પોંચિયો નટવર નાથે…શ્રીજી સ્વામી.
બાંહે બાંધિયાં બહુ રુડા બાજુ,કાન માંહિ કુંડળિયાં છે કાજું…શ્રીજી સ્વામી. 5
હૈયે હીરા ને મોતીના હાર, ભાળી ભાસે સંસાર અસાર…શ્રીજી સ્વામી.
મુખચંદ્ર દિસે ચિત્તચોર, જુવે મુનીજન જેમ ચકોર…શ્રીજી સ્વામી. 6
નેણ કમળ પાંખડલી પ્રમાણવારું તે પર તન મન પ્રાણ…શ્રીજી સ્વામી.
ભાસે ભમર્યો ચારુ ઈંદ્ર ચાપ, ટળે નિરખતાં ત્રિવિધના તાપ…શ્રીજી સ્વામી. 7
જોઇ તિલક તણી સરસાઇ, છુટે સંસારી સાથે સગાઇ…શ્રીજી સ્વામી.
પાઘપર રુડાં છોગલાં ધરિયાં, આવી ઉડાં અંતરમાં ઉતરિયાં…શ્રીજી સ્વામી. 8
મળ્યા અક્ષરધામના વાસી, કોણ જાય કેદાર ને કાશી…શ્રીજી સ્વામી.
ઘેર બેઠાં મહાપ્રભુ મળિયા, મારા મનના મનોરથ ફળિયા…શ્રીજી સ્વામી. 9
મનહરણ કરી લીધું હરિયે, હવે સંસારને તે શું કરિયે…શ્રીજી સ્વામી.
હરિવર મારા હૈયાનો હાર, મારા પ્રાણનો એ જ આધાર…શ્રીજી સ્વામી. 10
કર્યો નિશ્ચે વિચારીને બાઇ, નથી ભોળપણાથી ભ્રમાઇ…શ્રીજી સ્વામી.
સદા ધ્યાનમાં રાખશું ધારી, વાલો વૃષસુત વિશ્વવિહારી…શ્રીજી સ્વામી. 11
પૂર્વછાયો:-
વર્ણી અચિંત્યાનંદજી, કહે સુણો ભૂમિ ભરતાર;
સુર મુનિ મળીને સ્તુતિ કરી, હવે તેનો કહું વિસ્તાર. 12
વસંતતિલકાવૃત્ત :-
રાખી સનેહ ઉચરે ૠષિનો સમાજ, હે રાજરાજ ૠષિપાળ કૃપા જહાજ;
શ્રીધર્મપુત્ર ધરતીપર દેહ ધારી, રક્ષા અધર્મકુળથી કરશો અમારી. 13
જે કામ આદિ રિપુ અંતરમાં ઠરે છે, તે ભંગ આવિ ૠષિના તપનો કરે છે;
એ છે અજીત અતિશે જ કરે અનર્થ, તેને સ્વવશ્ય કરવા હરિ છો સમર્થ. 14
સાક્ષાત આપ પ્રભુ અક્ષરના નિવાસી, સર્વાવતારપણું કારણ સૌખ્યરાશી;
કીર્તિ તમારી નિગમાગમ નિત્ય ગાય,એવા દયાળુ તમને નમિયે સદાય. 15
નામી સ્વશીશ મુનિ નારદજી કહે છે, મેં પંચરાત્રકૃતિમાં કહી ભકિત જે છે;
તેવી પ્રવર્તન વિષે ન સમર્થ કોય, તે કામ અક્ષરપતિ તમથી જ હોય. 16
છે સર્વકાળ મહિમા અવિતકર્ય જેનો, એવા તમે મહત સેવક હું છું તેનો;
મૂર્તિ તમારી મન ધારિ સદા ભમું છું, પ્રત્યક્ષરૂપ પ્રભુ હું તમને નમું છું. 17
