પૂર્વછાયો:-

પવિત્ર પર્વતભાઇયે, કહ્યાં કણબીનાં મુખ્ય નામ;

વર્ણી કહે નૃપ સાંભળો, કહું તેહ તણાં નામ ઠામ. 1

ચોપાઈ:-

રુડું ગોરવિયાળી છે ગામ, રહે હીરો પટેલ તે ઠામ;

ભગો નામે છે તેના ભાણેજ, તહાં મૂળો ને હરજી રહેજ. 2

ભાયો રુડો ખીમો ને જેરામ, રહે રાજો પટેલ તે ઠામ;

એક આહિર ભકત છે સારો, એ જ ગામ વિષે રહેનારો. 3

નાગજી માણાવદર વસે, ખીમજી શવજી તે ત્યાં હશે;

આંબો રાજો અને જેરામ, મૂળજી અને કલ્યાણ નામ. 4

નાથો નરસી ને રાધવ જાણો, માવો મેઘો ને કુરજી પ્રમાણો;

ભલા કાનજી કેશવ કહું, વળી વસ્તો ને શામજી લહું. 5

જીવો અરજણ છે એજ ગામ, પીપળાણામાં કણબી છે રામ;

બીજા પણ જે જે કણબી ગણાવ્યા, સૌને સ્વામીયે તર્ત તેડાવ્યા. 6

વળી સ્વામીયે કીધો ઉચ્ચાર, સુણો હીરજીભાઇ સુતાર;

તમે મંડપ આરંભ કરો, તેમાં શોભા સરસ ઘણી ધરો. 7

આજથી જો આરંભ કરાય, સુધિ આઠમે પૂરણ થાય;

જનનો બહુ થાશે ભરાવો, માટે મંડપ મોટો કરાવો. 8

સુણી બોલિયા હીરજીભાઇ, કરશું મંડપની સરસાઇ;

તેને માટે સામાન મંગાવો, બીજા પણ કારીગરને તેડાવો. 9

કુંડસિદ્ધિ ને મંડપસિદ્ધિ, ભણી જાણે જેઓ ભલીવિધિ;

રાજવલ્લભ આદિક ગ્રંથ, પૂરો જાણે તેનો પણ પંથ. 10

ધારીને ધ્રુવતારાની ગમથી, પ્રાચીસાધન કરશું પ્રથમથી;

ભૂમિશોધન પણ ભલી ભાતે, પાસે રહીને કરાવશું જાતે. 11

નારાયણજી સારા છે સુતાર, વિશ્વકર્માનો તે અવતાર;

જેની જન્મભૂમિ ભુજમાં છે, આજ તો જુનાગઢમાં રહ્યા છે. 12

પૂરો તમમાં છે તેહનો પ્રેમ, અમે સૌ જન જાણિયે એમ;

દેવરામ ને અજરામર, કહ્યા તે છે ત્રણે સહોદર. 13

મારો ભાઇ સુંદરજી જે છે, આંહી આવેલો દર્શન તે છે;

ગામ જાળિયાના વિશરામ, કહું બીજા છે ફણેણી ગામ. 14

એક કૃષ્ણજી વીરજી બીજા, તથા રામજી સુતાર ત્રીજા;

હરજી વીરજી વણથળિયે, વસે કરસન ગામ સાંકળિયે. 15

બીજા સુતારનાં કહ્યાં નામ, સૌને તેડાવિયા તેહ ઠામ;

પછી બોલિયા ભટ મયારામ, કોણ કરશે રસોઇનું કામ. 16

જયારે મંડપ આરંભ થાશે, થોડે થોડે મનુષ્ય ભરાશે;

નિત્ય કરવી રસોઇ બે ટાણે, ભલી બાઇયો તે કરી જાણે. 17

રામાનંદ બોલ્યા સાક્ષાત, જાણે બાઇયો રસોઇની વાત;

ગંગાબાઇ જેતલપુરવાળાં, રાંધી જાણે છે અન્ન રસાળાં. 18

પાકશાસ્ત્રે પ્રવિણ છે પૂરાં, નથી તે કામમાં તે અધૂરાં;

જમ્યા છૈયે તેઓની રસોઇ, એવી તો ન કરી શકે કોઇ.19

એ છે નાગર વીસળનગરાં, બહુપાક બનાવવામાં જબરાં;

કરે છે તો રસોઇ બધાય, પણ નાગરની વખણાય. 20

કેમ કરવી ઘટે પાકશાળા, કેમ કરવા વિવિધ મશાલા;

ભીમપાક તથા નળપાક, તેમાં છે તેની રીત અથાક. 21

રસોઈ કરવા વિષે :- ઉપજાતિવૃત્ત:-

વરો કરે તે ધણી તો વિચારી, સામગ્રિ આપે સહુ સારીસારી;

રસોઇ સારી કરનાર નોય, વરો વખાણે નહિ લોક કોય.22

ધનાઢ્ય ઝાઝું ધન વાવરે છે, આશા ઉરે તો જશની ધરે છે;

