પૂર્વછાયો :-
વર્ણી કહે નૃપ સાંભળો, કરું કૃષ્ણકથા ઉચ્ચાર;
પાવન કરવા તીર્થને, ગિરિધારી ગયા ગિરનાર.1
ચોપાઈ :-
ભલી રીતે પ્રથમ ભગવાન, કર્યું કુંડ દામોદરે સ્નાન;
પછી રેવતીકુંડમાં નાહ્યા, કુંડ પાવન કરવા ચહાયા.2
દામોદરજીને મંદિર જઇ, કર્યા દર્શન હર્ષિત થઇ;
ત્યાંના પૂજારીએ કરી સેવા, જાણી હરિને મહાજોગી જેવા.3
કહ્યું આંહિ રહો તમે રાત, સુણી બોલ્યા હરિ સાક્ષાત;
આજ તો એવી ઇચ્છા છે મનમાં, વસવું નિશાએ જઇ વનમાં.4
ત્યારે પૂજારી કહે પ્રભુપાસ, વનમાં બહુ વાઘનો ત્રાસ;
ઘણા આંહિ અઘોરી ફરેછે, તે તો જન તણો ભક્ષ કરે છે.5
વળી બોલિયા વિશ્વઆધાર, કોઇ અમને નથી હણનાર;
એમ ઉચ્ચરી ત્યાંથી સિધાવ્યા, મુચકુંદની જગ્યાયે આવ્યા.6
વળી ત્યાં થકી પશ્ચિમ પાસ, વસ્યા દેરી વિષે રાત વાસ;
રાત અરધી જતાં વાઘ આવ્યો, પ્રભુમાં તેણે પ્રેમ ઠરાવ્યો.7
પ્રભુપાસે રહ્યો આખી રાત, જન જોવા મળ્યા પરભાત;
વાઘ જોઇ રહે હરિ સામે, જન જોઇને અચરજ પામે.8
પછી શ્રીહરિએ સાન કરી, ગયો વનમાં પ્રદક્ષિણા ફરી;
દામોદરજીના પુજારી જેહ, તેણે દીઠો ચમતકાર તેહ.9
પ્રભુપદ જઇ કીધો પ્રણામ, તેડી ગયા દામોદરધામ;
રાખ્યા ત્યાં હરિને ત્રણ રાત, ભાવે સેવા કરી ભલી ભાત.10
તેને દેવ દામોદરરૂપે, દીધું દર્શન વૃષકુળભૂપે;
પછી ત્યાં થકી વીદાય થયા, ભગવાન ભવેશ્વરે ગયા.11
પછી વાવ્ય ચડાની છે જયાંય, ગયા તે સમે ત્રીકમ ત્યાંય;
ત્યાંથી આવ્યો ગિરિનો ચડાવ, દીઠો ડુંગરકેરો દેખાવ.12
ઉપજાતિવૃત્ત :-
જયારે હતો શ્રાવણ શુદ્ધ માસ, પ્રભુ પધાર્યા ગિરનાર પાસ;
શોભા બની તે અતિ શી વખાણું, અપૂર્વ એ ઉત્તમ જોગ જાણું.13
ગિરિ દિસે છે ઘનશામ જેવો, આવ્યો ચડી ત્યાં ઘનશામ એવો;
ભલા પધાર્યા ઘનશામ ભૂપ, ત્રણે વિરાજે ઘનશામરૂપ.14
વૈતાલીયવૃત્ત :-
ગિરિયે ઘનની ઘટા ધરી, વિલસે જેમ શિરે જટા ધરી;
સુરચાપ તહાં પસારિયું, જટિલે જેમ ત્રિપુંડ ધારિયું.15
ગિરિમાં વનવૃક્ષ છે ઘણાં, શુભશું રોમ દિસે ગિરિ તણાં;
હરખ્યો હરિને મળી ઘણું, તન રોમાંચ થયું ગિરી તણું.16
જળનાં ઝરણાં ઘણાં ઝરે, કવિ તેની શુભ કલ્પના કરે;
ગિરિ છે અતિશે ઉમંગમાં, ઊપજયો સ્વેદ વિશેષ અંગમાં.17
શિખરે ચડી મોર ઉચ્ચરે, સુણી એવી કવિ કલ્પના કરે;