ઇંદ્રે કહ્યું અખિલ વિશ્વ તણા અધીશ, હું તો થયો તમ પ્રતાપથી સ્વર્ગર્ઇશ;
આજ્ઞા તમારી ધરી વૃષ્ટિ વળી કરું છું, પ્રેમે પ્રભુજી પદ મસ્તકને ધરું છું. 18
નાથેલ બેલ ધણીને વશ હોય જેવા, બ્રહ્માદિ દેવ સરવે તમવશ્ય તેવા;
હિંસાદિ યજ્ઞ કરવા ખળઅંશ ગોર, કે જા તા હતા જ કરતા જન જે કઠોર. 19
તેથી સુકાઇ કૃશ દેહ થયા અમારા, પામ્યા હવે પ્રભુ અમે ચરણો તમારા;
હિંસારહીત બહુ યજ્ઞ કરી કૃપાળ, દેશો વિશેષ સુખ હે વૃષભકિતલાલ. 20
બ્રહ્મા કહે ભુતળમાં અસુરાંશિયોયે, કીધો પ્રવર્તન અધર્મ ગુરૂજીયોયે;
તે ટાળવા સુગુરુને કરશસ્ત્ર આપી, પાપિષ્ઠ કૂળ કરશો નિરમૂળ કાપી. 21
દ્યો સંત હાથ નિગમાગમરૂપ ચાપ, સુજ્ઞાનખડ્ગ પણ તીક્ષણ જે અમાપ;
નિષ્કામઆદિ નિયમો બહુ તીવ્ર બાણ, આજ્ઞા તમારી વિજયધ્વજને પ્રમાણ. 22
માહાત્મ્ય આપતણું અક્ષય વજ્ર જેવું, સંગ્રામમાં વિચરતાં મુનિહાથ દેવું;
તે સંતમંડળ ઘણાં નિજસંગ લૈને, દેશો હરાવી ખળ દેશ વિદેશ જૈને. 23
ત્યારે અધર્મિ ગુરુઓ અતિ પામી ત્રાસ, સંતાઇ ગુપ્ત થળમાં કરશે નિવાસ;
આપ પ્રતાપથકી જે યતિ આપકેરા, પાખંડ પંથ હણશે હિંમતે ઘણેરા. 24
સૌ પ્રાણીનું હિત ધરી તવ ભકિત જેહ,વિસ્તારશે અધિક ધર્મસહીત તેહ;
જે જે જણાય અસુરાંશ ગુરુ થયેલા, બીજા કુપાત્ર મદ મત્સરના ભરેલા. 25
સૌને સુસંત તમ જોરથી જીતિ લેશે, સુજ્ઞાનદાન જનને શુક તુલ્ય દેશે;
પ્રૌઢ પ્રતાપ અવલોકી પ્રભુ તમારો, આશ્ચર્યવંત સુરસાથ થયો અમારો. 26
આ કાળમાં અવનિમાં નરનાટ્ય ધારી, છોજી અનેક જનના પ્રભુ મોક્ષકારી;
સર્વેશ પૂર્ણ પુરુષોત્તમ પ્રાણદાતા, વંદુ સમસ્ત વિધિ વિશ્વ તણા વિધાતા. 27
સાવિત્રિ દેવિ ઉચર્યા ઉર સ્નેહ આણી,હે પ્રાણનાથ પુરુષોત્તમ પદ્મપાણી;
વિદ્યા વિહીન વનિતા વળી નીચ દેહ, થાશે સમાધિધર આપ પ્રતાપ તેહ. 28
એવા પ્રતાપી પ્રભુ છો અવતારી આપ, સર્વાવતારથી વિલક્ષણ છે પ્રતાપ;
માહાત્મ્ય આપ તણું અંતરમાં ધરું છું, બેહાથ જોડી વળિ વંદન હું કરું છું. 29
પ્રત્યેક વિશ્વપતિ છે અજ વિષ્ણુ ઇશ, સંખ્યા ગણી નવ શકે મનમાં મુનીશ;
