પૂર્વછાયો :-

વર્ણી  કહે  નૃપ  સાંભળો,  કરું  કૃષ્ણકથા  ઉચ્ચાર;

પાવન કરવા તીર્થને, ગિરિધારી ગયા ગિરનાર.1

ચોપાઈ :-

ભલી  રીતે  પ્રથમ  ભગવાન,  કર્યું કુંડ  દામોદરે  સ્નાન;

પછી  રેવતીકુંડમાં  નાહ્યા,  કુંડ  પાવન  કરવા  ચહાયા.2

દામોદરજીને  મંદિર  જઇ,  કર્યા  દર્શન  હર્ષિત  થઇ;

ત્યાંના પૂજારીએ કરી સેવા, જાણી હરિને મહાજોગી જેવા.3

કહ્યું  આંહિ  રહો  તમે  રાત,  સુણી  બોલ્યા  હરિ  સાક્ષાત;

આજ તો એવી ઇચ્છા છે મનમાં, વસવું નિશાએ જઇ વનમાં.4

ત્યારે  પૂજારી  કહે  પ્રભુપાસ,  વનમાં  બહુ  વાઘનો  ત્રાસ;

ઘણા આંહિ અઘોરી ફરેછે, તે તો જન તણો ભક્ષ કરે છે.5

વળી  બોલિયા  વિશ્વઆધાર,  કોઇ  અમને  નથી  હણનાર;

એમ ઉચ્ચરી ત્યાંથી સિધાવ્યા, મુચકુંદની જગ્યાયે આવ્યા.6

વળી ત્યાં થકી પશ્ચિમ પાસ, વસ્યા દેરી વિષે રાત વાસ;

રાત અરધી જતાં વાઘ આવ્યો, પ્રભુમાં તેણે પ્રેમ ઠરાવ્યો.7

પ્રભુપાસે  રહ્યો  આખી  રાત,  જન  જોવા  મળ્યા  પરભાત;

વાઘ  જોઇ  રહે  હરિ  સામે,  જન  જોઇને  અચરજ  પામે.8

પછી  શ્રીહરિએ  સાન  કરી,  ગયો  વનમાં  પ્રદક્ષિણા  ફરી;

દામોદરજીના  પુજારી  જેહ,  તેણે  દીઠો  ચમતકાર  તેહ.9

પ્રભુપદ  જઇ  કીધો  પ્રણામ,  તેડી  ગયા  દામોદરધામ;

રાખ્યા ત્યાં હરિને ત્રણ રાત, ભાવે સેવા કરી ભલી ભાત.10

તેને  દેવ  દામોદરરૂપે,  દીધું  દર્શન  વૃષકુળભૂપે;

પછી  ત્યાં  થકી  વીદાય  થયા,  ભગવાન  ભવેશ્વરે  ગયા.11

પછી વાવ્ય ચડાની છે જયાંય, ગયા તે સમે ત્રીકમ ત્યાંય;

ત્યાંથી  આવ્યો  ગિરિનો  ચડાવ,  દીઠો  ડુંગરકેરો  દેખાવ.12

ઉપજાતિવૃત્ત :-

જયારે હતો શ્રાવણ શુદ્ધ માસ, પ્રભુ પધાર્યા ગિરનાર પાસ;

શોભા બની તે અતિ શી વખાણું, અપૂર્વ એ ઉત્તમ જોગ જાણું.13

ગિરિ દિસે છે ઘનશામ જેવો, આવ્યો ચડી ત્યાં ઘનશામ એવો;

ભલા  પધાર્યા  ઘનશામ  ભૂપ,  ત્રણે  વિરાજે  ઘનશામરૂપ.14

વૈતાલીયવૃત્ત :-

ગિરિયે  ઘનની  ઘટા  ધરી,  વિલસે  જેમ  શિરે  જટા  ધરી;

સુરચાપ  તહાં  પસારિયું,  જટિલે  જેમ  ત્રિપુંડ  ધારિયું.15

ગિરિમાં વનવૃક્ષ છે ઘણાં, શુભશું રોમ દિસે ગિરિ તણાં;