પ્રભુને અતિ ચિત્ત પ્યારથી, ગિરિ શું આદર દે ઉચારથી.18
ફળ ફુલ ફળ્યાં અને ફૂલ્યાં, તરુવલ્લી પર તે રહ્યાં ઝુલ્યાં;
ગિરિયે તરુને મિષે કરી, હરિને શું ભલી ભેટ તે ધરી.19
શિખરે ઘન ગર્જના કરે, અવલોકી કવિ ઉપમા ધરે;
ગણિને અતિ હર્ષની ઘડી, વજડાવે ગિરિ નોબતો વડી.20
ચળકે ચપળા દિશો દિશે, અસિધારા ગિરિરાજની હશે;
ખગ દાદુર શબ્દ ઉચ્ચરે, ગિરિસેના જયકાર શું કરે.21
ઘન ડંબરતુલ્ય ત્યાં વળી, હરિને શીશ ઝુકી સુવાદળી;
ત્રિવિધિ ગતિ વાયુ સંચરે, પ્રભુને શું ગિરિ પંખવો કરે.22
રથોદ્ધતાવૃત્ત :-
રૈવતાખ્ય ગિરિ શૈલરાજ છે, જયાં વિશેષ સુરનો સમાજ છે;
કૃષ્ણદર્શ તણી ચાહના કરી, શું વસેલ અહિ શંભુનો ગિરી.23
ધાતુ રત્ન તણી ખૂબ ખાણ છે, પેખિ પૂર્ણ નિધિયો પ્રમાણ છે;
જયાં હતા જદુકુળેશ સંચર્યા, ત્યાં વિશેષ વૃષપુત્ર વિચર્યા.24
જયાં વસે વળી અપાર જોગિયો, ભાળિ શૈલ હરખાય ભોગિયો;
જયાં વનસ્પતિ અઢાર ભાર છે, સિંહ વાઘ વરુઓ અપાર છે.25
છે ઘણીક તરુઓ તણી ઘટા,જેવી હોય શુભ શંભુની જટા;
ગૌમુખી સુસરિતા શિરે રહે, જાણિયે પ્રગટ જાહ્નવી વહે.26
વીટિયો અધિક વાદળે કરી, શું વિભૂતિ તન શંકરે ધરી;
ચંદ્ર હોય શિખરે જ જે સમે, ભાલ ચંદ્રસમ ભાળતાં ગમે.27
હસ્તિતુલ્ય દરસાય પૂનમે, ઘંટ સૂર્યશશિ સાંજને સમે;
દેખી દેવગજ ક્ષોભ પામિયો, તેથી ભૂમિ તજી સ્વર્ગમાં ગિયો.28
શૈલ શીશ બહુ છે લિલોતરી, લીલી ઝૂલ શુભ શું ગજે ધરી;
હસ્તિ શીશ ચડનાર ભૂપતિ, તેમ શૈલ શિર સંતના પતિ.29
શ્યામરંગ ગિરિનો જણાય છે, દેખી એમ અનુમાન થાય છે;
કૃષ્ણ કીર્તિ લખવા ગિરીમિષે, પૂંજ કાજળ તણો કર્યો હશે.30
ચોપાઈ :-
એવો દેખાવ ગિરિનો નિહાળી, રુદે રાજી થયા વનમાળી;
ગિરિ ઉપર ચડ્યા અવિનાશ, ગયા ગૌમુખી ગંગાની પાસ.31
તહાં રહેતા હતા બહુ બાવા, તેણે હરિને દીધું નહીં નાવા;
દીધું દર્શન વામન થઇ, ત્યારે સર્વે પગે લાગ્યા જઇ.32
વળી ગંગા વિષે નવરાવ્યા, ચર્ચિ ચંદન હાર ચડાવ્યા;
રહો આંહિ એવા બોલ કહ્યા, પણ શ્રીહરિ ત્યાં નવ રહ્યા.33
દત્તાત્રી તણી જગ્યા છે જયાંય, ગયા શ્રીહરિ ત્યાં થકી ત્યાંય;
એક તપશી દીઠો તેહ ઠાર, તપ કરતાં વિત્યાં વર્ષ બાર.34
તેને એમ કહ્યું હરિરાય, કહો શી છે તમારે ઇચ્છાય ?
