પૂર્વછાયો:-
કાર્તિક શુદી નવમી તણી, રહી પાછલી છ ઘડી રાત;
રામાનંદજી જાગિયા, રુદયે થયા રળિયાત. 1
શૌચક્રિયા ને સ્નાનવિધિ, કરી નિત્યક્રિયા નિજ જેહ;
સંધ્યા પૂજા પાઠ જપ, સહુ તરત કીધું તેહ. 2
ચોપાઈ:-
સભામાં પછી જૈ બેઠા સ્વામી, અતિ અંતરે આનંદ પામી;
દેશાંતર થકી તેડાવેલા, હતા વેદિયા જેહ આવેલા. 3
તેઓ પ્રત્યે બોલ્યા તતખેવ, તમે સાંભળો સહુ ભુદેવ;
નીલકંઠ છે આ બ્રહ્મચારી, તેને આપશું ગાદી અમારી. 4
વિધિ વેદોકત મંત્ર જે જાણે, ક્રિયા કરવી છે શાસ્ત્ર પ્રમાણે;
સુણી બોલિયા દ્વિજ શિર નામી, ચારે વેદના વિપ્ર છે સ્વામી.5
માટે વેદવિધાન છે જેમ, કામ સર્વ કરાવશું તેમ;
નિરવિઘ્ન પુરું થવા કાજ, પૂજો ગણપતિને મહારાજ. 6
અતિ છે શુભ લગ્ન અત્યારે, યજ્ઞશાળામાં વર્ણી પધારે;
વળી આપ પધારો જ ત્યાંય, મોટો હર્ષ ધરી મનમાંય. 7
પછી સ્વામી તે શાળામાં આવ્યા, સાથે શ્રીધનશામને લાવ્યા;
યજ્ઞકાર્યમાં પ્રેરેલા જેહ, મુકુન્દાનંદ વરણી તેહ. 8
વળી આવિયા ભટ મયારામ, વિપ્ર વેદિયા સહિત તે ઠામ;
વાજાં વિવિધ પ્રકારનાં વાજે, વસુધાતળ ને વ્યોમ ગાજે. 9
પછી વેદોકત મંંત્ર ઉચારી, પૂજયા ગણપતિને પૂજય ધારી;
કર્યું માતૃકપૂજન પ્રીતે, નાંદિશ્રાદ્ધ કર્યું રુડી રીતે. 10
સ્વસ્તિવાચન વિપ્રોએ કીધું, તેના કળશ તણું જળ લીધું;
ચારે વેદની ભણી આશીષ, છાંટ્યું તે યજમાનને શીશ. 11
દ્વિજને પછી દક્ષિણા દીધી, વિપ્રની વરુણી પછી કીધી;
પૂજયા આચાર્ય ને બ્રહ્માય, કરી ૠત્વિજની ત્યાં પૂજાય.12
બેઠા વિપ્રો કરે અનુષ્ઠાન, સ્વામી શિષ્ય ગયા સ્વસ્થાન;
વીત્યો વાસર ને વીતી રાત, થયું ઉજજળ ઉદય પ્રભાત.13
વ્રત દિવસ એકાદશી જાણી, ભદ્રાનાવા જવા ઇચ્છા આણી;
રામાનંદ ને શ્રીઘનશામ, સંઘ સહિત તો ભટ્ટ મયારામ. 14
સંત સહુ સાથે મુકતાનંદ, વર્ણી સૌ સાથે વર્ણી મુકુંદ;
ભદ્રા તીર્થમાં નાવા સિધાવ્યા, સાથે રાય રાણા બહુ આવ્યા. 15
હાથી ઘોડા ને રથ છે અપાર, વાજે વાજિંત્ર વિવિધ પ્રકાર;
કોઇ તાલ મૃદંગ બજાવે, સંતમંડળ કીર્તન ગાવે. 16
જેજેકાર બોલે છડીદાર, જોવા ટોળે મળ્યાં નરનાર;
કર્યું ભદ્રા વિષે જઇ સ્નાન, કરી નિત્યક્રિયા દીધાં દાન. 17
