પૂર્વછાયો :-

વણિક  ગોવરધન  કહે,  સુણો  શ્રીપુરુષોત્તમ  આપ;

ફઇ મારી હરિજન છતાં, એવું મોટું કરેલ શું પાપ ?1

ચોપાઈ :-

તેને  ઇશ્વરનું  હતું  જ્ઞાન,  નિત્ય  ધરતી  પ્રભુતણું  ધ્યાન;

નામ  મંત્ર  તણો  જપ  કરતી,વ્રત  વિવિધ  પ્રકાર  આચરતી.2

ઘણાં  તીર્થનું  સેવન  કીધું,  મોટા  સંતને  ભોજન  દીધું;

કર્યા  પુણ્ય  તેણે  ઘણાં  એમ,  કુંભીપાક  વિષે  પડી  કેમ  ?3

સુણી  બોલ્યા  હરિ  સાક્ષાત,  તેના  પાપ  તણી  કહું  વાત;

ધરમાદા  તણું  ધન  જેહ,  હતા  પાસા  સોના  તણા  તેહ.4

રામાનંદસ્વમીએ  વિચારી,  એહ  બાઇને  સોંપ્યા  સંભારી;

તેને વીતી ગયા ઘણા માસ, પાસા સ્વામીએ માગ્યા તે પાસ.5

ત્યારે  બોલી  વચન  તે  બાઇ,  નથી  મારી  પાસે  ધન  કાંઇ;

સોનું પાછું આપ્યું છે મેં તમને, ખાલી કરશો ફજેત ન અમને.6

દીધો  સ્વામીએ  બહુ  ઉપદેશ,  તોય  માન્યું  નહિ  લવલેશ;

એવું  કાંચન  છે  મહાપાપી,  બુદ્ધિ  જનની  બગાડે  કદાપી.7

ઘરબાર  તજી  વન  જાય,  તોય  ધનથી  કદી  લલચાય;

હરિભકતપણું  ભલું  ધરે,  તન  મન  ધન  અર્પણ  કરે.8

તેને  પણ  ધનધર્મથી  પાડે,  કુંભીપાકનાં  દુઃખ  દેખાડે;

ગુરુનું  સોનું  ઓળવ્યું  એણે,  કુંભીપાક  વિષે  પડી  તેણે.9

ભકિતપુત્ર  કહે  ભગવાન,  સુણો  ગોવરધન  ગુણવાન;

કહું  પાપ  તણા  બે  પ્રકાર,  ધર્મશાસ્ત્ર  તણે  અનુસાર.10

ઉપપાતક  જે  પાપ  છોટાં,  મહાપાતક  જે  પાપ  મોટાં;

માંસભક્ષક  ને  ગૌઘાત,  ઉપપાતકમાં  છે  તે  ભ્રાત.11

મહાપાતક  પાંચ  ગણાય,  મદ્યપાન  ને  બ્રહ્મહત્યાય;

ત્રીજું  ગુરુપત્ની  સંગ  કરે,  ચોથું  હેમ  ગુરુતણું  હરે.12

એવાનો  અતિ  સંગી  છે  જેહ,  પાંચમો  મહાપાપી  છે  તેહ;

લખ્યું છે જે મિતાક્ષરા માંહી, તે હું તમને સુણાવું છું આંહી.13

ગાયો સોને હાથે હણે જયારે, મહાપાપી તો તે થાય ત્યારે;

મહાપાપ  કરે  એકવાર,  ગાયો  સો  વધતુલ્ય  થનાર.14

ગુરુનું  ધન  હરવામાં  એવું,  મહાપાતક  છે  જુવો  કેવું;

ગુરુનું  કાંઇ  કામ  કરાય,  તેમાં  છાની  દલાલી  ખવાય.15

કાંઇ  વસ્તુ  ગુરુ  તણી  ચોરે,  પકડે  તેને  જમદૂત  જોરે;

ગુરુને  રહી  બાગબગીચે,  તેનાં  ફળ  ફૂલ  ચોરીને  વેચે.16

ગુરુ  સાથે  કરે  જે  ઠગાઇ,  તેનું  પાપ  ભયંકર  ભાઇ;

ત્યાગી  સાધુની  થાપણ  રાખે,  તેને  રૌરવ  નરકમાં  નાંખે.17

વસ્તુ ત્યાગીને જે વેચી આપે, નાણું તેમાં થકી કાંઇ કાપે;

એહ  ત્યાગી  ને  એહ  ગૃહસ્થ,  લાગે  બેયને  પાપ  સમસ્ત.18

પાપનાશ  થવા  નિજકેરાં,  દેછે  દેવને  દ્રવ્ય  ઘણેરાં;

