પૂર્વછાયો :-
અનુપ આખા ગામ છે, તેને પાદર પૂરવ દીશ;
આંબલિયોનાં ઝાડ છે, બેઠા બે ઘડી ત્યાં મુનિઇશ.1
ચોપાઈ :-
ત્યાંથી મઢડે ગયા મહારાજ, જેઠામેરનું કરવાને કાજ;
જેઠામેર ઉપર કરી મેર, ઘનશામ રહ્યા તેને ઘેર.2
તેણે સેવા સજી ઘણી સારી, પાળે નિષ્કામવ્રત નરનારી;
સૂતા રાત્રીમાં શ્રીઘનશામ, જેઠામેરે જોયું તેહ ઠામ.3
બ્રહ્મા શંભુને ઇન્દ્ર અપાર, આવેલા વંદવા તેહ વાર;
રમા રાધા આદિ ઘણી શકિત, સજે ભાવ ધરી ભલી ભકિત.4
કોઇ તો થાળ ધરે છે લાવી, કોઇ આરતી ઉતારે આવી;
કોઇ તો ગુણગાન કરે છે, કોઇ સ્નેહે સ્તુતિ ઉચ્ચરે છે.5
જેઠોમેર અને તેની નારી, નિરખે મૂરતી ચિત્ત ધારી;
ત્યારે બ્રહ્માએ વેણ ઉચાર્યા, ધન્ય માત ને તાત તમારાં.6
ઘણા જન્મ કર્યું તપ જેહ, આજ આવી મળ્યું ફળ એહ;
ઘન્ય ધન્ય તમે નર નારી, ભલાં કીધાં તમે તપ ભારી.7
અભેસિંહ કહે મુનિરાય, મને એતો સુણાવો કથાય;
જેઠોમેર તથા તેની નારી, તેણે તપ શું કર્યું એવું ભારી ?8
જેથી બ્રહ્માએ તેને વખાણ્યાં, અતિ ઉત્તમ સર્વથી જાણ્યાં;
કહે વર્ણી સુણો ધરણીશ, જેઠામેરની વાત કહીશ.9
શ્રીજીમહારાજ મુખ એ વાત, મેં તો સાંભળી છે સાક્ષાત;
તમ આગળ તે હું ઉચારું, શ્રોતામાં સર્વોપરી હું ધારું.10
કૃતયુગ થકી તે નરનાર, ધર્યા ભૂતળ બહુ અવતાર;
પતિ પત્નિ થયાં બધે ઠામ, વ્રત પાળ્યું સદા નિષ્કામ.11
આજ કળિયુગમાં પણ એમ, પાળ્યું નિષ્કામ તો વ્રત તેમ;
બાળ જોબન કે વૃદ્ધજાતે, બ્રહ્મચર્ય પાળ્યું ભલી ભાતે.12
નરનારી રહ્યા ઊર્ધ્વરેતા, રહે કોઇ વડા બ્રહ્મવેત્તા;
એ જ પુણ્ય ઉદય થયું જયારે, મળ્યા પ્રગટ પ્રભુ તેને ત્યારે.13
નિષ્કામવિષે :- વસંતવિલકાવૃત્ત :-
લીધા તપસ્વી બહુધા જગમધ્ય જોઇ, નિષ્કામતુલ્ય તપ તો ન ગણાય કોઇ;
જો બ્રહ્મચર્ય વ્રત કોઇ અખંડ પાળે, તો પાપ પૂર્વ ભવનાં સઘળાં પ્રજાળે.14
કામે તપસ્વી જનને તપમાંથી પાડ્યા, જોગીશને તરત જોગ થકી જગાડ્યા;
બ્રહ્માદિને પણ ઘણાક ફજેત કીધા, કામે મહેશ સરખાય હરાવી દીધા.15