જેવી શોભાથી નદિયે સિધાવ્યા, તેવી શોભાથી મંદિરે આવ્યા;
યજ્ઞશાળામાં આસન કરી, પૂજયા વિપ્રને ગણપતિ ફરી. 18
એક વેદી ઉપર એજ ઠાર, સ્થાપ્યાં રાધા ને કૃષ્ણ તેવાર;
કરી સ્નેહે ષોડશ ઉપચાર, પૂજયા મંત્ર કરીને ઉચ્ચાર. 19
પછી કુંડમાં પાવક ધર્યો, કૃષ્ણમંત્ર વડે હોમ કર્યો;
જવ તિલ મધ ને ફળ ફૂલ, હોમ્યાં ચંદનકાષ્ઠ અતુલ્ય. 20
ઘૃત હોમ્યાં ઘણાં પરનાળે, ભકત ભાવિક ભાવથી ભાળે;
એમ દેખાડિયો વેદધર્મ, મોટા મુનિજન જાણે તે મર્મ. 21
ઉપજાતિવૃત્ત:-
તે કુંડથી દક્ષિણ દીશ પાસે, પવિત્ર બ્રહ્માસન કેવું ભાસે;
શ્રીજી તણી નાભિ સમીપ જેવું, પવિત્ર દિસે તિલચિન્હ તેવું. 22
શોભીત સિંહાસન સૌથી સારું, જેનું નહી મૂલ્ય અમૂલ્ય ધારુ;
તે વિશ્વકર્મા વિધિયે ઘડેલું, હીરા તથા માણેકથી જડેલું. 23
શું આપ છે અક્ષર બ્રહ્મ એહ, સ્વેચ્છાથી એવો ધરિયો સ્વદેહ;
સર્વત્ર વ્યાપી શુભ જેનું તેજ, શોભીત સિંહાસનરૂપ એજ. 24
ત્યાં વેદના મંત્ર દ્વિજો ઉચારે, સ્વામી હરીનો કર હાથ ધારે;
સિંહાસને શ્રીહરિ તો બિરાજયાં, જે જે તણા શબ્દ વિશેષ ગાજયા. 25
આનંદ આનંદ વધ્યો અતિશે, આકાશ તો નિર્મળ સ્વચ્છ દિસે;
નદી તળાવે પણ સ્વચ્છ નીર, સુગંધ ને શીત વહે સમીર. 26
જયાં કુંડમાં પાવક તો બિરાજે, ત્યાં તે ભલો ધૂમ્ર રહીત છાજે;
સંતો તણાં નિર્મળ ચિત્ત ભાસે, ભાનુ ભલો વ્યોમ વિષે પ્રકાશે. 27
આકાશમાં દેવવિમાન છાયાં, ગાંધર્વવૃન્દે ગુણગીત ગાયાં;
નાચે મળીને નભ દેવનારી, થૈ પુષ્પ ને ચંદન વૃષ્ટિ સારી. 28
વાજિંત્ર વાજે વિવિધ પ્રકાર, બ્રહ્માંડમાં હર્ષ વધ્યો અપાર;
ત્રિનેત્ર તો તાંડવ ત્યાં કરે છે, કીર્તિ કથા નારદ ઉચ્ચરે છે. 29
વૈરી સદા સિંહ અજાદિ જેહ, પ્રાણી થયાં સૌ નિરવૈર તેહ;
ધર્મી જનો તો હરખ્યા વિશેષ, અધર્મીને તો ઉપજયો કલેશ. 30
આચાર્ય બ્રહ્માદિક વિપ્ર જેહ, કરે હરિને અભિષેક તેહ;
મંત્રો શ્રુતિ ચાર તણા ઉચ્ચારે, સ્વહસ્ત તીર્થોદક દર્ભ ધારે. 31
એવે સમે અક્ષરમુકત આવ્યા, અમૂલ્ય ને અદ્ભુત ભેટ લાવ્યા;
પ્રભુપદે મસ્તકને નમાવી, સ્નેહે સુકાવ્યોથી સ્તુતિ સુણાવી. 32
સુનંદ ને નંદ ગરૂડ આવ્યા, સાથે વળી વિશ્વકસેન લાવ્યા;
ધર્યા સહુએ શુભ દિવ્ય દેહ, દેખે જનો લોચન દિવ્ય જેહ.33
