પૂર્વછાયો :-

અનુપ  આખા  ગામ  છે,  તેને  પાદર  પૂરવ  દીશ;

આંબલિયોનાં ઝાડ છે, બેઠા બે ઘડી ત્યાં મુનિઇશ.1

ચોપાઈ :-

ત્યાંથી  મઢડે  ગયા  મહારાજ,  જેઠામેરનું  કરવાને  કાજ;

જેઠામેર  ઉપર  કરી  મેર,  ઘનશામ  રહ્યા  તેને  ઘેર.2

તેણે  સેવા  સજી  ઘણી  સારી,  પાળે  નિષ્કામવ્રત  નરનારી;

સૂતા  રાત્રીમાં  શ્રીઘનશામ,  જેઠામેરે  જોયું  તેહ  ઠામ.3

બ્રહ્મા  શંભુને  ઇન્દ્ર  અપાર,  આવેલા  વંદવા  તેહ  વાર;

રમા રાધા આદિ ઘણી શકિત, સજે ભાવ ધરી ભલી ભકિત.4

કોઇ  તો  થાળ  ધરે  છે  લાવી,  કોઇ  આરતી  ઉતારે  આવી;

કોઇ  તો  ગુણગાન  કરે  છે,  કોઇ  સ્નેહે  સ્તુતિ  ઉચ્ચરે  છે.5

જેઠોમેર  અને  તેની  નારી,  નિરખે  મૂરતી  ચિત્ત  ધારી;

ત્યારે  બ્રહ્માએ  વેણ  ઉચાર્યા,  ધન્ય  માત  ને  તાત  તમારાં.6

ઘણા  જન્મ  કર્યું તપ  જેહ,  આજ  આવી  મળ્યું  ફળ  એહ;

ઘન્ય  ધન્ય  તમે  નર  નારી,  ભલાં  કીધાં  તમે  તપ  ભારી.7

અભેસિંહ  કહે  મુનિરાય,  મને  એતો  સુણાવો  કથાય;

જેઠોમેર  તથા  તેની  નારી,  તેણે  તપ  શું  કર્યું એવું  ભારી  ?8

જેથી બ્રહ્માએ તેને વખાણ્યાં, અતિ ઉત્તમ સર્વથી જાણ્યાં;

કહે  વર્ણી  સુણો  ધરણીશ,  જેઠામેરની  વાત  કહીશ.9

શ્રીજીમહારાજ મુખ એ વાત, મેં તો સાંભળી છે સાક્ષાત;

તમ  આગળ  તે  હું  ઉચારું,  શ્રોતામાં  સર્વોપરી  હું  ધારું.10

કૃતયુગ  થકી  તે  નરનાર,  ધર્યા  ભૂતળ  બહુ  અવતાર;

પતિ  પત્નિ  થયાં  બધે  ઠામ,  વ્રત  પાળ્યું  સદા  નિષ્કામ.11

આજ કળિયુગમાં પણ એમ, પાળ્યું નિષ્કામ તો વ્રત તેમ;

બાળ  જોબન  કે  વૃદ્ધજાતે,  બ્રહ્મચર્ય  પાળ્યું  ભલી  ભાતે.12

નરનારી  રહ્યા  ઊર્ધ્વરેતા,  રહે  કોઇ  વડા  બ્રહ્મવેત્તા;

એ જ પુણ્ય ઉદય થયું જયારે, મળ્યા પ્રગટ પ્રભુ તેને ત્યારે.13

નિષ્કામવિષે :- વસંતવિલકાવૃત્ત :-

લીધા  તપસ્વી  બહુધા  જગમધ્ય  જોઇ, નિષ્કામતુલ્ય  તપ  તો  ન  ગણાય  કોઇ;

જો   બ્રહ્મચર્ય   વ્રત   કોઇ   અખંડ   પાળે, તો  પાપ  પૂર્વ  ભવનાં  સઘળાં  પ્રજાળે.14

કામે  તપસ્વી  જનને  તપમાંથી  પાડ્યા, જોગીશને  તરત  જોગ  થકી  જગાડ્યા;

બ્રહ્માદિને  પણ  ઘણાક  ફજેત  કીધા, કામે  મહેશ  સરખાય  હરાવી  દીધા.15

રાજયાદિ  છોડી  કરવો  વનમાં  નિવાસ, કે  અન્ન  છોડી  કરવા  ઉપવાસ  માસ;

