પૂર્વછાયો:-

કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ અભેસિંહભાઇ;

લીલા કહું જેતપર તણી, સુણતાં અધિક સુખદાઇ.1

ચોપાઈ:-

હરિભકત મળી ઘણા નર, કર્યો મંડપનો તે આદર;

સૂત્રધાર સામાન મંગાવે, હરિભકતો ઉમંગથી લાવે. 2

ઘણી ઝડપથી ધમધમ ચાલે, જાણે ઉન્મત્ત મેંગળ મહાલે;

સિંધુપર સેતુ રચવાને જેમ, કપિવૃંદ મચ્યાં હતાં તેમ. 3

એકએકથી આગળ ધાય, લાવી આપે છે વસ્તુઓ ત્યાંય;

એક બીજાથી અધિક તે ઠામ, કામ કરવાને રાખે છે હામ. 4

જુવે લોકો જે રસ્તે જનાર, જોઇ અચરજ પામે અપાર;

જુવે ટોળે ટોળાં જન મળી, તે તો ઝડપ વખાણે છે વળી. 5

બીજે ઠેકાણે જોવાને જાય, પાકશાળાનો આદર થાય;

લૈને પાવડા કોશ કોદાળી, મજુરો મંડ્યા કાછડા વાળી. 6

જાણે સંચિત કર્મ કોઠાર, તે તો ખોદીને કાઢે છે બહાર;

કોઇ ખોદે છે ચૂલ કે કયારી, કોઇ કોઠિયો ડાટે છે ભારી. 7

શીરો ભરવા અવાડા કરે છે, ઘૃત ભરવાના કુંડ ધરે છે;

કરે સીધું સામાન તૈયાર, કર્યો છે બળતણનો અંબાર. 8

છાયા કરવાને થાંભલા રોપે, જાણે મોક્ષ નિસરણિયોઓપે;

ઉંચા બાંધે છે બુંગણ લાવી,જાણે શરદની વાદળી આવી.9

ચરુ રંગાડાંને દેગ મોટા, લાવી મુકયા તેના નથી તોટા;

કથરોટ કુંડા ને કડાયો, ઝારા ડોયા તથા કડછાઓ. 10

એવાં વાસણ અપરમપાર, લાવી મૂકયાં તે જગ્યા મોઝાર;

કામ ચાલે છે ધમધોકાર, એમ વિતિયા દિન દશ બાર. 11

એવામાં કાળીચૌદશ આવી, હનુમાન પૂજયા હેત લાવી;

ઘણા સંત હરિજન આવ્યા, જોઇ આરંભ મનમુદ લાવ્યા. 12

ઉપજાતિવૃત્ત:-

આનંદ છે જયાં અભિષેક કેરો, દીવાળી આવ્યાથી વધ્યો ઘણેરો;

પ્રવાહ ગંગાજી તણો સુ જેમ, મળ્યાથી કાલિંદિ વધે જ તેમ. 13

દિસે ઘણા દીપક ઠામઠામ, શું દેવ આવ્યા તજી સ્વર્ગધામ;

નિહાળવા શું વૃષવંશિરાજ, ધર્યાં ધરાયે બહુ નેત્ર આજ. 14

દીપોત્સવી તો બહુ આવી જાય, આવો કદી ઉત્સવ તો ન થાય;

કહે જનોને જન એક કોઇ, આવી દિવાળી કદીયે ન જોઇ.15

આવ્યા નથી ને નથી આવનાર, છે જે પ્રભુ અક્ષરબ્રહ્મ પાર;

તે આવિયા છે નરદેહ ધારી, તેથી દિસે આજ દિવાળી સારી. 16

આનંદ છે અક્ષર માંહિ જેવો, ભૂલોકમાં આજ જણાય એવો;

જે દેહ પામ્યા જન આજ ટાણે, સુભાગ્ય તેનાં વિબુધો વખાણે. 17

ભલો કર્યો ઉત્સવ અન્નકૂટ, પકવાન્ન ને શાક કર્યા અખૂટ;

ઠાકોરજી આગળ તે ધરાવી, પંકિત પછી સંત તણી કરાવી. 18

પોતે ગુરૂ પીરસવા રહે છે, મહાપ્રભુજી પણ પીરસે છે;

જે હાથમાંથી કણિકા પડે છે, પ્રસાદિ બ્રહ્માદિ સુરો ચહે છે.19

ચોપાઈ:-

અન્નકૂટ્ટ તણો દિન ગયો, શુદિ બીજ તણો દિન થયો;

જેતપરના જનોને તેડાવી, સ્વામીયે એવી વાત સુણાવી. 20

સમૈયો હવે ઢુંકડો આવ્યો, કેટલોક સામાન કરાવ્યો;

