પૂર્વછાયો:-
સ્વામી રામાનંદે કહ્યો, જેતપુરનો મહિમા જેહ;
ભૂપ અભેસિંહ સાંભળો, તમને સુણાવું તેહ. 1
ચોપાઈ:-
સભામધ્યે રામાનંદ સ્વામી, કહે સૌ જનને મુદ પામી;
મહિમા જેતપુરનો જેહ, તમે સાંભળો સૌ ધરી સ્નેહ. 2
છપૈયા વિષે જનમ્યા હરિ, પીપળાણા માંહી દીક્ષા ધરી;
જેતપુરમાં પામ્યા પટ્ટદાન, માટે ત્રણેનો મહિમા સમાન.3
જયારે જનમ્યા છપૈયે ગામ, પડ્યું નામ તહાં ઘનશામ;
પીપળાણામાં દીક્ષા લીધી, સહજાનંદ સંજ્ઞા તે કીધી. 4
સ્વામીપદ પ્રભુ પામિયા આહીં, મોટો મર્મ ધરો મન માંહી;
જેતપુર મોટું તીરથ જેવું, નહિ કાશી કે કેદાર તેવું. 5
કરે તીરથ જો ધરી પ્યાર, થાય અધમનો આંહી ઉદ્ધાર;
સતસંગી વસે જેહ દૂર, એક વાર તો આવે જરૂર. 6
કરી તીર્થ આ લીલા સંભારે, તે તો ઉતરે ભવજળ પારે;
ભદ્રા ગંગાનો મહિમા મોટો, ગંગા ગોમતિનો તેથી છોટો. 7
જેમાં નાયા જગત આધાર, અમે નાયા એમાં ઘણી વાર;
નાયા હરિજન સંતસમાજ, થયું તેથી આ તો તીર્થરાજ. 8
આંહી શ્રદ્ધાથી શ્રાદ્ધ જે કરશે, ઘણા પૂર્વજ એના ઉદ્ધરશે;
કરી સ્નાન ને કરશે દાન, તેનું ફળ થશે મેરુ સમાન. 9
જમાડે આંહિ બ્રાહ્મણ સંત, ફળ તેનું તો થાય અનંત;
જપ તપ વ્રત આંહી કરાય, તેના સિદ્ધ મનોરથ થાય. 10
કરે એક તીરથ ઉપવાસ, ફળ તો ઉપવાસ પચાસ;
સંપ્રદાયનું મૂળ આ સ્થાન, એમ સમજે જે જન મતિમાન. 11
મહિમા ઉચ્ચરી એવી રીતે, પછી શ્રીજી પ્રત્યે બોલ્યા પ્રીતે;
મને વાલો છે સોરઠ દેશ, તેમાં હું વિચર્યો છું વિશેષ. 12
માટે પ્રીતી તેના પર ધરજો, સતસંગ વધે તેમ કરજો;
એનો મહિમા વધારજો આપ, મોટો પ્રગટ જણાવી પ્રતાપ. 13
ઘણાં તીર્થ સ્થળો આંહી કરજો, ઝાઝી વાર તે સ્થાને વિચરજો;
એવી વાત કરી જે ઉચ્ચાર, કરી શ્રીહરિયે અંગિકાર. 14
રામાનંદે કરી ઘણી વાત, કહ્યું સંઘ સિધાવો પ્રભાત;
પછી સભા વિસર્જન થઇ, સૂતા નિજનિજ આસને જઇ. 15
પૂર્વછાયો:-
પડવે દિન પરભાતમાં, ઉઠી નિત્ય ક્રિયા કરી ત્યાંય;
મંડપ માંહિ બિરાજીયા, રામાનંદ અને હરિરાય. 16
સંઘના જન દર્શન કરી, થયા સ્વદેશ પંથ વિદાય;
લીલા સંભારી શામની, કહે સાંભળે ને હરખાય. 17
હતા તેડાવ્યા જેહને, કરવા ઉત્સવનું કામ;
હીરજી ગોવરધન તથા, પરવત ને ભટ્ટ મયારામ. 18
ઇત્યાદિકને ભેટિયા, રામાનંદ ભલો ધરી ભાવ;
ભૂષણ વસ્ત્ર પ્રસાદિનાં, દઇ ઉરમાં આપ્યા પાવ. 19
માથે કર કોઇને મુકયો, કહ્યાં કોઇને મિષ્ટ વચન;
હરિયે કરુણા દષ્ટિથી, કર્યા સૌ જનમન રંજન. 20
ગંગા આદિક બાઇને, પ્રસાદિના અપાવ્યા હાર;
વખાણ કોઇનાં વિધવિધે, રામાનંદે કર્યા તે વાર. 21
આજ્ઞા આપી સર્વને, જવા પોત પોતાને ગામ;
કર જોડી નરનારિયો, કરે વારંવાર પ્રણામ. 22
મૂરતિ મનોહર માવની, ક્ષણ માત્ર મૂકી ન જવાય;
તે મૂકી ઘર ભણી જતાં, કેમ ઉપડે જનના પાય. 23