બ્રહ્મા તથા વિષ્ણુ મહેશ શેષ, ગણેશ ને સૂર્ય શશી સુરેશ;
પધારિયા સર્વ સ્વપત્નિ સાથ, નમ્યા હરીને નિજ જોડી હાથ. 34
દશે દિશાના પતિ જેહ દેવ, ત્યાં આવિયા સૌ મળી તર્તખેવ;
સમગ્ર દેવો વળી સ્વર્ગવાસી, આવ્યા લઇને નિજદાસ દાસી. 35
ગંગા તથા પુષ્કરરાજ આદી, કાલિંદિ સિંધુ ગંડકી ગયાદી;
તે સર્વ તીર્થો અભિષેક નીરે, રહ્યાં મળી દિવ્ય શુચી શરીરે. 36
છ શાસ્ત્ર ને વેદ ગણાય ચાર, પ્રત્યક્ષ આવ્યા મળી એહ ઠાર;
નારીસ્વરૂપે પૃથિવી પધારી, નિહાળવા શ્રીહરિ બ્રહ્મચારી. 37
દેશાંતરોના જનસંઘ જેહ, નિહાળીને શ્રીહરિ રૂપ તેહ;
તથા રુડા મંડપને નિહાળી, આનંદની તો અતિ હદ્ય વાળી. 38
સજી શરીરે શણગાર સાર, એકત્ર બેઠી અબળા અપાર;
આનંદ એના ઉરમાં ન માય, ગૌરી મળી મંગળ ગીત ગાય.39
મંડપનું વર્ણન :- પ્રભુની પૂજા માનસી રે, એ રાગ છે.
મોટા મંડપની શોભા તે શી વરણવું રે,
જોવા ઇંદ્રાદિક દેવો લલચાય રે, રંગમંડપ છાયો મોતીયે રે;
જેવો પાંડવોનો ઇંદ્રપ્રસ્થ ઓપતો રે, એવી મંડપને ઉપમા અપાય રે…રંગમંડપ 40
ઉપર કનકના કળશ ચડાવીયા રે, ધ્વજા પતાકા ચડાવી ચારે પાસ રે…રંગમંડપ
બાંધ્યાં તોરણ મનોહર મણિ મોતિનાં રે, તેનો ચારે દીશે પ્રસરે પ્રકાશ રે…રંગમંડપ 41
ઉંચા ઉલેચ બંધાવ્યા જાદર ચીરના રે, ઝાઝાં ઝૂમર લટકાવ્યાં હારોહાર રે…રંગમંડપ
હેમસાંકળે લટકાવી ઘણી હાંડીયો રે, માંડ્યા કાચ તણા તખતા અપાર રે…રંગમંડપ 42
ભીંતે ચતુર ચિતારે ચિત્ર ચીતર્યા રે, તેમાં ચિત્ર્યા ચારુ ચોવી અવતાર રે…રંગમંડપ
સંતો સાથે શ્રીહરિની સભા ચીતરી રે, ઠરી રહે જન જોવા ઠારોઠાર રે…રંગમંડપ 43
નીચે જાજમો ગાલીચા પથરાવીયારે, માંડી ખૂરશીયો સુંદર શોભીત રે…રંગમંડપ
ગાદીતકિયા રુડા કોઇ ઠામે ગોઠવ્યા રે, પોપટ પાંજરાં લટકાવ્યાં રુડી રીત રે…રંગમંડપ 44
ત્યાં તો આવીને બિરાજયા રાણા રાજવી રે, રામાનંદ સાથે શોભે ઘનશામ રે…રંગમંડપ
વાજાં વજાડીને સંત ગુણ ગાય છે રે, જોવા ઉલટ્યું છે ત્યાં તો આખું ગામ રે…રંગમંડપ 45
હવે હોમ તણી શોભા હેતે હું કહું રે, કર્યો કુંડ તેમાં કસર ન કાંય રે…રંગમંડપ
ત્યાં તો રંભાકેરા થંભ રુડા રોપિયા રે, વેદવિધિ કરે વિપ્રો બેઠા ત્યાંય રે…રંગમંડપ 46