તે  તો  કદાપિ  જન  કોઇ  થકી  કરાય, સંકલ્પ   કામસુખનો   ન   તજયો   તજાય.16

સંગ્રામમાં  જઇ  કદી  મરવું  સહેલું, દીઠી  ઘણીક  સતિ  જે  તનને  દહેલું;

આકાશ  માપવિણ  છે  કદિ  તે  મપાય, સંકલ્પ  કામસુખનો  ન  તજયો  તજાય.17

વેદાદિશાસ્ત્ર    ભણીને    વિદ્વાન    થાય, જીતે   વિદેશ   વિચરી   સઘળી   સભાય;

કાવ્યાદિ  ચોજતણી  તે  ચતુરાઇ  જાણે, હૈયે  અનંગ  જીતવા  નહિ  હામ  આણે.18

જે  કામથી  સુર  નરો  મુનિશ્રેષ્ઠ  હાર્યા, ગર્વિષ્ઠના  ગરવ  તે  સરવે  ઉતાર્યા;

તે  કામને  વશ  કરે  જગમાં  રહી  જે, સાક્ષાત્  એ  જ  જન  ઇશ્વર  તો  કહીજે.19

સાધી  સમાધિ  તજીને  સઘળી  ઉપાધિ, આરાધિ  ઇષ્ટ  તનની  તજી  સર્વ  વ્યાધિ;

આકાશમધ્ય   વિચરે   દવ   માંહિ   પેસે, દિસે  બળિષ્ટ  પણ  કામથી  હારી  બેસે.20

જ્ઞાની  બની  અધિક  જ્ઞાન  જીભે  કહે  છે, તે  કામથી  બહુબહુ  બળતા  રહે  છે;

જેને   વિશેષ   પુરુષોત્તમની   કૃપાય, તેના  થકી  જ  રતિના  પતિને  જિતાય.21

ચોપાઈ :-

એવો  કામ  બળિષ્ઠ  છે  જેહ,  જેઠામેરે  જીત્યો  હતો  તેહ;

તેને પુણ્યે પ્રભુ મળ્યા આવી, તમે પૂછી તે વાત સુણાવી.22

જેઠાભકત  તણું  કરી  કાજ,  માંગરોળ  ગયા  મહારાજ;

દિશા  પશ્ચિમમાં  ડોસાવાવ્ય,  કર્યો  આસનનો  ત્યાં  ઠરાવ.23

આવ્યો  ત્યાં  એક  વૈશ્યકુમાર,નામ  ગોવરધન  નિરધાર;

પાસે  બેસીને  કીધો  પ્રણામ,  ઘણી  વાતો  કરી  ઘનશામ.24

પ્રભુને મોટા પુરુષ પ્રમાણી, બોલ્યો વાણિયો તે મુખ વાણી;

જમો  તો  ચોખી  સુખડી  લાવું,  ગામમાં  જઇને  ઝટ  આવું.25

ભાવ ભાળીને હા કહી જયારે, જઇ લાવ્યો તે સુખડી ત્યારે;

ભગવાન જમ્યા ભલી ભાત, પછી પૂછી તે બાળને વાત.26

આવી કયાંથી તેં સુખડી આણી, સુણી બોલ્યો તે વાણિયો વાણી;

મારી ફઇનું ખરચ છે આજ, ત્યાંથી લાવ્યો છું હે મહારાજ.27

હતી પૂતળી નામે તે સારી, કહો કયાં હશે તે ફઇ મારી ?

કહે  હરિ  જમહાથ  ચડી  છે,  કુંભીપાકમાં  જઇને  પડી  છે.28

સુણી  બોલ્યો    ગોવર્ધન  એમ,  પડે  એ  તો  નરકમાં  કેમ  ?

રામાનંદજી  છે  પ્રભુ  જેહ,  તેનાં  ભકત  એકાંતિક  એહ.29

પ્રભુ  ભજતાં  નરકમાં  જાય,  એવી  વાત  તે  કેમ  મનાય  ?