રાજયાદિ છોડી કરવો વનમાં નિવાસ, કે અન્ન છોડી કરવા ઉપવાસ માસ;
તે તો કદાપિ જન કોઇ થકી કરાય, સંકલ્પ કામસુખનો ન તજયો તજાય.16
સંગ્રામમાં જઇ કદી મરવું સહેલું, દીઠી ઘણીક સતિ જે તનને દહેલું;
આકાશ માપવિણ છે કદિ તે મપાય, સંકલ્પ કામસુખનો ન તજયો તજાય.17
વેદાદિશાસ્ત્ર ભણીને વિદ્વાન થાય, જીતે વિદેશ વિચરી સઘળી સભાય;
કાવ્યાદિ ચોજતણી તે ચતુરાઇ જાણે, હૈયે અનંગ જીતવા નહિ હામ આણે.18
જે કામથી સુર નરો મુનિશ્રેષ્ઠ હાર્યા, ગર્વિષ્ઠના ગરવ તે સરવે ઉતાર્યા;
તે કામને વશ કરે જગમાં રહી જે, સાક્ષાત્ એ જ જન ઇશ્વર તો કહીજે.19
સાધી સમાધિ તજીને સઘળી ઉપાધિ, આરાધિ ઇષ્ટ તનની તજી સર્વ વ્યાધિ;
આકાશમધ્ય વિચરે દવ માંહિ પેસે, દિસે બળિષ્ટ પણ કામથી હારી બેસે.20
જ્ઞાની બની અધિક જ્ઞાન જીભે કહે છે, તે કામથી બહુબહુ બળતા રહે છે;
જેને વિશેષ પુરુષોત્તમની કૃપાય, તેના થકી જ રતિના પતિને જિતાય.21
ચોપાઈ :-
એવો કામ બળિષ્ઠ છે જેહ, જેઠામેરે જીત્યો હતો તેહ;
તેને પુણ્યે પ્રભુ મળ્યા આવી, તમે પૂછી તે વાત સુણાવી.22
જેઠાભકત તણું કરી કાજ, માંગરોળ ગયા મહારાજ;
દિશા પશ્ચિમમાં ડોસાવાવ્ય, કર્યો આસનનો ત્યાં ઠરાવ.23
આવ્યો ત્યાં એક વૈશ્યકુમાર,નામ ગોવરધન નિરધાર;
પાસે બેસીને કીધો પ્રણામ, ઘણી વાતો કરી ઘનશામ.24
પ્રભુને મોટા પુરુષ પ્રમાણી, બોલ્યો વાણિયો તે મુખ વાણી;
જમો તો ચોખી સુખડી લાવું, ગામમાં જઇને ઝટ આવું.25
ભાવ ભાળીને હા કહી જયારે, જઇ લાવ્યો તે સુખડી ત્યારે;
ભગવાન જમ્યા ભલી ભાત, પછી પૂછી તે બાળને વાત.26
આવી કયાંથી તેં સુખડી આણી, સુણી બોલ્યો તે વાણિયો વાણી;
મારી ફઇનું ખરચ છે આજ, ત્યાંથી લાવ્યો છું હે મહારાજ.27
હતી પૂતળી નામે તે સારી, કહો કયાં હશે તે ફઇ મારી ?
કહે હરિ જમહાથ ચડી છે, કુંભીપાકમાં જઇને પડી છે.28
સુણી બોલ્યો ગોવર્ધન એમ, પડે એ તો નરકમાં કેમ ?
રામાનંદજી છે પ્રભુ જેહ, તેનાં ભકત એકાંતિક એહ.29
પ્રભુ ભજતાં નરકમાં જાય, એવી વાત તે કેમ મનાય ?