તે ઇશ્વરો હરિ તણી સ્તુતિ ઉચ્ચરે છે, પોતા તણાં શિર પ્રભુપદમાં ધરે છે. 30
વિષ્ણુ કહે અખિલના અવતારી આપ, જે થાય અન્ય અવતાર અહીં અમાપ;
તે તો કળા તમ તણી અથવા સુઅંશ, તેણે કર્યો ન કદી છેક અધર્મ ધ્વંશ. 31
થોડાક માંહી શ્રુતિઉકત સુધર્મ થાપ્યો, કે રાવણાદિ ખળનો વળી વંશ કાપ્યો;
હે નાથ આપ ધરી પ્રૌઢ પ્રતાપ બુદ્ધી, ધર્મ પ્રવૃત્તિ કરશો જ દિગંત સુધી. 32
પ્રહર્ષિણીવૃત્ત :-
જે જીવો ભવ વનમાં સદા ભમે છે, મૃત્યુ ને જનમ તણાં દુઃખો ખમે છે;
તેઓની તરત તમે જ સાર લેશો, હે સ્વામી નિજપદ પાસ વાસ દેશો. 33
બ્રહ્માંડાધિપતિ અનેક ઇશ જે છે, આજ્ઞામાં તમ તણી નિત્યપ્રત્ય તે છે;
પામીને તમ થકી વિશ્વપોષ્ય શકિત, પોષું છું જગત સુજાણી દાસ્ય ભકિત. 34
સર્વેના હરિ અવતારી દિવ્યધામ, સ્વચ્છંદ પ્રભુ પરમાત્મ પૂર્ણકામ;
પોતામાં સહુ અવતાર દર્શ દેશો, સર્વેનાં મન નિજમાં ધરાવી લેશો. 35
ગોલાકાદિક નિજધામમાં બિરાજે, તે મૂર્તિ સહુ તમમાં જણાય આજે;
ઐશ્વર્યો નિજજનને જણાવશો જી, કામાદી પ્રબળ રીપુ હણાવશો જી. 36
જે જીવો જગત વિષે જ અલ્પ જેવા, અજ્ઞાની જપતપહીન હોય એવાં;
તેઓને નિજ નજરે કરી સમાધિ, દેખાડો અખિલ તજાવીને ઉપાધિ. 37
મુકિતનો પથ ધરી દેહ ઇશ્વરોયે, દેખાડ્યો નિજજનને જ જેહ હોયે;
તે ઇશે દરશિત છે સમાધિ જેહ, દાસોના કરથી કરાવશોજી તેહ. 38
જે શકિત દરશિત શ્રેષ્ઠ ઇશ્વરોમાં, તે શકિત જન તવ પામશે જનોમાં;
આવો તો જનમ થયો નથી ન થાશે, તે માટે સરવથી શ્રેષ્ઠતા ગણાશે. 39
તેજસ્વી અમિત મણિ જડીત જેહ, સિંહાખ્યા સુભગ સુઆસનસ્થ તેહ;
સેવેલા અગણિત મુકતના સમાજે, દેખાડો નિજજનને સુધામ આજે. 40
કોઇ તો તવ પટ માળ સોટી જોઇ, તેમાંથી તરત સમાધિનિષ્ઠ હોઇ;
જૈ જોશે પ્રભુ તવ અક્ષરાદિ ધામ, ઐશ્વર્યો અતિ નિરખે જ એ જ ઠામ. 41
તે ભકતો મહિતળ વિશ્વવંદ્ય થાશે, સૌથી તે પરમ સુખી સદા જણાશે,
કોઇ તો ચરિત તમારું સાંભળીને, મુકિતમાં તરત જશે તજી કળીને. 42
વસંતતિલકાવૃત્ત :-
પૂર્વે થયા પ્રભુ તણા અવતાર જેહ, પામ્યા તમારી છબીમાં સઉ લીન તેહ;
કોઇ વિષે તવ છબી નહિ લીન થાય,તેથી તમે જ સઉના અવતારી રાય. 43