સારી રસોઇ નહિ જો કરાય, તો વાવરેલું જર વ્યર્થ જાય.23

કોઇક તો ધાન સુધારી જાણે, કોઇ બગાડે ફિકરે ન આણે;

કુધાનનું કોઇ કરે સુધાન, સુધાનનું કોઇ કરે કુધાન. 24

છે પાકવિદ્યા પણ એક મોટી, જરૂર જાણો નહિ છેક છોટી;

અભ્યાસ કીધા થકી આવડે છે, અભ્યાસ છોડ્યે વિસરી પડે છે. 25

અભ્યાસ કીધો નહિ કોય દાડે, તે કાચું રાખે અથવા દઝાડે;

કાં ઢોળી નાખે નિજ અંગ દાઝે, રુઝાય તે તો તન કાળ ઝાઝે.26

જો ડાઘ અંગે લખતાં કરાય, તો રાંધતાં દેહ કદી દઝાય;

અશ્વાર જે અશ્વ થકી પડેલા, તે જાણવા પૂર્ણ નહીં શિખેલા. 27

મીઠું મશાલા વધતા નખાય, કાં અલ્પ કે મુદલ ભૂલી જાય;

કાં આકરો તાપ કરે અતીશે, કાં તો ચૂલામાં અગની ન દિસે. 28

ચોપાઈ:-

ગંગાબાને પછી કેજાવરાવ્યું, ત્યારે તેમણે પાછું કહાવ્યું;

થોડાં માણસને હું દેખીશ, ત્યાં સુધી તો રસોઇ કરીશ. 29

જન વધતા જશે જેમ જેમ, પડે બાઇયોનો ખપ તેમ તેમ;

સીધું તૈયાર કરવું તમામ, ઘણી બાઇયો તણું તે છે કામ. 30

સતસંગી છે સ્ત્રીના સમાજ, માટે તેઓને તેડાવો આજ;

શાણી બાઇ રહે જે જે ગામ, ગંગાબાયે કહ્યાં નામ ઠામ. 31

આખા નામે છે ઉત્તમ ગામ, નારાયણ દવે છે તેહ ઠામ;

તેની પત્ની છે દેવકીબાઇ, સુતા તેની મીઠી ને જીબાઇ.32

પીપળાણામાં છે લાડુબાઇ, મેતા નરસીની પુત્રી ગણાઇ;

નારાયણ દવે છે આખા ગામે, તેના પુત્ર છે નરસિંહ નામે.33

લાડુબાઇ તેને પરણી છે, પીપળાણામાં જેહ ગણી છે;

માનુબાઇ તો બહેન છે તેની, સારી સમઝણ છે ઘણી તેની. 34

નારાયણમેતા નરસીના ભાઇ, તેની પત્ની રુડી રુકમાઇ;

લાડકી તેની માતાનું નામ, જાણે સારું રસોઇનું કામ. 35

મેતા નરસિંહનું અધવારું, મેઘપરમાં છે એમ હું ધારું;

માટે ત્યાં પણ ખબર કઢાવો, બાઇ જયાં હોય ત્યાંથી તેડાવો. 36

સુત નરસીનો કલ્યાણજી છે, બાઇ કુંવર તેની પુત્રી છે;

વળી બીજી જે બાઇયો ગણાવી, પછી તેઓને તરત તેડાવી. 37

વળી બોલિયા ભટ મયારામ, પડશે ઘણા વિપ્રોનું કામ;

જન મળશે હજારો હજારો, વિપ્ર જોશે ઘણા રાંધનાર. 38

ઝાઝાં માણસો જયાં ભેળાં થાય, ત્યારે બાઇયોથી કેમ રંધાય;

ઘણું રાંધે ને પિરસે તમામ, ઘણા પુરુષો તણું તે તો કામ. 39

નારાયણ દવે આખા ગામે, તેના પુત્ર છે કૂરજી નામે;

ગંગાધર તથા અંબારામ, રહે ગોવિંદજી તેહ ઠામ. 40

દવે નરસિંહ ને લાધો જોશી, મેતા ઇંદરજી છે પાડોશી;

મૂળજી તથા જૂઠો છે નામ, તેનો પુત્ર છે ભલો જેરામ. 41

દવે દેવજી પરમાણંદ, ભાઇ બે સતસંગી સ્વચ્છંદ;

પીપળાણે મેતા નરસી છે, સુત કલ્યાણજી વાલજી છે. 42

રધુનાથ ને રવજી જેહ, મેતા નરસિંહના સુત તેહ;

નારાયણમેતા તેહના ભાઇ, તેના ચિત્તમાં બહુ ચતુરાઇ.43

જેઠો ભાણજી રવજી જેહ, મેઘપુરમાં રહે છે તેહ;

બીજા પણ બહુ વિપ્ર ગણાવ્યા, સ્વામીયે તેને તર્ત તેડાવ્યા. 44

રામદાસજી વાણી કહે છે, જેતપુરમાં જે ભકતો રહે છે;