પ્રેમી જન એવા આગળે, જયારે ચાલ્યું હરિનું સ્વરૂપ;
પાછળ તે જન પરવર્યા, એ તો અદ્ભુત વાત અનૂપ. 24
આ ઉત્સવ કેરી કથા, સ્નેહે સુણે સુણાવે જેહ;
ભૂતળમાં સુખ ભોગવે, પામે અંત્યે અક્ષરપદ એહ.25
જેતપુરના મહિમાની ગરબી
“વંદું દુર્ગપુર ધામ સુંદર શોભે ઘનશામનું જો” એ રાગ છે :-
ધન્ય જેતપુર ધામ ગામ કાઠિવાળા તણું જો;
નદી વહે છે તે ઠામ નામ ભદ્રા ભલી ભણું જો. 26
ભકિતપુત્ર ભગવાન સ્નાન તેમાં કર્યું સહી જો;
તેથી તીર્થ તે સમાન સ્થાન બીજે નહીં કહીં જો. 27
પ્રભુની છપૈયા જેમ જન્મભૂમી તે જાણવી જો;
પીપળાણામાં તેમ દીક્ષા ભૂમી પ્રમાણવી જો. 28
થયો પટ્ટાભિષેક જેતપુર માંહિ જે થકી જો;
ધામ ત્રણે પ્રત્યેક તુલ્ય જાણો જ તે થકી જો. 29
શુક સનકાદિ સંત મુનિ નારદદિ નેહથી જો;
આવે તીર્થે અનંત દેવ દેવી દિવ્ય દેહથી જો. 30
એવો મોટો મહિમાય જેતપુર તણો જાણવો જો;
જીભે વરણ્યો ન જાય એ તો અંતરમાં આણવો જો. 31
ધન્ય ત્યાંના ભૂપાળ ધન્ય ત્યાંના નિવાસીયો જો;
ભદ્રા નાય સદાકાળ ધન્ય દાસ તથા દાસીયો જો. 32
સજી અસ્વારી સારી ફર્યા શામ આખા શેહેરમાં જો;
નેહ ધારી નરનારી લાલ નિરખ્યા લેહેરમાં જો. 33
ધન્ય ધન્ય નરદેહ તેણે ધાર્યો ધરાતળે જો;
ટાણું તો અમૂલ્ય તેહ મૂલ્યે ખર્ચે કયાંથી મળે જો. 34
સારો સત્સંગી હોય વાસ હોય દેશ દૂરમાં જો;
આવી એક વાર તોય જાત્રા કરે જેતપુરમાં જો. 35
ધરી દેહ નરનાર અહિં જાત્રા કરે નહીં જો;
ગયો વ્યર્થ અવતાર એમ જાણો જનો સહી જો. 36
એવું અતિ અદ્ભુત મન માહાત્મ્ય ધારીને જો;
રઘુવિરસુતસુત વદે વાણી વિચારીને જો. 37
પૂર્વછાયો:-
વર્ણી કહે વસુધાપતિ, રામાનંદની કહું છું કથાય;
જે જન સુણશે સ્નેહથી, તેનાં જન્મમરણ દુઃખ જાય.38
ચોપાઈ:-
સ્વામી બેસીને એકાંત ઠાર, કરી ધ્યાનને કીધો વિચાર;
પુરુષોત્તમ તણી ઇચ્છાથી, દુરવાસાનો શાપ થયાથી. 39
જેહ કરવા મેં જનતન ધર્યું, તે તો કામ મેં પૂરણ કર્યું;
પુરુષોત્તમ પ્રગટ પધાર્યા, મારી ગાદિયે તેને બેસાર્યા. 40
દુરવાસાનો પામિને શાપ, જે જે જનમિયા છે મુનિ આપ;
તેનાં સંકટ શ્રીહરિ હરશે, શાપથી મુકત સર્વને કરશે. 41
એવો અંતરમાં ઉહ આણી, કૃતકૃત્ય પોતાને તે જાણી;
તન તજવાનો કીધો વિચાર, કર્યો કાંઇક તાવ સ્વીકાર. 42
વળી ધારિયો એવો સિદ્ધાંત,નથી આ સ્થળ માંહી એકાંત;
માટે ગામ ફણેણીમાં જાવું, તન ત્યાં તજીને દિવ્ય થાવું. 43
પછી વાત જવાની પ્રકાશી, થયા સત્સંગી સર્વ ઉદાસી;
સૌની સાંતવના સારી કીધી, પછી વાટ ફણેણીની લીધી. 44
એક રથમાં બિરાજીયા સ્વામી, સાથે શ્રીહરિ અંતરજામી;
મુકતાનંદ આદિક મુનિરાજા, યથાયોગ્ય વાહનમાં બિરાજયા. 45
ઘણા પાર્ષદ ને હરિભકત, સંગે ચાલિયા પરમ વિરકત;
ફણેણીમાં ખબર થઇ જયારે, ત્યાંના ભકત સામા આવ્યા ત્યારે. 46
