પૂર્વછાયો :-
વણિક ગોવરધન કહે, સુણો શ્રીપુરુષોત્તમ આપ;
ફઇ મારી હરિજન છતાં, એવું મોટું કરેલ શું પાપ ?1
ચોપાઈ :-
તેને ઇશ્વરનું હતું જ્ઞાન, નિત્ય ધરતી પ્રભુતણું ધ્યાન;
નામ મંત્ર તણો જપ કરતી,વ્રત વિવિધ પ્રકાર આચરતી.2
ઘણાં તીર્થનું સેવન કીધું, મોટા સંતને ભોજન દીધું;
કર્યા પુણ્ય તેણે ઘણાં એમ, કુંભીપાક વિષે પડી કેમ ?3
સુણી બોલ્યા હરિ સાક્ષાત, તેના પાપ તણી કહું વાત;
ધરમાદા તણું ધન જેહ, હતા પાસા સોના તણા તેહ.4
રામાનંદસ્વમીએ વિચારી, એહ બાઇને સોંપ્યા સંભારી;
તેને વીતી ગયા ઘણા માસ, પાસા સ્વામીએ માગ્યા તે પાસ.5
ત્યારે બોલી વચન તે બાઇ, નથી મારી પાસે ધન કાંઇ;
સોનું પાછું આપ્યું છે મેં તમને, ખાલી કરશો ફજેત ન અમને.6
દીધો સ્વામીએ બહુ ઉપદેશ, તોય માન્યું નહિ લવલેશ;
એવું કાંચન છે મહાપાપી, બુદ્ધિ જનની બગાડે કદાપી.7
ઘરબાર તજી વન જાય, તોય ધનથી કદી લલચાય;
હરિભકતપણું ભલું ધરે, તન મન ધન અર્પણ કરે.8
તેને પણ ધનધર્મથી પાડે, કુંભીપાકનાં દુઃખ દેખાડે;
ગુરુનું સોનું ઓળવ્યું એણે, કુંભીપાક વિષે પડી તેણે.9
ભકિતપુત્ર કહે ભગવાન, સુણો ગોવરધન ગુણવાન;
કહું પાપ તણા બે પ્રકાર, ધર્મશાસ્ત્ર તણે અનુસાર.10
ઉપપાતક જે પાપ છોટાં, મહાપાતક જે પાપ મોટાં;
માંસભક્ષક ને ગૌઘાત, ઉપપાતકમાં છે તે ભ્રાત.11
મહાપાતક પાંચ ગણાય, મદ્યપાન ને બ્રહ્મહત્યાય;
ત્રીજું ગુરુપત્ની સંગ કરે, ચોથું હેમ ગુરુતણું હરે.12
એવાનો અતિ સંગી છે જેહ, પાંચમો મહાપાપી છે તેહ;
લખ્યું છે જે મિતાક્ષરા માંહી, તે હું તમને સુણાવું છું આંહી.13
ગાયો સોને હાથે હણે જયારે, મહાપાપી તો તે થાય ત્યારે;
મહાપાપ કરે એકવાર, ગાયો સો વધતુલ્ય થનાર.14
ગુરુનું ધન હરવામાં એવું, મહાપાતક છે જુવો કેવું;
ગુરુનું કાંઇ કામ કરાય, તેમાં છાની દલાલી ખવાય.15
કાંઇ વસ્તુ ગુરુ તણી ચોરે, પકડે તેને જમદૂત જોરે;
ગુરુને રહી બાગબગીચે, તેનાં ફળ ફૂલ ચોરીને વેચે.16
ગુરુ સાથે કરે જે ઠગાઇ, તેનું પાપ ભયંકર ભાઇ;
ત્યાગી સાધુની થાપણ રાખે, તેને રૌરવ નરકમાં નાંખે.17
વસ્તુ ત્યાગીને જે વેચી આપે, નાણું તેમાં થકી કાંઇ કાપે;
એહ ત્યાગી ને એહ ગૃહસ્થ, લાગે બેયને પાપ સમસ્ત.18
પાપનાશ થવા નિજકેરાં, દેછે દેવને દ્રવ્ય ઘણેરાં;
એમાંથી અણ હકનું જે ખાય, પાપ દેનારનું તેને જાય.19