બીજું તો બધું તૈયાર થાશે, પણ ઉતારા કયાં કયાં કરાશે. 21

કૈંક આવશે રાણા ને રાય, આવશે જ ગૃહસ્થ ઘણાય;

સતસંગી તો આવશે સહુ, બીજા પણ જન આવશે બહુ. 22

રાખવી સહુની બરદાશ, તેમાં કરવી ન કાંઇ કચાશ;

મૂળુવાળા બોલ્યા પછી ત્યાંય, દેવાવાળા ને ઉન્નડરાય. 23

મોટા મોટા છે મોલ અમારા, તે તો જાણજો સર્વ તમારા;

ઉતારા તો ઠરાવશું અમે, તેની ચિંતા ન રાખશો તમે. 24

યથાયોગ્ય પલંગ તળાઇ, વળી સેવામાં દેશું સિપાઇ;

જેતપરના બીજા હરિજન, કહે છે જે અમારાં ભવન. 25

હરિજનને ઉતરવાને દેશું, વળી સેવામાં તત્પર રેજાશું;

એમ કહી જન સર્વ સિધાવ્યા, દેરા તંબુઓ ઊભા કરાવ્યા. 26

રુડી રાવટીયો અને પાલ, બાંધી ચંદનિઓ ત્યાં વિશાળ;

તંબુ ઉપર કળશ સોનાના, ચળકે સરખા ચંદ્રમાના. 27

માંહી જાજમો શુભ પથરાવી, મૂકી ખુરશીયો વિધવિધ લાવી;

ગાદી તકિયો પલંગ તળાઇ, ગાલ મસુરિયાં ને રજાઇ. 28

જે જે જોઈયે તે રાખ્યાં તૈયાર, જેમ આપતાં લાગે ન વાર;

આવ્યો અષ્ટમીનો દિન જયારે, થયો મંડપ તૈયાર ત્યારે. 29

સ્વામીને કહે હીરજીભાઇ, જુઓ મંડપની સરસાઇ;

પછી મંડપ જોવા પધાર્યા, સાથે જન લૈને સારાસારા. 30

વૈતાલીયવૃત્ત :-

છબી મંડપકેરી શી કહું, ભભકાદર બની ભલી બહુ;

સજિયા શુભ હેમથાંભલા, તખતા શ્રેષ્ઠ ધર્યા તહાં ભલા. 31

હદ બેહદ કાચહાંડિયો, કરવા દીપક કાજ માંડિયો;

બહુભાત ઉલેચ બાંધિયા, શુભ તેમાં જરિતાર સાંધિયા. 32

બહુ ઝૂમર ત્યાં ઝૂમી રહ્યાં, સુવિમાનોની સમાન તે કહ્યાં;

છબીલા ગલિચા બિછાવિયા, ચિતરોમાં સુર ચીતરાવિયા. 33

મણિ મોતિ તણાં સુતોરણો, બહુ બાંધ્યાં જનચિત્ત ચોરણો;

શુક સારિક શબ્દ ઉચ્ચરે, મુનિકેરા મનનેય તે હરે. 34

ધરિયા પંચરંગી વાવટા, અતિ છાજે શુભ તેહની છટા;

નભમાં કૃત જેમ મેહનાં, ધનુસાદશ્ય સુરૂપ તેહનાં. 35

શુભ કુંડ તહાં કરાવિયો, કરવા હોમ ભલો જ ભાવિયો;

કદળી સદળી વળી લહી, સ્થિર ત્યાં સ્થંભ રુડા રચ્યા સહી. 36

ચોપાઈ:-

સ્વામી નિરખીને શોભા અથાહ, વારેવારે કહ્યું વાહવાહ;

અમે ધાર્યો હતો જેવો કરવા, તેથી સરસ થયો મન હરવા. 37

ધન્ય ધન્ય નારાયણ ભ્રાત, વિશ્વકર્મા તમે સાક્ષાત;

તમે પ્રત્યક્ષ છો રચનાર, કેમ ખામી રહે ત્યાં લગાર. 38

એમ રાજી થઇને અપાર, આપ્યા ઉરથી પ્રસાદીના હાર;

પછી જોવા ગયા પાકશાળા, ત્યાં તો વિપ્રો વિશેષ નિહાળ્યા.39

પીપળાણાના નરસિંહમેતા,પાકશાળાના ઊપરી હતા;

પુત્ર કલ્યાણજી આદિ જેહ, મંડ્યા કરવા રસોઇ તેહ. 40

કોઇયે કાછડા લીધા છે વાળી, કોઇયે વાળી બોકાની રુપાળી;

કોઇયે કડછા લીધા છે કરમાં, કોઇ ભીંજાયા પરશેવા ભરમાં. 41

કોઇયે પાતળાં ને કોઇયે જાડાં, લાડુ ખાંડવા લીધાં છે આડાં;