હરખ્યો હરિને મળી ઘણું, તન રોમાંચ થયું ગિરી તણું.16

જળનાં  ઝરણાં  ઘણાં  ઝરે,  કવિ  તેની  શુભ  કલ્પના  કરે;

ગિરિ છે અતિશે ઉમંગમાં, ઊપજયો સ્વેદ  વિશેષ અંગમાં.17

શિખરે ચડી મોર ઉચ્ચરે, સુણી એવી કવિ કલ્પના કરે;

પ્રભુને અતિ ચિત્ત પ્યારથી, ગિરિ શું આદર દે ઉચારથી.18

ફળ ફુલ ફળ્યાં અને ફૂલ્યાં, તરુવલ્લી પર તે રહ્યાં ઝુલ્યાં;

ગિરિયે  તરુને  મિષે  કરી,  હરિને  શું  ભલી  ભેટ  તે  ધરી.19

શિખરે  ઘન  ગર્જના  કરે,  અવલોકી  કવિ  ઉપમા  ધરે;

ગણિને અતિ હર્ષની ઘડી, વજડાવે ગિરિ નોબતો વડી.20

ચળકે ચપળા દિશો દિશે, અસિધારા ગિરિરાજની હશે;

ખગ  દાદુર  શબ્દ  ઉચ્ચરે,  ગિરિસેના  જયકાર  શું  કરે.21

ઘન  ડંબરતુલ્ય  ત્યાં  વળી,  હરિને  શીશ  ઝુકી  સુવાદળી;

ત્રિવિધિ ગતિ વાયુ સંચરે, પ્રભુને શું ગિરિ પંખવો કરે.22

રથોદ્ધતાવૃત્ત :-

રૈવતાખ્ય ગિરિ શૈલરાજ છે, જયાં વિશેષ સુરનો સમાજ છે;

કૃષ્ણદર્શ તણી ચાહના કરી, શું વસેલ અહિ શંભુનો ગિરી.23

ધાતુ રત્ન તણી ખૂબ ખાણ છે, પેખિ પૂર્ણ નિધિયો પ્રમાણ છે;

જયાં હતા જદુકુળેશ સંચર્યા, ત્યાં વિશેષ વૃષપુત્ર વિચર્યા.24

જયાં વસે વળી અપાર જોગિયો, ભાળિ શૈલ હરખાય ભોગિયો;

જયાં વનસ્પતિ અઢાર ભાર છે, સિંહ વાઘ વરુઓ અપાર છે.25

છે ઘણીક તરુઓ તણી ઘટા,જેવી હોય શુભ શંભુની જટા;

ગૌમુખી  સુસરિતા  શિરે  રહે,  જાણિયે  પ્રગટ  જાહ્નવી  વહે.26

વીટિયો  અધિક  વાદળે  કરી,  શું  વિભૂતિ  તન  શંકરે  ધરી;

ચંદ્ર હોય શિખરે જ જે સમે, ભાલ ચંદ્રસમ ભાળતાં ગમે.27

હસ્તિતુલ્ય  દરસાય  પૂનમે,  ઘંટ  સૂર્યશશિ  સાંજને  સમે;

દેખી દેવગજ ક્ષોભ પામિયો, તેથી ભૂમિ તજી સ્વર્ગમાં ગિયો.28

શૈલ શીશ બહુ છે લિલોતરી, લીલી ઝૂલ શુભ શું ગજે ધરી;

હસ્તિ શીશ ચડનાર ભૂપતિ, તેમ શૈલ શિર સંતના પતિ.29

શ્યામરંગ ગિરિનો જણાય છે, દેખી એમ અનુમાન થાય છે;

કૃષ્ણ કીર્તિ લખવા ગિરીમિષે, પૂંજ કાજળ તણો કર્યો હશે.30

ચોપાઈ :-

એવો દેખાવ ગિરિનો નિહાળી, રુદે રાજી થયા વનમાળી;