સુણી બોલ્યા મુખે મુનિરાજ, જોવી હોય તો દેખાડું આજ.30

તેણે જોવાની ઇચ્છા જણાવી, ત્યારે શામે  સમાધિ કરાવી;

જોયા  કુંડ  નરક  તણા  જઇને,  કુંભીપાકમાં  દીઠી  ફઇને.31

ફઇએ  ગોવર્ધનને  જોઇ,  કાલાંવાલાં  કર્યા  બહુ  રોઇ;

કાઢ્યકાઢ્ય  અરે  ભાઇ  મને,  દયા  આવતી  હોય  જો  તને.32

કાઢી  કુંડમાંથી  તેને  જયારે,  જમના  દૂત  આવિયા  ત્યારે;

માર્યો  ગોવરધનને  માર,  નાખી  બાઇને  કુંડ  મોઝાર.33

જમદૂત  કહે  ક્રોધ  આણી,  પાછો  જા  મૃત્યુલોકના  પ્રાણી;

ધર્મને  નવ  પૂછ્યું  લગાર,  કેમ  બાઇને  કાઢી  બહાર  ?34

પછી  વાણિયે  દેહમાં  આવી,  મહારાજને  વાત  સુણાવી;

વળી વિનતિ કરી શિર નામી, મારી ફઇને મુકાવોને સ્વામી.35

ભગવાન મળ્યા મને તમે, મારી ફઇ કેમ ત્યાં દુઃખ ખમે;

સુણી  ઉચર્યા  વિશ્વઆધાર,  તમે  કાઢો  જઇ  બીજીવાર.36

બોલ્યો  બાળક  હે  અચ્યૂત  !  મને  મારે  ત્યાં  તો  જમદૂત;

કહે કૃષ્ણ ફરીથી જો જાશો, મારા વચનથી બલવાન થાશો.37

જમદૂતથી  કરજો  લડાઇ,  મુકત  આવીને  થાશે  સહાયી;

પછી  તે  તો  સમાધિમાં  ગયો,  ફૈને  કાઢવા  તતપર  થયો.38

જમનો  દૂત  એક  ત્યાં  આવ્યો,  તેણે  ગોવર્ધનને  ડરાવ્યો;

ત્યારે  કાયા  ધરી  અદભૂત,  દેખી  નાઠો  તે  તો  જમદૂત.39

પૂર્વછાયો :-

દૂતે  જઇ  જમરાયને,  કહ્યા  સર્વવિધિ  સમાચાર;

ક્રોધ  કરી  જમપતિ  કહે,  જમ  જાઓ  મળીને  હજાર.40

ચોપાઈ :-

સુણી  સજ્જ  થયા  જમદૂત,  ભારે  રૂપ  ધર્યા  અદ્ભુત;

આવતા તે ગોવરધને ભાળ્યા, દિસે કાજળ તુલ્ય તે કાળા.41

ઊંચા  ઊંચા  તે  પર્વત  જેવા,  ભાળી  લાગે  ભયંકર  એવા;

મુખ  શૈલગુફા  અનુમાન,  દાંત  શૈલના  શિખર  સમાન.42

મુખે  માણસનાં  શબ  ચાવે,  તેને  દિલમાં  દયા  નવ  આવે;

નાખ્યાં કોટમાં બહુ આંતરડાં, લાલ લોચન લાગે છે કરડાં.43

માથાં જન તણાં કરમાં ઉછાળે, ભલો ખેલ દડાજેવો ભાળે;

લીધાં  ખપ્પર  લોહી  ભરેલાં,  દિસે  શોણિત  પાન  કરેલાં.44

કંઠે  કોઈને  માથાની  માળા,  નીસરે  કોઇને  મુખ  જવાળા;

હાથ  જાણીએ  સર્પની  ફેણ,  અસ્ત્ર  શસ્ત્ર  ધર્યા  દુઃખદેણ.45

ધર્યા  ગુપ્તિ  ગદા  ને  ત્રિશૂળ,  ધર્યા  લોહના  દંડ  પ્રથૂળ;

ધર્યા  ભારી  ભયંકર  ભાલા,  કરે  ક્રોધે  ભયંકર  ચાળા.46

તરવાર  છરા  અને  છરી,  માંસ  તોડવા  સાણસી  ધરી;

લીધી કોઇએ હાથમાં ફરશી, જનનું લોહી પીવાને તરશી.47

આવે  ઉચ્ચરતા  ખાઉં  ખાઉં,  લોહી  પીને  કહે  છે  ધરાઉં;