સર્પાધિનાથ શ્રુતિ અક્ષરમુકત સર્વ, કીર્તિ તમારી ઉચરે તજી સર્વ ગર્વ;
પૂર્ણ પ્રતાપ પ્રભુનો મનમાં ધરું છું, સર્વેશ્વરા સુખકરા તમને નમું છું. 44
માલિનીવૃત્ત :-
વળતી લલિત લક્ષ્મી હેતથી જોડી હાથ, સ્તુતિ હરિની કરે છે હે કૃપાસિંધુ નાથ;
અખિલ સુખદ એવા દાસને મોક્ષદાતા, તમ શરણથી પામે પ્રાણિયો સુખશાતા. 45
તવ ચરણ તજીને જે મને તો ભજે છે,જડ જન નિજ સાચા સ્વાર્થને તે તજે છે;
તવ વિમુખની પાસે હું કદીયે ન જાઉં, તમથકી જુદી થાતાં ઝાઝી હુંતો મુઝાઉં.46
ભગવત તજી ભકિત અન્યની આદરે છે,વિભવસુખની આશા અંતરે તે ધરે છે;
જળ મથન થકી તો તત્વ કાંઇ ન જામે, તમથી વિમુખ પ્રાણી તેમ કાંઇ ન પામે. 47
તવ પદરત જે છે સર્વ તે સુખ લે છે, અમિત કલપ વિત્યે કાળથી કયાં ડરે છે;
તવ જન જગમધ્યે દેવને વંદ્ય થાય, જન તન તજી અંતે ધામમાં સદ્ય જાય.48
અચળ સુખ મળે છે તે ભલા ભાગ્યશાળી, વિબુધ પણ વખાણે કીર્તિ તેની વિશાળી;
અવર સુર થકી તો એવી પ્રાપ્તિ ન થાય,મૃગજળ સમ તેના વૈભવો ઊડી જાય. 49
મરમ સકળ જાણી અંતરે શુદ્ધ એવો, તવ પદરતિ રાખી ત્યાગિને અન્ય દેવો;
જનહિત અવતારી આદિ છો ઇશ એક, પ્રભુ તવ પદ મારી વંદના છે અનેક. 50
શાલિનીવૃત્ત:-
શંભુ બોલ્યા આણિને ઊર સ્નેહ, પામ્યો શકિત આપ આપેલી જેહ;
જે આજ્ઞા દ્યો મસ્તકે તે ધરું છું, આજ્ઞાથી આ સૃષ્ટિને સંહરું છું. 51
સૌ સંપત્તી આપ પાયે રહે છે, લક્ષ્મી આદિ શકિત જેને ચહે છે;
જેનું નિત્યે ધ્યાન હું તો ધરું છું, વારેવારે વંદનાઓ કરું છું. 52
ગૌરી બોલ્યાં હે ગુણાતીત દેવ, જે નારીયો સજજશે આપ સેવ;
તેને દેશો ધામમાં વાસ તેહ, દેવોને છે દુર્લભા પ્રાપ્તિ જેહ.53
જે નારીયે વાસના સર્વ છોડી, પ્રીતિ પૂરી આપને પાવ જોડી;
મોટા મુકતો જે સમાધિ ન પામે, તે નારીયો તે સ્થિતિમાં વિરામે. 54
એવી રીતે જન્મ બીજાથી ભારે, ઐશ્વર્યો તો આપમાં છે વધારે;
દે આનંદો ચિત્તને કાનને તે, મોટા મુકતો આદરે ગાનને તે. 55
સૌથી સારાં આપનાં છે ચરિત્ર, શ્રોતા વકતાને કરે તે પવિત્ર;