એમાંથી  અણ  હકનું  જે  ખાય,  પાપ  દેનારનું  તેને  જાય.19

દેવમંદિરમાં  ચોરી  કરે,  કુંભીપાકમાં  તેહને  ધરે;

દેવમંદિરનો  માલ  જેહ,  છાનો  આપી  દે  કોઇને  તેહ.20

કામ  ચોરીનું  તે  કહેવાય,  કરનાર  તે  નરકમાં  જાય;

ગુરુ  મોકલે  જો  પરદેશ,  વાટ  ખરચી  આપીને  વિશેષ.21

જુઠું  ખર્ચ  લખી  ધન  રાખે,  મહાપાપી  મુનિ  તેને  ભાખે;

વસ્તુ  ખાવાની  ચોરીને  ખાય,  તોય  ચોરી  કરી  કહેવાય.22

માળા  ફેરવે  ને  ધ્યાન  ધરે,  દેવ  સાથે  ઠગાઇ  જો  કરે;

એનું  કેમ  થાશે  જ  કલ્યાણ,  નથી  અંતરજામી  અજાણ.23

કરે  એકાદશી  ઉપવાસ,  વસે  તીર્થ  વિષે  જઇ  વાસ;

કોટી  કોટી  કરે  જો  ઉપાય,  ગુરુદ્રોહનો  દોષ  ન  જાય.24

તારી  ફૈયે  કર્યુ  કામ  એવું,  કોટી  જજ્ઞે  મટે  નહિ  જેવું;

કુંભીપાકમાં  તે  થકી  ગઇ,  તેને  છોડાવી  તેં  આજ  જઇ.25

ગુરુનું ધન ચોરનાર વિષે :- ઉપજાતિવૃત્ત :-

કહે  સુગોવર્ધનને  કૃપાળુ,  જે  દ્રવ્ય  ચોરે  ગુરુદેવવાળું;

સુણો કહું છું વળી પાપ એનું,નથી નથી વારણ કાંઇ તેનું.26

સ્ત્રી બ્રહ્મહત્યા કદી જો કરાય, વ્રતો કર્યાથી કદી તે છૂટાય;

જો ચોરી કીધી ગુરુદેવતાની, નથી ક્રિયા તે અઘ છૂટવાની.27

વૈરાગ્ય પામી ઘર છોડી દીધું, પછી ગુરૂનું ધન ચોરી લીધું;

ધિક્કાર તેને શ્રુતિયો કહેશે, મુવા પછી તે ગતિ કેવી લેશે.28

શૂરો જઇને રણમાંથી નાસે, સતી ચિતાનો દવ દેખી ત્રાસે;

ત્યાગી થઇને નહિ ત્યાગ પાળે, તે શું જીવે છે મુખ આપ કાળે.29

અન્યત્ર  ઠામે  અઘ  જે  મળે  છે,તે  તો  ગુરૂસેવનથી  ટળે  છે;

જો લેશમાત્રે ગરુદ્રોહ થાય, તે પાપ ટાળ્યાથી નહીં ટળાય.30

સંસાર છોડે દુઃખ પામવાથી, તે થાય ત્યાગી સુખની  સ્પૃહાથી;

તે તો ગુરૂના ધનને તકાવે, છોડે નહિ જો કદી હાથ આવે.31

જો કોઇ ચોરી ગુરુદ્રવ્ય ખાશે, જરૂર તે તો નરકે જ જાશે;

અનંત કોટિ જુગ વીતિ જાય, તથાપિ તેનો છુટકો ન થાય.32

ગુરૂની ચોરી કરી સાંભળીને, મુખે ધરે છે જમ આંગળીને;

પાતાળ પૃથ્વી નથી કેમ જાતી, આવી ક્રિયા કેમ હશે ખમાતી !33

પૃથ્વી તણો ભાર ગણે ન શેષ, મેરૂ તણો તો ન ગણે જ લેશ;

ગુરૂની ચોરી કરનાર પાપી, તેનો નહીં ભાર સહે તથાપી.34

ચોરી ગુરૂની કરી હોય જેણે, માતા પિતાની હણી લાજ તેણે;

જે વંશમાં તે જનમ્યો જણાય, તે વંશને લાંછન તો ગણાય.35

એવા તણો જે કરશે પ્રસંગ, અશુદ્ધ થાશે બહુ તેનું અંગ;

પાપી તણા સંગથી પાપ લાગે, દવ પ્રસંગે દવ જેમ જાગે.36

ન સંગ કીજે વ્યભિચારી કોય, ન સંગ કીજે જન ચોર હોય;

ન સંગ કીજે કદી નાસ્તિકોનો, પ્રસંગ કીજે જન આસ્તિકોનો.37

વસંતતિલકાવૃત્ત  :-

જો  હોય  સત્ય  ઉર  આસ્તિકતા  લગારે, તો  ધર્મદ્રવ્ય  હરતાં  બહુ  બીક  ધારે;

