પૂર્વછાયો:-
પવિત્ર પર્વતભાઇયે, કહ્યાં કણબીનાં મુખ્ય નામ;
વર્ણી કહે નૃપ સાંભળો, કહું તેહ તણાં નામ ઠામ. 1
ચોપાઈ:-
રુડું ગોરવિયાળી છે ગામ, રહે હીરો પટેલ તે ઠામ;
ભગો નામે છે તેના ભાણેજ, તહાં મૂળો ને હરજી રહેજ. 2
ભાયો રુડો ખીમો ને જેરામ, રહે રાજો પટેલ તે ઠામ;
એક આહિર ભકત છે સારો, એ જ ગામ વિષે રહેનારો. 3
નાગજી માણાવદર વસે, ખીમજી શવજી તે ત્યાં હશે;
આંબો રાજો અને જેરામ, મૂળજી અને કલ્યાણ નામ. 4
નાથો નરસી ને રાધવ જાણો, માવો મેઘો ને કુરજી પ્રમાણો;
ભલા કાનજી કેશવ કહું, વળી વસ્તો ને શામજી લહું. 5
જીવો અરજણ છે એજ ગામ, પીપળાણામાં કણબી છે રામ;
બીજા પણ જે જે કણબી ગણાવ્યા, સૌને સ્વામીયે તર્ત તેડાવ્યા. 6
વળી સ્વામીયે કીધો ઉચ્ચાર, સુણો હીરજીભાઇ સુતાર;
તમે મંડપ આરંભ કરો, તેમાં શોભા સરસ ઘણી ધરો. 7
આજથી જો આરંભ કરાય, સુધિ આઠમે પૂરણ થાય;
જનનો બહુ થાશે ભરાવો, માટે મંડપ મોટો કરાવો. 8
સુણી બોલિયા હીરજીભાઇ, કરશું મંડપની સરસાઇ;
તેને માટે સામાન મંગાવો, બીજા પણ કારીગરને તેડાવો. 9
કુંડસિદ્ધિ ને મંડપસિદ્ધિ, ભણી જાણે જેઓ ભલીવિધિ;
રાજવલ્લભ આદિક ગ્રંથ, પૂરો જાણે તેનો પણ પંથ. 10
ધારીને ધ્રુવતારાની ગમથી, પ્રાચીસાધન કરશું પ્રથમથી;
ભૂમિશોધન પણ ભલી ભાતે, પાસે રહીને કરાવશું જાતે. 11
નારાયણજી સારા છે સુતાર, વિશ્વકર્માનો તે અવતાર;
જેની જન્મભૂમિ ભુજમાં છે, આજ તો જુનાગઢમાં રહ્યા છે. 12
પૂરો તમમાં છે તેહનો પ્રેમ, અમે સૌ જન જાણિયે એમ;
દેવરામ ને અજરામર, કહ્યા તે છે ત્રણે સહોદર. 13
મારો ભાઇ સુંદરજી જે છે, આંહી આવેલો દર્શન તે છે;
ગામ જાળિયાના વિશરામ, કહું બીજા છે ફણેણી ગામ. 14
એક કૃષ્ણજી વીરજી બીજા, તથા રામજી સુતાર ત્રીજા;
હરજી વીરજી વણથળિયે, વસે કરસન ગામ સાંકળિયે. 15
બીજા સુતારનાં કહ્યાં નામ, સૌને તેડાવિયા તેહ ઠામ;
પછી બોલિયા ભટ મયારામ, કોણ કરશે રસોઇનું કામ. 16
જયારે મંડપ આરંભ થાશે, થોડે થોડે મનુષ્ય ભરાશે;
નિત્ય કરવી રસોઇ બે ટાણે, ભલી બાઇયો તે કરી જાણે. 17
રામાનંદ બોલ્યા સાક્ષાત, જાણે બાઇયો રસોઇની વાત;
ગંગાબાઇ જેતલપુરવાળાં, રાંધી જાણે છે અન્ન રસાળાં. 18
પાકશાસ્ત્રે પ્રવિણ છે પૂરાં, નથી તે કામમાં તે અધૂરાં;
જમ્યા છૈયે તેઓની રસોઇ, એવી તો ન કરી શકે કોઇ.19
એ છે નાગર વીસળનગરાં, બહુપાક બનાવવામાં જબરાં;
કરે છે તો રસોઇ બધાય, પણ નાગરની વખણાય. 20
કેમ કરવી ઘટે પાકશાળા, કેમ કરવા વિવિધ મશાલા;
ભીમપાક તથા નળપાક, તેમાં છે તેની રીત અથાક. 21
રસોઈ કરવા વિષે :- ઉપજાતિવૃત્ત:-
વરો કરે તે ધણી તો વિચારી, સામગ્રિ આપે સહુ સારીસારી;
રસોઇ સારી કરનાર નોય, વરો વખાણે નહિ લોક કોય.22
ધનાઢ્ય ઝાઝું ધન વાવરે છે, આશા ઉરે તો જશની ધરે છે;
સારી રસોઇ નહિ જો કરાય, તો વાવરેલું જર વ્યર્થ જાય.23