ગિરિ ઉપર ચડ્યા અવિનાશ, ગયા ગૌમુખી ગંગાની પાસ.31

તહાં રહેતા હતા બહુ બાવા, તેણે હરિને દીધું નહીં નાવા;

દીધું  દર્શન  વામન  થઇ,  ત્યારે  સર્વે  પગે  લાગ્યા  જઇ.32

વળી  ગંગા  વિષે  નવરાવ્યા,  ચર્ચિ  ચંદન  હાર  ચડાવ્યા;

રહો આંહિ એવા બોલ કહ્યા, પણ શ્રીહરિ ત્યાં નવ રહ્યા.33

દત્તાત્રી તણી જગ્યા છે જયાંય, ગયા શ્રીહરિ ત્યાં થકી ત્યાંય;

એક  તપશી  દીઠો  તેહ  ઠાર,  તપ  કરતાં  વિત્યાં  વર્ષ  બાર.34

તેને  એમ  કહ્યું  હરિરાય,  કહો  શી  છે  તમારે  ઇચ્છાય  ?

સુણી બોલ્યો તપસ્વી તે ત્યારે, ઇચ્છા એક જ છે ઉર મારે.35

દત્તાત્રી  તણાં  દર્શન  થાય,  નથી  બીજી    ઇચ્છા  ઉરમાંય;

સુણી  કરુણા  કરી  જગભૂપે,  દીધું  દર્શન  દત્તાત્રીરૂપે.36

નિજરૂપનો  નિશ્ચે  કરાવ્યો,  તેને  જન્મ  મરણથી  મુકાવ્યો;

ગિરિ  ઊપર  થકી  ઊતરી,  જૂનાગઢમાં  પધાર્યા  શ્રીહરી.37

ગયા નાથ ગોધા વાવ જયાં છે, ધર્મદાસ તણી જગ્યા ત્યાં છે;

થતું  ત્યાં  હતું  બ્રહ્મ  ભોજન,  બેઠા  ત્યાં  જઇ  જગજીવન.38

ત્યાંથી અન્ન મળ્યું નહિ જયારે, હાટકેશ્વરમાં ગયા ત્યારે;

આવ્યો  નાગર  દર્શન  કાજ,  તેણે  દીઠા  તપસ્વીરાજ.39

જાણ્યા જોગીને વિદ્વાન જેવા, પૂછ્યા પ્રશ્ન પરીક્ષા તે લેવા;

દશ  પ્રશ્નના  ઉત્તર  બેજ,  ઉભી  પંકિત  કરી  લખ્યા  એ  જ.40

શાર્દૂલવિક્રીડિતવૃત્ત :- બહિર્લાપિકા :-

જોયો શૈલ કિયો ભલા ગુરુ કિયા બ્રહ્માસુતા સિંધુજા,

કેવું સિંધુસમીપ હોય સર તે ઝીણી કહો ભૂમિજા;

શું નાણું તનને નવીન અરથે કેના પછી દૌ ધરી,

શંભુ શત્રુ સુકંઠી કોણ સુણીને બે પંકિત ઊભી કરી.41

ચોપાઈ :-

જોઇ  ઉત્તર  અચરજ  પામી,  કર્યું વંદન  નિજશિર  નામી;

અતિ  પ્રેમ  વધ્યો  એને  ઉર,  જાણ્યું  છે  મહાપુરુષ  જરુર.42

તેના  મુખથી  સુણ્યો  ઉપદેશ,  થયો  ધર્મનો  મનમાં  પ્રવેશ;

ઘેર  જૈ  શીરોપુરી  કરાવી,  હેતે  હરિને  જમાડીયા  લાવી.43

તેને  રાત્રિ  વિષે  મુનિભૂપે,  દીધું  દર્શન  શંકરરૂપે;

હાટકેશ્વરમાં  રહ્યા  રાત,  ભૂતનાથે  પધાર્યા  પ્રભાત.44

કર્યું દર્શન  શંભુનું  ભાવે,  પીધું  જળ  જઇ  ખેંગાર  વાવે;