પ્રલેકાળનાં  વાદળાં  જેવાં,  તન  દિસે  છે  દોડતાં  તેવાં.48

કોઇ  સિંહમુખો  જમદૂત,  કોઇ  રીંછમુખો  અદભૂત;

કોઇનું  મુખ  તો  જેવું  શ્વાન,  મુખે  કોઇ  માંજાર  સમાન.49

કોઇ  ઘુડમુખા  તે  જણાય,  કોઇ  ગર્દભમૂખો  ગણાય;

કોઇ  ઊંટમુખો  વળી  એમાં,  કોઇ  મર્કટમુખ  પણ  તેમાં.50

આવ્યા ગોવરધનને પકડવા,લાગ્યા જોર કરી બહુ લડવા;

ત્યારે  ગોવરધન  તણો  દેહ,  થયો  ગોવરધનસમ  એહ.51

પગે  પીલીને  કૈકને  માર્યા,  ઢીંકા  પાટુએ  કૈને  સંહાર્યા;

જમદૂતનાં  લૈ  હથિયાર,  માર્યા  કૈકને  તો  તેહ  ઠાર.52

કરે  હોંકારા  ગોવરધન,  જાણે  ભાંગશે  ચૌદેભુવન;

હરિ  આગળ  છે  તેનો  દેહ,  લાગ્યો  હોંકારા  કરવા  તેહ.53

હાથ  વીંઝે  ને  પાવ  પછાડે,  સિંહ  કેસરીની  પેઠે  ત્રાડે;

લોકો દેખીને અચરજ આણે, સાચો મર્મ તો શ્રીહરિ જાણે.54

જમ  નાઠા  તે  પામીને  ત્રાસ,  કહી  વાત  તે  ધર્મની  પાસ;

યમરાજા  ચડ્યા  ક્રોધ  ધારી,  કરી  પાડા  ઉપર  અસવારી.55

લોહદંડ  લીધો  લીધો  પાશ,  ચૌદ  કોટિ  લીધા  સાથે  દાસ;

મોટા  સિંહ  પાડે  ત્રાડ  જેવી,  જમરાય  પાડે  ત્રાડ  એવી.56

ભારે ફોજ આવી ચડી જયારે, ડર પામ્યો ગોવરધન ત્યારે;

સ્નેહે સંભાર્યા શ્રીઅવિનાશી, આવ્યા મુકત અક્ષરના નિવાસી.57

જમરાજ  દેખી  ડર  પામ્યો,  હાથ  જોડી  ઉભો  રહ્યો  સામો;

કહે  મુકતપ્રત્યે  જમરાય,  કેમ  એને  કરો  છો  સહાય  ?58

મહાપાપિણી નારી છે જેહ, તેને લૈ જવા આવ્યો છે એહ;

એને  દંડ  ઓછો  રહી  જાય,  કુંભીપાકથી  કેમ  કઢાય  ?59

ત્યારે મુકત કહે સુણો રાય, પ્રભુ પ્રગટ્યા છે ભૂતળમાંય;

તેની  આજ્ઞાથી  આવ્યો  છે  એહ,  તમથી  અટકાય  ન  તેહ.60

ધર્મરાયે  પછી  સ્તુતિ  કીધી,તેની  ફૈબાને  લઇ  જવા  દીધી;

ગયા મુકત પોતાતણે સ્થાન, આવ્યાં બે જણ જયાં ભગવાન.61

કહે  બાઇને  સુંદરશામ,  તમે  જૈ  બદ્રિકાશ્રમ  ધામ;

થોડા કાળ સુધી તપ કરશો, પછી   સત્સંગમાં દેહ ધરશો.62

અંતે  પામશો  અક્ષરધામ,  એમ  કહી  મોકલી  તેહ  ઠામ;

સમાધિથી ગોવરધન જાગ્યો, કરી વાત ને સંશય ભાગ્યો.63

પુષ્પિતાગ્રાવૃત્ત :-

અકળ ચરિત્ર એમ કૃષ્ણકેરાં, ગણી ન શકાય સુણેલ છે ઘણેરાં;

હરિજન હિત આ કથા ઉચારી, પરમ પવિત્ર તથા પવિત્રકારી.64

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર – અભયસિંહનૃપસંવાદે શ્રીમાંગરોળનિવાસી ભકતગોવર્ધનાખ્યાનકથનનામા ષડવિંશતિતમો વિશ્રામઃ ।।26।।