સર્વસ્વામી આપને જાણી એવા, વંદુ છું હું દાસી દેવાધિદેવા. 56
રથોદ્ધતાવૃત્ત :-
પૃથ્વી બોલી પ્રભુ હે કૃપાનિધિ, આજ આપ અતિશે કૃપા કીધી;
ભાવ લાવી મુજ સામું ભાળશો, કિંકરીનું બહુ કષ્ટ ટાળશો. 57
ધર્મભંગ કરીને અધર્મિયે, પાપપંથ પ્રગટ્યા કુકર્મિયે;
ખૂબ ભાર નહિ તે ખમી શકું, શેષશીશ સ્થિર શી રીતે ટકું ? 58
ક્રોધી કામી ગુરુઓ ઘણા મળી, વામમાર્ગ પ્રસરાવિયો વળી;
મદ્યપાન કરી માંસ ખાય છે, તેથી પંડ મુજનો પિડાય છે.59
દૈત્યઅંશી થઇ શિષ્ય તે તણા, ભારરૂપ મુજને નડે ઘણા;
દેવ રક્ષણ કરો દયા કરી, ભાંગશોજી ભય ભારને હરી. 60
દાસ ત્રાસ ઝટ નાશકારી છો, ધર્મપુત્ર દઢ ધર્મધારી છો;
દુષ્ટઅંશી ગુરુ શિષ્ય સર્વને, જીતશો તરત તોડી ગર્વને. 61
જે અધર્મ મુજ શીશ થાય છે, જેથી પંડ મુજનો પીડાય છે;
મૂળમાંથી ખણી ખોદી નાંખશો, ધર્મ થાપી સુખ માંહી રાખશો. 62
સ્વાશ્રિતોની સઘળી વિપત્તિયો, તોડી નાથ કરશો નિવૃત્તિયો;
સંતવૃંદ લઇ સાથ સંચરો, મેલ ટાળી મુજ નિર્મળી કરો. 63
સંતવંૃદ મળી ચંદને કરી, ચર્ચિતાંધ્રિ મુજ ઊપરે ધરી;
ચિહ્ન અંકિત કરો કૃપાનિધિ, માની લૈશ મુજને નિધિ દિધી. 64
લૈ સમાજ ફરશોજી જાહરે, હું સનાથ શુભ થૈશ તાહરે;
શ્રેષ્ઠ સર્વ ગુણ મુજમાં થશે, તીર્થભૂમિ ગણિ સર્વ ઇચ્છશે. 65
નાથ યોગ તવ પાવનો થશે, વિશ્વમધ્ય મુજ કીર્તિ વાધશે;
વાસવાદિ વસતા વિચારશે, ધન્ય ભાગ્ય મુજનાં જ ધારશે. 66
નાથ મુજ મહિમા ઘણો થશે, સત્યલોકપતિ આદિ વંદશે;
વિશ્વદેવ મુજને વખાણશે, સર્વ લોકથકી શ્રેષ્ઠ જાણશે. 67
દિવ્યધામપતિ આપ જે સમે, આવિયાજી કપિલાશ્રમે તમે;
આપ દાસીતણી પ્રાર્થના સુણી, હે કૃપાળુ કરુણા કરી ઘણી. 68
પ્રાણનાથ અખિલેશ આપ છો, વાસુદેવ વળી વિશ્વવ્યાપ છો;
આપમૂર્તિ દઢ ચિત્તમાં ધરું, વારંવાર પદવંદના કરું. 69
પુષ્પિતાગ્રાવૃત્ત:-
સ્તુતિ અજ ભવ આદિકે કરી તે, નૃપ તુજ પાસ કથા સુઉચ્ચરી તે;
પછી યમ વરુણાદિકે ઉચારી, સુણ નૃપ એહ કથા કહીશ સારી. 70
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિપટ્ટાભિષેકે બ્રહ્માદિકકૃતસ્તુતિનામા પંચવિંશતિતમો વિશ્રામઃ ।।25।।