ગયા  ત્યાં  થકી  વણથળી  ગામ,  સૂર્યકુંડે  નાહ્યા  ઘનશ્યામ.45

જમ્યા  ત્યાંથી  સદાવ્રત  લઇ,  રાત  વાસો  રહ્યા  રાજી  થઇ;

ગઇ  રાત  ને  ઊગ્યો  દિનેશ,  પીપળાંણે  ગયા  પરમેશ.46

ઉનેવાળ  જે  નરસી  મહેતા,  પીપળાણામાં  તે  તો  રહેતા;

તેને ઘેર ગયા હરિ જયારે, પૂજા કરતા હતા મેજાતો ત્યારે.47

કરતા  હતા  પાઠ  ગીતાનો,  આંગણે  હતો  પુત્ર  પોતાનો;

નામ  કલ્યાણજી  કહેવાય,  માંગી  ભિક્ષા  તહાં  હરિરાય.48

કહે  કલ્યાણજી  તેહ  વાર,  નથી  ઘરમાં  રસોઇ  તૈયાર;

આવો  બેસો  રસોઇ  કરાવું,  ભલું  ભોજન  તમને  ધરાવું.49

કહે  કૃષ્ણ  ખોટી  નહિં  થાઉં,  તીર્થ  કરવા  ઉતાવાળો  જાઉં;

વિપ્રપુત્ર  બોલ્યો  તેહ  ઠામ,  બાવા  હોય  કલ્યાણનું  કામ.50

બીજે  તીર્થ  જવાનું  ન  ધારો,  લોજમાં  મહારાજ  પધારો;

રામાનંદસ્વામી  તણા  ચેલા,  મુકતાનંદજી  ત્યાં  છે  રહેલા.51

તેની  પાસે  પચાસ  છે  સંત,  મહાવૈરાગી  ને  જ્ઞાનવંત;

જેને  હોય  કલ્યાણની  આશ,  તેને  જાવું  એવા  સંતપાસ.52

સુણો ભૂપ અભેસિંહ ભ્રાત, એવામાં બની અદ્ભુત વાત;

મેજાતા  નરસિંહ  તો  તેહ  ઠામ,  પૂજતા  હતા  શાળગરામ.53

ઘણું  પ્રગટિયું  તેમાંથી  તેજ,  થયું  લીન  હરિ  વિષે  એ  જ;

એવું અચરજ દેખી નિદાન, એ તો ભૂલ્યા શરીરનું ભાન.54

ચાલી નીસર્યા સારંગપાણિ, વાત તે મેજાતા નરસિંહે જાણી;

ત્યારે પુત્ર પ્રત્યે બોલ્યા એમ, મોટા જોગી જાવા દીધા કેમ ?55

પછી  પાછળ  જઇ  ભલીપેર,  તેડી  લાવ્યા  પ્રભુ  નિજ  ઘેર;

કહ્યું  બેસો  રસોઇ  કરાવું,  ભલા  ભાવથી  થાળ  ધરાવું.56

કહે  કૃષ્ણ  ન  વાર  લગાડો,  હોય  તૈયાર  તે  જ  જમાડો;

તહાં  દૂધ  જુવારનું  ધાન,  જમ્યા  ભાવથી  શ્રી  ભગવાન.57

ત્યાં  તો  હરિએ  ચતુર્ભુજરૂપ,  દીધું  દર્શન  તેને  અનૂપ;

પ્રેમે મહેતાએ પ્રણામ કીધો, નિજભાગ્ય ઉદય ગણી લીધો.58

રામાનંદે  કહ્યું  હતું  જેહ,  ત્યારે  મહેતાએ  સંભાર્યુ  તેહ;

હું  છું  ઉદ્ધવનો  અવતાર,  પ્રભુ  છે  પછીથી  આવનાર.59

આવ્યા  એ  જ  પ્રભુ  સાક્ષાત,  એવી  અંતરમાં  ધારી  વાત;

ગિરનારમાં આકાશવાણી, સાંભળી હતી તે સ્મૃતિ આણી.60

વાણી  સુફળ  થઇ  તે  આજ,  મારે  ઘેર  આવ્યા  મહારાજ;