સ્વામી તેઓને પાસે બોલાવો, કાંઇ કાંઇક કામ ભળાવો. 45

સુણી સ્વામીયે તેને તેડાવ્યા, આજ્ઞા સાંભળી તે સહુ આવ્યા;

સુણો ભૂપ તેનાં કહું નામ, મોટા મુકત તે સદગુણધામ. 46

રાજા ઉન્નડ જે ગુણવાન, તેને પ્રગટ પ્રભુનું છે જ્ઞાન;

મુળૂવાળા તથા દેવાવાળા, ઘણા સમઝુ સારા કરમાળા. 47

ભગવાન કાપડિયો ને હરજી, ભાણો પટેલ અને લાલજી;

ભલા ભકત ઠાકરશી લુવાર, નથુ ત્રિકમ આંબો ઉદાર. 48

વેલો જેઠો ને પૂતળીબાઇ, જીવા જોશીની પત્ની ગણાઇ;

રામબાઇ આદિક હરિજન, સૌને બોલાવી કહ્યું વચન.49

વરણીને થશે અભિષેક, ત્યારે આવશે સંઘ અનેક;

સૌની ચાકરી કરજો સારી, કરો સીધાની સર્વે તૈયારી. 50

જે જે જોઇએ તે વસ્તુ મંગાવો, વડી પાપડ શેવો કરાવો;

રાવટી તથા તંબુ ને દેરા, જયાંથી ત્યાંથી મંગાવો ઘણેરા. 51

મૂળુવાળા ને ઉન્નડરાય, સુણી બોલીયા તે સમે ત્યાંય;

દેરા રાવટી તંબુઓ સારા, ઘણા દરબારમાં છે અમારા. 52

કેટલોએક બીજો સામાન, તે તો તૈયાર છે આ સ્થાન;

તન મન ધન જે છે અમારાં, તે તો જાણજો સર્વે તમારાં. 53

એમ કહીને ગયા સૌ ઘેર, સ્વામી રાજી થયા શુભપેર;

વૈશ્ય કણબી ને સુતાર જેહ, વિપ્ર તરત તેડાવેલા તેહ. 54

સહુ આવી મળ્યા તેહ ઠાર, ચાલ્યું કામ ત્યાં ધમધોકાર;

કોઇ સામાન જઇ લઇ આવે, કોઇ સારી રીતે સચવાવે. 55

ભાણા પટેલના ઓરડા છે, ઉત્તરાભિમુખે જે રુડા છે;

કર્યો મંડપ આરંભ ત્યાંય, સૌને હરખ ઘણો મનમાંય. 56

જેને જેહ ભળાવેલું કામ, જન તે તે કરે છે તમામ;

કરે મંડપનું કામ કોઇ, કરે વિપ્ર મળીને રસોઇ. 57

વડી પાપડ બાઇયો કરે છે, જીભે હરિકીરતન ઉચ્ચરે છે;

રહ્યાં ગીત તે ગગનમાં ગાજી, સુણી દેવ થયા સહુ રાજી.58

ચાલે મંડપકામ જે ઠાર, જાય જોવા સ્વામી ત્રણ વાર;

જે જે સામાન જોઈયે જેને, સ્વામી તરત અપાવે છે તેને. 59

હીરજી આદિ જે સૂત્રધાર, સ્વામી તેને કહે છે તે ઠાર;

જેવી કારીગરી કરી જાણો, તેવી કરવામાં કસુર ન આણો.60

સુણી બોલિયાં હીરજીભાઇ, રામાનંદ સુણો સુખદાઇ;

સારું કામકરે ધન માટે, આ તો છે મુકિતલાભને માટે. 61

વળી અક્ષરધામનિવાસી, નરદેહ ધર્યો સુખરાશી;

તેને કરવા છે પૂર્ણ પ્રસન્ન, તેના ધામમાં જાવાનું મન. 62

આશા એવી મોટી છે સ્વામી, કેમ કરવામાં રાખશું ખામી;

એવા સ્નેહના સુણી ઉચ્ચાર, આપ્યા સ્વામીયે હૈયેથી હાર. 63

હોંશે હોંશે કરે સહુ કામ, જાણે રીઝશે શ્રીઘનશામ;

સ્વામીને જો નજરમાં ન આવે, આખા દિનનું ચણેલું પડાવે. 64

આપે ધીરે રહીને સુબોધ, પણ ન કરે લગારેય ક્રોધ;

એવા સ્વામી છે દિલના દયાળ, નિજદાસ તણા પ્રતિપાળ. 65

પુષ્પિતાગ્રાવૃત્ત:-

સુણ નૃપ હરિનાં રુડાં ચરિત્ર, પરમ પવિત્ર વિશાળ છે વિચિત્ર;

સુર નર મુનિ મુકત નિત્ય ગાય, તદપિ કદાપિ ન તૃપ્ત તેહ થાય. 66

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિપટ્ટાભિષેકે મંડપારંભનામા દ્વાવિંશતિતમો વિશ્રામઃ ।।22।।