કોઇક તો ધાન સુધારી જાણે, કોઇ બગાડે ફિકરે ન આણે;
કુધાનનું કોઇ કરે સુધાન, સુધાનનું કોઇ કરે કુધાન. 24
છે પાકવિદ્યા પણ એક મોટી, જરૂર જાણો નહિ છેક છોટી;
અભ્યાસ કીધા થકી આવડે છે, અભ્યાસ છોડ્યે વિસરી પડે છે. 25
અભ્યાસ કીધો નહિ કોય દાડે, તે કાચું રાખે અથવા દઝાડે;
કાં ઢોળી નાખે નિજ અંગ દાઝે, રુઝાય તે તો તન કાળ ઝાઝે.26
જો ડાઘ અંગે લખતાં કરાય, તો રાંધતાં દેહ કદી દઝાય;
અશ્વાર જે અશ્વ થકી પડેલા, તે જાણવા પૂર્ણ નહીં શિખેલા. 27
મીઠું મશાલા વધતા નખાય, કાં અલ્પ કે મુદલ ભૂલી જાય;
કાં આકરો તાપ કરે અતીશે, કાં તો ચૂલામાં અગની ન દિસે. 28
ચોપાઈ:-
ગંગાબાને પછી કેજાવરાવ્યું, ત્યારે તેમણે પાછું કહાવ્યું;
થોડાં માણસને હું દેખીશ, ત્યાં સુધી તો રસોઇ કરીશ. 29
જન વધતા જશે જેમ જેમ, પડે બાઇયોનો ખપ તેમ તેમ;
સીધું તૈયાર કરવું તમામ, ઘણી બાઇયો તણું તે છે કામ. 30
સતસંગી છે સ્ત્રીના સમાજ, માટે તેઓને તેડાવો આજ;
શાણી બાઇ રહે જે જે ગામ, ગંગાબાયે કહ્યાં નામ ઠામ. 31
આખા નામે છે ઉત્તમ ગામ, નારાયણ દવે છે તેહ ઠામ;
તેની પત્ની છે દેવકીબાઇ, સુતા તેની મીઠી ને જીબાઇ.32
પીપળાણામાં છે લાડુબાઇ, મેતા નરસીની પુત્રી ગણાઇ;
નારાયણ દવે છે આખા ગામે, તેના પુત્ર છે નરસિંહ નામે.33
લાડુબાઇ તેને પરણી છે, પીપળાણામાં જેહ ગણી છે;
માનુબાઇ તો બહેન છે તેની, સારી સમઝણ છે ઘણી તેની. 34
નારાયણમેતા નરસીના ભાઇ, તેની પત્ની રુડી રુકમાઇ;
લાડકી તેની માતાનું નામ, જાણે સારું રસોઇનું કામ. 35
મેતા નરસિંહનું અધવારું, મેઘપરમાં છે એમ હું ધારું;
માટે ત્યાં પણ ખબર કઢાવો, બાઇ જયાં હોય ત્યાંથી તેડાવો. 36
સુત નરસીનો કલ્યાણજી છે, બાઇ કુંવર તેની પુત્રી છે;
વળી બીજી જે બાઇયો ગણાવી, પછી તેઓને તરત તેડાવી. 37
વળી બોલિયા ભટ મયારામ, પડશે ઘણા વિપ્રોનું કામ;
જન મળશે હજારો હજારો, વિપ્ર જોશે ઘણા રાંધનાર. 38
ઝાઝાં માણસો જયાં ભેળાં થાય, ત્યારે બાઇયોથી કેમ રંધાય;
ઘણું રાંધે ને પિરસે તમામ, ઘણા પુરુષો તણું તે તો કામ. 39
નારાયણ દવે આખા ગામે, તેના પુત્ર છે કૂરજી નામે;
ગંગાધર તથા અંબારામ, રહે ગોવિંદજી તેહ ઠામ. 40
દવે નરસિંહ ને લાધો જોશી, મેતા ઇંદરજી છે પાડોશી;
મૂળજી તથા જૂઠો છે નામ, તેનો પુત્ર છે ભલો જેરામ. 41
દવે દેવજી પરમાણંદ, ભાઇ બે સતસંગી સ્વચ્છંદ;
પીપળાણે મેતા નરસી છે, સુત કલ્યાણજી વાલજી છે. 42
રધુનાથ ને રવજી જેહ, મેતા નરસિંહના સુત તેહ;
નારાયણમેતા તેહના ભાઇ, તેના ચિત્તમાં બહુ ચતુરાઇ.43
જેઠો ભાણજી રવજી જેહ, મેઘપુરમાં રહે છે તેહ;
બીજા પણ બહુ વિપ્ર ગણાવ્યા, સ્વામીયે તેને તર્ત તેડાવ્યા. 44
રામદાસજી વાણી કહે છે, જેતપુરમાં જે ભકતો રહે છે;
સ્વામી તેઓને પાસે બોલાવો, કાંઇ કાંઇક કામ ભળાવો. 45