હળદીવાળા કોઇના હાથ, તેનો રંગ લાગ્યો અંગસાથ. 42

જાણે ખેલીને આવ્યા વસંત, તેનો રંગ લાગ્યો છે અત્યંત;

ચુલ્યો ઉપર દેગો ચડાવી, ઘણી ઘીની અવાડી ભરાવી. 43

લાડુ ખાંડે કરે બળ ભારે, રામાનંદની જય ઉચ્ચારે;

કોઇ પાડે ભલાં પકવાન, તેનું લાગી રહ્યું તેમાં ધ્યાન. 44

રામાનંદ બોલ્યા ગુણવાન, કરી રાખો રુડાં પકવાન;

દ્વાદશી દિને જમવાનું ધરજો, દાળ ભાત તો તે દિન કરજો. 45

કરો નાગરને ખપે એવી, જુદી દૂધની રસોઇ તેવી;

બોલ્યા વિપ્રો અમે તેમ કરશું, આપ આજ્ઞા સુણી અનુસરશું. 46

જોઇ બ્રાહ્મણનો શ્રમ ભારી, રામાનંદ રીઝ્યા મુદ ધારી;

ભુજસમશા કરી ભલી વિધી, સર્વ વિપ્રોને આશીષ દીધી. 47

પછી સ્વામીજી ત્યાંથી પધાર્યા, જોયા જઇને સમસ્ત ઉતારા;

બંદોબસ્ત નિહાળીને સાર, સ્વામી રીઝ્યા રુદેમાં અપાર. 48

કર્યું આશ્રમે જઇને આસન, વળી વાત વિચારીને મન;

મુકતાનંદ તથા રામદાસ, રામાનંદે તેડ્યા નિજપાસ. 49

કહ્યું સાંભળો સદગુણી સંત, હું છું તમ વડે આજ નચિંત;

મારે યજ્ઞમાં બેસવું પડશે, આજ સંઘ ઘણા આવી ચડશે. 50

રાખજો સહુની બરદાસ, કશી વાતે ન રાખો કચાશ;

વળી જ્ઞાન તણો ઉપદેશ, તમે સર્વને કરજો વિશેષ. 51

સંતમંડળ આવે આ કાળ, તેની લેજો તમે સંભાળ;

સુણી બોલિયા તે સંત બેય, તે તો કામ અમારું જ છેય.52

વળી સ્વામીયે વાણી ઉચારી, સુણો સ્નેહે મુકુંદ બ્રહ્મચારી;

વરણી નીલકંઠની પાસ, રહો થઇને નિરંતર દાસ. 53

એની આજ્ઞા સદા અનુસરજો, જે જે સેવા બતાવે તે કરજો;

બોલ્યા તે સમે તે બ્રહ્મચારી, સદા વર્તિશ આજ્ઞાનુસારી. 54

એજ અષ્ટમીને દિન રાય, સંત મંડળ આવિયાં ત્યાંય;

નવમી દિન આવિયો જયારે, આવ્યા સંઘ અનેક તે વારે. 55

દેશ સોરઠ કાઠિયાવાડ, ભાલ ગુજરાત ને ઝાલાવાડ;

કચ્છદેશ આદિક અપાર, આવ્યાં હરિજન નર અને નાર. 56

સંઘ ઊતર્યો બાગમાં કોઇ, કોઇ તંબુ દેરા રુડા જોઇ;

કોઇ ગામમાં હરિજન ઘેર, ઉતર્યા જોઇને રુડી પેર. 57

મળ્યા લોક હજારો હજાર, ચાલવાનો ન માગ લગાર;

આવ્યા છત્રપતિ કૈંક વંકા, તેના વાજે છે નોબતે ડંકા. 58

ઢળે ચમર ને ફરકે નિશાન, છડીદાર બોલે ગુણવાન;

ઘોડા હણહણે ચિઃકારે હાથી, ગામ ગાજી રહ્યું ગર્જનાથી. 59

આપ્યાં ઉતરવા શુભ સ્થાન, પછી આપિયાં ભોજન પાન;

બહુ કરી સહુની બરદાશ, તેમાં કાંઇ ન રાખી કચાસ. 60

પુષ્પિતાગ્રાવૃત્ત:-

પુરપુરથકી સંઘ શ્રેષ્ઠ આવે, મુનિવર મુકત હરિકથા સુણાવે;

દરશન કરી કૃષ્ણનાં ગુરૂનાં, મન મુદવંત થયાં જનો સહુનાં. 61

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિપટ્ટાભિષેકે હરિજનસંઘાગમનનામા ત્રયોવિંશતિતમો વિશ્રામઃ ।।23।।