દેવમંદિરમાં ચોરી કરે, કુંભીપાકમાં તેહને ધરે;
દેવમંદિરનો માલ જેહ, છાનો આપી દે કોઇને તેહ.20
કામ ચોરીનું તે કહેવાય, કરનાર તે નરકમાં જાય;
ગુરુ મોકલે જો પરદેશ, વાટ ખરચી આપીને વિશેષ.21
જુઠું ખર્ચ લખી ધન રાખે, મહાપાપી મુનિ તેને ભાખે;
વસ્તુ ખાવાની ચોરીને ખાય, તોય ચોરી કરી કહેવાય.22
માળા ફેરવે ને ધ્યાન ધરે, દેવ સાથે ઠગાઇ જો કરે;
એનું કેમ થાશે જ કલ્યાણ, નથી અંતરજામી અજાણ.23
કરે એકાદશી ઉપવાસ, વસે તીર્થ વિષે જઇ વાસ;
કોટી કોટી કરે જો ઉપાય, ગુરુદ્રોહનો દોષ ન જાય.24
તારી ફૈયે કર્યુ કામ એવું, કોટી જજ્ઞે મટે નહિ જેવું;
કુંભીપાકમાં તે થકી ગઇ, તેને છોડાવી તેં આજ જઇ.25
ગુરુનું ધન ચોરનાર વિષે :- ઉપજાતિવૃત્ત :-
કહે સુગોવર્ધનને કૃપાળુ, જે દ્રવ્ય ચોરે ગુરુદેવવાળું;
સુણો કહું છું વળી પાપ એનું,નથી નથી વારણ કાંઇ તેનું.26
સ્ત્રી બ્રહ્મહત્યા કદી જો કરાય, વ્રતો કર્યાથી કદી તે છૂટાય;
જો ચોરી કીધી ગુરુદેવતાની, નથી ક્રિયા તે અઘ છૂટવાની.27
વૈરાગ્ય પામી ઘર છોડી દીધું, પછી ગુરૂનું ધન ચોરી લીધું;
ધિક્કાર તેને શ્રુતિયો કહેશે, મુવા પછી તે ગતિ કેવી લેશે.28
શૂરો જઇને રણમાંથી નાસે, સતી ચિતાનો દવ દેખી ત્રાસે;
ત્યાગી થઇને નહિ ત્યાગ પાળે, તે શું જીવે છે મુખ આપ કાળે.29
અન્યત્ર ઠામે અઘ જે મળે છે,તે તો ગુરૂસેવનથી ટળે છે;
જો લેશમાત્રે ગરુદ્રોહ થાય, તે પાપ ટાળ્યાથી નહીં ટળાય.30
સંસાર છોડે દુઃખ પામવાથી, તે થાય ત્યાગી સુખની સ્પૃહાથી;
તે તો ગુરૂના ધનને તકાવે, છોડે નહિ જો કદી હાથ આવે.31
જો કોઇ ચોરી ગુરુદ્રવ્ય ખાશે, જરૂર તે તો નરકે જ જાશે;
અનંત કોટિ જુગ વીતિ જાય, તથાપિ તેનો છુટકો ન થાય.32
ગુરૂની ચોરી કરી સાંભળીને, મુખે ધરે છે જમ આંગળીને;
પાતાળ પૃથ્વી નથી કેમ જાતી, આવી ક્રિયા કેમ હશે ખમાતી !33
પૃથ્વી તણો ભાર ગણે ન શેષ, મેરૂ તણો તો ન ગણે જ લેશ;
ગુરૂની ચોરી કરનાર પાપી, તેનો નહીં ભાર સહે તથાપી.34
ચોરી ગુરૂની કરી હોય જેણે, માતા પિતાની હણી લાજ તેણે;
જે વંશમાં તે જનમ્યો જણાય, તે વંશને લાંછન તો ગણાય.35
એવા તણો જે કરશે પ્રસંગ, અશુદ્ધ થાશે બહુ તેનું અંગ;
પાપી તણા સંગથી પાપ લાગે, દવ પ્રસંગે દવ જેમ જાગે.36
ન સંગ કીજે વ્યભિચારી કોય, ન સંગ કીજે જન ચોર હોય;