સુણી બોલ્યો તપસ્વી તે ત્યારે, ઇચ્છા એક જ છે ઉર મારે.35
દત્તાત્રી તણાં દર્શન થાય, નથી બીજી ઇચ્છા ઉરમાંય;
સુણી કરુણા કરી જગભૂપે, દીધું દર્શન દત્તાત્રીરૂપે.36
નિજરૂપનો નિશ્ચે કરાવ્યો, તેને જન્મ મરણથી મુકાવ્યો;
ગિરિ ઊપર થકી ઊતરી, જૂનાગઢમાં પધાર્યા શ્રીહરી.37
ગયા નાથ ગોધા વાવ જયાં છે, ધર્મદાસ તણી જગ્યા ત્યાં છે;
થતું ત્યાં હતું બ્રહ્મ ભોજન, બેઠા ત્યાં જઇ જગજીવન.38
ત્યાંથી અન્ન મળ્યું નહિ જયારે, હાટકેશ્વરમાં ગયા ત્યારે;
આવ્યો નાગર દર્શન કાજ, તેણે દીઠા તપસ્વીરાજ.39
જાણ્યા જોગીને વિદ્વાન જેવા, પૂછ્યા પ્રશ્ન પરીક્ષા તે લેવા;
દશ પ્રશ્નના ઉત્તર બેજ, ઉભી પંકિત કરી લખ્યા એ જ.40
શાર્દૂલવિક્રીડિતવૃત્ત :- બહિર્લાપિકા :-
જોયો શૈલ કિયો ભલા ગુરુ કિયા બ્રહ્માસુતા સિંધુજા,
કેવું સિંધુસમીપ હોય સર તે ઝીણી કહો ભૂમિજા;
શું નાણું તનને નવીન અરથે કેના પછી દૌ ધરી,
શંભુ શત્રુ સુકંઠી કોણ સુણીને બે પંકિત ઊભી કરી.41
ચોપાઈ :-
જોઇ ઉત્તર અચરજ પામી, કર્યું વંદન નિજશિર નામી;
અતિ પ્રેમ વધ્યો એને ઉર, જાણ્યું છે મહાપુરુષ જરુર.42
તેના મુખથી સુણ્યો ઉપદેશ, થયો ધર્મનો મનમાં પ્રવેશ;
ઘેર જૈ શીરોપુરી કરાવી, હેતે હરિને જમાડીયા લાવી.43
તેને રાત્રિ વિષે મુનિભૂપે, દીધું દર્શન શંકરરૂપે;
હાટકેશ્વરમાં રહ્યા રાત, ભૂતનાથે પધાર્યા પ્રભાત.44
કર્યું દર્શન શંભુનું ભાવે, પીધું જળ જઇ ખેંગાર વાવે;
ગયા ત્યાં થકી વણથળી ગામ, સૂર્યકુંડે નાહ્યા ઘનશ્યામ.45
જમ્યા ત્યાંથી સદાવ્રત લઇ, રાત વાસો રહ્યા રાજી થઇ;
ગઇ રાત ને ઊગ્યો દિનેશ, પીપળાંણે ગયા પરમેશ.46
ઉનેવાળ જે નરસી મહેતા, પીપળાણામાં તે તો રહેતા;
તેને ઘેર ગયા હરિ જયારે, પૂજા કરતા હતા મેજાતો ત્યારે.47
કરતા હતા પાઠ ગીતાનો, આંગણે હતો પુત્ર પોતાનો;
નામ કલ્યાણજી કહેવાય, માંગી ભિક્ષા તહાં હરિરાય.48
કહે કલ્યાણજી તેહ વાર, નથી ઘરમાં રસોઇ તૈયાર;
આવો બેસો રસોઇ કરાવું, ભલું ભોજન તમને ધરાવું.49
કહે કૃષ્ણ ખોટી નહિં થાઉં, તીર્થ કરવા ઉતાવાળો જાઉં;
વિપ્રપુત્ર બોલ્યો તેહ ઠામ, બાવા હોય કલ્યાણનું કામ.50
બીજે તીર્થ જવાનું ન ધારો, લોજમાં મહારાજ પધારો;
રામાનંદસ્વામી તણા ચેલા, મુકતાનંદજી ત્યાં છે રહેલા.51
તેની પાસે પચાસ છે સંત, મહાવૈરાગી ને જ્ઞાનવંત;
જેને હોય કલ્યાણની આશ, તેને જાવું એવા સંતપાસ.52
સુણો ભૂપ અભેસિંહ ભ્રાત, એવામાં બની અદ્ભુત વાત;
મેજાતા નરસિંહ તો તેહ ઠામ, પૂજતા હતા શાળગરામ.53
ઘણું પ્રગટિયું તેમાંથી તેજ, થયું લીન હરિ વિષે એ જ;
એવું અચરજ દેખી નિદાન, એ તો ભૂલ્યા શરીરનું ભાન.54
ચાલી નીસર્યા સારંગપાણિ, વાત તે મેજાતા નરસિંહે જાણી;