સુણી બોલ્યા મુખે મુનિરાજ, જોવી હોય તો દેખાડું આજ.30
તેણે જોવાની ઇચ્છા જણાવી, ત્યારે શામે સમાધિ કરાવી;
જોયા કુંડ નરક તણા જઇને, કુંભીપાકમાં દીઠી ફઇને.31
ફઇએ ગોવર્ધનને જોઇ, કાલાંવાલાં કર્યા બહુ રોઇ;
કાઢ્યકાઢ્ય અરે ભાઇ મને, દયા આવતી હોય જો તને.32
કાઢી કુંડમાંથી તેને જયારે, જમના દૂત આવિયા ત્યારે;
માર્યો ગોવરધનને માર, નાખી બાઇને કુંડ મોઝાર.33
જમદૂત કહે ક્રોધ આણી, પાછો જા મૃત્યુલોકના પ્રાણી;
ધર્મને નવ પૂછ્યું લગાર, કેમ બાઇને કાઢી બહાર ?34
પછી વાણિયે દેહમાં આવી, મહારાજને વાત સુણાવી;
વળી વિનતિ કરી શિર નામી, મારી ફઇને મુકાવોને સ્વામી.35
ભગવાન મળ્યા મને તમે, મારી ફઇ કેમ ત્યાં દુઃખ ખમે;
સુણી ઉચર્યા વિશ્વઆધાર, તમે કાઢો જઇ બીજીવાર.36
બોલ્યો બાળક હે અચ્યૂત ! મને મારે ત્યાં તો જમદૂત;
કહે કૃષ્ણ ફરીથી જો જાશો, મારા વચનથી બલવાન થાશો.37
જમદૂતથી કરજો લડાઇ, મુકત આવીને થાશે સહાયી;
પછી તે તો સમાધિમાં ગયો, ફૈને કાઢવા તતપર થયો.38
જમનો દૂત એક ત્યાં આવ્યો, તેણે ગોવર્ધનને ડરાવ્યો;
ત્યારે કાયા ધરી અદભૂત, દેખી નાઠો તે તો જમદૂત.39
પૂર્વછાયો :-
દૂતે જઇ જમરાયને, કહ્યા સર્વવિધિ સમાચાર;
ક્રોધ કરી જમપતિ કહે, જમ જાઓ મળીને હજાર.40
ચોપાઈ :-
સુણી સજ્જ થયા જમદૂત, ભારે રૂપ ધર્યા અદ્ભુત;
આવતા તે ગોવરધને ભાળ્યા, દિસે કાજળ તુલ્ય તે કાળા.41
ઊંચા ઊંચા તે પર્વત જેવા, ભાળી લાગે ભયંકર એવા;
મુખ શૈલગુફા અનુમાન, દાંત શૈલના શિખર સમાન.42
મુખે માણસનાં શબ ચાવે, તેને દિલમાં દયા નવ આવે;
નાખ્યાં કોટમાં બહુ આંતરડાં, લાલ લોચન લાગે છે કરડાં.43
માથાં જન તણાં કરમાં ઉછાળે, ભલો ખેલ દડાજેવો ભાળે;
લીધાં ખપ્પર લોહી ભરેલાં, દિસે શોણિત પાન કરેલાં.44
કંઠે કોઈને માથાની માળા, નીસરે કોઇને મુખ જવાળા;
હાથ જાણીએ સર્પની ફેણ, અસ્ત્ર શસ્ત્ર ધર્યા દુઃખદેણ.45
ધર્યા ગુપ્તિ ગદા ને ત્રિશૂળ, ધર્યા લોહના દંડ પ્રથૂળ;
ધર્યા ભારી ભયંકર ભાલા, કરે ક્રોધે ભયંકર ચાળા.46
તરવાર છરા અને છરી, માંસ તોડવા સાણસી ધરી;
લીધી કોઇએ હાથમાં ફરશી, જનનું લોહી પીવાને તરશી.47
આવે ઉચ્ચરતા ખાઉં ખાઉં, લોહી પીને કહે છે ધરાઉં;