પછી સિંહાસને શામને પધરાવિયા રે, વેદમંત્ર વડે કીધો અભિષેક રે…રંગમંડપ
મુકતો અક્ષરના નિરખવા આવિયા રે, આવ્યા ઇંદ્રાદિક અમર અનેક રે…રંગમંડપ 47
સખી આજ તો સોનાના સૂરજ ઉગિયા રે, આજ મોતીડાના વરસે છે મેહ રે…રંગમંડપ
સખી ધન્ય ધન્ય ભાગ્ય છે જો આપણાં રે, આવે અવસરે આવ્યો જનદેહ રે…રંગમંડપ 48
જેનાં દરશન દુર્લભ છે દેવને રે, તેને નિરખીને થઇયે નિહાલ રે…રંગમંડપ
સખી સભામાં શોભે છે ઘનશામજી રે, વાલો વૃષવંશી વિશ્વવિહારીલાલ રે…રંગમંડપ 49
ચોપાઈ:-
એવી રીતે રામા ગાય ગીત, ધરી પ્રભુપદ પૂરણ પ્રીત;
રામાનંદસ્વામી છે સુજાણ, પ્રભુને જાણે પ્રગટ પ્રમાણ. 50
સર્વના ગુરુ સર્વના ઇષ્ટ, સહજાનંદ સૌથી વરિષ્ઠ;
ભજે જેને અક્ષરમુકત જેવા, રામાનંદજી જાણે છે એવા. 51
તોય રાખવાને લોકાચાર, ઉપદેશ દિધો તેણી વાર;
વર્ણીરાજ સુણો શુભ મર્મ, તમે પાળજો વેદનો ધર્મ. 52
શોભાવો ઉદ્ધવીસંપ્રદાય, જેથી જીવોનાં કલ્યાણ થાય;
સર્વે શિષ્યોને ધર્મ પળાવો, જ્ઞાન વૈરાગ્ય ઉર ઉપજાવો. 53
કરો કરાવો વૈષ્ણવયાગ, ઘણું ખરચીને દ્રવ્ય અથાગ;
વળી મંદિર મોટાં કરાવો, રાધાકૃષ્ણાદિ મૂર્તિ સ્થપાવો. 54
બાઇ ભાઇ ગૃહસ્થ કે ત્યાગી, ભકત થાવા ઇચ્છે બડભાગી;
તેને તો તેવી દીક્ષા ધરાવો, ધર્મસહિત સુભકિત કરાવો. 55
જન દિસે કુપાત્ર જરૂર, કરજો સંપ્રદાયથી દૂર;
સંપ્રદાયના ગ્રંથ રચાવો, ઉંડા પાયા તો એજ નંખાવો. 56
કદી મંદિર તો પડી જાય, દેશ પણ કદી ઉજજડ થાય;
પણ ગ્રંથ સદૈવ દેખાય, એથી અચળ રહે સંપ્રદાય. 57
શિષ્ય અર્પે વસન અલંકાર, સુખે કરજો તે તો અંગિકાર;
નહીં તમને કરી શકે બાધ, દિસે શકિત તમારી અગાધ. 58
એવો ઉપદેશ સાંભળી સાર, ઉચર્યા શ્રીહરિ હકાર;
રામાનંદે ઉમંગ ધરીને, વસ્ત્રાભરણ ધરાવ્યાં હરીને. 59
કડાં વેઢ વીંટીયો કુંડળ, હીરા મોતીના હાર નવલ;
ધૂપ દીપક આગળ ધારી, પછી આરતિ ગુરુયે ઉતારી. 60
પુષ્પિતાગ્રાવૃત્ત:-
કરી હરિ તણું પૂજનાદિ પ્રીતે, ગુરુજી રહ્યા નિજ આસને સુરીતે;
પછી વૃષસૂર સર્વ સ્નેહ ધારી, કરી અરચા હરિ આરતી ઉતારી. 61
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિપટ્ટાભિષેક-ક્રિયાવર્ણનનામા ચતુર્વિંશતિતમો વિશ્રામઃ ।।24।।