ત્યારે પુત્ર પ્રત્યે બોલ્યા એમ, મોટા જોગી જાવા દીધા કેમ ?55
પછી પાછળ જઇ ભલીપેર, તેડી લાવ્યા પ્રભુ નિજ ઘેર;
કહ્યું બેસો રસોઇ કરાવું, ભલા ભાવથી થાળ ધરાવું.56
કહે કૃષ્ણ ન વાર લગાડો, હોય તૈયાર તે જ જમાડો;
તહાં દૂધ જુવારનું ધાન, જમ્યા ભાવથી શ્રી ભગવાન.57
ત્યાં તો હરિએ ચતુર્ભુજરૂપ, દીધું દર્શન તેને અનૂપ;
પ્રેમે મહેતાએ પ્રણામ કીધો, નિજભાગ્ય ઉદય ગણી લીધો.58
રામાનંદે કહ્યું હતું જેહ, ત્યારે મહેતાએ સંભાર્યુ તેહ;
હું છું ઉદ્ધવનો અવતાર, પ્રભુ છે પછીથી આવનાર.59
આવ્યા એ જ પ્રભુ સાક્ષાત, એવી અંતરમાં ધારી વાત;
ગિરનારમાં આકાશવાણી, સાંભળી હતી તે સ્મૃતિ આણી.60
વાણી સુફળ થઇ તે આજ, મારે ઘેર આવ્યા મહારાજ;
કરુણા મુજ ઉપર કીધી, મારી શ્રીહરિએ સાર લીધી.61
પૂર્વછાયો :-
ભૂપ કહે વરણીન્દ્રજી, કથા કહો એ તો મુજ પાસ;
કયારે અને કેવી રીતે, વાણી થઇ હતી આકાશ ?62
ચોપાઈ :-
બ્રહ્મચારી કહે સુણો ભ્રાત, મેજાતા નરસિંહની કહું વાત;
હતા પૂર્વના મુકત તે ભારી, ભાવ ભગવાન ઉપર ધારી.63
ટેક બાળપણા થકી ધારે, ભગવાનને મળવું છે મારે;
એમ કરતાં વરસ કાંઇ ગયાં, પ્રભુનાં દર્શન નવ થયાં.64
ત્યારે ત્યાગ કરી ઘરબાર, ચાલ્યા શોધવા વિશ્વ આધાર;
જાણ્યું ગિરનાર ઉપર જાઉં, કોઇ જોગીનો સેવક થાઉં.65
હોય ભેખ વિષે ભગવાન, ત્યાં હું પામીશ દર્શનદાન;
જો હું દર્શન નહિ પામીશ, તો આ દેહનો ત્યાગ કરીશ.66
એવું ધારી ગયા ગિરનાર, જોયા સિદ્ધ ને જોગી અપાર;
પરમેશ્વર તો નવ મળિયા, તેથી તાપ હૃદયના ન ટળિયા.67
પિંડ પાડવા કીધો વિચાર, વાણી આકાશ થૈ ત્રણ વાર;
મેજાતા ચિંતા તજો સર્વપેર, હરિ આવશે તમારે ઘેર.68
ત્રણ્ય વાર સુણ્યો શબ્દ જયારે, આવ્યો અંતરે વિશ્વાસ ત્યારે;
એ જ માટે અહો ભૂમિપાળ, દીધું દર્શન દીનદયાળ.69
પ્રભુ મળવા કરે શ્રમ ઘણો, શ્રમ વ્યર્થ ન થાય તે તણો;
એવો છે શ્રીહરિનો ઠરાવ,જુવે અંતરનો શુદ્ધ ભાવ.70
જમીને વિચર્યા સુખરાશી, ગામ આખાભણી અવિનાશી;
મેજાતો ચાલ્યા વળાવવા માટે, જતાં દીઠો ચમત્કાર વાટે.71
દીઠા હરિ પુરુષોત્તમરૂપ, કરે સ્તુતિ બ્રહ્માંડોના ભૂપ;
ત્યાં તો દીઠા દશે અવતાર, થયા લીન શ્રીહરિ મોઝાર.72
એથી ઊપજયો આનંદ ભારી, જાણ્યા અવતારના અવતારી;
કરી આજ્ઞા તે શામ સુજાણે,મેજાતો પાછા ગયા પીપળાણે.73
આખા ગામે ગયા ગિરધારી, જેનું ધ્યાન ધરે ત્રિપુરારી;
વેદ નેતિ નેતિ ઉચરે છે, પ્રભુ તે ભૂમિમાં વિચરે છે.74
પુષ્પિતાગ્રાવૃત્ત :-
દ્વિજવર નરસિંહ જે મહેતા, પ્રગટ ઉપાસનકારી બ્રહ્મવેત્તા;
કહી અતિ શુભ તેની આ કથાય, સુણી નરનારી પવિત્ર સદ્ય થાય.75
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે પીપળાણાગ્રામે શ્રીહરિ-વિપ્રનરસિંહમહેતામિલનનામા પંચવિંશો વિશ્રામઃ ।।25।।