કરુણા  મુજ  ઉપર  કીધી,  મારી  શ્રીહરિએ  સાર  લીધી.61

પૂર્વછાયો :-

ભૂપ કહે વરણીન્દ્રજી, કથા કહો એ તો મુજ પાસ;

કયારે અને કેવી રીતે, વાણી થઇ હતી આકાશ ?62

ચોપાઈ :-

બ્રહ્મચારી  કહે  સુણો  ભ્રાત,  મેજાતા  નરસિંહની  કહું  વાત;

હતા પૂર્વના મુકત તે ભારી, ભાવ ભગવાન ઉપર ધારી.63

ટેક  બાળપણા  થકી  ધારે,  ભગવાનને  મળવું  છે  મારે;

એમ  કરતાં  વરસ  કાંઇ  ગયાં,  પ્રભુનાં  દર્શન  નવ  થયાં.64

ત્યારે  ત્યાગ  કરી  ઘરબાર,  ચાલ્યા  શોધવા  વિશ્વ  આધાર;

જાણ્યું  ગિરનાર  ઉપર  જાઉં,  કોઇ  જોગીનો  સેવક  થાઉં.65

હોય  ભેખ  વિષે  ભગવાન,  ત્યાં  હું  પામીશ  દર્શનદાન;

જો  હું  દર્શન  નહિ  પામીશ,  તો  આ  દેહનો  ત્યાગ  કરીશ.66

એવું  ધારી  ગયા  ગિરનાર,  જોયા  સિદ્ધ  ને  જોગી  અપાર;

પરમેશ્વર તો નવ મળિયા, તેથી તાપ હૃદયના ન ટળિયા.67

પિંડ  પાડવા  કીધો  વિચાર,  વાણી  આકાશ  થૈ  ત્રણ  વાર;

મેજાતા  ચિંતા  તજો  સર્વપેર,  હરિ  આવશે  તમારે  ઘેર.68

ત્રણ્ય વાર સુણ્યો શબ્દ જયારે, આવ્યો અંતરે વિશ્વાસ ત્યારે;

એ  જ  માટે  અહો  ભૂમિપાળ,  દીધું  દર્શન  દીનદયાળ.69

પ્રભુ  મળવા  કરે  શ્રમ  ઘણો,  શ્રમ  વ્યર્થ  ન  થાય  તે  તણો;

એવો  છે  શ્રીહરિનો  ઠરાવ,જુવે  અંતરનો  શુદ્ધ  ભાવ.70

જમીને  વિચર્યા  સુખરાશી,  ગામ  આખાભણી  અવિનાશી;

મેજાતો  ચાલ્યા  વળાવવા  માટે,  જતાં  દીઠો  ચમત્કાર  વાટે.71

દીઠા  હરિ  પુરુષોત્તમરૂપ,  કરે  સ્તુતિ  બ્રહ્માંડોના  ભૂપ;

ત્યાં  તો  દીઠા  દશે  અવતાર,  થયા  લીન  શ્રીહરિ  મોઝાર.72

એથી ઊપજયો આનંદ ભારી, જાણ્યા અવતારના અવતારી;

કરી આજ્ઞા તે શામ સુજાણે,મેજાતો પાછા ગયા પીપળાણે.73

આખા  ગામે  ગયા  ગિરધારી,  જેનું  ધ્યાન  ધરે  ત્રિપુરારી;

વેદ  નેતિ  નેતિ  ઉચરે  છે,  પ્રભુ  તે  ભૂમિમાં  વિચરે  છે.74

પુષ્પિતાગ્રાવૃત્ત :-

દ્વિજવર  નરસિંહ  જે  મહેતા,  પ્રગટ  ઉપાસનકારી  બ્રહ્મવેત્તા;

કહી અતિ શુભ તેની આ કથાય, સુણી નરનારી પવિત્ર સદ્ય થાય.75

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે પીપળાણાગ્રામે શ્રીહરિ-વિપ્રનરસિંહમહેતામિલનનામા પંચવિંશો વિશ્રામઃ ।।25।।