ધર્મિ  જણાય  પણ  નાસ્તિક  હોય  જેહ, ધર્માર્થનું   ધન   કદી   હરનાર   તેહ.38

ધર્માર્થનું  ધન  હળાહળ  ઝેર  જેવું, તે  ચોરીને  સમઝુએ  કદીયે  ન  લેવું;

તે  દ્રવ્ય  તો  સકળ  સૌખ્ય  વિનાશકારી, કલ્પાંત  કોટિ  લગી  દાયક  દુઃખ  ભારી.39

જો  ખાઇ  જાય  જન  કોઇ  અપકવ  પારો, તે  તો  જરૂર  તનમાં  કદી  ફૂટનારો;

તે  તુલ્ય  છે  ગુરુ  તણું  ધન  એમ  ધારો, જે  ચોરી  ખાય  જન  તે  દુઃખિયો  થનારો.40

ત્યાગી  થઇ  ગુરુ  તણું  ધન  ચોરી  ખાય, એ  આસુરી  જન  સમો  જગમાં  જણાય;

કાં તો મહા અસુરનો જન એ જ અંશ, બૂડાવવા  અવતર્યો  નિજતાતવંશ.41

જે  ત્યાગી  હોય  ગુરુનું  ધન  ચોરનારો, તેથી  ગૃહસ્થ  ગણિયે  હરિભકત  સારો;

ધર્માર્થકાજ   અરપે   ધન   તે   કમાઇ, ત્યાગી  થયો  પણ  ગયો  મૂળમાંથી  ભાઇ.42

ચોરી  તથા  જગતમાં  વ્યભિચાર  જે  છે, ભૂંડાં મહા કરમ તો અતિ એ જ બે છે;

જેણે  કરી  જનમીને  કદિ  ચોરી  જારી, તે  તો  ગયો  નરતનૂ  ધરી  વ્યર્થ  હારી.43

નિર્લજ્જ  એ  જ  જન  લોક  વિષે  જણાય,તે  જીવતો  મૃતકતુલ્ય  સદા  ગણાય;

આ  લોકમાં  અપજશે  મુખ  શામ  થાય, અંતે  જઇ  નરકમાં  અતિ  માર  ખાય.44

જયારે  પ્રવૃત  કળિકાળ  વિશેષ  થાશે, ત્યારે  અસાધુ  પુરુષો  જગમાં  જણાશે;

જો પુણ્ય જાણી જન ભોજન પાન દેશે, તેમાંથી  સાધુ  ઘૃત  સાકર  ચોરી  લેશે.45

મિષ્ટાન્ન  ખાઇ  મનમાં  નહિ  તે  ધરાય, લાડુ  જલેબી  દળ  આદિક  ચોરી  જાય;

તે  ગુપ્ત  રાખી  વળતે  દિન  છાનું  ખાશે, એવા  અસાધુ  કળિકાળ  વિષે  જણાશે.46

ચેલા  વિચારી  કરવા  ગુરુએ  સદાય, વૈરાગ્ય  સત્ય  ઉરમાં  જનને  જણાય;

જાણ્યા વિના ગુણ ગુરૂ કરી શિષ્ય લેશે, તો  તે  કદાપિ  ગુરુને  પણ  ઝેર  દેશે.47

ચોર્યુ  ન  હોય  ગુરુનું  ધન  જો  કદાપી, મિથ્યાપવાદ  ધરશે  જન  તેહ  પાપી;

આ  લોકમાં  પ્રભુ  તણો  પણ  ચોર  એ  છે, નિર્દોષના  ઉપર  જે  જન  દોષ  દે  છે.48

એવી  વિશેષ  હરિએ  શુભ  વાત  કીધી, ગોવર્ધને  સુણી  બધી  મન  ધારી  લીધી;

તેને  અનન્ય  હરિએ  નિજભકત  કીધો, પ્રીતેથી  લોજપુરનો  પછી  પંથ  લીધો.49

પુષ્પિતાગ્રાવૃત્ત :-

સુણ નૃપ હરિ છે સમર્થ એવા, નથીનથી કોઇ સમર્થ કૃષ્ણ જેવા;

અતિ અઘ કરનાર કોઇ હોય,પલક વિષે જ કરે પવિત્ર તોય.50

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે માંગરોળનિવાસીભકત -ગોવર્ધનાખ્યાનકથનનામા સપ્તવિંશતિતમો વિશ્રામઃ ।।27।।

ઈતિ શ્રીહરિલીલામૃતે વનવિહારનામા તૃતીયકલશઃ સંપૂર્ણઃ ।।