ન સંગ કીજે કદી નાસ્તિકોનો, પ્રસંગ કીજે જન આસ્તિકોનો.37
વસંતતિલકાવૃત્ત :-
જો હોય સત્ય ઉર આસ્તિકતા લગારે, તો ધર્મદ્રવ્ય હરતાં બહુ બીક ધારે;
ધર્મિ જણાય પણ નાસ્તિક હોય જેહ, ધર્માર્થનું ધન કદી હરનાર તેહ.38
ધર્માર્થનું ધન હળાહળ ઝેર જેવું, તે ચોરીને સમઝુએ કદીયે ન લેવું;
તે દ્રવ્ય તો સકળ સૌખ્ય વિનાશકારી, કલ્પાંત કોટિ લગી દાયક દુઃખ ભારી.39
જો ખાઇ જાય જન કોઇ અપકવ પારો, તે તો જરૂર તનમાં કદી ફૂટનારો;
તે તુલ્ય છે ગુરુ તણું ધન એમ ધારો, જે ચોરી ખાય જન તે દુઃખિયો થનારો.40
ત્યાગી થઇ ગુરુ તણું ધન ચોરી ખાય, એ આસુરી જન સમો જગમાં જણાય;
કાં તો મહા અસુરનો જન એ જ અંશ, બૂડાવવા અવતર્યો નિજતાતવંશ.41
જે ત્યાગી હોય ગુરુનું ધન ચોરનારો, તેથી ગૃહસ્થ ગણિયે હરિભકત સારો;
ધર્માર્થકાજ અરપે ધન તે કમાઇ, ત્યાગી થયો પણ ગયો મૂળમાંથી ભાઇ.42
ચોરી તથા જગતમાં વ્યભિચાર જે છે, ભૂંડાં મહા કરમ તો અતિ એ જ બે છે;
જેણે કરી જનમીને કદિ ચોરી જારી, તે તો ગયો નરતનૂ ધરી વ્યર્થ હારી.43
નિર્લજ્જ એ જ જન લોક વિષે જણાય,તે જીવતો મૃતકતુલ્ય સદા ગણાય;
આ લોકમાં અપજશે મુખ શામ થાય, અંતે જઇ નરકમાં અતિ માર ખાય.44
જયારે પ્રવૃત કળિકાળ વિશેષ થાશે, ત્યારે અસાધુ પુરુષો જગમાં જણાશે;
જો પુણ્ય જાણી જન ભોજન પાન દેશે, તેમાંથી સાધુ ઘૃત સાકર ચોરી લેશે.45
મિષ્ટાન્ન ખાઇ મનમાં નહિ તે ધરાય, લાડુ જલેબી દળ આદિક ચોરી જાય;
તે ગુપ્ત રાખી વળતે દિન છાનું ખાશે, એવા અસાધુ કળિકાળ વિષે જણાશે.46
ચેલા વિચારી કરવા ગુરુએ સદાય, વૈરાગ્ય સત્ય ઉરમાં જનને જણાય;
જાણ્યા વિના ગુણ ગુરૂ કરી શિષ્ય લેશે, તો તે કદાપિ ગુરુને પણ ઝેર દેશે.47
ચોર્યુ ન હોય ગુરુનું ધન જો કદાપી, મિથ્યાપવાદ ધરશે જન તેહ પાપી;
આ લોકમાં પ્રભુ તણો પણ ચોર એ છે, નિર્દોષના ઉપર જે જન દોષ દે છે.48
એવી વિશેષ હરિએ શુભ વાત કીધી, ગોવર્ધને સુણી બધી મન ધારી લીધી;
તેને અનન્ય હરિએ નિજભકત કીધો, પ્રીતેથી લોજપુરનો પછી પંથ લીધો.49
પુષ્પિતાગ્રાવૃત્ત :-
સુણ નૃપ હરિ છે સમર્થ એવા, નથીનથી કોઇ સમર્થ કૃષ્ણ જેવા;
અતિ અઘ કરનાર કોઇ હોય,પલક વિષે જ કરે પવિત્ર તોય.50
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે માંગરોળનિવાસીભકત -ગોવર્ધનાખ્યાનકથનનામા સપ્તવિંશતિતમો વિશ્રામઃ ।।27।।