સુણી સ્વામીયે તેને તેડાવ્યા, આજ્ઞા સાંભળી તે સહુ આવ્યા;
સુણો ભૂપ તેનાં કહું નામ, મોટા મુકત તે સદગુણધામ. 46
રાજા ઉન્નડ જે ગુણવાન, તેને પ્રગટ પ્રભુનું છે જ્ઞાન;
મુળૂવાળા તથા દેવાવાળા, ઘણા સમઝુ સારા કરમાળા. 47
ભગવાન કાપડિયો ને હરજી, ભાણો પટેલ અને લાલજી;
ભલા ભકત ઠાકરશી લુવાર, નથુ ત્રિકમ આંબો ઉદાર. 48
વેલો જેઠો ને પૂતળીબાઇ, જીવા જોશીની પત્ની ગણાઇ;
રામબાઇ આદિક હરિજન, સૌને બોલાવી કહ્યું વચન.49
વરણીને થશે અભિષેક, ત્યારે આવશે સંઘ અનેક;
સૌની ચાકરી કરજો સારી, કરો સીધાની સર્વે તૈયારી. 50
જે જે જોઇએ તે વસ્તુ મંગાવો, વડી પાપડ શેવો કરાવો;
રાવટી તથા તંબુ ને દેરા, જયાંથી ત્યાંથી મંગાવો ઘણેરા. 51
મૂળુવાળા ને ઉન્નડરાય, સુણી બોલીયા તે સમે ત્યાંય;
દેરા રાવટી તંબુઓ સારા, ઘણા દરબારમાં છે અમારા. 52
કેટલોએક બીજો સામાન, તે તો તૈયાર છે આ સ્થાન;
તન મન ધન જે છે અમારાં, તે તો જાણજો સર્વે તમારાં. 53
એમ કહીને ગયા સૌ ઘેર, સ્વામી રાજી થયા શુભપેર;
વૈશ્ય કણબી ને સુતાર જેહ, વિપ્ર તરત તેડાવેલા તેહ. 54
સહુ આવી મળ્યા તેહ ઠાર, ચાલ્યું કામ ત્યાં ધમધોકાર;
કોઇ સામાન જઇ લઇ આવે, કોઇ સારી રીતે સચવાવે. 55
ભાણા પટેલના ઓરડા છે, ઉત્તરાભિમુખે જે રુડા છે;
કર્યો મંડપ આરંભ ત્યાંય, સૌને હરખ ઘણો મનમાંય. 56
જેને જેહ ભળાવેલું કામ, જન તે તે કરે છે તમામ;
કરે મંડપનું કામ કોઇ, કરે વિપ્ર મળીને રસોઇ. 57
વડી પાપડ બાઇયો કરે છે, જીભે હરિકીરતન ઉચ્ચરે છે;
રહ્યાં ગીત તે ગગનમાં ગાજી, સુણી દેવ થયા સહુ રાજી.58
ચાલે મંડપકામ જે ઠાર, જાય જોવા સ્વામી ત્રણ વાર;
જે જે સામાન જોઈયે જેને, સ્વામી તરત અપાવે છે તેને. 59
હીરજી આદિ જે સૂત્રધાર, સ્વામી તેને કહે છે તે ઠાર;
જેવી કારીગરી કરી જાણો, તેવી કરવામાં કસુર ન આણો.60
સુણી બોલિયાં હીરજીભાઇ, રામાનંદ સુણો સુખદાઇ;
સારું કામકરે ધન માટે, આ તો છે મુકિતલાભને માટે. 61
વળી અક્ષરધામનિવાસી, નરદેહ ધર્યો સુખરાશી;
તેને કરવા છે પૂર્ણ પ્રસન્ન, તેના ધામમાં જાવાનું મન. 62
આશા એવી મોટી છે સ્વામી, કેમ કરવામાં રાખશું ખામી;
એવા સ્નેહના સુણી ઉચ્ચાર, આપ્યા સ્વામીયે હૈયેથી હાર. 63
હોંશે હોંશે કરે સહુ કામ, જાણે રીઝશે શ્રીઘનશામ;
સ્વામીને જો નજરમાં ન આવે, આખા દિનનું ચણેલું પડાવે. 64
આપે ધીરે રહીને સુબોધ, પણ ન કરે લગારેય ક્રોધ;
એવા સ્વામી છે દિલના દયાળ, નિજદાસ તણા પ્રતિપાળ. 65
પુષ્પિતાગ્રાવૃત્ત:-
સુણ નૃપ હરિનાં રુડાં ચરિત્ર, પરમ પવિત્ર વિશાળ છે વિચિત્ર;
સુર નર મુનિ મુકત નિત્ય ગાય, તદપિ કદાપિ ન તૃપ્ત તેહ થાય. 66
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિપટ્ટાભિષેકે મંડપારંભનામા દ્વાવિંશતિતમો વિશ્રામઃ ।।22।।