ગોવો વેલો ને કાનજી જાણો, ચોથો રામજી સોની પ્રમાણો;
એક આહિર નામ છે લૂણો, હવે સુતારનાં નામ સૂણો. 47
કૃષ્ણજી વિરજી તથા રામ, વેરાગી હરિદાસજી નામ;
અમૂલા ને કેસર જીવીબાઇ, ભલી તે હરિભકત ગણાઇ.48
ઇત્યાદિક હરિજન સામા આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા;
વાજે છે બહુ તાલ મૃદંગ, સૌના મનમાં છે મોટો ઉમંગ.49
કોઇ તો વળી આગળ જાય, તાળી પાડીને કીર્તન ગાય;
પ્રેમથી કરે દંડપ્રણામ, જેજેકાર કરે લઇ નામ. 50
પેઠા ગામ વિષે રુડી પેર, ઉતર્યા સોની રામને ઘેર;
વિપ્ર પાસે રસોઇ કરાવી, પછી ઠાકોરજીને ધરાવી. 51
રામાનંદ ને શ્રીઘનશામ, જમ્યા સાધુ ને પાળા તમામ;
ગામ પરગામના હરિજન, કર્યું ભાવથી સૌયે ભોજન. 52
વળી સાંજે સભા સજી સારી, રામાનંદે ત્યાં વાત ઉચ્ચારી;
યુધિષ્ઠિર ને અર્જુન આદિ, વસુદેવ અને અક્રૂરાદિ. 53
જેણે જેણે ધર્યો નરદેહ, અંતે દેહ તજી ગયા તેહ;
નાશવંત છે આ દેહ જાણો, એનો હર્ષ કે શોક ન આણો.54
અમે દેહ ધર્યો છે જે કામ, તે તો પુરું થયુંછે તમામ;
નીલકંઠ આ છે બ્રહ્મચારી, ધર્મધુર તેને સોંપી અમારી. 55
તમારું તે તો રક્ષણ કરશે, કષ્ટ સર્વ પ્રકારનાં હરશે;
માટે ચિંતા ન રાખશો લેશ, એ છે સમરથ મુજથી વિશેષ.56
મારી પાછળ શોક ન કરશો, આત્માઘાત કરી નવ મરશો;
મારી આજ્ઞા અંતરમાં વિચારી, રહેજો સહુ ધીરજ ધારી. 57
ઇત્યાદિક ઘણો મર્મ સુણાવ્યો, દિનદિન તાવ વધતો જણાવ્યો;
મંદવાડ તણા સમાચાર, સુણી આવ્યાં ઘણાં નરનાર. 58
ભટજી અને પર્વતભાઇ, આવ્યા દર્શન કરવાને ધાઇ;
રાજા વિક્રમના જેહ વાર, વિત્યાં સંવત્ શતક અઢાર. 59
અઠ્ઠાવનના વરસની ગણાવી, માગશર શુદી તેરશ આવી;
રામાનંદે ઉઠીને પ્રભાતે, કરી નિત્યક્રિયા નિજજાતે. 60
શુચિ આસન ઉપર બેઠા, ધ્યાનમુદ્રાયે ધ્યાનમા પેઠા;
જાણી સ્વામીનો અવસર અંત, આવ્યા સર્વ હરિજન સંત.61
ગાય કીર્તન ભજન કરે, છબી સ્વામીની અંતરે ધરે;
ધર્યું એવે સમે મુનિ ભૂપ, તજી દેહ ને દિવ્ય સ્વરૂપ. 62
ૠષીશાપ થકી મુકત થયા, બદ્રિકાશ્રમમાં પાછા ગયા;
પછી માંડવી શુભ શણગારી, તેમાં સ્વામીનો દેહ બેસારી. 63
હાર ચંદન આદિ ચડાવી, અબીલ ને ગુલાલ છંટાવી;
રામદાસ ને શ્રીઘનશામ, મુકતાનંદ ને ભટ્ટ મયારામ. 64
મળીને માંડવી તે ઉપાડી, કરે ઉત્સવ સંત અગાડી;
ભદ્રા તીરે જઇ તેહ વાર, કર્યો શાસ્ત્રવિધિ સંસ્કાર. 65
પછી સૌ મળી મંદિર આવ્યા, સૌને ધૈર્યના શબ્દ સુણાવ્યા;
ગયા પુરજન નિજનિજ ઘેર, ગુણ સંભારતા બહુ પેર. 66
પુષ્પિતાગ્રાવૃત્ત:-
ગુરુવર કૃત દેહ ત્યાગ જેહ, નૃપ તુજ પાસ કથા ઉચારી તેહ;
કરી પછી હરિયે ક્રિયા વિશેષ, સુણ લવમાત્ર કહીશ હે નરેશ. 67
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે રામાનંદસ્વામી – ભૌતિકદેહત્યાગકરણનામા એકત્રિંશતિતમો વિશ્રામઃ ।।31।।