પ્રલેકાળનાં વાદળાં જેવાં, તન દિસે છે દોડતાં તેવાં.48
કોઇ સિંહમુખો જમદૂત, કોઇ રીંછમુખો અદભૂત;
કોઇનું મુખ તો જેવું શ્વાન, મુખે કોઇ માંજાર સમાન.49
કોઇ ઘુડમુખા તે જણાય, કોઇ ગર્દભમૂખો ગણાય;
કોઇ ઊંટમુખો વળી એમાં, કોઇ મર્કટમુખ પણ તેમાં.50
આવ્યા ગોવરધનને પકડવા,લાગ્યા જોર કરી બહુ લડવા;
ત્યારે ગોવરધન તણો દેહ, થયો ગોવરધનસમ એહ.51
પગે પીલીને કૈકને માર્યા, ઢીંકા પાટુએ કૈને સંહાર્યા;
જમદૂતનાં લૈ હથિયાર, માર્યા કૈકને તો તેહ ઠાર.52
કરે હોંકારા ગોવરધન, જાણે ભાંગશે ચૌદેભુવન;
હરિ આગળ છે તેનો દેહ, લાગ્યો હોંકારા કરવા તેહ.53
હાથ વીંઝે ને પાવ પછાડે, સિંહ કેસરીની પેઠે ત્રાડે;
લોકો દેખીને અચરજ આણે, સાચો મર્મ તો શ્રીહરિ જાણે.54
જમ નાઠા તે પામીને ત્રાસ, કહી વાત તે ધર્મની પાસ;
યમરાજા ચડ્યા ક્રોધ ધારી, કરી પાડા ઉપર અસવારી.55
લોહદંડ લીધો લીધો પાશ, ચૌદ કોટિ લીધા સાથે દાસ;
મોટા સિંહ પાડે ત્રાડ જેવી, જમરાય પાડે ત્રાડ એવી.56
ભારે ફોજ આવી ચડી જયારે, ડર પામ્યો ગોવરધન ત્યારે;
સ્નેહે સંભાર્યા શ્રીઅવિનાશી, આવ્યા મુકત અક્ષરના નિવાસી.57
જમરાજ દેખી ડર પામ્યો, હાથ જોડી ઉભો રહ્યો સામો;
કહે મુકતપ્રત્યે જમરાય, કેમ એને કરો છો સહાય ?58
મહાપાપિણી નારી છે જેહ, તેને લૈ જવા આવ્યો છે એહ;
એને દંડ ઓછો રહી જાય, કુંભીપાકથી કેમ કઢાય ?59
ત્યારે મુકત કહે સુણો રાય, પ્રભુ પ્રગટ્યા છે ભૂતળમાંય;
તેની આજ્ઞાથી આવ્યો છે એહ, તમથી અટકાય ન તેહ.60
ધર્મરાયે પછી સ્તુતિ કીધી,તેની ફૈબાને લઇ જવા દીધી;
ગયા મુકત પોતાતણે સ્થાન, આવ્યાં બે જણ જયાં ભગવાન.61
કહે બાઇને સુંદરશામ, તમે જૈ બદ્રિકાશ્રમ ધામ;
થોડા કાળ સુધી તપ કરશો, પછી સત્સંગમાં દેહ ધરશો.62
અંતે પામશો અક્ષરધામ, એમ કહી મોકલી તેહ ઠામ;
સમાધિથી ગોવરધન જાગ્યો, કરી વાત ને સંશય ભાગ્યો.63
પુષ્પિતાગ્રાવૃત્ત :-
અકળ ચરિત્ર એમ કૃષ્ણકેરાં, ગણી ન શકાય સુણેલ છે ઘણેરાં;
હરિજન હિત આ કથા ઉચારી, પરમ પવિત્ર તથા પવિત્રકારી.64
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર – અભયસિંહનૃપસંવાદે શ્રીમાંગરોળનિવાસી ભકતગોવર્ધનાખ્યાનકથનનામા ષડવિંશતિતમો વિશ્રામઃ ।।26।।